જે ભગવાધારીઓએ હરદ્વારમાં "ધર્મ સંસદ"માં શસ્ત્રો ઉઠાવીને અન્ય ધર્મના લોકોની "હત્યા" કરવા માટે હિન્દુઓને એલાન કર્યું છે, તેમને ખબર જ નથી કે હિન્દુ ધર્મ શી ચીજ છે. બધા નહિ તો આવા ભગવાધારીઓ હિન્દુ ધર્મની બાબતમાં સાવ અંગૂઠાછાપ છે. એમાંના કેટલા ભગવાધારીઓ હિન્દુ ધર્મનો સાચો અર્થ સમજે છે, એ જ મોટો સવાલ છે.
આ ભગવાધારીઓ અને એમના મળતિયાઓ દેશનું સત્યાનાશ કાઢવા બેઠા છે. તેમને હિન્દુ ધર્મ અને હિન્દુઓની રક્ષા કરવી છે, પણ ખરેખર તો તેઓ જ હિન્દુ ધર્મને અને હિન્દુઓને ભયંકર હાનિ પહોંચાડી રહ્યા છે.
શું આ ભગવધારીઓએ સર્વપલ્લી રાધાકૃશ્ણન્ અને સ્વામી વિવેકાનંદ વાંચ્યા છે ખરા? મોટે ભાગે રામ, ભાગવત, હનુમાન અને એવી બીજી બધી કથાઓ કરી ખાતા અને હિન્દુ ધર્મના જાતે બની બેઠેલા ઠેકેદાર આવા ભગવાધારીઓ, પોતાની જાતને "સનાતની હિન્દુ" કહેનારા મહાત્મા ગાંધીને ન વાંચે કે ન સમજે એ તો સાવ જ સ્વાભાવિક છે. આ ત્રણ વ્યક્તિઓને વાંચવાથી પણ સાચો હિન્દુ ધર્મ શો છે એની એમને સમજણ પડે.
તેત્રીસ કરોડ દેવતાઓની માન્યતા હોવાનું અને સૌથી વધુ લોકશાહી હોવાનું ગૌરવ જે ધર્મને પ્રાપ્ત છે એ હિન્દુ ધર્મની જે વિવિધતાભરી સંસ્કૃતિ છે તેને જ ખતમ કરવા માટે જાણે કે હવે ભા.જ.પ., રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને તેની સંસ્થાઓ, ભગવાધારીઓ અને એ બધાની અંધ ભક્તિ કરનારા એમના ભક્તો, ભારત નામનો રાજકીય પ્રદેશ ધરાવતો જે દેશ તા.૨૬-૦૧-૧૯૫૦ના રોજ બન્યો છે, તેને છિન્નભિન્ન અને વેરવિખેર કરવાની શક્યતા ઊભી કરી રહ્યા છે, એની એમને જ સમજણ નથી.
જો તમે કોઈને સતત દેશદ્રોહી કે નક્સલી કહીને ગાળ દીધા કરો, તો એ એક દિવસ "જા છું દેશદ્રોહી" એમ ના કહી દે? અને એમ પણ બની શકે કે એ ખરેખર દેશદ્રોહી થઈ પણ જાય! જ્યારે એક આખો સમુદાય આવી વંચિતતાની લાગણી લાંબા સમય સુધી અનુભવે ત્યારે રક્તપાત થાય છે, એ આ ભગવાધારીઓ કે એમના રાજકીય અને સાંસ્કૃતિક રીતે મૂઢ ભક્તોને સમજાતું નથી. એમણે પ્રથમ વિશ્વ યુદ્ધ પછીનો દુનિયાનો ઇતિહાસ વાંચવાની અને એ અંકે કરવાની જરૂર છે કે કેવી રીતે દુનિયામાં દેશોના ટુકડા થયા છે.
આવા ભગવાધારીઓ આવું બેફામ બોલે છે કારણ કે ભારતમાં મોદી સરકાર આવી તે પછી કાયદાનું શાસન નિતાંત રહ્યું નથી. બળાત્કારનો ભોગ બનેલ અને મૃત્યુ પામેલ એક યુવતીને મધરાતે જંગલ જેવા વિસ્તારમાં પોલિસ સળગાવી દે, એક જ ધર્મના કેટલાક યુવાનોને જાહેરમાં રહેંસી નાખવામાં આવે અને સરકાર લગભગ મોં વકાસીને જોયા કરે, ખેડૂતો પર કેન્દ્રના પ્રધાનની કાર ચડાવી દેવામાં આવે અને મોદી સરકાર એને ગર્ભિત સમર્થન આપે, કેન્દ્રના એક પ્રધાન એક ચૂંટણી સભામાં રાજકીય વિરોધીઓને "ગોલી મારો સાલોં કો" એમ કહે અને એ પ્રધાન હોદ્દા પર ચાલુ રહે; અને આવી બીજી અનેક ઘટનાઓ સાથે દેશની આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાતો રહે; ત્યારે એક મહાન દેશનું જે રાજકીય અને સાંસ્કૃતિક પતન થયું છે, એનો અંદેશો ભારતના બધા નાગરિકોને આવી જવો જોઈએ. પણ હજુ એની કંઈ પતીજ આ નાગરિકો કહેવાતી જણસને પડતી હોય એવું લાગતું નથી.
આ એટલાં ગંભીર પાપ છે કે, જો ગંગા પાપ ધોનારી નદી હોય તો પણ એમાં અનેક ડૂબકીઓ મારવાથી પણ તે આવાં પાપ ધોઈ નહિ શકે એટલું સમજીએ તો સારું.
મહા મહેનતે જવાહરલાલ નેહરુના નેતૃત્વ હેઠળની સરકારે સરદાર પટેલ અને ભીમરાવ આંબેડકર સહિતના મહાન નેતાઓના અથાગ પરિશ્રમથી હજારો વર્ષોની પ્રાચીન એવી આ ભવ્ય હિન્દુ સંસ્કૃતિ માટે માત્ર અઢી વર્ષના ગાળામાં એક જ રાજકીય નકશો પહેલી વાર ૧૯૫૦માં બનાવ્યો છે. કહેવાતી "ધર્મ સંસદ"માં હિન્દુઓને અન્ય ધર્મો પ્રત્યે હિંસક રીતે ઉશ્કેરવા માટે જે ભાષણો કરવામાં આવ્યાં તે શું આવા દેશના નાગરિકોને અંદરોઅંદર લડીને તેમ જ મારાકાપી કરીને આ દેશના ટુકડા કરવા તરફ લઈ જવા માટેનું ભાથું પૂરું પાડે છે, એવું તો નથી ને? જરા વિચારીએ શાંત ચિત્તે.
વળી, આ ભગવાધારીઓ "સાધુસંત" છે એવું કહેવાની કે માનવાની ભૂલ પણ ના કરવી જોઈએ. 'સાધુ' અને 'સંત' શબ્દોના અર્થ તો સાવ જુદા છે. એટલે આ ભગવાધારીઓ તો હિન્દુ ધર્મ જન્મજાત રીતે કેટલો હિંસક પણ છે તેનો જ ગુનાઇત પુરાવો આપી રહ્યા છે.
તેમના કહેવા મુજબ જો હિન્દુઓ અન્ય ધર્મના લોકો સામે શસ્ત્રો ઉઠાવે તો શું થાય એનું કંઈ એમને ભાન છે ખરું? જો હિન્દુઓ અહિંસક ના હોય કે ન રહે તો પછી બીજા ધર્મના લોકો કંઈ બુદ્ધ, મહાવીર અને ગાંધીના અનુયાયીઓ તો ના જ બની રહેને! જીવ તો સૌને વહાલો હોય ને! આ ભગવાધારીઓ બીજાઓ સામે શસ્ત્રો ઉઠાવવાની સલાહ આપે છે, તેનો અર્થ જ એ છે કે તેઓ ભારતને હિટલરના જર્મનીમાં તબદીલ કરવા માગે છે. ભગવાધારીઓનું આહ્વાન વીરત્વ માટે નથી, પણ નૃશંસતા, અમાનવીયતા અને ઘાતકીપન માટે છે, એ હિન્દુઓ બહુ મોડું થાય તે પહેલાં સમજે. આ અર્થમાં કહેવાતી "ધર્મ સંસદ"ને 'અધર્મ સંસદ' કહેવાનું જ મન થાય.
તા.૨૪-૧૨-૨૦૨૧
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર