Opinion Magazine
Number of visits: 9842932
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જી.એસ.ટી. ૨.૦ : થોડા આવકારદાયી સુધારા … પણ  ઘણા બાકી 

નેહા શાહ|Opinion - Opinion|27 September 2025

નેહા શાહ

૨૦૧૭માં જ્યારે જી.એસ.ટી.નો પહેલી વખત અમલ શરૂ થયો, ત્યારે અડધી રાત્રે સંસદની સભા બોલાવવામાં આવી હતી. ૧૯૪૭ની ૧૫મી ઓગસ્ટે ભારતને આઝાદી મળી ત્યારે રાતના બાર વાગ્યા હતા ત્યારબાદ અડધી રાત્રે અડધી રાત્રે નિર્ણય લેવાયાની આ બીજી મહત્ત્વની ઘટના હતી. એક દેશ – એક ટેક્સની સમજણથી ઘડાયેલ જી.એસ.ટી.ની સિસ્ટમે કેન્દ્ર અને રાજ્ય સ્તરે લેવાતા સત્તર પ્રકારના ટેક્સ અને 13 સેસને એક જ કર વ્યવસ્થામાં સમાવી લીધા. ઉતાવળે લેવાયેલા નિર્ણયો, ચાર-પાંચ અલગ ટેક્સના દર, વર્ષમાં એકથી વધુ વખત ભરવા પડતા રીટર્ન, વગેરે ને લઈને જી.એસ.ટી.ને કારણે ઘણી મૂંઝવણ ઊભી થઇ. આજે આઠ વર્ષે ઘણી ગુંચ ઉકલી હોવા છતાં જી.એસ.ટી. એક દુખતી રગ તો રહી જ છે. 

હવે, જી.એસ.ટી-૨નો સમય શરૂ થયો છે. પ્રધાન મંત્રીએ રાષ્ટ્રના નામે સંબોધન કરતાં એને  ગરીબો અને નવા મધ્યમ વર્ગને માટે આ બચત બોનાન્ઝા ગણાવ્યું. પ્રક્રિયાને સરળ કરવા માટે ચાર પ્રકારના દરને ઘટાડી હવે માત્ર બે દર રાખવામાં આવ્યા અને ઘણી જીવન જરૂરિયાતની વસ્તુઓ પરના ટેક્સ દર ઘટાડવામાં આવ્યા. કર રાહત આપવાથી ઘરેલું અર્થતંત્રમાં થોડી થોડીક મદદ મળવાની આશા રાખી શકાય. અર્થશાસ્ત્રની સાદી સમજ પ્રમાણે ટેક્સ ઘટવાથી બજારમાં ભાવ ઘટશે, જેને કારણે માંગ વધશે, પરિણામે ઉત્પાદનને વેગ મળશે. જો કે અહીં એ સમજવું જરૂરી છે કે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ માટે હાલની તારીખમાં નિશ્ચિત આવકનો અભાવ એમને બજારમાં ખરીદી કરતાં રોકે છે. જો આવક હશે તો તેઓ બજાર સુધી પહોંચશે અને તો એમને જી.એસ.ટી.નો ફાયદો થશે. ઘણાં લાંબા સમયથી ભારતમાં ગ્રાહકનો વપરાશ ખર્ચ ઇચ્છનીય દરે વધી રહ્યો નથી. બેરોજગારીના ઊંચા દરની સાથે નીચી આવક અને ઊંચા ભાવ આ બંને પરિબળોને કારણે વપરાશ ખર્ચની વૃદ્ધિનો દર જરૂર કરતાં નીચો રહ્યો છે. આર.બી.આઈ.ના આંકડા બતાવે છે કે ખાનગી કંપનીઓનો નફો લગભગ ૧૭ ટકાના દરે વધ્યો, જેમાં વેચાણના વધારાનો દર તો માત્ર ૫.૫ ટકા જ હતો. બાકીનો ફાયદો તેમને ઉત્પાદનના ખર્ચમાં થયેલ ઘટાડાને કારણે મળ્યો છે, જેની પાછળ વૈશ્વિક સ્તરે ઉત્પાદન સામગ્રીના ઘટેલા ભાવ જવાબદાર છે. મતલબ, ગ્રાહકના વપરાશ ખર્ચનો વર્તમાન વૃદ્ધિ દર કંપનીઓને ટકી રહેવા માટે પૂરતું ચાલક બળ નથી. પડતા પર પાટું મારવાનું કામ કર્યું છે અમેરિકાએ ભારતની આયાત પર લાદેલા પચાસ ટકા ટેરીફે. કપડાં ઉદ્યોગ, જેમ્સ અને જ્વેલરી ઉદ્યોગ, એગ્રી પ્રોસેસિંગ ઉદ્યોગ, સી ફૂડ, ચર્મ ઉદ્યોગ વગેરે જેવા શ્રમ પ્રધાન ઉદ્યોગો પર ખાસી માઠી અસર પડી છે. લાખો લોકોના રોજગાર પર એની અસર પડી છે. અર્થતંત્રના આ આઘાતમાંથી રાહત આપવાની જવાબદારી અત્યારે જી.એસ.ટી.ના ખભા પર આવી પડી છે, એ કેટલી પાર પડશે એ તો સમય જ કહેશે. પણ, એટલું ચોક્કસ કે પાછલા બે-ત્રણ દિવસમાં અચાનક વધેલા ગાડીઓના વેચાણના આંકડા જોઈ કોઈ જાદુ થઇ ગયો હોય એવું માનવાની જરૂર નથી, કારણ કે એ માટે જી.એસ.ટી. કરતાં તહેવારની મોસમ વધુ જવાબદાર છે. એ ઉપરાંત ગાડી કે બાઈક ખરીદનારો વર્ગ જુદો છે, એમની ખરીદ શક્તિ પર આર્થિક આઘાતોની અવળી અસર થઇ નથી. 

આઠ વર્ષનો અનુભવ કહે છે કે જી.એસ.ટી.ની માઠી અસરનો સૌથી મોટો ભાર નાના ઉદ્યોગોના માથે આવ્યો છે. જી.એસ.ટી. પાછળનો એક ઉદ્દેશ કરવેરો ભરવાના માળખાને ને સરળ બનાવવાનો હતો. પણ, જ્યારે અમલ કરવામાં અનેક ફોર્મ ભરવાના આવ્યા, ડિજિટલ ટેકનોલોજી પર ભાર મુકવામાં આવ્યો અને એ બધામાં અનેક નિયમો સમજવામાં-પાળવામાં નાના વેપારીઓ અને ઉદ્યોગો પર ભારણ વધી ગયું. નાના ઉદ્યોગો પાસે ઘણી વાર ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો મહાવરો નથી હોતો, અનેક વાર ભરવા પડતા ફોર્મ પાછળ આપવો પડતો સમય નથી હોતો, અમલમાં મદદ કરી શકે એવો સહાયકનો સહારો નથી હોતો, પરિણામે જી.એસ.ટી.ના નિયમોનું પાલન કરવાનો એમને ભાર લાગે છે. અસંગઠિત ક્ષેત્રમાં ચાલીસ લાખથી ઓછું ટર્નઓવર કરનારા વ્યવસાય જી.એસ.ટી.ના દાયરાની બહાર છે એટલે એમને ઈનપુટ ક્રેડીટ મળતી નથી – એટલે કે તેઓ કાચા માલ, કે પેકેજીંગ પાછળ  ખર્ચ પર જેટલું જી.એસ.ટી. ચુકવે છે તે બધું તેમના ખર્ચમાં જ ઉમેરી દેવું પડે છે, કારણ કે તેઓ તેને પાછું ક્લેઇમ કરી શકતા નથી. નાના વેપારીઓને ધ્યાનમાં રાખી કરવેરાના માળખામાં સુધારાની તાતી જરૂર  છે – દર ઘટાડવા પૂરતા નહિ, પણ અમલીકરણની અટપટી પદ્ધતિઓને સરળ કરવાની તેમ જ તેને સર્વસમાવિષ્ટ બનાવવાની પણ જરૂર છે. 

જ્યારથી જી.એસ.ટી. અમલમાં આવ્યું, ત્યારથી તેના બે પ્રશ્નો ચર્ચાતા રહ્યા છે – એક, ગ્રાહકો માટે ટેક્સના ઊંચા દરના કારણે બજારમાં ઘણી ચીજ વસ્તુઓના ભાવ ઘણા ઊંચા થયા અને બે, ઉત્પાદકો જી.એસ.ટી ફાઈલ કરવાની અટપટી સિસ્ટમમાં અટવાયેલા જ રહ્યા. બાવીસ સપ્ટેમ્બરથી શરૂ થયેલા નવા દોરમાં પહેલા પ્રશ્નને સંબોધવાનો પ્રયત્ન થયો છે. બીજા પ્રશ્ન પર હવે તાત્કાલિક ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે.

સૌજન્ય : ‘કહેવાની વાત’ નામક લેખિકાની સાપ્તાહિક કોલમ; નેહાબહેન શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

દરબારી અર્થશાસ્ત્રીઓને મોદીની રેવડી કદાચ નોન-બાયોલોજિકલનો પ્રસાદ લાગતી હશે!

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|27 September 2025

હેમન્તકુમાર શાહ

નરેન્દ્ર મોદીએ ૨૦૨૨ના જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહમાં, દિલ્હીમાં અરુણ જેટલી સ્મારક વ્યાખ્યાન આપતી વખતે, સૌ પ્રથમ વાર ગરીબોને જે સબસિડી વસ્તુ, સેવા કે રોકડ રકમ સ્વરૂપે આપવામાં આવે છે તેને માટે “રેવડી” શબ્દ વાપરીને ગરીબોને બદનામ કર્યા હતા. 

પછી તો દેશના લગભગ બધા દરબારી અને મોદીભક્ત અર્થશાસ્ત્રીઓ કહેવાતી “રેવડી” પર તૂટી પડ્યા હતા અને તેઓ એમ કહેતા હતા કે આવી “રેવડી”થી સરકારના બજેટની દશા બગડે છે, બજેટમાં ખાધ ઊભી થાય છે, ગરીબોને મફતિયું ખાવાની ટેવ પડે છે, દેશનું અર્થતંત્ર ખાડે જાય છે, વગેરે. અંગ્રેજી છાપાં એમનાં આવાં મંતવ્યો ધરાવતા લાંબાલચ લેખોથી અનેક સપ્તાહો સુધી ભરાઈ ગયાં હતાં. મોદીની “રેવડી” મોંમાં લોલીપોપની જેમ ચગળાવતાં તેઓ થાકતા નહોતા. 

નરેન્દ્ર મોદીએ પોતે આજે બિહારની ૭૫ લાખ મહિલાઓને ₹ ૧૦,૦૦૦ની રોકડ રેવડી આપી છે. પેલા “રેવડી”નો વિરોધ કરનારા અને મોદીની”હા”માં “હા” કહેતા દરબારી અર્થશાસ્ત્રીઓના મોંમાં અત્યારે મગ ભરેલા છે કે શું? 

અને જુઓ તો ખરા. આ રકમ તેમણે બિહારની સરકારની ‘મુખ્ય મંત્રી મહિલા રોજગાર યોજના’ હેઠળ બિહારની મહિલાઓને આપ્યા! નરેન્દ્ર મોદી બિહારના મુખ્ય મંત્રી છે? ના. નીતીશ કુમાર મુખ્ય મંત્રી છે? હા. આ એમની યોજના હેઠળ મોદી પૈસા વહેંચે છે તો પણ નીતીશ કુમાર કશું બોલી શકે છે? ના. એને કહેવાય તાનાશાહી. 

નરેન્દ્ર મોદી તેમની પોતાની સરકાર કે ભા.જ.પ.ની રાજ્ય સરકારો હેઠળ ગરીબોને જે સબસિડી કે રોકડ રકમ જુદી જુદી યોજનાઓ હેઠળ અપાય છે તે જુલાઈ-૨૦૨૨ પછી બંધ કરવામાં આવી? ના. તો પછી એમણે “રેવડી” શબ્દ પોતાના ભાષણમાં વાપર્યો કેમ? એટલે કે, દેશના અર્થશાસ્ત્રીઓ એ શબ્દને લઈને બોલ્યા કરે અને લખ્યા કરે માટે. ખરેખર એવું? હાસ્તો. દરબારી અને ભક્ત અર્થશાસ્ત્રીઓને મોદીનું ચપ્પણિયું ચાટવામાં અપાર આનંદ આવતો હોય છે. 

અર્થશાસ્ત્રીઓને ગરીબો પ્રત્યે સ્વાભાવિક રીતે જ ધિક્કાર હોય છે. તેમને માણસની ચિંતા નથી હોતી, તેમને અર્થતંત્ર અને વિકાસની ચિંતા હોય છે. મોદી તેમના આ ધિક્કારને પોષે છે એટલે એમને મોદી બહુ પ્યારા લાગે છે. 

આ તો ભલું થજો આપણા બંધારણનું કે એમાં દર પાંચ વર્ષે આવતી ચૂંટણીની જોગવાઈ છે. એવું ન હોત તો શું થાત એની કલ્પના કરવી અઘરી છે. ચૂંટણી આવે છે એટલે મોદીને ગરીબો યાદ આવે છે. બિહારની વિધાનસભાની ચૂંટણી આવે છે એટલે જ મોદીને જી.એસ.ટી.માં ઘટાડો કરવાનું સૂઝ્યું છે. નહીં તો સૂઝત ખરું?

૨૦૨૪માં લોકસભાની ચૂંટણી આવી ત્યારે ઉત્તર પ્રદેશમાં યોગીની સરકારે ૪૬ લાખ યુવાનોને મફતમાં ટેબ્લેટ અને સ્માર્ટ ફોન આપેલા! ગુજરાત સરકારે પણ કોલેજો અને યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવાની યોજના ચલાવી જ છે! 

આવી તો બધી બહુ “રેવડી” ભા.જ.પ.ની રાજ્ય સરકારોએ ૨૦૨૪માં લોકસભાની ચૂંટણી વેળા વહેંચી હતી. પણ ત્યારે મહાન અર્થશાસ્ત્રીઓએ “રેવડી”ની ટીકા કરવા મગનું નામ મરી પાડ્યું નહોતું!

મહાત્મા ગાંધીનું આ એક વાક્ય યાદ રાખવાની જરૂર છે : “ગરીબોની ગરીબી દૂર કરવી હોય તો એમાં અર્થશાસ્ત્ર કે અર્થશાસ્ત્રીઓ બેમાંથી એકેયની જરૂર નથી.”

તા. ૨૬-૦૯-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ગરબો : ગુજરાતી પ્રજાની સંસ્કૃતિનું સૌભાગ્ય

દીપક મહેતા|Opinion - Literature|26 September 2025

ગ્રંથયાત્રા – 15

સાતેક વર્ષની એક બાલિકા. ત્યારે થયો એને ગરબાનો પહેલો પરિચય, મુંબઈમાં, નરસિંહરાવ દીવેટિયાના બંગલાના કમ્પાઉન્ડમાં. પછી નવ-દસની ઉંમરે અમદાવાદમાં આકાશેઠ કૂવાની પોળમાં થયો વધુ પરિચય. ક્યારે રાત પડે એની એ બાલિકા રાહ જોયા કરતી. રાતે પચાસેક બહેનો ગરબો ગાય : ‘કાળી કાળી વાદળીમાં વિજળી ઝબૂકે, મેઘ કરે ઘનઘોર, ડુંગરોમાં બોલે છે મોર.’ પછી મોટપણે એ જ વ્યક્તિ લખે છે : “તે વખતે તો એ ગમી ગયેલો, આજે પણ એટલો જ ગમે છે. તે વખતે ગમે એ જ પૂરતું હતું. પણ આજે પૃથ્થક્કરણ કરું છું ત્યારે મને સમજાય છે કે શબ્દો અને એના ઢાળને કારણે હું મંત્રમુગ્ધ થઈ હતી.” પણ આટલું લખીને અટકી નથી ગઈ એ વ્યક્તિ. ગરબાનો – કાવ્યગુણો ધરાવતા ગરબાનો એક સુંદર સંચય પણ એ આપે છે. 

કલ્લોલિની હઝરત

સાતેક વર્ષની ઉંમરે જેને ગરબાનો પરિચય થયેલો, પછી ગરબાનો આ સંચય આપ્યો, એ વ્યક્તિ તે કલ્લોલિની હઝરત. અને એ સંગ્રહ તે ‘મારો ગરબો ગૂમ્યો.’ જિંદગીનાં ઘણાં વર્ષો ગરબા સાથે સંકળાવાનું થયું. માત્ર આયોજન જ નહિ, અભ્યાસ પણ કર્યો. પણ મુંબઈની ગરબા પ્રવૃત્તિ સાથે વર્ષો સુધી જોડાયેલાં રહ્યાં એટલે એમની ગરબાની પરખ પાકી થઈ. પરિણામે કુલ ૧૦૬ કવિના ગરબા આ પુસ્તકમાં એકઠા કર્યા. તેમાં નરસિંહ મહેતાથી માંડીને દયારામ સુધીના મધ્યકાલીન કવિઓના ગરબા છે, લોકગીતો છે, અને નર્મદથી માંડીને ઉદયન ઠક્કર સુધીના અર્વાચીન કવિઓના ગરબા છે. તેમાં ગરબાના રચયિતા તરીકે વધુ જાણીતાં હોય તેવાં નામ – અવિનાશ વ્યાસ, નિનુ મઝુમદાર, જિતુભાઈ મહેતા, વગેરે — તો છે જ, પણ જેમણે ગરબા લખ્યા હોય એવું ઝટ યાદ ન આવે તેવા કવિઓની કૃતિઓ પણ શોધી શોધીને અહીં મૂકી છે. જેમ કે, ગોવર્ધનરામ ત્રિપાઠી, અરદેશર ખબરદાર, રમણલાલ દેસાઈ, હરિશ્ચન્દ્ર ભટ્ટ, મુકુન્દરાય પારાશર્ય, કૃષ્ણલાલ શ્રીધરાણી, ઉશનસ, લાભશંકર ઠાકર, સિતાંશુ યશશ્ચંદ્ર, વગેરે. 

અલબત્ત, અહીં સંગ્રહાયેલી દરેક કૃતિ ગરબા તરીકે એક સરખી સફળતાથી રજૂ થઈ શકે તેમ છે એવું માનવું મુશ્કેલ છે. પરંપરાની સાથોસાથ સંપાદકની નજર પ્રયોગશીલતા તરફ પણ રહી છે. નિવેદનમાં નિખાલસતાથી કહ્યું જ છે : “આ સંગ્રહમાં કેટલીક કૃતિઓ પ્રયોગ લેખે સામેલ કરી છે, જેમાં છંદોબદ્ધ કૃતિ, ગઝલ ઈત્યાદિ પણ છે … અહીં એવી કેટલીક વિવાદાસ્પદ કૃતિઓ પસંદ કરી છે કે જેને એના રચયિતાએ સ્વપ્ને પણ ગરબા તરીકે કલ્પી ન હોય.”  ઉદાહરણ તરીકે ત્રણ કૃતિઓ લઈને તેમાં ગરબા તરીકે પ્રયોજાવાની ક્ષમતા કઈ રીતે છે તે પણ સમજાવ્યું છે. જો કે તેમની વાત ધ્યાનમાં રાખ્યા પછી પણ કેટલીક કૃતિઓની પસંદગી સાથે સહમત થવાનું થોડું મુશ્કેલ બને તેમ છે. પણ પછી વિચાર આવે છે કે આજે પશ્ચિમી સંગીતની નકલ જેવાં ફિલ્મી ગીતોને ગરબા તરીકે ખપાવવામાં આવે છે તેના કરતાં તો આવા થોડા પ્રયોગો થાય તો ખોટું નહિ.

સંપાદકે મુખ્ય અભિગમ કર્તાલક્ષી રાખ્યો છે. કોઈ પણ કવિની પાંચ કરતાં વધુ કૃતિ ન  સમાવવી એવી મર્યાદા સ્વેચ્છાએ સ્વીકારી છે. કૃતિઓને તેના કર્તાના કાલક્રમે ગોઠવી છે. પણ આટલું કર્યા પછી પસંદ કરેલી કૃતિઓમાં વિષય, ભાવ, સ્વરૂપ, સંગીત વગેરેની દૃષ્ટિએ વૈવિધ્ય જળવાય એવો પ્રયત્ન કર્યો છે. મધ્યકાલીન કવિતાની તો તાસીર જ ભક્તિપ્રધાન, એટલે તેમાં વિષય વૈવિધ્યને અવકાશ ઓછો. પણ તે પછીની કૃતિઓમાં નારીના મનોભાવો, આશા-આકાંક્ષા, મૂંઝવણ, વગેરેનું વૈવિધ્ય જોવા મળે છે. પ્રકૃતિ અને પ્રેમને કેન્દ્રમાં રાખીને રચાયેલી કૃતિઓ પણ ઠીક ઠીક પ્રમાણમાં અહીં જોવા મળે છે. સાધારણ રીતે જેના પર નજર ન પડે તેવી કેટલીક ગરબાને લાયક કૃતિઓ પણ અહીં જોવા મળે છે. જેમ કે :

વિશ્વ મેળામાં એક આ ગમેલો,

કે માનવીનો મેળો, સખી! (ઉશનસ)

ઊંડા પાતાળની હું માછલી રે લોલ,

આવી ચડી કો’ક દી’ કિનાર,

રંગ માલમજી લોલ,

હવે નઈં આવું તારા હાથમાં રે લોલ. (મકરંદ દવે)

પણ આ સંપાદન તેમાંની કાવ્ય કૃતિઓને કારણે જેટલું મહત્ત્વનું બન્યું છે તેટલું જ મહત્ત્વનું સંપાદકની વિસ્તૃત, વિશદ, અભ્યાસપૂર્ણ, પ્રસ્તાવનાને કારણે પણ બન્યું છે. આજ સુધીમાં ગરબાનાં ઉદ્ભવ, સ્વરૂપ, વિકાસ વગેરે વિષે જે કાંઈ ધ્યાનપાત્ર લખાયું છે તે બધાનો સંપાદકને પરિચય છે અને એ લખાણોમાંથી ઉચિત અવતરણો પણ તેમણે આપ્યાં છે. છતાં ગરબા અંગેની વિચારણામાં તેઓ બીજા કોઈને અનુસરવા કરતાં પોતાની કેડી પાડવાનું પસંદ કરે છે. ગરબો શબ્દની વ્યુત્પત્તિ શોધવાના આપણે ત્યાં જે જે પ્રયત્નો થયા છે તે બધાની અહીં નોંધ લીધી છે, પણ અંતે ડો. હરિવલ્લભ ભાયાણીના મત સાથે સંપાદક સહમત થાય છે કે આ અંગેના આજ સુધીમાં થયેલા પ્રયત્નોમાંથી કોઈ પ્રયત્ન સ્વીકાર્ય બને તેમ નથી. તો પ્રસ્તાવના ઉપરાંત બીજો એક લેખ પણ સંપાદકે અહીં મૂક્યો છે, ‘થોડુંક અંગત-બિનંગત.’ તેમાં ગરબા સાથે નાનપણથી થયેલા ઘનિષ્ઠ પરિચયનો ખ્યાલ આપ્યો છે. આ લખાણ આત્મકથન રૂપે તો મહત્ત્વનું છે જ, પણ સાથોસાથ ગરબાની વિકાસકથાના એક નકશા તરીકે પણ મહત્ત્વનું છે, કારણ ઘણા લાંબા સમયગાળા સુધી સંપાદક ગરબાની પ્રસ્તુતિ સાથે સંકળાયેલાં રહ્યાં છે. આપણે ત્યાં મહત્ત્વની સાંસ્કૃતિક બાબતો અંગેની આવી માહિતી ભાગ્યે જ સચવાયેલી જોવા મળે છે. આ લેખમાં તેમણે વાત પોતાના અનુભવોની કરી છે, પણ પોતાના ‘હું’ને બને તેટલો દૂર રાખ્યો છે, અને ગરબાને જ આગળ કર્યો છે. સંપાદન અંગેની કેટલીક ચોખવટો પણ તેમણે આ લખાણમાં કરી લીધી છે. કલ્લોલિનીબહેનનું ગરબા સાથેનું તાદાત્મ્ય અસાધારણ. વર્ષો સુધી પ્રયત્નો કરીને તેમણે ગરબાની પરંપરાને જતનપૂર્વક જાળવી, તો સાથોસાથ તેમાં નવા પ્રયોગો પણ કર્યા. પરંપરા હોય કે પ્રયોગ, તેમને મન મહત્ત્વ હંમેશાં ગરબાનું જ રહ્યું છે. સંપાદકના શબ્દો સાથે જ આ અત્યંત ઉપયોગી પુસ્તક અંગેની વાત પૂરી કરીએ : “તમે ગઈ કાલની કે આજની નારીનું ચિત્ર જરાક કલ્પી જુઓ. ચાર દીવાલની વચ્ચે એ અનેક જવાબદારીઓથી ઘેરાયેલી હોય છે, પણ એ ઘર છોડીને સમૂહમાં ગરબો ગાવા જાય છે ત્યારે અચાનક એને ગરબાની એ ક્ષણોમાં મુક્તિનો કોઈક અનોખો પ્રદેશ મળી રહે છે. એ તન્મય થઈને ગરબે ઘૂમતી હોય છે ત્યારે એ કોઈની પત્ની કે માતા હોવા છતાંયે એ કશું જ નથી. તમામ સંબંધોથી પર, એ તો છે કેવળ સ્ત્રી – પોતાના મુક્તિધામમાં મહાલતી.”

XXXXXX

26 સપ્ટેમ્બર 2025
e.mail : deepakbmehta@gmail.com

Loading

...102030...182183184185...190200210...

Search by

Opinion

  • ગઝલ
  • સુરત મહાનગરપાલિકાને –
  • MET Gala 2026: સૉફ્ટ પાવરના મંચ પર ભારતનો ‘આર્કટેક્ચરલ’ વિજય
  • ચલ મન મુંબઈ નગરી—340
  • ગુજરાત UCCમાં સ્ત્રી  

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ
  • મિસ્ટર આંબેડકર અને આંબેડકર કોણ હતા

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved