Opinion Magazine
Number of visits: 9842716
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

સોનલ પરીખ|Opinion - Opinion|10 September 2025

મારિયા મોન્ટેસોરી અને ગિજુભાઈ આ બંને બાળકોને આકંઠ ચાહતાં શિક્ષણવિદો ‘ચાઇલ્ડ ઈઝ બોથ અ હોપ એન્ડ અ પ્રોમિસ ફૉર મેનકાઈન્ડ’ આ સૂત્રને જીવી ગયાં હતાં. કહેતાં કે ‘ઘરમાં અને શાળામાં બાળક પાસેથી જે પૂર્ણ આજ્ઞાંકિતતાની અપેક્ષા રખાય છે તે તદ્દન બિનુપયોગી, અતાર્કિક અને બાળકના સાહસ–સર્જનશીલતાને છીનવી લેનારી છે.’

મારિયા મોન્ટેસોરી

ઓગણીસમી સદીનું યુરોપ એટલે જેન્ડર બાયસનેસ – લિંગપૂર્વગ્રહનો જમાનો. ઇટલીમાં જન્મેલી મારિયાએ તો પણ એન્જિનિયર બનવાનું સ્વપ્ન જોયું. શાળાજીવન પૂરું થયું ત્યારે સ્વપ્ન બદલાઈ ગયું હતું. હવે એ ડૉક્ટર બનવા માગતી હતી. માબાપે કહ્યું કે છોકરીઓને માટે તો શિક્ષિકા બનવું વધારે સારું, પણ મારિયા માની નહીં. યુનિવર્સિટી ઑફ રોમની એ પહેલી મહિલા વિદ્યાર્થિની હતી. લિંગભેદના તીવ્ર અનુભવોમાંથી પસાર થઈ તે ડૉક્ટર બની, પણ તેનું ખરું કાર્યક્ષેત્ર બન્યું બાળકેળવણી. ડૉ. મારિયા મોન્ટેસોરીએ વિકસાવેલી શિક્ષણપદ્ધતિ દુનિયાભરમાં શ્રેષ્ઠ મનાય છે. એમનો જન્મદિન 31 ઓગસ્ટના દિવસે છે અને 5 સપ્ટેમ્બરે શિક્ષકદિન છે એ નિમિત્તે એમણે અને મહાત્મા ગાંધીએ જેમને ‘મૂછાળી મા’નું બિરુદ આપેલું તે ગિજુભાઈને સ્મરણવંદન કરીએ. 

1898માં એક ડૉક્ટર સાથેના પ્રણયથી મારિયાને એક પુત્ર થયો. લગ્ન કરે તો કામ છોડવું પડે – પ્રેમીઓએ આજની ભાષામાં કહીએ તો ડિસ્ટન્ટ રિલેશનશિપ રાખી અને અન્યને ન પરણવાનું નક્કી કર્યું, પણ પ્રેમી પુરુષ પરિવાર અને સમાજના દબાણથી પરણી ગયો. મારિયા દીકરાને લઈને હોસ્પિટલ ક્વાર્ટરમાં રહેતી, પણ કુંવારી મા હોવાને લીધે તેને પુત્ર કોઈને સોંપવો પડ્યો. થોડાં વર્ષ પછી પુત્ર મારિયો તરુણ બન્યો ત્યારે મા-દીકરો સાથે રહેવા પામ્યાં. મારિયોએ માતાને સંશોધનકાર્યમાં ખૂબ મદદ કરી હતી. 

આ તો થઈ અંગત વાત. માનસિક અક્ષમ બાળકોને ભણાવતા શિક્ષકોને તાલીમ આપતી ઓર્થોફેનિક સ્કૂલમાં કો-ડિરેક્ટર બન્યા પછી મારિયાને બાળશિક્ષણમાં વધુ સક્રિય થવાની ને શિક્ષણપદ્ધતિ સુધારવાની તક મળી. શ્રેષ્ઠ શિક્ષણપદ્ધતિ શોધવા મારિયા આખો દિવસ કામ કરે અને રાતે નોંધો લખે. સાથે માનવવિજ્ઞાન અને શિક્ષણફિલોસોફીનો અભ્યાસ ચાલે. કામે જતાં માબાપો ઘરમાં ઉધામા કરતાં બાળકોને વ્યસ્ત કેવી રીતે રાખવાં તે મારિયાને પૂછતાં. ગરીબ માબાપોનાં બાળકો માટેનાં કેન્દ્રો મારિયાએ ખોલ્યાં. આવું પહેલું ચિલ્ડ્રન્સ હાઉસ તેણે 1907માં ખોલ્યું. ‘પ્રતિભાવ બહુ પ્રોત્સાહક ન કહેવાય. પણ મને અંદરથી લાગતું હતું કે એક દિવસ મારા વિચારોને આખી દુનિયા માનશે.’ મારિયા લખે છે.  

મારિયા માનતાં કે બાળક ખૂબ આદરને પાત્ર છે કેમ કે તે નિર્દોષતામાં આપણાથી અનેકગણું ચડિયાતું છે અને તેણી પાસે ભવિષ્યની શક્યતાઓ પણ આપણા કરતાં અનેકગણી વધારે છે. શિક્ષણનો હેતુ બાળકને શાળા માટે નહીં, જીવન માટે તૈયાર કરવાનો છે. જો બાળકને તેના કુદરતી વિકાસને સહાયક એવું વાતાવરણ મળે તો તે જાતે જ પ્રસન્નતાપૂર્વક નવું નવું શીખે છે. ઘરમાં અને શાળામાં બાળક પાસેથી જે પૂર્ણ આજ્ઞાંકિતતાની અપેક્ષા હોય છે તે તદ્દન બિનુપયોગી, અતાર્કિક અને બાળકના સાહસ-સર્જનશીલતાને છીનવી લેનારી છે.

એમણે બાળકનો સર્વાંગી વિકાસ કરતી શિક્ષણસામગ્રી બનાવી હતી. શિક્ષકોને આ નવી પદ્ધતિની તાલીમ આપતો અભ્યાસક્રમ તેઓ ચલાવતાં. 1911-12માં અમેરિકામાં આ પદ્ધતિ લોકપ્રિય બની અને મોન્ટેસોરી શાળાઓ ખૂલી. એક શાળા, ટેલિફોનના શોધક એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલના કેનેડિયન ઘરમાં પણ ખૂલી હતી. પરંપરાગત શિક્ષણશાસ્ત્રીઓએ વિરોધ તો ઘણો કર્યો, છતાં ધીરે ધીરે દુનિયાના ઘણા દેશો મોન્ટેસોરી પદ્ધતિ અપનાવતા ગયા. 

મોન્ટેસોરી શાળાઓમાં અમુક કલાક એવા હોય છે જેમાં બાળકો શિક્ષકોની ખલેલ વગર પોતાની મેળે પ્રવૃત્તિ કરે. ખંડમાં ચિત્ર, સંગીત, વાંચન, હસ્તકામ વગેરેની સામગ્રી બાળક પોતે લઇ શકે એ રીતે મુકાયેલી હોય. તેનો ઉપયોગ શિક્ષકે પહેલા બાળકોને બતાવ્યો હોય એટલે બાળક પોતાની પસંદગીનું કામ, સમજીને હાથમાં લે. મોન્ટેસોરી પદ્ધતિ માને છે કે બાળકમાં છુપાયેલી શક્તિને બહાર કાઢે તે શિક્ષણ સાચું અને સાચા શિક્ષણનો માપદંડ બાળકની પ્રસન્નતા. બાળકને પ્રોત્સાહન અને શાબાશી આપવાં, સજા કે ઈનામ નહીં કેમ કે સજા-ઈનામ બાળકને ગુલામ બનાવે છે અને તેને શીખવાના, જાતે કરવાના આનંદથી દૂર કરે છે. 

મોન્ટેસોરી પદ્ધતિથી ચાલતાં બાલમંદિરોમાં જઈએ તો ત્રણચાર વર્ષનાં બાળકો હાથમોં ધોતાં-લૂછતાં, માથું ઓળતાં, આસન પાથરીને બેસતાં, એપ્રન પહેરીને નાસ્તો પીરસતાં, કચરો વળતાં, વાસણ ધોતાં, રંગો-પીંછીઓ વગેરે વ્યવસ્થિત કરતાં, ગીતો ગાતાં, વાર્તાઓ કહેતાં, ગણતાં, આકાર-રંગ-અક્ષર ઓળખતાં, છોડને પાણી પાતાં, એકબીજાને મદદ કરતાં અને સંપીને રમતાં જોઈને ખુશ થઈ જવાય. બાળક નાનુંમોટું જે પણ કરે છે તેમાં તે પોતાને વ્યક્ત કરતું હોય છે. શિક્ષકની ભૂમિકા બાળકને શીખવવા કરતાં શીખવામાં રસ લેતું કરવાની વધારે હોય છે અને જે કામ પોતે કરી શકશે એમ બાળકને લાગતું હોય તેમાં તેને મદદ કરવા ન જવું એવું શિક્ષકને સમજાવેલું હોય છે.

ભારતમાં 1913થી મોન્ટેસોરી પદ્ધતિ પ્રત્યે રસ જાગ્યો હતો. ભારતના કેટલાક વિદ્યાર્થીઓ ઇટલી જઈને મોન્ટેસોરીનો કોર્સ કરી આવ્યા હતા. 1926માં ભારતમાં મોન્ટેસોરી સોસાયટી સ્થપાઈ. 1927થી હિન્દી, ગુજરાતી જેવી ભાષાઓમાં આ પદ્ધતિ શીખવવા માંડી. મારિયા ભારતમાં ગરીબોના શિક્ષણ માટે કામ કરતી થિયોસૉફિકલ સોસાયટી સાથે પણ જોડાયેલાં હતાં અને વિશ્વયુદ્ધ દરમિયાન થોડાં વર્ષ ભારતમાં રહ્યાં હતાં. 

ગિજુભાઈ બધેકા

મારિયા મોન્ટેસોરીના શતાબ્દીવર્ષે ભારતે ટપાલટિકિટ બહાર પાડી હતી. નેધરલેન્ડ્સ, ઇટલી, માલદીવ, પાકિસ્તાન અને શ્રીલંકામાં પણ મોન્ટેસોરીના નામની ટપાલટિકિટ બહાર પડી છે. તેઓ નોબેલ શાંતિ ઈનામ માટે ત્રણ વાર નોમિનેટ થયાં હતાં.

ઇટલીમાં મારિયા મોન્ટેસોરીના જન્મ પછી પંદર વર્ષે ભારતના ગુજરાત રાજ્યમાં, અમરેલી તાલુકાના ચીતલ ગામે એક બાળકનો જન્મ થયો. નામ પાડ્યું ગિરજાશંકર. આપણે એને ગિજુભાઈના નામે ઓળખીએ છીએ. તેજસ્વી ગિરજાશંકર બાપદાદાના ગામ વળામાં ઊછર્યા અને સમય જતાં વકીલ થયાં. 1913માં એમને ત્યાં પુત્ર નરેન્દ્રનો જન્મ થયો. એની કેળવણીના પ્રશ્ને ગિજુભાઈ ખૂબ મૂંઝાતા. સ્વાનુભવ, આસપાસની શિક્ષણસંસ્થાઓ અને બાળકોની સ્થિતિ જોઈ અકળાતા અને પુત્રને એમાંથી મુક્ત રાખવા ઇચ્છતા. એક તબક્કે તો નક્કી કરી લીધું કે મારા દીકરાને હું પોતે ભણાવીશ અથવા તેને અભણ રહેવા દઇશ પણ આ બધામાં નહીં નાખું.

એ અરસામાં તેમણે વસોમાં મોન્ટેસોરી કાર્ય કરતાં મોતીભાઈ અમીનને મળવાનું થયું. મોતીભાઈએ એમની મૂંઝવણ દૂર કરવા કેટલાંક પુસ્તકો વાંચવા આપ્યાં જેમાં ડૉ. મારિયા મોન્ટેસોરીનાં પુસ્તકો પણ હતાં. એ વાંચીને ગિજુભાઈને બાળકેળવણીનો સાચો રસ્તો મળ્યો. 

ગિજુભાઈના મામા હરગોવિંદદાસે ભાવનગરમાં દક્ષિણામૂર્તિ વિદ્યાભવનની શરૂઆત કરી હતી. નાનાભાઈ ભટ્ટ પ્રોફેસરપદને તિલાંજલિ આપી તેમ જોડાયા હતા. ગિજુભાઈ વકીલાત છોડી દક્ષિણામૂર્તિમાં શિક્ષક તરીકે જોડાયા, પણ એમાં એમને સંતોષ ન થયો. મનમાં મોન્ટેસોરી પદ્ધતિ રમતી હતી. બાલ્યાવસ્થાના સંસ્કાર જીવનભર ટકે છે એવું દૃઢપણે માનતા ગિજુભાઈએ 1920માં બાલમંદિર ખોલ્યું. પછી તો આ બાલમિત્ર મન મૂકીને બાળકેળવણીના પ્રયોગો કરતા રહ્યા. માતાપિતાને અને શિક્ષકોને માર્ગદર્શન આપતાં અનેક પુસ્તકો લખ્યાં. તેમની પાસેથી સાચું અને ખૂબ સમૃદ્ધ બાળસાહિત્ય ગુજરાતને મળ્યું. આપણામાંથી ભાગ્યે જ કોઈ એવું હશે જેણે ગિજુભાઈની વાર્તાઓ ન માણી હોય. તેમનું એક પુસ્તક વાર્તાના શાસ્ત્ર વિષે છે. ઘરમાં ઉછરતાં બાળકને યોગ્ય વાતાવરણ મળે એવો એમનો સતત આગ્રહ રહેતો. માબાપોને માર્ગદર્શન આપતાં પુસ્તકો પણ તેમણે લખ્યાં. 

‘ચાઇલ્ડ ઈઝ બોથ અ હોપ એન્ડ અ પ્રોમિસ ફૉર મેનકાઈન્ડ’ આ સૂત્ર મારિયા મોન્ટેસોરીએ આપ્યું અને તે અને ગિજુભાઈ તેને જીવી ગયા. બાળકને પ્રેમ કરવો એટલું પૂરતું નથી, તેને આદર અને મોકળાશનું વાતાવરણ માબાપે અને શિક્ષકે આપવાનું હોય છે. એટલું જ નહીં એમણે પોતે પણ બાળક પાસેથી ઘણુંબધું શીખવાનું હોય છે. માબાપો અને શિક્ષકનું ખરું ઘડતર બાળકના હાથે જ થાય છે. બર્ટ્રાન્ડ રસેલ તો ત્યાં સુધી કહે છે કે શિક્ષકો અને શિક્ષણસંસ્થાઓની ચુંગાલમાંથી છૂટ્યા પછી જ માણસનો સાચો બૌદ્ધિક વિકાસ શરૂ થાય છે. આવા મહાનુભાવોને યાદ કરીને આપણે આપણા ઘરમાં ઉછરતા બાળકને આપણા ગુરુ બનાવી શકીશું તો આપણું વડપણ અને એમનું બાળપણ બેઉ સાર્થક થશે. 

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 31 ઑગસ્ટ  2025

Loading

કોર્ટને કોર્પોરેટ કંપનીનું હિત દેખાય છે, જાહેરહિત દેખાતું નથી ! 

રમેશ સવાણી|Opinion - Opinion|10 September 2025

રમેશ સવાણી

અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય સામે ઇજારાશાહી / સત્તા / રાજદ્રોહ / ગુપ્તતા / સેન્સરશિપ / અશ્લીલતા / ધારાસભા-સંસદના વિશેષાધિકારો / કોર્ટનો તિરસ્કાર / વૈચારિક સરમુખત્યારશાહી / રુઢિચુસ્તતા / બદનક્ષી વગેરે અવરોધો છે. 

સત્તાપક્ષના નેતાઓ / કોર્પોરેટ ઉદ્યોગ ગૃહોને અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય ગમતું નથી, કેમ કે તેમનો ભ્રષ્ટાચાર / ગેરરીતિઓ ખૂલ્લી ન પડે તે માટે તે ચિંતિત હોય છે. ઉદ્યોગ ગૃહો પાસે નાણા હોવાથી વકીલો રોકી શકે છે અને કોર્ટ સમક્ષ પત્રકારો / મીડિયા સામે બદનક્ષીનો દાવો કરીને, સ્ટે મેળવીને તેમને મૂંગા કરી શકે છે. 

6 સપ્ટેમ્બર 2025ના રોજ દિલ્હી રોહિણી કોર્ટના સ્પેશિયલ સિવિલ જજ અનુજકુમાર સિંહે પત્રકાર પરંજોય ગુહા ઠાકુરતા / રવિ નાયર / અબીર દાસગુપ્તા / અયસકાંત દાસ / આયુષ જોશી અને વેબસાઇટ્સ paranjoy.In / adaniwatch.org / adanifiles.com.auને અદાણી એન્ટરપ્રાઇઝ વિશે બદનક્ષીકારક સામગ્રી પ્રકાશિત નહીં કરવા હુકમ કર્યો છે. પ્રકાશિત થયેલ સામગ્રી પાંચ દિવસની અંદર સોશિયલ મીડિયા પોસ્ટમાંથી દૂર કરવા આદેશ કરેલ છે.

અદાણી એન્ટરપ્રાઇઝ એ ​​અદાણી ગ્રુપની મુખ્ય કંપની છે. અદાણી એન્ટરપ્રાઇઝે કોર્ટ સમક્ષ કહ્યું હતું કે “પત્રકારો, કાર્યકરો અને સંગઠનોએ કંપનીની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડ્યું છે અને તેના હિસ્સેદારોને અબજો ડોલરનું નુકસાન પહોંચાડ્યું છે. પત્રકારો અને કાર્યકરો ભારત વિરોધી હિતો સાથે જોડાણ કરી રહ્યા છે અને છૂપા હેતુઓ સાથે કંપનીની માળખાગત સુવિધાઓ અને ઊર્જા પ્રોજેક્ટ્સને સતત નિશાન બનાવી રહ્યા છે. તેમની દખલગીરીને કારણે વિકાસ પાછળ ધકેલાઈ ગયો છે. માનહાનિકારક કાર્યવાહીના કારણે પણ અદાણી ગૃપની બેલેન્સ શીટ્સ પર દબાણ આવ્યું હતું. ઉત્સર્જન અને ગ્રેટ બેરિયર રીફને નુકસાન અંગે સતત વિરોધને કારણે ધિરાણકર્તાઓ, વીમા કંપનીઓ અને એન્જિનિયરિંગ કંપનીઓ ડરી ગઈ હતી. અદાણી એન્ટરપ્રાઇઝની વૈશ્વિક પ્રતિષ્ઠાને કલંકિત કરવાના પ્રયાસોને કારણે ભંડોળ એકત્ર કરવાની તેની ક્ષમતામાં વારંવાર અવરોધ આવ્યો હતો.”

કોર્ટે કહ્યું હતું કે “જો અદાણી એન્ટરપ્રાઇઝ દ્વારા માંગવામાં આવેલી રાહતોને નકારવામાં આવે તો, કંપનીને વધુ પ્રતિષ્ઠાનું નુકસાન થશે.”

અફસોસ ! કોર્ટને કોર્પોરેટ કંપનીનું હિત દેખાય છે, જાહેર હિત દેખાતું નથી ! નાણાં હોય તો તમે સરકારી અધિકારીઓ / સત્તાપક્ષના અને વિપક્ષના નેતાઓ/  કોર્ટ / એક્ટિવિસ્ટો / ધર્મગુરુઓ / ફિલ્મ-ડાયરા કલાકારોને ખરીદી શકો છો ! પત્રકારોને પણ ખરીદી શકો છો. કેટલાંક ખરીદી શકાય નહીં તેવા પત્રકારોને બદનક્ષીના હથિયાર વડે કોર્ટના સૌજન્યથી ચૂપ કરાવી શકો છો ! જો કોર્પોરેટ કંપની સાચા રસ્તે ધંધો કરતી હોય તો પત્રકારો, કાર્યકરો અને સંગઠનો કઈ રીતે કંપનીની પ્રતિષ્ઠાને નુકસાન કરી શકે? 

[કાર્ટૂન સૌજન્ય : સતીષ આચાર્ય]
09 સપ્ટેમ્બર 2025. 
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?

પ્રકાશ ન. શાહ|Gandhiana, Opinion - Opinion|10 September 2025

‘હું પંજાબ જાઉં અને ત્યાંના લોકોને મદદ કરી શકું એમ લોકો ઇચ્છતા હોય, તો હું વહેલામાં વહેલી તકે ઉપવાસ છોડી શકું તેમ તેમણે કરવું જોઈશે.’

15 ઓગસ્ટ, 1947એ કોલકાતામાં ઉપવાસ પર બેઠેલા ગાંધીજી અને સુહરાવર્દી

કોલકાતા જવાનું એકથી વધુ વખત બન્યું હશે. શાલેય દિવસોના કંઈક ઉપાસ્યવત પરમહંસદેવ અને વિવેકાનંદના સ્મરણવશ દક્ષિણેશ્વર ને બેલૂર મઠ જવાનું ચહીને બન્યું છે. એટલું જ ચહીને સુપ્રતિષ્ઠ કાલી મંદિર, કેમ કે ત્યાં પશુબલિ આજે પણ જારી છે, નહીં જવાનુંયે બન્યું છે. રવિ ઠાકુરના પરંપરીણ ઘરથી કોલકાતા વટી શાંતિનિકેતની યાત્રાનોયે લહાવ લીધેલ છે, તો ભવાનીપુર વિસ્તારમાં રહ્યો ને એલ્જિન રોડ પર નેતાજીના સ્થાનકે નહીં પહોંચી શક્યાનો એક વસવસો પણ છે.

પ્રકાશ ન. શાહ

પણ 2002માં મહેન્દ્ર મેઘાણી થકી સંકલિત ‘આંસુ લૂછવા જાઉં છું’ વાંચવા-સાંભળ‌વાનું બન્યું ત્યારથી ચિત્તમાં એક ફરિયાદ રહી છે કે હૈદરી મંઝિલે હૃદયકુસુમ ધરવાનું રહી ગયું છે.

‘આંસુ લૂછવા જાઉં છું’ એ મૂળે તો આપણા સમયના મહાભારતો ………. એવા ‘લાસ્ટ ફેઝ’(પ્યારેલાલ)ના ગુજરાતી અનુવાદ ‘પૂર્ણાહુતિ’(મણિભાઈ દેસાઈ)ના 2100 જેટલાં પાનાંમાંથી ગાંધીજીના જીવનના આખરી પંદર મહિનાનું બયાન છે, જ્યારે કોમી દાવાનળ ઠારવા બંગાળ, બિહાર, પંજાબમાં ગાંધીજીએ એકલવીરની જેમ આત્મબળથી ઝૂઝી વીરમૃત્યુ વહોર્યું હતું.

નોઆખલીના આતંક વચાળે અભયપૂર્વક વિચરતા ગાંધીએ ચૌમુહાની પ્રાર્થાનસભામાં કહ્યું હતું કે અહીં જે બન્યું તે ઈસ્લામના નામ પર કલંકરૂપ છે. વળી ઉમેર્યું હતું કે ‘પૂર્વ બંગાળમાં મુસલમાનો એટલી મોટી બહુમતીમાં છે કે તેમણે અહીંની હિંદુઓની નાનકડી લઘુમતીના રખેવાળ બનવું ઘટે અને તેમણે હિંદુ સ્ત્રીઓને કહેવું જોઈએ કે અમે અહીં છીએ ત્યાં સુધી તમારા પર બૂરી નજર કરવાની કોઈની પણ હામ નથી.’

જુલાઈ 1946ના ‘ડાઈરેક્ટ એક્શન’ વેળાથી હિંદુઓ પરના મુસ્લિમ આતંકના વડા જવાબદાર હસન સુહરાવર્દી અને બીજા લીગ નેતાઓ આઘાપાછા હશે ત્યારે લીગના જ એક પ્રધાન શમસુદ્દીન અહમદે ‘રાજધર્મ’ની રીતે રોકડી વાત કરી હતી : ‘પાકિસ્તાન વિ. હિન્દુસ્તાન એ સવાલનું નિરાકરણ મુસલમાનો બહુમતીમાં હોય ત્યાં હિંદુઓની અને હિંદુઓ બહુમતીમાં હોય ત્યાં મુસલમાનોની કતલ કરવાથી થવાનું નથી. કોઈ પણ સરકાર નિષ્ક્રિયપણે બાજુએ ઊભી રહીને બહુમતીને લઘુમતી પર જુલમ ગુજારવા કે તેનું નિકંદન કાઢવા દઈ શકે નહીં …’

પણ વાત તો આપણે કોલકાતાની કરતા’તા. સ્વરાજના પહેલા દસ-પંદર દિવસ તો જાણે કોઈ કોમી તનાવ હતો જ નહીં એમ દેખીતા આનંદઓચ્છવ જેવા વીત્યા ન વીત્યા, અને …

આ દિવસોમાં ગાંધીજી કોલકાતાના બેલિયાઘાટા વિસ્તારમાં જે મકાનમાં રોકાયા હતા તેનું નામ ‘હૈદરી મંઝિલ’ હતું. સાવ અવાવરું ઘર. ઢગલે ઢગલા ધૂળ ને કચરો. ચારે બાજુથી લગભગ ખુલ્લા જેવું. બારી-બારણાં હુલ્લડ વખતનાં તૂટેલાં. એક જ સંડાસ. વરસાદને કારણે ઘરમાં કાદવ-કીચડ. જવું’તું ફરી નોઆખલી, પણ પૂર્વમેયર મુહમ્મદ ઉસમાને ત્યાં શાંતિની જવાબદારી લીધી ત્યારે ગાંધીજીએ સુહરાવર્દીને કહ્યું કે મારી સાથે આવીને ફકીરની પેઠે શહેરમાં શાંતિ-સ્થાપન સારુ રહો એ શરતે રોકાઈ જાઉં …

હૈદરી મંઝિલ

હિંદુ મહાસભાના જ બીજા નેતા નિર્મલચંદ્ર ચેટરજી (એન.સી. ચેટરજી) ગાંધીજીને મળવા આવ્યા ત્યારે એમણે લગભગ કબૂલાતની રીતે કહ્યું કે હિંદુઓ તેમનાં મગજ ગુમાવી બેઠાં છે. પંદરમી ઓગસ્ટ આસપાસના દિવસોની શાંતિ તાત્પૂરતી બલકે ઉપરછલ્લી હતી. બીજી બાજુ પંજાબના સમાચારો ભારે માઠા હતા. જાહેર જીવનના લાંબા અનુભવને જોરે ગાંધીજીને લાગ્યું કે કોલકાતામાં શાંતિ-સ્થાપન એ પંજાબમાં શાંતિ તરફે ઉપયોગી થઈ પડશે.

‘હું પંજાબ શું મોં લઈને જઈ શકું?’ ઉપવાસ પર ઊતરતાં એમણે નિવેદનમાં કહ્યું : ‘હું પંજાબ જાઉં અને ત્યાંના લોકોને મદદ કરી શકું એમ લોકો ઇચ્છતા હોય તો હું વહેલામાં વહેલી તકે ઉપવાસ છોડી શકું તેમ તેમણે કરવું જોઈશે.’

રહેઠાણ આગળ મૂકવામાં આવેલી પોલીસને એમણે પરત મોકલી હતી, પણ એને પાછી બોલાવવી પડી, કેમ કે બંગાળના અશાંતિની એક જવાબદાર સુહરાવર્દીને રક્ષણ સારુ એની જરૂર હતી. ડાઈરેક્ટ એક્શનથી નોઆખલીના સુહરાવર્દી કરતાં જો કે ઓગસ્ટ-સપ્ટેમ્બર 1947ના કોલકાતા દિવસોના સુહરાવર્દી જુદા હતા, અને જૂની ભૂલોથી પશ્ચાતાપ સાથે બહાર આ‌વી રહ્યા હતા.

ત્રીજે દિવસે માહોલ જાણે કે કંઈક બદલાવા લાગ્યો હતો. એક હિંદુ-મુસ્લિમ સંયુક્ત સરઘસ બેલિયાઘાટા પહોંચ્યું ને ઉપવાસ છોડવા વિનંતી કરી. ચોથે દિવસે તો જાણે ચમત્કાર થયો. એક પછી એક નામીચા ગુંડા આ‌વતા ગયા. હથિયારો જમા કરાવતા ગયા. બીજી પાસ, અઠ્ઠોતેરના બુઝુર્ગની તબિયત ઉત્તરોત્તર કથળી રહી હતી. સૂતા, વળી બેઠા થતા, માળા ફેરવતા હતા. બંગાળના ગવર્નર રાજાજી, કાઁગ્રેસ પ્રમુખ કૃપાલાની, મુખ્ય મંત્રી પ્રફુલ્લ ઘોષ, એન. સી. ચેટરજી, સુહરાવર્દી, શરદચંદ્ર બોઝ (નેતાજીના ભાઈ) સરદાર નિરંજનસિંહે કલાકેકના પરામર્શપૂર્વક પ્રતિજ્ઞાપત્ર પર હસ્તાક્ષર કર્યા.

એક સ્વયંસેવક ટુકડીએ એ પ્રાર્થના ગાઈ જે રવીન્દ્રનાથે પંદરેક વરસ પર યરવડા જેલમાં ગાંધીજીને પારણા કરાવતા ગાઈ હતી : 

જીવન જવ સુકાઈ જાય 

કરુણા વર્ષન્તા આવો;

માધુરી માત્ર છુપાઈ જાય 

ગીત–સુધા ઝરન્તા આવો.

સાતમી સપ્ટેમ્બરે રાતે એ પંજાબ માટે રવાના થયા અને એક પછી એક સાથીએ વિદાય આપી, ત્યારે છેલ્લા હતા સુહરાવર્દી … એમના અશ્રુએ અભિષિક્ત એ વિદાય!

ગમે તેમ પણ, આ લખનારને લમણે તો ‘હૈદરી મંઝિલ’નાં દર્શન બાકી તે બાકી.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 10 સપ્ટેમ્બર 2025

Loading

...102030...199200201202...210220230...

Search by

Opinion

  • ગઝલ
  • સુરત મહાનગરપાલિકાને –
  • MET Gala 2026: સૉફ્ટ પાવરના મંચ પર ભારતનો ‘આર્કટેક્ચરલ’ વિજય
  • ચલ મન મુંબઈ નગરી—340
  • ગુજરાત UCCમાં સ્ત્રી  

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ
  • મિસ્ટર આંબેડકર અને આંબેડકર કોણ હતા

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved