![]()

રમેશ ઓઝા
દેશના નિવૃત્ત મુખ્ય ન્યાયમૂર્તિ ધનંજય ચન્દ્રચૂડનું પુસ્તક પ્રકાશિત થયું છે જેનું શીર્ષક છે; ‘વ્હાઈ ધ કોન્સ્ટિટ્યૂશન મેટર્સ’. બંધારણ શા માટે ખપનું છે? એ પુસ્તકમાં તેમનાં ભાષણો છે. ભાષણોનું એક સુખ છે. દુનિયાનું બધું જ ડહાપણ તેમાં ઠાલવી શકાય છે. કેટલાક લોકોના મોંનો કોળિયો છીનવી લેનાર સબકા સાથ સબકા વિકાસની વાતો કરે. લોકો જોતા રહી જાય એવી આંજી દેનારી વાતો ભાષણોમાં કહી શકાય. ન્યાયમૂર્તિ ચન્દ્રચૂડે બંધારણનો મહિમા કરનારાં જેટલાં ભાષણો કર્યાં છે એ બધાં એમાં સમાવવામાં આવ્યાં છે.
આજકાલ પ્રકાશન ઉદ્યોગમાં માર્કેટિંગનો એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે. પ્રકાશકો મીડિયાને પ્રકાશન પહેલાં પ્રકાશિત થનારાં પુસ્તકની એડવાન્સ કોપી મોકલે અને વિનંતી કરે કે આ પુસ્તક પર લેખક સાથે ચર્ચા કરો તો સારું. હવે જો લેખક ન્યાયમૂર્તિ ચન્દ્રચૂડ હોય, પુસ્તક બંધારણનો મહિમા કરનારું હોય અને સામે ન્યાયમૂર્તિ અને પછી મુખ્ય ન્યાયમૂર્તિનો જજ તરીકેની કામગીરીનો ઇતિહાસ હોય તો કોણ ના પાડે! મીડિયા તરફથી ચર્ચા માટે આમંત્રણ આવવા લાગ્યાં. જો કોઈ બીજો સાવ બેશરમ માણસ હોત તો માત્ર ગોદી મીડિયામાં જ ગયો હોત અથવા આવું પુસ્તક જ ન કર્યું હોત, પણ ન્યાયમૂર્તિ ચન્દ્રચૂડ તો પ્રજાના બંધારણીય અધિકારો માટે સરોકાર ધરાવનારા અને બંધારણીય મiલ્યોને વરેલા ન્યાયમૂર્તિ છે એમ દેખાડવા માગે છે એટલે તેમણે પુસ્તક કર્યું અને એમાં સોંસરવા પ્રશ્નો પૂછનારા પત્રકારો પાસે જવું પડ્યું.
અને પછી જે હાલ થયા એ તમારામાંથી કેટલાક વાચકોએ જોયું હશે. પરસેવો છૂટી ગયો. એટલે તો વડા પ્રધાન નરેન્દ્ર મોદી ખુલ્લી પ્રેસ કોન્ફરન્સ કરતા નથી. આ યુગ મોનિટરીંગનો છે. જવાબદાર જગ્યાએ બિરાજમાન લોકો શું બોલે છે અને કરે છે એની રજેરજ વિગતોની ચકાસણી કરવામાં આવે છે અને તેનું દસ્તાવેજીકરણ કરવામાં આવે છે. નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા એ પછી પહેલા વરસે એક સંસ્થાએ તેમની કથની અને કરણીમાં જે અંતર હતું એની તારીખવાર વિગતો આપતો લગભગ ત્રણસો પાનાંનો અહેવાલ તૈયાર કર્યો હતો. બીજા વરસે તેમણે એવો અહેવાલ આપવાનું બંધ કર્યું, કારણ કે એક કરતાં વધુ ખંડ પ્રકાશિત કરવા પડે અને ઉત્તરોત્તર તેમાં વધારો થતો જાય. પણ દસ્તાવેજીકરણ અનેક લોકો જડબેસલાક કરે છે કે જેથી આવનારી પેઢીને ખબર પડે કે એક સમયે દેશમાં શું બન્યું હતું! વર્તમાનથી તો બચી શકાય, ઇતિહાસથી કેમ બચવું? બધું જ અંકે કરવામાં આવી રહ્યું છે.
ઇતિહાસથી બચવાના હવાતિયાં મારવા કેટલાક લોકો મોટીમોટી આદર્શની વાતો કરે છે. તેમને એમ લાગે છે કે આવી આદર્શની વાતો પણ ઇતિહાસમાં મારાં ખાતામાં જમા થશે અને ઉધાર સામે જમા બાજુ મોટી થઈ જશે. બીજું લોકોને આદર્શની વાતો સાંભળવી ગમે છે. મારી નાની બહેન ૧૯૮૦નાં દાયકામાં જાણીતા ચિંતક ગુણવંત શાહનાં મહાન કથનોને અંડરલાઈન કરતી અને આખું પુસ્તક અંદરલાઈનોથી ભરાઈ જતું. એ મુગ્ધતા અત્યારે મટી ગઈ છે અને તે આઘાત અવસ્થામાં છે. મોટી વાતો કરીશું તો મહાન થઈ જશું અથવા જે ભૂલાવવા માગીએ છીએ એ લોકો ભૂલી જશે એવી એક ભોળી સમજ કેટલાક લોકો ધરાવે છે. એક અર્થમાં ચાલાક લોકો પણ ભોળા જ હોય છે. ભોળપણ ચાલાકી કરવાનું બળ આપે છે.
ન્યાયમૂર્તિ ચન્દ્રચૂડ બંધારણનો મહિમા કરનારાં તેમનાં ભાષણોનું પુસ્તક પ્રકાશિત કરે એ પહેલાં ‘ધ કેરાવાન’ નામનાં અંગ્રેજી સામયિકમાં તેઓ જ્યારે નિવૃત્ત થયા એ પછીના ઓક્ટોબર ૨૦૨૪માં યુવા બંધારણવિદ સૌરવ દાસે ૮૦ પાનાંનો લેખ લખ્યો હતો અને ન્યાયમૂર્તિ તરીકેની તેમની શાબ્દિક ચાલાકીઓ ઊઘાડી પાડી હતી. ચાલાક લોકોની બીજી તરકીબ ગોળ ગોળ આડીઅવળી ભાષામાં જલેબી રચીને લોકોને ચકરાવામાં નાખવાની હોય છે. શબ્દજાળમાં લોકો આવી જશે અને સત્ય કોઈ પકડી નહીં શકે એવી તેમની ધારણા હોય છે. સૌરવ દાસના અંગ્રેજી લેખનું મથાળું જ ન્યાયમૂર્તિ ચન્દ્રચૂડની શબ્દજાળ હતું. (The Equivocations of D. Y. Chandrachud) એ લેખનો અનુવાદ હિન્દીમાં પણ થયો છે અને લોકતાંત્રિક ભારત જેમને વહાલું છે તેમના સુધી એ લેખ અને અથવા એનો સાર પહોંચ્યો છે. સૌરવ દાસે ન્યાયમૂર્તિ ચન્દ્રચૂડના જજમેન્ટોના છોડિયાં ઉતાર્યાં એ પછી ચન્દ્રચૂડ માટે પ્રમાણિક પત્રકારોનો સામનો કરવો વધારે મુશ્કેલ બની ગયો હતો.
ઘેરાઈ ગયેલા ચન્દ્રચૂડે શ્રીનિવાસ જૈનને આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે બાબરી મસ્જિદ કોઈ ઈમારતની જગ્યાએ બાંધવામાં આવી હતી એ તમને કેમ નથી સમજાતું? શ્રીનિવાસે ચાર સવાલ પૂછ્યા હતા. એક. શું એ ઈમારત મંદિર હતી? ચન્દ્રચૂડ કહે છે કે હિંદુ આર્કીટેક્ચર ધરાવનારી કોઈ ઈમારત હતી એમ પુરાતત્વ સર્વેક્ષણનો અહેવાલ કહે છે. પણ એ મંદિર હતું? કોઈ જવાબ નહીં. બીજો સવાલ. તમે તમારા ચુકાદામાં તો કહ્યું છે કે મંદિર તોડીને એ જગ્યાએ મસ્જિદ બાંધવામાં આવી એના કોઈ પૂરાવાઓ મળતા નથી અને એ સાબિત થતું નથી. તો પછી હિંદુ ઈમારતના હવાલાનો શું મતલબ? ત્રીજો સવાલ. તમે તો તમારા ચુકાદામાં કહ્યું છે કે બાબરી મસ્જિદ તોડવામાં આવી એ દેશને કલંકિત કરનારી ઘટના હતી અને શરમજનક ગુનો હતો. જો એ શરમજનક ગુનો હતો તો મસ્જિદની જમીન આપીને ગુનાને પુરસ્કૃત કરવાનું શું તાત્પર્ય? ગુનાને સ્વીકૃતિની મહોર અને ઉપરથી શિરપાવ! ચોથો સવાલ. ઇતિહાસના હિસાબકિતાબ કરવાનું અને ભૂતકાળમાં સંભવત: થયેલા ખોટા કામને વર્તમાનમાં દુરુસ્ત કરવાનું કામ પણ અદાલતના કાર્યક્ષેત્રમાં આવે છે? એ મુલાકાત જોશો તો ન્યાયમૂર્તિ ચન્દ્રચૂડની અકળામણ જોવા મળશે.
મારો એવો અનુભવ છે કે નાગા લોકો એટલી ભોંઠપ નથી અનુભવતા જેટલા નાગા થઈને વસ્ત્રધારી હોવાનો દેખાવ કરનારા ભોંઠપ અનુભવે છે. ભય અથવા લાલચમાં આવીને વિવેક અને અંતરાત્મા સાથે સમાધાનો પણ કરવા છે અને પ્રતિષ્ઠા પણ ગુમાવવી નથી એ બન્ને સાથે ન ચાલી શકે. બીજું એવા લોકોએ એ પણ ધ્યાન રાખવું જોઈએ કે નજર રાખનારા અને ભવિષ્ય માટે દસ્તાવેજીકરણ કરનારા લોકો વધારે બુદ્ધિમાન છે, વધારે પ્રતિબદ્ધ છે અને વધારે હિંમતવાળા છે. તેમને વિરોધાભાસ સમજાય છે અને શાબ્દિક રમત પણ સમજાય છે. દરેક પ્રકારની ચાલાકી તેઓ પકડી પાડે છે.
ન્યાયમૂર્તિ ચન્દ્રચૂડ સાથે એક બેલા ત્રિવેદી નામનાં ગુજરાતી જજ સર્વોચ્ચ અદાલતમાં હતાં. તેમને જેવા છે એવા દેખાવામાં કોઈ સંકોચ નહોતો. કોઈ શીર્ષાસન નહીં, કોઈ શાબ્દિક ચાલાકી નહીં, મૂલ્યોની કોઈ મોટી ફિસિયારી નહીં. ન્યાયમૂર્તિ ચન્દ્રચૂડ મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે એવા કેસ ન્યાયમૂર્તિ બેલા ત્રિવેદીને મોકલે જેમાં સરકારના ઇશારે જામીન નકારવાના હોય અને જેમાં જામીન આપવાના હોય એ પોતાની પાસે રાખે અથવા બીજાને આપે. બેલાબહેન દે ધનાધન જામીન નકારે. સૌરવ દાસે આની પણ સિલસિલાબંધ વિગતો આપી છે.
પ્રમાણિકતા વિના સાચી પ્રતિષ્ઠા ન મળે અને મેળવવાનો પ્રયાસ કરો તો કોઈ ફાંકા પાડીને ઉઘાડા પડી દે.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 05 ઑક્ટોબર 2025
![]()
RSS – રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તેની શતાબ્દી ઉજવી રહ્યું છે. પરંતુ તેની સ્થાપનાની પૃષ્ઠભૂમિ શું હતી? તેના વિચારોનો સ્રોત શું છે? આ જાણવું જરૂરી છે તો જ તેની 100 વરસની યાત્રા સમજી શકાય.
1924માં, ગાંધી કાઁગ્રેસના પ્રમુખ બન્યા.
1906માં મુસ્લિમ લીગની રચના થઈ હતી. અને હવે, કાઁગ્રેસ પણ બદલાઈ રહી હતી.
કાઁગ્રેસ અંગ્રેજો દ્વારા બનાવવામાં આવેલ સંસ્થા હતી, તેનું નેતૃત્વ ગોખલે, રાનડે અને તિલક જેવી વ્યક્તિઓના હાથમાં આવી ગયું હતું. કાઁગ્રેસ હવે નરમ રહી ન હતી; તે વધુ આક્રમક બની રહી હતી. તે અંગ્રેજો સામે બળવો કરવા લાગી હતી.
આ નેતાઓ ભારતીય રાષ્ટ્રવાદની વ્યાખ્યા ગૂંથી રહ્યા હતા. યુરોપ અને અન્ય ઘણી સંસ્કૃતિઓની જેમ, તે ધર્મ અને વંશીય ઓળખ પર આધારિત હતું.
પરંતુ ભારતમાં, ઓળખની આ રેખા હિન્દુ-મુસ્લિમ રેખા છે. મુસ્લિમ લીગ મુસ્લિમ ચળવળ બની જતાં, કાઁગ્રેસ હિન્દુ ચળવળ તરફ આગળ વધી. બાલ, પાલ અને લાલ હિન્દુ પ્રતીકો પર હિન્દુઓને સંગઠિત કરી રહ્યા હતા.
મહારાષ્ટ્રમાં બાલ(તિળક)ના ગણેશ પંડાલો, બંગાળમાં પાલ(બિપિન ચંદ્ર)ના દુર્ગા પંડાલો અને પંજાબમાં લાલ(લજપત રાય)ની પ્રાદેશિક હિન્દુ સભાઓ …

1910માં કાઁગ્રેસના અધિવેશનમાં મદન મોહન માલવીયએ આ પ્રાદેશિક હિન્દુ સભાઓની જેમ રાષ્ટ્રવ્યાપી ‘હિન્દુ મહાસભા’ બનાવવાની દરખાસ્ત કરી. આ દરખાસ્ત નિષ્ફળ ગઈ.
ગાંધી 1915માં ભારત આવ્યા. અને તેમણે જે કર્યું તેનાથી આ હિન્દુત્વ ચળવળ સંપૂર્ણપણે બદલી નાખી.
તેમણે રાષ્ટ્રીય ચળવળને, કામદારો (અમદાવાદ મિલ ચળવળ), ખેડૂતો (ચંપારણ), લઘુમતીઓ (ખિલાફત ચળવળ) અને બ્રિટિશ વિરોધી ચળવળ(અસહકાર ચળવળ)ના સંદર્ભમાં વ્યાખ્યાયિત કરી.
તેઓ આ બધું સહન કરી લેત. પરંતુ મુસ્લિમોને સ્થાન આપવું તે ખરાબ બાબત હતી. વધુમાં, સંગઠન દેશસ્થ અને ચિતપાવનીઓ(ગોખલે, રાનડે, તિલક)ના હાથમાંથી સરકી ગયું હતું.
તેથી, આ અસંતુષ્ટ વ્યક્તિઓ કાઁગ્રેસ છોડવાનું વિચારવા લાગ્યા. કાંગ્રેસના રાજ્ય સચિવ અને પશુ ચિકિત્સક હેડગેવારે પોતાના વર્તુળમાં ચર્ચા શરૂ કરી.
આ સમય સુધીમાં, સાવરકર જેલમાંથી મુક્ત થઈ ગયા હતા. તિલકના શિષ્ય મુંજે બંને વચ્ચે સેતુ બન્યા. એક નવા સંગઠનની રૂપરેખા બનવા લાગી. પરંતુ બધું ધીમી ગતિમાં હતું.
1924માં, ગાંધી પ્રમુખ બન્યા. હવે, કાઁગ્રેસ તેમની નીતિઓનું સંપૂર્ણ પાલન કરી રહી હતી. અને હિન્દુ-મુસ્લિમ એકતા, બંધારણ અને પ્રતિનિધિત્વ વિશે મજબૂત રીતે વાતો કરી રહી હતી.
1924માં RSSની રચના થઈ ન હતી. માત્ર એક બેઠક હતી. બે વર્ષની નિષ્ક્રિયતા પછી, તેઓ ફરી મળ્યા. નામ આપવામાં આવ્યું. ઘણાં નામો સામે આવ્યાં – જરી પતાકા મંડળ, હિન્દુ સેવક સંઘ, ભારત ઉદ્ધારક મંડળ, વગેરે. 1926માં, તેનું નામ બદલીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ રાખવામાં આવ્યું.
સંગઠનનું નામ તો નક્કી થઈ ગયું. હવે તેની વિચારધારા વિકસાવવાની હતી. તો, પ્રેરણા ક્યાંથી મેળવવી? તેથી, વિકસિત દેશો તરફ નજર કરવામાં આવી. યુરોપ તરફ.
RSSની વિચારધારા મુખ્યત્વે 1924 અને 1940ની વચ્ચે લખાયેલાં પુસ્તકોમાં સમાયેલી છે. આ સમયગાળા દરમિયાન, ફાસીવાદ ઉભરતી વિશ્વ શક્તિ હતી, અને ઇટાલી તેની મક્કા, મુસોલિની તેનો મસીહા.
ઘણા દેશો તેની સફળતાથી આશ્ચર્યચકિત થયા હતા. ઘણા દેશોમાં ફાસીવાદી ચળવળો ઉભરી રહી હતી. ભારતમાં, સુભાષ, સાવરકર અને ગોલવલકર પણ ખૂબ પ્રભાવિત થયા હતા.
તેથી, જે કોઈ વૈચારિક પુસ્તકોની રચના કરવામાં આવી તેનું મૂળભૂત માળખું આ રીતે રચાયું હતું : ઇટાલિયન ફાસીવાદની નકલ કરી. ઇટાલી જગ્યાએ ભારત મૂક્યું. યહૂદીઓની જગ્યાએ મુસ્લિમો રાખ્યા ! ભારતીય ફાસીવાદી વિચારધારા મેગી નૂડલ્સ કરતાં વધુ ઝડપથી બનાવવામાં આવી હતી. કૃષ્ણ, ગીતા, ચાણક્ય, નીચતા, કપટ, અપ્રમાણિકતા, દ્વેષ અને સંસ્કૃત શ્લોકો વગેરે તેમાં સ્વાદ મુજબ છાંટવામાં આવ્યા હતા અને હિન્દુત્વ તરીકે રજૂ કરવામાં આવ્યા !
તે સમયે, યુરોપમાં, મધર લિબર્ટી, મધર જર્મનિકા, મધર ઇટાલી, મધર બ્રિટાનિકા, વગેરે રાષ્ટ્રીય પ્રતીકો તરીકે લોકપ્રિય હતા. તે બધી સિંહ પર સવારી કરતી હતી, તીક્ષ્ણ હથિયારો લહેરાવતી હતી અને અન્ય રાષ્ટ્રોને ડરાવી રહી હતી.
અહીં ભારતમાં, Abanindranath Tagore – અવનીન્દ્રનાથ ટાગોરે ભારત માતાનું નિર્માણ કર્યું. તે ગરીબ, નિરાધાર દેખાતી હતી, એક જ સૂતરાઉ ડ્રેસ પહેરેલી હતી, તેના ચાર હાથમાં પુસ્તક હતું, ડાંગરનો પૂળો હતો, સફેદ કપડું હતું અને ધાર્મિક માળા હતી. આ માતા બિલકુલ ડરામણી લાગતી ન હતી. તેથી તેને નકારી કાઢવામાં આવી.
ભયાનક બ્રિટાનિયા માતાને સાડી પહેરાવવામાં આવી, તલવારની જગ્યાએ ત્રિશૂળ ગોઠવી દીધું. તેમને સિંહ પર બેસાડવામાં આવી. પાછળ ભારતનો નકશો ચોંટાડવામાં આવ્યો ! ભારત માતા પણ તૈયાર હતી.
હવે, સંગઠન માટે ગણવેશની જરૂર હતી. ફાસીવાદીઓનો બ્રાઉન શર્ટ સફેદ રંગમાં બદલી નાખવામાં આવ્યો હતો (કારણ કે તે અહીં પોલીસ ગણવેશ હતો).
હાફ પેન્ટ, કાળી ટોપી અને પટ્ટો એ જ રહ્યો. ફાસીવાદીઓ પહેલા બંદૂકો રાખતા હતા. અહીં લાકડીઓથી કામ ચલાવ્યું. મૂંજેજી આ બધું જાણવા ઇટાલી ગયા હતા. તેણે મુસોલિનીને સલામ કરી અને તેમને ઇટાલીના શિવાજી કહીને પાછા ફર્યા.
મિત્રો, આ રીતે RSSની સ્થાપના થઈ. આ સિક્કાઓમાં સમાન મુસોલિની શૈલીનો પોશાક, મુસોલિની ટોપી પહેરેલા ત્રણ અંધભક્તો માતા બ્રિટનને મજબૂત ફાસીવાદી સલામ આપતા દર્શાવવામાં આવ્યા છે.
માતાના હાથમાં ત્રિરંગો પણ નથી.
આ બતાવે છે કે તેમનું સોફ્ટવેર 1940 પછી અપડેટ કરવામાં આવ્યું નથી. 1945માં બદનામ થયેલ આ વિચારને વૈશ્વિક કચરાપેટીમાં ફેંકી દેવામાં આવ્યો છે. તે સડી ગયો છે, દુર્ગંધયુક્ત અને ઘૃણાસ્પદ બની ગયો છે.
વૈચારિક રીતે જડ, અને સાવરકર – ગોલવલકરના પાનાઓમાં ફસાયેલા લોકો, એ વિચાર, એ પ્રતીકો અને પોતાના અજ્ઞાનની ઉજવણી કરી રહ્યા છે.
તેઓ તેને સિક્કાઓ પર છાપી રહ્યા છે.
હે રામ !
સૌજન્ય : મનીષ સિંહ, ‘X’
2 ઓક્ટોબર 2025.
કાર્ટૂન સૌજન્ય : મન્સૂર નકવી
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()

