Opinion Magazine
Number of visits: 9962881
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સાંસદોની સભ્યતા અને સસ્પેન્શનઃ ખુરશી ઉછાળવાથી માંડીને નોટોના થોકડા ફેંકવા સુધી

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|26 December 2021

૧૯૮૯માં લોકસભામાંથી ૬૩ સભ્યોને ૩ દિવસ માટે સસ્પેન્ડ કરાયા હતા, સાંસદના સસ્પેશનનો કિસ્સો પહેલીવાર ૧૯૬૩માં થયો હોવાની જાણકારી છે

શેક્સપિયરે લખેલું કે આ દુનિયા એક રંગમંચ છે અને બધાં સ્ત્રી પુરુષો માત્ર તેના અભિનેતાઓ!

ઊંડી ફિલસૂફી ધરાવતા આ વાક્યને જરા વધારે જ ડ્રામેટિક રીતે સમજનારા લોકોની આ દુનિયામાં કોઇ ખોટ નથી. એમાં પાછા રાજકારણીઓનું તો શું કહેવું! મન ફાવે ત્યારે વધુ પડતા ડ્રામેટિક થઇ જનારા સાંસદો અને નેતાઓના કિસ્સા ઘણાં છે. તાજેતરમાં થયેલા સંસદના સત્રની શરૂઆત જ તોફાની રહી. એટલો ડ્રામા થયો કે વિરોધ પક્ષના ૧૨ સાંસદોને તેમની ગેરવર્તણૂક બદલ ગૃહમાંથી સસ્પેન્ડ કરી દેવાયા. ઘણીવાર ઉપલા કે નીચલા ગૃહના સાંસદો સસ્પેન્ડ નથી થતા કારણ કે વર્તન એટલું બેહૂદું નથી હોતું પણ છતાં ય મનોરંજક બની રહે છે. જેમ કે, હજી ગયા અઠવાડિયે જયા બચ્ચને રાજ્ય સભામાં કોપ ભવનમાં એન્ટ્રી લઇ લીધી. પનામા પેપર્સ અને ઐશ્વર્યાને ઇડી સામે હાજર થવાની વાતનો ઉલ્લેખ થયો અને જયા બચ્ચને સખત ગુસ્સે ભરાઇને વિરોધ પક્ષના નેતાઓને એમ કહ્યું કે, ‘તમારા ખરાબ દિવસો પણ આવશે, તમારે અમને સાંભળવા નથી, બોલવા નથી દેવા તો અમારું ગળું જ દબાવી દો.’ આમાં જયા બચ્ચન જબરજસ્ત ટ્રોલ પણ થયાં. કોઇએ સોશ્યલ મીડિયા પર તેમને કળિયુગના દુર્વાસાનું ટાઇટલ આપી દીધું. જયા બચ્ચન તો આ પહેલાં પણ ગુસ્સે ભરાયાં છે. પણ ગેરવર્તણૂક માટે સાંસદો સસ્પેન્ડ થયા હોવાના કિસ્સાઓ પર નજર કરીએ.

એક સાથે રાજ્ય સભાના ૧૨ સાંસદો સસ્પેન્ડ થવાનો આ પહેલો કિસ્સો છે અને આ સાંસદો ધરણાં પર બેસીને વિરોધ પણ દર્શાવ્યો. આ સાંસદો નિયમ ૨૫૬ની અંતર્ગત ચોમાસું સત્રના છેલ્લા દિવસે તેમણે જે ગેરવર્તન કર્યું હતું તે બદલ અત્યારના શિયાળુ સત્રમાંથી સસ્પેન્ડ કરાયા છે. છેલ્લા સાત દાયકામાં ઘણીવાર નિયમ ૨૫૬નો ઉપયોગ કરીને સાંસદોની સાન ઠેકાણે લાવવાનો પ્રયાસ રાજ્ય સભા અથવા તો લોકસભા દ્વારા કરાયો છે. ૨૦૨૦ના ચોમાસું સત્રથી ખેડૂત ધારાને લઇને ગૃહમાં સંઘર્ષ થતો આવ્યો છે. આ સાંસદોએ ખેડૂત ધારાને મામલે અલગ કમિટી નિમી તેમનું વિશ્લેષણ કરવાની માંગ કરી હતી અને નાયબ અધ્યક્ષ સામે કાગળ ફંગોળ્યા હતા. ત્યારે છ જણાને સસ્પેન્ડ કરાયા હતા. આ વર્ષે પેગેસસ હેકિંગ સિસ્ટમ અને ખેડૂત ધારાને લઇને ચર્ચા કરવાની માંગ થઇ અને ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફર્મેશન ટેક્નોલોજી મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવ પેગેસસ અંગે સ્ટેમેન્ટ આપી રહ્યા હતા ત્યારે ટી.એમ.સી.ના સાંસદ શાંતનુ સેને તેમના હાથમાંથી કાગળ ખેંચી લીધા હતા. ઘોંઘાટ અને ઉગ્ર ચર્ચાઓ પછી શાંતનુ સેનને બાકીના સત્રમાંથી ઘર ભેગા કરાયા હતા.

રાજ્યસભાના અધ્યક્ષ એમ વૈંકેયા નાયડુએ ગયા વર્ષે આઠ સાંસદોને સસ્પેન્ડ કર્યા. આ પગલું ત્યારે લેવાયું જ્યારે ખેડૂત ધારો – જે હાલમાં પાછો ખેંચાયો તેની પર કામ થઇ રહ્યું હતું. હાલમાં સસ્પેન્ડ કરાયેલા ૧૨માંથી કેટલાક આ આઠની યાદીમાં પણ હતા. કાઁગ્રેસના રાજીવ સતવ, રિપુન બોરા, નઝીર હુસેન સાથે ટી.એમ.સી.ના ડેરેક ઓ’બ્રાયન અને ડોલા સેન તથા સી.પી.એમ.ના કે.કે. રાગેશ, ઇલામરમ કરીમ ઉપરાંત આપના સંજય સિંઘને સસ્પેન્ડ કરાયા હતા. તેમની ગેર વર્તણૂક બદલ પાર્લિયામેન્ટરી અફેર્સના રાજ્યમંત્રી વી મુરલીધરને તેમની સામે પગલાં લેવા માંગ કરી હતી.

આ પહેલાં જ્યારે ૨૦૧૦માં મહિલા અનામત ધારા પર રાજ્ય સભામાં ચર્ચા ચાલી રહી હતી ત્યારે ધારાના દસ્તાવેજને ફાડવામાં આવ્યું હતું અને અમુક મંત્રીઓએ બહુ હોબાળો કર્યો હતો.  વિરોધ પક્ષના અમુક સાંસદોને સસ્પેન્ડ કરવાની માંગ તે સમયના પાર્લિયામેન્ટરી અફેર્સ, સ્ટેટના મંત્રી પૃથ્વીરાજ ચૌહાણે માંગ કરી હતી.

એક સમયે લોક સભામાંથી ૨૫ સાંસદોને સસ્પેન્ડ કરાયા હતા. ૨૦૧૫માં કાઁગ્રેસના સભ્યોએ સંસદના કામમાં અડચણ ખડી કરી અને તેને આડે રસ્તે ચઢાવવાનો પ્રયાસ કર્યો તેમાં આ નિર્ણય લેવાયો. જો કે સસ્પેન્ડ થયેલાઓને ટેકો આપવા માટે કાઁગ્રેસના બાકી સભ્યોએ આ આખી કામગીરીને બૉયકૉટ કરવાનું નક્કી કર્યું હતું. કાઁગ્રેસ પ્રુમખ સોનિયા ગાંધીએ આ દિવસને લોકશાહી માટેનો કાળો દિવસ ગણાવ્યો હતો. લોકસભામાંથી સભ્યો નિયમ ૩૭૪ અંતર્ગત સસ્પેન્ડ કરાયા હતા. ૧૯૮૯માં લોકસભામાંથી ૬૩ સભ્યોને ૩ દિવસ માટે સસ્પેન્ડ કરાયા હતા. સાંસદના સસ્પેશનનો કિસ્સો પહેલીવાર ૧૯૬૩માં થયો હોવાની જાણકારી છે.

વિરોધો અને દલીલો તો ઠીક પણ ૨૦૦૮માં જ્યારે ભા.જ.પા.ના નેતા વી.કે. મલહોત્રાએ અધ્યક્ષને સંબોધવાનું શરૂ કર્યું ત્યાં તેમના પક્ષના સાંસદોએ હો હો કરતાં આગળ ધસી ગયા. થોડી ક્ષણો તો કોઇને ગેડ ન પડી કે શું થઇ રહ્યું છે. ભા.જ.પા.ના અમુક સાંસદોએ મીડિયા ગેલેરી તરફ ત્રણ આંગળી ઊંચી કરીને કરોડ કરોડની બૂમો પાડી. શું એક સાંસદ માટે ત્રણ કરોડની વાત હતી કે ત્રણ સાંસદ માટે એક કરોડની વાત હતી. વળી આ આખા નાટકમાં સૌથી અગત્યની વસ્તુ હતી આ હોબાળો કરનારા સાંસદોના હાથમાં રહેલી કરન્સી નોટ્સ. કાઁગ્રેસ સાંસદો પણ આ નોટની ગડીઓ જોવા માટે આગળ ધસી ગયા અને પૈસા કોના છે, આ ખસેડો અહીંથી એવી બૂમરાણ થવા માંડી. ભા.જ.પા.ના સાંસદો એમ કહેવા ચાહતા હતા કે આ પૈસા કાઁગ્રેસ તરફથી આવ્યા છે. લોક સભામાં પહેલી વાર આ રીતે ટેબલ પર રોકડાની થોકડીઓ મુકાઇ. આ તદ્દન સાવ રિવર્સ સ્ટિંગ હતું. સો જેટલા સાંસદોની ધક્કા મુક્કી વચ્ચે આરગલ જેવા સાંસદોએ બેગમાંથી ૧૦૦૦ની નોટોની થોકડીઓ બહાર કાઢી હતી. વળી એક નોટનો થોકડો હવામાં ય ફંગોળાયો હતો. આ ધમાલમાં કાઁગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, તત્કાલિન વડા પ્રધાન મનમોહન સિંઘ અને વિદેશ મંત્રી પ્રણબ મુખર્જી સ્તબ્ધ થઇને આ હોબાળો જોઇ રહ્યાં હતાં. સ્વાભાવિક છે આ નાટકને પગલે ગૃહ સ્થગિત કરી દેવાયું. આ કિસ્સાની ચર્ચાઓ પણ લાંબી ચાલી અમર સિંઘ, અહેમદ પટેલથી માંડીને ઘણાંના નામો ભા.જ.પા.ના આ નોટનાં થોકડા ફરકાવવાના કાંડમાં ચર્ચાયા.

બાય ધી વેઃ 

આપણા કુશળ રાજકારણીઓ ક્યાં ય પણ કંઇ પણ કરે છે. સ્થાનિક વિધાનસભાઓમાં પણ આવા ધાંધિયા થતા હોય છે. કાઁગ્રેસના સાંસદ લગડાપતિ રાજગોપાલે તેલંગણા તરફી સાંસદો પર ૨૦૧૪માં પેપર સ્પ્રે છાંટ્યુ હતું. ઉત્તર પ્રદેશની સભામાં ખુરશીઓ અને માઇક ફેંકાયા છે તો ઓરિસ્સાની સભામાં પણ ખુરશીઓ ઉછળી છે. એમ.એલ.એ. અબુ આઝમીએ એક એમ.એન.એસ.ના લેજિસ્લેટરને ધોઇ નાખ્યા કારણ કે તેણે હિંદીમાં શપથ લીધી હતી. હાથમાંથી ધારા લખેલી હોય એવા કાગળો ખેંચાઇ જવાનું પણ ઘણીવાર બન્યું છે. સાંસદોએ અમુક રીતભાત પ્રમાણે જ ગૃહમાં વર્તવાનું હોય છે, તેઓ કોઇ બોલતું હોય ત્યારે વચ્ચે ન બોલી શકે અથવા ચાલુ ભાષણએ કોમેન્ટ પાસ ન કરી શકે વગેરે. પણ આ ખુરશી ઉછાળનારા, નોટનાં થોકડા ઉડનારાઓ અને કાગળ ઝપટી લેનારાઓ ભૂલી જતાં હશે એમ લાગે છે. આ કારણે જ સ્પીકરને નવા નિયમ ૩૭૪એ અંતર્ગત ગૃહની કામગીરીમાં દખલ દેનારા એમ.પી.ને ઑટોમેટિકલી ૫ દિવસ માટે સસ્પેન્ડ કરવાની સત્તા મળી છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”,  26 ડિસેમ્બર 2021

Loading

આ મુશ્કેલ સમયમાં (66)

સુમન શાહ|Opinion - Opinion|26 December 2021

કોરોનાની પાછળ ડેલ્ટા આવ્યો. ડેલ્ટા પાછળ ઓમિક્રોન. પૂર્વના દેશોમાં તેમ જ પશ્ચિમના દેશોમાં પણ કેટલાયે લોકો રેઢિયાળ થઈ ગયા છે, રીઢા. તેઓ આમાંના એકે ય વાયરસથી નથી નથી ડરતા કે નથી ભડકતા. નથી વિચારતા કે વિચારો માટે જહેમત લઈને મથતા.

લાગે કે એમની પાસે મહામારીને કે એથી નીપજતા રોગોને કે અન્યથા વળગેલા રોગોને સહીને હટાવવા માટેની જિગર રહી નથી. મતલબ, દુ:ખને હળવાશથી જીરવી જાણવાની કશી રીત જાણે માણસ પાસે આજે છે જ નહીં. એવું નથી ભાસતું કે માનવજાત વિવેક ગુમાવીને બાઘી કે ડમ્બ થવા માંડી છે?  વેદના કે સંવેદનાને વિશેની એની સૂઝબૂઝ બુઠ્ઠી થવા માંડી છે? એની બુદ્ધિમત્તાનો ક્ષય થવા લાગ્યો છે? જીવનના પ્રશ્નોનો સામનો કરવાની એની કુનેહ કમજોર પડી રહી છે?

લાગે કે એની પાસે એની પોતાની કહી શકાય એવી જીવનસમજ નથી બચી. એવું જોવા નથી મળતું કે એની પાસે કશો સ્વધર્મ છે, કશી આગવી નીતિરીતિ છે. એણે તારવેલું હોય એવું એની પાસે કશું દર્શન – જવા દો એ તો મોટો શબ્દ છે – નાનું અમથું એકેય સત્ય પણ નથી. એણે સાહ્યો હોય એવો જીવન-લગાવ પણ નથી. એટલે, આત્મસત્યને સારુ જાનફેસાની કરવાનો તો પ્રશ્ન જ કેવો ! કશું છે નથી તો શેનું સમર્પણ કરે એ?

આ કે આવી કોઈપણ કટોકટી જનમી હોય ત્યારે મને માનવજાતે સરજેલા કેટલાક મહામનાઓ યાદ આવે છે. તેઓ આત્મબળે જીવ્યા હતા અને જગતને કશોક સંદેશ આપીને મૃત્યને ભેટ્યા હતા :

સૉક્રેટિસનું મૃત્યુ ઍથેન્સવાસીઓએ ફરમાવેલા મૃત્યદણ્ડથી થયેલું. એમને હૅમલોક પીવું પડેલું.

સૉક્રેટિસે 'ડેફિનેશન્સ'-માં, પ્લેટોએ 'ફૉર્મ્સ'-માં તેમ ઍરિસ્ટોટલે 'મૅટર ઍન્ડ ફૉર્મ'-માં જીવનભર પોતાની ચિત્તશક્તિઓ ખરચી હતી.

કામૂનું મૃત્યુ કાર-અકસ્માતથી થયેલું. ફુલ્લ સ્પીડમાં દોડતી કાર ઝાડ સાથે અથડાયેલી. સુવિદિત છે  કે જીવનની અસંગતતા – ઍબ્સર્ડિટી – વિશે એમણે લાક્ષણિક ચિન્તન કરેલું.

ચાબૂકથી ફટકારાતા એક અશ્વની વેદના જોઈને નિત્શે એને બચાવવા દોડી ગયેલા. અશ્વને બાથમાં લઈ રડી પડેલા, અને પાગલ થઈ ગયેલા. હૉસ્પિટલમાં દાખલ કરવા પડેલા. નિત્શેએ 'ઈશ્વરના મૃત્યુ'-ની વાત કરેલી, એમ કે એ મનોભાવના હવે મરી પરવારી છે. અને એટલે, ઈશ્વરને સ્થાને એમણે ઓવરમૅનની – કશા પરમ પુરુષની – શોધ આદરી હતી. જેટલું શોધી શકેલા એટલું એમણે સ્પષ્ટપણે લખ્યું હતું, આલેખ્યું હતું.

જ્ઞાનમાત્ર અનુભવથી રચાય છે એ વાતને આગ્રહથી આગળ કરનારા ફિલસૂફ ડેવિડ હ્યુમને ઍબ્ડોમિનલ કૅન્સર થયેલું. મરણપથારીએ હતા. ડૉક્ટરને કહ્યું : મારા શત્રુઓ ઇચ્છે – જો હોય તો – જલ્દીમાં જલ્દી પતી જઉં; મારા મિત્રો ઇચ્છે તો સરળતાથી ચાલ્યો જઉં. ત્રણ દિવસ પછી હ્યુમનું અવસાન થાય છે. ડૉક્ટરે કહેલું કે હ્યુમના ચહેરા પર કશી ચિન્તા કે નિરાશા ન્હૉતી. બધાં જોડે હેતભરી નરમાશથી વાત કરતા'તા. અને, જેવા એકલા પડતા'તા, મનગમતાં પુસ્તકોમાં ખોવાઈ જતા'તા.

વિશિષ્ટ વિશ્વસાહિત્યકાર હોર્હે લુઇસ બોર્હેસ છેલ્લે તો સમ્પૂર્ણ અન્ધ થઈ ગયેલા. લીવરના કૅન્સરને કારણે એમનું મૃત્યુ થયેલું. જીનીવામાં અન્ત્યેષ્ઠિ વખતે વડા પાદરીએ કહેલું : બોર્હેસે નિરન્તર સમુચિત પદની શોધ કરી છે. એવું પદ, જે વસ્તુજગતનો અન્તિમ સાર આપતું હોય. ઉપસંહારમાં કહેલું, એ પદને માણસ નથી શોધતો, પદ પોતે જ માણસને શોધી લે છે.

ગાંધીજીનાં બન્ને શસ્ત્ર, સત્ય-અહિંસા, જેનાથી ઉત્તમ શસ્ત્ર એકેય હોઈ શકે નહીં એવાં, અનુત્તમ હતાં. એમની કરુણતમ હત્યા થઈ હતી.

રુમિ ઉપદેશ ભાગ્યે જ આપે, પણ ક્યારેક આવો પોકાર કરે ખરા કે – અનુકમ્પાના કાન વડે સાંભળો – કરુણાની આંખોથી નીરખો – પ્રેમની ભાષા બોલો !

કવિ હરિશ્ચન્દ્ર ભટ્ટે 'આત્માની આરઝૂ સદા ઝૂરવાની' કહીને ઝૂરણને 'જીવનનું અખૂટ પાથેય' ગણેલું. એમણે આત્મહત્યા કરેલી.

ક્ષયગ્રસ્ત કવિ રાવજી પટેલે 'અલકાતાં રાજ'-ને અને 'મલકાતાં કાજ'-ને 'ડૂબતાં' જોયેલાં પણ એને વાગેલી તો 'સજીવી હળવાશ'. અકાળે અવસાન થયેલું.

સુરેશ જોષીને એમના છેલ્લા દિવસોમાં એક જ વાત ખાસ સતાવતી હતી, પૂછતા કે – મારી પ્રાણઘાતક વેદનાનું શું થશે?

એમ લેખાંજોખાં જરૂર માંડી શકાય છે કે – આ સૌ પૂર્વનાં છે એટલે આમ છે, પશ્ચિમનાં છે એટલે આમ છે; કેટલાક ખરેખર પ્રશસ્ય છે, કેટલાક નથી; કોઈ સુખ્યાત છે, કોઈ અતિખ્યાત છે; ઘણી વાતો સ્વીકાર્ય છે, પણ કેટલીક અ-સ્વીકાર્ય છે; વગેરે.

તેમ છતાં, રીપીટ, તેમ છતાં, કોઈના પણ શક્તિ-સામર્થ્યની તુલના તો શક્ય જ નથી, જરૂરી પણ નથી.

છતાં સૌમાં મને સામ્ય એ દેખાયું છે કે સૌ મનોમન્થનને વરેલા હૃદયવાન મનુષ્યો હતા.

= = =

(December 26, 2021: Ahmedabad)

Loading

પરિષદ પાસે સાહિત્ય, સંસ્કૃતિ અને વિચારનો વારસો છે

રાજેન્દ્ર શુક્લ|Opinion - Opinion|25 December 2021

ભુજ, તા. 24 : સ્વતંત્રતા અને સ્વાયત્તતા એ ફક્ત માનવ માટે નહીં, પરંતુ સંસ્થા માટે પણ આવશ્યક છે અને ઉપકારક છે, એવો ભાવ આજે ભુજ તાલુકાના સેડાતા ખાતે, સૂર્યા વરસાણી એકેડેમી ખાતે, ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ યુથ ડેવલપમેન્ટ દ્વારા આયોજિત ગુજરાતી સાહિત્ય પરિષદના 32મા જ્ઞાનસત્રમાં વ્યક્ત કરાયો હતો. આજથી તા. 24-25-26 એમ ત્રિદિવસીય જ્ઞાનસત્રનો ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અધ્યક્ષીય ઉદ્બોધન કરતાં પ્રસિદ્ધ સાહિત્યકાર પ્રકાશ ન. શાહે અંબાલાલ સાકરલાલની વાર્તા શાંતિદાસનો જોડો તથા રામનારાયણ વિશ્વનાથ પાઠકની વાર્તા શેષ વિશેષ, ફાર્બસ અને દલપતરામને યાદ કરી ગુજરાત સાહિત્યની ગતિવિધિ અને બદલાવ પર પ્રકાશ પાડયો હતો. તેમણે `ઉમાશંકરની વિચારયાત્રા' તથા હિમાંશી શેલતના વાર્તાસંગ્રહ પાછલા દશકમાં વધારે વંચાવવાં જોઇતાં પુસ્તક છે, પરંતુ ઓછાં વંચાયેલા છે તેનો ખેદ વ્યક્ત કર્યો હતો. ઉપરાંત, કચ્છના સાહિત્યકાર ડો. જયંત ખત્રી અને ચળવળકર યુસૂફ મહેરઅલીને પણ યાદ કર્યા હતા.

જાણીતા સાહિત્યકાર રઘુવીર ચૌધરીએ પ્રાસંગિક પ્રવચનમાં પોતાની કચ્છ મુલાકાતનાં સંસ્મરણો વાગોળ્યાં હતાં અને કહ્યું હતું કે, કચ્છ સાથે મારી અંગત આત્મીયતા છે. કચ્છની કોમી એકતાની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે કચ્છ જિલ્લો છે, પણ પ્રદેશથી વધારે છે. તેમણે ઉમેર્યું હતું કે પરિષદ પાસે સાહિત્યનો, સંસ્કૃતિનો, વિચારનો વારસો છે. સ્વતંત્રતા અને સ્વાયત્તતા એ વિચાર પર પરિષદનો ઠરાવ થયો છે, જેને બદલી ન શકાય. વધુમાં તેમણે કચ્છ યુનિવર્સિટી હોવાનાં કારણે સાહિત્યમાં સંશોધન અને સંપાદનની પ્રવૃત્તિનો વ્યાપ વધશે તેવી લાગણી વ્યક્ત કરી હતી.

અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત રહેલા સિંધી સાહિત્યકાર જેઠો લાલવાણીએ સિંધ સાથે ગુજરાતીઓનો સંબંધ જૂનો છે. સૌથી વધુ સિંધીઓ ગુજરાતમાં વસે છે. ગુજરાતી સાહિત્યના અનેક પ્રકારો ટૂંકીવાર્તા, નવલકથા, નાટકનો સિંધીમાં અનુવાદ થયા છે તેની સગર્વ નોંધ લીધી હતી. તેમણે કચ્છને પોતાની કર્મભૂમિ ગણાવી હતી. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, સિંધુ એ વિશ્વની એક માત્ર નદી છે જેના પરથી પ્રદેશ, જાતિ અને ભાષાની ઓળખ બની છે.

સાહિત્ય પરિષદના મહા મંત્રી કીર્તિદા શાહે વર્ષ દરમ્યાન થયેલી પ્રવૃત્તિઓ અંગે જણાવી ઉમેર્યું હતું કે, પરિષદ ભાષાના રખોપાં અને વિકાસનાં કામો કરે છે. તેમણે કોરોનાકાળ દરમ્યાન પરિષદના કાર્યક્રમો નિયમિત રીતે ઓનલાઇન ચાલુ રાખ્યા હતા અને ગુજરાત સાહિત્ય પરિષદની વેબસાઇટથી માહિતગાર કર્યા હતા તથા ઉમેર્યું હતું કે, જો કોરોનારૂપી કોઇ અડચણ નહીં આવે તો વિચાર કૌશલ, વાંચન કૌશલ, શ્રવણ કૌશલ અને અભિવ્યક્તિ કૌશલના વર્ગો શરૂ કરવામાં આવશે.

આ પહેલાં કાર્યક્રમની શરૂઆત કાજલ અને કૌશલ છાયા અને ટીમ દ્વારા ગવાયેલી જય જય ગરવી ગુજરાત … રચનાથી થઇ હતી અને મંચસ્થો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. સ્વાગતના દોરમાં અધ્યક્ષ પ્રકાશ શાહનું રસનિધિ તાણીએ, અતિથિવિશેષ જેઠો લાલવાણીનું હરેશ ધોળકિયાએ, રઘુવીર ચૌધરીનું સૂર્યા વરસાણી એકેડેમીના ટ્રસ્ટી આર.આર. પટેલે, માધવ રામાનુજનું એકેડેમીના ટ્રસ્ટી આર.એસ. હીરાણીએ, પ્રફુલ્લ રાવલ અને કીર્તિદા શાહનું ડો. દર્શના ધોળકિયાએ, વર્ષા અડાલજાનું કીર્તિદા શાહે, છાયાબહેન ત્રિવેદી અને રાજન ભટ્ટનું ઇન્સ્ટિટયૂટ યુથ વ.ના મંત્રી નિલેશ મહેતાએ અને અમીબહેન શ્રોફનું પ્રકાશ હે સ્વાગત કર્યું હતું. ઇન્સ્ટિટયૂટ ઓફ યુથ ડેવલપમેન્ટના પ્રમુખ રસનિધિ અંતાણીએ સૌને આવકારી સંસ્થાનો પરિચય આપતાં જણાવ્યું હતું કે, ઇન્સ્ટિટયૂટ યુવાનોને દિશા-ગતિ આપવાની સાથે તેમના સર્વાંગી વિકાસ માટે કાર્ય કરે છે. પ્રચાર માટે નહીં, પરંતુ પ્રસારની કામગીરી કરે છે. તેમણે `કચ્છમિત્ર'એ સાહિત્ય પરિષદનું જ્ઞાનસત્ર કચ્છનાં આંગણે યોજાઇ રહ્યું છે ત્યારે વિશેષ કવરેજ કર્યું છે, તેની નોંધ લીધી હતી.

પરિષદના અધ્યક્ષ પ્રકાશ ન. શાહનો તથા રઘુવીર ચૌધરીનો પરિચય ડો. દર્શના ધોળકિયાએ અને અતિથિ વિશેષ જેઠો લાલવાણીનો પરિચય હરેશ ધોળકિયાએ આપ્યો હતો. કોરોનાકાળ પછી મોટાં આયોજન માટે વિચારાઇ રહ્યું હતું ત્યારે ઇન્સ્ટિટ્યુટ ઓફ યૂથ ડેવલપમેન્ટના રસનિધિ અંતાણી અને હરેશ ધોળકિયાએ બીડું ઝડપી લીધું તેની બધા વક્તાએ સરાહના કરી હતી.

કચ્છના જાણીતા સાહિત્યસર્જકો ડો. ધીરેન્દ્ર મહેતા, માવજી મહેશ્વરી, રમણીક સોમેશ્વર સહિત શિરિષ પંચાલ, કિરીટ દૂધાત, જયદેવ શુક્લ, સંજય ચૌધરી, પ્રજ્ઞા પટેલ, સતીશ વ્યાસ, વિજય શાત્રી, દક્ષા વ્યાસ, મનીષ પાઠક, કિશોર વ્યાસ, પારુલ દેસાઇ, ડંકેશ ઓઝા, રાજેન્દ્ર ઉપાધ્યાય, રમણ સોની, ડો. કાંતિ ગોર, ભરત પ્રા. ઠાકર, કેળવણીકાર નલિનીબહેન શાહ સહિત સાહિત્યરસિકો અને છાત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. સંચાલન ડો. દર્શના ધોળકિયાએ સાહિત્યિક શબ્દો દ્વારા આગવી છટાથી કર્યું હતું તો આભારવિધિ પ્રફુલ્લ રાવલે કરી હતી.

પ્રગટ : “કચ્છમિત્ર”, 25 ડિસેમ્બર 2021

Loading

...102030...1,7721,7731,7741,775...1,7801,7901,800...

Search by

Opinion

  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347
  • AIને માથે ચડાવવા જેવું નથી …

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved