Opinion Magazine
Number of visits: 10081055
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગઝલ

પરેશ દવે 'નિર્મન'|Poetry|25 November 2025

શ્વાસ વિફરીને થયાં છે આડા,
કેમ નીકળશે કઠણ દહાડા?

આબરૂ છે તો હજી ય સાચવ,
મેં કર્યાં છે વ્રણને ઉઘાડા.

શ્વાસ તડતડ થઈ ગયાં તપીને,
જ્યાં ક્ષણોના ધૂંધવ્યા નિંભાડા.

કોઈ  ક્યાં પકડી શક્યું ક્ષણોને,
હાથમાં આવે નહીં ધુમાડા.

ક્યાં ભરોસો થાય છે સમયનો,
આ સમય ઉર્ફે અકળ કુહાડા.

તા.25.11.25
વૃન્દાવન બંગલોઝ, 15-શિવ બંગલો, બળિયાદેવ મંદિર નજીક, ગાના-કરમસદ રોડ, મુ. કરમસદ, તા.જિ. આણંદ.
ઈ-મેલ: 1959pareshdave@gmail.com

Loading

સ્ફુલ્લિન્ગ (4) સાંસ્કૃતિક – સાહિત્યિક સ્મૃતિલોપ  

સુમન શાહ|Opinion - Literature, Opinion - Opinion|25 November 2025

સુમન શાહ

સ્મૃતિ ન હોય તો શું થાય? તમને યાદ જ ન આવે કે ગઇ કાલે રાત્રે શું જમેલા, કે મને યાદ જ ન આવે કે મારું નામ શું છે. લગભગ ગભરાઇ જવાય. 

આજકાલ આપણે ત્યાં બે અંગ્રેજી શબ્દ ખાસ જાણકારી વિના અને એના ગુજરાતી પર્યાય વિના બહુ સાંભળવા મળે છે : dementia અને alzheimer. સમજ્યા વિના પર્યાય શોધવા નીકળવું એ ભદ્રંભદ્ર જેવા પણ્ડિતનું કામ છે. આ બન્ને વચ્ચે ભેદ છે, પણ એમ પણ ખરું કે સરવાળે ભેદ નથી. 

dementia એક umbrela term છે. એ શબ્દગુચ્છની છત્રી હેઠળ સ્મૃતિભંશ, ચિત્તભ્રમ, ભૂલી જવાનો રોગ, વગેરેનો સર્વગ્રાહી નિર્દેશ છે.

alzheimer વિશિષ્ટ છે. મગજની અવ્યવસ્થિત દશા સૂચવે છે. એમાં ધીમે ધીમે સ્મૃતિનો ક્ષય થવા માંડે છે, વિચારવાની આવડત ઓછી થવા માંડે છે, ઉપરાન્ત, સાદામાં સાદાં કામો કરવાની ક્ષમતા પણ ઘટી જાય છે.

સામ્પ્રત ગુજરાતમાં અને ગુજરાતી સાહિત્યમાં dementia અને alzheimer બન્નેનાં રોગચિહ્નો જોવા મળે છે. 

ભારતીય જ્ઞાનવારસાની યાદ નથી રહી એવી જણસો ઘણી છે : ગણિત જ્યોતિષ સ્થાપત્ય કે રાજનીતિવિષયક શાસ્ત્રો, અસ્તિત્વ ચેતના અને તર્કના વિષયમાં વેદાન્ત ન્યાય અને સાંખ્ય, વેદકાલીન ઋષિમુનિઓથી માંડીને ઉપનિષદો લગી પાંગરેલું ભારતીય દર્શન, અધ્યાત્મવિદ્યા, ભાષાના વૈજ્ઞાનિક સ્વરૂપનું પાણિનિનું વ્યાકરણ કે સાહિત્યકાર અને સાહિત્યસમાજને જેની સાથે ઘણી લૅણદેણ હોવી ઘટે એ સ્વયંસમ્પૂર્ણ સંસ્કૃત કાવ્યશાસ્ત્ર — આ વારસો ભારતીય જ્ઞાન-પદ્ધતિઓ છે – indian knowledge systems; પણ આજે આપણે એથી વિચ્છિન્ન છીએ. 

હેમચન્દ્રાચાર્યથી માંડીને દયારામ, અને દલપત-નર્મદથી માંડીને ૨૦મી અને ૨૧મી સદીના વર્તમાન દાયકાઓની સ્મૃતિનો ખાસ્સો લોપ થયો છે. પૂછી શકાય કે – નર્મદના ઉત્તરજીવનમાં કેવાંક પરિવર્તન હતાં. બળવન્તરાય અગેય પ્રવાહી પદ્યરચનાથી શું કહેવા માગતા હતા. ગોવર્ધનરામે કેવા સ્વરૂપે પૂર્વીય અને પાશ્ચાત્ય સંસ્કૃતિઓનો સમન્વય કલ્પ્યો હતો. ગાંધીજીના વિચારો અનુસારનું ચિન્તન કોણે કર્યું હતું. કિશોરલાલ મશરૂવાળાએ સમૂળી ક્રાન્તિનું કેવુંક સ્વરૂપ કલ્પ્યું હતું. આધુનિક યુગના કયા કવિઓએ અને વાર્તાકારોએ પ્રયોગશીલતાનો આશ્રય કરીને કાવ્ય અને વાર્તાસર્જનની દિશા બદલી હતી, ઘટનાતત્ત્વનો હ્રાસ શબ્દગુચ્છથી સુરેશ જોષી ખરેખર શું સૂચવતા હતા. પૂછી શકાય કે – અધ્યાપકોને ગુજરાતી સાહિત્યના ઇતિહાસની પૂરેપૂરી જાણકારી છે ખરી? એટલે કે નૉંધનીય કૃતિઓ અને કર્તાઓ તેમ જ જે તે યુગની વિશેષતાઓની ચૉક્કસ છાપ ચિત્તમાં છે ખરી? વગેરે વગેરે.  

તાજેતરમાં જ બનેલી મહત્તાપૂર્ણ ઘટનાઓની મહત્તાનું સ્મરણ નથી રહ્યું. પ્રસિદ્ધિની ઉતાવળમાં એકધ્યાન નથી થવાતું, અમૂર્ત વિચારો જોડે પાનું પાડી શકાતું નથી. આ લેખક અઘરો છે એમ લેબલ મારીને ભાગી જઈ શકાય છે. સામાજિક અને સાહિત્યિક પરિવેશમાં જે કંઈ નિર્ણયો લેવાય છે એ ઘણા પછાત અને માયકાંગલા હોય છે. આયોજનોમાં પૂર્ણતાનો અભાવ હોય છે. દીપપ્રાગટ્ય જેવી પરમ્પરા એના સ્વ રૂપમાં નથી સચવાતી, ભલે, પણ એના સ્થાને કશું નવું પણ નથી સૂઝતું. પોતે લેખક કે સાહિત્યનો માણસ હોય તેમછતાં યોગ્ય શબ્દ બોલી કે લખી શકતો ન હોય એવા જનોની સંખ્યા મોટી થવા માંડી છે. રુચિનો વિકાસ થવાને બદલે એ-નું-એ જ ગમ્યા કરે છે, રૅક્ગનિશન માટેની ચિન્તા અહીંથી તહીં દોડાવતી હોય છે.

ઉપરના ફકરામાં વર્ણવેલાં બધાં વર્તનોમાં સાંસ્કૃતિક અને સાહિત્યિક dementia અને alzheimerનાં લક્ષણો છે એમ કહી શકાય પણ ગ્રહણ કરનારા છે ખરા? 

= = = 

(241125A’bad)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ધરમથી ધર્મેન્દ્ર : લુધિયાણાના યુવાનની મુંબઈમાં ‘હી-મેન’ બનવાની દિલચસ્પ સફર

રાજ ગોસ્વામી|Opinion - Opinion|24 November 2025

રાજ ગોસ્વામી

ધરમ સિંહ કેવલ કિશન દેઓલે આઠમા ધોરણમાં, લુધિયાણાના મિનરવા થિયેટરમાં, દિલીપ કુમારની ‘શહીદ’ ફિલ્મ જો ન જોઈ હોત, અને એ ફિલ્મનો રાષ્ટ્રવાદી કિરદાર ‘રામ’ તેના દિલમાં ઉતરી ગયો ન હોત, તો તેણે ત્યાં ખેતરમાં ટ્રેક્ટર ચલાવીને જિંદગી પૂરી કરી નાખી હોત. પણ એવું ન થયું. દિલીપ કુમાર અને તેમના ‘રામ’નો એવો જબ્બર પ્રભાવ પડ્યો હતો કે ફિલ્મ પૂરી થતાં સુધીમાં તો મનમાં એક વિચાર વીજળીની જેમ ચમકી ગયો હતો – મુંબઈ જઈને દિલીપ કુમાર જેવા એક્ટર બનવું છે. તે એક્ટર બન્યો એટલું જ નહીં, યુસૂફ સા’બનો લાડકો નાનો ભાઈ પણ બની ગયો.

શાયર-ગીતકાર મજરૂહ સુલતાનપુરીએ એક વાર કહ્યું હતું – ધર્મેન્દ્ર વગર ભારતીય સિનેમાનો સંસાર અધૂરો હોત. ધર્મેન્દ્ર હિન્દી સિનેમાના આકાશમાં ધ્રુવના તારા જેવા હતા. નાના ગામડાઓમાંથી મોટા શહેરમાં જઈને મીર મારવાની ધુઆઁધાર કહાનીઓ જેટલી હિન્દી સિનેમામાંથી આવી છે, એટલી બીજા કોઈ વ્યવસાયમાંથી નથી આવી. ધર્મેન્દ્ર આવી જ એક ‘જવાંમર્દ’ વારતા છે, જે ફિલ્મ પત્રકાર રાજીવ વિજયકરના તાજા જીવનચારિત્ર્ય ‘ધર્મેન્દ્ર : નોટ જસ્ટ હી-મેન’માં વિસ્તારથી માંડવામાં આવી છે.  

નસરાલી ગામમાં ૮ ડિસેમ્બર, ૧૯૩૫માં એનો જન્મ. નજીકમાં ૧૭ હજારની વસ્તીવાળા સાહનેવાલ ગામમાં પિતા કેવલ કિશન સિંહ સ્કૂલના ટીચર. માતા સતવંત કૌર ગૃહિણી. ધરમ લાલ્ટન કાલન ગામની સેકન્ડરી સરકારી સ્કૂલમાં પ્રાથમિક અને ફગવારાની રામગઢિયા કોલેજમાં ઇન્ટરમીડીએટ ભણેલો. હિન્દુસ્તાનનાં લાખો ગામડિયા છોકરાઓને જેમ ફિલ્મ સ્ટાર બનવાની ખ્વાહીશ હોય છે, એમ ધરમને પણ ‘શહીદ’ ફિલ્મ જોયા પછી ફિલ્મો અને ફિલ્મી સામયિકોનો ચસ્કો લાગી ગયો હતો અને દિલીપ કુમાર, રાજ કપૂર, નરગીસ, મધુબાલા અને વૈજયન્તીમાલાના મુંબઈમાં જવું હતું. 

તે સમયના અનેક છોકરાના પિતાઓની જેમ ધરમના પિતાને પણ આ સિનેમાના કામનો ભરોસો ન હતો. માતાને ધરમની વાતમાં સહાનુભૂતિ. દરેક છોકરાની મા પણ આવી જ હોય છે – એનો લાડ સિનેમાના પડદે આવે એવી ઇચ્છા એ પણ દિલમાં દબાવીને બેઠી હોય. 

એ દરેક છોકરાનું નજીકમાં એક શહેર પણ હોય, જ્યાં દોસ્તો સાથે એ સિનેમા જોવા જાય. ધરમનું લુધિયાણા હતું, જ્યાં એ સિનેમા હોલમાં જઈને ખુદને પડદા પર કલ્પના કરતો. આ છોકરામાંથી ઘણા પરણી પણ ગયા હોય. ધરમને પણ ૧૯માં વર્ષે પ્રકાશ કૌર સાથે પરણાવી દેવામાં આવ્યો હતો. પિતાએ એટલા માટે જ નાની ઉંમરે ધરમને પરણાવી દીધો હતો કારણ કે તેમને તેની ફિલ્મ સ્ટાર બનવાની ઇચ્છાની અને ફિલ્મી દુનિયાની અનિશ્ચિતતાઓની ખબર હતી. ૩૫ વર્ષ પછી ધરમે હેમા માલિની સાથે બીજા લગ્ન કર્યા, ત્યારે એ હિન્દી સિનેમાનો હી-મેન સ્ટાર ધર્મેન્દ્ર હતો. 

ગામડામાંની ઉબડખાબડ જમીનમાંથી મુંબઈ આવતા લાખો છોકરાઓમાંથી, બધાના ઘોડા માયાનગરીની આસ્ફાલ્ટની સડકો પર સડસડાટ દોડતા નથી. ઘણાના ગડથોલિયાં ખાઈ જાય છે. ધર્મેન્દ્ર એમાંથી બચી ગયો, અને એટલે જ એ ‘જવાંમર્દ’ સ્ટારડમ સુધી પહોંચ્યો. એનો પહેલો જ અકસ્માત મીના કુમારી. 

રાજીવ વિજયકરના પુસ્તકમાં ધર્મેન્દ્રના જીવનનો આ હિસ્સો રસપ્રદ છે, જે આમ પણ બહુ જ વગોવાયેલો છે. ‘વગોવાયેલો’ એ અર્થમાં કે, ટ્રેજેડી-ક્વીન પ્રત્યેની સહાનુભૂતિ કહો કે પછી ‘પુરુષો તો આવા જ હોય’વાળી માનસિકતા કહો, એવી એક લોકપ્રિય માન્યતા છે કે ધર્મેન્દ્રએ, વ્યવસાયિક અને અંગત રીતે, મીનાનો ઉપયોગ કર્યો હતો. આ પુસ્તક એનો છેદ ઉડાડે છે. 

‘પૂર્ણિમા’ (૧૯૬૫) મીના સાથેની ધર્મેન્દ્રની પહેલી ફિલ્મ. એ નર્વસ હતો કારણ એ નવો હતો. મીના એકદમ ટોચની સ્ટાર. એણે કોઈ દોસ્તને પૂછ્યું પણ હતું કે, “મીના કેવી છે?” પેલાએ એને વધારે ગભરાવ્યો,”એ તો નજર ફેરવીને, હોઠોને કે સંવાદને ટ્વીસ્ટ કરીને તને મ્હાત કરી દેશે.” સલાહ પણ આપી કે મીના સામે આવે તો ચરણસ્પર્શ કરજે. 

ચાંદીવલી સ્ટુડીઓમાં ધરમ પૂરા સન્માન, નમ્રતા અને શિષ્યભાવથી મીનાને મળેલો. પગે લાગ્યો કે નહીં, એ ખબર નથી પણ મીનાએ એવું જરૂર કહેલું કે, “એ લડકા આગે જાયેગા. એ રૂટીન એન્ટ્રી નહીં હૈ.” મીનાને એ વખતે સ્થિર અને સમર્પિત વ્યક્તિની જરૂર હતી. યુવાન ધર્મેન્દ્ર ખરા વખતે જ મળ્યો હતો.

અંગત જીવનમાં સંબંધો અને શરાબની અનેક તકલીફોમાંથી પસાર થઇ રહેલી મીના, શોહરત અને સફળતાની ટોચ પરથી નીચે ગબડી રહી હતી અને ધર્મેન્દ્ર ઉપર ચઢી રહ્યો હતો. વચ્ચે બંનેનો ભેટો થઇ ગયો. મીના ફૂલની જેમ નાજૂક અને કરમાયેલી હતી. ધર્મેદ્ર જીવનની કરુણતાઓથી અછૂતો હતો. મીના કુમારીને જે પ્રેમની તલાશ હતી તે જીવનમાં મળ્યો નહોતો, પરંતુ ધર્મેન્દ્રના રૂપમાં તેને એક એવો સહારો મળ્યો હતો, જેના ટેકે તેને સારું લાગતું હતું. 

૧૯૬૬માં ‘ફૂલ ઔર પથ્થર’માં બંનેની કહાની ભેગી થઇ ગઈ હતી. ફિલ્મમાં વિધવા અને બીમાર દેવી તરછોડાયેલી હતી. તેને સહારાની જરૂર હતી અને તારણહારના રૂપમાં તેને એક ચોર શાકા ભટકાઈ ગયો હતો. આ એ ફિલ્મ હતી, જ્યાંથી ધર્મેન્દ્રની ‘હી-મેન’ ઈમેજ બની. 

ધર્મેન્દ્રએ આગળ વધવા મીનાનો સહારો લીધો એવી ગોસિપ એટલા માટે ખોટી છે કે કારણ કે ‘પૂર્ણિમા’ પછી પાછળ પાછળ જ ‘ મૈં લડકી હું,’ ‘કાજલ’ અને ‘ફૂલ ઔર પથ્થર’ ફિલ્મો આવી હતી. બધી જ ફિલ્મોએ ધૂમ મચાવી હતી. એમાં ધર્મેન્દ્ર ટોપ બ્રેકેટમાં આવી ગયો હતો. એ પછી આવેલી બીજી ત્રણ ફિલ્મો ચંદન કા પાલના,’ ‘મજલી દીદી’ અને ‘બહારોં કી મંજિલ’ પીટાઈ ગઈ. 

‘ફૂલ ઔર પથ્થર’ ધરમના કામ અને જવાંમર્દ દેખાવના કારણે હીટ ગયેલી. ‘મૈં લડકી હું’ વાળા મોટા ગજાના એ.વી.એમ. પ્રોડક્શન કે ‘ફૂલઔર પથ્થર’ વાળા ઓ.પી. રાલ્હન કે ‘મજલી દીદી’ વાળા ઋષિકેશ મુખરજી મીના કુમારીના કહેવાથી ધરમને કામ આપે એવા ન હતા. ધર્મેન્દ્રને બહુ ઝડપથી ઉડવાનું મળ્યું હતું, અને તેણે કૌવત પણ એવું જ બતાવ્યું હતું.

કેવો યોગાનુયોગ કહેવાય કે ધરમ લુધિયાણામાં ભણતો હતો અને રેલવે સ્ટોલ પરથી ફિલ્મફેર સામયિક ખરીદતો હતો, ત્યારે ૨૫ ઓક્ટોબર, ૧૯૫૭ના અંકમાં કવર પેજ પર સૌન્દર્યમૂર્તિ મીના કુમારીનો ફોટો હતો અને અંદર એક્ટરો માટે ‘ઓલ ઇન્ડિયા ટેલેન્ટ કોન્ટેસ્ટ’ની જાહેર ખબર હતી! કોન્ટેસ્ટમાં ફિલ્મકાર બિમલ રોય અને ગુરુ દત્ત જજ હતા. 

ધરમની માતાની છુપી પ્રાર્થના ભગવાને સાંભળી હોય તેમ માતાએ તેને સરળ રીતે કહ્યું – તું દેખાવડો છે, ફોર્મ ભરીને મોકલ, તને બોલાવશે! માલેર કોટલામાં રહેતા તેના એક ફોટોગ્રાફર મિત્ર જાન મહોમ્મદે ધરમના સરસ ફોટા પાડી આપ્યા હતા. ફોટા સાથે તેણે ફોર્મ ભરીને ફિલ્મફેરમાં મોકલી આપ્યું. બે મહિના પછી કાગળ આવ્યો – મુંબઈ આવો. 

પિતા અને એક મિત્રએ ભારે હૃદય સાથે લુધિયાણા રેલવે સ્ટેશન પર ધરમને ફ્રન્ટીઅર મેઈલમાં વિદાઈ આપી હતી. મુંબઈમાં ફિલ્મફેરની એ કોન્ટેસ્ટમાં ભારતમાંથી અનેક યુવાઓ આવ્યા હતા. તેમાંથી અંતિમ રાઉન્ડમાં પાંચની પસંદગી થઇ : સુરેશ પૂરી, નિમ્મા જયસિંઘાની, આશા રાની, ઈવા અને ધરમ દેઓલ. 

મુંબઈના તારદેવમાં સેન્ટ્રલ સ્ટુડીઓમાં પાંચેનું ઓડિશન થયું. ગુરુ દત્તના મિત્ર અને લેખક અબ્રાર અલ્વીએ એ ટેસ્ટ લીધો. બિમલ રોય ત્યારે ‘બંદિની’ ફિલ્મ બનાવી રહ્યા હતા. તેમણે ધરમને કહ્યું કે હું તને બોલાવીશ, અત્યારે પાછો ઘરે જા. મુંબઈમાં સાત દિવસ અને એક મૌખિક ખાતરી પછી ધરમ ગામ પાછો આવ્યો.

એ પછી, ફિલ્માલય સ્ટુડીઓના માલિક શસધર મુખર્જી માટે એક સ્ક્રીન ટેસ્ટ માટે ધરમ પાછો મુંબઈ ગયો. એ ફિલ્મ તો ન મળી અને બીજા બે વર્ષ સુધી તે સ્ટુડીઓ અને નિર્માતાઓનાં ચક્કર કાપતો રહ્યો. એ વખતે, ભારતની પહેલી સિંધી ફિલ્મ બનાવનારા અર્જુન હિંગોરાની એક હિન્દી ફિલ્મનું આયોજન કરી રહ્યા હતા. તે એકવાર બસમાં ધરમને ભેગા થઇ ગયા. ધરમ કામ માટે વધુ એક ચક્કર મારવા જતો હતો. હિંગોરાનીએ ત્યારે ધરમને કહ્યું હતું કે તેમના નિર્માતા, ટી.એમ. બિહારી, માનશે તો તે ચોક્કસ તેમની ફિલ્મમાં લેશે. 

બિહારીએ ‘ફિલ્મફેર’ના એડિટર એલ.પી. રાવને ફોન કર્યો અને આ નવા છોકરા વિશે પૂછ્યું. રાવે પણ ધરમની જોરથી ભલામણ કરી. તે વખતે ધરમ તેના ગામની છોકરી અને તેની ધરમની બહેન સાથે માટુંગા રેલવે ક્વાટર્સમાં રહેતો હતો અને પાછો ગામ જતો રહેવાની તૈયારીમાં હતો. મનોજ કુમાર પણ ત્યારે સંઘર્ષરત હતા અને ધરમના દોસ્ત હતા. તેમણે માટુંગાના ઘરે જઈને ધરમને ફિલ્મકાર રમેશ સાઈગલ માટે કામ કરતા રાજ ગ્રોવરને મળવા મનાવ્યો. ગ્રોવરે ધરમને સાઈગલને મળાવ્યો. સાઈગલ એ વખતે ‘ફિર સુબહ હોગી’ ફિલ્મ માટે હીરોની તલાશમાં હતા. 

એ પછી પાંચ સાધારણ ફિલ્મો આવીને ગઈ, પણ અસલી જાદુ આવ્યો 1963માં ‘બંદિની’ ફિલ્મમાં. ફિલ્મ આમ તો હિરોઈન (નૂતન) કેન્દ્રિત હતી, પણ તે વર્ષની એ સૌથી હિટ સાબિત થઇ. એ ધરમની ધર્મેન્દ્ર બનવાની શરૂઆત હતી.

(પ્રગટ : ‘સુપરહિટ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”; 19 નવેમ્બર 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...174175176177...180190200...

Search by

Opinion

  • એક યુવક જન્તર મન્તર છોડતી વખતે પોલીસને કહેતો જાય કે, “ફિર આયેંગે ઔર તબ બંદૂક લેકર આના.”
  •  પ્રાથમિક શિક્ષણથી યુનિવર્સિટી શિક્ષણ સુધી ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર …
  • ૨૧મી સદીમાં ઘર પુન: બાંધવું
  • Gen Zનો રોષ: કઠેડામાં આજની કે અગાઉની પેઢી નહીં, વ્યવસ્થા છે
  • ચલ મન મુંબઈ નગરી—353

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નિષ્ક્રમણ
  • ગઝલ
  • માર્યા જશે
  • ચાર સાંપ્રત હિન્દી કાવ્યો
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved