Opinion Magazine
Number of visits: 9962499
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભારતમાં દર દસ વ્યક્તિએ એક વ્યક્તિ વૃદ્ધ છે !

ચંદુ મહેરિયા|Opinion - Opinion|29 December 2021

અમેરિકાના બોસ્ટનમાં વસતા એક ગુજરાતી વડીલજન ભારે હરખથી ત્યાંના એડલ્ટ ડે કેર સેન્ટર વિશે વાત કરતા હતા. પાંસઠ વરસથી વધુ વયના, સંભાળની જરૂર હોય અને દિવસ દરમિયાન ઘરે એકલા હોય તેવા વૃદ્ધોને સરકાર સહાયિત વૃદ્ધજન કેન્દ્રોની આઠેક કલાક સેવાશુશ્રૂષા મળે છે. રોજ સવારે સાડા સાતે તેમને ઘરેથી વાહનમાં લઈ જવામાં આવે છે. ચા-નાસ્તો, બપોરનું ખાણું, હળવી કસરત, પ્રાર્થના, આનંદ અને આરામની સગવડ, આરોગ્યની તપાસ સાથે તેમની સતત દેખરેખ રખાય છે. મોડી બપોરે તેમને કાળજીપૂર્વક ઘરે પણ મૂકી જાય છે. રોજના વ્યક્તિદીઠ આશરે સિત્તેર ડોલરના સરકાર સહાયિત આ એડલ્ટ ડે કેર સેન્ટરનો જેમને લાભ મળ્યો છે તે વડીલમિત્રને આ સુવિધા પંચતારક હોટલ કે સ્વર્ગ જેવી લાગે છે. મૂડીવાદી અમેરિકાના કેટલાક રાજ્યોમાં વૃદ્ધોની સંભાળ માટેના આ સરકારી પ્રયત્નોની કલ્યાણ રાજ્ય અને સામાજિક સુરક્ષાના બણગા ફૂંકતા લોકશાહી ભારતમાં કલ્પના પણ થઈ શકે તેમ નથી.

દુનિયાભરમાં વૃદ્ધોની સંખ્યા વધી રહી છે. વલ્ડ પોપ્યુલેશન પ્રોસ્પેક્ટસ મુજબ વિશ્વમાં ૨૦૧૯માં દર અગિયાર વ્યક્તિએ એક વ્યક્તિ પાંસઠ વર્ષથી વધુ વયની હતી. ૨૦૫૦માં તે વધીને દર છ વ્યક્તિએ એક હશે. ભારતમાં ૧૯૯૧માં ૫.૫૦ કરોડ, ૨૦૦૧માં ૭.૬૦ કરોડ, ૨૦૧૧માં ૧૦.૩૪ કરોડ વૃદ્ધો હતા. ૨૦૨૧માં ૧૩.૮૦ કરોડ છે. એ રીતે જોતાં ભારતમાં આજે દર દસ વ્યક્તિએ એક વ્યક્તિ વૃદ્ધ છે. ભારતીયોની સરેરાશ ઉમર ૨૭.૧ વરસ છે. એટલે તે ડોમોગ્રાફિક ડિવિડન્ડ ધરાવતો યુવા દેશ છે પરંતુ ૨૦૨૬માં વૃદ્ધોની વસતી વધીને ૧૭.૩ કરોડ અને ૨૦૫૦માં આશરે ૩૫ કરોડ થશે !

વાર્ધક્ય માનવજીવનનો અનિવાર્ય હિસ્સો છે. ઢળતી ઉમરે સ્વેચ્છાએ કે અનિચ્છાએ નોકરી-ધંધો કે દાણાપાણી મેળવવાની જંજાળમાંથી માણસને મુક્ત થવું પડે છે. જો કે સમાજ વૃદ્ધોને ખોટા સિક્કા કે બિનઉપયોગી પણ ગણે છે. આખી જિંદગી વૈતરું કરનાર જ્યારે પાછલી અવસ્થામાં કોઈ ઉત્પાદક યોગદાન આપી ન શકે, આર્થિક રીતે પરાધીન હોય, શરીર નબળું પડ્યું હોય અને સંતાનો મોં ફેરવી લે ત્યારે તે ભારે લાચારી અનુભવે છે.

લોકોનું સરેરાશ આયુષ્ય કે જીવનદર વધ્યો છે. અને જન્મદર ઘટ્યો છે તેથી વૃદ્ધોની સંખ્યા વધી છે. લંબાયેલું જીવન જો સ્વસ્થ ન હોય (અને નથી જ હોતું) તો તે બોજારૂપ બની રહે છે. વૈશ્વિક આવરદા ૭૩.૩ વરસની પણ સ્વસ્થ જીવનના વરસો તો ૬૩.૭ જ છે. ભારતમાં સરેરાશ આયુષ્ય ૭૦.૮ વરસ છે પણ સ્વસ્થ જીવનના વરસો ૬૦.૩ એટલે કે સરેરાશ આયુષ્ય કરતાં દસ વર્ષ ઓછાં છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયનો વૃદ્ધોના આરોગ્ય અને આર્થિક-સામાજિક સ્થિતિનો અભ્યાસ જણાવે છે કે દેશનો દર ચોથો વૃદ્ધ એકાધિક બીમારીઓથી ગ્રસ્ત છે. દર પાંચમો વૃદ્ધ સ્મૃતિભ્રંશ અને તણાવ જેવી માનસિક બીમારીઓથી પીડાય છે. ચોથાભાગના વડીલો રોજિંદા કામો માટે બીજા પર આધારિત છે. દર ત્રીજો વૃદ્ધ હ્રદયસંબંધી બીમારીનો શિકાર છે. શહેરોમાં ૫૫ ટકા અને ગામડાઓમાં ૨૫ ટકા વૃદ્ધ લાંબા સમયથી બીમાર છે. શહેરોમાં ૩૩ ટકા અને ગામડાઓમાં ૨૮ ટકા ઘૂંટણની સમસ્યાથી પીડાય છે. ૬૦થી વધુ વયના જયેષ્ઠ નાગરિકોમાં ૭૫ ટકા ગામડાઓમાં વસે છે અને તે પૈકી ૬૪.૮ ટકા ખેતીના કામો સાથે સંકળાયેલા છે. ૭૮ ટકા વૃદ્ધોને કોઈ પેન્શન મળતું નથી. ૩૩ ટકા ગરીબીની રેખા નીચે અને ૬૬ ટકા નિમ્ન મધ્યમ વર્ગનું જીવન બસર કરે છે. આ આંકડાઓ વૃદ્ધોની દારુણ સ્થિતિ દર્શાવે છે.

કમજોર શારીરિક સ્થિતિ સાથે વૃદ્ધોને એકલતા, ઉપેક્ષા, ઉપરાંત પ્રેમ, લાગણી અને હૂંફના અભાવની સમસ્યા સવિશેષ પરેશાન કરે છે. સંતાનો જીવનની જદ્દોજહદમાં વ્યસ્ત હોય છે કાં રોજી-રોટી માટે શહેરોમાં સ્થળાંતર કરી ગયા હોય છે. એટલે તેમને એકાકી જીવન જીવવું પડે છે. દેશની કુલ વૃદ્ધવસ્તીના ૨.૨ ટકા કે ૧૦ ટકા વૃદ્ધદંપતી સંતાનો વિના એકલવાયું જીવન જીવે છે. હજુ આપણી સમાજ વ્યવસ્થામાં સંયુક્ત કુટુંબ કે સામુદાયિક જીવન ટક્યાં છે એટલે ૮૭.૮ ટકા વૃદ્ધો કુંટુબ સાથે જ રહે છે. સંયુક્ત પરિવારોમાં વૃદ્ધોની દેખભાળ વધુ સારી રીતે થાય છે અને સ્થિતિ સહ્ય હોય છે. કદાચ માબાપે આખી જિંદગી સંતાનોના સુખ માટે હોમી દીધી હોવાનો લોકોને ખ્યાલ હોય છે એટલે લોક લાજનું તત્ત્વ પણ વૃદ્ધોની દેખભાળમાં જોઈ શકાય.

બુઝુર્ગોની ઉપેક્ષા, અવહેલના કે યોગ્ય દેખભાળના અભાવનાં ઘણાં કારણો છે. બદલાતાં જીવન મૂલ્યો, વિભક્ત કુટુંબોમાં વૃદ્ધિ, સંસાધનોનો અભાવ, બેરોજગારી-મોંઘવારી જેવી આર્થિક વિટંબણાઓ, સ્પર્ધાનો યુગ અને સમયનો અભાવ, કઠિન બનતું જીવન આ બધાને પરિણામે સંતાનો અને કુટુંબ વૃદ્ધજનો પ્રત્યે મજબૂરીવશ કઠોર બને છે. બે પેઢી વચ્ચેનું અંતર પણ આ સમસ્યાને વકરાવે છે. ‘આ ધોળા વાળ તમને મોટા કરવામાં થઈ ગયા છે’, તેવી વૃદ્ધોની દલીલ અને સ્વતંત્ર મિજાજી નવી પેઢી વચ્ચે ટકરામણ ન થાય તો જ નવાઈ લાગે. પતિ-પત્ની વચ્ચેના ઝઘડા અને છૂટાછેડાનું એક મુખ્ય કારણ વૃદ્ધ માબાપની જવાબદારી હોવાનું ઘણા કિસ્સામાં જોવા મળે છે.

એ સાચું કે નોકરિયાત દંપતીના નાનાં બાળકો વૃદ્ધ માબાપ પાસે આસાનીથી ઉછરે છે. આવા સંતાનો વધુ સુરક્ષિત છે અને તેમનો વિકાસ પણ સારો થાય છે. પરંતુ કુટુંબ વ્યવસ્થામાં બદલાવથી  નોકરિયાત પતિપત્ની માટે સંતાનોની દેખભાળ અને માબાપની જવાબદારીની પસંદગી કરવાની આવે છે ત્યારે તેઓ નાનાં બાળકોના ઉછેરના વિકલ્પે માબાપની જવાબદારી સ્વીકારતાં નથી. નફાકેન્દ્રી સામાજિક – આર્થિક વ્યવસ્થામાં કુટુંબ કે સામૂહિક જીવનનું સ્થાન ઘટ્યું છે. માણસ વધુ સ્વાર્થી અને એકલપેટો બન્યો છે. તેથી પણ વૃદ્ધોની દેખભાળની સમસ્યા વકરી છે.

વડીલ માવતરના હિતોની રખેવાળી અને બહેતર સંભાળ માટે કેન્દ્ર સરકારે વરિષ્ઠ નાગરિક ભરણપોષણ કાયદો, ૨૦૦૭  ઘડ્યો છે. ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધાવસ્થા પેન્શન, રાષ્ટ્રીય વયોશ્રી, પ્રધાન મંત્રી વયવંદના અને વયોશ્રેષ્ઠ સન્માન જેવી સરકારી યોજનાઓથી થોડા નિરાધાર વૃદ્ધોને પાંચસો કે હજાર રૂપિયા જેવી સામાન્ય રકમના પેન્શનનું બટકું સરકાર નાંખે છે. આ વરસના બજેટમાં સિલ્વર ઈકોનોમીની જોગવાઈ કરી છે. આર્થિક સમૃદ્ધ વૃદ્ધોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તે મુજબના ઉત્પાદનો, ઘેરબેઠા વિતરણ અને ઉપયોગની આ સિલ્વર ઈકોનોમી વૃદ્ધોના કલ્યાણને નહીં બજારને તાકે છે. ભરણપોષણનો કાયદો સંતાનોને જવાબદાર ઠેરવવાની ચાબુક છે. પરંતુ અમેરિકાના બોસ્ટન સ્ટેટમાં છે તેવી કોઈ વ્યવસ્થા સરકારને કરવી નથી. ૨૦૦૭ના કાયદામાં વૃદ્ધાશ્રમોની સ્થાપના, આરોગ્ય સુવિધાઓ અને વૃદ્ધોનાં જીવન અને સંપત્તિની સુરક્ષાની જોગવાઈ છે પણ કાયદાને ભરણપોષણ પૂરતો અમલી બનાવી અન્ય બાબતો ભૂલવાડી દેવાય છે. સરકાર પાસે વધુ કલ્યાણકારી નક્કર પગલાંની અપેક્ષા રહે છે.

કોરોના મહામારીના કાળમાં વૃદ્ધો સાથેનાં વર્તન સંબંધી સર્વેક્ષણના તારણો ચિંતાજનક છે. તાળાબંધી અને મહામારી દરમિયાન ૭૩ ટકા વૃદ્ધો દુર્વ્યવહારનો ભોગ બન્યા હતા. ૩૫ ટકાને ઘરેલુ હિંસા સહેવી પડી હતી. સ્વાભાવિક રીતે જ તેમાં મહિલાઓ વધુ ભોગ બની હતી. વૃદ્ધ મહિલાઓ જીવનભર ઘર, કુટુંબ, સંતાન માટે ઢસરડા કરતી હોવા છતાં જીવનના અંતિમ પડાવે શારીરિક અશકતતા અને આર્થિક પરતંત્રતા તેને વધુ ઉપેક્ષિત બનાવે છે. ૯૬ દેશોના ગ્લોબલ એજ વોચ ઈન્ડેક્સમાં ભારત ૭૧મા ક્રમે છે. એટલે વડીલોના આદરની ભારતીય સાંસ્કૃતિક પરંપરા અને સંસ્કારોની વાતો બહુ ટકતી નથી. આ સર્વેક્ષણમાં ૪૪ ટકા વૃદ્ધોનું જાહેર સ્થળોએ થતાં અપમાનનું તારણ દર્શાવે છે કે ‘પીંપળ પાન ખરંતા હસતી કુંપળિયા’નો જ ઘાટ છે. અને યુવાનોને ‘મુજ વીતી તુજ વીતશે’ની ખાસ ચિંતા નથી. કરુણા અને સેવાને વરેલા મનાતા ગુજરાતમાં ઘણા વૃદ્ધાશ્રમો છે.પરંતુ વૃદ્ધજનોની દેખભાળમાં તેનો ક્રમ ઘણો નીચો છે. અપેક્ષાકૃત બુઝુર્ગ વસ્તી ધરાવતા રાજ્યોમાં વડીલોની સંભાળમાં ગુજરાત છેક દસમા ક્રમે છે.

બુઝુર્ગ વ્યક્તિઓ પણ સન્માનપૂર્ણ જીવનની હકદાર છે અને સંતાનોની એ ફરજ છે એવી સામાજિક ચેતના જાગે તો કોઈને વૃદ્ધાશ્રમમાં રહેવું ન પડે અને વડીલો પણ ‘ઘડપણ કોણે મોકલ્યું’ના નિસાસા નાંખી વૃદ્ધાવસ્થાને અભિશાપ કે બોજ  ન માને.

e.mail : maheriyachandu@gmail.com

Loading

મારી વિદ્યાયાત્રા == પુનશ્ચ == AGAIN ==

સુમન શાહ|Opinion - Opinion|29 December 2021

મારી એક લાગણી દૃઢ થયા કરી છે કે આપણે ત્યાં ગુજરાતી સાહિત્યનું અધ્યાપન ખાડે ગયું છે ને એ દુખ:દ સ્થિતિ-પરિસ્થતિ સુધાર માગે છે.

'મારી વિદ્યાયાત્રા'માં એક ખણ્ડ છે : 'ક્લાસરૂમ સીક છે' : એનો એક અંશ —

: ૮ : ન પ્રમદિતવ્યમ્ :

વ્યાખ્યાન એક ઘટના છે – ધર્મકાર્ય. એનાં બે પાસાં છે : વ્યાખ્યાતા બોલે એ; અને શ્રોતા સાંભળે એ : ઍક્સ્પ્રેશન અને કમ્યુનિકેશન. અભિવ્યક્તિ અને સંક્રમણ. વ્યાખ્યાનમાં એ બન્નેનો સમ્પુટ રચાય – જેમ બે હાથ જોડીએ એટલે ‘નમસ્કાર’ રચાય છે. ક્યારેક આ છેડેથી ભાઇ બોલ્યા જ કરતા હોય પણ સામા છેડે કશું પ્હૉંચતું જ ન હોય. ઊલટું પણ બને. આ તરફથી જેવું પીરસાય કે તરત આ તરફ આરોગાય.

મારા દીકરાનો એક મિત્ર બન્ને ચૉથાપાંચમામાં હશે ત્યારની, વડોદરાની, વાત છે.  ઘણી વાર સહજપણે અમારી જોડે જમી લેતો. ત્રણ ભાખરી પછી તો પૂછવું જ પડે – આપું કે? ડોકું હલાવી એ ‘હોવ’ બોલતો ને પાંચમી ભાખરી વખતે પણ ‘હોવ’ બોલતો ! મજા આવતી. સમર્થ વ્યાખ્યાતાનું આવું થાય છે. એ જેટલું કંઈ બોલે, સામેવાળા ‘ઓઇયાં’ કરી જાય. એ થાકે નહીં, ધરાય; એમ લાયક વિદ્યાર્થી પણ થાકે નહીં, ધરાય.

સંક્રમણની વાતો ફરી ક્યારેક.

હાલ માત્ર અભિવ્યક્તિની અને તેમાં ય કેટલીક વ્યવહારુ વાતો કરું :

પહેલી વાત છે, રોજે રોજ અભિવ્યક્ત થતા રહેતા એ ભાઈ કે બહેનની વ્યાખ્યાતાને છાજે એવી રુચિકર અવસ્થા, પોઝિશન, ગ્રેસફુલ ઍટિટ્યુડ. વર્ગમાં દાખલ થતાંવેત એનો સમગ્ર દેખાવ – ઍપીયરન્સ – સુઘડ લાગવો જોઈએ. વર્ગમાં અધ્યાપક લાલઘૂમ ખમીસ-પાટલૂનમાં ને વાળની ‘સ્પાઇકી’ કે ‘મોહૉક' સ્ટાઇલમાં આવે, તો ચાલે?

વડોદરામાં અમારા પ્રૉફેસર કંટકના વર્ગમાં એક વિદ્યાર્થી નાઇટસૂટમાં આવેલો. સંસ્કારનગરીમાં નાઇટસૂટ ‘ફૅશન’રૂપે પ્રવેશેલો એ જમાનાની વાત છે – લેટ ફિફ્ટીઝ. કંટકસાહેબે એને એવા તો ગુસ્સાથી ગેટ-આઉટ કરી કાઢેલો, ન પૂછોની વાત.

અમારા એક પણ્ડિત અધ્યાપક હમેશાં ધોતી-ઝભ્ભા-બન્ડીમાં હોય, માથે સફેદ ટોપી. અગાઉના પણ્ડિતો ખેસ ધારણ કરે ને પાઘડી પણ પ્હૅરે. આજના અધ્યાપકે પણ્ડિતોના પહેરવેશને અનુસરવાની જરૂર નથી.

હવે બહેન-અધ્યાપકોની વસતી વધી છે. સમજાય એવું છે કે એમના બ્લાઉઝની નૅક કે બૅક-ની ડૅપ્થ જે હોય એ, પણ સાડીછેડો કે જો દુપટ્ટો હોય તો, યથાસ્થાને જોઈએ. આ કોઈ ડોસાછાપ દુરાગ્રહ નથી, પ્રૉફેશનલ ઍટિકેટને માટેનો – વ્યવસાયપરક શાલીનતાને માટેનો – સદાગ્રહ છે.

બીજું, મુખ સ્વચ્છ જોઈએ. એમાં પ્રમાદ ન ચાલે. કોઈ કોઈ અધ્યાપકો ટી-ટેબલ પર બાજુવાળાના કાનમાં મૉં ઘાલીને બોલતા હોય છે. બધા બોલ સ્વમુખદુર્વાસમિશ્રિત થતા હોય છે. ભાષા-ભવનના મારા એક સહકાર્યકર, મોટા વિદ્વાન, વર્ગમાં જતાં પહેલાં હમેશાં બ્રશ કરીને જતા. કહેતા : સુમનભાઇ, આ વિદ્યા-વચન-પ્રવચન માટેની શુચિતા છે : કેટલી સરસ વાત !

ત્રીજું, જૂતાં પર ધૂળ ન ચાલે, પૉલિશ ભલે ન હોય. હવે તો દોડવાના સફેદ શૂઝ પણ ચાલે છે. અધુનાતન તો કેવા – લાલ ! ભૂરા ! મોરપીંછ ! કેમ કરીને કહું કે અધ્યાપકના શૂઝ પણ ફૉર્મલ જ જોઇએ? જર્મનીમાં સંસ્કૃતના જર્મન પ્રૉફેસર વર્ગમાં સૌ પહેલાં પોતાના શૂઝ કાઢી નાખે છે ને બૉર્ડ પર ‘ઓમ્ ગુરવે નમ:’ લખ્યા પછી વ્યાખ્યાન શરૂ કરે છે. એ જાણ્યું ત્યારે સારું જ લાગેલું પણ આપણી સ્થિતિ જોડે સરખામણી થતાં દુ:ખી થઈ જવાયેલું. કપડવણજની કૉલેજમાં એક મિત્રઅધ્યાપક સ્લીપરમાં આવતા. વધેલા સૂક્કા નખ અને એમની ‘ફટી એડિયાં’ મને હજી દેખાય છે.

મને સારી પેઠે ખબર છે કે આજનો અધ્યાપક આ બધી બાબતોમાં આટલો બધો ભદ્દો તો નથી જ નથી, છતાં પ્રૉફેશનલ ઍટિકેટને કોઈ છેડો નથી.

પૂર્વજોએ સ્વાધ્યાય અને પ્રવચન બાબતે પ્રમાદ ન કરવા કહ્યું છે. મારું મન્તવ્ય છે કે એમાં આવો બધો પ્રમાદ પણ ન ચાલે – ભલે એ કાયિક, બાહ્ય અને સ્થૂળ છે. સ્વીકારો કે વ્યાખ્યાન, શિષ્ટ ઘટના છે. એમાં શુચિતા-શાલીનતા, મોટી પૂર્વશરત છે. મનની પવિત્રતા કે હૃદયની સચ્ચાઇ તો, એ પછીની વાતો છે.

વ્યાખ્યાન નામના ધર્મકાર્યનું અનુષ્ઠાન વર્ગખણ્ડ છે. આપણે ત્યાં એની કેવીક જોગવાઇ છે? કેટલીયે કૉલેજોમાં અધ્યાપકનાં ટેબલ-ખુરશી પ્લૅટફૉર્મ પર નથી હોતાં. છેલ્લી પાટલીવાળાંનાં ચ્હૅરા ન દેખાય. અધ્યાપક અને વિદ્યાર્થીના સ્થાન-ગ્રહણનો આ મુદ્દો મહત્ત્વનો છે. ગુરુ સદા ઉચ્ચાસને હોય. એ મહિમાવન્ત અર્થને ક્ષણભર જતો કરીએ, પણ વિદ્યાર્થી એટલું તો સમજી રાખે કે અધ્યાપક એનાથી એકાદ સ્તર ઊંચે હોય છે.

Picture Courtesy : Focused Collection

મેં સૂત્ર રચ્યું છે કે ‘અ ટીચર શૂડ બી હર્ડ’. એને કાન દઈને સાંભળવો ઘટે છે. અધ્યાપક વર્ગમાં પ્રવેશે ત્યારે ઊભા થઇને વિદ્યાર્થીઓ અભિવાદન કરે એવું કેટલી કૉલેજોમાં થતું હશે? ઉદાસીન થઈને અધ્યાપકોએ પણ આ આગ્રહને પડતો મેલ્યો હોય તો નવાઇ નહીં.

અમેરિકામાં વર્ગમાં કૉલેજિયનો ટાંટિયા જે તરફ જેટલા ફેલાવેલા રાખવા હોય એટલા રાખી શકે છે.

હું એક શાળામાં ગયેલો. પ્રિન્સિપાલ મને આખી શાળા બતાવતા’તા. અમે ચાલતા’તા. એક કોરિડોર આવ્યો. છોકરા-છોકરીઓ ભીંતે અઢેલીને આમતેમ સૂતેલાં પડેલાં. મારું આશ્ચર્ય શમતું ન્હૉતું. પણ ત્યાં તો એ સૌને મેં ‘હાય કાર્લ ! ગુડ મૉર્નિન્ગ !’-નો ઘોર કરતાં સાંભળ્યાં. ન શમેલું આશ્ચર્ય વધ્યું કેમ કે મૉર્નિન્ગ-વિશ એમણે પોતાના પ્રિન્સિપાલ કાર્લને કરેલી – સૂતેલાં રહીને ! કાર્લે પણ એટલી જ ઊલટથી ‘મૉર્નિન્ગ !’ કહેલું. અતિશયોક્તિ વગર કહું છું કે બાળકોની એ સહિયારી બૂમમાં મને વિનયનો આછો પણ સાચો સૂર આજે પણ સંભળાય છે.

અભિવ્યક્તિનો ચીલાચાલુ અર્થ એવો કે વ્યાખ્યાતાએ અસ્ખલિત, સડસડાટ, વ્યક્ત થવું. ન ભાષિક સ્ખલન કે ન બોલવામાં અચકાટ-ખચકાટ. જો કે કલાત્મક અભિવ્યક્તિ માટે તો ધીરજ અને સમજદારીથી ઘણું ઘણું કરવું રહે છે :

સૌ પહેલાં તો, એણે કે અન્ય વક્તાઓએ પણ હમેશાં સંક્રમણની ઇચ્છાથી અને પૂરી ગરજથી બોલવું. એવી તૉરી ન રાખવી કે સમજશે સમજવાના હશે તો !

દરેક વિષયમુદ્દાની વાત ફોડ પાડીને કરવી. મભમ નહીં ગબડાવવાનું. બોલ્યું બધું સાર્થક લાગવું જોઇએ. વિના કારણ સંસ્કૃત અવતરણો નહીં ઝુલાવવાનાં. અઘરા અંગ્રેજી શબ્દો નહીં ફટકારવાના.

કુંભારના ઘડાની જેમ દરેક મિનિટે વક્તવ્યને ઘાટ મળવો જોઇએ.

ગૂંચવાડિયા મુદ્દાઓને ચાતરી નહીં જવાના, સીધા કરી બતાવવાના. જ્ઞાનની ન દેખાતી બાબતો તરત દેખાય; છુપાયેલી વસ્તુઓ બહાર આવે; ઢંકાયેલું ખુલ્લું થાય; વગેરે બધું વર્ગમાં એક જાદુની જેમ થવું જોઇએ.

સંસ્કૃત શબ્દો વાપરીને કહું તો, અધ્યાપકે સ્ફુટ કરવું, અર્થપૂર્ણ કરવું, સ્પષ્ટ કરવું, દર્શાવવું, પ્રગટ કરવું, અનાવૃત કરવું. ખરેખર તો આ બધાં અભિવ્યક્તિનાં અંગોપાંગ છે.

સ્વની સર્જકતાને ખન્ત અને તન્તથી વળગી રહેનારા અધ્યાપક માટે આમાંનું કશું પણ અશક્ય નથી. સર્જકતા જાદુ છે. એથી વ્યાખ્યાન કે દુનિયાની હર કોઇ વસ્તુ કલાત્મક બની જાય છે.

કલાકારને આપણે ત્યાં ઐન્દ્રજાલિક – જાદુગર – કહ્યો જ છે. સુખ્યાત વ્યાખ્યાતાઓ ઐન્દ્રજાલિક હોય છે. એમના માટે કોઈ પણ વક્તવ્ય કોઈ પણ પ્રસંગે સહજ હોય છે. જુઓ ને, ચીલાચાલુ અભિવ્યક્તિનું અને આ જાતની કલાત્મક અભિવ્યક્તિનું, બન્નેનું, સંક્રમણ તો થાય જ છે. પણ પહેલી વખતે, સંક્રમણ વિદ્યાર્થીના કાને પહૉંચતાંમાં પતી જાય છે; જ્યારે બીજી વખતે, એના કાને થઇ ચિત્તમાં યોગ્ય સ્થાને ઠરી રહે છે.

= = =

(December 29, 2021: Ahmedabad)

સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

શું અંધશ્રદ્ધા આપણો સામાજિક અને સાંસ્કૃતિક વારસો છે ?

ડૉ. મૃગેશ વૈષ્ણવ|Opinion - Opinion|28 December 2021

આપણે ત્યાં અન્ધશ્રદ્ધાનો વારસો સાચવતા કહેવાતા બાપુઓ, ભગતો, ચમત્કારિક સંતો, ફકીરોની પાસે જઈને નબળા મનનો માનવી થોડીક સલામતી અનુભવે કે હંગામી ધોરણે તકલીફમાં રાહત મેળવે છે. આવી તકલીફ મેલીવિદ્યાથી થઈ અને મંત્રશક્તિથી મટી ગઈ એવી અન્ધમાન્યતા ભવિષ્યમાં વધારે ખતરનાક સાબિત થાય છે, તે સમજાવતો કિસ્સો પ્રસ્તુત છે.

•••

અન્ધશ્રદ્ધા અને વહેમ લોકોને કેટલી હદ સુધી બરબાદ કરી નાંખે છે તેના કિસ્સાઓની ચર્ચા આ પુસ્તકમાં કરી છે. કેટલાક અન્ધશ્રદ્ધામાં, મેલીવિદ્યામાં સહેજ પણ ન માનનારા મિત્રોએ મેલીવિદ્યાનું અસ્તીત્વ છે એવું માનવું પડે એવા તેમના સત્ય કિસ્સાઓ વિશે માર્ગદર્શન માગતા પત્રો મને લખ્યા છે. માથા ઉપર હાથ મુકવાથી ગમે તેવી બીમારી મટી જાય કે બાપુ પાસે જઈ કોઈ મંત્ર–માદળિયું બંધાવી આવે અને બીમારી કાબૂમાં આવી જાય ત્યારે શું સમજવું એની સામાન્ય માણસને વિમાસણ થાય તે સ્વાભાવિક છે. આવી જ વાતને રજૂ કરતો એક પત્ર અત્રે રજૂ કરું છું.

“મારું નામ સુરેખા છે. હું એકવીસ વર્ષની યુવતી છું. મારે બે નાના ભાઈ છે. હું તમારી કૉલમની ઘણી જ ચાહક છું. તેના દ્વારા મેં સાયકોલૉજી વિશે ઘણુંબધું જ્ઞાન મેળવ્યું છે. હમણાંથી મારા ઘરમાં ગંભીર સમસ્યા ઊભી થઈ છે, જેના દ્વારા મારા ઘરમાં ઊથલપાથલ થઈ ગઈ છે. મારી આ સમસ્યાની સમ્પૂર્ણ વિગત હું નીચે પ્રમાણે આપું છું.”

“મારે બે નાના ભાઈ છે. જેમાંનો મોટો બબલુ બારમા – સાયન્સમાં અભ્યાસ કરે છે. તેણે બોર્ડની પરીક્ષામાં ડ્રૉપ લીધો હતો, જ્યારે તેણે ડ્રૉપ લીધો ત્યારે તે ખૂબ જ ડરેલો અને ગભરાયેલો રહેતો હતો. તે ઘરની બહાર નીકળતાં ડરતો હતો અને કોઈ મિત્રને મળતો પણ ન હતો, ભૂલેચૂકે કોઈ મિત્ર તેને સામેથી મળવા આવે તો તે ઘરમાં સંતાઈ જતો હતો અને અમારી જોડે જૂઠું કહેવડાવતો કે બબલુ ઘરમાં નથી. તે ઘણી વાર ડર અને ચિંતામાં આખી રાત કાઢતો. ડરને કારણે રોજ રાત્રે મમ્મીનો હાથ પકડીને સૂઈ જતો અને આખો દિવસ વિચારોમાં ડુબેલો રહેતો. આથી તેની અમે અમારા ગામમાં જ દવા કરાવી પણ ફેર જણાયો નહીં. ત્યાર પછી તે તંત્ર–મંત્રમાં પડ્યો. તે મમ્મી સાથે નાયાના કોઈ બાપુ પાસે જતો અને તેમને પોતાની બધી જ વિગતો જણાવતો. આ તાંત્રિક બાપુ તેને કાળો દોરો, મંત્રેલું પાણી આપતા હતા. આ બધી વિધિઓમાં બબલુને અને મારી મમ્મીને પૂરેપૂરો વિશ્વાસ હતો. બબલુને સહેજ પણ માથું દુઃખે તો બાપુ પાસે દોડી જતો. આ બધુ ત્રણ મહિના ચાલ્યું. એ સમય દરમિયાન બબલુ બાપુ વિશે ઘરમાં ખૂબ વાતો કરતો અને બાપુની મંત્રશક્તિની ચર્ચા પણ કરતો અને કયારેક નાના ભાઈને બાપુના નામથી ડરાવતો, ધમકાવતો પણ ખરો. હાલમાં બબલુ બારમા ધોરણમાં રિપીટર તરીકે બીજી સ્કૂલમાં જાય છે. હવે તેને થોડું સારું થતું જાય છે. હા, એક ખાસ વાત છે કે નાની નાની બાબતમાં ડિપ્રેશનમાં આવી જાય છે. શું બબલું આ વખતે પરીક્ષા આપશે કે ડ્રૉપ લેશે? તેને ડિપ્રેસન નામની માનસિક બીમારી હતી, તો બાપુના દોરા–ધાગા, મંત્ર–તંત્રથી સારું કેવી રીતે થઈ ગયું?

જો કે અમારી અત્યારની સમસ્યા બબલુની નથી, પણ અમારા સૌથી નાના ભાઈ મુન્નાની છે. મારો નાનો ભાઈ મુન્નો ભણવામાં ખૂબ જ હોશિયાર છે. તે ધોરણ દસમાં સાયન્સ પ્રવાહમાં સેન્ટરમાં 85 ટકા માર્ક્સ સાથે પ્રથમ આવ્યો હતો અને તેને બરોડા પેટ્રોકેમિકલ સ્કૂલમાં એડમિશન મળ્યું. પ્રથમ સેમેસ્ટરમાં તે આખી સ્કૂલમાં ફર્સ્ટકલાસ ફર્સ્ટ આવ્યો; પરન્તુ બીજા સેમેસ્ટરમાં બબલુના ડિપ્રેસનને કારણે વાંચી શક્યો નહીં અને તેણે પ્રેક્ટીકલની પરીક્ષા ન આપી તેથી તે ફેઈલ જાહેર થયો. હાલમાં તે ઘેર જ છે પણ છેલ્લાં થોડાં અઠડિયાંથી તે વિચિત્ર વર્તન કરે છે. તે ચાર મહિનાથી ઘરની બહાર નીકળ્યો નથી. પહેલાં તે તંત્ર–મંત્રમાં સહેજ પણ વિશ્વાસ ધરાવતો ન હતો અને આવી વાતોને હસી કાઢતો; પરન્તુ છેલ્લા બે મહિનાથી તે એક જ વાત કરે છે કે હું ફેઈલ થયો તેનું કારણ જ બબલુ છે. બબલુએ બાપુ પાસે શીખેલી તંત્ર–મંત્ર વિદ્યાથી મને ફેઈલ કર્યો છે. તેને મારી પ્રગતિ થાય એ ગમતી નથી અને એ મારાથી ખૂબ જ બળે છે એટલે મારું અહિત કરવા માટે તે તંત્ર–મંત્રનો ઉપયોગ કરે છે.

મુન્નાનું એવું કહેવું છે કે હવે તો બબલુએ મંત્રશક્તિથી તેને પૂરેપૂરો વશમાં કરી લીધો છે અને હવે તેને બબલુની ગુલામી કરવી પડે છે. ઘરમાં કોઈક વસ્તુ તૂટી ગઈ હોય તો મુન્નાને બબલુની મેલીવિદ્યા જ કારણભૂત લાગે છે. હમણાં અમારું સસલું મરી ગયું તો મુન્નાએ તરત કહી દીધું કે બબલુએ મેલીવિદ્યાથી મારી નાંખ્યું. મુન્નાએ હવે તો એવો ભય લાગવા માંડ્યો છે કે જો તે ઘરની બહાર નીકળશે તો બબલુ તેને મંત્રવિદ્યાથી એક્સીડન્ટ કરાવીને મારી નંખાવશે. ઘણી વાર બે ભાઈઓ વચ્ચે આ જ બાબતે ખૂબ ઝઘડો થાય છે અને છૂટા હાથની મારામારી સુધી વાત પહોંચી જાય છે; પરન્તુ બબલુ સમજુ હોવાથી ચૂપ રહે છે અને વાત આગળ વધતી નથી. હમણાં હમણાં મુન્નો બરાડા પાડીને એક જ વાત કહ્યા કરે છે કે મંત્રશક્તિથી એની જિંદગી બગાડનાર બબલુને એ મારી નાંખશે અને પછી પોતે પણ આત્મહત્યા કરી લેશે. આને કારણે મારાં મમ્મી–પપ્પા ખૂબ જ હેરાન–પરેશાન રહે છે. મમ્મી તો આખો દિવસ રડ્યા જ કરે છે. બન્નેય ભાઈઓને એકલા પણ મૂકી શકાતા નથી. અમારા ઘરનું વાતાવરણ ઘણું જ ગંભીર બની ગયું છે. મુન્નાની આ બીમારીથી અમે બધા કંટાળી ગયા છીએ. શું મુન્નાની આ તકલીફ મેલીવિદ્યાને કારણે હશે ખરી? મુન્નો ફરીથી પહેલાં જેવો થઈ શકશે? તે ધમકી આપે છે તે પ્રમાણે કયારે ય મોટાભાઈને મારી નાંખવાની કે આત્મહત્યા કરવાની હદે જઈ શકે ખરો? શું મુન્નો પેટ્રોકેમીકલ સ્કૂલમાં ફરીથી ભણી શકશે? આવા તો કેટલા ય સવાલો મારા મનમાં છે. મહેરબાની કરીને આનો કોઈ ઉપાય બતાવો.”

ઘરની આટલી બધી તંગ પરિસ્થિતિ વચ્ચે પણ પૂરેપૂરી માનસિક સ્વસ્થતા સાથે સુરેખા આ પત્ર લખી શકી એ બદલ એને અભિનન્દન. સુરેખાના પત્ર પરથી એક વાત સ્પષ્ટ છે કે તેના બન્ને ય ભાઈઓ માનસિક રીતે બીમાર છે. આમાં નાના ભાઈ મુન્નાની બીમારી તાત્કાલીક સારવાર માંગી લે છે.

સૌ પ્રથમ બબલુની ચર્ચા કરીએ તો સુરેખાના લખવા મુજબ હાલમાં તેને કોઈ જ તકલીફ નથી. તે રિપીટર તરીકે બીજી સ્કૂલમાં જાય છે અને અવારનવાર ડિપ્રેસન આવી જાય છે. બબલુની પરિસ્થિતિ અત્યારે ભારેલા અગ્નિ જેવી છે, જ્યારે મુન્નાની પરિસ્થી=સ્થિતિ ભડકે બળતી આગ જેવી છે; પરન્તુ બન્ને ય અગ્નિને ઠારવા અત્યંત જરૂરી છે. તેના જ આપણે જોઈ ગયા છીએ કે બારમા ધોરણના સાયન્સ પ્રવાહમાં ડ્રૉપ લેનાર વિદ્યાર્થી નિષ્ફળતાના ડરથી કે તેની સાથે બનેલી કોઈ આઘાતજનક ઘટનાથી માનસિક રીતે અસ્વસ્થ હોય છે. લગભગ સત્તર અઢાર વર્ષનો યુવક ઘરની બહાર ન નીકળે, કોઈ મિત્રને ન મળે, આખો દિવસ વિચારોમાં ખોવાયેલો રહે અને રાત્રે સૂઈ જતી વખતે પણ એટલો બધો ભય અને અસલામતી અનુભવતો હોય કે મમ્મીનો હાથ પકડીને સૂઈ જવું પડે તો આ વાતને ગંભીરતાપૂર્વક લેવી જોઈએ જ; કારણ બબલુ પરીક્ષા વખતે સખત માનસિક દબાણ હેઠળ હોવાના કારણે માનસિક સમતુલા ગુમાવતો જતો હતો. આવા સંજોગોમાં તેણે બારમા સાયન્સની બોર્ડની પરીક્ષામાં ડ્રૉપ લીધો ત્યારે તો તેની સારવાર અત્યંત જરીરી હતી જ. બબલુની ગામમાં જ કોઈક પ્રકારની સારવાર થઈ અને પછી તંત્ર–મંત્ર કરતા બાપુ પાસે તેને લઈ જવામાં આવ્યો. આ બાપુ ઉપર અને તેમના મંત્ર–તંત્ર ઉપર શ્રદ્ધા હોવાને કારણે બબલુનો માનસિક તનાવ હળવો થયો અને તેણે થોડીઘણી માનસિક સમતુલા પાછી મેળવી પણ ખરી, એટલે પત્ર–લેખિકાને પ્રશ્ન થયો કે જો તંત્ર–મંત્ર વિદ્યાનું અસ્તીત્વ જ નથી તો બબલુની તબિયતમાં બાપુના મંત્રથી ફેર શા માટે પડ્યો?

આ પ્રશ્નનો જવાબ આપવા માટે મારે માનસિક બીમારીની ઓળખ અને તેની લભ્ય સારવારના કેટલાંક ઐતિહાસિક પાસાંઓની ચર્ચા કરવી છે. ડૉ. વૉટ્સે ફેમિલી ડૉક્ટર તરીકેના પોતાના અનુભવ વિશે તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા એક પુસ્તકમાં લખ્યું છે કે, “1934માં એક વૃદ્ધ પુરુષ તેની પેટ અને આંતરડાની તકલીફ માટે બતાવવા આવ્યો. એક્સ–રે લેબોરેટરીના બધા જ રિપોર્ટો નોર્મલ હોવાથી મેં થોડો સમય ફાળવી તે વૃદ્ધને સમજાવ્યું કે તેમના પેટમાં કોઈ તકલીફ નથી. મારી વાત સાંભળીને એ વૃદ્ધ સીધા ઘેર ગયા અને પોતાનું માથું ગૅસ–ઓવનમાં મૂકી દીધું. આ ઘટના પછી મને માનસિક તકલીફો વિશેના મારા અજ્ઞાનનો ખ્યાલ આવ્યો.” ડૉ. વૉટ્સની આ વાત પરથી સ્પષ્ટ છે કે ચાળીસના દાયકામાં વિદેશોમાં પણ માનસિક બીમારીની કોઈ ખાસ સમજ તબીબોને પણ નહોતી. એટલે હતાશા, ચિંતા, લાંબા સમયની શારીરિક તકલીફ, વિચારવાયુ, અસ્થિરતા વગેરે બીમારીને દૈવી પ્રકોપ કે મેલીવિદ્યા, કે ગ્રહનડતરના કારણે થતી તકલીફો માનવામાં આવતી અને એની સારવાર પણ દોરા–ધાગા, તંત્ર–મંત્ર, મરચાંની ધૂણી વગેરે દ્વારા થતી હતી. આમાં જેમને શ્રદ્ધા હતી તેમને દોરા–ધાગા બંધાવ્યા પછી કે મંત્રવિધિ કરાવ્યા પછી દિલાસો મળતો અને તત્કાલીન માનસિક તનાવમાંથી મુક્તિ મળતાં તબિયત સારી જણાતી એટલે લોકોના મનમાં એક જ પ્રકારની માન્યતા દૃઢ થતી કે અમુક પ્રકારની તકલીફો મેલીવિદ્યા દ્વારા થાય અને તેનું અમુક પ્રકારની મંત્ર–તંત્રની વિધિથી નિવારણ કરી શકાય. આમ, આ પ્રકારની અન્ધશ્રદ્ધા એ આપણો સાંસ્કૃતિક વારસો છે. જો કે દરેક ધર્મ અને સંસ્કૃતિમાં આવી મેલીવિદ્યા અને મંત્રશક્તિનું અસ્તીત્વ છે. આપણે ત્યાં અન્ધશ્રદ્ધાનો આપણો વારસો સાચવવા આવા બાપુઓ, ભગતો, ચમત્કારિક સંતો, ફકીરો વસે છે, જેમની પાસે જઈને નબળા મનનો માનવી થોડીક સલામતી અનુભવે છે અને હંગામી ધોરણે તકલીફમાં રાહત મેળવે છે એટલે આવી તકલીફ મેલીવિદ્યાથી થઈ અને મંત્રશક્તિથી મટી ગઈ એવી માન્યતામાં રાચે છે; પરન્તુ આવી અન્ધમાન્યતા ભવિષ્યમાં વધારે ખતરનાક સાબિત થાય છે, તે સમજાવવા મુન્નાનું ઉદાહરણ જ પૂરતું છે. મુન્નો જે કયારે ય અન્ધશ્રદ્ધામાં રાચતો નથી અને જેનું શૈક્ષણિક સ્તર પણ ઘણું જ ઊંચું છે તે બબલુની બીમારી અને તેના નિવારણના સમયની તેની મંત્ર–વિદ્યાની થતી હિલચાલ જુએ છે. કયારેક બબલુ પણ પોતાનો અહમ્ અને એકાધિકાર સ્થાપિત કરવા મુન્નાને ડરાવે છે કે, મંત્રશક્તિથી મુન્નાનું અહિત કરશે. મુન્નાને પોતાનાં એક–બે અહિત થતાં દેખાય છે અને તેના મનમાં મેલીવિદ્યાવાળી વાત બેસી જાય છે એટલે તે પોતાની માનસિક સમતુલા ગુમાવી બેસે છે અને પોતે બબલુની મેલીવિદ્યાથી જ નાપાસ થયો છે એટલું જ નહીં પણ બબલુ આવી વિદ્યાથી તેને મારી નંખાવી પણ શકે છે એવી ભ્રમણામાં રાચતો થઈ જાય છે.

એટલે એક વાત સ્પષ્ટ છે કે જેમ દારુ કે ચરસ–ગાંજાનું વ્યસન કરી ટેમ્પરરી મૂડ ન લેવાય તેમ અન્ધશ્રદ્ધાને પોષીને તંત્ર–મંત્ર દ્વારા કોઈ રોગ મટાડવાની કે તકલીફનું નિવારણ કરવાની કોશિશ ન કરાય, નહીં તો એની દશા બબલુ અને મુન્ના જેવી થાય. અન્ધશ્રદ્ધા એ આપણો સાંસ્કૃતિક વારસો છે; પરન્તુ એ તદ્દન નુકસાનકારક છે અને આ વારસાના હકો લેવા જેવા નથી કે બીજાને આપવા જેવા પણ નથી, તેને તો દફનાવી દેવા જ પડે.

મુન્નાની બીમારીની ચર્ચા કરીએ તો દસમામાં બોર્ડમાં 85 ટકા માર્ક્સ લાવી અને પેટ્રોકેમીકલ સ્કૂલના પ્રથમ સેમેસ્ટરમાં ફર્સ્ટક્લાસ ફર્સ્ટ આવી ફરીથી એટલો ઉજ્વળ દેખાવ થઈ શકશે કે કેમ એના માનસિક દબાણ હેઠળ એને બીજા સેમેસ્ટરની પરીક્ષા આપવાની હતી એવા સંજોગોમાં બબલુની બીમારીએ તેને માનસિકરૂપથી વધારે તનાવભરેલી પરિસ્થિતિમાં મુક્યો અને તે સમતુલા ગુમાવી ભ્રમણાઓમાં રાચવા માંડ્યો. તેનો ભય પણ સમ્પૂર્ણપણે અવાસ્તવિક છે. હાલમાં મુન્નો આવેગાત્મક વર્તન કરવા માંડ્યો છે એટલે તે ગુસ્સામાં કોઈને મારી પણ શકે છે અને મરી પણ શકે છે એટલે તેની મનોચિકિત્સા અત્યંત જરૂરી છે. મુન્નાની બીમારી દવાઓ અને ત્યાર બાદ સાયકોથેરેપીથી સમ્પૂર્ણપણે મટાડી શકાય અને તે પરીક્ષા આપી ફરી સારા માર્સથી પાસ પણ થઈ શકે. આ સમય બેસી રહેવા માટે નથી; પરન્તુ ઝડપથી યોગ્ય નિર્ણય લેવા માટે અને વૈજ્ઞાનિક અભિગમ અપનાવવા માટેનો છે.

બબલુએ પણ એક વાત સમજી લેવાની જરૂર છે કે મંત્રશક્તિથી તેને સારું થઈ ગયું છે એવી ભ્રમણામાંથી બહાર આવવું જરૂરી છે. જે કંઈ સુધારો થયો તે બાપુ પ્રત્યેની તેની શ્રદ્ધા અને તનાવયુક્ત પરિસ્થિતિમાં બાપુએ આપેલા આશરા અને દિલાસાથી થયો છે. મંત્રશક્તિ કે દોરા–ધાગાથી નહીં અને હાલમાં પણ તે માનસિક રીતે હતાશ થઈ જાય છે તેથી બીજી વખત ડ્રૉપ ન લેવો પડે એ માટે સારવાર કરાવવી જરૂરી છે.

સુરેખાનાં માતા–પિતાને એક ખાસ સલાહ કે આ સમગ્ર પરિસ્થિતિથી અકળાઈ ન જઈ, ગુસ્સે ન થઈ જઈ અને શાંતિપૂર્વક સ્વસ્થતાથી તેના ઉકેલની દિશામાં આગળ વધે. તેમના બન્ને ય પુત્રોની માનસિક બીમારી સામાન્ય છે અને થોડા સમયમાં મટી શકે છે. સુરેખાને કુટુંબના પ્રશ્નમાં વૈજ્ઞાનિક અભિગમ અપનાવ્યા બદલ અભિનન્દન આપવાની સાથે સમગ્ર કુટુંબ આ વિપરિત સંજોગોમાંથી બહાર આવી ફરી પાછું પહેલાની જેમ જ આનન્દમય જીવન જીવે તેવી શુભેચ્છાઓ.

ઈ.મેલ : connect@drmrugeshvaishnav.com

ઈન્ડિયન સાઈકીઆટ્રીસ્ટ સોસાયટીના પૂર્વ પ્રમુખ (2019–20) અને સૅક્સોલૉજીસ્ટ ડૉ. મૃગેશ વૈષ્ણવનું પુસ્તક ‘વળગાડનું વીષચક્ર’ને ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ અને ‘હિન્દી સાહિત્ય એકેડેમી’ તરફથી ઍવોર્ડ એનાયત થયા છે. (પ્રકાશક : નવભારત પ્રકાશન મન્દિર, જૈન દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ – 380 001 સેલફોન : +91 98250 32340 ઈ.મેલ : info@navbharatonline.com પાનાં : 212, મૂલ્ય : રૂપિયા 150/–)માંથી, લેખક અને પ્રકાશકના સૌજન્યથી સાભાર.

અક્ષરાંકન : ગોવિન્દ મારુ ઈ–મેલ : govindmaru@gmail.com

https://govindmaru.com/2021/01/07/dr-mrugesh-vaishnav-9/

Loading

...102030...1,7691,7701,7711,772...1,7801,7901,800...

Search by

Opinion

  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347
  • AIને માથે ચડાવવા જેવું નથી …

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved