Opinion Magazine
Number of visits: 9842848
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સત્યનો અવાજ દબાવવો એટલે લોકશાહીની હત્યા !

રમેશ સવાણી|Opinion - Opinion|28 September 2025

રમેશ સવાણી

લદ્દાખ પોલીસે, સોનમ વાંગચૂકને 26 સપ્ટેમ્બર 2025ના રોજ NSA-National Security Act હેઠળ એરેસ્ટ કરી; સ્થાનિક સંપર્ક તૂટી જાય તે માટે રાજસ્થાનની જોધપુર જેલમાં પૂરી દીધા છે. એટલું જ નહીં, તેમને આર્થિક રીતે પંગુ બનાવવા તેમણે સ્થાપેલ SECMOL – Students’ Educational and Cultural Movement of Ladakhનું FCRA – Foreign Contribution (Regulation) Act હેઠળનું લાયસન્સ રદ્દ કરી દીધું છે. તેથી દેશ-વિદેશમાં ભારે ઊહાપોહ થયો છે.

Sonam Wangchuk-સોનમ વાંગચૂક (59) કોણ છે? લદ્દાખના વિચારક, પર્યાવરણવાદી, ગાંધીવાદી, એક્ટિવિસ્ટ, લોકનેતા, engineer, innovator અને education reformist છે. 2018માં Ramon Magsaysay Awardથી સન્માનિત છે. જેમણે લદ્દાખને પાણી પૂરું પાડ્યું / આર્મી માટે તંબુ બનાવ્યા / પોતાના જીવનની કમાણી બાળકોને શિક્ષણ આપવામાં ખર્ચી નાખી. જેણે આમિર ખાનને ‘3 ઇડિયટ્સ’ બનાવવા માટે પ્રેરણા આપી.

NSA હેઠળ ધરપકડ થાય એટલે પોલીસ પાકિસ્તાન સાથે કનેક્શન પણ શોધી કાઢશે ! પોલીસ કહે છે કે સોનમ વાંગચૂકે પાકિસ્તાનમાં પાકિસ્તાની અખબાર ‘ધ ડોન’ના એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને બાંગ્લાદેશની મુલાકાત પણ લીધી હતી. પણ પાસપોર્ટ તો સરકારે જ આપ્યો હશે ને ! મોદીજી વગર આમંત્રણે પાકિસ્તાન ગયા હતા. ‘ખૂન ઔર પાની એક સાથ નહીં બહ સકતે’ એમ કહ્યા પછી મોદીજી પાકિસ્તાન સાથે ક્રિકેટ મેચ રમાડી શકે છે !

24 સપ્ટેમ્બર 2025ના રોજ, લદ્દાખના લેહમાં વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કરવામાં આવ્યો, પછી વિરોધ પ્રદર્શન હિંસક બન્યું. લોકોએ ભા.જ.પ. કાર્યાલયને આગ ચાંપી દીધી. જો કે સોનમ વાંગચૂકે હિંસાનો માર્ગ નહીં લેવા લોકોને અપીલ કરી હતી. 

મોદી-સરકારની એક મોડસ ઓપરેન્ડી એ જોવા મળે છે કે સરકાર કોઈ પણ અહિંસક / શાંતિપૂર્ણ આંદોલનને તોડી નાખવા ઈચ્છતી હોય ત્યારે પોતાના પક્ષના માણસો મારફતે હિંસા કરાવે છે અને દોષનો ટોપલો આંદોલનના નેતા પર ઢોળી તેમને જેલમાં પૂરી દે છે !

જ્યારે જમ્મુ-કાશ્મીરમાંથી લદ્દાખને અલગ કર્યું ત્યારે સોનમ વાંગચૂકે વડા પ્રધાન મોદીની પ્રશંસા કરી હતી. હવે મોદીજી સામે મોરચો માંડ્યો એટલે મોદીજીએ તેમને જેલમાં મોકલી આપ્યા છે !

સોનમ વાંગચૂકની માંગણીઓ શું છે? 

[1] પર્યાવરણના રક્ષણ માટે લદ્દાખને બંધારણની 6ઠ્ઠી અનુસૂચિ લદ્દાખને આદિવાસી રાજ્યનો દરજ્જો આપવો. 

[2] લદ્દાખને પૂર્ણ-સ્વતંત્ર રાજ્યનો દરજ્જો આપવો.  

[3] કારગીલ અને લેહ માટે અલગ સંસદીય બેઠક આપવી. એકના બદલે બે બેઠકો આપવી.[4] જાહેર સેવા આયોગની સ્થાપના કરવી.

આ ચાર માંગણીઓ બિલકુલ વ્યાજબી છે છતાં મોદીજી ઈન્કાર કરે છે, શા માટે? તે સમજવાની જરૂર છે. લદ્દાખ હાલ કેન્દ્રશાસિત રાજ્ય છે. વડા પ્રધાને જમ્મુ-કાશ્મીરથી લદ્દાખને 31 ઓક્ટોબર 2019ના રોજ, અલગ કર્યું ત્યારે વચન આપેલ કે લદ્દાખને સ્વતંત્ર રાજ્યનો દરજ્જો આપવામાં આવશે. તેને 6 વરસ થયા છતાં લદ્દાખને સ્વતંત્ર રાજ્યનો દરજ્જો આપવા વડા પ્રધાન તૈયાર થતાં નથી ! વડા પ્રધાન લદ્દાખ પર નિયંત્રણ કોર્પોરેટ કંપનીઓના હિતો માટે ઇચ્છે છે ! વડા પ્રધાનને લદ્દાખના લોકોની ચિંતા નથી, કોર્પોરેટ મિત્રોની ચિંતા છે ! લદ્દાખમાં ખનિજોના ભંડાર છે. તેની પર અદાણી વગેરે કોર્પોરેટ લોબીની નજર છે. જો લદ્દાખને સ્વતંત્ર રાજ્યનો દરજ્જો આપે તથા બંધારણના છઠ્ઠી અનુસૂચિ હેઠળ લદ્દાખને સામેલ કરે તો સ્થાનિક આદિવાસીઓને પોતાનાં જળ, જમીન, જંગલના અધિકારો મળે. તેમની પાસેથી મંજૂરી લેવી પડે. દિલ્હીથી મંજૂરી આપે તો પણ સ્થાનિક મંજૂરી લેવી પડે. કોર્પોરેટ લોબી બન્ને જગ્યાએથી મંજૂરી લેવા ઇચ્છતી નથી તેથી મોદીજી પણ લદ્દાખને સ્વતંત્ર રાજ્યનો દરજ્જો તથા લદ્દાખને બંધારણના છઠ્ઠી અનુસૂચિ હેઠળ આવરી લેવા ઇચ્છતા નથી ! મોદી સરકાર લોકો માટે કામ કરે છે એ ભ્રમમાંથી નીકળી જવાની જરૂર નથી?

સમજો, એટલે સોનમ વાંગચૂકને દેશદ્રોહી ચીતરી જેલમાં પૂરવાની જરૂર પડી છે. તેમની સંસ્થાનું એકાઉન્ટ સ્થગિત કરી દીધું છે. મોદી-ભક્તો સોનમ વાંગચૂકને દેશદ્રોહી / ગદ્દાર કહી રહ્યા છે. મોદીભક્તિનું જોર એટલું પ્રબળ છે કે ખુદ ભગવાન આવી મોદીજીનો વિરોધ કરે તો મોદીભક્તો ભગવાનને પણ દેશદ્રોહી ઠરાવી દે !

પોતાની માંગણી માટે અહિંસક / શાંતિપૂર્ણ આંદોલન કરે / ઉપવાસ કરે તે લોકશાહીમાં સહજ છે. લોકોને સત્યની જાણ ન થાય તે માટે રોકવાનું કામ કોઈ સરકાર કરે તો તેને લોકશાહી વ્યવસ્થા કહી શકાય નહીં.

જો લદ્દાખને સ્વતંત્ર રાજ્યનો દરજ્જો આપવો જ નથી તો તેનું વચન શા માટે આપેલ? વચન આપીને ફરી જવાનું? આ કઈ રીતનું ચરિત્ર છે? જે વ્યક્તિ દેશમાં પુરસ્કારો લાવે છે, શિક્ષણમાં ક્રાંતિ લાવે છે, અને સરહદ પર ચીન વિરુદ્ધ અવાજ ઉઠાવે છે; તેને હવે જેલમાં પૂરી દીધેલ છે ! કેવી વિડંબના ! જો સોનમ વાંગચુક જેવા શિક્ષિત અને પ્રામાણિક લોકોને ‘દેશદ્રોહી’ તરીકે ચીતરવામાં આવે અને દબાવવામાં આવે, તો સમજો કે વાસ્તવિક સમસ્યા તેમની સાથે નથી, પરંતુ સત્તાના ઘમંડમાં છે. આ કાયરતાપૂર્ણ પગલું સાબિત કરે છે કે મોદી સરકાર સરમુખત્યાર અને નિરંકુશ બની ગઈ છે. પોતાની જમીન, રોજગાર અને ઓળખ માટે લડવું તે ક્યારથી રાજદ્રોહ બની ગયું? સરકારના આ તાનાશાહી પગલાં સામે ગોદી પત્રકાર / લેખકો / સાહિત્યકારો / કોર્પોરેટ કથાકારો / કોર્પોરેટ ધર્મગુરુઓ / ફિલ્મ કલાકારો / ડાયરા કલાકારોએ મૌન સેવ્યું છે. પરંતુ દેશના લોકો અને વિપક્ષો સોનમ વાંગચૂક, લદ્દાખના લોકો અને તેમની માંગણીઓ સાથે ઊભા છે. હવે લદ્દાખની લડાઈ રાષ્ટ્રની લડાઈ બની છે ! સત્યનો અવાજ દબાવવો એટલે લોકશાહીની હત્યા !

દેશની હાલત તો જૂઓ : પ્રસિદ્ધ શિક્ષણશાસ્ત્રી અને Ramon Magsaysay Award વિજેતાને જેલમાં જવું પડે છે; અને જેલમાં મોકલનાર છે – ડિગ્રી વગરના / તડિપાર નેતાઓ ! લોકો પોતાની આંખો ‘ધર્મ અને રાષ્ટ્રવાદના હાલરડાં’ સાંભળી ક્યાં સુધી બંધ રાખશે? વિચિત્રતા તો જૂઓ : ગાંધીવાદી દેશદ્રોહી અને ગોડસેવાદી દેશભક્ત !

28 સપ્ટેમ્બર 2025
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

વાંચનનો વ્યાયામ : પુસ્તકો વાંચતા લોકો બે વર્ષ લાંબુ જીવે છે!

રાજ ગોસ્વામી|Opinion - Opinion|28 September 2025

રાજ ગોસ્વામી

પુસ્તકો વાંચવાથી જ્ઞાન વધે એવું કોઈ કહે તો જરા ય નવાઈ ન લાગે, કારણ કે પુસ્તક વાંચવાનો પ્રાથમિક ઉદેશ્ય નવું જાણવાનો છે અને સદીઓથી માણસો એટલા માટે જ પુસ્તકો વાંચતા આવ્યા છે. પણ કોઈ એવું કહે કે પુસ્તકો વાંચવાથી આવરદા વધે છે તો? નવાઈ તો લાગે કારણ કે આવરદાનો સંબંધ શરીર સાથે છે અને ઉંમર ઘટવા-વધવાનું કારણ શારીરિક તંદુરસ્તી છે. એમાં વાંચવાની ટેવ કેવી રીતે બંધ બેસે? પરંતુ આધુનિક વિજ્ઞાનનો દાવો છે કે જે લોકો પુસ્તકો વાંચે છે તેઓ, જે  નથી વાંચતા તેની સરખામણીમાં લાંબું જીવે છે. 

‘સોશિયલ સાયન્સ એન્ડ મેડિસિન’ નામના એક એકેડેમિક જર્નલમાં પ્રકાશિત એક અભ્યાસમાં આ રસપ્રદ દાવો કરવામાં આવ્યો છે. અમેરિકાની યેલ યુનિવર્સિટીના સંશોધકોએ 50 વર્ષથી મોટી ઉંમરના 3,600 લોકો પર 12 વર્ષ સુધી અભ્યાસ કરીને એ જાણવાનો પ્રયાસ કર્યો હતો કે તેમની જીવનરેખા પર પુસ્તકો વાંચવાના શોખનો કોઈ પ્રભાવ પડે છે કે નહીં. 

તેમને જે જાણવા મળ્યું તે અસાધારણ છે : જે લોકો નથી વાંચતા તેના કરતાં વાંચવાવાળા લોકો 2 વર્ષ વધુ જીવે છે. તેમની ઉંમર શું છે, તંદુરસ્તી કેવી છે, સમૃદ્ધ કેટલા છે વગેરે તફાવતોમાં પણ આ તારણ સમાનરૂપે સૌને લાગુ પડતું હતું.

આ લોકોને ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યા હતા : જે લોકો સપ્તાહમાં 3.5 કલાક કે તેથી વધુ વાંચતા હતા, જે લોકો 3.5 કલાક સુધી જ વાંચતા હતા અને બીજા લોકો જે બિલકુલ વાંચતા નહોતા. અભ્યાસ દરમિયાન, 33 ટકા બિન-વાચકોનાં મૃત્યુ થયાં, જ્યારે પ્રતિ સપ્તાહ 3.5 કલાકથી વધુ સમય માટે પુસ્તક વાંચવાવાળા 27 ટકા વાચકોનાં મૃત્યુ થયાં. મતલબ કે પુસ્તકો નહીં વાંચતા લોકોની સરખામણીમાં પુસ્તકો વાંચવાવાળાની મરવાની સંભાવના 20 ટકા ઓછી હતી. 

સંશોધકોએ એ પણ નોંધ્યું હતું કે આ ‘ફાયદો’ પુસ્તકોના વાચકોને હતો, સમાચારપત્રો કે સામયિકોના વાચકોને નહીં! તેનું મુખ્ય કારણ એ છે કે લાંબા વાંચન, અને ખાસ કરીને નવલકથાઓના વાંચનથી, વાર્તા અને વાર્તાનાં પાત્રો સાથે માણસો તાદ્ત્મ્ય અનુભવે છે અને તેનાથી તેમની સંજ્ઞાત્મક (કોગ્નિટિવ) ક્ષમતામાં વધારો થાય છે. 

ઉપરછલ્લા અને ઊંડા વાંચનની અસર અલગ હોય છે. વાંચન બે પ્રકારનું હોય; ‘નિર્દોષ વાંચન’ અને સહેતુક વાંચન.’ નિર્દોષ વાંચન એટલે માત્ર મનોરંજન માટે વાંચવું, સમય પસાર કરવા વાંચવું, જેમાં કોઈ પ્રકારનો વૈચારિક પરિશ્રમ ન હોય, જેમાં લેખકે જે લખ્યું હોય તેની ભીતર જઈને સમજવાનો પ્રયાસ ન હોય. નિર્દોષ વાંચનમાં આપણે સંપૂર્ણપણે વાચક જ હોઈએ છીએ. તેમાં આપણે ‘જાણીએ’ છીએ. જેમ કે સમાચારોમાં જાણવાનું હોય છે, સમજવાનું નહીં’

સહેતુક વાંચન એટલે જે લખ્યું છે તેનું શું અર્થઘટન થાય, લેખકે કેવી રીતે લખ્યું છે, ક્યા ભાવને વ્યક્ત કર્યો છે, કેમ આ જ શબ્દોનો ઉપયોગ કર્યો છે, વાક્યની રચના કેવી છે, તેનો આગળ-પાછળનો સંદર્ભ શું છે, અગાઉનાં લખાણમાં આ જ વાત કેવી રીતે લખી હતી જેવી જિજ્ઞાસા સાથે કશું વાંચવુ તે. જેમ કે પુસ્તકોમાં સમજવાનું હોય છે.

નિર્દોષ વાંચનમાં આપણે સતહ પર છબછબિયાં કરીને આનંદ લઈએ છીએ. સહેતુક વાંચનમાં ગહેરાઈમાં જઈને ડૂબકી મારીએ છીએ. નિર્દોષ વાંચનમાં આપણે માત્ર વાંચીએ છીએ. સહેતુક વાંચનમાં આપણે વિચારીએ પણ છીએ. આપણા મગજ પર આની અસર ઊંડી હોય છે.

તે સિવાય પણ કારણો છે. પુસ્તક વાંચનથી તનાવ ઓછો થાય છે, મગજમાં સેલ્સની કનેક્ટિવિટી વધે છે અને ઊંઘમાં સુધારો થાય છે. પુસ્તક વાંચતી વખતે આપણું ધ્યાન શબ્દો અને પ્રસંગોમાં વહેંચાઇ જાય છે, જેનાથી તનાવ ઘટે છે, યાદદાસ્ત બહેતર થાય છે અને ઉદાસીથી બચવામાં પણ રાહત મળે છે. 

વાંચવા જેવી એકાગ્રતા માંગે તેવી પ્રવૃત્તિમાં આપણું મગજ કેટલું સ્વસ્થ રીતે ફંક્શન કરે છે તે મહત્ત્વનું હોય છે. આપણી ઓવરઓલ તંદુરસ્તી અને મનદુરસ્તી કેવી છે તેની મગજના ફંક્શનની ગુણવત્તા પર મોટી અસર પડે છે. કમનસીબે, આપણે મન કે મગજને જોઈ, અનુભવી શકતા નથી એટલે મોટાભાગે આપણે તેની પ્રક્રિયાથી પણ સચેત નથી હોતા. દાખલા તરીકે, નિયમિત એક્સરસાઇઝના કારણે બ્રેઇન પાવર વધે છે તે મારો જાત અનુભવ છે.

આપણે કેવો આહાર લઈએ છીએ, શરીરને કેટલું ચુસ્ત રાખીએ છીએ, ગુણવત્તાવાળી ઊંઘ કેટલી લઈએ છીએ, કેટલા સ્ટ્રેસ-ફ્રી રહીએ છીએ તેની અસર આપણી સ્મૃતિ શક્તિ પર પડે છે. તે ઉપરાંત, વાંચનમાં આપણે કેટલા મશગૂલ થઈએ છીએ, મતલબ કે તે આપણાને કેટલું ગમે છે, તેના પર પણ યાદ રહી જવાનો આધાર છે. દાખલા તરીકે, એવાં અસંખ્ય પુસ્તકો છે જે મેં વાંચ્યાં હોય પણ એમાંથી કશું જ યાદ ન હોય, કારણ કે એ પુસ્તકમાં હું મગ્ન થઈ શક્યો નહોતો.

શરીર માટે વ્યાયામ અને મગજ માટે વાચન, બંને સરખાં છે. તમે જો 2 વર્ષ સુધી રોજ ૫ કલાક વાંચો, તો તમારું મગજ સંપૂર્ણપણે ‘નવું’ થઇ જાય. વાંચવું એ સંગીતનું ઓર્કેસ્ટ્રા ચલાવવા જેવું કામ છે. એમાં મગજના નાના-મોટા અનેક હિસ્સાઓ સક્રિય થાય છે. અમુક લોકોને સંગીત વિશે વાંચતી વખતે સૂર સંભળાવવા લાગે અથવા ફૂલ વિશે વાંચીને સુગંધ આવવા લાગે, તેનું કારણ મગજનાં વિભિન્ન ફંક્શન વાચનની પ્રક્રિયામાં જોડાઈને ચુસ્ત થાય છે એટલે. માટે જ વાચન આદતની ક્રિયા છે. જેને  વાંચવાની ટેવ ના પડી હોય, તેવા લોકોનાં મગજ લાંબુ વાંચીને થાકી જાય અથવા ટર્ન ઓફ થઇ જાય. આ વ્યાયામ કરવા જેવું છે.

લખવાની જેમ વાંચન પણ જટિલ કળા છે. વાંચે તો દરેક લોકો છે, પણ શું વાંચીએ છીએ તે મહત્ત્વનું છે. શબ્દો વાંચવા આસાન છે. કસોટી શબ્દોને સમજવાની છે. એક જ પુસ્તક હોય, પણ ચાર વ્યક્તિ તેને જુદી-જુદી રીતે વાંચે અથવા સમજે, કારણ કે દરેકનું મગજ વાંચતી વખતે જુદી-જુદી રીતે સક્રિય હોય છે. લોકો મુખ્યત્વે ચાર પ્રકારે વાંચતા હોય છે :

1. પ્રાથમિક વાંચન : પુસ્તકમાં શું વિગતો છે તે. ઘણા લોકોને પુસ્તક અક્ષરશઃ યાદ હોય અને પોપટની જેમ બધુ બોલી જાય.

2. અવલોકનાત્મક વાંચન : પુસ્તક શું કહેવા માગે છે તે. દરેક પુસ્તક પાછળ લેખકનો એક મુખ્ય હેતુ હોય છે. તેને પકડવો તે અવલોકનાત્મક વાંચન.

3. વિશ્લેષણાત્મક વાંચન : પુસ્તકનું અર્થઘટન શું છે તે. પુસ્તકની જટિલ વાતોને છૂટી પાડીને તેને સરળ રીતે બોધગમ્ય બનાવવી તે વિશ્લેષણાત્મક વાંચન.

4. ચિંતનાત્મક વાંચન : મારા જીવન માટે તેમાં શું છે તે. પુસ્તકમાં માનવીય જીવનની અમુક સચ્ચાઈ હોય છે. તમે ખુદને બહેતર બનાવવા માટે થઈને પુસ્તકમાંથી જીવનલક્ષી ચિંતનને અલગ તારવો તે ફિલોસોફિકલ વાંચન.

ટૂંકમાં, વાંચો, ખૂબ વાંચો. જ્ઞાન તો મળશે જ, મગજ પણ સશક્ત થશે. 

(પ્રગટ : ‘બ્રેકિંગ વ્યુઝ’, નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 28 સપ્ટેમ્બર 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

લદ્દાખની લડતઃ શાસન સામે સ્વાયત્તતા, ગૌરવ અને રાજકારણનો જંગ

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|28 September 2025

રાજકીય, સામાજિક અને સુરક્ષાના પ્રશ્નો આ પહાડી વિસ્તારમાં વધુ ઊંચા જશે તો પાતળી હવામાં સરકારને માટે પણ શ્વાસ લેવાનું મુશ્કેલ બનશે

ચિરંતના ભટ્ટ

લેહમાં ગયા સપ્તાહે વિરોધ પ્રદર્શન કરનારા ચાર જણનાં મૃત્યુ અને ડઝનેકને ઇજાઓ થવાથી લદ્દાખનો ઉકળતો અસંતોષ મોટા સંકટમાં ફેરવાઈ ગયો છે. વર્ષો સુધી, 2019માં જમ્મુ અને કાશ્મીરથી અલગ થયા બાદ હિમાલયની આ સરહદને કેન્દ્રીય શાસનની સફળતા કિસ્સા તરીકે દર્શાવવામાં આવતી હતી. તેના બદલે, હવે તે ભારતની રાજકીય સંવેદનશીલતા, ફેડરલ સંતુલન અને વ્યૂહાત્મક દૂરંદેશીની કસોટી બની ગયું છે. લેહમાં જે બન્યું તે ફક્ત કાયદો અને વ્યવસ્થાની નિષ્ફળતા નથી — તે ભારતના સૌથી સંવેદનશીલ સરહદી પ્રદેશોમાંના એકમાં ઓળખ, સ્વાયત્તતા અને ગૌરવ વિશે ઊંડી ચિંતાઓની અભિવ્યક્તિ છે.

2019માં લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે અલગ કરવામાં આવ્યું ત્યારે લેહમાં ઉજવણી થઈ હતી. ઘણા લોકો માટે, દિલ્હી સાથે સીધો સંપર્ક સંસાધનો, માન્યતા અને લાંબા સમયથી આ પ્રદેશ પર ધ્યાન અપાવું જોઇએની ચાહ હતી તે પૂરી થવાનો સંકેત હતો. પરંતુ તેમાં એક વિરોધાભાસ હતો : દિલ્હી અથવા પુડ્ડુચેરી જેવા અન્ય કેન્દ્રશાસિત પ્રદેશોથી વિપરીત, લદ્દાખ વિધાનસભા વિના રહી ગયું. છ વર્ષ પછી, આજે એ વિરોધાભાસ એકાંતનો સ્રોત બની ગયો છે.

એક સમયે સશક્તિકરણની આશા રાખનારા લદ્દાખીઓ વધુ પડતા અમલદારીશાહીના નિયંત્રણ, સ્થાનિક અવાજોના પાંખા પડવા અંગે અને તેમની જમીન અને ભવિષ્ય વિશેના નિર્ણયો દૂર બેઠેલા લોકો દ્વારા લેવામાં આવી રહ્યા છે તેવી સતત વધી રહેલી લાગણીની વાત કરી રહ્યા છે. તેમની માંગણીઓ સ્પષ્ટ રાજકીય પેકેજમાં વિકસિત થઈ છે: પૂર્ણ રાજ્યનો દરજ્જો, છઠ્ઠી અનુસૂચિમાં સમાવેશ અથવા જમીન અને નોકરીઓ માટે સમાન રક્ષણ, અને સ્થાનિક સંસ્થાઓને સત્તાનું અર્થપૂર્ણ વિભાજન. આ નાના વહીવટી ફેરફારો નથી પરંતુ ગૌરવ અને અસ્તિત્વ માટેની અંતર્ગત ઇચ્છાને પ્રતિબિંબિત કરનારી બાબતો છે. લેહમાં બૌદ્ધ અને કારગિલમાં શિયા મુસ્લિમો બંનેના પોતપોતાના ડર છે. બન્નેને વસ્તી વિષયક ભેળસેળ, સાંસ્કૃતિક ધોવાણ અને પોતાની જીવનશૈલીને ટકાવી રાખતા નાજુક વાતાવરણ પર નિયંત્રણ ગુમાવવાના ભય મુખ્ય છે.

સપ્ટેમ્બરના ઘાતક સંઘર્ષમાં ફેરવાયેલાં ભૂખ હડતાળ અને જૂથ વિરોધ અચાનક ઉપજેલા નહોતા. તે વર્ષોની વણઉકેલાયેલી ચિંતાઓ, અટકેલી વાટાઘાટો અને વિશ્વસનીય રાજકીય રોડમેપના અભાવની પેદાશ હતાં. કાર્યકર્તાઓ અને સમુદાયિક નેતાઓ સાથેની લગભગ દરેક વાતચીતમાં એક જ સૂર હતો : સમિતિઓ બનાવવામાં આવે છે, મીટિંગ્સ થાય છે, પરંતુ સમયમર્યાદા અને મૂર્ત પ્રતિબદ્ધતાઓને ક્યારે ય પાળવામાં નથી આવતી. પ્રજાસત્તાકના હાંસિયામાં રહેતા ગૌરવશાળી લોકો માટે, આવી અસ્પષ્ટતા અસહ્ય છે.

લેહની દુર્ઘટના લદ્દાખની માંગણીઓની અવગણના કરવાની વ્યૂહાત્મક અને રાજકીય કિંમતો પણ દર્શાવે છે. ભૌગોલિક રાજકીય દૃષ્ટિએ, લદ્દાખ કોઈ સામાન્ય પ્રદેશ નથી. અહીં જ 2020માં ભારતનો ચીન સાથે ગલવાનમાં સંઘર્ષ થયો હતો, અને તે વાસ્તવિક નિયંત્રણ રેખા પર ખેલાયેલો એ ખેલ નાનીસૂની બાબત ન જ ગણી શકાય. લેહમાં નાગરિક અશાંતિ ફક્ત એક આંતરિક પડકાર નથી – તે સુરક્ષા સ્થાપનાને વિચલિત કરવાનું અને ભારતની સૌથી મહત્ત્વપૂર્ણ સરહદને નબળી પાડવાનું જોખમ ધરાવે છે. સ્થાનિક લોકો હંમેશાં સેનાનું કુદરતી ગુપ્તચર નેટવર્ક રહ્યા છે, જે દુર્ગમ પ્રદેશમાં સૈનિકોનું માર્ગદર્શન કરે છે. જો અલગતા વધશે, તો અવિશ્વાસ પણ વધશે, જે સુરક્ષા અને વિકાસ બંનેને નબળી પાડશે. 

રાજકીય રીતે, ભા.જ.પા. પોતાના વિરોધાભાસનો સામનો કરી રહી છે. કલમ 370ને રદ કરીને લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો આપ્યા પછી ભા.જ.પા. ખુશ હતી. આ બન્ને પગલાંને 2019માં ભા.જ.પા.ની બહાદુર સિદ્ધિઓ તરીકે પ્રદર્શિત કરવામાં આવ્યાં હતાં. હવે, આ જ નિર્ણય પર સવાલ ઊઠી રહ્યા છે. આ પરિસ્થિતિ સરકાર માટે બે ધારી તલવાર જેવી છે. જો સરકાર, લદાખ માટે રાજ્યનો દરજ્જો અથવા વિશેષ સંરક્ષણ સ્વીકારે છે, તો મૂળ ગોઠવણ ખામીયુક્ત હતી એવું સ્વીકારાયું તેમ મનાશે. જો તે પ્રતિકાર કરે છે, તો તે તેના સરહદી નાગરિકોના બલિદાન અને લાગણોની તેમને પડી નથી, તેમના પ્રત્યે ઉદાસીન છે એમ દેખાશે તેનું જોખમ વહોરે છે. વિરોધ પક્ષોએ પહેલેથી જ આ ક્ષણનો લાભ ઉઠાવ્યો છે. અત્યારે ત્યાં ફેલાયેલી અશાંતિને વિરોધ પક્ષોએ ભા.જ.પા.ના “તૂટેલા વચનો”નો પુરાવો ગણાવ્યો છે. ચૂંટણી પહેલાના વાતાવરણમાં, આ ભા.જ.પ.ના સૌથી મજબૂત પ્રતીકાત્મક સુધારાને નબળા પાડે છે.

સામાજિક પરિમાણ ઓછું મહત્ત્વનું નથી. વિરોધની મોટાભાગની ઊર્જા લદ્દાખના જેન-Z યુવાનો તરફથી આવી છે. આ પેઢી એ છે જે પોતાના વડીલોથી વિપરીત, ધૈર્ય અને સંવાદમાં માનતા હતા, યુવાન લદ્દાખીઓ ડિજિટલ-નેટિવ, વૈશ્વિક રીતે જાગૃત અને અધીરા છે. તેઓ જલદી ભેગાં થાય છે, ગતિશીલ છે અને તેમનામાં ઓછી સહનશીલતા છે, અને તેમની અભિવ્યક્તિની પદ્ધતિઓ ધારદાર છે — ઓનલાઈન લાઈવ-સ્ટ્રીમ થતી ભૂખ હડતાળથી માંડીને લેહ અને કારગિલમાં સંકલિત વિરોધ સુધી બધું જ તેમની ઊર્જા અને આવડતના પુરાવા છે. આ પેઢીગત બદલાવનો અર્થ એ છે કે પરંપરાગત રાજનીતિ હવે પૂરતી નથી; લાંબી અસ્પષ્ટતા એવી પેઢીને કટ્ટરપંથી બનાવવાનું જોખમ ખડું કરે છે કારણ કે તે પેઢીને લાગે છે કે પોતાની સાથે દગો થયો છે. 

લેહમાં જે બન્યું તે શાસનની ગહેરી શૂન્યતાનું પ્રતિબિંબિ છે. ભીડ વ્યવસ્થાપનના નબળા સંચાલનને કારણે અને લોકોએ વાતચીતના વચનમાં વિશ્વાસ કરવાનું બંધ કરી દીધું હોવાને કારણે શાંતિપૂર્ણ વિરોધ હિંસામાં પરિણમ્યો. ટીયર ગેસ, લાઠીચાર્જ અને અટકાયતોએ રાજકીય નિષ્ક્રિયતા છોડેલી ખાલી જગ્યા ભરી દીધી. પરંતુ કોઈ પ્રદેશ, ખાસ કરીને સંવેદનશીલ સરહદ, માત્ર પોલીસિંગ દ્વારા સંચાલિત થઈ શકે નહીં.

આગળનો રસ્તો સહાનુભૂતિ અને સ્પષ્ટતા પર આધારિત રાજનીતિની માંગ કરે છે. પહેલાં તો સરકારે વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા માટે મૃત્યુની પારદર્શક તપાસનો આદેશ આપવો જોઈએ. ત્યાર પછી સરકારે રાજ્યનો દરજ્જો, છઠ્ઠી અનુસૂચિ સંરક્ષણ અને હિલ કાઉન્સિલ્સ માટે મજબૂત સત્તાઓને સંબોધિત કરતો સમય-બદ્ધ રાજકીય રોડમેપ રજૂ કરવો જોઈએ. સ્પષ્ટતા તબક્કાવાર મળે તો પણ એ કાયમ ચાલતી રહેતી સમિતિઓની રચના કરતાં વધારે સારું ફળ આપનારી સાબિત થાય. ત્રીજું, સરકારે મજબૂત જમીન અને પર્યાવરણની સ્થાપના કરીને લદ્દાખની અનન્ય ઇકોલોજીકલ અને સાંસ્કૃતિક સંવેદનશીલતાઓને સ્વીકારવી જોઈએ.

અને છેવટે, તેણે લેહ અને કારગિલ બંને સાથે સરખું જોડાણ રાખવું જોઇએ, સમાન સંપર્ક જાળવવો જોઇએ અને એ બાબતની ચોકસાઈ રાખવી જોઇએ સ્વાયત્તતાને એક સમુદાયને બીજા સમુદાય કરતાં વધુ મહત્ત્વ આપવામાં ન આવે.

લદ્દાખમાં કટોકટી મૂળ તો માન્યતા અને ઓળખ વિશે છે. ત્યાંના લોકોને સવાલ એ છે કે ભારતની સૌથી વધુ ઊંચાઈએ જીવતા અને તેની સૌથી વિશ્વાસઘાત સરહદોનું રક્ષણ કરનાર નાગરિક હોવાને નાતે શું તેમને સાંભળવામાં આવે છે? તે લોકોની – ખાસ કરીને સરકારની- નજરે ચઢે છે ખરા કે પછી તે હાંસિયામાં ધકેલાયેલા છે? તેઓ મૂળે ઇચ્છે છે કે તેમનું મૂલ્ય થાય. આખરે તેઓ પણ આપણા દેશનો જ હિસ્સો છે, તેમના મતની અને તેમના ઝૂકાવની પણ સરકારને જરૂર તો પડવાની જ છે, પોતાનો કૉલર ઊંચો રાખવામાં નાગરિકોનું નુકસાન વેઠવાનું કોઇપણ સત્તાને પોસાય તેમ નથી હોતું.

બાય ધી વેઃ 

જો દિલ્હી સહાનુભૂતિથી સાંભળે અને નિર્ણાયક રીતે કાર્ય કરે, તો લદ્દાખ ફરીથી ગૌરવનું રક્ષક બની શકે છે. જો નહીં, તો આ સરહદ લાંબા સમય સુધી અશાંતિના ચક્રવ્યૂહમાં ભેરવાયેલી રહેશે તેવો ભય છે – આ લક્ઝરી કે આ સ્થિતિ ભારતને પરડવડી શકે એમ નથી કારણ કે અંદરની ઝાળની સીધી અસર ભારતની વાસ્તવિક નિયંત્રણ રેખા સુધી પહોંચતા વાર નહીં લાગે.  “પ્રશ્ન એ નથી કે લદ્દાખીઓને રાજ્યનો દરજ્જો કે છઠ્ઠી અનુસૂચિ ક્યારે મળશે — પ્રશ્ન એ છે કે શું ભારતની સૌથી ઊંચી સરહદે રહેલા અને તેની રક્ષા કરનારા નાગરિકોની અવાજને દિલ્હી સાંભળવા તૈયાર છે? સરકાર આ અવાજને માન્યતા આપશે કે તેને હાંસિયામાં ધકેલી દેશે — એનો જવાબ લદ્દાખના ભવિષ્ય સાથે સાથે ભારતના ફેડરલ લોકશાહી પર વિશ્વાસ નક્કી કરશે.”

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 28 સપ્ટેમ્બર 2025

Loading

...102030...180181182183...190200210...

Search by

Opinion

  • ગઝલ
  • સુરત મહાનગરપાલિકાને –
  • MET Gala 2026: સૉફ્ટ પાવરના મંચ પર ભારતનો ‘આર્કટેક્ચરલ’ વિજય
  • ચલ મન મુંબઈ નગરી—340
  • ગુજરાત UCCમાં સ્ત્રી  

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ
  • મિસ્ટર આંબેડકર અને આંબેડકર કોણ હતા

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved