૨૦૧૪માં ભારતમાં થનારી સામાન્ય ચૂંટણીનાં પડઘમ વાગી રહ્યાં છે. સક્ષમ રાજ્ય કર્તા પક્ષ પોતાની નીતિની લોકોને નિષ્પક્ષ જાણ કરે, જેથી મત આપનાર પ્રજા, સમય આવ્યેથી, યોગ્ય પસંદગીના ઉમેદવારોને ચૂંટી શકે, એ માટે આ સમય બધા ઉમેદવાર પક્ષો પાસે છે. તેને બદલે કોંગ્રેસને હરાવીને વિકલ્પે બી.જે.પી. રાજ્યધૂરા સંભાળવા તૈયારીઓ કરે છે. સ્વાભાવિક છે. એમને ય મહત્ત્વાકાંક્ષા હોય જ ને ? રાજ્ય અને કેન્દ્ર સરકારના ધારસભ્યો તેમ જ લોક સભાના ઉમેદવારો બાંય ચડાવીને યુદ્ધ ખેલવા તૈયારી કરે છે, ત્યાં ‘ભારતના ભાવિ વડાપ્રધાન કોણ ?’ એ ઘોડો પણ મેદાનમાં આવ્યો છે.
બી.જે.પી.ના સભ્યો સ્વયંવરમાં હાજરી આપવા આવે, તે પહેલાં પાર્ટીના નેતા અને ચૂંટાઈ આવે, તો ભવિષ્યના વડાપ્રધાન તરીકે કોને કોને મુરતિયા તરીકે ઊભા રાખવા તેની વિધિ ચાલી રહી છે. કોઈ અંગત મનોકામનાઓ પૂરી કરવા પોતાની જાતને ‘હું ઉત્તમ ઉમેદવાર છું’ કહીને આગળ આવે છે, તો કોઈને બાપ-દાદાની વંશ પરંપરાગત સત્તા ટકાવી રાખવાના સોગંદ આપીને બલીનો બકરો બનાવાઈ રહ્યો છે, કોઈની લાયકાતને પારખીને તટસ્થ રીતે ધીરેથી મધ્યમાં મૂકવામાં આવ્યા છે તો કોઈને જ્ઞાતિ કે જાતિના આધારે પ્રોત્સાહન અપાઈ રહ્યું છે. આમ શ્રીમાન રાહુલ ગાંધી, ચિદમ્બરમજી, મુલાયમસિંહજી, નીતીશ કુમાર, માયાવતી, મમતા બેનર્જી અને સહુથી વધુ ચકચાર જગાવનાર મહામના નરેન્દ્ર મોદીનાં નામ શક્ય ઉમેદવારોની યાદીમાં આવન-જાવન કરી રહ્યાં છે. છે હજુ બીજું કોઈ આ કાંટાળો તાજ પહેરવા તૈયાર ?
ભારતની કુલ ૧૨૦ કરોડ જનતામાંથી, ૨૦ કરોડ લોકોની પ્રાથમિક ઉપરાંત માધ્યમિક અને ઉચ્ચ કક્ષાની જરૂરિયાતો ઉપર ઉલ્લેખ કર્યો છે, તે બધાં ઉમેદવારો સંતોષી શકવાને શક્તિમાન છે. એટલે એમનામાંથી કોઈ પણ વડાપ્રધાન બને તો ચાલે, આપણને શો ફેર પડે ? વાત રહી બાકીના ૧૦૦ કરોડ લોકોની ભલાઈ કરવા કોણ કટિબદ્ધ બનશે એ વિચારવાની છે. જો કે દેશના વડા બનવા માટે બધા નાગરિકોનું હિત જાળવવું જરૂરી છે ? પોતાનું અને પોતાના લગતા વળગતાનું ભલું થાય એટલે ભયો ભયો !
કર્ણાટકના સંગીતજ્ઞ ટી.એમ.કૃષ્ણ ભારતના વડાપ્રધાન પદે બેસવા ઇચ્છનાર ઉમેદવાર પાસે કેવી લાયકાતની અપેક્ષા રાખે છે, તે તેમના એક લેખમાં સ્પષ્ટ થાય છે. આપણે આમ જનતાને પૂછીએ તો કહેશે, એક અચ્છો માણસ હોય, જે વ્યવહારુ હોય, જેને પ્રગતિ અને પરિવર્તનની વ્યાખ્યાની જાણ હોય અને જે પ્રજાને સાચી દિશામાં દોરે એવા નેતાને પસંદ કરવા જોઇએ. નેતાગીરી ઉપરાંત વિચારશીલ હોવું, દરેક ધર્મ, જ્ઞાતિના લોકો, સરહદના લોકો અને સ્ત્રીઓ વગેરે તમામ લઘુમતી કોમ માટે અનુકંપા ધરાવવી અને નિ:સ્વાર્થી હોવું આવા અતિ મહત્ત્વના પદને શોભાવવા માટે અત્યંત જરૂરી છે. સમગ્ર દેશનું પ્રતિનિધિત્વ કરનાર વડો પોતે ભ્રષ્ટાચારમાં ન રગદોળાય પણ ભ્રષ્ટાચાર થતો રોકે, સત્યને પડખે ઊભો રહે, માત્ર ઉદ્દઘાટનો કે ભાષાણો કરવાને બદલે પ્રમાણિકપણે લીધેલા નિર્ણયોને વળગી રહી, તેનાં પરિણામોની જવાબદારી સ્વીકારે તેને વરમાળા પહેરાવી શકાય.
છેલ્લા એક બે વડાપ્રધાનોએ જગતની ‘ત્રીજી આર્થિક મહાસત્તા’ થવાના અભરખામાં સ્વતંત્રતા પછી હરિયાળી ક્રાંતિ સમયની ખેત પેદાશને ચોથા ભાગની કરી નાખી, જેથી કરીને ખળામાં ઠલવાતા પાકને સૂપડામાં સમાવી દીધો. તો બી.જે.પી.ના સભ્યો જે સંભવિત ઉમેદવાર ખેતરોને કારખાનાઓમાં ફેરવી નાખે, સ્થાપિત કરતાં વિસ્થાપિત જાતિઓની સંખ્યામાં વધારો કરે તેને પોતાની પાર્ટીનો વડો એટલે કે ભાવિ વડાપ્રધાન તરીકે પસંદ કરશે ?
પાર્ટીના વડા બનવા માટે લાંચ-રુશ્વત વિરોધી વલણ ધરાવવાની જરૂરિયાત વિષે તો વાત કરશો જ માં. આ પદ માટે જરૂરી શૈક્ષણિક લાયકાત કે કાર્યાનુભવમાં એ મુદ્દાનો લગીરે ઉલ્લેખ નથી. દેશ ભરમાં નિષ્ઠાવાન નાગરિકો પેદા કરે, ન્યાયી કાયદાઓ અને નિયમો ઘડે તેવી પાર્લામેન્ટની આગેવાની કરે એટલું જ નહીં પણ તેનું ચુસ્તપણે પાલન કરે, એવું વહીવટી તંત્ર ચલાવી શકે તેવો જ ઉમેદવાર વડોપ્રધાન બની શકે એવી શરત બંધારણમાં નથી, તો પછી ભઈલા શું કામ માથું કૂટો છો ?
મારા ગુજરાતી બંધુઓ અને ભગિનીઓ, જરા આ બાજુ આવો, એક વાત કહું. બ્રિટનનાં રાણીને આજીવિકા માટે પાંચ મીલિયન પાઉન્ડ એટલેકે ૪૫.૩૦ કરોડ રૂપિયાનો વધારો અપાશે. એ જ દેશના એક માત્ર મહિલા વડાપ્રધાન માર્ગરેટ થાચેરની અંતિમક્રિયા પાછળ સરકારે (કર ભરનાર પ્રજાના હિસાબે અને જોખમેસ્તો) દસેક મીલિયન પાઉન્ડનો ખર્ચ કર્યો, તો પછી બિચારા નરેન્દ્ર મોદીનો શો વાંક ? એ પણ કાંઈ કમ નથી. એ ગુજરાતના નાથ છે; એટલે પ્રજાની ઇચ્છાની અગાઉથી અટકળ કરીને ૧૫૦ કરોડ રૂપિયાના ખર્ચે પંચ તારક હોટેલને શરમાવે તેવું અદ્યતન ‘સ્વર્ણિમ સંકુલ ૧’ બનાવે તેમાં શું ખોટું છે ? એક મુખ્ય મંત્રી અને સાત મંત્રીઓ માટે દરેકને આધુનિક સાધનોથી સજ્જ રસોડું, પેન્ટ્રી અને ૬૫૦ ટનનો ભારે એરકન્ડીશન પ્લાન્ટ નંખાવ્યો છે. હા….શ હવે તેઓ ખેડૂતો, નાના ઉદ્યોગો ચલાવનારાઓ અને સામાન્ય પ્રજાજનોને વીજળી ઓછી કેમ મળે છે એ પ્રશ્ન પર ધ્યાન આપી શકશે. જો કે તેમનું કહેવું એમ પણ હોઈ શકે કે વીજળી તો પુષ્કળ પેદા થાય છે, જેનામાં તાકાત હોય તે તેને નાથી શકે, અમારો જ દાખલો લો ને. પુરુષાર્થ કરવો પડે. સરકાર પાસે કચ્છ અને સૌરાષ્ટ્રની પાણીની જરૂરિયાતો પૂરી પાડવાના પૈસા નથી, પણ તેને માટે મોદી સરકારને કેમ જવાબદાર ઠરાવાય ?
તાજેતરની ઘટનાનો ઉલ્લેખ કરું. બોસ્ટનમાં બોમ્બ ફૂટ્યો તે વેળા જો બરાક ઓબામા અને તેના સાવધ તંત્ર ચલાવનારાઓએ ગુનેગારોને પકડીને સજા કરવાને બદલે પોલિસ અને વહીવટી તંત્રે આંખ આડા કાન કર્યા હોત, અને પરિસ્થિતિને વકરવા દીધી હોત, તો ભારત અને ગુજરાતના લોકોએ તેની ટીકા કરી હોત ખરું ને ? તો ૨૦૦૨નાં રમખાણો પછી નરેન્દ્ર મોદીની ટીકા કેમ ન થઈ ? નરેન્દ્ર મોદી જેવા રાજકારણમાં પડેલાને બીજા દેશના લોકો મુખ્ય મંત્રી કે વડાપ્રધાન તરીકે ચૂંટે ખરા ? તો ગુજરાત અને ભારત શા માટે તેને તાજ પહેરાવે ? અમેરિકા સહિત પશ્ચિમના દેશો, નરેન્દ્ર મોદીની નીતિની ખુલ્લે આમ ટીકા કરે છે, પણ ગુજરાત ઘણું સહિષ્ણુ છે. આપણે ત્યાં નીતિવાન, નિષ્ઠાવાન નેતાઓનો દુકાળ છે ?
કોણ કહે છે કે રાજાશાહી ખત્મ થઈ ગઈ છે ? મોગલો સામે બાથ ભીડે એવું કોઈક તો જોઇએ ને ? ‘तेन त्यक्तेन भुंजीथा’ શ્લોકનો મોદી સરકારે એવો અર્થ ઘટાવ્યો : ‘પ્રજાજનની મૂળભૂત જરૂરિયાતોને સંતોષવાની ફરજને ત્યાગીને, પોતાના એશ આરામનો ભોગ વધારવો.’ ધન્ય છે આ માનવ(?)ને. વિકાસ અને માનવ અધિકારને સામસામે પલ્લે મૂકનાર કદી દેશની ધૂરા સાંભળી ન શકે. જેના રાજ્યમાં ન્યાયતંત્ર પણ ધર્મ, નાત-જાતના પાયા પર ભેદભાવ વર્તાનાર સત્તાધીશના પલડામાં બેસે, તેવા મુખ્ય પ્રધાન સમગ્ર દેશની સુરક્ષાની ખાતરી કેમ કરીને આપે?
જો કોઈ પણ સંજોગમાં બી.જે.પી.ના સભ્યોને કમત સુજે અને નરેન્દ્ર મોદીને પાર્ટીના નેતા તરીકે ચૂંટવાનું અવિચારી પગલું ભરે, તો ગુજરાતની વિચારશીલ પ્રજાએ તેનો સક્રિય વિરોધ કરી, સમસ્ત ભારતના નાગરિકોનો સાથ લઈ, એ નિર્ણય પાછો ન લેવામાં આવે ત્યાં સુધી જંપ વાળી બેસવાનું નથી.
મારી સહુને શુભેચ્છાઓ.
e.mail : 71abuch@gmail.com