જગતમાં કલ્પના પણ ન કરી હોય એવી ઘટનાઓ બની રહી છે. સાઉદી અરેબિયાએ તબલીગી જમાત ઉપર પ્રતિબંધ મૂક્યો છે. આરોપ એવો છે કે એ સંગઠન ત્રાસવાદી છે અને કબ્રપરસ્ત છે. જે વાચકો ઇસ્લામ વિષે બહુ જાણકારી નહીં ધરાવતા હોય તેમને આ બીજો આરોપ સહેજે નહીં સમજાય. બીજું, આ લેખનું પહેલું જ વાક્ય વાંચીને કોઈના મનમાં સવાલ ઉપસ્થિત થાય કે સાઉદી અરેબિયાએ તબલીગી જમાત ઉપર પ્રતિબંધ મૂક્યો આમાં અકલ્પનીય શું છે?
છે. તમે એક જમાનમાં મુસલમાનોને વિદાય વખતે ‘ખુદા હાફીઝ’ બોલતા સાંભળ્યા હશે. હવે કેટલાક મુસલમાનો ચાહી કરીને ધરાર ‘અલ્લા હાફીઝ’ બોલે છે. તમે એક જમાનામાં મુસ્લિમ સ્ત્રીઓને સાડીમાં જોઈ હશે, હવે મોટાભાગની મુસ્લિમ સ્ત્રીઓ સલવાર પહેરે છે. તમે એક જમાનામાં મુસ્લિમ પુરુષોને તુર્કી ટોપી, ફેંટો, ચોરણી જેવા જે તે પ્રદેશના સ્થાનિક લેબાશમાં જોયા હશે, પણ હવે તમે મોટી સંખ્યામાં મુસલમાનોને ટૂંકો લેંઘો, લાંબો ઝભ્ભો અને ગોળ ટોપીમાં જોતા હશો. એક જમાનામાં તમે મુસલમાનોને પીરની દરગાહ પર માથું ટેકવતા, ચાદર ઓઢાડતા, કવ્વાલી ગાતા સાંભળ્યા છે; પણ આજે હવે તેનો વિરોધ કરનારા મુસલમાનો મોટી સંખ્યામાં જડી આવશે. એક વાર મુંબઈમાં એન્ટોપ હિલ વિસ્તારમાંથી પસાર થતા મેં મારા મુસ્લિમ ટેક્સી ડ્રાઈવરને મીસરીની દરગાહ તરફ આંગળી ચીંધીને પૂછ્યું હતું કે, મિયાં યહાં ઉર્સ (વાર્ષિક મેળો) કબ હોતા હૈ? તેણે જવાબમાં મને કહ્યું હતું કે કિસી ઝાહીલ (અભણ) કો પૂછો. તમે મુસલમાનોને કોઈના મૃત્યુ પછી માતમ મનાવતા, મૃત્યુભોજન જમાડતા, પહેલા ગર્ભાધાન વખતે સીમંત સંસ્કાર કરતાં જોયા હશે, પણ હવે એવું બહુ ઓછું જોવા મળતું હશે.
આ જે પરિવર્તન થયું છે એ તબલીગી જમાતના કારણે. આ પરિવર્તન શા માટે કરવામાં આવ્યું એનો લાંબો ઇતિહાસ છે.
ભારતમાં અઢારમી સદીમાં મુઘલ સામ્રાજ્ય નિર્બળ બન્યું, સૂબાઓ સ્વતંત્ર થવા લાગ્યા, મુસ્લિમ સૂબાઓ રાજ મેળવવા આપસમાં લડવા માંડ્યા, હિંદુ મરાઠાઓનો ઉદય થયો, અંગ્રેજો વેપારીમાંથી શાસકો બનવા માંડ્યા ત્યારે કેટલાક મુસલમાનોના મનમાં પ્રશ્ન થવા લાગ્યો કે મુસલમાનોના પતનનું કારણ શું? બીજો સવાલ અનુક્રમે સ્વાભાવિક હતો એ પતનને રોકી કેમ શકાય અને ગુમાવેલું ઐશ્વર્ય પાછું મેળવી કેમ શકાય?
એ મનોમંથનમાં એક નિદાન આવ્યું કે મુસલમાનોના પતનનું કારણ ભારતના મુસલમાનોને સાચા મુસલમાનો નથી બનાવવામાં આવ્યા એ છે. જે ભારતીય હિંદુઓ ધર્મપરિવર્તન કરીને મુસલમાન બન્યા છે એ હજુ પણ અડધા હિંદુ છે, તેમને પૂરા અને સાચા મુસલમાન બનાવવા જોઈએ. મુસલમાન એક વખત અલ્લાહપરસ્ત સાચો મુસલમાન બની ગયો પછી અલાહનું કલ્યાણ રાજ્ય આપોઆપ આવવાનું, કારણ કે સાચા મુસલમાનની ઔલાદ પણ સાચા મુસલમાનની બનેલી હશે.
બીજું, મુસ્લિમ શાસકો નામ પૂરતા મુસ્લિમ શાસકો છે, તેમનું રાજ્ય ઇસ્લામિક રાજ્ય નથી. તેઓ સત્તા માટે દરેક પ્રકારનાં સમાધાનો કરે છે. એક મુસ્લિમ શાસક બીજા મુસ્લિમ શાસક સામે લડે છે, લડવામાં હિંદુની મદદ લે છે, સૈનિકો અને સેનાપતિઓ હિંદુ હોય છે, દરબારમાં હિંદુઓને મુસ્લિમ દરબારીઓ જેટલું જ અને કેટલીક વાર તો તેનાથી વધુ મહત્ત્વ આપવામાં આવે છે, દરબારની ભાષા પર્શિયન છે અને પ્રજા સાથેના વહેવારની ભાષા સંસ્કૃત-પર્શિયન-અરેબીક અને દેશી ભાષાઓથી મિશ્રિત હિંદુસ્તાની છે વગેરે. સૌથી વધુ તો ગરીબ નીચલા વરણના હિંદુઓ જે ધર્માંતરિત થઈને મુસલમાન બન્યા છે તેમની તો સાવ ઉપેક્ષા કરવામાં આવે છે. ટૂંકમાં મુસ્લિમ શાસકોનું રાજ સત્તા માટેનું હતું, તેને ઇસ્લામ અને ઉમ્માહ (મુસ્લિમ પ્રજા) સાથે કોઈ સંબંધ નથી. પણ જો મુસ્લિમ પ્રજા સાચી મુસલમાન બની જાય તો મુસ્લિમ શાસકોની મજાલ નથી કે તે ઇસ્લામિક રાજ્યના આદેશોને લાગુ કરતા રોકી શકે.
એ પછી ભારતીય મુસલમાનોને સાચા મુસલમાન બનાવવાનું અને ભારતીય ઇસ્લામની હિંદુપ્રભાવવાળી અલાયદી ઓળખને મીટાવવાનું એક અભિયાન શરૂ થયું. જો પહેલું થાય તો બીજું આપોઆપ થાય. પણ સવાલ એ હતો કે ભારતીય મુસલમાનને સાચો મુસલમાન બનાવવો હોય તો કેવો અને કોના જેવો બનાવવાનો? ઈરાનીઓ જેવો? ના ભારતીય ઇસ્લામ ઘણે અંશે ઈરાની પ્રભાવ ધરાવે છે એ તો સમસ્યા છે. ઈરાનમાં શિયાઓ બહુમતીમાં છે અને શિયાઓ ઈમામમાં માનનારા શિર્ક (કોઈ વ્યક્તિને પૂજીને એ પૂજ્ય વ્યક્તિને ઈશ્વરની બરાબરીનો દરજ્જો આપવાનું પાપ) અને બુતપરસ્ત છે. એ સિવાય તેઓ તેમની ઇસ્લામ પહેલાંની સંસ્કૃતિ અને તેમની પર્શિયન ભાષા માટે ગર્વ અનુભવે છે. ગર્વ માત્ર અને માત્ર મુસ્લિમ હોવાનો લેવાય. મુસ્લિમ હોવાપણામાં જ બધું આવી ગયું. અલ્લાહનિર્દિષ્ટ સાચા યુગનો પ્રારંભ ઇસ્લામના પ્રાદુર્ભાવથી થયો છે અને તેની પહેલાંનું બધું કથીર છે.
આમ ઈરાન અને ઈરાનીઓ ભારતીય ઇસ્લામ અને મુસલમાનો માટે રેફરન્સ પોઈન્ટ કે રોલમોડેલ ન બની શકે. ઊલટું ભારતીય ઇસ્લામને અને મુસલમાનોને ઈરાની પ્રભાવથી મુક્ત કરવા જરૂરી છે. સત્તરમી સદીમાં આની શરૂઆત થઈ. ભારતમાં વહાબી, સલ્ફી, અહલે હદીસ, દેવબંદી એવી એકબીજાની પુરક, પણ કેટલાક મતભેદ ધરાવતી ચળવળ શરૂ થઈ જે એકંદરે મૂળભૂતવાદી હતી. આ ચળવળને પરિણામે ઉપર ગણાવ્યાં એવાં પરિવર્તનો થવાં લાગ્યાં. આ ચળવળને પરિણામે ભારતીય મુસલમાનો ઉપર ઈરાની પ્રભાવ હતો એ ઘટતો ગયો. આ ચળવળને પરિણામે હિંદુ અને ઈરાની પ્રભાવયુક્ત ભારતીય ઇસ્લામનો ચહેરો બદલાવા લાગ્યો અને ભારતીય ઇસ્લામ સાઉદી ઇસ્લામની નજીક જવા લાગ્યો. મૂળભૂતવાદી મુસલમાનો એમ માને છે કે સાચી સભ્યતાની શરૂઆત ઇસ્લામના પ્રાદુર્ભાવ પછી અરબસ્તાનથી થઈ છે, માટે ભારતીય મુસલમાન માટે રેફરન્સ પોઈન્ટ અને રોલમોડેલ સાઉદી અરેબિયા હોવાં જોઈએ. માટે સાચા મુસલમાને ખુદા હાફીઝ નહીં અલ્લા હાફીઝ કહેવું જોઈએ કારણ કે ખુદા શબ્દ પર્શિયન છે અને તે જરથોસ્તી ધર્મનો શબ્દ છે. પારસીઓ આજે પણ ભગવાન માટે ખુદા અને ખુદાવંદ શબ્દ વાપરે છે. કુરાનમાં ભગવાન માટે અલ્લાહ શબ્દ છે એટલે અલ્લા હાફીઝ કહેવાનું.
તબલીગી જમાત આ કામ કરે છે જે દેવબંદી સ્કૂલની સંસ્થા છે. એમ કહેવાય કે આ જમાત ૧૮૦ દેશોમાં સક્રિય છે અને તેના ચારથી પાંચ કરોડ સભ્યો છે. તેનું કોઈ બંધારણ નથી અને કોઈને સભ્ય તરીકે નોંધવામાં આવતા નથી. તબલીગી જમાત ત્રાસવાદી સંગઠન નથી. તબલીગીઓ ધર્માંતરણ પણ કરાવતા નથી. તેમની તો એવી શ્રદ્ધા છે કે એકવાર મુસલમાન સાચો મુસલમાન બની ગયો પછી અલ્લાહનું કલ્યાણરાજ એની મેળે અવતરવાનું. કલ્યાણરાજને માણસ બનવા સાથે કે માણસાઈ કેળવવા સાથે સંબંધ નથી, મુસ્લિમ હોવાપણા સાથે સંબંધ છે. આજકાલ હિન્દુત્વવાદીઓ પણ માણસ બનવાની અને માણસાઈ કેળવવાની જગ્યાએ સાચા હિંદુ બનીને રામરાજ ધરતી પર ઉતારવા માગે છે. તબલીગીઓ માને છે કે અલ્લાહનું કલ્યાણરાજ જોઇને કાફિર (ગૈર-મુસલમાન) પોતાની મેળે ઇસ્લામનો સ્વીકાર કરશે.
જે જમાત તેનાં લગભગ સો વરસના ઇતિહાસમાં ભારતીય ઇસ્લામ અને ભારતીય મુસલમાનને સાઉદી ચહેરો આપવાનું કામ કર્યું એનાં ઉપર સાઉદી અરેબિયામાં જ પ્રતિબંધ મુકવામાં આવ્યો એ થોડું વિચિત્ર ભાસે છે!
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 26 ડિસેમ્બર 2021