Opinion Magazine
Number of visits: 9964860
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ડરના ઝરૂરી હૈ. ડરાના ભી ઝરૂરી હૈ …

રમેશ ઓઝા|Opinion - Opinion|10 January 2021

સંજોગવસાત્ પાકિસ્તાન બની તો ગયું, પણ હવે તેને ટકાવવું કઈ રીતે એ મોટી સમસ્યા હતી. ડર એ વાતનો નહોતો કે ભારત કે રશિયા એક દિવસ આક્રમણ કરીને પાકિસ્તાનને છીનવી લેશે, પણ એ વાતનો હતો કે પાકિસ્તાનને ટકી રહેવા માટેનું પાકિસ્તાન નામનું રસાયણ જ વિકસ્યું નહોતું. જે પ્રાંતોને મેળવીને પાકિસ્તાનની રચના કરવામાં આવી હતી એ મુસ્લિમ બહુમતી પ્રાંતો હતા અને ત્યાં ભારતના હિંદુ બહુમતી પ્રાંતોમાંના લઘુમતી મુસલમાનોમાં જે લઘુમતી માનસિકતા પેદા થઈ હતી કે પેદા કરવામાં આવી હતી તેનો ત્યાં સદંતર અભાવ હતો. આપણે મહાન, આપણો ધર્મ મહાન, આપણે હિંદુઓ કરતાં ઊંચા અને અલગ, આપણો ઇતિહાસ ગૌરવશાળી, આપણે શુરવીર એવી એક બાજુએ મહાનતાની દલીલોએ અને બીજી બાજુએ આપણે હિંદુઓ દ્વારા સતાવાયેલા, અન્યાયનો ભોગ બનેલા, રાંક, ગરીબડા, નોંધારા એવી છાતી પીટનારી દલીલોએ લઘુમતી માનસિકતા વિકસાવી હતી અને એ માનસિકતાએ પાકિસ્તાન નામનો મસાલો વિકસાવ્યો હતો.

પાકિસ્તાનના સ્થાપકો જ્યારે પાકિસ્તાનનો મસાલો લઈને પાકિસ્તાનની સ્થાપના કરવા કરાંચી ગયા ત્યારે તેમને ધ્યાનમાં આવ્યું કે અહીં તો પાકિસ્તાન નામનો મસાલો વિકસ્યો જ નથી. ત્યાંના પ્રાંતોમાં મુસલમાનો બહુમતીમાં હતા એટલે તેમની અંદર કોઈ પ્રકારની અસલામતી વિકસી જ નહોતી. આપણે મહાન, આપણો ધર્મ મહાન, આપણે હિંદુઓ દ્વારા સતાવાયેલા રાંકડા અને અરેરે ભવિષ્યમાં હિંદુઓ આપણું શું શું નહીં કરે એવી માનસિકતા જ તેમની અંદર પેદા નહોતી થઈ. એવી માનસિકતા તો એ પ્રાંતોના હિંદુઓમાં જોવા મળવી જોઈતી હતી, કારણ કે તેઓ લઘુમતીમાં હતા. પાકિસ્તાનના પ્રાંતોમાં મુસલમાનો બહુમતીમાં હતા એટલે લહેર કરતા હતા, નહોતી તેમને મહાનતાના ખોટા દવાઓ કરવાની જરૂર કે નહોતી તેમને ડરવાની અને રડવાની જરૂર.

ટૂંકમાં બન્યું એવું કે જ્યાં પાકિસ્તાનની રચના થઈ ત્યાંના બહુમતી મુસલમાનોનો માનસિકતાનો મસાલો જુદો હતો અને જે લોકોએ પાકિસ્તાનની માગણી કરી હતી અને તેમની માગણીને ઉચિત ઠેરવવા તેમણે જે પાકિસ્તાનનો મસાલો વિકસાવ્યો હતો એ જુદો હતો. મુસ્લિમ બહુમતી પ્રાંતના મુસલમાનોનો ઇસ્લામ સાથેનો સંબંધ સહજ અંગત અને ધાર્મિક હતો જ્યારે મુસ્લિમ લઘુમતી પ્રાંતોના મુસલમાનોનો ઇસ્લામ સાથેનો સંબંધ ખાસ પ્રકારના ઉદ્દેશ માટે ખાસ વિકસાવવામાં આવેલો કૃત્રિમ, સામાજિક અને રાજકીય હતો. આને કારણે પાકિસ્તાનની સ્થાપના થતાંની સાથે જ પ્રશ્ન ઉપસ્થિત થયો કે કોણ કોનો મસાલો અપનાવે અને કોણ કોનો મસાલો છોડે?

