Opinion Magazine
Number of visits: 9962715
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પાંસઠ વર્ષે:

મૂકેશ પરીખ|Opinion - Opinion|28 December 2021

પાંસઠ થયા હવે જુદી રીતે જીવી લે,
શાંતિથી સાંભળ અને હોઠ સીવી લે.

બહુ કરી લીધી મનમાની વર્ષો પર્યંત,
મરજી વિરુદ્ધ હવે હામી ભરતા શીખી લે.

વાત મનને મારવાની તો નથી અહિંયા,
નોખી દૃષ્ટિએ જગત જોવાનું કબૂલી લે.

સલાહ ઘરખૂણે ગોપાઈ રહેવાની નથી,
આકાશને આંબવાની જીદ હવે મૂકી દે.

રોમાન્સ તો રક્ત સાથે જ વહે છે ધમનીમાં,
પ્રીત પ્રગટ કરવાની ય રીત નવી શીખી લે.

જોહુકમી તો ક્યારે ય કરી જ નથી તો હવે,
જોહુકમી ચલાવવી નથી એ પણ સમજી લે.

ગઝલ-કવિતા તો સદા ય રચાતી જ રહેશે,
ભક્તિપદ ગાવાનું પણ હવે જરા શીખી લે.

દોડભાગ બહુ કરી ભૌતિક ભોગ માટે ‘મૂકેશ’,
મોક્ષ માટે પણ હવે થોડી પૂંજી ભેગી કરી લે.

ન્યુ જર્સી, યુ.એસ.એ.

e.mail : mparikh@usa.com

Loading

શિયાળાની રાત

માવજી મહેશ્વરી|Opinion - Opinion|28 December 2021

શિયાળો આવે ત્યારે મને ફરી આ નિબંધ યાદ આવે, અને વાંચું પણ ખરો. થયું આજે નિબંધના ચાહક મિત્રો માટે અહીં મૂકું.

શિયાળો લુચ્ચો છે. એ ક્યારેક શિયાળની જેમ લપાતો-છુપાતો-અમળાતો આવે છે તો ક્યારેક રાનીપશુની માફક તરાપ મારે છે. શિયાળાનું કાંઈ નક્કી નહીં. એ દોરંગી છે. નખરાળો છે. શિયાળો પોતાની સાથે લઈ આવે છે નિર્બળ પુરુષ જેવો દિવસ અને ફાટફાટ જુવાનીથી લચી પડતી સ્ત્રી જેવી રાત.

માગસર મહિનાના મટમેલા આકાશમાં સુકાયેલા આંસુ જેવા વાદળીની ચીંથરીઓ લાંબી-ટૂંકી થયા કરે. છેલ્લા ડચકા ભરતા કોઈ વૃદ્ધની જેમ દિવસ ઢળી પડે. હારેલા ખેલાડી જેવો સૂરજ મેદાન છોડી જાય. ધૂંધળી ક્ષિતિજોની કિનારને ખાઈ જવા ઊભેલી ઠંડીગાર રાત બિલાડીની જેમ દબાતા પગલે આગળ વધે. શિયાળાની રાત જેવી બહુરૂપી એકેય રાત નથી. શિયાળાની ઠારી નાખતી રાત કામણગારી કાતિલ યૌવના છે. એના સ્મિત કરતા રાતા હોઠ પર લોહી થીજવી દેતું કાતિલ વિષ છે. એ પોતાના રૂપથી ઘાયલ કરે છે. લલચાવે છે અને તડપાવે પણ છે. છતાં શિયાળાની રાત એક માદક પીણું છે. એનો સ્પર્શ ઉત્તેજિત કરી નાખે છે. એને પાર કરી જવી કઠિન છે. તો ય શિયાળાની રાત જ જીવતા હોવાનો અહેસાસ કરાવે છે. ચામડી નીચે વહેતાં લોહીનો સંચાર શિયાળાની રાતે જ સંભળાય છે. એ માણસ હોવાનો આનંદ આપે છે તો ક્યારેક માણસ હોવાની પીડા. ક્યારેક તે માની હૂંફાળી છાતીની હૂંફ બની લોહીમાં ફરી વળે છે તો ક્યારેક પ્રિયતમા બની વીંટળાઈ વળે છે. ક્યારેક ઉશ્કેરે છે તો ક્યારેક શાંત કરે છે. કદીક બાળે તો કદીક ઠારે. ક્યારેક વેરણ બનીને ખડકની માફક ઊભી રહી જાય છે.

શિયાળાની રાતને કોઈ જ ઉતાવળ હોતી નથી. એ મલપતી મલપતી ચાલે છે. કોઈ વિશાળ સામ્રાજ્યની સમ્રાજ્ઞીની જેમ ક્યારેક તુચ્છકારભર્યું સ્મિત કરે છે. એ તાપણે તાપતી કિશોર ટોળકીની આસપાસ ચક્કર લગાવે છે ત્યારે તે કિશોરોની આંખમાં આગિયાની માફક ચમકે છે. રખડુ જુવાનિયાની બેફિકરી ટોળીને પડખે પડખે ચાલતી રાત જુવાનિયાની છાતીના કુમળા વાળને સ્પર્શીને ચાલી જાય છે. ક્યારેક નવપરિણીત યુગલના શયનખંડનાં બારણાં પાસે સમજુ સ્ત્રીની જેમ ઊભી રહી જાય છે. પરસ્પરના બાહુમાં વીંટાતા યુગલને જોઈ તેના મોં પર તોફાની સ્મિત ફૂટે છે. છતાં એ શિયાળાની રાત છે. એને નિર્દય બનતાં વાર નથી લાગતી. ક્યારેક જઈ ચડે છે કોઈ એકાકી વૃદ્ધને પડખે. ખાંસતા-હાંફતા વૃદ્ધની આંખોમાં ઊપસતી રતાશને તે છુપા શત્રુની જેમ જોઈ રહે છે.

શિયાળાની રાત જેટલી રૂપાળી છે તેટલી જ ખંધી છે. એ સામેથી નહીં, પાછળથી વાર કરે છે. એ સબળા સામે પડતી નથી. નબળાને પીડવામાં એને આનંદ મળે છે. એટલે તો એ ખુલ્લામાં પડી રહેલાં શ્રમજીવીઓ, ખાંસતા-હાંફતા વૃદ્ધો, સીમમાં સૂતેલા એકલદોકલ ખેડૂતો કે રણકાંધીએ સીમા સાચવતા સૈનિકોની આસપાસ અડ્ડો જમાવે છે. પોતાની ઓઢણીથી બાળકને ઢાંકતી ગરીબ સ્ત્રીની ખુલ્લી પીઠ પર તે વાર કરે છે. નાગાં-પૂગાં બાળકોના મૃદુ ગાલની એને જરા ય દયા આવતી નથી કે ન તો મજૂર સ્ત્રીના પગની પાનીમાં પડેલા ચીરાનો એને વિચાર આવે છે. શિયાળાની રાત એક નિર્દય જેલર જેવી છે. એની જેલમાં પુરાઈ જનાર પર તે ત્રાસ વર્તાવે છે. ક્યારેક તે પવન પર સવાર થઈ નીકળી પડે છે અને જ્યાં તક મળે ત્યાં ઘૂસી જાય છે. કોઈના જાળિયામાંથી, ખુલ્લી રહી ગયેલી બારીમાંથી, બારણાંની તિરાડોમાંથી, ઝૂંપડીઓના બાકોરામાંથી. તે પોતાની ફૂંકથી બધું ય ઠંડુંગાર કરી મૂકે છે. પાણી હોય કે પથ્થર, શિયાળાની રાત સામે બધાં ઝૂકી પડે છે. છતાં તે બહુ પાકી છે. આલીશાન હવેલીઓની અંદર જવાની હિંમત તેનામાં નથી. હીટરથી ગરમ થઈ રહેલા ઓરડાની અંદર ડોકિયું કરતાં એ ડરે છે. તાપણાં પર તાપતા મજૂરોને જોઈ એ દાંત કચકચાવી દૂર ઊભી રહી તાપણું ઠરવાની વાટ જોતી રહે છે.

શિયાળાની રાતથી ડરી ગયેલા સૌ લપાઈ જાય છે ત્યારે થાકેલી રાત પાછી વળે છે. એ ક્યારેક હસતી હોય છે તો ક્યારેક ઉદાસ હોય છે. એની ચાલમાં ક્યારેક સત્તાનો મદ હોય છે છતાં ઘેટાંના બરછટ વાળને છંછેડવાનું તે ટાળે છે અને તે સીમ તરફ વળી જાય છે.

સીમમાં ખેતરોની ભીની ભૂખરી માટી જાગે છે. શેરડી, ચણાના છોડ, પાન વચ્ચે ઢબુરાઈ ગયેલી, રીંગણાં, ટમેટાં કે ઝોકે ચડેલા ઘઉંના ક્યારા, દાદાના ખોળામાં સૂઈ ગયેલા બાળક જેવા કોબી-ફ્લાવર કે કોથમીરની ક્યારીઓ જોઈ રાતની છાતીમાં ધાવણ ભરાય છે. એનું માતૃત્વ છલકી ઊઠે છે. તે આખી ય સીમને છાતીએ વળગાડી લે છે. સીમ રાતને બચબચ ધાવે છે. રાતનો સ્પર્શ થતાં જ જમીનમાં વિસ્તરતા ગાજરમાં રતાશ સળવળે છે. શેરડીની કાતળી પર લાલાશ ઊભરે છે. ચણીબોરના ગાલમાં ગલ પાડે છે. ચારેકોરથી લઈ લીધેલી ગરમી ખેતરોને પાઈ દે છે શિયાળાની રાત. અને તે સૂઈ જાય છે.

વહેલી સવારે ઊઠી ગયેલા ખેડૂતના સંચારથી રાત સફાળી જાગે છે. પોતાનો પાલવ સરખો કરી આળસ મરડી પૂર્વમાં જૂએ છે. ખેડૂતે દોહેલા બકરીનાં દૂધના ફિણોટામાં આંગળી બોળતી રાત ઝડપથી પગ ઉપાડે છે. રાતનો પગરવ સાંભળી કંથેરમાં સૂઈ રહેલા તેતર આંખો ખોલે છે. ઘટાટોપ ઊભેલી શેરડી વચ્ચે મારગ કરતા આવતા અજવાળાને જોઈ ડરી ગયેલું શિયાળ રાતના પગલાં શોધતું નાસે છે. હજી રાતનો પાલવ ફરફરતો દેખાય છે. શિયાળાની રાતનો શ્યામલ પાલવ!

('બોર' માંથી)

સૌજન્ય : માવજીભાઈ મહેશ્વરીની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

કોરોના કોઈને કોરા ના રાખે એમ બને –

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|27 December 2021

સરકાર બાળકોને રસી અપાય તે માટેની તૈયારીઓમાં લાગી છે ને વયસ્કોને રસીના બંને ડોઝ લેવા અપીલ કરી રહી છે. બુસ્ટર ડોઝની વાત પણ ચાલે છે. 100 કરોડથી વધુ લોકોને રસી અપાઈ હોવાનો સરકાર દાવો કરી રહી છે ને એટલું નક્કી છે કે કોરોના રસીકરણને કારણે ઠીક ઠીક કાબૂમાં આવ્યો છે, પણ વિશ્વમાં નવા વેરિયન્ટ ઓમિક્રોનનો જે રીતે વિસ્ફોટ થયો છે તે આ દુનિયાને જપવા દે એમ લાગતું નથી. થોડે થોડે દિવસે કોઈ આઇટેમની જેમ કોરોનાના નવા વેરિયન્ટની પધરામણી થયા કરે છે. ડેલ્ટાનું ચાલ્યું, તે પછી મયુકરમાઇક્રોસિસનો ઢોલ વાગ્યો, તેનું ઠેકાણું પડે ત્યાં ઓમિક્રોન પ્રગટ થયો, તે બાકી હતું તે ડેલ્ટા અને ઓમિક્રોનનું સંયોજન ડેલ્મિક્રોન પ્રગટ થયું ! આ નવો વેરિયન્ટ નથી, પણ બે વેરિયન્ટ ડેલ્ટા અને ઓમિક્રોન મળીને એક ‘સુપર સ્ટ્રેન‘ બનાવે છે. નબળી ઇમ્યુનિટીવાળા, વૃદ્ધોમાં એનું જોખમ ઊભું થઈ શકે એવી વાતો છે. અમેરિકા અને યુરોપમાં વધતા કેસો માટે ડેલ્મિક્રોન જ જવાબદાર છે એમ કહેવાય છે. જેમનું વેક્સિનેશન થયું નથી એમને ડેલ્મિક્રોનનું જોખમ વધુ રહે એવી વાત પણ છે. આના પછી બીજા કોઈ વેરિયન્ટ દર્શન ન જ દે એવું નથી. એ બધું તો ચાલ્યા જ કરવાનું છે. વધારે શું કહેવું, દુનિયા ડરેલી રહે ને સ્વસ્થ ન થાય એને માટે બધાં જ મહેનત કરી રહ્યાં છે.

આ બધાંમાં ભારત દેશ પણ પાછળ નથી, તે પણ કોરોનાથી કોરો રહેવા નથી માંગતો. ઉત્તર પ્રદેશ, ગોવા, મણિપુર, પંજાબ અને ઉત્તરાખંડ એમ પાંચ રાજ્યોમાં ચૂંટણી 2022માં છે, એ સંદર્ભે ઓમિક્રોન કેટલો ફેલાશે તેનો દાખલો માંડી જોવા જેવો છે. એક ડિસેમ્બરે ઓમિક્રોનનો એક પણ કેસ ન હતો. બીજી ડિસેમ્બરે 1 કેસ આવ્યો, એ પછી બાવીસ જ દિવસમાં એ આંકડો 360ને વટાવી ગયો. અત્યારે પણ દેશમાં કોરોનાના દોઢ લાખથી વધુ કેસો સક્રિય છે. ફેબ્રુઆરીમાં ત્રીજી લહેર પિક પર હોઈ શકે છે. જો ત્રીજી લહેર આવી તો રોજના 14 લાખ કેસ થવાનું જોખમ નિષ્ણાતો જણાવી રહ્યા છે. આવામાં માર્ચ, એપ્રિલની આસપાસ ચૂંટણી આવે તો શું થાય તે કહેવાની જરૂર નથી. ઉત્તર પ્રદેશમાં એપ્રિલ, 2020માં પંચાયતની ચૂંટણીમાં શિક્ષકોએ ચૂંટણીની ફરજો બજાવી હતી ને એમાં 700 શિક્ષકોએ જીવ ગુમાવ્યા હતા. બંગાળની વાત કરીએ તો 2 એપ્રિલ, 2021 ને રોજ કોરોનાના 1,723 નવા કેસ આવ્યા હતા ને એક પણ મોત નોંધાયું ન હતું, 2 મે, 21 ને રોજ ચૂંટણી પછી નવા કેસની સંખ્યા 17,515 થઈ ગઈ હતી અને એક જ દિવસમાં 100 લોકો મૃત્યુ પામ્યા હતા. ચૂંટણી પછી કેસોમાં 900 ટકાનો વધારો થયો હતો. બીજી લહેરમાં અનેક લાશો પડી છે તે સૌ જાણે છે. ગંગા પણ એનાથી અકળાઈ હતી ને તેણે અનેક લાશો વહેવી પડી હતી, પણ પ્રજા અને સરકાર એમાંથી કોઈ પાઠ શીખવા તૈયાર જ ન હોય તેમ ફરી માથે હાથ મૂકીને રડવા તૈયાર થઈ છે.

ગુજરાતના તે વખતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ મોતના આંકડા સંતાડવા પડે એવો હાહાકાર બીજી લહેરમાં વ્યાપ્યો હતો ને એમ્બ્યુલન્સ અને ઓક્સિજનની તંગીએ પણ ઓછું વીતાડયું ન હતું. એનું પુનરાવર્તન થવા દેવું છે? કોરોનાની ત્રીજી લહેરે આવવું નથી, પણ સરકાર અને પ્રજા તાણીતૂંસીને તેને લાવવા તનતોડ મહેનત કરી રહી છે. અલ્હાબાદ હાઇકોર્ટે વડા પ્રધાનને અને ચૂંટણી આયોગને ઓમિક્રોનનાં વધતાં સંક્રમણને ધ્યાનમાં રાખીને વિધાનસભાની ચૂંટણી ટાળવાની વિનંતી કરી છે, પણ સરકાર એ બાબતે અત્યાર સુધી તો ચૂપ છે ને ચૂપ જ રહેશે એમ લાગે છે. મામલો સુપ્રીમ કોર્ટ સુધી ગયો છે ને રાજકીય રેલીઓ પર રોક લગાવવાની અરજી પણ દાખલ કરવામાં આવી છે. આમ તો ભારતમાં ચૂંટણી પંચ પણ છે, પણ તેને આવી બાબતો અગાઉ પણ સ્પર્શી નથી ને હવે પણ સ્પર્શે એમ લાગતું નથી. ટૂંકમાં, ચૂંટણી પંચની આખી સ્વાયત્તતા જ ચર્ચાસ્પદ છે.

ઉત્તર પ્રદેશ પર વડા પ્રધાન ઓવારી ગયા છે ને કાશીના જિર્ણોધ્ધાર નિમિત્તે 2024નું ભાથું પણ બાંધી લીધું હોય એમ લાગે છે. ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી, વડા પ્રધાનની આરતી ઉતારતા જઈને, બિલકુલ મોદી સ્ટાઇલમાં જાહેરાતો કરતા રહે છે. એક સમયે આ જ યોગી મોદીથી વંકાઈને ચાલતા હતા, તે એક વાર મોદીને રૂબરૂ થયા ને એવો ચમત્કાર થયો કે પછી બંને એકબીજાની આરતી ઉતારતા થઈ ગયા. અત્યારે તો યોગી યુવાનોને 1 કરોડ ટેબલેટ અને સ્માર્ટ ફોન મફત આપવામાં પડ્યા છે. એ તે ગાઈડલાઇન્સ જુએ કે યુવા મતો ખેંચે? વડા પ્રધાનનું એવું છે કે એ દેશના વડા પ્રધાન હોવાની સાથે જ એ ભૂલતા નથી કે એ ભા.જ.પ.ના પણ સર્વેસર્વા છે, એટલે પશ્ચિમ બંગાળ હોય કે ઉત્તર પ્રદેશ, એ જાતે પોતે રેલીઓ સંબોધવા પહોંચી જાય છે ને હજારોની મેદનીને સંબોધે છે ને લોકો ખુશ રહે એ માટે કોઈને કોઈ પ્રકારની લહાણી કરતા રહે છે. ગુજરાતમાં પણ 2022માં વિધાનસભાની ચૂંટણી છે, તો એમાં પણ આ જ પ્રકારે વડા પ્રધાન જાતીય દેખરેખ હેઠળ ચૂંટણીની જવાબદારી પાર પાડશે એમાં શંકા નથી.

બીજી તરફ કાઁગ્રેસ અને બીજા વિપક્ષો બણગાં ફૂંકવામાંથી જ ઊંચા નથી આવતા. સરકાર કૈં ન કરે તો  કાઁગ્રેસ પણ ચૂપ રહે. સરકાર કૈં કરે તો તેનો વાંધો ઉઠાવવાની એક પણ તક કાઁગ્રેસ ચૂકતી નથી. સરકાર કૈં ન બોલે તો કાઁગ્રેસ પાસે પોતાની કોઈ વાત જ નથી. કોઈ એવી યોજના નથી જે તેની યોગ્યતા પુરવાર કરે. બહુ થાય તો ભા.જ.પ. રેલી કરશે તો કાઁગ્રેસ પણ દેખાદેખી રેલા, રેલીમાં હજારોની ભીડ કરશે. એમ કરીને તે પણ સરકારની જેમ જ કોરોના ફેલાવવામાં મદદ જ કરે છે ને ! આપ પાર્ટી સ્વસ્થ સંચાલન કરે તો તેને સુરતમાં સારી તકો છે, પણ તેને રચનાત્મક કામો કરવા કરતાં ઉપદ્રવમાં વધારે રસ છે. તોડફોડથી જ સત્તા હાંસલ કરી શકાય એવી માન્યતા બદલાય તો આપને સુરતમાં તકો છે ને તેણે તેનો યોગ્ય લાભ ઉઠાવવો જ જોઈએ. સમાજવાદી પાર્ટી પણ ભા.જ.પ. હારશે તેવી આગાહી કર્યા કરે છે, પણ હરાવવાનું તેની પાસે કોઈ નક્કર આયોજન નથી. એટલે ભા.જ.પ. સત્તામાં ન આવે તો જ નવાઈ લાગે.

ચૂંટણી પ્રાણપ્રશ્ન હોય તો પણ, પ્રાણ કરતાં વધુ નથી. સરકારે એ જોવા જવું છે કે કોરોનાને કારણે કયા કાર્યક્રમો રદ્દ કર્યાં કે મુલતવી રાખ્યા? કેટલી રેલીઓ, સભાઓ કોરોનાને કારણે અટકી? જવાબમાં શૂન્ય આવે એમ છે. કમાલ તો એ છે કે જે ટાળી શકાય એવાં કાર્યક્રમો છે તે પણ ચાલે છે. નદીનો ઉત્સવ થાય એ ગમે, પણ હાલના સંજોગોમાં એ ન થાય કે લંબાવાય તો ચાલે, પણ તે ધરાર થયો ને મુખ્ય મંત્રીએ એનો સુરતથી પ્રારંભ પણ કર્યો. સાધારણ માણસો માટે રાત્રિ કરફ્યુ 11થી લાગુ કરવામાં આવ્યો, પણ ‘ફિટ ઈન્ડિયા, ફિટ ગુજરાત’ કાર્યક્રમમાં 7,500થી વધુ લોકોને સવારે ભેગા કરવાનો સરકારને સંકોચ ન થયો. ચિંતા એ છે કે ફિટ ગુજરાતને અનફિટ કરવાનું ન બને તો સારું. વડા પ્રધાન સાવધાની રાખવાનું કહે ને મુખ્ય મંત્રી બેદરકારી વચ્ચે કાર્યક્રમો પાર પાડે એ સંકલન સમજવાનું અઘરું છે. મુખ્ય મંત્રીની ઉપસ્થિતિમાં સાઇકલોથોન યોજાઈ, જેમાં સાત હજાર રજિસ્ટ્રેશન કરવામાં આવ્યાં. આ વેપલો પણ ટાળી શકાયો હોત !

ઇન્ડોર સ્ટેડિયમમાં 3,500નું ટોળું થયું ને તેમાં મહિલા સફાઈ કામદાર પણ સંક્રમિત હતી. આમ તો સફાઇ કર્મચારીઓનાં સન્માનનો એ કાર્યક્રમ હતો, પણ સફાઈમાં સંક્રમણ હાથ લાગ્યું ! સ્કૂલના વિદ્યાર્થીઓ, વેપારીઓ સંક્રમિત હોય ત્યાં ભીડ ટાળવાને બદલે ભીડ કરવાનું બહાનું શોધાય એ શરમજનક છે. પાલિકા સુડાનાં કામોનું લોકાર્પણ કરવા મુખ્ય મંત્રી સુરત સુધી લાંબા થાય એ એટલું સૂચવે છે કે સરકારને બધું ચાલે છે. તેને કૈં નડતું નથી. તે ભીડ કરે તો કોરોના વધતો નથી, પણ લોકો ભીડ કરે તો સંક્રમણ માઝા મૂકે છે. વડા પ્રધાનથી માંડીને સરકારી અધિકારીઓ માસ્ક પહેરવાનું ને અંતર જળવવાનું કહેતા જ રહે છે, કારણ સંક્રમણ તો લોકો જ ફેલાવે છે ને ! સરકાર ભીડ કરે તો એ માફ છે. એની સભામાં કોઈ માસ્ક ન પહેરે તો ચાલે, પણ સામાન્ય માણસ ન પહેરે તો તે દંડાય. લોકોનો વાંક નથી એવું નથી. ડી.જે.ના તાલ પર નાચવાનું તેમને ફાવે છે. નાતાલની ઉજવણી વિદેશોમાં ગાઈડ લાઇન્સનું પાલન કરીને થાય, પણ અહીં હૈદરાબાદ, લખનૌ, સુરત જેવામાં સડકો છલકાવી દેવામાં કોઈને કોરોના યાદ નથી આવતો.

આમ થવા માટે પણ સરકાર જવાબદાર છે. લોકો જુએ છે કે વડા પ્રધાન કે ગૃહ મંત્રી કે યોગી સભાઓ સંબોધે છે ને ત્યાં કોઈ ગાઈડલાઇન્સનું પાલન નથી થતું, છતાં કોઈ દંડાતું નથી કે કોરોના વકરતો નથી, તો થોડા લોકો ભેગા થઈ જાય તો કૈં ખાટુંમોળું થઈ જતું નથી. એટલે લોકો સરકારનું જોઈને વર્તતા હોય એમ બને, પણ એવી નકલખોરી ભારે પડી શકે એમ છે. ગાઈડલાઇન્સનું પાલન નહીં થાય તો સરકારનું તો કૈં નહીં બગડે, પણ લોકો જરૂર જોખમ નોતરશે.

લોકો જવાબદારીપૂર્વક વર્તે તો કોરોનાને નાથવાનું મુશ્કેલ નથી, એમ જ સરકાર. કામને પ્રાયોરિટી પ્રમાણે કરે તો પણ ભીડભાડથી બચી શકાય ને એટલે અંશે કોરોના નિયંત્રણમાં રહે એમ બને. ગુજરાત કોરોના પર ઠીક કાબૂ મેળવી શક્યું છે, ત્યારે તેણે પેટ ચોળીને શૂળ ઊભું કરવા જેવું નથી. બીજી લહેરે આખા દેશને બરાબર વીતાડયું છે, ત્યારે કોઈએ એવી કોઈ મુર્ખાઈ કરવા જેવી નથી કે પાછળ સરાવવાવાળા શોધવા પડે. ચેતીએ, નહીં તો ‘ચેતીશું’.

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 27 ડિસેમ્બર 2021

Loading

...102030...1,7701,7711,7721,773...1,7801,7901,800...

Search by

Opinion

  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347
  • AIને માથે ચડાવવા જેવું નથી …

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved