કોરોનાની પાછળ ડેલ્ટા આવ્યો. ડેલ્ટા પાછળ ઓમિક્રોન. પૂર્વના દેશોમાં તેમ જ પશ્ચિમના દેશોમાં પણ કેટલાયે લોકો રેઢિયાળ થઈ ગયા છે, રીઢા. તેઓ આમાંના એકે ય વાયરસથી નથી નથી ડરતા કે નથી ભડકતા. નથી વિચારતા કે વિચારો માટે જહેમત લઈને મથતા.
લાગે કે એમની પાસે મહામારીને કે એથી નીપજતા રોગોને કે અન્યથા વળગેલા રોગોને સહીને હટાવવા માટેની જિગર રહી નથી. મતલબ, દુ:ખને હળવાશથી જીરવી જાણવાની કશી રીત જાણે માણસ પાસે આજે છે જ નહીં. એવું નથી ભાસતું કે માનવજાત વિવેક ગુમાવીને બાઘી કે ડમ્બ થવા માંડી છે? વેદના કે સંવેદનાને વિશેની એની સૂઝબૂઝ બુઠ્ઠી થવા માંડી છે? એની બુદ્ધિમત્તાનો ક્ષય થવા લાગ્યો છે? જીવનના પ્રશ્નોનો સામનો કરવાની એની કુનેહ કમજોર પડી રહી છે?
લાગે કે એની પાસે એની પોતાની કહી શકાય એવી જીવનસમજ નથી બચી. એવું જોવા નથી મળતું કે એની પાસે કશો સ્વધર્મ છે, કશી આગવી નીતિરીતિ છે. એણે તારવેલું હોય એવું એની પાસે કશું દર્શન – જવા દો એ તો મોટો શબ્દ છે – નાનું અમથું એકેય સત્ય પણ નથી. એણે સાહ્યો હોય એવો જીવન-લગાવ પણ નથી. એટલે, આત્મસત્યને સારુ જાનફેસાની કરવાનો તો પ્રશ્ન જ કેવો ! કશું છે નથી તો શેનું સમર્પણ કરે એ?
આ કે આવી કોઈપણ કટોકટી જનમી હોય ત્યારે મને માનવજાતે સરજેલા કેટલાક મહામનાઓ યાદ આવે છે. તેઓ આત્મબળે જીવ્યા હતા અને જગતને કશોક સંદેશ આપીને મૃત્યને ભેટ્યા હતા :
સૉક્રેટિસનું મૃત્યુ ઍથેન્સવાસીઓએ ફરમાવેલા મૃત્યદણ્ડથી થયેલું. એમને હૅમલોક પીવું પડેલું.
સૉક્રેટિસે 'ડેફિનેશન્સ'-માં, પ્લેટોએ 'ફૉર્મ્સ'-માં તેમ ઍરિસ્ટોટલે 'મૅટર ઍન્ડ ફૉર્મ'-માં જીવનભર પોતાની ચિત્તશક્તિઓ ખરચી હતી.
કામૂનું મૃત્યુ કાર-અકસ્માતથી થયેલું. ફુલ્લ સ્પીડમાં દોડતી કાર ઝાડ સાથે અથડાયેલી. સુવિદિત છે કે જીવનની અસંગતતા – ઍબ્સર્ડિટી – વિશે એમણે લાક્ષણિક ચિન્તન કરેલું.
ચાબૂકથી ફટકારાતા એક અશ્વની વેદના જોઈને નિત્શે એને બચાવવા દોડી ગયેલા. અશ્વને બાથમાં લઈ રડી પડેલા, અને પાગલ થઈ ગયેલા. હૉસ્પિટલમાં દાખલ કરવા પડેલા. નિત્શેએ 'ઈશ્વરના મૃત્યુ'-ની વાત કરેલી, એમ કે એ મનોભાવના હવે મરી પરવારી છે. અને એટલે, ઈશ્વરને સ્થાને એમણે ઓવરમૅનની – કશા પરમ પુરુષની – શોધ આદરી હતી. જેટલું શોધી શકેલા એટલું એમણે સ્પષ્ટપણે લખ્યું હતું, આલેખ્યું હતું.
જ્ઞાનમાત્ર અનુભવથી રચાય છે એ વાતને આગ્રહથી આગળ કરનારા ફિલસૂફ ડેવિડ હ્યુમને ઍબ્ડોમિનલ કૅન્સર થયેલું. મરણપથારીએ હતા. ડૉક્ટરને કહ્યું : મારા શત્રુઓ ઇચ્છે – જો હોય તો – જલ્દીમાં જલ્દી પતી જઉં; મારા મિત્રો ઇચ્છે તો સરળતાથી ચાલ્યો જઉં. ત્રણ દિવસ પછી હ્યુમનું અવસાન થાય છે. ડૉક્ટરે કહેલું કે હ્યુમના ચહેરા પર કશી ચિન્તા કે નિરાશા ન્હૉતી. બધાં જોડે હેતભરી નરમાશથી વાત કરતા'તા. અને, જેવા એકલા પડતા'તા, મનગમતાં પુસ્તકોમાં ખોવાઈ જતા'તા.
વિશિષ્ટ વિશ્વસાહિત્યકાર હોર્હે લુઇસ બોર્હેસ છેલ્લે તો સમ્પૂર્ણ અન્ધ થઈ ગયેલા. લીવરના કૅન્સરને કારણે એમનું મૃત્યુ થયેલું. જીનીવામાં અન્ત્યેષ્ઠિ વખતે વડા પાદરીએ કહેલું : બોર્હેસે નિરન્તર સમુચિત પદની શોધ કરી છે. એવું પદ, જે વસ્તુજગતનો અન્તિમ સાર આપતું હોય. ઉપસંહારમાં કહેલું, એ પદને માણસ નથી શોધતો, પદ પોતે જ માણસને શોધી લે છે.
ગાંધીજીનાં બન્ને શસ્ત્ર, સત્ય-અહિંસા, જેનાથી ઉત્તમ શસ્ત્ર એકેય હોઈ શકે નહીં એવાં, અનુત્તમ હતાં. એમની કરુણતમ હત્યા થઈ હતી.
રુમિ ઉપદેશ ભાગ્યે જ આપે, પણ ક્યારેક આવો પોકાર કરે ખરા કે – અનુકમ્પાના કાન વડે સાંભળો – કરુણાની આંખોથી નીરખો – પ્રેમની ભાષા બોલો !
કવિ હરિશ્ચન્દ્ર ભટ્ટે 'આત્માની આરઝૂ સદા ઝૂરવાની' કહીને ઝૂરણને 'જીવનનું અખૂટ પાથેય' ગણેલું. એમણે આત્મહત્યા કરેલી.
ક્ષયગ્રસ્ત કવિ રાવજી પટેલે 'અલકાતાં રાજ'-ને અને 'મલકાતાં કાજ'-ને 'ડૂબતાં' જોયેલાં પણ એને વાગેલી તો 'સજીવી હળવાશ'. અકાળે અવસાન થયેલું.
સુરેશ જોષીને એમના છેલ્લા દિવસોમાં એક જ વાત ખાસ સતાવતી હતી, પૂછતા કે – મારી પ્રાણઘાતક વેદનાનું શું થશે?
એમ લેખાંજોખાં જરૂર માંડી શકાય છે કે – આ સૌ પૂર્વનાં છે એટલે આમ છે, પશ્ચિમનાં છે એટલે આમ છે; કેટલાક ખરેખર પ્રશસ્ય છે, કેટલાક નથી; કોઈ સુખ્યાત છે, કોઈ અતિખ્યાત છે; ઘણી વાતો સ્વીકાર્ય છે, પણ કેટલીક અ-સ્વીકાર્ય છે; વગેરે.
તેમ છતાં, રીપીટ, તેમ છતાં, કોઈના પણ શક્તિ-સામર્થ્યની તુલના તો શક્ય જ નથી, જરૂરી પણ નથી.
છતાં સૌમાં મને સામ્ય એ દેખાયું છે કે સૌ મનોમન્થનને વરેલા હૃદયવાન મનુષ્યો હતા.
= = =
(December 26, 2021: Ahmedabad)