Opinion Magazine
Number of visits: 10080651
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સાર્ધ શતાબ્દીનો કળશ : ‘વંદે માતરમ્’ની સ્વીકૃતિ અને રાજકારણ

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|19 November 2025

‘વંદે માતરમ્‘ની ઉજવણીમાં પક્ષીય વિચારધારાના પ્રવેશથી, શું આપણે રાષ્ટ્રીય ગીતના ઇતિહાસ અને તેની સ્વીકૃત સર્વસંમતિનો અનાદર કરી રહ્યા છીએ?

પ્રકાશ ન. શાહ

રાષ્ટ્રીય ગાન તરીકે સત્તાવાર અલંકૃત અને રાષ્ટ્રગીત ‘જન ગણ મન’ની બરોબરીનું વિધિવત સન્માનપ્રાપ્ત ‘વંદે માતરમ્’ હવે સાર્ધ શતાબ્દીએ પહોંચ્યું છે ત્યારે ભારત સરકાર વરસ આખું એના ઓચ્છવની રીતે મનાવે, એથી કોણ રાજી ન થાય?

છતાં આ રાજીપો, કંઈક કુંડાળામાં પડી ગયેલો કે પડું પડું વરતાય છે એવું કેમ. વડા પ્રધાને ‘મન કી બાત’માં અને પછી સાતમી નવેમ્બરે સાર્ધ શતાબ્દીના શ્રીગણેશ માંડતા જે વાતો કરી એમાંથી કેમ જાણે એક રાષ્ટ્રીય નેતૃત્વ કરતાં વચ્ચે વચ્ચે પક્ષપરિવારી વિચારધારા સોડાતી હતી.

રહો, જરા વિગતે વાત કરીએ. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય ‘આનંદમઠ’ નવલકથામાં લઈ આવ્યા અને એ જાણીતું થયું તે જરૂર સાચું છે. ‘આનંદમઠ’માં એનો ઉપયોગ સંઘર્ષગાન રૂપ માતૃવંદના રૂપે થયો છે. એક એવું આકલન પણ કાલજયી ‘વંદે માતરમ્’ અને યુગપ્રવર્તક ‘આનંદમઠ’ને અનુલક્ષીને થયું છે કે સર્જકે સ્વરાજ સંદેશ સારુ લીધેલું ઓઠું ચોક્કસ સમજથી અંગ્રેજ શાસકોને ટાળીને હિંદુ-મુસ્લિમ તરેહનું લીધું છે. તેમ છતાં, સંતાનધર્મની અપીલ અને ‘વંદે માતરમ્’ની મોહનીનો એક સાક્ષાત્કારક અનુભવ 1905ના બંગબંગ દિવસોમાં એની અસલ અપીલ(‘આનંદમઠ’ પૂર્વે હોઈ શકતી અપીલ)નો હતો એ પણ ઇતિહાસવસ્તુ છે. એની તરજ બાંધી રાખીબંધનના ભાવપૂર્વક કોલકાતાની સડકો પર ફરી વળતા યુવા રવીન્દ્રનાથનું સ્મરણ એટલું જ રોમાંચક છે જેટલું આકર્ષક બંકિમબાબુનું સ્મરણ પણ છે.

પણ, ઇતિહાસ જેનું નામ એને તમે ને હું બધો વખત બન્યો ન બન્યો તો નયે કરી શકીએ. ‘વંદે માતરમ્’ના ઉત્તર ભાગમાં આવતો દુર્ગાનો ઉલ્લેખ, આમ તો કવિની દૃષ્ટિએ માતૃમૂર્તિનો ઉલ્લેખ, કાળક્રમે કોઈ મુસ્લિમ ફિરકાને ભારતસમસ્તને બદલે પક્ષિલ લાગ્યો એ પણ ઇતિહાસવસ્તુ છે. કોલકાતામાં એક તબક્કે હિંદુ-મુસ્લિમ તનાવ વખતે એક પક્ષે ‘વંદે માતરમ્’નો ઉપયોગ ‘વૉર ક્રાય’ તરીકે થયો તે કમનસીબ બીના પણ ઇતિહાસદર્જ છે.

સંઘ તો સ્વરાજ લડતમાં સીધો નહોતો પણ લડતમાં પડેલાઓ વચ્ચે લાંબી ચર્ચા આ સંદર્ભે થઈ છે અને રાષ્ટ્રીય લડતને હિંદુ મહાસભા તેમ મુસ્લિમ લીગ વચ્ચેના તનાવમાંથી બહાર કાઢવાનો હેતુ એની પાછળ રહ્યો છે. 1937માં મૌલાના આઝાદ, સુભાષબાબુ, જવાહરલાલ, રવીન્દ્રનાથ અને નરેન્દ્રદેવે એને વિશે સઘન વિચારણા કરી એમાંથી એનું વર્તમાન સ્વીકૃત સ્વરૂપ બહાર આવ્યું છે. સ્વરાજની પહેલી કેબિનેટે તે મે 1948માં બહાલ રાખ્યું ત્યારે શ્યામાપ્રસાદ મુખર્જી પણ એમાં સંમત અને સહભાગી હતા.

એક તબક્કે સુભાષબાબુએ પૂર્ણ ‘વંદે માતરમ્’ કોઈ હિંદુ રચના નથી તેમ કહ્યું પણ હતું. પણ રવીન્દ્રનાથ સાથેની ચર્ચા પછી એમણે એના અનર્થઘટનની શક્યતા સ્વીકારી. રવીન્દ્ર-રચના જન ગણ મન (જેનો પણ આરંભનો અંશ જ રાષ્ટ્રગીત તરીકે સ્વીકારાયો છે) પહેલી વાર મોટે પાયે પ્રયોજાઈ તે દેશ બહાર સુભાષબાબુએ રચેલ આઝાદ હિંદ સરકારના વારામાં – એમાં પણ સંસ્કૃતનો વિનિયોગ સુભાષબાબુએ સ્વીકૃત સ્વરૂપમાં ઘટાડ્યો હતો અને સામાન્યપણે જેને હિંદુસ્તાની કહી શકીએ એવી બાનીમાં એ મૂક્યું હતું.

જે મુદ્દો આપણા ખયાલમાં નથી આવતો તે એ છે કે જેમ જેમ સામસામી ઓળખોનું રાજકારણ વિકસે તેમ વ્યાપકપણે વસવા જોઈતા મુદ્દા સામસામા સાંકડા અર્થોમાં મુકાઈ જાય છે. પોંડિચેરીવાસમાંથી, મુંજે અને હેડગેવારના આગ્રહ છતાં, અરવિંદે કાઁગ્રેસ નેતૃત્વ માટે (તિલકની ખોટ પૂરવા) બહાર આવવાની ના પાડી ત્યારે જેમ એમણે શરૂ કરેલ સાધનાનું કારણ હતું તેમ પોતે ‘વંદે માતરમ્’થી માંડી ‘ધર્મ’ સુદ્ધાંની સાંકડી ઓળખની બહાર ચાલી ગયા છે એ સ્પષ્ટતા પણ કામ કરી ગઈ જણાય છે. છૂટપૂટ ઉલ્લેખો નહીં પણ ‘સમગ્ર અરવિંદ’માંથી પસાર થતાં એ સમજાય છે.

જરા જુદી રીતે, ‘વંદે માતરમ્’ સંદર્ભે નહીં પણ એમાં ઉપયોગી એક વિગત હું જનસંઘના આદ્ય સ્થાપકો પૈકી બલરાજ મધોકને સંભારીને કરવા ઇચ્છું છું. મધોક સંઘમાં જોડાયા ત્યારે પ્રાર્થનામાં અલબત્ત જોડાતા. પણ આરંભકાળની એ પ્રાર્થના ‘રામદૂત હનુમાન’ને અનુલક્ષીને રચાઈ હતી. મધોકે આત્મકથામાં સંભાર્યું છે કે એમના આર્યસમાજી ઉછેરની કારણે એમને એમાંથી મૂર્તિપૂજાની બૂ આવતી ને તે કઠતી. પછી ‘નમસ્તે સદાવત્સલે’ એ પ્રાર્થના આવી ત્યારે એમના દિલને કરાર વળ્યો ય ‘વંદે માતરમ્’ પર જ્યારે ચર્ચા ચાલી ત્યારે રવીન્દ્રનાથે પણ સંભાર્યું છે એમાં આવતો પ્રતિમાપૂજા જેવો અંશ એમના બ્રાહ્મો ઉછેરને કઠતો હતો.

અરવિંદનું એક બીજું અવલોકન સંભારું? એમણે કહ્યું છે કે 1916માં જે લખનૌ પેક્ટ થયો, તિલકે જેમાં આગળ પડતો ભાગ લીધો અને હિંદુ-મુસ્લિમ બેઠક વહેંચણીથી સમાધાન સાધ્યું, એને પરિણામે ભલે અણધાર્યું પણ એવું થયું કે બે જુદી ઓળખોને ધાર અને આધાર સાંપડ્યો, સ્વીકૃતિ મળવામાં સગવડ થઈ. આ પ્રક્રિયામાં પોતપોતાનો અલગાવવાદી એજન્ડા ઉછાળતા મુસ્લિમ લીગ અને હિંદુ મહાસભાને સ્વાભાવિક જ મોકા પર મોકા મળી રહ્યા.

સ્વરાજ સંગ્રામ અને સ્વરાજ નિર્માણની સમગ્રતા ‘વંદે માતરમ્’ની ઘટનાને જોવા-સમજવા તેમ તપાસવા અને બિરદાવવાના ઉપક્રમને કાઁગ્રેસે (જ્યારે તે પક્ષ કમ અને રાષ્ટ્રીય ચળવળ વધુ હતી ત્યારે) ‘વંદે માતરમ્’ના ટુકડા કર્યા ને દેશના ભાગલા પાડ્યા એવા સપાટબયાનીનો મામલો આ નથી. સરકારી કચેરીઓમાં સંપૂર્ણ ‘વંદે માતરમ્’ ગવાયાના હેવાલોમાંથી ઊઠતી છાપ કોઈ રાષ્ટ્રીય ઉજવણી કરતાં વધુ તો કાઁગ્રેસ વિરોધી રાજકારણની ઊઠે છે, અને બંધારણ સભામાં સ્વીકૃત સમજનો એમાં અનાદર છે તે વધારામાં.

‘વંદેમાતરમ્’ વિવાદને અંતે સર્જાયેલ એકંદરમતી સમજવામાં મદદ મળશે એ આશા અપેક્ષાએ સાર્ધ શતાબ્દી ઉજવણાંનું સ્વાગત.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 19 નવેમ્બર  2025

Loading

નવી મમ્મી

નરેન્દ્ર ત્રિવેદી|Opinion - Short Stories|19 November 2025

મહેશભાઈ અને રમાબહેનનો સુખી સંસાર હતો. પાંચ વર્ષનો પુત્ર સુશીલ હતો. મહેશભાઈને હોલસેલ કરિયાણાની દુકાન હતી. બિઝનેસ પણ સારો ચાલતો હતો. વર્ષમાં એકવાર કુળદેવીના દર્શને જવાનો નિયમ હતો. મહેશભાઈએ કુળદેવીના દર્શને જવાનો પ્રોગ્રામ કર્યો, દર્શન કરી પાછા વળતી સમયે કારનો એક્સિડેન્ટ થયો. વિધિને કરવું કે મહેશભાઈ અને સુશીલને સામાન્ય ઇજા થઈ પણ રમાબહેનને માથાના ભાગે બહુ વાગ્યું. હોસ્પિટલમાં દાખલ કર્યાં પણ બચાવી ન શકાયાં, મહેશભાઈ અને સુશીલ એકલા થઈ ગયા.

મહેશભાઈ તો પોતાના બિઝનેસમાં વ્યસ્ત થઈ ગયા, પણ સુશીલને મમ્મી બહુ જ યાદ આવતી હતી. ઉંમર પણ પાંચ વર્ષની હતી. કોઈક તો સારસંભાળ લેવાવાળું હોવું જોઈએ, પણ મહેશભાઈ બીજા લગ્ન કરવા તૈયાર નહોતા. તેમને બીક હતી કે બીજા લગ્ન કરું તો સુશીલનું શું થાય. તેને નવી મમ્મી બરોબર ન સાચવે તો સુશીલનું જીવન બગડી જાય. ખૂબ સમજાવટ પછી મહેશભાઈ બીજા લગ્ન ઉમાબહેન સાથે કરવા માટે તૈયાર થયા.

ઉમાબહેન સાથે સાદાઈથી લગ્ન થઈ ગયા. મહેશભાઈએ સુશીલને કહ્યું, “સુશીલ, આ તારી નવી મમ્મી છે.”

“ના, પપ્પા એ મારી નવી મમ્મી નહીં, પણ મારી મમ્મી છે, હું તેને મમ્મી જ કહીશ.” ઉમાબહેને દોડીને સુશીલને ગળે વળગાડી લીધો. મહેશભાઈની આંખો હર્ષથી ભરાઈ આવી અને એવો અહેસાસ થયો કે મેં બીજા લગ્ન કરીને કંઈ ખોટું કર્યું નથી. ઉમા હકીકતમાં સુશીલની “મમ્મી” બની રહેશે. સુશીલ અને ઉમાબહેન વચ્ચે એવો સંબંધ થઈ ગયો કે કોઈને ખબર ન પડે કે ઉમાબહેન સુશીલની નવી મમ્મી છે.

પણ, સમાજમાં વાંકદેખા અને બીજાના ઘરમાં ઝાંખનારા હોય છે. એ એક પણ તક ઉમાબહેનને નીચે દેખાડવા માટેની જતી કરતાં નહોતાં. સુશીલ માંદો પડે તો ઉમાબહેનનો વાંક. ક્યાંયથી પડે આખડે તો ઉમાબહેનનો વાંક. દરેક બાબતને ઉમાબહેન સાથે જોડી સુશીલને નવી મમ્મીનો અહેસાસ કરવાનો પ્રયત્ન કરતા રહેતા. ત્યાં સુધી કે મહેશભાઈને પણ કહેવામાં આવ્યું હતું કે તમે બિઝનેસમાં ગળાડૂબ છો સુશીલ માટે થોડુંક તો ધ્યાન આપો. મહેશભાઈ એક વખત તો ભરમાઈ ગયા હતા, પણ પછી જાત તપાસ કરી સાચી હકીકત જાણી લીધી હતી. સુશીલ પણ ધીમે ધીમે વાત સમજવા લાગ્યો હતો. તેને પોતાની મમ્મી ઉપર પૂરો ભરોસો હતો.

ઉમાબહેન એક સારા ચિત્રકાર હતાં. તેણે પિયરમાં શોખની ખાતર ઘણાં ચિત્રો દોર્યાં હતાં. ઉમાબહેને જોયું કે સુશીલમાં એક સારા ચિત્રકાર બનવાની ક્ષમતા છે. ઉમાબહેને, સુશીલની આ ક્ષમતાને પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું. પોતાનું બધું જ્ઞાન સુશીલમાં નીચોવી દીધું, પરિણામે સુશીલ એક ખ્યાતનામ ચિત્રકાર બની ગયો. તેના ચિત્રોનું વનમેન પ્રદર્શન થવા લાગ્યું. એક પ્રસિદ્ધ સંસ્થાએ તેનું નામ એવોર્ડ આપવા માટે પસંદ કર્યું અને ફંકશનનું આયોજન કર્યું.

આયોજનના મુખ્ય ટ્રસ્ટીએ સુશીલને સ્ટેજ ઉપર સ્થાન ગ્રહણ કરવા આમંત્રણ આપ્યું. સુશીલે સ્ટેજ ઉપર જઈ ટ્રસ્ટીને વિનંતી કરી કે સ્ટેજ ઉપર બે વધારાની ખુરશી મારા મમ્મી, પપ્પા માટે મુકવામાં આવે અને સ્ટેજ ઉપર સ્થાન ગ્રહણ કરવા માટે આમંત્રણ આપવામાં આવે. સુશીલની પ્રસિદ્ધિ જોઈને તેની માગણી માન્ય રાખવામાં આવી.

મુખ્ય ટ્રસ્ટીએ સુશીલને એવોર્ડ સ્વીકારવા માટે કહ્યું. સુશીલે ઊભા થઈને કહ્યું, “આજના મારા આ એવોર્ડની ખરી હકદાર મારી મમ્મી ઉમાબહેન છે. હું, મમ્મીને વિનંતી કરીશ કે મારા વતી એવોર્ડ સ્વીકારે, કારણ કે મને અહીં સુધી પહોંચાડનાર મારી મમ્મી છે. તેણે મારી પાછળ આખી જિંદગી ખર્ચી નાખી છે, ત્યાં સુધી કે મારા હકમાં કોઈ ભાગ ન પડાવે તે માટે તેણે તેના માતૃત્વનું પણ બલિદાન આપી દીધું છે.”

“હું, નાનો હતો ત્યારથી સાંભળતો આવું છું. નવી મમ્મી, નવી મમ્મી પણ મેં ક્યારે ય તેને નવી મમ્મી માની નથી કે કહી નથી. સામે પક્ષે મારી મમ્મીએ ક્યારે ય તેના માતૃત્વમાં ઓટ આવવા દીધી નથી. આ કહેવાતા સામે બેઠેલા સમાજે તેને નવી મમ્મીથી નવાજી છે. હંમેશાં નવી મમ્મી તરીકે જ ઉદ્દેશી છે. હું આ સમાજને પૂછું છું, શું કામ તેને મમ્મીમાંથી નવી મમ્મી બનવા મજબૂર કરો છો. સમાજને ગેરમાર્ગે દોરો છો. મારી આ તમારી કહેવાતી નવી મમ્મી, આજે આ ઊંચાઈએ મને લઈ આવી છે. છે તમારું તેમાં કંઈ યોગદાન? નથી ને? તો તમે જરા વિચારજો કે તમે તો સગી મા છો ને, તો તમારા બાળકો કંઈ ઊંચાઈએ પહોંચ્યા છે. પારકી પંચાત તો સૌને ગમે પણ ઘર બાળીને તીરથ ન કરાય. જો આટલું સમજાઈ જાય તો કોઈ ઘરમાં નવી મમ્મી જ નહીં મળે. બધે મારી મમ્મી જેવી મમ્મી મળશે. મારી વાત આપને ન ગમે, કડવી લાગે પણ મેં અનુભવેલા, મારી મમ્મીએ ભોગવેલી ઘૂંટણ અને સમાજની સત્યતાની વાત છે.”

“ઉમાબહેન, તમે કંઇક કહેશો?” 

“હું શું કહું? આજે મારા સુશીલે મારા જીવનની તપસ્યાને સફળ કરી. મારા માતૃત્વને એક એવી ઊંચાઈએ લઈ ગયો કે જ્યાં પહોંચવાની દરેક મા, ઇચ્છા રાખતી હોય છે. હું એટલું ચોક્કસ કહીશ કે કદાચ મને મારા સગા દીકરાએ પણ આટલું માન સન્માન ન અપાવ્યું હોત જે આજે મને અહીયા મળ્યું છે.”

“મારે મારી બહેનોને એટલું જ કહેવું છે, મમ્મી એ મમ્મી હોય છે નવી મમ્મી કદી હોતી નથી, આપણે તેને નામ, ઉપનામ આપીએ છીએ. તેનાથી નવાજીએ છીએ અને મનના આનંદ ખાતર વગોવીએ છીએ.”

સૌએ તાળીઓના ગગડાટ સાથે સુશીલ અને ઉમાબહેનની વાત વધાવી લીધી…

ભાવનગર
e.mail : Nkt7848gmail.com

Loading

મેજ પર મોબાઇલ : બાળકોનું સ્ક્રીન-એક્સપોઝર માનસિક વિકાસ માટે જોખમી 

રાજ ગોસ્વામી|Opinion - Opinion|18 November 2025

રાજ ગોસ્વામી

મમ્મી બાળકને કોળિયા ભરાવતી હોય, ત્યારે બાળક થાળીને બદલે સ્ક્રીન તરફ ઝુકેલું હોય એવું ‘મધુર’ દૃશ્ય હવે બહુ ઘરોમાં જોવા મળે છે, પણ તે આપણી પારિવારિક આદતો અને બાળકોના વિકાસને લઈને ઊંડા નિહિતાર્થનો સંકેત પણ છે. બાકી રાજ્યોને પણ આ દિશામાં વિચારવાની પ્રેરણા મળે તેવા એક અભ્યાસમાં, ઇન્ડિયન એકેડમી ઓફ પેડિયાટ્રિક્સના કેરલ વિભાગે કહ્યું છે કે રાજ્યમાં બે વર્ષની નીચેનાં 89.1 ટકા બાળકો સ્ક્રીનનાં વ્યસની થઇ ગયાં છે. અને તેનું પ્રમુખ કારણ એ છે કે તેમને ખવડાવવા માટે, ઊંઘાડવા માટે કે રડતાં હોય તો શાંત કરવા માટે તેમની સામે સ્ક્રીન ધરી દેવામાં આવે છે. 

આ અભ્યાસ, કેરળ હેલ્થ સર્વિસિસમાં નિઓનેટોલોજિસ્ટ અને આઈ.એ.પી.ના કોલ્લમ જિલ્લા અધ્યક્ષ ડૉ. મનોજ મોનીએ કર્યો હતો. તેમના સરકારી ક્લિનિકમાં નિયમિત 18-મહીનાના રસીકરણ માટે લાવવામાં આવતાં બાળકોની તપાસ દરમિયાન તેમણે આ અભ્યાસ કયો હતો.

નિષ્કર્ષ સ્પષ્ટ હતો. જે પરિવારોમાં માતાઓ ખાલી હાઈ-સ્કૂલ સુધી ભણી હતી તે ઘરોમાં તમામ (100 ટકા) બાળકો સ્ક્રીનનાં વ્યસની હતાં. તેનાથી વિપરીત, જે માતાઓ પોસ્ટ-ગ્રેજ્યુએટ હતી ત્યાં સ્ક્રીન ટાઇમ 80 ટકા હતો. અર્થાત, માતાઓનું શિક્ષણ જેટલું વધુ હોય, બાળકોનો સ્ક્રીન-ટાઇમ ઓછો હોય. છતાં તે સુરક્ષિત તો ન જ કહેવાય. ભણેલા-ગણેલા પરિવારોમાં પણ આ સ્થિતિ વ્યાપક છે. 

સંયુક્ત પરિવારોમાં રહેતા બાળકોમાં 91.5 ટકા સ્ક્રીન એક્સપોઝર જોવા મળ્યું હતું. વિભક્ત પરિવારોમાં આ આંકડો થોડો ઓછો, 78.9 ટકા છે. મતલબ: સંયુક્ત પરિવારોમાં બાળકો વધુ સ્ક્રીન જોવે છે. તેનું કારણ એ હોઈ શકે કે વધુ સભ્યો હોવાને કારણે બાળક અનેક લોકોની દેખરેખમાં રહે છે, અને સૌની વ્યસ્તતા અથવા સંભાળ રાખવાના પડકારને કારણે સ્ક્રીન સરળ વિકલ્પ બની જાય છે, અથવા વિવિધ સભ્યો બાળકોને શાંત કરવા માટે કે મનોરંજન માટે તેમને સ્ક્રીન આપે છે.

ભારતમાં જનસામાન્ય સમસ્યાઓ અને નાનાં બાળકો પર થયેલા ઘણા અભ્યાસોમાં વારંવાર એવું જાણવા મળ્યું છે કે બાળકોમાં સ્ક્રીનનું એક્સપોઝર વ્યાપક છે. કેટલાક મોટા શહેરોમાં અને વિશિષ્ઠ સર્વેમાં જાણવા મળ્યું છે કે ક્વોલિટી ટાઈમના બહાને બાળકોને સ્ક્રીન પર વળગાળી દેવાનું ચલણ સૌથી મોખરે છે. એક અભ્યાસમાં બાળકોને ખવડાવાનાં મુખ્ય કારણોમાં સ્ક્રીનનો ઉપયોગ લગભગ 46 ટકા હતો. બીજો એક અભ્યાસ કહે છે 80 ટકાથી વધુ પરિવારોમાં બાળકોને ટી.વી. સામે બેસાડીને ખવડાવવામાં આવે છે. 

આવી આદતોની બાળકોના વિકાસ પર અસર પડે છે. અમેરિકન મેડિકલ એસોસિએશનના જર્નલ જામા પેડિયાટ્રિક્સનો રિપોર્ટ કહે છે કે એક વર્ષની ઉંમરમાં વધુ પડતા સ્ક્રીન-એક્સપોઝર પછી બાળકમાં કોમ્યુનિકેશન અને પ્રોબ્લેમ-સોલ્વિંગની ક્ષમતા વિલંબથી વિકસે છે – એટલે કે શરૂઆતની ઉંમરમાં આવી જતી સ્ક્રીનની નિર્ભરતા બાળકોમાં બોલવા-સમજવાના અવસરો ઓછા કરે છે.

કેમ? કારણ આસાન છે : જ્યારે બાળક સ્ક્રીન સાથે વ્યસ્ત રહે, ત્યારે તે તેની આસપાસના વયસ્ક લોકો સાથે વાતચીતનો અવસર ગુમાવી દે છે. સવાલ-જવાબ કરવા, નામ વાંચવાં, ઈશારાઓથી પ્રતિક્રિયા આપવી, આઈ-કોન્ટેક્ટ કરવો જેવી નાની-નાની ક્રિયાઓ બાળકોમાં ભાષા-વિકાસ માટે પાયાના પથ્થર સમાન છે. બાળકો જેટલાં વહેલાં અને જેટલાં વધુ સ્ક્રીનના સંપર્કમાં આવે છે, તેમની ભાષાઈ કુશળતા પર એટલો જ નકારાત્મક પ્રભાવ જોવા મળે છે.

બાળકોનું મોઢું સ્ક્રીનમાં રાખીને તેમને ખવડાવાની ટેવથી તેમનું ધ્યાન આહારને બદલે વિજ્યુઅલ-ઉત્તેજના પર રહે છે. તેનાથી તેમની સતર્કતા (એટેન્શન) ક્ષમતા પર અસર પડે છે, ભોજન સાથે જોડાયેલી સ્વાદ, ગંધ અને તેની બનાવટને સમજવાની સમજ ઘટે છે અને ખાવાની ખાવું તે યંત્રવત બાનીમ જાય છે. લાંબા સમય સુધી આવી આદત એટેન્શન સંબંધિત સમસ્યાઓ, ખાવા-પીવાની અનિયમિતતા અને આહાર સંબંધી અસંતુલિત ટેવોને જન્મ આપે છે. અનેક અભ્યાસોમાં એવું પણ જાણવા મળ્યું છે કે સ્ક્રીન સામે રાખીને ખાવાથી બાળકોમાં સ્થૂળતા અને પેટની બીમારીઓ પણ થાય છે. 

ખાતી વખતે પેરેન્ટ્સ અને બાળક વચ્ચે ‘કેમ નથી ખાતો?’ અથવા ‘આ ખાવાનું કેવું છે?’ અથવા ‘ચાવીને ખા’ જેવા નાનકડા સંવાદો બાળકોના સામાજિક-ભાવનાત્મક વિકાસ માટે જરૂરી છે. જો તેની જગ્યા સ્ક્રીન લઈ લે, તો બાળકો અને તેમની દરકાર કરનારાઓ વચ્ચેની ઘનિષ્ઠતા ઓછી થઇ જાય છે. પછી પરંપરાગત પેરેન્ટિંગની જગ્યાએ સ્ક્રીન-પેરેન્ટિંગ આવી જાય છે. જેના કારણે બાળકની ભાવનાત્મક સુરક્ષા અને આત્મ-નિયંત્રણ ક્ષમતાઓ પર અસર પડી શકે છે. એટલે, ખાવાનું ખાવાની રીત જ નહીં, બાળક અને પેરેન્ટ્સના સંબંધની વિકાસ પણ પ્રભાવિત થાય છે. પિતા/માતા સંબંધોનું નિર્માણ પણ પ્રભાવિત થાય છે. 

પેરેન્ટ્સ આની બહુ દરકાર નથી કરતાં તેનું કારણ એ છે કે તેઓ પોતે જ મોબાઈલ ફોનનાં વ્યસની છે. તેઓ પણ તેમનું ખાવાનું ખાતી વખતે મોબાઈલ જોતાં રહે છે. જૂના સમયમાં કાર્ટૂન આવતાં હતાં, જેમાં ઘરનો મુખ્ય માણસ ડીનર ટેબલ પર સમાચાર પત્રમાં મોઢું ઘાલી રાખીને બાકી પરિવારની ઉપેક્ષા કરતો હોય. આ જ કામ હવે મોબાઈલ કરે છે.

ભોજનનો સમય પરિવારોમાં બાળકો અને પેરેન્ટ્સ વચ્ચે ઘનિષ્ઠતા વધારવાનો છે. આપણું વર્તમાન જીવન આમ પણ ઘણું વ્યસ્ત રહે છે. ખાતી વખતે એકબીજા સાથે વાતો કરવી એ સદીઓ જૂની પરંપરા રહી છે અને તેના ચોક્કસ ભાવનાત્મક લાભ પણ છે. હવે પેરેન્ટ્સ અને બાળકો સ્ક્રીનમાં મોઢું ઘાલી રાખે છે. 

એવું નથી કે સ્ક્રીન શેતાન છે, પણ આપણે તેની સાથે કેવી રીતે પનારો પાડવો તેની શિસ્ત નથી વિકસાવી. કેટલીક ડિજીટલ સામગ્રીઓ અને વીડિયો-કોલ ક્યારેક ઉપયોગી હોઈ શકે છે, અને વ્યસ્ત માતાપિતાઓ માટે સ્ક્રીન અસ્થાયી સહારો પણ હોઈ શકે છે. પરંતુ મુખ્ય મુદ્દો છે તેની શિસ્ત – બાળકો માટે સરળતાથી સ્ક્રીનની ઉપલબ્ધિ તેમના માનસિક વિકાસ માટે જોખમી છે. વિશ્વ આરોગ્ય સંગઠન અને બાળકોના વિશેષજ્ઞ ઓછી ઉંમરના બાળકો માટે સ્ક્રીન-સમયને કડક રીતે મર્યાદિત કરવાની સલાહ આપે છે. કેરલનો અભ્યાસ કહે છે પૂરા ભારતમાં આ અંગે વ્યાપક જાગૃતિની જરૂર છે.

(પ્રગટ : “ગુજરાત મિત્ર” / “મુંબઈ સમાચાર” / “ગુજરાત મેઈલ”; 16 નવેમ્બર 2025
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...179180181182...190200210...

Search by

Opinion

  • એક યુવક જન્તર મન્તર છોડતી વખતે પોલીસને કહેતો જાય કે, “ફિર આયેંગે ઔર તબ બંદૂક લેકર આના.”
  •  પ્રાથમિક શિક્ષણથી યુનિવર્સિટી શિક્ષણ સુધી ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર …
  • ૨૧મી સદીમાં ઘર પુન: બાંધવું
  • Gen Zનો રોષ: કઠેડામાં આજની કે અગાઉની પેઢી નહીં, વ્યવસ્થા છે
  • ચલ મન મુંબઈ નગરી—353

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • ગઝલ
  • માર્યા જશે
  • ચાર સાંપ્રત હિન્દી કાવ્યો
  • ગઝલ
  • લૂંટ શકે તો લૂંટ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved