નવા મૂડીવાદનો દેખાવ અતિ રમ્ય અને આકર્ષક છે. ૧૯૧૭થી શરૂ થયેલા સામ્યવાદી શાસન હેઠળ સ્તાલિન દ્વારા કરાયેલા અત્યાચારોની કથા ગુલંગ આર્કિપિલગો – The Gulang Archipelagoમાં સોલ્ઝેનિત્શિને બહાર પાડી ત્યારે આ ત્રાસદીથી આંખે અંધારાં છવાયાં અને રૂંવાડાં ઊભાં થઈ ગયાં. માઓ તો તેથી ય વસમા નીકળ્યા. કાર્લ માર્કસે બતાવેલા સ્વપ્ન : From each according to his capacity and to each according to his necessityનું સામ્યવાદી સ્વર્ગ એક દોજખ બનીને ઊભર્યું.
બીજી તરફ મૂડીવાદ મેઘધનુષ્યના ઊડતા ઘોડા જેવો જણાતો થયો. જગત આખું વિસરી ગયું કે પશ્ચિમના આ મૂડીવાદના પાયામાં ગુલામી પ્રથા, સામંતશાહી અને ઉપનિવેશવાદ સમાયેલો હતો. શિકાગો યુનિવર્સિટીના નોબલ ઇનામ મેળવનારા મિલ્ટન ફ્રીડમેન જેવાએ એવો ઉપાડો લીધો કે હજુ આજે પણ મૂડીવાદની વિરુદ્ધ બોલવું તે એક હાસ્યાસ્પદ કે બાલિશ – અણસમજની પ્રવૃત્તિ ગણાય છે.
આ મૂડીવાદના પ્રવાહમાં ચીન એવું તણાયું કે સામ્યવાદી શાસન વ્યવસ્થા રાખીને પણ આર્થિક મોરચે મૂડીવાદ ચલાવી રહ્યું છે. રશિયા હજુ આ નવી દિશા પકડી શક્યું નથી. પરંતુ સમગ્ર વિશ્વમાં સાર્વત્રિક રીતે આર્થિક અસમાનતા તો નજરે પડે જ છે. મૂડીવાદ પોતાના સ્તુતિગાનમાં અસમાનતા ઘટતી જશે એવી ગુલબાંગ હાંકે રાખે છે. આ મૂડીવાદ એમ પણ કહેવા કે ઠસાવવા માંગે છે કે :
* બધા જ લોકો સુખી થવા માંગે છે અને સ્વાર્થથી પ્રેરાય છે તેથી બધા માફકસરનું શિક્ષણ મેળવશે.
* ખાન-પાન રહેઠાણની સમસ્યા નહીં રહે અને ગરીબી પણ દૂર થશે.
આવા અન્ય અનેક પ્રત્યક્ષ અને પરોક્ષ લાભ ગણાવી વધારામાં લોકશાહી શાસક-વ્યવસ્થા લટકામાં ભેટ સ્વરૂપે આપી લિબર્ટી, ઇક્વાલિટી, ફ્રેટરનિટી અને ધર્મનિરપેક્ષતા સઘળું આવી મળશે ! ૧૯૪૪થી આજ સુધીના જાગતિક આર્થિક, રાજકીય, સામાજિક પ્રવાહો જોતાં મૂડીવાદનાં આ તમામ જૂઠાણાં સ્પષ્ટ થઈ જાય છે.
ઑક્ટોબરના પ્રારંભથી છેડાયેલા ઇઝરાએલ – હમાસ યુદ્ધના વિવિધ આયામો મૂડીવાદનાં આ જૂઠાણાંને સ્પષ્ટ કરે છે.
ઇઝરાએલ નામના દેશને આરબ મુલકોની વચ્ચે સ્થાપવાની કોઈ જરૂર ન હતી. યહૂદીઓ આજે પણ અનેક દેશોમાં ફેલાયેલા છે જ, છતાં જો તેમને સાગમટે ક્યાંક વસાવવા જ હોત તો કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને અમેરિકામાં (અલાસ્કા), વસાવી શકાયા હોત. પણ અમેરિકાને યુદ્ધના આર્થિક લાભ દેખાઈ ચૂક્યા હતા. સાથોસાથ ઇઝરાએલની શસ્ત્ર-અસ્ત્ર અને જાસૂસી વિદ્યાના ક્ષેત્રે અપાર ‘પ્રગતિ’ થઈ છે. નમૂના ખાતર ‘પેગાસસ’ને યાદ કરી શકાય. શસ્ત્ર-અસ્ત્ર વેચવા માગનારા દેશો પોતાનાં જ શસ્ત્રો વધુ ઘાતક છે તે દર્શાવવા વારંવાર યુદ્ધો કરતા – કરાવતા રહે છે.
સદ્દામ હુસેન આમાનવીય શાસક હતો તે કબૂલ પણ તે વેપન્સ ઓફ માસ ડિસ્ટ્રક્શન બનાવે છે તેવું જૂઠું આળ મૂકી બુશે ઇરાકને ધમરોળી નાંખ્યું.
યુદ્ધાસ્ત્રોના વૈશ્વિક વેપારમાં અમેરિકા પ્રથમ ક્રમે આવે છે. દક્ષિણ કોરિયા બીજા સ્થાને છે. શસ્ત્રોના વેપારની વિગતો તપાસીએ તો એક નોંધપાત્ર બાબત આંખે ચડે છે, તે ઇઝરાએલ સાથે શસ્ત્રોની સોદાગીરીમાં મુસ્લિમ દેશ તૈમૂર લંગનો દેશ, તુર્કસ્તાન મોખરે છે. તુર્કસ્તાન જાણે જ છે કે ઇઝરાએલ પાસેનાં શસ્ત્રો અન્ય મુસલમાનો ઉપર જ વપરાવાનાં છે; ઇઝરાએલને આરબો સિવાય કોઈની પણ સાથે યુદ્ધ થયું નથી. આમ છતાં એક મુસલમાન દેશ અન્ય સંખ્યાબંધ મુસલમાન દેશો સામે લડવા તેમની સ્ત્રીઓ અને બાળકોની હત્યા કરવા શસ્ત્રો આપે છે.
Every thing is fair in love and war ! આ પ્રકારની વિગતો આધુનિક મૂડીવાદની નફાખોરીની લત વિશે છાપરે ચઢીને પોકારે છે !
આ મૂડીવાદની લોકશાહી સાથેની સગાઈ કે લગ્ન પણ અતૂટ નથી. નવો મૂડીવાદ આવ્યા પછી કેટલા જ્યોર્જ ફરનાન્ડિઝોએ હડતાળો પડાવી ? ગરીબ, બેકાર, શોષિત વર્ગની જાણે કે જબાન જ હવે ઓસરી ગઈ છે !
વર્ષો પહેલાં ફેઝ અહમદ ફેઝે કહેલું :
બોલ કે લબ આઝાદ હૈં તેરે,
બોલ કે જૂબાં અબતક તેરી હૈ
જેવા વિચારો હવે અદૃશ્ય થઈ ગયા છે. અલબત્ત કોઈ કહી શકે કે આમાં મૂડીવાદ શું કરે ? ખરેખર તો અવાજની ગૂંગળામણ અને નવા મૂડીવાદ વચ્ચેના કાર્યકારણ સંબંધોને વિગતે તપાસવા જેવાં છે. અહીં માત્ર પ્રસંગોપાત્ત એટલો ઉલ્લેખ કરીએ કે મૂડીવાદની આવશ્યકતા માટે રાજ્યનું મેળાપીપણું અનિવાર્ય છે. અને મજૂર મંડળોની સામે જો રાજ્ય મેદાનમાં ઊતરે તો મજૂર હોય કે ખેડૂત, વિદ્યાર્થી હોય કે શિક્ષક કોઈની ખેર નથી !
ભારતના મીડિયાને ‘ગોદી’ મીડિયા કહેવાનું ચલણ ચાલ્યું છે, પરંતુ અમેરિકા, યુરોપ કે અન્યત્ર પણ મીડિયા માત્ર મૂડીવાદની તરફદારીનું જ સાધન બની ચૂક્યું છે. સમાચારોની પસંદગી, ફેક ન્યૂઝ, પ્રચારાત્મકતા, વગેરેનો એક ઘટાટોપ મંડાયો છે. આ મુદ્દે અનેક દાખલા આપી શકાય પરંતુ એક ક્રિકેટ મેચનો જ દાખલો લઈએ.
કરોડો લીટર પાણી, કરોડો કિલોવોટ વીજળી, કરોડો રૂ.ના ખર્ચે મુસાફરી અને અન્ય ખર્ચા પછી શું ? માત્ર થોડોક ખોટો આત્મસંતોષ કે ઉત્તેજના ! આ રકમ અને સાધનો ખેડૂતો, વિદ્યાર્થીઓ, મજૂરો કે અન્ય ગરીબોને અપાય તો ? અર્થશાસ્ત્રની પોકળતા સિદ્ધ કરવા માટે આ દાખલામાંથી જ ઉપાયો જડી આવે છે.
* ક્રિકેટની મેચમાં થતા ખર્ચને તે પરકોલેશન – ઝમણ ગણાવશે. ધનવાનો ખર્ચ કરે તેથી ઝમતો – ઝમતો પૈસો ગરીબોના હાથમાં આવશે. કેટલાક લોકોને નાનીમોટી આવકો થશે. અને તેથી મૂડીવાદ હેઠળના આવા બેરોકટોક બે-લગામ ખર્ચા અર્થતંત્રના સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે.
* આ વ્યવસ્થા ઊભી કરવામાં, કરવેરા ચૂકવનારાઓના કરોડો રૂપિયા રાજ્યે વાપર્યા હોય તેને વાજબી ગણાવનારા આ શાસ્ત્રીઓ ગરીબોને અપાતી રાહતોને – મફત વહેંચાતી રેવડીઓ સામે નફરતભરી નજરથી જુએ છે. ગરીબોના ખાતામાં ટ્રાન્સફર થઈને અપાતા પાંચ-દસ હજાર વડે ઝમણ નહીં થાય ?
મૂડીવાદના આ નાટકના સ્વાંગમાં હમાસ અને હિઝબોલ્લા સામે, ક્યારેક સમગ્ર મુસલમાન સમાજની સામે પ્રગટ કે અપ્રગટ તિરસ્કાર કે વિરોધનો ભાવ પ્રગટ કરવામાં આવે છે. ગાંધી વિચારમાં દૃઢ આસ્થા જરૂરી બને છે. આ વિચારને જુદી જુબાનમાં પ્રસ્તુત કરતા સાહિર લુધિયાનવી કહે છે :
જંગ તો ખુદ હી એક મસલા હૈ
જંગ ક્યા મસલોં કા હલ દેગી
ખૂન અપના હો યા પરાયા હો
નસ્લ એ આદમ કા ખૂન હૈ આખિર
જંગ મશરિક મેં હો યા મગરિબ મેં
અમ્ન એ આલમ કા ખૂન હૈ આખિર
સાહિર સાહેબ કહે છે – લોહી તો શાંતિચાહક માણસનું જ વહે છે ને ?
આ જંગમાં પ્રચ્છન્ન રહી જતી એક બાબત એ છે કે પશ્ચિમનું સ્વતંત્ર ગણાતું પણ ખરેખર તો ગોદી મીડિયા – આ યુદ્ધમાં મુસલમાનોને ધર્માંધ અને આતંકી ગણાવે છે. ખરેખર તો યૂહદીઓનો દેશ ઇઝરાએલ પોતે ધર્મના આધારે જ તો રચાયો છે. અને તે પણ મુસલમાનોની જમીન ઉપર ! ઇઝરાએલ સેક્યુલર – ધર્મનિરપેક્ષ નથી જ અને તો પછી તેને શસ્ત્રો આપીને પીઠ થાબડનારા કયા દેશને ધર્મનિરપેક્ષ ગણી શકાશે ?
૧૯૪૫માં જાપાન ઉપર અણુબોંબ ઝીંકનાર અમેરિકનોના હાથ ઉપરનું લોહી ક્યારે ય સૂકાયું નથી. કોલંબસે આ ખંડ શોધ્યા પછી અગિયાર કરોડ સ્થાનિકોએ જીવ ગુમાવ્યા છે. આફ્રિકાના દેશોમાંથી અશ્વેતોને ગુલામ બનાવી લાવી તેનો વેપાર કર્યો. પૃથ્વી ઉપર યુદ્ધોને સતત ધમધમતાં રાખવા કેટલા ય નિર્દોર્ષોએ વિના કારણ જાન ગુમાવ્યા અને છતાં તેને મહાસત્તા ગણીને તેને પાયલાગણ થતું રહે છે !
ચર્ચાનો મુખ્ય મુદ્દો નવા મૂડીવાદની માનસિકતા અને તેમાંથી નીપજતા વિવિધ ક્રિયાકલાપોને ઓળખીને ગાંધીવિચારની જરૂરિયાતને પ્રમાણવાનો છે. આ દૃષ્ટિએ ઇઝરાએલ-હમાસ વચ્ચેનો સંઘર્ષ વધુ અને વધુ વ્યાપક અને પડકારરૂપ બનતો જાય છે. ગઝાને પટ્ટી કહેવામાં આવે છે તે ઉત્તર-દક્ષિણ પિસ્તાલીસ કિલોમીટર તથા પૂર્વ-પશ્ચિમ છ થી બાર કિલોમીટર છે. ૩૬૫ વર્ગ કિલોમીટરના આ ભૂમિવિસ્તારમાં તેવીસ લાખ લોકો વસે છે. યહૂદીઓ ઉપર હિટલરે જેવો અમાનુષી ત્રાસ વર્તાવ્યો હતો તેવો કે તેથી અનેક ગણો ભયંકર ત્રાસ હાલ ઇઝરાએલ આ વસ્તી ઉપર વરસાવી રહ્યો છે (તે વિગતે સૌ જાણે છે). પણ હજારો બાળકો, સ્ત્રીઓ અને દવાખાનાંઓના દરદીઓને બેમોત મારીને ઇઝરાએલ તેમ જ પોતાના પશ્ચિમી સાથીઓ આ યુદ્ધમાં ભાગીદાર બનવાના પેંતરા રચી રહ્યા છે.
ઇરાન હવે લગભગ અણુસત્તા બનવામાં છે. પાકિસ્તાન તો અણુશસ્ત્રો ધરાવે જ છે. હવે જો અમેરિકા યુદ્ધમાં ખેંચાય તો ઈરાન, હિજબુલ્લાહનું લેબેનોન, સીરિયા અને એકંદરે ઓ.આઈ.સી. – Oraganisation of Islamic Cooperationએ પોતપોતાનાં પડખાં અને ભેરૂબંધોને તપાસી લેવાં પડે. કેટલીક સંભવિત વૈશ્વિક અસરો નોંધીએ :
* ખનિજ તેલના ભાવ વધે અને તેથી ભારત જેવા તેલ આયાતી દેશોનાં અર્થતંત્રો ખોરવાય. ચીન તો રશિયાના તેલ ઉપર નભી જશે પણ ભારતે અમેરિકા સાથે સારપ વધારવા જતાં (અબકી બાર ટ્રમ્પ સરકાર, નમસ્તે ટ્રમ્પ) રશિયા તરફથી મળતો તેલનો આધાર ગુમાવ્યો.
* યુક્રેન-રશિયા યુદ્ધને કારણે યુરોપના દેશો ઈંધણની તાણ વેઠી જ રહ્યા છે.
* હમાસને ‘આતંકી’ કહેવામાં આવે છે. હિંસા વર્જ્ય જ હોવી ઘટે. પણ ધારો કે આપણી આઝાદી વખતે જૂનાગઢ અને હૈદરાબાદ પાકિસ્તાન પાસે અને ગોવા પોર્ટુગલ પાસે રહ્યાં હોત તો ભારત શું કરત ?
* અમેરિકાના પ્રમુખ ‘વોશિંગ્ટન પોસ્ટ’માં લેખ લખીને એક તરફ શાંતિની વાત કરે છે અને બીજી તરફ ઇઝરાએલને તમામ જરૂરી અને આધુનિક શસ્ત્રો વિના વિલંબે પૂરાં પાડે છે. અમેરિકામાં હવેના આઠ-દસ મહિનામાં પ્રમુખપદની ચૂંટણી છે અને જો-બાયડન શાંતિચાહકો તેમજ યુદ્ધવાંચ્છુઓ, એમ બંનેના મત મેળવવા માંગે છે.
* તાજેતરના અમેરિકન અર્થતંત્રના રોજગારી અંગેના આંકડા લક્ષમાં લેવા જેવા છે. ત્યાં કુલ માનવ જરૂરિયાતના પચાસ ટકા જ માણસો ઉપલબ્ધ છે. અચાનક નોકરીઓની તકો વધી કેમ ગઈ ? ત્યાં ચીન સાથેના અણબનાવ અને મોંઘવારી જેવા પ્રશ્નો હોવા છતાં રોજગારીની તકો ઝડપથી અને અચાનક ઊછળી છે.
જો વિશ્વના વિવિધ દેશો જેવા કે યુક્રેન, ઇઝરાએલ, તાઈવાન (સંભવિત), ભારત, ચીન વગેરેને લક્ષમાં લઈએ તો જણાય છે કે તે બધા વધુ ને વધુ ધનવાન તેમ જ તાકાતવાન બનવાની હોડમાં છે. તે માટે ટેકનોલોજીનો સહારો લઈને ક્ષમતાઓ વધારી રહ્યા છે. કુદરતી સંસાધનોનો બેફામ ઉપયોગ કરી રહ્યા છે. સત્તા અને ધનલાલસા આકસ્મિક કે છૂટાછૂટા ટુકડા જેવા નથી. તેની પાછળ ખૂબ લાંબી વિચારણા હોય છે. મુસલમાનો સામે નફરત ફેલાવવી તે પણ આ જ આર્કિટેક્ચરનો એક હિસ્સો છે.
આ યુદ્ધખોરી, ધનલાલસા, સામાજિક મૂલ્યોનો કચ્ચરઘાણ, પર્યાવરણીય વિનાશ વગરે હવે વધતાં જવાનાં છે. નિરાશાના સૂર વહેવડાવવાનો કોઈ જ ઈરાદો નથી પણ આશાના દીવા પ્રગટાવવામાં ગાંધી કે વિનોબા કંઈ ખપમાં આવે ખરા ? વિચારી જુઓ.
સૌજન્ય : “ભૂમિપુત્ર”; 16 ડિસેમ્બર 2023; પૃ. 04-05