ભારત એક ખોજ :
વીતેલા, લગભગ સાત-આઠ દાયકાથી વિશ્વમાં માનવ ઉપર પ્રચંડ આઘાતો કરાઈ રહ્યા છે. મુસોલિની, હિટલર, સ્તાલિન, માઓ અને હવેના પુતિન, શી જીંગ, ઉત્તર કોરિયા, મ્યાનમાર, અફઘાનિસ્તાન, સીરિયા, વગેરેની એક મોટી યાદી છે. આ તમામ અપૂર્ણાંકોનો લ.સા.અ. કાઢીએ તો કેવું ચરિત્ર નીપજે ? હિંસા, ડર, ખમીર અને ઝમીરનું હનન, નિ:સહાયતા અને પીડા જાણે કે માનવ-જીવનનું ચરિત્ર બની ગયું છે ! તેમાં શ્રીલંકા અને પાકિસ્તાન જેવા પાયમાલીના પ્રબંધો ઉમેરીએ તો સમગ્ર જગતના નિયંતા ગણાતા ઈશ્વરે ક્યાંક છુપાઈ જવું પડે ! સાંકડી માનસિકતા માત્ર બે જ લક્ષણોને પહેચાની શકે છે : પૈસા અને સત્તા. પરસ્પર પૂરક બનીને મ્હાલતી આ વ્યવસ્થા પૂર્ણપણે માણસખાઉં બની રહી છે. ભારતમાં માંડ દસ ટકા લોકો પાસેની સંપત્તિ લગભગ એંશી ટકા કેમ હશે ? આ અર્થતંત્રો, સમાજ અને રાજકીય વ્યવસ્થાને બાટલીમાં પૂરી વારંવાર ‘હૂકમ મેરે આકા’ કહેવડાવનારની માનસિકતા અને સંવેદનશીલતા(સંવેદનહીનતા ?!)ની સામે વિકલ્પ કયો ?
સત્તા અને પૈસાની આ નાગચૂડમાં ઘણું બધું નાશ પામતું જાય છે. નફરત, હિંસા, આપખુદી, માનસિક ગુલામી, લાચારી વગેરે માનવ અસ્તિત્વની ગરિમાને લજવે છે. આ સંજોગોમાં – નફરતના બજારમાં, પ્રેમની એક પરબ મંડાય તે જરૂરી હતું. પણ સત્તા-પૈસાની સાઠમારી બધે જ વ્યાપેલી હતી. તેમાં સાતમી સપ્ટેમ્બર ૨૦૨૨ના દિવસે એક નવો જ સૂર્ય ઊગ્યો અને આશાનું કિરણ ફૂટ્યું; પેલી ગઝલની પંક્તિઓની જેમ જ :
“દમ સા ઘૂટતા હૈ મગર, ગમ કી સીયાં રાતોં મેં,
શમ્મા કી લૌ કો કોઈ ધીરે સે બઢા દેતા હૈ.”
ગૂંગળામણ તો છે જ પરંતુ અંધારું સ્હેજ-સાજ ઓસર્યું છે ખરું ! આ કોઈ દાવાનળ નથી, માત્ર આગિયાના ઝબકારા છે. પાનબાઈ કહે છે તેમ :
‘વીજને ઝબકારે મોતી રે પરોવો’ આ જુગનુના ઝબકારે નફરત છોડો – દિલથી દિલ મેળવો. રાહુલ ગાંધીની આ યાત્રા ૩૦મી જાન્યુઆરી ‘શહીદ દિવસે’ કશ્મીરમાં વીરમી તેના ફલિતાર્થો પાર વગરના છે.
સત્તા-પૈસાના ખેલાડીઓ આ યાત્રાની આધ્યાત્મિકતાને સમજી જ નહીં શકે; જો કે રાહુલ ગાંધીએ શેરે કશ્મીર સ્ટેડિયમની સભામાં આ ફલિતાર્થો સાવ સ્પષ્ટ કરી આપ્યા છે. આ સ્પષ્ટતાઓ સમજીએ :
(૧) શૂન્યતાથી સંગમ સુધી : દર્શનશાસ્ત્ર સાથે એમ.એ. થયેલા રાહુલ ગાંધી એક અદ્ભુત અનુભૂતિ પામ્યા છે. તેઓ કહે છે તેમ, કશ્મીરિયત શિવની શૂન્યતા અને ઇસ્લામની ફના છે. પોતાના વડવાઓ આ શૂન્યતા લઈને નીકળ્યા અને ઈલાહાબાદના સંગમમાં ગંગા-જમની તહજીબની રીતે તેને વહાવી ! આ દેશમાં નફરત ફેલાવનારા અને તેમાંથી પ્રગટતી હિંસાનો ભોગ થઈ પડનારા પ્રેમની આ નાનકડી દુકાનમાંથી બે ઘૂંટ આચમન કરે તો બધું જ સ્વાહા થઈ જાય. રાહુલ ગાંધીની યાત્રામાં – ખાસ કરીને કશ્મીરમાં ભારે ઠંડી વચ્ચે પણ ઊમટી પડેલી ભીડ આની ગવાહી પૂરે છે. આંસુઓનાં તોરણ બાંધેલી મહિલાઓ અને વૃદ્ધોએ આ શૂન્યતા અને પ્રેમનો સાક્ષાત્કાર કર્યો હશે ?
રાહુલ ગાંધી માત્ર કૉંગ્રેસના માણસ તરીકે ચાલ્યા નથી. ‘चरैव: चरैव:’ શાસ્ત્રવચનનું પ્રમાણ પણ પૂરું પાડે છે. તે માત્ર દેહથી ચાલ્યા નથી; વડદાદાએ દાદીને લખેલા પત્રો અને સમગ્ર ઇતિહાસભાન સાથે તે સંચર્યા છે. ત્યારે તો શિવની શૂન્યાવસ્થાના વાહક બનીને ગંગા-જમની તહજીબની છલાંગ લગાવી શક્યા છે. ફિલસૂફીના અભ્યાસને કારણે તેઓ કહી શક્યા કે ‘મારે ઈંટ-ચૂનાનું કોઈ મકાન-ઈમારત નથી, સરકારી, આવાસોમાં હું જીવ્યો છું. પરંતુ કશ્મીરિયત મારું ઘર છે.’ આ કક્ષાએ વિચારનાર અને સ્પષ્ટ રીતે અભિવ્યક્ત કરનાર કોઈક તપસ્વી જ હોઈ શકે !
(૨) પ્રેમની બુલંદી : માત્ર સત્તા-પૈસાની કાવાદાવાભરી કૂટનીતિ એટલે જ રાજકારણ – એ સમીકરણ આ યાત્રાએ ખોરવી નાખ્યું છે. કદાચ તે ફરી વધુ વિકરાળ સ્વરૂપે ઊભું થાય પણ ખરું. આ સત્તા-પૈસા એટલે જ કદાચ અહીરાવણ-મહીરાવણ હશે. શ્રી રામ એક દસ માથાંળા રાવણને તો હણી શકે પણ પેલા અહી/મહી રાવણનું શું ? તેમનું તો લોહીનું એક ટીપું જમીન ઉપર પડે તે સાથે બીજા હજાર પેદા થતા. સત્તા-પૈસાની લાલસા આવી જ – રક્તપિપાસુ બની રહે છે. મોબ લિંચીંગથી બુલડોઝર સુધીની આવૃત્તિઓ બહાર પડી છે.
વિશેષ નોંધપાત્ર બાબત એ બની કે નફરતના આ ધીખતા ધંધાવાળા પણ પ્રેમની હાટડી તરફ – કાંઈક છદ્મવેશે તો કંઈક કુતૂહલવશ સંચર્યા છે. આર.એસ.એસ.ના વડા મસ્જિદમાં જાય, મુસ્લિમોના પ્રતિનિધિઓને મળે અને (કમ સે કમ ૨૦૨૪ની ચૂંટણીઓ સુધી) ઇસ્લામોફોબિયાનાં શસ્ત્રોને મ્યાન કરવાની સૂચના સર્વોચ્ચ કેન્દ્રસ્થાનેથી આવે તે શું સૂચવે છે ? આમાંથી ઘણું એ જ અહી/મહી રાવણી ચાતુર્ય હોઈ શકે – વરુણ ગાંધીએ તલવારના વાર કરીને હાથ વાઢી નાંખવાની વાત કરી હતી; કદાચ તેમની અંદરના ખૂનના કોઈક કતરાને કશ્મીરિયતનો ધ્વનિ સંભળાયો પણ હોય !
આમ તો સમગ્ર વિશ્વમાં, પણ ખાસ કરીને તાજેતરનાં વર્ષોમાં ભારતમાં ‘મહાભારત’ પુરાણ આદર્શરૂપે પ્રસ્થાપિત થયું છે. વ્યાસમુનિએ મહાભારત રચીને જગતનું વાંછનીય મોડલ પ્રસ્થાપિત કરવા ધાર્યું હતું. પરંતુ બન્યું શું ? જીવનની સાવ છેવાડાની ઉત્તરાવસ્થામાં તેમને સમજાયું કે આ તો ‘નફરતનું બજાર’ સર્જાઈ ગયું ! મહાભારતના સર્જન બદલ પીડા પામતા બેઠા હતા; ધ્યાન-સમાધિ છૂટી ગયાં હતાં અને વિક્ષિપ્ત મનોદશામાં હતા. ત્યાં બ્રહ્માજીએ નારદજીને મહર્ષિ પાસે મોકલ્યા. દેવર્ષિ નારદે મહર્ષિ વેદવ્યાસને બ્રહ્માજીના મોકલેલા ચાર શ્લોક સંભળાવ્યા. આ ચાર શ્લોક એટલે ચતુ:શ્લોકી ભાગવત. શ્રીમદ્ ભાગવત નકરા પ્રેમનો ગ્રંથ છે. તેમાં ય દશમસ્કંધ અને મહારાસ દ્વારા નફરતના બજારમાં પ્રેમની હાટડી ખૂલી ગણાય. રાધા ગોપીઓ – ગોવાળો અને દામોદર – ગોવર્ધનધારી કુંજબિહારી શ્રીકૃષ્ણ પ્રત્યે તો રસખાન પણ ખેંચાઈ આવેલા. નરસૈયાને પણ શિવજીએ મહારાસના દર્શન કરાવેલા. રાહુલ ગાંધીનું આ કાર્ય સૌનાં દિલો સુધી પહોંચ્યું છે.
* એટલે જ ઘણી સ્ત્રીઓએ રડતાં-રડતાં, પોતાના જ કુટુંબીઓ ઉપર ગુજારેલા બળાત્કારની કથનીઓ કહી. તેમણે કોઈ ઉપાય ન માંગ્યો કે ન માંગી કોઈ સજા – માત્ર દિલ ખોલ્યું અને થોડાંક આંસુ સારીને હળવી થઈ. જુગનુના ચમકારામાં પણ આશા તો છે ને !
* ઠંડીમાં ધ્રૂજતા – લગભગ નિર્વસ્ત્ર ગરીબ બાળકોને જોઈને એટલા હલી ગયા કે પોતે કશ્મીરની ઠંડીમાં પણ અડધી બાંયના ટી-શર્ટ-ભેર જ ચાલ્યા. પેલા મો.ક. ગાંધીએ પણ કાયમ માટે પોતડી સ્વીકારી હતી. ઇંગ્લેંડના શહેનશાહને મળવા ગયા ત્યારે પણ ‘નંગા ફકીર’ બનીને જ ગયા.
* પદયાત્રા પડતી મૂકવી પડે તેવું દર્દ ઘૂંટણમાં ય ઊપડ્યું હતું. પણ રસ્તામાં શું બન્યું ?! આ મનોસ્થિતિ અને શારીરિક અવસ્થામાં ચાલતા હતા ત્યાં એક નાની બાળા આવી. તેણે કહ્યું – ‘તમને પગમાં પીડા થાય છે તે મને તમારા મોઢા ઉપરથી દેખાય છે. હું પણ તમારી સાથે ચાલત પણ મારાં માતા-પિતા ના પાડે છે. પણ તમે ચાલતા જ રહેજો – અમારી આજ અને આવતીકાલ માટે પણ તમે ચાલો. આ એક પત્ર તમને આપું છું – પછીથી વાંચજો.’ એ છોકરીના ગયા પછી શ્રી રાહુલ ગાંધીએ તે ચિઠ્ઠી વાંચી અને અચાનક દરદ દૂર થઈ ગયું !
અલબત્ત, પંડિત નહેરુના વૈજ્ઞાનિક અભિગમ સાથે આવા ચમત્કારો સુસંગત નથી જ ! આ એક કાકતાલીય ન્યાય પણ હોઈ શકે. પણ મુદ્દો માત્ર શારીરિક પીડા દૂર થવાના ચમત્કારનો નથી. યાત્રા દરમિયાન કોઈક ખૂણાના ગામની છોકરી રાહુલ ગાંધીને મળવા દોડી આવે, તેમના ચહેરા ઉપર મીટ માંડીને તેમની પીડા જૂએ, આ યાત્રા પોતાના જેવી અનેક કન્યાઓનાં જીવન માટે શા માટે અને કેટલી મહત્ત્વની છે તે સમજે અને યાત્રા ચાલુ જ રાખવાની વિનંતિ કરે – તેમાં ભરોભાર ચમત્કાર જ ચમત્કાર છે. બાઇબલમાં કહેવાયું છે :
‘એન્ડ ગોડ સેઈડ લેટ ધેર બી લાઈટ, એન્ડ ધેર વોઝ લાઈટ.’
ઈશ્વરે પ્રકાશનું સર્જન કર્યું તે ચમત્કાર કરતાં અદકેરો ચમત્કાર ઈશ્વરના મનમાં સૃષ્ટિ પ્રતિ કરુણા ઊભરાઈ તે છે. આ કરુણાના સાગરે તેથી જ પ્રકાશનું સર્જન કર્યું !
ભારતમાં જેટલી યાત્રાઓ થઈ છે તેટલી અન્ય ક્યાં ય થઈ નથી. ભારતમાં જેટલી વૈચારિક ક્રાંતિઓ થઈ છે તેટલી અન્યત્ર ક્યાં ય થઈ નથી. આ દેશના પ્રવાહો મુક્ત અને અસ્ખલિત વહેવા ટેવાયેલા છે. તેને પ્રેશર કુકરના ડોઘલામાં પૂરી ઢાંકણું બંધ કરી પોતપોતાની ખિચડી પકવવા વાપરી ન શકાય. આ યાત્રાએ આવી ગૂંગળામણ સામે સંવેદના અને પ્રેમભરી મોકળાશ કરી આપી છે.
મીર્ઝા ગાલીબે કહ્યું છે ને :
‘રગો મેં દોડને ફિરને કે હમ નહીં કાઈલ,
જો આંખ સે ટપકે ના વો લહૂ લહૂ ક્યા હૈ’
આ સુદીર્ઘ પરિપાટીમાં, ‘ભોમિયા વિના’, અભય પામીને અને ‘મસ્તકને ઉન્નત રાખીને’ નીકળી પડનાર આ ભારતીય માનુષે વિશ્વની પીડાઓને નિવારવાનો કીમિયો બતાવ્યો છે. પેલા ગાંધીને ચૂકી જનાર નોબલ આ ગાંધીને ચૂક્યા વગર શાંતિનું નોબલ અર્પે તેમાં તેનું પોતાનું પણ ગૌરવ છે.
e.mail : shuklaswayam345@gmail.com