જેમ સાવરકર હિંદુ રાષ્ટ્રવાદનો મસાલો વિદેશથી આયાત કરીને લઈ આવ્યા અને આજે દેશની જે હાલત થઈ રહી છે, એમ મહમદઅલી ઝીણા અને બીજા મુસ્લિમ લીગી નેતાઓ મુસ્લિમ રાષ્ટ્રવાદનો પાકિસ્તાની મસાલો લઈને પાકિસ્તાન ગયા જેનું પરિણામ આપણી સામે છે. સમાંતરે અનુભવ થઈ રહ્યા છે. ડાહ્યાજનો કમસેકમ પાડોશીનો અનુભવ જોઇને પણ શેખચલ્લીનાં સપનાં જોવાનું બંધ કરે. પાકિસ્તાનના મુસલમાનોએ ઝીણા-લીગનો આયાતી મસાલો અપનાવવાનો પ્રતિકાર કર્યો જેમ ભારતમાં આજે પણ ૬૦ ટકા કરતાં વધુ હિંદુઓ સાવરકર-સંઘનો હિન્દુત્વનો મસાલો અપનાવવાનો પ્રતિકાર કરે છે. કોણ રોજ ઊઠીને ખોટો ઇતિહાસ વાંચી વાંચીને પોરસાય અથવા રડે? અને શા માટે? જરૂર શું છે? રોજ ધૂણવાનું અને ધૂણીને જીવવાનું? આ કોઈ જિંદગી છે? મુસ્લિમ બહુમતી વિસ્તારમાં કયો હિંદુ કે વિધર્મી આવીને તમને નુકસાન પહોંચાડવાનો છે? સહઅસ્તિત્વની ગરજ લઘુમતી કોમને વધુ છે કે આપણે? બાંધછોડ કરવી પડશે તો એને વધારે કરવી પડશે કે આપણે?

સરવાળે બન્યું એવું કે જે મસાલાએ પાકિસ્તાનની રચના કરી હતી એ મસાલાને જ ત્યાંની પ્રજાએ અપનાવવાની ના પાડી દીધી. તેમને મન એ આયાતી મસાલો હતો, કૃત્રિમ હતો, આગ્રહી હતો અને પોતાના અસ્સલ તળપદી મસાલાને નકારનારો હતો. પઠાણોના કબીલાઓ હતા, તેમની કબીલાઈ અસ્મિતા હતી અને તેનો એક સ્વાદ હતો. તેમનો ઇસ્લામ પણ તેનો પોતીકો હતો જે દેવબંદના ઇસ્લામ કરતાં અલગ હતો. તેમની પોતાની ભાષાઓ (ભાષાઓ, ભાષા નહીં) હતી અને ઉર્દૂ તો કોઈને આવડતી પણ નહોતી. ઉર્દૂ અવિભક્ત ભારતીય મુસલમાનોની અલાયદી ભાષા છે એની જાણ તો તેમને પાકિસ્તાનની રચના પછી થઈ. આવું જ બલુચિસ્તાનના બલોચોનું અને બીજી કબીલાઈ પ્રજાનું, સિંધના સિંધીઓનું અને પૂર્વ પાકિસ્તાનના બંગાળીઓનું. આમાં પંજાબીઓ કાંઈક અંશે અપવાદ હતા. તેમણે પાકિસ્તાનની બીજી કોઈ પણ પ્રજાની તુલનામાં વધારે માત્રામાં પાકિસ્તાનનો મસાલો અપનાવ્યો હતો અને તેનાં કેટલાંક કારણ હતા જેનો બંગલાદેશના જન્મ સાથે સંબંધ છે અને તેની વાત આગળ આવશે. પંજાબીઓએ પણ પાકિસ્તાનનો મસાલો પૂરેપૂરો અપનાવ્યો હતો એવું નહોતું.

પંજાબીઓને છોડીને બાકીની પાકિસ્તાની પ્રજાને એમ લાગવા માંડ્યું કે પાકિસ્તાનના નામે તેમની પાસેથી કશુંક ઝૂંટવી લેવામાં આવી રહ્યું છે. તેમને પરાણે કશુંક પકડાવવામાં આવી રહ્યું છે. જ્યારે પડોશમાં હિંદુઓ, શીખો અને બીજા વિધર્મીઓ રહેતા હતા ત્યારે છીનવવા-પકડાવવાનો જે અનુભવ નહોતો થયો એ મુસલમાનો માટે અલાયદું પાકિસ્તાન બન્યા પછી થવા લાગ્યો. આ તો ઊલટું થયું! આપણા પોતાના ઘરમાં જેટલી મોકળાશ છે એના કરતાં ઘણી વધારે મોકળાશ તો સહિયારા ઘરમાં હતી! આપણા પોતાના ઘરમાં ઓછી મોકળાશ હોય એવું તો કાંઈ હોતું હશે? પણ એવું બન્યું. કોઈ ઉદારમતવાદી હિન્દુના ઘરમાં મુક્ત વાતાવરણમાં ઉછરેલી કન્યાને કોઈ દેશપ્રેમી હિન્દુત્વવાદીનાં ઘરમાં પરણાવવામાં આવે અને તેને જેવો ગુંગળામણનો અનુભવ થાય એવો અનુભવ પાકિસ્તાનની પ્રજાને થવા લાગ્યો. એકાએક તેમને અનુભવ થવા લાગ્યો કે કોઈક રોજ છાતી ઉપર ચડીને પાકિસ્તાનના ઈન્જેકશન આપે છે અને પેલી જે મજિયારાની મોજ હતી એ જતી રહી!

અહીં સ્વાભાવિકપણે પ્રશ્ન થવો જોઈએ કે શા માટે આ છોડાવવા-પકડાવવાનો ધંધો શરૂ થયો? જ્યારે સહિયારો સંસાર હતો ત્યારે જેની જરૂર નહોતી પડી એની હવે અલગ સંસાર માંડ્યો ત્યારે કેમ જરૂર પડવા લાગી? જેનો ડર બતાવવામાં આવતો હતો એ દુશ્મન તો જતા રહ્યા, હવે તો આપણે એકલા જ છીએ તો પછી ડર શેનો અને કોનો?

ડ…ર ! ડરના ઝરૂરી હૈ. ડરાના ભી ઝરૂરી હૈ. જ્યાં ડરાવીને જોડી રાખવામાં આવતા હોય ત્યાં દોજખ સિવાય બીજો કોઈ અનુભવ ન થઈ શકે, પછી એ પરિવાર હોય કે રાષ્ટ્ર. પાકિસ્તાનને થયો છે અને આપણને થશે એવા એંધાણ મળી રહ્યા છે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 10 જાન્યુઆરી 2021

Loading

એક સમયે અશ્વપાલન કરનાર પૂનાવાલા પરિવાર દેશનો સૌથી મોટો વેક્સિન ઉત્પાદક બન્યો

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|10 January 2021

૧૯૯૬માં સિરમ ઇન્સ્ટિટ્યૂટ સ્થપાયું અને જે જમાનામાં સતત વેક્સિન્સ શોધાતાં તે સમયે આ ઇન્સ્ટિટ્યૂટે ગતિ પકડી. ૭૯ વર્ષનાં સાયરસ પૂનાવાલા અત્યારે દેશના છઠ્ઠા સૌથી ધનિક શખ્સ છે.

કોરોના વાઇરસની વેક્સિનના વાવડ બસ આવી પૂગ્યા છે. ડ્રાય રન, પહેલો તબક્કો, બીજો તબક્કો, કયા વેક્સિનની કેટલી એફિકસી વગેરે વાતો હવે આપણે ચાની ચૂસ્કીઓ અને કાયમી પાના ગલ્લા પર ટોળે વળીને કરવા માંડ્યા હોઇશું. હા, સોશ્યલ ડિસ્ટન્સિંગ આપણે જાણીએ છીએ, પણ નથી જાણતા એવું છે એટલે ટોળે વળવા-વાળું રાખ્યું. જો કે આપણે હજી એવી ચર્ચાઓ પણ ચાલુ કરવાની છે, “ભારત બાયોટેકની વેક્સિન લેવાના?” કે ”કોવિશિલ્ડ કે કોવેક્સિન – શેમાં જવા જેવું છે?” આ બધી વાતોની વચ્ચે એક નામ છેલ્લા કેટલાક મહિનાઓથી ચર્ચામાં છે અને તે છે આદર પૂનાવાલા. સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાના આ સી.ઇ.ઓ.નું નામ અને ચહેરો સમાચારોમાં સતત ઝળક્યા કરે છે. શાર્પ ફિચર્સ વાળો ચહેરો, કોર્પોરેટ અટાયર્સમાં સજ્જ આદરના ઘણાં ઇન્ટરવ્યુઝ આપણે હજી સુધી જોઇ લીધા છે. સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા ભારત માટે એસ્ટ્રાઝેનેકા ઑક્સફર્ડ વેક્સિન કોવિશિલ્ડ તૈયાર કરી રહ્યું છે ત્યારે દેશની આ સૌથી મોટી વેક્સિન બનાવતી કંપની વિશે જાણવું રસપ્રદ રહેશે.

મે મહિનામાં આપણે જ્યારે હજી વાસણ માંજી રહ્યા હતાં અને વાઇરસ આ જન્મમાં જશે કેમ એવા અસ્તિત્વલક્ષી સવાલો પર વિચાર કરવો જોઇએ કે કેમ એવી ભાંજગડમાં હતાં, ત્યારે પૂનાના સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાના કોલ્ડ રૂમમાં સ્ટીલનું બૉક્સ પહોંચ્યુ હતું. એ બૉક્સમાં ઑક્સફર્ડની વેક્સિનની એક વાયલ હતી. ૧ મિલીલિટરની એ વાયલ એટલે કે કસનળીમાં વિશ્વના સૌથી પ્રોમિસિંગ કોરોના વાઇરસ વેક્સિનનું કોષિય મટિરિયલ હતું જે ઇંગ્લેન્ડથી અહીં પહોંચ્યું હતું. આ વાયલમાં જે હતું તેને બહાર કાઢીને સિરમ ઇન્સ્ટિટ્યૂટની લૅબમાં તેની પર પ્રયોગો શરૂ થયા, વિટામિન્સ, ગ્લુકોઝ વગેરે ઉમેરવામાં આવ્યા જેથી કાળમુખા કોરોના વાઇરસને નાથવાનો કોઇ રસ્તો જડી શકે.

જે સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયામાં આ શરૂઆત થઇ તે ભારતના એક ધનાઢ્ય પારસી પરિવારના વારસગત ઉદ્યોગનું વર્તમાન સ્વરૂપ છે. ૧૯મી સદીમાં પૂનાવાલાના પૂર્વજ પૂનાની એક ક્લબમાં બ્રિટિશ ઑફિસર્સ માટે બિલયર્ડ માર્કર તરીકે કામ કરતા હતા. ગ્લાસિઝ રિફીલ કરવા, બિલિયર્ડ્ઝના બૉલ્સ કલેક્ટ કરવા અને સ્કોર્સ નોંધવાનું કામ કરનારા શખ્સને કોન્ટેક્ટ બનાવવાની ફાવટ હતી જેને પગલે સમય જતાં તે જમીનોના મોટા હિસ્સાનો માલિક બન્યો અને આમ તેને પૂનાવાલા નામ પણ મળ્યું. એક રિપોર્ટમાં પોતાના પરિવારનાં મૂળિયાં અંગે આવેલી આ વાત કેટલી સાચી છે અને કેટલી ખોટી છે તે આદર પૂનાવાલાને નથી ખબર પણ તેને જાણ છે કે તેમના દાદાને ચૌદ સંતાનો હતા, જેમાંના તેના પિતા સાયરસને ૪૦ એકર જમીન મળી. આ જમીન પર સાયરસ પૂનાવાળાએ ઘોડાઓનું પાલન અને ઉછેર શરૂ કર્યાં. સ્ટડ ફાર્મ અને રેસિંગનું ભવિષ્ય હંમેશાં દડબડતું નહીં રહે તેનો ક્યાસ આ પારસી બિઝનેસમેનને આવ્યો અને તેમણે મુંબઇની એક સરકારી સંસ્થામાં ઘોડા વેચવાનું શરૂ કર્યું, જ્યાં ઘોડાનાં બ્લડ સિરમમાંથી ધનૂરના એન્ટિ ટોક્સિન અને સર્પદંશના મારણ બનતા. જે રીતે ધીરૂભાઇ અંબાણીએ રિવર્સ એન્જિનિયરિંગ શરૂ કર્યું, તે રીતે સાયરસ પૂનાવાલાને થયું કે ઘોડા વેચવા એના કરતાં તો સિરમ ઇન્સ્ટિટ્યૂટ જ સ્થાપવામાં સાર છે. ૧૯૯૬માં સિરમ ઇન્સ્ટિટ્યૂટ સ્થપાયું અને જે જમાનામાં સતત વેક્સિન્સ શોધાતાં તે સમયે આ ઇન્સ્ટિટ્યૂટે ગતિ પકડી. ૭૯ વર્ષનાં સાયરસ પૂનાવાલા અત્યારે દેશના છઠ્ઠા સૌથી ધનિક શખ્સ છે.

૯૦ના દાયકામાં તેમણે દીકરાના કેન્ટરબરીની સેઇન્ટ એડમંડ હાઇ સ્કૂલમાં ભણવા મોકલ્યો, જેણે બાદમાં વેસ્ટમિનિસ્ટર યુનિવર્સિટીમાં બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં ડિગ્રી મેળવી. વિદેશની ડિગ્રી, ઘરનાં બિઝનેસનો અનુભવ આ તમામ સાથે કુશળતાથી આદર પૂનાવાલાએ ઇન્ટરનેશનલ માર્કેટ વિકસાવ્યું. ધારદાર બિઝનેસ સ્ટ્રેટેજીને પગલે સિરમ ઈન્સ્ટિટ્યૂટનો પ્રસાર થયો. સમયાંતરે સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા ભારતનાં સૌથી મોટા વેક્સિન ઉત્પાદક તરીકે સ્થાપિત થઇ ગયું. ૨૦૨૦ની શરૂઆતમાં આ ઇન્સ્ટિટ્યૂટમાં પોલિયો, ધનુર, ડિફ્થેરિયા, હેપેટાઇટિસ બી વગેરેની વેક્સિનનાં ૧.૫ બિલિયન ડૉઝિસ વર્ષે બનતા. દૂરંદેશી સમજ ધરાવતા પૂનાવાલાએ વેક્સિન ડેવલપ થાય તેની રાહ જોવાને બદલે ઉત્પાદન ક્ષમતાઓ વિસ્તારીને ૨.૫ બિલિયન પ્રતિ વર્ષ કરી દીધી. યુરોપથી નવા મશીન્સ મંગાવાયાં જેનાથી એક મિનિટમાં ૫૦૦ કસનળીમાં દ્રાવણ ભરી શકાય. ૬,૦૦૦ના સ્ટાફમાં બીજા ૭૦૦ જણા ઉમેરાયા. આ બધું આદર પૂનાવાલાએ ત્યારે કર્યું, જ્યારે હજી કયું વેક્સિન પહેલા બનશે અથવા તો આ વર્ષે તે બનશે કે કેમ તેની કોઇ ખાતરી નહોતી. હવે જ્યારે વેક્સિન વાઘાં પહેરીને તૈયાર છે, ત્યારે આદર પૂનાવાલાની આ દૂરંદેશી લેખે લાગશે એમ કહેવામાં જરા ય અતિશયોક્તિ નથી.

અહીં તૈયાર થનાર વેક્સિન ભારત સહિત અને મોટા ભાગના આફ્રિકાના ૬૫થી વધુ વિકાસશીલ દેશોમાં પહોંચાડાશે. તેઓ ૩ ડૉલર્સમાં જ આ વેક્સિન વેચશે અને તે માંડ ઉત્પાદનના ખર્ચને પહોંચી વળશે.

સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા વધુ એક ધનાઢ્ય પરિવારના વિકાસની વાત છે. દેશના અનેક સફળ બિઝનેસિઝની માફક આ પણ પરિવાર સંચાલિત બિઝનેસ છે અને માટે જ અહીં નિર્ણયથી માંડીને રિસ્ક્સ ઝડપથી લેવાય છે. આદર પૂનાવાલા માને છે કે આગામી પાંચ-સાત વર્ષ તે હજી કોરોના વાઇરસને નાથવાની વેક્સિનનું ઉત્પાદન કરશે કારણ કે આજે ઇમ્યૂન થયેલી પેઢી ભવિષ્યમાં સંક્રમણને મામલે વધુ સંવેદનશીલ હોઇ શકે છે. આ છે આદર પૂનાવાલા અને સિરમ ઇન્સ્ટિટ્યૂટના કામની અને તેની પહોંચની એક ઝલક. પારસીઓની દૂરંદેશી સમજનો આ વધુ એક બોલતો પુરાવો છે.

બાય ધી વેઃ

આદર પૂનાવાલાની હાઇ પ્રોફાઇલ લાઇફસ્ટાઇલ પણ ચર્ચાનો વિષય રહી છે. તેમના પ્લેન્સ, હેલિકૉપ્ટર્સ, પત્ની નતાશા પૂનાવાલાની બૉલીવુડ સર્કલ્સમાં બોલબાલા તો કોઇ પણ અમીર પરિવાર માટે સામાન્ય બાબતો છે. આદર પૂનાવાલાની ઑફિસ એક રિફર્બિશ કરાયેલા પ્લેન એરબસ એ ૩૨૦માં બનેલી છે. તેમની પાસે વિશ્વનાં પ્રતિષ્ઠિત આર્ટિસ્ટ્સનાં ઓરિજિનલ પેઇન્ટિંગ્ઝ છે જેમાં પિકાસો અને સિલ્વેડોર ડાલીનો સમાવેશ પણ થાય છે. ગ્લેમરસ પત્ની નતાશા સાથે આદરની મૂલાકાત વિજય માલ્યાની ગોઆમાં થયેલી પાર્ટીમાં થઇ હતી. નતાશા પૂનાવાલા સિરમ ઇન્સ્ટિટ્યૂટના ચેરિટેબલ શાખા વિલૂ પૂનાવાલાની કામગીરી સંભાળે છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”,  10 જાન્યુઆરી 2021

Loading

ગાંધીજી સાથે દરેકને વાંકું પડે છે એની પાછળનું કારણ …

રમેશ ઓઝા|Opinion - Opinion|10 January 2021

આપણે જોયું કે ગાંધીજીએ ભારતના સમાજિક વાસ્તવને એના એ સ્વરૂપમાં સ્વીકાર્યું હતું. તેમણે ભારતની સામાજિક જટિલતાઓનું કોઈ એક પક્ષે સરળીકરણ નહોતું કર્યું. તેમણે કોઈ એક જગ્યાએ ઊભા રહીને બાકીના ભારતને અને ભારતના સમાજને નહોતો જોયો. તેમણે તેમના રાજકારણમાં ઇતિહાસનો ઉપયોગ નહોતો કર્યો. તેમણે ઇતિહાસનો ઉપયોગ કરીને ભારતની પ્રજાને કે ભારતની કોઈ એક પ્રજાવિશેષને મહાન કે પછી બીજાના અત્યાચારોના શિકાર (વિક્ટીમ) તરીકે નહોતી ચીતરી. તેમણે કોઈ વિચારધારાને આખે આખી એમને એમ નહોતી સ્વીકારી. તેમણે યુરોપિયનો અને અંગ્રેજો સહિત દરેક પાસેથી લીધું છે અને બચાવ પણ કર્યો છે અને દરેકને છોડવા જેવું છોડવાનું કહ્યું છે અને ટીકા પણ કરી છે.

હિંદુઓ, મુસલમાનો, ઈસાઈઓ, યુરોપિયનો, અંગ્રેજો, બ્રાહ્મણો, દલિતો, ઉત્તર ભારતના હિન્દીભાષિકો, દક્ષિણ ભારતીયો, ક્રાંતિકારીઓ, વિનીતો, જહાલો, મૂડીવાદીઓ, સમાજવાદીઓ, સામ્યવાદીઓ, જમીનદારો, આધુનિકો, સનાતનીઓ એમ દરેકનો તેમણે કેટલીક બાબતે બચાવ પણ કર્યો છે અને ટીકા પણ કરી છે. ગાંધીજી સાથે દરેકને વાંકુ પડે છે એનું કારણ આ છે. કોણ કેવા હતા કે કેવા છે એ મહત્ત્વનું નથી, કોણ કેવા હોવા જોઈએ એ મહત્ત્વનું છે. હિંદુ હોય કે મુસલમાન બન્ને એક સરખા ‘માણસ’ હોવા જોઈએ. બ્રાહ્મણ હોય કે દલિત બન્ને એક સરખા ‘માણસ’ હોવા જોઈએ. અહીં માણસ માટે સહેતુક અવતરણ ચિહ્ન વાપરવામાં આવ્યું છે. હિંદુ સમાજ ગર્વ ત્યારે લઈ શકે જ્યારે પ્રત્યેક હિંદુ પહેલા માણસ હોય અને પછી હિંદુ હોય. આ જ વાત બીજા સમાજોને પણ લાગુ પડી શકે.

સુજ્ઞ વાચકને સમજાઈ ગયું હશે કે આ અભિગમમાંથી ભારત નામની કલ્પના વિકસી છે. જેમ હિંદુ સમાજ સાચા માણસથી જ શોભે એમ ભારતીય સમાજ પણ સાચા માણસથી જ શોભે, જેને આપણે નાગરિક તરીકે ઓળખીએ છીએ. ગાંધીજીનું સૌથી મોટું યોગદાન એ છે કે તેમણે કોઈ એક સમાજવિશેષની કે વિચારધારાની તરફેણ કર્યા વિના માણસની અર્થાત્‌ નાગરિકની ભેર તાણી છે. ભારત નામની કલ્પના ભારતીય નાગરિક માટેની છે. ભારતીય રાજ્ય નાગરિક માટેનું છે. બાકીની બધી ઓળખો અને અસ્મિતાઓ ગૌણ છે.

ગાંધીજીએ ભારતને આઝાદી અપાવી એ કથન ગાંધીજીને અને બીજાઓને અન્યાય કરનારું છે. ગાંધીજીને અન્યાય કરનારું એ રીતે કે ગાંધીજીનાં અનેક યોગદાનોમાં આ યોગદાન સાવ નજીવું નહીં તો ય બહુ નાનું યોગદાન છે. આ કથનમાં ગાંધીજી માટેનું અજ્ઞાન પ્રગટ થાય છે. બીજા માટે એ રીતે કે ભારતને આઝાદી એકલા ગાંધીજીએ અપાવી છે એમ કહેવું એ અસત્ય છે. ભારતને આઝાદી અપાવવામાં બીજા અનેક લોકોનું યોગદાન છે અને એ ઉપરાંત સંજોગોનું પણ યોગદાન છે. આ કારણે આ શ્રેણીમાં ગાંધીજીના નેતૃત્વમાં ભારતમાં થયેલાં આઝાદીના આંદોલનોનું વૃત્તાંત આપવાની જરૂર નથી. માત્ર એટલું જ કહેવાનું કે ગાંધીજીના નેતૃત્વ હેઠળનો ભારતની આઝાદીનો ઇતિહાસ વાંચતી વખતે અહીં જે ગાંધીજીની વિશેષતા બતાવી છે તેને ધ્યાનમાં રાખવી જરૂરી છે.

હવે પછી અહીં ભારતના બંધારણની રચનાની વાત કરવામાં આવશે પણ એ પહેલાં ભારતને આઝાદી અપાવવામાં ક્રાંતિકારીઓના યોગદાન અને તેની મર્યાદા વિષે સત્ય હકીકત જાણી લેવી જરૂરી છે.

ભારતને આઝાદી અપાવવામાં કૉન્ગ્રેસ અને ગાંધીજી પછી સૌથી મોટું કોઈનું યોગદાન હોય તો તે ક્રાંતિકારીઓનું હતું. હિંદુ મહાસભાનું, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું, અન્ય હિન્દુત્વવાદીઓનું યોગદાન શૂન્યવત્‌ હતું. આવી જ રીતે મુસ્લિમ લીગનું યોગદાન પણ શૂન્યવત્‌ હતું. સુભાષચન્દ્ર બોઝે તેમના ‘ઇન્ડિયન સ્ટ્રગલ’ નામના પુસ્તકમાં એક પ્રસંગ વર્ણવ્યો છે. બીજુંવિશ્વયુદ્ધ શરૂ થયું અને બ્રિટિશ સરકાર મુશ્કેલીમાં ઘેરાઈ ગઈ ત્યારે કૉન્ગ્રેસપ્રમુખ સુભાષચન્દ્ર બોઝ મહમદઅલી ઝીણાને અને વિનાયક દામોદર સાવરકરને મળવા ગયા હતા. તેમને બન્નેને તેમણે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો કે આપણે અંગ્રેજોની મુસીબતનો લાભ લેવો જોઈએ. નિર્ણાયક હથોડો મારવાનો સમય હાથ લાગ્યો છે. એ માટે હિંદુઓએ અને મુસલમાનોએ સાથે મળીને લડત આપવી જોઈએ. કૉન્ગ્રેસ, મુસ્લિમ લીગ અને હિંદુ મહાસભાએ મતભેદ ભૂલીને મોરચો રચવો જોઈએ. તેમણે ઝીણાને ખાતરી આપી હતી કે ભારતને જ્યારે આઝાદી મળશે ત્યારે ભારતના પહેલા વડા પ્રધાન ઝીણા બને એ માટે તેઓ પ્રયત્ન કરશે.

મહમદઅલી ઝીણાએ સુભાષબાબુનો પ્રસ્તાવ પાકિસ્તાનની શરતે માન્ય રાખવાનું કહ્યું હતું. મુસલમાનો માટે અલગ પાકિસ્તાન કબૂલ કરો તો મદદ કરીએ. આનો અર્થ એ થયો કે તેમને આઝાદીમાં રસ નહોતો. સુભાષબાબુ સાવરકરને મળવા ગયા ત્યારે સાવરકરે તેમને કહ્યું હતું કે તેઓ અંગ્રેજોના સંકટનો અલગ રીતે લાભ લેવા માગે છે. અંગ્રેજોને સૈન્યની જરૂર પડશે એટલે સૈનિકભરતી કરવામાં આવશે. ‘હું (સાવરકર) હિંદુયુવકોને મોટી સંખ્યામાં અંગ્રેજોના સૈન્યમાં દાખલ કરીને હિંદુ યુવકોને લશ્કરી તાલીમ મળે એ માટે પ્રયત્ન કરવાનો છું.’ સુભાષબાબુએ સાવરકર વિષે લખ્યું છે કે તેમને દુનિયામાં શું બની રહ્યું છે એની કોઈ જાણકારી પણ નહોતી. આનો અર્થ એ થયો કે તેમને પણ ભારતની આઝાદીમાં રસ નહોતો.

આઝાદી તો મળવાની હશે ત્યારે મળશે પણ મુસલમાનોને ઝૂકતું માપ મળવું જોઈએ એમ ઝીણાને લાગતું હતું અને આઝાદી મળવાની હશે ત્યારે મળશે પણ શસ્ત્રોની તાલીમ પામેલા હિંદુ યુવકો મુસલમાનોનો મુકાબલો કરી શકવા સમર્થ હોવા જોઈએ એમ સાવરકરને લાગતું હતું. તો કહેવાનો સાર એ કે હિંદુ અને મુસ્લિમ કોમવાદીઓએ આઝાદીના એક પણ આંદોલનમાં ભાગ નહોતો લીધો, નેતૃત્વ તો બહુ દૂરની વાત છે.

આ સિવાય આઝાદીના આંદોલનમાં જમીનદારોએ અને મોટાભાગના ભદ્ર વર્ગે પણ ભાગ નહોતો લીધો. ભારતની રિયાસતોમાંથી ગણતરીના રાજવીઓ આઝાદીના લડવૈયાઓને મદદ કરતા હતા. મોટાભાગના રાજવીઓ તો અંગ્રેજોના ડરથી લડતની બાબતે ઉદાસીન હતા અને કેટલાક વિઘ્નો નાખવાનું કામ પણ કરતા હતા. આઝાદીની લડતમાં સામ્યવાદીઓનો ફાળો નહીંવત્ હતો. હિન્દુ અને મુસ્લિમ કોમવાદીઓનો ફાળો શૂન્યવત્ હતો તો સામ્યવાદીઓનો નહીંવત્ હતો. આઝાદીની લડતમાં દલિત નેતાઓનો પણ કોઈ ફાળો નહોતો.

આમ ભારતને આઝાદી અપાવવામાં કૉન્ગ્રેસ અને ગાંધીજી પછી જો કોઈનો ફાળો હોય તો તે માત્ર ક્રાંતિકારીઓનો હતો. હવે પછી તેમના યોગદાન અને મર્યાદાની વાત કરવામાં આવશે.

e.mail : ozaramesh@gmail.com

પ્રગટ :  ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 10 જાન્યુઆરી 2021

Loading

...102030...2,1482,1492,1502,151...2,1602,1702,180...

Search by

Opinion

  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347
  • AIને માથે ચડાવવા જેવું નથી …

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved