Opinion Magazine
Number of visits: 9842845
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગાંધી અને રાષ્ટૃીય સ્વયંસેવક સંઘનો મેળ બેસે તેમ નથી !

રમેશ ઓઝા|Opinion - Opinion|28 September 2025

રમેશ ઓઝા

કમાલનો યોગાનુયોગ છે. બીજી ઓકટોબર મહાત્મા ગાંધીનો જન્મદિવસ છે અને આ વરસે બીજી ઓક્ટોબરે જ દશેરા છે અને ૧૯૨૫ની સાલમાં દશેરાને દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની નાગપુરમાં સ્થાપના થઈ હતી. સંઘ સો વરસનો થયો અને ગાંધીજી ૧૫૬ વરસના. 

ગાંધીજીનું દર્શન અને સંઘના દર્શન વચ્ચે જમીન આસમાનનું અંતર છે. ઉત્તર અને દક્ષિણ ધ્રુવ છે. મિયાં અને મહાદેવનો મેળ ન બેસે એમ જે કહેવાય છે એમ સંઘ અને ગાંધીનો મેળ ન બેસે અને એ એક હકીકત છે. વખતે મિયાં અને મહાદેવનો મેળ બેસે પણ ખરો, પણ આ બેનો મેળ તો ન જ બેસે. બન્નેની ફિલસૂફીમાં અંતર છે, માર્ગમાં અંતર છે, અભિગમમાં અંતર છે, સાધનમાં અંતર છે અને કૂળમાં પણ અંતર છે. ગાંધીનું ફૂળ સ્વેદેશી છે (વેદ, ઉપનિષદ, શ્રમણ-બ્રાહ્મણ પરંપરા, સંતો અને સૂફીઓ વગેરે) અને સંઘનું વિદેશી. (ઓળખ આધારિત બહુમતી રાષ્ટ્રવાદ પશ્ચિમની કલ્પના છે.) 

જ્યારે સંઘની સ્થાપના થઈ ત્યારે, એટલે કે ૧૯૨૫માં, દેશ ગાંધીજીની મુઠ્ઠીમાં આવી ગયો હતો અને ગાંધીજીની મુઠ્ઠીમાંથી દેશને (હિંદુઓને) છોડાવવા માટે જ સંઘની સ્થાપના કરવામાં આવી હતી. જ્યાં સુધી ગાંધી અને તેનું દર્શન હિંદુઓને પ્રભાવિત કરે છે ત્યાં સુધી હિંદુઓની સર્વોપરિતા સ્થાપિત કરવી શક્ય નથી એ તેમને સમજાઈ ગયું હતું. હિંદુઓને ગાંધીજીની મુઠ્ઠીમાંથી છોડાવવા જોઈએ. ત્રણ હિંદુ નેતા હતા જેમની છબી હિંદુ હોવાની અને હિંદુઓ માટે બોલતા હોવાની હતી. એક લોકમાન્ય તિલક જેમનું ૧૯૨૦માં અવસાન થયું. બીજા લાલા લાજપત રાય જેમનું ૧૯૨૮માં અવસાન થયું. ત્રીજા મદનમોહન માલવિયા. તેઓ ૧૯૪૬ સુધી હયાત હતા, પરંતુ તેમની છબી હિદુ મવાળની હતી અને તેમની ગાંધીભક્તિ અપાર હતી. ટૂંકમાં ૧૯૨૫માં સંઘની સ્થાપના થઈ ત્યારે તેઓ ઈચ્છતા હતા એ રીતે આગ્રહપૂર્વક હિંદુની વાત કરનાર કોઈ રાષ્ટ્રીય નેતા નહોતો. એટલે તો લાલા લાજપત રાયના આવસાન પછી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક ડૉ. કેશવ બલિરામ હેડગેવાર અને તેમના રાજકીય માર્ગદર્શક ડૉ. બી.એસ. મુંજે અરવિંદ ઘોષને યોગમાર્ગ છોડીને પાછા રાજકારણમાં પ્રવેશવા અને હિંદુઓનું નેતૃત્વ કરવા વિનંતી લઈને ખાસ પોંડીચેરી ગયા હતા. મહર્ષિ અરવિંદે ના પાડી દીધી હતી. (જો કે કેટલાક લોકોના મતે મહર્ષિ અરવિંદે રાજકારણમાં પાછા ફરવા કેટલોક સમય વિચાર કર્યો હતો.)

અહીં એક પ્રસંગ યાદ આવે છે જે ડૉ. હેડગેવારના મરાઠી ચરિત્રકાર એન.એચ. પાલકરે નોંધ્યો છે અને તેનું પ્રકાશન સંઘનું છે. આ પ્રસંગ સંઘને ઓળખવામાં ઉપયોગી છે. ધીકતી દાકતરી પ્રેક્ટીસ ધરાવતા ડૉ મુંજેએ પોંડીચેરી જવા પોતાના માટે ફર્સ્ટક્લાસની ટિકિટ લીધી હતી અને ડૉ. હેડગેવાર માટે થર્ડકલાસની ટિકિટ ખરીદી હતી. પ્રત્યેક મોટાં સ્ટેશને ડૉ. હેડગેવાર ખબરઅંતર પૂછવા અને ચાપાણી નાસ્તો અને ભોજન કરાવવા ફર્સ્ટક્લાસના ડબ્બામાં ડૉ મુંજે પાસે જતા હતા. એક સ્ટેશને બન્ને જમીને ટિફીન સમેટે એ પહેલા ટ્રેન રવાના થઈ ગઈ અને ડૉ હેડગેવાર પાછા પોતાના વર્ગના ડબ્બામાં નહીં જઈ શક્યા. એવામાં અંગ્રેજ ટિકિટચેકર આવ્યો અને ડૉ. હેડગેવારને ફર્સ્ટક્લાસમાં પ્રવાસ કરવા માટે દંડ કર્યો. ડૉ. મુંજેએ ગુસ્સે થઈને ઉગ્ર અવાજમાં દલીલો કરવા માંડી. ડૉ. મુંજે મોટી અને ફેલાયેલી દાઢી રાખતા અને કાળી ટોપી પહેરતા અને દેખાવમાં કાંઈક મુસ્લિમ જેવા લાગતા. (બાય ધ વે મોટાભાગના હિંદુઓએ સફેદ ગાંધીટોપી અપનાવી લીધી હતી, પણ હિન્દુત્વવાદીઓ ગાંધીને દરેક રીતે નકારતા હતા, એટલે તેઓ કાળી ટોપી પહેરતા હતા. આજે પણ પહેરે છે.) પેલા ટિકિટચેકરને લાગ્યું કે ડૉ. મુંજે મુસ્લિમ છે એટલે તેમણે તાડૂકીને કહ્યું કે એ મુલ્લે અપની ઔકાત મેં રહ કે બાત કર, ઇધર અંગ્રેજોં કા રાજ હૈ મુસ્લિમ કા નહીં. ડૉ. મુંજેને મુલ્લો સમજીને અંગ્રેજે તતડાવ્યો એ જોઇને બન્ને રાજીનારેડ થઈ ગયા હતા અને એ અંગ્રેજ સાથે આદરપૂર્વક વાત કરવા લાગ્યા હતા. મુસલમાનનું બુરું ઇચ્છનાર અને કરનાર કે તેને હલકી નજરે જોનાર ગમે તે હોય એ ચાલે પછી ભલે આપણને ગુલામ કરનાર અને તોછડાઈપૂર્વક વાત કરનાર અંગ્રેજ હોય. ગાંધીજીની દુ:શ્મની ગૈર યુરોપિયન વિશ્વદેશોને ગુલામ બનાવનાર અને ત્યાંની પ્રજાનું આર્થિક સાંસ્કૃતિક એમ સાર્વત્રિક શોષણ કરનાર સામ્રાજ્યવાદ અને સંસ્થાનવાદ સામે હતી જ્યારે આ લોકોની દુ:શ્મની કેવળ મુસલમાન સામેની હતી. 

ખૈર, ગાંધીજીને નેસ્તનાબૂદ કરવાનો, તેમને અપ્રાસંગિક બનાવવાનો, તેમને ઇતિહાસમાંથી ભૂંસી નાખવાનો સંઘને પૂરો અધિકાર છે. સંઘને પોતાનું દર્શન અને દૃષ્ટિકોણ માંડવાનો, તેને લોકો પહોંચાડવાનો અને લોકોને તેને અનુકૂળ બનાવવાનો પણ અધિકાર છે. સંઘ સો વરસથી આ કરે પણ છે. પણ આજે યોગાનુયોગ બન્નેની જયંતી એક જ દિવસે આવી રહી છે અને એ પણ સો વરસના પ્રયાસના ઇતિહાસ સાથે ત્યારે સવાલ થાય છે કે સંઘ એ કરી શક્યો છે? સંઘના સ્વયંસેવકોએ અને નેતાઓએ આ વિષે વિચારવું જોઈએ. શું ગાંધીજી અપ્રાસંગિક બની ગયા છે? અને જો નથી બનતા તો તેમની પાસે એવી કઈ ચીજ છે જેમાં ચિરંતનતા છે. હત્યા, ચારિત્ર્યહત્યા અને અપપ્રચાર પછી પણ એ માણસ દૃષ્ટિપલટ પરથી ખસતો નથી તો એવું એમાં શું છે? તેમની મહાનતાને સ્થાપિત કરવા, તેને પ્રચાર દ્વારા લોકો સુધી પહોંચાડવા, ટકાવી રાખવા કોઈ સરકારી કે ગૈર સરકારી પ્રયાસ કરવામાં નથી આવતો (હકીકતમાં સરકારી અને ગૈર સરકારી પ્રયાસ તેને મીટાવવા માટે થઈ રહ્યો છે) અને છતાં એ માણસ અદૃશ્ય થતો નથી. એ પોતાની તાકાત પર જીવે છે અને કેટલાક લોકોને સતાવે છે. કઈ છે એ તાકાત? 

આ તો ગાંધીજીની પ્રાસંગિકતાની વાત થઈ. એક નજર સંઘની સો વરસની યાત્રા પર કરીએ. શું આર.એસ.એસ. સો વરસના સંગઠિત પ્રયાસ પછી બહુમતી હિંદુઓ સુધી પોતાની ફિલસૂફી અને દૃષ્ટિકોણ પહોંચાડવામાં અને બહુમતી હિંદુઓને તેને અનુકૂળ કરવામાં સફળ થયો છે? પ્રામાણિકતાપૂર્વક સંઘે આ વિષે ચિંતન કરવું જોઈએ. એક બાજુ નોંધારો એકલોઅટૂલો માણસ અને બીજી બાજુ સત્તા અને સંસાધનોની પ્રચંડ તાકાત સાથેના પ્રયાસ. પ્રયાસ પણ પાછો થોડોઘણો નહીં, સો વરસનો. શું બહુમતી હિંદુઓએ હિન્દુત્વ અને હિંદુરાષ્ટ્રનો સ્વીકાર કરી લીધો છે? સો વરસ પછી બેલેન્સશીટ તપાસવી જોઈએ. 

સત્ય શું છે? સત્ય એ છે ગાંધીજીએ ૧૯૧૫માં ભારતમાં પગ મુક્યો અને માત્ર બે વરસમાં બહુમતી હિંદુઓને (અને બહુમતી અન્ય કોમોને પણ) જીતી લીધા હતા. હા, માત્ર બે વરસમાં અને એ પણ માત્ર પોતાની તાકાત દ્વારા. આ બાજુ સંઘે સત્તાનો ઉપયોગ કરીને હિન્દુત્વનો અને હિંદુરાષ્ટ્રનો વિરોધ કરનારાઓને “મેનેજ” કરવા પડે છે. કોણ વિરોધ કરે છે? બહુમતી હિંદુઓ. ગાંધીજીની ભારતીય રાષ્ટ્રની કલ્પના લોકોએ સ્વીકારી લીધી હતી. એ સ્વયંભૂ સ્વીકાર હતો. જ્યાં સ્વયંભૂ સ્વીકાર હોય ત્યાં વિરોધને “મેનેજ” કરવાની જરૂર નથી પડતી. આ બાજુ હિન્દુત્વવાદીઓની સ્થિતિ જુઓ. બહુમતી હિંદુઓનો વિરોધ એટલો પ્રચંડ છે કે તેમણે તેને રોકવા અને દબાવવા મીડિયાને, સોશ્યલ મીડિયાને, સંસદને, ન્યાયતંત્રને, ચૂંટણીપંચને, વિરોધ પક્ષોને, મુખર વિચારકોને, યુનિવર્સીટીઓના છાત્રોને, એન.જી.ઓ.ને, પ્રગતિશીલ સંગઠનોને, “મેનેજ” કરવા પડે છે. ગાંધીજીની, સર્વોદયવાળાઓની અને અન્ય સેક્યુલર લોકોની સંસ્થાઓ પર કબજો કરવો પડે છે. જો બહુમતી હિંદુઓએ હિન્દુત્વનો સ્વયંભૂ સ્વીકાર કર્યો હોત તો વિરોધીઓને “મેનેજ” કરવા ન પડ્યા હોત અને હકથી હિંદુરાષ્ટ્રને આકાર આપવામાં આવતો હોત. જે થનગનાટ અને આત્મવિશ્વાસ જવાહરલાલ નેહરુમાં જોવા મળતો હોત એ નરેન્દ્ર મોદીમાં જોવા મળત. સતત વિરોધને “મેનેજ” કરવામાં ઉર્જા ન ખર્ચાતી હોત અને એ પણ અનૈતિક રીતે. 

આ સંઘની નિષ્ફળતા નથી? સો વરસ પછી પણ બહુમતી હિંદુઓ સુધી પહોંચી શક્યા નથી અને પોતાના કરી શક્યા નથી. શું કર્યું સો વરસ? શું ખૂટે છે? એવું નથી લાગતું કે સો વરસના અનુભવ પછી હવે વિચાર કરતા અને પ્રશ્ન પૂછતા શીખવું જોઈએ? એક માણસની ભારતીય રાષ્ટ્રની કલ્પના બે વરસમાં સ્વીકાર્ય બને અને એક સદી પછી પણ એ કાયમ રહે અને હિન્દુત્વવાદીઓને કવરાવતી રહે અને બીજી તરફ એક સંસ્થા સો વરસ પછી પણ હિંદુરાષ્ટ્રની કલ્પના બહુમતી હિંદુઓ સુધી પહોંચાડી ન શકે એને નિષ્ફળતા કહેવાય કે બીજું કાંઈ? વિરોધ અને વિરોધીઓને “મેનેજ” કરીને કેટલોક વખત ટકી શકાય, પણ કાયમ માટે ટકવું હોય તો બહુમતી પ્રજાનો સ્વીકાર જોઈએ. શાશ્વતી સ્વીકારમાં છે. 

અહી એક બીજો સવાલ પણ ઉપસ્થિત થાય છે. સેવાના ક્ષેત્રમાં, શિક્ષણના ક્ષેત્રમાં, આરોગ્યના ક્ષેત્રમાં, વિજ્ઞાનના ક્ષેત્રમાં, રચનાત્મક કામના ક્ષેત્રમાં, પર્યાવરણસંરક્ષણના ક્ષેત્રમાં, ઉર્જા, ખેતી વગેરેના પ્રયોગના ક્ષેત્રમાં એવી કોઈ પ્રતિભાશાળી વ્યક્તિ છે જે હિન્દુત્વવાદી હોય અને સંઘે આપી હોય? કોઈ મૌલિક વિદ્વાન કે પ્રયોગવીર? હિંદુ હોવા માટે તેઓ ગર્વ ધરાવે છે તો સ્વાભાવિક અપેક્ષા રહે કે હિંદુદર્શન, હિંદુ પરંપરા, હિંદુ ધર્મશાસ્ત્ર, હિંદુ સંસ્કૃતિ, સંસ્કૃત ભાષા વગેરે ક્ષેત્રોમાં તો તેમનું યોગદાન હશે જ હશે. તપાસ કરી જુઓ, અથવા કોઈ સંઘના નેતાને પૂછી જુઓ કે આ આપણા ભાવતા ક્ષેત્રમાં સંઘે કોઈ મૌલિક વિદ્વાન આપ્યો છે. એ છોડો, શાંતિનિકેતન, કલાક્ષેત્ર, ગુજરાત વિદ્યાપીઠ, જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી, લોકભારતી (સણોસરા), સસ્તું સાહિત્ય જેવી કોઈ સંસ્થા છે જે સંઘે સ્થાપી હોય અને તેનું અનોખું યોગદાન હોય? તેઓ બીજાઓએ સ્થાપેલી સંસ્થાઓને કબજે કરે છે, પોતાની કોઈ સંસ્થા વિકસાવી નથી શક્યા. ન વિચારક, ન  વિદ્વાન, ન પ્રયોગવીર કે ન સંસ્થા. 

કારણ? કારણ કે વીરડીમાં સમુદ્રનું પાણી ન સમાય. બહુમતી પ્રજા સુધી પહોંચવું હોય અને તેને પોતાનાં કરવા હોય તો લઘુતાગ્રંથિ છોડીને ડર્યા વિના સમુદ્રમાં તરતા આવડવું જોઈએ. રવીન્દ્રનાથ, ઉમાશંકર, પ્રેમચંદ સમુદ્રમાં જન્મે, વીરડીમાં નહીં. 

તો પછી સંઘની સો વરસની યાત્રા વિષે શું કહીશું? 

જવાબ છે શોકાંતિકા. “મેનેજ” કરી કરીને કેટલો વખત કરશો? શાશ્વતને ઓળખો અને અપનાવો.    

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 28 સપ્ટેમ્બર 2025

Loading

ચલ મન મુંબઈ નગરી—308 

દીપક મહેતા|Opinion - Opinion|27 September 2025

કમાન્ડર કાવસ નાણાવટીની કારાવાસથી કેનેડા સુધીની સફર    

૨૪ નવેમ્બર, ૧૯૬૧.

છેલ્લા કેટલાક દિવસથી જે કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયામાં ચાલી રહી હતી તેનો આજે ચુકાદો આવવાનો છે. કોર્ટ રૂમ ભરાઈ તો ગયો છે, પણ મુંબઈના લોકોને આ કેસમાં જેટલી દિલચસ્પી હતી તેટલી દિલ્હીના લોકોને નહોતી. ન હોય તે સમજી પણ શકાય. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો વતી ચુકાદો સંભળાવવા કોકા સુબ્બારાવ ઊભા થયા. પહેલાં તો તેમણે પ્રેમ આહુજાના મોત પહેલાંની અને પછીની ઘટનાઓની વિગતવાર ચકાસણી કરી. પછી જુદા જુદા સાક્ષીઓની જુબાનીના મુખ્ય મુદ્દાઓ તારવીને કોની કેટલી જુબાની સ્વીકારવા જેવી છે, અને શા માટે છે, એની ચર્ચા કરી. પછી આગલી અદાલતોની કારવાઈની સમીક્ષા કરી. કમાન્ડર નાણાવટીને ખૂન તેમ જ સદોષ મનુષ્યવધના આરોપોમાં નિર્દોષ ઠરાવતો જ્યુરીના સભ્યોનો (૮ વિરુદ્ધ ૧ મતે) નિર્ણય શા માટે અસ્વીકાર્ય બને છે તેની ચર્ચા કરી. પછી હાઈ કોર્ટની કાર્યવાહીની સમીક્ષા કરી. અને અંતે જાહેર કર્યું: “ઇન્ડિયન પિનલ કોડની કલમ ૩૦૨ હેઠળનો ગુનો સાબિત થવાથી બોમ્બે હાઈ કોર્ટે આરોપી કમાન્ડર કાવસ માણેકશા નાણાવટીને ફરમાવેલી આજીવન કેદની સજામાં હસ્તક્ષેપ કરવાનું એક પણ કારણ અમને જણાયું નથી અને તેથી એ કોર્ટે તેમને કરેલી આજીવન કેદની શિક્ષા અમે પૂરેપૂરી રીતે બહાલ રાખીએ છીએ. The appeal stands dismissed. 

કમાન્ડર નાણાવટી આર્થર રોડ જેલ તરફ

આ સમાચાર મુંબઈ પહોચતાં વેંત મુંબઈ પોલીસે કમાન્ડર નાણાવટીને નેવલ પોલીસ પાસેથી પોતાના તાબામાં લેવાની કારવાઈ શરૂ કરી દીધી. સાધારણ કેદીને આર્થર રોડ જેલ ભેગો કરવા માટે પોલીસ વેનનો ઉપયોગ થાય, પણ આ કિસ્સામાં લોકોનું ધ્યાન બને તેટલું ઓછું દોરાય એટલા ખાતર કમાન્ડર નાણાવટીને એક કાળી એમ્બેસડર મોટરમાં આર્થર રોડ જેલ લઈ જવામાં આવ્યા. તેમની સાથેના પોલીસ અધિકારીઓ પણ સાદાં કપડાંમાં હતા. પોલીસે ગમે તેટલી મહેનત કરી હોય, સુપ્રીમ કોર્ટના ચુકાદાના ખબર આખા મુંબઈમાં વાયુ વેગે ફેલાઈ ગયા. જ્યાં નેવીની જેલ આવી હતી તે આઈ.એન.એસ. કુન્જાલીની બહાર અને આર્થર રોડ જેલની બહાર લોકોનાં ટોળાં જમા થઈ ગયાં. આઈ.એન.એસ. કુન્જાલીનો દરવાજો ખુલ્યો. આછા ભૂરા રંગનો સૂટ પહેરેલા કમાન્ડર નાણાવટીને વળાવવા કમાન્ડર સેમ્યુઅલ પણ તેમની સાથે બહાર આવ્યા. કમાન્ડર નાણાવટીએ કમાન્ડર સેમ્યુઅલ સાથે શેક હેન્ડ કરી તેમનો આભાર માન્યો. બાજુમાં ઊભેલી, ડુસકાં ભરતી સિલ્વિયાના ગાલ પર આછું ચુંબન કરી તેની વિદાય માગી. પછી જાતે બારણું ખોલી મોટરમાં બેઠા. આગળ-પાછળ સાદાં કપડાંમાં મુંબઈ પોલીસના અફસરો બેઠા. મોટર ઊપડે એ પહેલાં હાજર રહેલા ટોળાએ ‘કમાન્ડર નાણાવટી ઝિન્દાબાદ’ના નારા લગાવ્યા. 

થોડી વારે મોટર આર્થર રોડ જેલના મુખ્ય દરવાજે નહિ, પણ બાજુના એક નાના દરવાજા પાસે આવીને ઊભી રહી. છતાં કમાન્ડર નાણાવટીને જોતાં વેંત ત્યાં હાજર રહેલા લોકોએ પણ ‘કમાન્ડર નાણાવટી ઝિન્દાબાદ’ના નારા લગાવ્યા. મોટરમાંથી ઊતરીને કમાન્ડર નાણાવટી ઘડી-બે ઘડી ઊભા રહ્યા. હવેની જિંદગીનાં ચૌદ વરસ જ્યાં ગાળવાનાં હતાં તે આર્થર રોડ જેલની ઈમારત પર નજર ફેરવી. પછી થોડા વાંકા વળીને દરવાજામાં દાખલ થયા. તેઓ અંદર ગયા એ ભેગો દરવાજો બંધ. છેલ્લી થોડી ક્ષણો માટે લોકોનું ટોળું અવાચક થઈ ગયું હતું. જેલનો દરવાજો બંધ થયા પછી ફરી વધુ જોરથી ટોળાએ ‘કમાન્ડર નાણાવટી ઝિન્દાબાદ’ના પોકારો શરૂ કર્યા. પછી ન છૂટકે લોકો ધીમે ધીમે વીખરાવા લાગ્યા. ઘણાના મનમાં એક જ વિચાર ઘૂમરાતો હતો : ‘અરેરે! છેવટે કમાન્ડર નાણાવટીએ જેલ ભેગા થવું જ પડ્યું.’ 

*    

પણ ના. એક માણસે હજી નાણાવટીને બચાવવાની આશા છોડી નહોતી. એ માણસ તે રૂસી કરંજિયા, તેજાબી સાપ્તાહિક ‘બ્લિટ્ઝ’ના તંત્રી. તેમનું આ સાપ્તાહિક દર શનિવારે પ્રગટ થતું. સુપ્રીમ કોર્ટનો ચુકાદો જાહેર થયો તે દિવસે (૨૪ નવેમ્બર ૧૯૬૧) હતો શુક્રવાર. ત્યારે ‘બ્લિટ્ઝ’નો ૨૫મીનો અંક તો તૈયાર થઈ ગયો હતો. પણ બીજી ડિસેમ્બરના અંકથી બ્લિટ્ઝે  લગભગ જેહાદ જગાવી – કમાન્ડર નાણાવટીને માફી મળે તે માટે. એ જ અંકમાં પહેલે પાને સુપ્રીમ કોર્ટની સજાના સમાચાર અને નવમે પાને ‘મર્સી પિટિશન.’ સાથે વાચકોને, લોકોને અપીલ, એ પિટિશન પર સહી કરવા માટે. કરંજિયાએ ટાર્ગેટ રાખ્યો હતો એક લાખ સહી મેળવવાનો. અને મેળવી શક્યા ૭૫ હજાર સહી.  

થોડા મહિના આર્થર રોડ જેલમાં રહ્યા પછી ‘નાદુરસ્ત તબિયત’ને કારણે કમાન્ડર નાણાવટીને પેરોલ પર છોડીને ઇન્ડિયન નેવીને સોંપવામાં આવ્યા. તેમને રાખવા માટે નેવીએ લોનાવળામાં એક બંગલો ભાડે રાખ્યો અને ત્યાં તેમને ‘નજર કેદ’ રાખ્યા. બીજી બાજુ મુંબઈમાં ચક્રો ગતિમાન થયાં. અગાઉ મામી આહુજાના વકીલ તરીકે કામ કરનાર રામ જેઠમલાની માર્ચ મહિનાના એક દિવસની સાંજે કફ પરેડમાં આવેલા પંચશીલ બિલ્ડિંગમાંના પોતાના ફ્લેટમાં બેઠા હતા. ત્યાં ડોર બેલ રણકી ઊઠી. જેઠમલાનીએ નોકરને બારણું ખોલવા કહ્યું. ખુલ્લા બારણાની બહાર ઊભેલી બે વ્યક્તિને જોઈને જેઠમલાનીના આશ્ચર્યનો પાર ન રહ્યો. પણ તરત ઊઠીને બારણા પાસે જઈને બંને આગંતુકોને આવકાર્યા. એ આગંતુકો હતાં સિલ્વિયા નાણાવટી અને બેરિસ્ટર રજની પટેલ. એ વખતે વકીલાતના ક્ષેત્ર ઉપરાંત મુંબઈના જાહેર જીવનમાં પણ બેરિસ્ટર રજની પટેલનો ભારે દબદબો. ત્રણે વચ્ચે વાતચિત થઈ. કેટલીક અત્યંત ખાનગી વાત બેરિસ્ટર રજની પટેલે જેઠમલાનીને કહી. પછી કહ્યું : ‘તમારે ગમે તે રીતે એક કામ પાર પાડવાનું છે. જો કમાન્ડર નાણાવટીને માફી આપવામાં આવે તો તે અંગે હું કશો વાંધો નહિ લઉં એવા લખાણ પર પ્રેમ આહુજાની બહેન મામી આહુજાની સહી મેળવવાની છે.’ થોડી વાર પછી જેઠમલાનીનો આભાર માનીને બંને આગન્તુકોએ વિદાય લીધી. 

મહારાષ્ટ્રના ગવર્નર વિજયાલક્ષ્મી પંડિત

હવે થોડી વાત એ વખતના મુંબઈના જાહેર જીવનની. આજે છે તેના કરતાં ઘણો વધારે પ્રભાવ  ત્યારે હતો પારસીઓનો. બીજી બાજુ દેશના ભાગલા પછી મુંબઈ આવી વસેલા સિંધીઓના ઘા હજી પૂરેપૂરા રૂઝાયા નહોતા. પોતે આગંતુક છે, અને તેથી અળખામણા છે એવું તેમને લાગતું હતું. એટલે કમાન્ડર નાણાવટીને માફી આપવામાં આવે તો તેના માઠા પ્રત્યાઘાત સિંધી સમુદાય પર પડ્યા વગર રહે નહિ. કારણ મરનાર પ્રેમ આહુજા સિંધી વેપારી હતા. રામ જેઠમલાનીને ‘સમજાવવામાં’ સફળ થયા પછી બેરિસ્ટર રજની પટેલે સાપ મરે નહિ અને લાઠી ભાંગે નહિ એવો રસ્તો શોધી કાઢ્યો. ભાઈ જગતાપ નામના એક સિંધી વેપારી પણ એ વખતે જેલની સજા ભોગવી રહ્યા હતા. તેણે પણ સજા માફ કરવાની અરજી મહારાષ્ટ્રના ગવર્નરને કરી હતી. (કમાન્ડર નાણાવટીનો કેસ ચાલતો હતો તે દરમ્યાન પહેલી મે, ૧૯૬૦થી મહારાષ્ટ્ર અને ગુજરાતનાં અલગ રાજ્યો અસ્તિત્વમાં આવ્યાં હતાં.) કમાન્ડર નાણાવટી અને ભાઈ જગતાપને મહારાષ્ટ્રના ગવર્નર એક જ દિવસે માફી આપવાનું જાહેર કરે એવી ગોઠવણ થઈ. અને મહારાષ્ટ્રના ગવર્નર વિજયાલક્ષ્મી પંડિતે આ બંનેને માફી આપવાનું એક જ દિવસે જાહેર કર્યું. એ દિવસ હતો ૧૬ માર્ચ ૧૯૬૪. અગાઉ મુંબઈ રાજ્યના ગવર્નર શ્રીપ્રકાશની જેમ ગવર્નર વિજયાલક્ષ્મીએ પણ આ પગલું બંધારણની કલમ ૧૬૧ દ્વારા રાજ્યના ગવર્નરને મળેલી સત્તા હેઠળ ભર્યું હતું. 

કેનેડામાં જૈફ વયે સિલ્વિયા નાણાવટી, બે દીકરીઓ સાથે

જેલમાંથી છૂટ્યા પછી કેટલોક વખત કમાન્ડર નાણાવટી મુંબઈમાં જ રહ્યા. પણ પછી સિલ્વિયા અને ત્રણ બાળકોને લઈને કેનેડામાં સ્થાઈ થયા. કેનેડા ગયા પછી તેઓ પોતે, કે તેમના કુટુંબના બીજા કોઈએ ભારતની મુલાકાત લીધી નહિ. ૨૦૦૩માં કેનેડામાં જ તેમનું અવસાન થયું. ૨૦૧૯ સુધી સિલ્વિયા નાણાવટી હયાત હતાં. તે પછીની માહિતી મેળવી શકાઈ નથી.

*

લોકમાનસ પર જબરી પકડ ધરાવનાર આવા ચકચારભર્યા કેસ પરથી સિનેમા-નાટક ન બને તો જ નવાઈ. આ કેસ પર આધારિત પહેલી ફિલ્મ આવી ૧૯૬૩માં, ‘યે રાસ્તે હૈ પ્યાર કે.’ તેમાં મુખ્ય ભૂમિકામાં હતા સુનીલ દત્ત. પછી ગુલઝારના દિગ્દર્શનમાં ૧૯૭૩માં આવી ‘અચાનક.’ તેમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી વિનોદ ખન્નાએ. તેને અસાધારણ સફળતા મળી. પછી ૨૦૧૬માં આવી ‘રુસ્તમ.’ અક્ષયકુમારની મુખ્ય ભૂમિકા ધરાવતી આ ફિલ્મ પણ ખૂબ સફળ નીવડી. સલમાન રશદીની વિખ્યાત નવલકથા Midnight’s Childrenનું એક પ્રકરણ પણ આ કેસને આધારે લખાયું છે. મરાઠીના પ્રખ્યાત નાટકકાર મધુસૂદન કાલેલકરે લખેલું નાટક ‘અપરાધ મી ચ કેલા’ પણ ખૂબ સફળ થયું હતું. આ ઉપરાંત પણ ટી.વી સિરિયલ વગેરે આ કેસ પરથી બન્યાં છે.

આમ તો આ કિસ્સો છે લગ્નબાહ્ય પ્રેમનો, બદલો લેવાની ભાવનાનો, ખૂનનો. અદાલતોની લાંબી કારવાઈનો, પોલીસ અને અદાલત ઉપરાંત છેક દેશના વડા પ્રધાન સુધી પહોંચતો, ગુનેગારને થતી સજાનો અને પછી મળતી માફી અને મુક્તિનો. છેલ્લાં કેટલાંક અઠવાડિયાંથી બાંધેલો આ નાણાવટી ખૂન કેસનો માંડવો છોડવાનો આજે વખત આવ્યો છે ત્યારે ભલે બંધ બેસતું થતું હોય કે ન થતું હોય, પણ પેલું પ્રખ્યાત લોક ગીત યાદ આવી જાય છે :

નાણાવટી રે સાજન બેઠું માંડવે.

આવતે અઠવાડિયે નવો માંડવો, નવું સાજન. પણ હા, હવે ખૂન કે અદાલતની વાત નહિ હોં! પ્રોમિસ!

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 27 સપ્ટેમ્બર 2025

Loading

દલિત ઓળખ વિષે આનંદ તેલતુંબડે

સંગીતા પટેલ|Opinion - Opinion|27 September 2025

સંગીતા પટેલ

હું પહેલા ધોરણમાં હતી, ત્યારની આ વાત છે. મારી શાળા ફીની રસીદના નામના ખાનામાં “સંગીતા વાલજીભાઈ ચમાર” લખવામાં આવેલું. મમ્મી આ વાંચતા જ મારી શાળાએ પહોંચી. મારા શિક્ષકને કહ્યું, “અમારી જાતિ ચમાર છે અને અમે તે છુપાવી નથી પણ, અટક જન્મજાત પટેલ છે. તમે તમારી અટકના ખાનામાં મોદી લખો છો, ઘાંચી નથી લખતા”. પાંચ વર્ષની ઉંમરે આ સંવાદ કાંઇ સ્પર્શેલા નહિ. આ વાત અહીં અટકી ન હતી. 1987માં ઉચ્ચતર અભ્યાસના પ્રવેશ માટેના મૌખિક ઇન્ટરવ્યુમાં આવો અનુભવ થવાનો બાકી હતો. વિષય નિષ્ણાતે મારા પ્રોફાઇલ પેપર્સ જોતા જ પહેલો પ્રશ્ન એ પૂછેલો કે, તમે અનુસૂચિતજાતિમાં આવો છો અને તમારી અટક પટેલ કેમ છે. પ્રશ્ન સાંભળતા જ મારી માર્કશીટમાં મને મળેલો પ્રથમ વર્ગ નિરર્થક લાગેલો. ભારતના વિદ્વાન લેખક, દલિત ચિંતક અને માનવ હકના હિમાયતી આનંદ તેલતુંબડેનું પુસ્તક “Dalits Past, Present and Future” વાંચતા આ પ્રસંગો યાદ આવી ગયા. 

મહારાષ્ટ્રના ખેલરાંજી નામના ગામડામાં, 2006માં એક પરિવારના તમામ સભ્યોને ગામના કહેવાતા ઉજળિયાતોએ નિર્મમ રીતે રહેંસી નાખેલા. આ ઘટનાનો માનવજાત સાથે સંકળાયેલા એકેએક આયામથી તલસ્પર્શી અભ્યાસ કર્યો હોય તો એ છે આનંદ તેલતુંબડે. ખેલરાંજીના પુસ્તક પછી “Dalits Past, Present and Future”માં અસ્પૃશ્યતાના મૂળથી લઇને સાંપ્રત જાતિવ્યવસ્થાના એકેએક પડળ ઉજાગર કર્યા છે. વિજ્ઞાન અને ટેકનોલોજી આજે એની ચરમ ક્ષમતાએ છે ત્યારે પણ સદીઓ જૂનું જાતિ માળખું હજી અડીખમ છે. ઘણી બારીકાઇથી રચાયેલું આ જટિલ સામંતવાદી માળખું હજી પણ કેમ લોકોનું જીવનવિશ્વ છે? તેનો જવાબ આ પુસ્તકમાં છે. 

વાત એમણે વેદકાલીન વ્યવસ્થાથી માંડીને દલિતોના આજના પ્રતિનિધિત્વ સુધી કરી છે. અતિ શુદ્રોએ તેમના સામાજિક દરજ્જા માટે અપનાવેલા “દલિત” શબ્દ માટે લેખક લખે છે, પ્રવર્તમાન હિન્દુ વ્યવસ્થા સામે એક લડાયક ઓળખ “દલિત” શબ્દથી છતી થઇ. આ જ દિશામાં દલિત પેંથર્સની સ્થાપના થઇ. પેંથર્સે દલિત પરિભાષામાં એક ક્રાંતિકારી કક્ષા જોયેલી અને પેંથર્સ વિચારધારાને આ શબ્દ માફક હતો. તેમાં પીડિતોના ઇતિહાસના ક્રાન્તિકારી અર્થને આવરી લેવીની ભાષાકીય ક્ષમતા અને વ્યાપક વર્ગ સુધી પહોંચવાની સઘન ક્ષમતા હતી. આમાં પેંથર્સને ભાષાકીય રચના કરતાં નક્કર તત્ત્વજ્ઞાનનું આકર્ષણ હતું. લેખક બૌદ્ધધર્મથી મળેલી બુદ્ધિસ્ટ અને સમયાંતરે બહુજન હિતાય, બહુજન સુખાય વિચારધારામાંથી કાંશીરામ બહુજન ઓળખ લઇ આવ્યા તેની પણ વાત કરે છે. આજે હયાત જાતિ વ્યવસ્થાને જોતાં લેખક કહે છે, ભારતીય સમાજ વ્યવસ્થામાં સાતત્ય અને બદલાવ બંને સમાંતર છે. ભૂતકાળ સાથેના સાતત્યમાં છે સામંતી જાતિગત સંસ્કૃતિ અને બદલાવ સાથે છે મૂડીવાદી વિકાસ. 

વિશ્વની વ્યાપક ગુલામી પ્રથાને લઇને લેખક કહે છે, ગુલામીથી માણસ હોવાની  જાગરૂકતા હણાતી નથી. પણ પ્રસંગોપાત બળવાખોરીમાં પ્રગટે છે. ગુલામીના ઇતિહાસમાં આવી બળવાખોરી મોટા પ્રમાણમાં જોવા મળી છે. ભારતમાં જાતિ વ્યવસ્થા સામે બળવાખોરી ખાસ જોવા મળી નથી. હા, ભક્તિ આંદોલનમાંથી કબીર અને રોહિદાસ આવ્યા પણ, જાતિ વિભાજનમાં એવા કોઇ પરિવર્તન ન આવ્યા. એનું કારણ હતું, ગામડાઓમાં શ્રમ આધારિત જાતિ વ્યવસ્થા. 

આનંદ તેલતુંબડે

ભારતના ઇતિહાસની વાત કરતાં તેલતુંબડે કહે છે, સમયાંતરે આવેલું બ્રિટિશ સંસ્થાનવાદી શાસન દલિતો માટે વરદાનરૂપ હતું. આ શાસનની જાતિ વ્યવસ્થા પર મોટી અસર પડી. લશ્કર, પોલીસ, કાયદો, વ્યવસ્થા, ન્યાયતંત્ર, આધુનિક શિક્ષણ, માનવ હક, લોકશાહી અને માનવ ગરિમાના નવા વિચારો આ બધું પહેલીવાર સમાજમાં આવતું હતું. નીચલી જાતિઓ લશ્કરમાં જોડાઇ. 1818માં ભીમા કોરેગાંવ ખાતે ઐતિહાસિક યુદ્ધમાં મહાર સૌનિકોના નાનકડા જૂથે મરાઠાઓના જંગી લશ્કરને મ્હાત આપેલી. શોષિતોના સશક્તિકરણની કદાચ આ પહેલી મિસાલ હતી. જાતિ વિરોધી ક્રાંતિના આદ્ય મહાત્મા ફૂલે પોતે મિશનરી શાળામાં ભણેલા. તેમણે અછૂતો માટે અબ્રાહ્મણ આંદોલન શરૂ કરેલું. મિશનરી સંસ્થાઓએ ભારતમાં શિક્ષણ આપવામાં મોટું યોગદાન આપ્યું. પણ મિશનરીઓનો ઉદ્દેશ જાતિ નિર્મૂલનનો ન હતો અને અછૂતો આધ્યાત્મિક ભાવે નહિ પણ જાતિ વ્યવસ્થામાંથી મુક્ત થવા મિશનરીઓ સાથે જોડાતા હતા. અછૂતો સરકારી કામો સાથે શહેરમાં આવતા થયા. બીજા સમુદાયો કરતાં વિસ્થાપનમાં અછૂતો આગળ નીકળી ગયા. તેમણે શિક્ષણ મેળવી વિકાસ સાધ્યો પણ નવા સ્વરૂપે નડતા જાતિગત અંતરાયો તેમણે વેઠવાના હતા. 

આંદોલનની ક્ષિતિજે બાબાસાહેબ આંબેડકરના આગમન પહેલા ઘણી ચળવળ શરૂ થઇ ગયેલી. ફૂલે, શાહુજી મહારાજ અને સયાજીરાવ ગાયકાડની ભૂમિકા મોટી હતી. પણ ખરેખર ચળવળને આંબેડકરની જરૂર હતી. આંબેડકર આ પ્રારંભિક ચળવળ સંકલિત કરી તેને અખિલ ભારતીય દલિત આંદોલન સ્વરૂપે રાજકીય ક્ષેત્રની ઊંચાઇએ લઇ ગયા. બાબાસાહેબ માનતા હતા કે ભારતે સ્વતંત્ર થવું પૂરતું નથી. તમામ વર્ગોને ધાર્મિક, સામાજિક, આર્થિક અને રાજકીય સમાનતાની બાંયધરી મળે તેવા જીવનમાં ઊભા થવાની તક દરેકને મળવી જોઇએ અને આવી સ્થિતિ સર્જતું  સુરાજ્ય મળવું જોઇએ. 

સૌ પ્રથમ દલિત વિદ્રોહ “મહાડ સત્યાગ્રહ” સરકારની સામે થયા વગર, અહિંસક રાહે થયેલી સામાજિક-સાંસ્કૃતિક પહેલ હતી. પણ ડો. આંબેડકરને આ સત્યાગ્રહના કડવા ઘૂંટડા ભરવા પડ્યા અને તે પછી તેમના પ્રવચનોમાં હિન્દુવાદ વિરુદ્ધ કટુતા દેખાઇ. હિન્દુઓ તરફથી સુધારાની અપેક્ષા વ્યર્થ જણાતા રાજકીય ઉકેલની શોધ આદરી. પૂના પેક્ટથી ભ્રમનિરસન થયું અને ઉદ્દામવાદ ભણી ઇન્ડિપેન્ડન્ટ લેબર પાર્ટી તરીકે કામદાર વર્ગની સ્થાપના કરી. પણ ડો. આંબેડકરને લાગ્યું કે જાતિ કેવળ શ્રમવિભાજન નથી. સામ્યવાદીઓને આ તથ્ય રૂચિકર ન લાગ્યું. તેઓ કામદાર એકતાને વળગી રહ્યા. આંબેડકરનો ધ્યેય તો જાતિ નિર્મૂલનનો હતો. તેમણે ‘શિક્ષિત બનો, સંગઠિત થાઓ અને સંઘર્ષ કરો’ના નારા સાથે બહિષ્કૃત હિતકારિણી સભાની સ્થાપના કરી. ત્યારપછી શિડ્યુલ કાસ્ટ ફેડરેશન અને છેલ્લે રિપબ્લીકન પાર્ટી ઓફ ઇન્ડિયા. સામાજિક – રાજકીય ફલક પર આંબેડકર આજીવન સંઘર્ષ કરતા રહ્યા. 

દેશની રાજકીય સ્થિતિથી સભાન આ લેખક લખે છે, સ્વાતંત્ર્ય પછીના બે દાયકા સુધી આંબેડકર અને દલિતો બંનેને સંપૂર્ણપણે અવગણવામાં આવ્યા. સરકારને આંબેડકર સ્મારક બાંધવું ય જરૂરી નહોતું લાગ્યું. 1966માં નાનું સ્મારક ઊભું કરવા મહુથી મુંબઇ સુધીની કૂચમાં લોકો પાસેથી અંશત: ફાળો એકઠો કરવામાં આવ્યો હતો. પણ કામદાર માગણીઓથી શાસક વર્ગ ભયભીત થયો. અને પછી દોર શરૂ થયો દલિત નેતાઓની વરણી, દલિત પક્ષો સાથે જોડાણ અને તેમના આઇકોન આંબેડકરને યાદ કરીને દલિતોને રીઝવવાની નીતિનો. તે વખતે કાઁગ્રેસ પક્ષ હતો, આજે ભા.જ.પ. આ કરી રહ્યું છે. આર.પી.આઇ.ના આંતરિક ખટરાગે આ રીતિ સરળ કરેલી. નેતાઓ તો ઢાળે ઢળી ગયા. આમાં ભોગ લેવાયો દલિત રાજકારણનો. 

એક બાજુ લોભી રાજકારણ હતું ત્યારે બીજી બાજુ દલિતો પર અત્યાચારના બનાવો વધતા જતા હતા. દેશની સમગ્ર સ્થિતિમાં ય ઘણો અજંપ હતો. લોકો આંદોલનના માર્ગે હતા. વિદ્યાર્થી ચળવળ અને વિરોધ પક્ષ વગરના રાજકારણ પછી  જયપ્રકાશ નારાયણની સંપૂર્ણ ક્રાન્તિનો પડકાર. વડા પ્રધાન ઇન્દિરા ગાંધીનું આપખુદી શાસન નિશાને ચડ્યું. લગભગ તમામ રાજ્યોમાં ખેત ચળવળ હતી. સી.પી.આઇ. (એમ.એલ.)ના નેતૃત્વ હેઠળ બિહારમાં જમીન આંદોલન અને 1967થી 1969માં નક્સલબારીના પગલે 346 બનાવો બન્યા. લગભગ આ જ ગાળામાં દલિત યુવાનોની પહેલી શિક્ષિત પેઢી ભેંકાર ભાવિ જોતી હતી. અનામત મળ્યાના નામે અપમાનિત થતા હતા પણ એ અનામતના લાભ હજી સુધી દેખાયા ન હતા. અમેરિકામાં બ્લેક યુવાવર્ગના બ્લેક પેંથર્સના પગલે દલિત પેંથર્સનો ઉદય થયો. રાજકારણની નાદારીથી કંટાળેલા નામદેવ ઢસાળ અને જે.વી. પવાર જેવા યુવાનોએ કમર કસી. કોલેરાનો રોગચાળો ડામવા દેવીને રિઝવવા કરાયેલા દલિત નરબલિની સામે “કાળો સ્વાતંત્ર્ય દિન” મનાવાયો. દલિત સ્ત્રીઓની નગ્ન પરેડ સામે રાજા ઢાલેએ રાષ્ટ્રધ્વજ પર પ્રશ્નાર્થ કર્યો. વિશ્વના તમામ શોષિતોની જેમ દલિતો વિદ્રોહી માર્ગે સંગઠિત થઇ રહ્યા હતા. દલિત પેંથર્સ અસ્તાચળે હતું ત્યાં કાંશીરામ “બહુજન ઓળખ” લઇને આવ્યા. પ્રજ્ઞા, શીલ, કરુણા (વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ), ચારિત્ર્ય (સ્વયંશિસ્ત) અને અનુકંપા (સમાનતા) જેવા સિદ્ધાંતો પર રચાયેલા બૌદ્ધ ધર્મના અનુયાયીઓએ અલગ સાંસ્કૃતિક ઓળખ ઊભી કરી. આંબેડકર જયંતી, બુદ્ધ જયંતી, દલિત મેળાવડા, નવા પ્રકારનાં ગીતો, નાટકો, દીક્ષાભૂમિ ખાતે ઉત્સવો, માનવ હક દૃઢ કરતા મહાડ સત્યાગ્રહની ઉજવણી, આંબેડકરની સ્તુતિ કરતાં ગીતો, બ્રેસ્લેટ, નેકલેસ, પોશાક, ધ્વજ-પતાકા અને અઢળક સાહિત્ય બહાર આવ્યું. ત્યાગ અને મુક્તિની વાત કરતા આ ધર્મથી સાંસ્કૃતિક ઓળખ ઊભી થઇ પણ ધર્માંતરમાં આંબેડકરની વિચારધારા અપેક્ષિત હતી એવો ઉદ્દામવાદી બદલાવ આમાં કેટલો? બૌદ્ધર્મ પછી પણ પેટાજાતિની ઓળખ તો સાથે રહી જ ગઇ. બીજી બાજુ હિન્દુ રૂઢિચુસ્તો બૌદ્ધ ધર્મને હિન્દુ ધર્મની એક શાખા જ ગણતા હતા. જેટલો રોષ તેમને ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્માંતર સામે હતો એટલો બૌદ્ધ ધર્મ સામે ન હતો. દલિતોના બૌદ્ધ ધર્માંતરથી તો તેમને રાહત હતી.  

આવી પરિસ્થિતિમાં કાંશીરામ બહુજન નીતિથી સત્તા હાંસલ કરવાના વ્યૂહ સાથે આવ્યા. કાંશીરામના હાથે આઇડેન્ટીટીનું રાજકારણ ચરમસીમાએ પહોંચ્યું. 1990માં નીઓ-લિબરાલીઝમ આવ્યું. આના પગલે નીચલો વર્ગ વિવિધ પ્રકારની કટોકટીમાં ભીંસાયો. અને આની સામે ઓળખનું રાજકારણ હાથ વગુ થયું. આ અનુઆધુનિક સ્તિથિથી મુંઝાયેલા લોકો ઓળખ ઊભી કરવા ફાંફે ચડ્યા. અને આવી માયાજાળમાં જાતિ નિર્મુલનનો ઉદ્દેશ સાવ વિસરાઇ ગયો. ઓળખ ઊભી કરવા તત્પર લોકોએ તો એવો વિરોધાભાસી દાવો કર્યો કે જાતિ નાશ કરી શકાતી ન હોય તો તેને માધ્યમ બનાવવી જોઇએ. અને આ સિદ્ધાંત તો લોકશાહીના સિદ્ધાંતથી તદ્દ્ન વિપરીત છે. આનાથી જાતિ એક કુંડાળમાં જતી રહેશે. તેનું વિસ્તરણ અટકશે અને લોકશાહી રચતા રાજકીય જોડાણો કુંઠિત થશે. આનાથી  આંતરિક અભિમુખતા વધતી જાય છે અને વાસ્તવિકતાનો સામનો કરવાની તેના ક્ષમતા ઓછી થતી જાય છે.     

આઇડેન્ટ્ટી પોલિટિક્સ સમાનતાના ભોગે ઊભું થાય છે. તે બૌદ્ધિકરીતે અપ્રગતિકારક છે અને રાજકીય આત્મઘાત છે. ઊંચનીચની વ્યવસ્થાને પુન:જીવિત કરીને નીચલા વર્ગોને ઉદ્દામવાદી ચળવળથી દૂર રાખવાનો મુખ્ય ઉદ્દેશ છે. જાતિનું ભૂત વર્ગ આધારિત રાજકારણના વિકલ્પથી જ ભાગશે. આ રોગનો ઇલાજ કરવાનો માર્ગ ભૂતકાળમાં જડ્યો નથી.

ભારતના અર્થતંત્રની દિશામાં જતા લેખક કહે છે, જુલાઇ 1991માં ભારત સરકારે નિઓલિબરલ આર્થિક સુધારા અપનાવ્યા. બીજા વિશ્વયુદ્ધ પછી મિશ્ર અર્થતંત્ર આવ્યું અને ખાનગી ઉદ્યોગો અને નિરંકુશ બજારની હિમાયત થઇ. રાજ્યએ રૂઢિગત જાહેર સેવામાં કાપ મુક્યા. ખાનગી ઉદ્યોગો વધ્યા. બહુમતી વર્ગની પરવા કર્યા વગર ભદ્રલોકની સેવા કરવામાં રાજ્ય પ્રતિબદ્ધ થયું. આંતરરાષ્ટ્રીય અનુભવોમાં પણ નિઓલિબરાલીઝમથી દરેક ક્ષેત્રમાં અસમાનતા વધી હોવાનું પુરવાર થયું છે. આમાં સંવિધાન અકબંધ રહ્યું પણ દેશ નિઓ લિબરલ બન્યો અને વંચિતો તરફ થોડીઘણી નિસબત હતી તે મરી પરવારી. નિઓલિબરાલીઝમમાં પ્રાથમિક શિક્ષણ તબક્કે જ ખાનગીકરણ પ્રવેશ્યું. અને સરકારી શાળાઓને ભંડોળ બંધ થયા. શિક્ષણમાં તમામ કક્ષાએ ખાનગી ભાગીદારી આવી અને સરકારી શિક્ષણની તકો ઘટી. શાળા શિક્ષણ સામાન્ય દલિતના ગજા બહાર ગયું. માતાપિતાના વર્ગ-વર્ણ દરજ્જા અનુસાર શિક્ષણ મળે તેવી સ્થિતિ ઊભી થઇ. દલિતોમાં પણ શિક્ષણથી આગળ વધેલા લોકો અને બાકીના વચ્ચે વર્ગભેદની સ્થિતિ ઊભી થઇ. ખાનગી ઉદ્યોગો માટે અવકાશ ઊભો કરવા ગ્રામીણ શિક્ષણ પદ્ધતિ સમજી વિચારીને ખતમ કરી. ઉચ્ચતર શિક્ષણ આપતી શૈક્ષણિક સંસ્થાઓ સરકારી ભંડોળ પર નહિ પણ, ખર્ચ-વસૂલાતના સિદ્ધાંત પર કામ કરે છે. 

પશ્ચિમી ઉદારમતવાદી મૂલ્યો દલિત ચળવળને ઘણા માફક હતા એમ કહેવું જરા ય અતિશયોક્તિપૂર્ણ નથી. હાલનું ઉદારમતવાદી મોડેલ લોકશાહી વિચારધારાને અનુરૂપ નથી. સમગ્ર વિશ્વમાં આતંકવાદના નામે લોકોના મૂળભૂત હકો દબાવી દેવા સરળ બન્યા છે. ભારતમાં માઓવાદી કે આતંકવાદી કહીને અત્યાચારના વધતા જતા બનાવો સામે દલિતો, આદિવાસીઓ અને લઘુમતીઓનો અવાજ દબાવી દેવામાં આવે છે. આ બધું લોકશાહીનું મ્હોરું પહેરીને જ કરવામાં આવે છે. WTO, IMF અને વિશ્વ બેન્ક જેવા વૈશ્વીકરણના ત્રણ આધાર સ્તંભો વૈશ્વિક શાસન સંસ્થાનની જેમ કામ કરે છે. મૂડીવાદની આધુનિક અસર હેઠળ જાતિવિહીન સમાજરચના થવાને બદલે જાતિ પોતે નવા વાતાવરણમાં ગોઠવાઇ ગઇ છે. મૂડીવાદના નવા વર્ઝન સમા નિઓલિબરાલાઝમે મૂલ્યવિહોણી પરંપરા માટે રસાળ ભૂમિ પૂરી પાડી છે. 

દલિત રાજકારણથી નારાજ લેખક લખે છે, આવા જ વાતાવરણમાં દલિત રાજકારણની નિષ્ફળતાના પગલે બિન સરકારી સંગઠનો પ્રવેશ્યા. દલિત રાજકારણીઓની નિષ્ફળતા અને વિશ્વાસઘાતથી ઊભા થયેલા અવકાશમાં બિન સરકારી સંગઠનો માટે કામ કરતા યુવાનો સરળતાથી લોક વિશ્વાસ જીતી શક્યા. અને આ સંગઠનો તેમના વતી લડતા હોવાનું ચિત્ર ઊભું થયું. દલિતોની સમસ્યાઓ માટે આવી જ સંસ્થાઓ સરકાર સુધી જતી અને પ્રસંગોપાત સ્થાનિક યુવાનોને કામ આપતી. ધીમે ધીમે રાજકીય પ્રવૃત્તિઓના સ્થાને બિન સરકારી સંગઠનોની પ્રવૃત્તિઓ વધતી ગઇ. ધાર્મિક સખાવતો સ્વરૂપે સ્વૈચ્છિક સંગઠનો અને મિશનરી સંશ્થાઓ તો હતી જ. એ પછી વિકાસલક્ષી સંગઠનો આવ્યા, નાગરિક સંગઠનો આવ્યા, વર્લ્ડ સોશિયલ ફોરમ જેવા નવા માળખાએ લોકોમાં રોષ સમાવવાની નવી ભૂમિકા ભજવી. સામાજિક ઉદ્દામ પરિવર્તનની સામે શાંતિપૂર્ણ ઉકેલની વાત કરી. બીજી બાજુ શિક્ષણથી પ્રગતિ સાધીને ઊભા થયેલા મધ્યમ વર્ગને રાજકારણીઓ કરતાં આ સંગઠનો વધુ હિતકારી લાગ્યા. અને ઉદ્દામ ડાબેરી હોવાનો પ્રભાવ પણ એમાં હતો. કાઁગ્રેસની મર્યાદા સામે હિન્દુત્વવાદી બળોને દલિતોનું મહત્ત્વ સમજાયું અને તેમણે દલિતોને રિઝવવાના ખંતપૂર્વક પ્રયત્નો આદર્યા. આર.એસ.એસ.ની સમરસતા અને આંબેડકરની સમતા વચ્ચે ભેદ પારખી ન શકતા કેટલાક દલિત બુદ્ધિજીવીઓ પણ આ પ્રવાહમાં આવી ગયા. 

ઊભી થયેલી હાલની આ સ્થિતિને પૂરક ઇતિહાસમાં જતા લેખક કહે છે, કાઁગ્રેસે ખેડૂતોને લાભદાયી હરિતક્રાંતિની મૂડીવાદી વ્યૂહનીતિ અમલમાં મૂકેલી. તેની પરિણામે થોડાંક જ વખતમાં ગ્રામીણ ભારતની કાયાપલટ થઈ, ગામડાઓમાં મૂડીવાદ ઊભો થયો અને ઉદ્યોગો માટે કૃષિ ઉત્પાદકતા વધી. તેમાં દલિત, જમીન વિહોણા ખેતમજૂરો ગ્રામીણ અકુશળ શ્રમિકોની સ્થિતિએ પહોંચ્યા. જમીન સુધારા દરમિયાન બ્રાહ્મણ જમીનદારો શહેરો તરફ વળ્યા. અને તેમની બ્રાહ્મણવાદી સત્તા શુદ્ર ખેડૂતોને સોંપતા ગયા. આ નવા સમૃદ્ધ શુદ્ર ખેડૂતોમાં શિષ્ટાચારનો અભાવ હતો. સમાજને તાબે કરવાનો સદીઓ જૂનો અનુભવ ન ધરાવતા આ શૂદ્ર ખેડૂતોએ વેતન વિરુદ્ધ મૂડીવાદના દોરમાં નવી રીતે અત્યાચારો શરૂ કર્યા. ખેલરાંજીમાં બનેલી ઘટના આ જ સ્થિતિની નિપજ છે.

ગ્રામીણ ભારતમાં હજી અત્યાચારના બનાવો છે અને બીજી બાજુ આંબેડકર માટે શાસક વર્ગનો ખોટો દેખાડો છે અને અનામત મુદ્દે મીઢું મૌન છે. ઉજળિયાતોને 10 ટકા અનામતથી, જાતિ વ્યવસ્થા સામે અનામત વ્યવસ્થા તરફનો હિન્દુત્વવાદીઓનો વિરોધ પુરવાર થઇ ગયો છે. ગુજરાતમાં ભા.જ.પ.ના શાસનકાળમાં દલિતો પર અત્યાચારના કેસની સંખ્યા ચડતા ક્રમે છે. ઉનાકાંડ તેનો પુરાવો છે. સદીઓ જૂના સફાઇકામના વ્યવસાયમાં વાલ્મીકિ સમુદાયની આધ્યાત્મિક અનુભૂતિ નિહાળતા વડા પ્રધાન વર્ણાશ્રમ તોડવાના બદલે દૃઢ કરવાની ખેવના રાખતા હોવાની ખાતરી પાકી થાય છે. 

દલિતોના આત્મસન્માન સમા ભીમા કોરેગાંવના ઇતિહાસને ભૂંસી નાખવાની નેમથી નિર્દોષ દલિત બૌદ્ધિકો, કર્મશીલો, કલાકારોની ધરપકડ, રોહિત વેમુલ્લાની આત્મહત્યાને દબાવી દેવાના પ્રપંચથી આંબેડકરી વિચારધારા ખતમ કરવાનો શાસક પક્ષનો મનસૂબો પાકો થાય છે. આ તમામ વરવી વાસ્તવિકતાઓથી વાકેફ લેખક આનંદ તેલતુંબડે કહે છે, લોકોને કોમવાદી બનાવવામાં મોદી સરકારે કરેલા નુકસાનની ભરપાઇ થઇ શકે તેમ નથી. “એક પ્રજા, એક દેશ, એક નેતાના” હિટલરના નારામાં “એક ધર્મ (હિન્દુ ધર્મ), એક ચુસ્ત સમાજ વ્યવસ્થા (વર્ણાશ્રમ) અને એક ભાષા (હિન્દી)” નું સ્વપ્ન સાકાર કરવાની દિશામાં દોડતા ભા.જ.પ.થી તેઓ ચિંતિત છે.

e.mail : sanita2021patel1966@gmail.com

Loading

...102030...181182183184...190200210...

Search by

Opinion

  • ગઝલ
  • સુરત મહાનગરપાલિકાને –
  • MET Gala 2026: સૉફ્ટ પાવરના મંચ પર ભારતનો ‘આર્કટેક્ચરલ’ વિજય
  • ચલ મન મુંબઈ નગરી—340
  • ગુજરાત UCCમાં સ્ત્રી  

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ
  • મિસ્ટર આંબેડકર અને આંબેડકર કોણ હતા

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved