ભુજ, તા. 24 : સ્વતંત્રતા અને સ્વાયત્તતા એ ફક્ત માનવ માટે નહીં, પરંતુ સંસ્થા માટે પણ આવશ્યક છે અને ઉપકારક છે, એવો ભાવ આજે ભુજ તાલુકાના સેડાતા ખાતે, સૂર્યા વરસાણી એકેડેમી ખાતે, ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ યુથ ડેવલપમેન્ટ દ્વારા આયોજિત ગુજરાતી સાહિત્ય પરિષદના 32મા જ્ઞાનસત્રમાં વ્યક્ત કરાયો હતો. આજથી તા. 24-25-26 એમ ત્રિદિવસીય જ્ઞાનસત્રનો ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અધ્યક્ષીય ઉદ્બોધન કરતાં પ્રસિદ્ધ સાહિત્યકાર પ્રકાશ ન. શાહે અંબાલાલ સાકરલાલની વાર્તા શાંતિદાસનો જોડો તથા રામનારાયણ વિશ્વનાથ પાઠકની વાર્તા શેષ વિશેષ, ફાર્બસ અને દલપતરામને યાદ કરી ગુજરાત સાહિત્યની ગતિવિધિ અને બદલાવ પર પ્રકાશ પાડયો હતો. તેમણે `ઉમાશંકરની વિચારયાત્રા' તથા હિમાંશી શેલતના વાર્તાસંગ્રહ પાછલા દશકમાં વધારે વંચાવવાં જોઇતાં પુસ્તક છે, પરંતુ ઓછાં વંચાયેલા છે તેનો ખેદ વ્યક્ત કર્યો હતો. ઉપરાંત, કચ્છના સાહિત્યકાર ડો. જયંત ખત્રી અને ચળવળકર યુસૂફ મહેરઅલીને પણ યાદ કર્યા હતા.
જાણીતા સાહિત્યકાર રઘુવીર ચૌધરીએ પ્રાસંગિક પ્રવચનમાં પોતાની કચ્છ મુલાકાતનાં સંસ્મરણો વાગોળ્યાં હતાં અને કહ્યું હતું કે, કચ્છ સાથે મારી અંગત આત્મીયતા છે. કચ્છની કોમી એકતાની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે કચ્છ જિલ્લો છે, પણ પ્રદેશથી વધારે છે. તેમણે ઉમેર્યું હતું કે પરિષદ પાસે સાહિત્યનો, સંસ્કૃતિનો, વિચારનો વારસો છે. સ્વતંત્રતા અને સ્વાયત્તતા એ વિચાર પર પરિષદનો ઠરાવ થયો છે, જેને બદલી ન શકાય. વધુમાં તેમણે કચ્છ યુનિવર્સિટી હોવાનાં કારણે સાહિત્યમાં સંશોધન અને સંપાદનની પ્રવૃત્તિનો વ્યાપ વધશે તેવી લાગણી વ્યક્ત કરી હતી.
અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત રહેલા સિંધી સાહિત્યકાર જેઠો લાલવાણીએ સિંધ સાથે ગુજરાતીઓનો સંબંધ જૂનો છે. સૌથી વધુ સિંધીઓ ગુજરાતમાં વસે છે. ગુજરાતી સાહિત્યના અનેક પ્રકારો ટૂંકીવાર્તા, નવલકથા, નાટકનો સિંધીમાં અનુવાદ થયા છે તેની સગર્વ નોંધ લીધી હતી. તેમણે કચ્છને પોતાની કર્મભૂમિ ગણાવી હતી. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, સિંધુ એ વિશ્વની એક માત્ર નદી છે જેના પરથી પ્રદેશ, જાતિ અને ભાષાની ઓળખ બની છે.
સાહિત્ય પરિષદના મહા મંત્રી કીર્તિદા શાહે વર્ષ દરમ્યાન થયેલી પ્રવૃત્તિઓ અંગે જણાવી ઉમેર્યું હતું કે, પરિષદ ભાષાના રખોપાં અને વિકાસનાં કામો કરે છે. તેમણે કોરોનાકાળ દરમ્યાન પરિષદના કાર્યક્રમો નિયમિત રીતે ઓનલાઇન ચાલુ રાખ્યા હતા અને ગુજરાત સાહિત્ય પરિષદની વેબસાઇટથી માહિતગાર કર્યા હતા તથા ઉમેર્યું હતું કે, જો કોરોનારૂપી કોઇ અડચણ નહીં આવે તો વિચાર કૌશલ, વાંચન કૌશલ, શ્રવણ કૌશલ અને અભિવ્યક્તિ કૌશલના વર્ગો શરૂ કરવામાં આવશે.
આ પહેલાં કાર્યક્રમની શરૂઆત કાજલ અને કૌશલ છાયા અને ટીમ દ્વારા ગવાયેલી જય જય ગરવી ગુજરાત … રચનાથી થઇ હતી અને મંચસ્થો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. સ્વાગતના દોરમાં અધ્યક્ષ પ્રકાશ શાહનું રસનિધિ તાણીએ, અતિથિવિશેષ જેઠો લાલવાણીનું હરેશ ધોળકિયાએ, રઘુવીર ચૌધરીનું સૂર્યા વરસાણી એકેડેમીના ટ્રસ્ટી આર.આર. પટેલે, માધવ રામાનુજનું એકેડેમીના ટ્રસ્ટી આર.એસ. હીરાણીએ, પ્રફુલ્લ રાવલ અને કીર્તિદા શાહનું ડો. દર્શના ધોળકિયાએ, વર્ષા અડાલજાનું કીર્તિદા શાહે, છાયાબહેન ત્રિવેદી અને રાજન ભટ્ટનું ઇન્સ્ટિટયૂટ યુથ વ.ના મંત્રી નિલેશ મહેતાએ અને અમીબહેન શ્રોફનું પ્રકાશ હે સ્વાગત કર્યું હતું. ઇન્સ્ટિટયૂટ ઓફ યુથ ડેવલપમેન્ટના પ્રમુખ રસનિધિ અંતાણીએ સૌને આવકારી સંસ્થાનો પરિચય આપતાં જણાવ્યું હતું કે, ઇન્સ્ટિટયૂટ યુવાનોને દિશા-ગતિ આપવાની સાથે તેમના સર્વાંગી વિકાસ માટે કાર્ય કરે છે. પ્રચાર માટે નહીં, પરંતુ પ્રસારની કામગીરી કરે છે. તેમણે `કચ્છમિત્ર'એ સાહિત્ય પરિષદનું જ્ઞાનસત્ર કચ્છનાં આંગણે યોજાઇ રહ્યું છે ત્યારે વિશેષ કવરેજ કર્યું છે, તેની નોંધ લીધી હતી.
પરિષદના અધ્યક્ષ પ્રકાશ ન. શાહનો તથા રઘુવીર ચૌધરીનો પરિચય ડો. દર્શના ધોળકિયાએ અને અતિથિ વિશેષ જેઠો લાલવાણીનો પરિચય હરેશ ધોળકિયાએ આપ્યો હતો. કોરોનાકાળ પછી મોટાં આયોજન માટે વિચારાઇ રહ્યું હતું ત્યારે ઇન્સ્ટિટ્યુટ ઓફ યૂથ ડેવલપમેન્ટના રસનિધિ અંતાણી અને હરેશ ધોળકિયાએ બીડું ઝડપી લીધું તેની બધા વક્તાએ સરાહના કરી હતી.
કચ્છના જાણીતા સાહિત્યસર્જકો ડો. ધીરેન્દ્ર મહેતા, માવજી મહેશ્વરી, રમણીક સોમેશ્વર સહિત શિરિષ પંચાલ, કિરીટ દૂધાત, જયદેવ શુક્લ, સંજય ચૌધરી, પ્રજ્ઞા પટેલ, સતીશ વ્યાસ, વિજય શાત્રી, દક્ષા વ્યાસ, મનીષ પાઠક, કિશોર વ્યાસ, પારુલ દેસાઇ, ડંકેશ ઓઝા, રાજેન્દ્ર ઉપાધ્યાય, રમણ સોની, ડો. કાંતિ ગોર, ભરત પ્રા. ઠાકર, કેળવણીકાર નલિનીબહેન શાહ સહિત સાહિત્યરસિકો અને છાત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. સંચાલન ડો. દર્શના ધોળકિયાએ સાહિત્યિક શબ્દો દ્વારા આગવી છટાથી કર્યું હતું તો આભારવિધિ પ્રફુલ્લ રાવલે કરી હતી.
પ્રગટ : “કચ્છમિત્ર”, 25 ડિસેમ્બર 2021