પક્ષોના એકત્રીકરણ અગર ગઠબંધનના સંદર્ભમાં વિચારાતા અભિગમવ્યૂહમાં કૉંગ્રેસ – ભાજપ એકત્રીકરણનો ખયાલ બેમતલબ છે એમ કહ્યા પછી સ્વાભાવિક જ વૈકલ્પિક અભિગમવ્યૂહની ચર્ચાને અવકાશ રહે છે. કૉંગ્રેસ અને ભાજપ સિવાયનાં વિચારવલણોને પોતાની ભોંય અને પોતાનું આકાશ મળવાં જોઈએ એ અર્થમાં વિકલ્પ – ચર્ચા જરૂરી હતી, છે અને રહેશે.
પણ આ ક્ષણે, આરંભે, ચર્ચવા જોગ મુદ્દો કોઈ હોય તો તે ચોથા મોરચાનો છે. આ ચોથો મોરચો કૉંગ્રેસ વડપણ હેઠળના યુપીએના ઘટકો અને મિત્રો – લાલુ, મુલાયમ, પાસવાન – નો છે. દેખીતી રીતે જ, અસલનું જે 'માય' સંકલન ('એમ' કહેતાં મુસ્લિમ અને 'વાય' કહેતા યાદવ, માટે 'માય') છે તેના અને દલિત સમુદાયના એકત્ર આવવાની વાત આ છે. આ એકત્રીકરણ, જરૂરત મુજબ યુપીએમાં રહેતે છતે, કૉંગ્રેસને કંઈક દબાવી પણ શકે.
આવા એકત્રીકરણે બિહારમાં સૌ ગરીબોના જમાવડા તરીકે ઠીક રાજકીય કામ આપેલું તે આપણે લાલુના વારામાં જોયું છે. આવું જ એકત્રીકરણ, હકીકતે ઉત્તર પ્રદેશમાં તો ભાજપને સાતમા આસમાનેથી પાંચમા પાતાળે પટકનારું પુરવાર થયું હતું એ ૧૯૯૩નાં ચૂંટણીપરિણામો સંભારીશું ત્યારે બરાબર સમજાશે. ૧૯૯૨ના ડિસેમ્બરની છઠ્ઠી તારીખે ભાજપે પોતાને ઉત્તર પ્રદેશમાં શીર્ષસ્થાને અનુભવ્યો હતો. જોકે બાબરીધ્વંસ સાથે, એના પડતા ગુંબજો સાથે તે પોતે પણ પડી રહ્યો હતો એ એને ત્યારે સમજાયું નહોતું. ૧૯૯૩માં ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓમાં આ પક્ષનો નારો 'આજ પાંચ પ્રદેશ, કલ સારા દેશ' એવો હતો. પણ પરિણામ આવ્યું ત્યારે એણે અયોધ્યા લેતાં લખનૌ ખોયું હતું, અને દિલ્હી હજી દૂર હતું. એણે ઉત્તર પ્રદેશ ખોયું ; કેમકે પ્રદેશના દલિત અને ઓબીસી તબકા માયાવતી – મુલાયમની ચૂંટણી સમજૂતી સાથે એકત્ર થઈ જતાં વાણિયાબ્રાહ્મણના પક્ષ જેવો ભાજપ કદ મુજબ વેતરાઈ ગયો હતો. એ વાતને આજે સોળ વરસ થવામાં છે, પણ ભાજપને એની કળ નથી વળી તે નથી જ વળી. આટલો પૂર્વઇતિહાસ લક્ષમાં લઈએ તો યુપીએમાં અગર એની સાથે કૉંગ્રેસની જેમ જ લાલુ, મુલાયમ, પાસવાનના હોવારહેવાનું લૉજિક સમજાશે.
ઉત્તર પ્રદેશની લડાઈમાં (અને તે સૌથી વધુ સાંસદોનો પ્રદેશ હોઈ ચૂંટણીક્ષેત્રે ધર્મક્ષેત્રે) કદાચ આવો જ કોઈ વ્યૂહ માયાવતીના દલિત-બહુજન-સર્વજનવ્યૂહ સામે કામ આપી શકે એ દેખીતું છે. જે રીતે દલિત અને ઓબીસી તબકાઓ ઉત્તરોત્તર ખસતા ગયા તેને પરિણામે કૉંગ્રેસ સુખી-ઉજળિયાત મધ્યમવર્ગના પક્ષરૂપે સમેટાતી-સંકોચાતી ચાલી છે. ઉત્તર પ્રદેશમાં ભાજપનું સ્વરૂપ પણ લગભગ એવું જ છે. બંનેમાં ફરક માત્ર કૉંગ્રેસમાં બચ્ચાખૂંચ્યા સ્વરાજ-સંસ્કારનો તેમજ ભાજપની પેઠે મુસ્લિમદ્વેષ નહીં હોવાનો જરૂર છે. હિંદુત્વ રાજનીતિ માટે, કેમકે એના સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની ગળથૂથીમાં જ સામાજિક ડાર્વિનવાદ જેવું કશુંક પડેલું છે, સમાજના બધા વર્ગોને સાથે રાખવું અઘરું છે. વ્યાપક જેવો એક તબક્કો આવતાં તો આવી જાય, પણ પછી તે કદ મુજબ વેતરાઈ જાય.
ઉત્તર પ્રદેશમાં અને બિહારમાં જે વહેલું વરતાયું, ગુજરાતમાં પણ તે વહેલુંમોડું વરતાયા વગર રહેવાનું નથી ; કેમકે કૉંગ્રેસવિમુખ મતદાર માટે અહીં બધા કિસ્સામાં ભાજપ પહેલી પસંદગી છે એવું નથી. પણ એના સબળ વિકલ્પના અભાવે, કૉંગ્રેસવિમુખ મતદારોનો એક હિસ્સો જો જખ મારીને કૉંગ્રેસને મત આપે છે તો બીજો હિસ્સો વખાના માર્યા ભાજપ ભણી વળે છે. ગુજરાત ભાજપની આ વખતની ઉમેદવારપસંદગીમાં તમે માધવસિંહના ખામ વ્યૂહની બી ટીમ જેવા જે નમૂનાઓ જુઓ છો તેમાં પહેલીવાર કેશુભાઈની સરકાર બની તે વખતના મંડલમંદિર જોડાણવાળી ઉમેદવારપસંદગીની ફીકી ફીકી છાયા છે તેમજ હિંદુત્વ રાજનીતિની ઓસરતી અપીલ સામે જ્ઞાતિચોકઠાનો ખેલ છે. વળી વિકાસનો વેશ પણ ખરો સ્તો.
મેં હમણાં ઉત્તર પ્રદેશમાં કૉંગ્રેસ અને ભાજપ સુખી મધ્યમવર્ગમાં સંકોચાઈ ગયાની જિકર કરી. આ વર્ગ જરી વધુ વિચાર માંગી લે છે. ગુજરાતમાં આપણે અનામતવિરોધમાં એને શહેરની સડકો પર ઊતરી આવતો જોયો હતો. વિશ્વનાથ પ્રતાપ સિંહે જેવી મંડલ ભલામણોની સ્વીકૃતિ જાહેર કરી ત્યારે તેણે વળી પોતાનું લડાયક રૂપ પ્રગટ કર્યું હતું. આ બંને દૃષ્ટાંતો, તત્ત્વત:, સમાજના સુખી તબકામાં પોતાની સંપન્નતામાં બીજા કોઈની (વંચિતોની) સહભાગિતા સામેની લાગણીનાં છે. હૅવ્ઝ કહેતાં સહિતોને હૅવ નૉટ્સ એટલે કે રહિતો બાબતે સહૃદયતાનું ટાંચું પડેલું છે. પણ તમે જુઓ કે મંડલ મુદ્દે રસ્તા પર ઊતરી આવેલાઓ જેવાં મલ્ટિનેશનલ આંબાઆંબલી દેખાયાં કે તરત સાચાં કે સમણાંના સુખમાં મ્યાન થઈ ગયા. આ વર્ગે વાસ્તવમાં બાકીના સૌને વિકાસમાં સહભાગી બનાવવાની રીતે વિચારવું રહે છે. જો કૉંગ્રેસ અને યુપીએના આ પહેલા અને ચોથા મોરચાઓ વચ્ચે ધોરણસરની રમઝટ જામે તો વિસ્તરતા મધ્યમવર્ગ અને ઓબીસી તબકા વચ્ચે સંવાદની બારી ખૂલે અને એક નવી સામાજિક સંકલના બને.
આ અઘરું છે. કારણ, ઓબીસી તબકાનો રાજકીય ઉછેર અપણી સામાજિક પરંપરાઓ મુજબ બળુકા તબકાનો છે. નવા ભણેલા મધ્યમવર્ગને કોઈક તબક્કે જે લોકશાહી સંસ્કાર મળ્યો તે સામાજિક કોટિક્રમમાં ઉછરેલાઓને એટલા પ્રમાણમાં મળ્યો નથી તેમજ લોહિયા – દર્શને, જયપ્રકાશના આંદોલને અને ચરણસિંહના રાજકારણે એમને ખુલ્લાણમાં ને મધવહેણમાં તો આણ્યા પણ ગાંધી-જેપી-લોહિયાનો ક્રાન્તિસંસ્કાર તો એમાં ઊતરતાં ઊતરશે. હમણાં તો એનો ઠીક ઠીક હિસ્સો લઠૈત ને લોંઠકો પેશ આવતો લાગે એ દેખીતું છે. મહારાષ્ટ્રના રાજકારણમાં જે રીતે એસેમ અને ગોરે જેવાઓએ પોતે પાયરીએ નહીં રહે એમ સમજતે છતે દૂરદૃષ્ટિપૂર્વક નવા વર્ગોનો રાજકીય પ્રવેશ શક્ય બનાવ્યો એવું કાંક કરવું રહે છે. માયાવતીના સર્વજનવ્યૂહે જેમ ફૂલે – આંબેડકર પરંપરામાં તેમ પહેલા ચોથા મોરચાની જુગલબંદીએ ગાંધી-જેપી-લોહિયા પરંપરામાં શોધનમંથનનો રાહ લેવા જેવો છે. બને કે, એમાંથી દેશને પૂરા કદના વિકલ્પો મળી શકે.