આઠમી સપ્ટેમ્બરે સવારે ગૌતમભાઈ ગયા એના છ કલાક પહેલાં એમણે કરેલી આ નોંધ એમની સદોદ્યત નિસબતના નમૂના દાખલ. (સુદૂર કેલિફાર્નિયાથી અભિજિત પાઠકે યાદ કર્યું કે ‘ગુજરાત પિયુસિએલ’ની એક કાળની જોડી – પ્રમુખ દેવવ્રત પાઠક અને મંત્રી ગૌતમ ઠાકર – બરાબર દસ વરસ પર આ જ તારીખે નંદવાઈ હતી.) કેમ કે, સવારે જ ગૌતમભાઈ ગયા એમણે કામદાર સમસ્યા પર સંપાદિત કરેલ પુસ્તકનો લોકાર્પણ સમારંભ મુલતવી રહ્યો. જોગાનુજોગ એ બની આવ્યો કે દસમી સપ્ટેમ્બરે સાંજે યોજાયેલી શ્રદ્ધાંજલિ સભામાં એ પુસ્તક રમતું મુકાયું – સાર્થક અંજલિ કહીશું એને? ગૌતમ ઠાકરના જીવનકાર્યને એ સભામાં જુદા જુદા ફિરકાના સાથીઓએ ઇલાબહેન ભટ્ટની વિશેષ ઉપસ્થિતિમાં સરાવ્યું. સફરની સલામ રૂપે આ બે શબ્દો, વિગતે વાત હવે પછી.
બૅંકિંગ ક્ષેત્ર તેના અત્યાર સુધીના કદાચ સૌથી વધુ કટોકટીકાળમાંથી પસાર થઈ રહ્યું છે. સરકારે બૅંકિંગ ગુનાખોરી અને અપરાધીકરણના બનાવો માટે આંખ આડા કાન કર્યા છે. માલ્યાથી માંડી નીરવ કે મેહુલ હોય કે એમના જેવા અન્ય મોટા ડિફોલ્ટર્સ, આ સૌ સાથે, ખૂબ નરમ વલણ દાખવ્યું છે. દેવાદાર ઉદ્યોગપતિઓને મોં માંગી રાહત અને સામાન્ય પ્રજા – ખેડૂતો – ગરીબોને ઠેંગો! આ નીતિ શાસકોની રહી છે. બૅંન્કોએ લૂંટવાની આખી પ્રક્રિયા વ્યવસ્થિત રીતે ચાલી રહી છે. એન.પી.એ.ના આંકડા છેલ્લાં ચાર વર્ષમાં ખૂબ ઊંચાઈએ પહોંચી ગયા છે. ખુદ આર.બી.આઈ. સપ્ટેમ્બર ૨૦૧૮માં કહે છે કે પ્રવર્તમાન આર્થિક સ્થિતિને કારણે બૅંકોની એન.પી.એ. અને બૅડ લોન્સમાં હજુ વધારો થશે જેને કારણે બૅંકોના નફા સફાચટ થઈ જશે. સરકાર હસ્તકની બૅંકોના નબળા વહીવટને કારણે બૅંકોની સ્થિતિ કથળેલી તો હતી જ. તેમાં વળી હવે અબજોના કૌભાંડો, અસંખ્ય લોન ડિફોલ્ટરો અને સતત વધતાં જતાં એન.પી.એ.ના ભારણને લઈને બૅંકિંગ ક્ષેત્ર ગંભીર કટોકટીમાં સપડાઈ ગયું છે.
કોર્પોરેટ બાકીદારો / દેવાદારો થકી સર્જાયેલ વ્યાપક ઘાલખાધજનક ધિરાણ કાં તો એક બાજુ બૅંકના કર્મચારીઓના ખભા ઉપર યા તો બૅંકિંગ ક્ષેત્રના ગ્રાહકગણ ઉપર થોપી બેસાડવામાં આવશે એવો ડર લોકોમાં પ્રસરી રહ્યો છે.
બૅંકોના રક્ષણ કાજે જેમાં જનતાના કઠોર પરિશ્રમ થકી સંચિત બચતો અને થાપણોનો સમાવેશ થાય છે તેની રક્ષા કાજે તથા બૅંકનો કર્મચારીગણ હિતોના રક્ષણ અને સંવર્ધન માટે પ્રજાપ્રતિબદ્ધ છે. શાસક પક્ષના હુમલાઓ સામે કેવળ સંગઠનબળ અને સર્વશીલતા જ પ્રજા માટે બાંહેધરી સમાન છે. પ્રજા અને બૅંક સંગઠનો અને સભાસદો તેમની હરોળને સુદૃઢ કરીને ઉપરોક્ત હુમલાઓ અને પડકારોને અસરકારકપણે પહોંચી વળવા સક્ષમ છે.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 સપ્ટેમ્બર 2018; પૃ. 15