પન્ના નાયક
અમેરિકાનિવાસી અને અમેરિકનોને ગુજરાતી ભણાવતાં કવયિત્રી વાત કરે છે ઉર્વીશ કોઠારી સાથે…
જૂઓ વિડીયો
પન્ના નાયક
અમેરિકાનિવાસી અને અમેરિકનોને ગુજરાતી ભણાવતાં કવયિત્રી વાત કરે છે ઉર્વીશ કોઠારી સાથે…
જૂઓ વિડીયો
મોરારજીભાઈ દેસાઈને આપણે એક કડક અને કુશળ વહીવટકાર અને આખાબોલા રાજકારણી તરીકે ભૂલ્યા નથી, પરંતુ તેમના ૯૯ વર્ષના દીર્ઘ આયુષ્યકાળ પર નજર કરવા તેમની આત્મકથા અને અંબેલાલ જોશી કૃત દળદાર જીવનચરિત્રનાં પાનાં ફેરવતાં તેમના કેટલાંક એવા સ્વરૂપોની ઝાંખી મળે છે, જે તેમના વ્યકિતત્વના જુદાં જ પાસાં ઉજાગર કરે છે:
એક સશકત નાણાપ્રધાન
જવાહરલાલ નેહરુએ જુદી જુદી ચાર વ્યકિતને નાણાપ્રધાન તરીકે અજમાવ્યા પછી તેમને એક સશકત નાણાપ્રધાનની શોધ હતી. નેહરુ એવી બાહોશ વ્યકિતને આ હોદ્દો આપવા ઇચ્છતા હતા, જે પંચવર્ષીય યોજનાઓનું ચુસ્ત અમલીકરણ કરાવી શકે. આખરે તેમની નજર મોરારજીભાઈ પર ઠરી. મોરારજીભાઈએ ફકત છ મહિનાના ટૂંકા ગાળામાં જ પોતાની નાણામંત્રી તરીકેની કાબેલિયત પુરવાર કરી દીધેલી. મોરારજીભાઈએ રજૂ કરેલું પ્રથમ ૮૦૦ શબ્દોનું બજેટ ‘વિકાસ અંદાજપત્ર’ તરીકે પ્રસિદ્ધિ પામેલું. પંચવર્ષીય યોજનાઓ સફળ બનાવીને દેશભરમાં ગરીબી, રોજગારી, પાણી, કૃષિ, રસ્તા, વીજળી વગેરેની સમસ્યા ઉકેલવી, આંતરિક વિરોધ છતાં વિદેશી સહાય મેળવીને દેશના વિકાસમાં પ્રયોજવી, હૂંડિયામણની મુસીબતમાંથી દેશને ઉગારવો, કરવેરાનું સર્વસ્વીકૃત (સંતોષદાયક) માળખું રચવું વગેરે અનેક પડકારોને તેમણે ખૂબ સારી રીતે પાર પાડીને દેશનો આર્થિક ઢાંચો મજબૂત કર્યોહતો. દેશમાં સૌથી વધુ ૧૦ વખત બજેટ રજૂ કરનારા અને દેશને વિકાસના રસ્તે વેગવાન બનાવનારા મોરારજીભાઈ આજે મંદીના માહોલમાં વિશેષ યાદ આવે છે.
ક્રિકટના જબરા ફેન
મોરારજીભાઈ દેસાઈ યુવાન હતા ત્યારે તેમને નાટકો જોવાનો કે ફિલ્મો જોવાનો શોખ નહોતો, પરંતુ તેઓ ક્રિકેટના જબરા ફેન હતા. તે મુંબઈમાં કોલેજકાળમાં શહેરમાં જયાં જયાં મેચો થતી ત્યાં જોવા પહોંચી જતા. તેઓ આત્મકથામાં નોંધે છે કે ‘‘ક્રિકેટ મેચ જોવા જવામાં કંઈ પણ ખર્ચ થતું નહોતું. તે દિવસોમાં ટ્રામને બદલે હું ચાલતો જતો હતો…પરીક્ષાના દિવસો તદ્દન નજીક હતા ત્યારે પણ મેચો જોવાનું મેં છોડયું નહોતું’’
મારફાડ યુવાન
ગાંધીજીના ચુસ્ત અનુયાયી નહોતા બન્યા ત્યારનો ૧૯૧૬નો એક પ્રસંગ છે. એક વાર સગાની જાનમાં ગયેલા. અનાવિલોમાં જાનૈયા વરઘોડા સાથે કન્યાના માંડવે ‘વાડી’ લઈ જાય એવી પ્રથા હતી. તે ગામના સુધારાના ઉત્સાહી એવા તોફાની યુવાનોએ વાડીની પ્રથાના વિરોધમાં વાડીને માર્ગમાં જ લૂંટવાની ધમકી આપી. આવી ધમકીથી ડરી જાય એ મોરારજી નહિ. તેમણે તે દિવસે પેલા દાદાગીરી કરનારા યુવાનોને પોતાની શકિતનો પરચો આપી કન્યાવાળાને ત્યાં ‘વાડી’ હેમખેમ પહોંચાડી હતી.
૧૯૧૭માં પહેલા વિશ્વયુદ્ધના ભણકારા વાગી રહ્યાં હતા ત્યારે ભણેલા હિંદીઓ સૈન્યમાં દાખલ થઈ શકે એ માટે અંગ્રેજોના દબાણથી મુંબઈમાં યુનિવર્સિટી ટ્રેનિંગ કોર(યુટીસી) શરૂ કરવામાં આવી. મોરારજીભાઈએ યુટીસીમાં જોડાઈને લશ્કરી તાલીમ મેળવેલી. તેઓ એક પ્લેટૂનના ઓફિસર પણ બનેલા. કદાચ આ સંસ્કારને કારણે જ તેમણે મુંબઈ રાજયમાં નાગરિકોને રક્ષણપ્રવૃત્તિમાં જોડવાના ખ્યાલથી ગૃહરક્ષક દળ અને ગ્રામરક્ષક દળની સ્થાપના કરાવી હશે.
ગાંધીજીના દ્વારપાળ
ઇરવીન સાથેના શાંતિ કરાર બાદ થાકેલા ગાંધીજી આરામ લેવા બારડોલી આશ્રમ આવેલા. બાપુને મળવા આવતા મુલાકાતીઓનો પ્રવાહ અટકાવવા સરદાર પટેલને પોતાની વિવેકબુદ્ધિ પર કોને જવા દેવા ને કોને નહિનો સાચો નિર્ણય કરે એવી મજબૂત વ્યકિતની જરૂર હતી. એમણે મોરારજીભાઈમાં ગાંધીજીની ચોકી કરવા માટે આવશ્યક એવા સર્વ ગુણો જોયા. એક વખતના ડેપ્યુટી કલેકટર મોરારજીભાઈએ કોઈ પણ પ્રકારના ખચકાટ વિના ગાંધીજીના દ્વારપાળનું કામ ઉપાડી લીધેલું.
ચોકસાઈપૂર્વક ન્યાય તોળતા મેજિસ્ટ્રેટ
મોરારજીભાઈ ૧૯૧૮થી ૧૯૩૦ સુધી ડેપ્યુટી કલેકટર તરીકે નોકરી કરી હતી. તેમણે આ નોકરીના ભાગરૂપે મેજિસ્ટ્રેટની ભૂમિકા પણ ભજવવાનું થયું. ઇતિહાસ છે કે તેમણે આપેલા એક હજાર જેટલા ચુકાદામાંથી ત્રણ જ કિસ્સામાં વડી અદાલતે તેમના નિર્ણય બદલ્યા છે. આ વાત પરથી સ્પષ્ટ છે કે તેઓ કેટલી ચોકસાઈથી કોઈ ચુકાદો આપતા હતા. એક વાર તેમની સામે લૂંટનો કેસ આવ્યો. આરોપી ગુનેગાર હોય એવું લાગતું હતું, એટલે એ મુજબ ચુકાદો લખવા બેઠા પણ પછી વિચાર આવ્યો કે રાત્રે દોઢ વાગ્યે જેમણે આરોપીને જોયો એ લોકો કઈ રીતે ખાતરીપૂર્વક કહી શકે કે આ વ્યકિત જ હતી? તેમણે ચુકાદો મૂલતવી રાખ્યો. જે તિથિએ એ ગુનો બનેલો તેની રાહ જોઈ. તે તિથિની રાત્રે દોઢ વાગ્યે તેમણે બીજા લોકોને ઓળખવાનો પ્રયત્ન કરી જોયો. તેમને થયું કે આટલા અંધારામાં વ્યકિતને ઓળખી ન શકાય. આમ, તેમણે નિર્દોષને સજા ન થાય તેની ચોકસાઈ હંમેશાં રાખી હતી.
દેશના પ્રથમ બિનકોંગ્રેસી વડાપ્રધાન તથા ભારત અને પાકિસ્તાન એમ બન્ને દેશના સર્વોચ્ચ એવોર્ડ અનુક્રમે ભારત રત્ન અને નિશાને પાકિસ્તાન પ્રાપ્ત કરનારા મોરારજી દેસાઈની જન્મ તારીખ (૨૯ ફેબ્રુઆરી) એવી છે કે તેમની જન્મજયંતી ચાર વર્ષે આવે છે, પરંતુ ખરેખર તો તેઓ વર્ષમાં ચારથી વધુ વાર યાદ આવી જાય એવા નેતા છે.
ઝુઝારુ સમાજવાદી નેતા રામ મનોહર લોહિયા ! કહે છે કે લખતાં લોહિયો તેમ લઢતાં લોહિયો ! પક્ષો જ્યારે નકરાં ઇલેક્શન એન્જિન બનીને ખોવાતા ને ખવાતા માલૂમ પડ્યા ત્યારે આ એક માણસ એવો હતો, સદૈવ સિવિલ નાફરમાની મિજાજનો, જેણે કહ્યે રાખ્યું હતું કે જિંદા કૌમે પાંચ સાલ તક ઇંતજાર નહીં કરતી. પછીથી, ૧૯૪૨માં, દેશમાં નવી નેતાગીરીને મોખરે જે બે વ્યક્તિત્વ ઉભરવાનાં હતાં – ૪૦ વરસના જયપ્રકાશ અને ૩૨ વરસના રામ મનોહર – એમનું માન ને મૂલ્યાંકન કેવું હશે હરિજન પત્રોના તંત્રી (મહાત્મા ગાંધી)ના મનમાં કે કૉંગ્રેસે અપનાવવા જોગ સમાજવાદી કાર્યક્રમની જેપીની હિમાયત એમણે ૧૯૪૦માં ચહીને પ્રકાશિત કરી હતી ; જેમ 'સત્યાગ્રહ, આજે ને અબઘડી' ('સત્યાગ્રહ નાઉ') એ લોહિયાનો લેખ જૂન ૧૯૪૧માં પ્રકાશિત કર્યો હતો… 'ક્વિટ ઇન્ડિયા'નો ઠરાવ તો હજુ ઑગસ્ટ ૧૯૪૨માં આવવાનો હતો, પણ એના સવા વરસ પહેલાં.
જિંદા કૌમે પાંચ સાલ તક ઇન્તજાર નહીં કરતી, એ લોહિયા-ભૂમિકા સ્વાતંત્ર્યોત્તર ભારતમાં કેવળ બરકરાર જ ન રહી, ઓર નિખરી. જેમ બીજા કેટલાક તેજસ્વી માણસોની તેમ આ બે જણની – લોહિયા અને જયપ્રકાશની – વિશેષતા એ રહી કે તેઓ સત્તાની લગોલગ હોઈ શકે ત્યારે પણ એમણે સમાજની સટોસટ દિલ્હી દરબાર નહીં પણ લોક મોઝાર રહેવું પસંદ કર્યું. જયપ્રકાશ સર્વોદય અને રચનાકાર્યમાં ચાલ્યા ગયા તો લોહિયા અણથક રાજકીય સંઘર્ષમાં રમતા રહ્યા. પણ એમના સંઘર્ષોમાં એક સાંસ્કૃતિક પિછવાઈ સતત રહી. પાછલાં વર્ષોમાં જેમ જયપ્રકાશે 'સંપૂર્ણ ક્રાન્તિ'ને ધોરણે એક લડાયકવિધાયક નેતૃત્વ આપ્યું, લોહિયાએ તેમ એમના સંઘર્ષોમાં 'સપ્ત ક્રાન્તિ'ની ભૂમિકા લીધી : આર્થિક અસમાનતાનું નિર્મૂલન ; નાતજાતગત ઊંચનીચ ભેદભાવ ; સ્ત્રી-પુરુષ અસમાનતા; સામ્રાજ્યવાદ; રંગદ્વેષ; સમષ્ટિ (કલેક્ટિવિટી)ના ઓથર સામે વ્યક્તિગત અધિકારો; સવિનય કાનૂનભંગની વિધિવત્ સ્થાપના – આ એમનાં ક્રાન્તિક્ષેત્રો રહ્યાં.
એમણે જોયું કે ઇલેક્શન એન્જિન અને સત્તા – પ્રતિષ્ઠાન બની રહેલ કૉંગ્રેસ પક્ષ એવો ને એટલો જામી પડેલો છે કે એને હટાવ્યા વગર યથાસ્થિતિને સ્થાને પરિવર્તનની રાજનીતિને સારુ અવકાશ હોવાનો નથી. આ સમજમાંથી એમણે બિનકૉંગ્રેસવાદનો અભિગમ વ્યૂહ નિપજાવી કાઢ્યો. ૧૯૬૭માં સંવિદ કહેતાં સંયુક્ત વિધાયક દળની જે રણનીતિ બની તે આ બિનકૉંગ્રેસવાદને આભારી હતી : '૬૭ની રાષ્ટ્રીય ચૂંટણીઓ પછી કેટલાક મહિનાઓ લગી એક એવી પરિસ્થિતિ બની હતી કે તમે અમૃતરસથી ગાડી પકડો અને કલકત્તા પહોંચો ત્યાં લગી એકે કૉંગ્રેસ-શાસિત રાજ્યમાંથી પસાર થવું ન પડે. કમનસીબે, ૧૯૬૭ના ઑક્ટોબરમાં લોહિયા ગયા અને આ પ્રયોગનો કસ કાઢવા સારુ એમની ઓથ અને સોબત ન રહી.
પણ તમે જુઓ કે, અલગ છેડેથી, ૧૯૭૭નું જનતા રાજ્યારોહણ એ બરાબર એક દસકે નવી દિલ્હીમાં બિનકૉંગ્રેસવાદની પ્રતિષ્ઠાનું હતું. અલબત્ત, ૧૯૬૭માં નહીં એવું ને એટલું લોક આંદોલનનું સૅન્ક્શન ૧૯૭૭ના જનતા પર્વની પાછળ હતું. જેપીએ જી. જાનથી, સંપૂર્ણ સમર્પિતતાથી એમની છેલ્લી (જે ખરું જોતાં છેલ્લાથી આગલી હોવી જોઈતી હતી) ઇનિંગ્ઝ ત્યારે ખેલી જાણી હતી. લોકશાહીની પુન:પ્રતિષ્ઠામાં એ ઇતિહાસનિમિત્ત બની રહ્યા ; પણ લોકશાહી સુવાણ થકી જે ક્રાન્તિ ડગ શક્ય બનત એને પૂરો અવસર ન મળ્યો, કેમકે શ્વાસનો હિસાબ ખૂટ્યો હતો.
લોહિયા-જયપ્રકાશ-ક્રિપલાણી આદિને આપણે સ્વાભાવિક જ કેવળ લોકશાહી માળખા અને પ્રક્રિયાના સીમિત સંદર્ભમાં સંભારતા નથી. ધોરણસરના રાજકારણથી – અને એ પણ મોટી વાત છે – આગળ વધીને પરિવર્તન વાસ્તે ભોં ભંગાતી ચાલે એવી જે એક આપણી ધખના અને ચાલના છે એ સ્તો આપણને આવાં વ્યક્તિત્વ અને નેતૃત્વ કને વારેવારે જવા ધકેલે છે, નોળિયાને જેમ નોળવેલ.
જોકે, આ નોળવેલનું સારસત્ત્વ અને સ્વારસ્ય 'બિનકૉંગ્રેસવાદ' અગર 'ઇંદિરા હટાઓ' માં સીમિત નહોતું ને નથી. ભાજપની ઘોર સાંપ્રદાયિક રાજનીતિ માટે અંજીરપાંદ (ફિગલીક) બની રહેલા જ્યોર્જ ફર્નાન્ડીઝ તે લોહિયાઈ બિનકૉંગ્રેસવાદના વારસદાર બિલકુલ નથી. જ્યાં સુધી રાષ્ટ્રવાદનો અને હિંદુ વારસાનો સવાલ છે, લોહિયાએ 'હિંદુ બનામ હિંદુ'થી માંડીને 'રામાયણ મેળા' સરખી માંડણીઓ થકી રીનેસાંસ અને રેફર્મેશન તેમ નાગરિક સમાજને લાયક સાંસ્કૃતિક નવજાગરણની એક ભૂમિકા રચવા ધારી હતી. ફર્નાન્ડીઝ પુરસ્કૃત અડવાણી કારણ જેવો ધરમમજહબનો કારોબાર એ બેલાશક નહોતો.
'હિંદુ બનામ હિંદુ' એ એક સ્વતંત્ર નિરૂપણ ને વિચારણા માગી લેતી વાત છે, અને એની ચર્ચા વળી ક્યારેક … હાલ તો, રામ મનોહર લોહિયાને શતાબ્દીની સલામ !