ગુજરાતી ફિલ્મકલાકારોની દિગ્દર્શકોની નવી પેઢી મનોરંજન પૂરું પાડતી ગુજરાતી ફિલ્મો ઠીકઠીક નવી રીતે બનાવી રહી છે. તેમ છતાં ‘કોર્ટ’, ‘શાળા’, ‘દેવળ’, ‘સૈરાટ’ જેવી પ્રતિબદ્ધ મરાઠી ફિલ્મો જોતાં એમ લાગે કે મરાઠી ફિલ્મકારોની સામાજિક પ્રતિબદ્ધતા એમના સંવેદનશીલ મુદ્દાઓના ઊંડાણમાં લઈ જાય છે. આ અભાવ આપણે ત્યાં ખટકે છે. જો કે હાલમાં અમદાવાદસ્થિત દક્ષિણ છારાએ ‘સમીર’ નામની હિંદી ફિલ્મ ગુજરાતની કોમી તંગદિલીને કેન્દ્રમાં રાખીને બનાવી છે. આતંકવાદ અને એની રાજકીય જરૂરતનો પર્દાફાશ કરવામાં આ ફિલ્મ ખાસ્સી સફળ રહી છે. નાયક સિવાયના અભિનેતા ખાસ જાણીતા ન હોવા છતાં સરસ અભિનય દ્વારા ફિલ્મને રસપ્રદ પરિણામ આપ્યું છે. રાજકીય સિનેમાના નર્યા અવકાશ વચાળે ‘સમીર’નું આવવું આપણને આશ્વાસ્ત કરે છે. ગુજરાતી યુવાને આવી ફિલ્મ બનાવી તેથી એ સવિશેષ અભિનંદનીય છે. એમાં ય જે વિષયથી લગભગ સર્જકો અળગા રહે એવો આતંકવાદનો વિષય લઈને ફિલ્મ બનાવી છે, તે નોંધપાત્ર છે.
દક્ષિણ છારાનું રંગમંચ તો હતું શેરીનાટક. અદિતિ દવે, સરૂપ ધ્રુવ, હિરેન ગાંધી વગેરેએ, ગુજરાતમાં રાજકીય શેરીનાટકો ભજવ્યાં છે. સામાજિક મુદ્દાને સ્પર્શતાં, શેરીનાટકો ભજવ્યાં છે એ પરંપરામાં દક્ષિણ નવી પેઢીના પ્રતિનિધિ છે. આપણે ત્યાં સાહિત્યકૃતિને રાજ્ય સરકાર દ્વારા પ્રતિબંધિત કરવાના જવલ્લે જ બનાવ બન્યા છે. સરૂપ ધ્રુવ લિખિત નાટક ‘ઇતિહાસની બીજી બાજુ’, જે ભગતસિંહ વિશેનું જીવનકથનાત્મક નાટક હતું, એ ખાસ્સી મથામણ પછી રજૂ થઈ શકેલું. એમના જ લખેલા નાટક ‘રાજપરિવર્તન’(‘મૃચ્છકટિક’નું અનુસર્જન)ને પણ દૂરદર્શન પરથી અટકાવાયેલું. તાજેતરમાં રિવરફ્રન્ટનું નાટક ‘સૂનો, નદી ક્યા કહેતી હૈ?’ વિશે પણ આવું જ થયું.
આ જ પરંપરામાં દક્ષિણે ‘બુધન થિયેટર’ શરૂ કરેલું. પોલીસ-કસ્ટડીમાં પોલીસ-અત્યાચારના કારણે મૃત્યુ પામેલ બુધનની સ્મૃિતમાં ‘બુધન થિયેટર’ નામકરણ થયેલું છે. ગુનેગારોની જમાત તરીકે જેમને થપ્પો લાગેલો છે, એવી કોમના સભ્યોને કારણ વિના થતી પોલીસની હેરાનગતિના એમણે નાટકો લખ્યાં છે. ૨૦૦૨ પછી એનાં નાટકોમાં ધાર્મિક એકતા, કોમી એકતાનો સંદેશ કેન્દ્રમાં આવતો ગયો. તેમ છતાં ઈ.સ. ૨૦૦૩માં દક્ષિણ છારા પર આઈ.પી.સી.ની કલમ ૩૨૪ અને ૩૨૬ લગાડી! જો કે ઈ.સ. ૨૦૦૮માં કોર્ટે પોલીસ દ્વારા કરાયેલ આક્ષેપોને રદ કર્યા. આ કિસ્સો અહીં એટલા માટે મૂકું છું કે જાહેરજીવનને સ્પર્શતા મુદ્દાને લઈને પ્રવૃત્તિ કરવી એ જ જાણે ગુનો હોય તેવું લોકતંત્રમાં શી રીતે ચાલી શકે ? કલાકારો જો ફાસીવાદને ઉઘાડો નહીં પાડે, તો કોણ પાડશે?
આવા વાતાવરણમાં ઈ.સ. ૨૦૦૬માં એમને મુંબઈમાં દસ્તાવેજી ફિલ્મ-મહોત્સવમાં મદારી કોમ વિશે બનાવેલી ફિલ્મ ‘ફાઇટ ફોર સર્વાઇવલ’ માટે ટ્રૉફી મળી! પોતાના સમાજમાંથી તેમ જ બહારનાં પરિબળોને અનેક વાર એમને આ પ્રવૃત્તિ બંધ કરી દેવા જુદી-જુદી રીતે દબાણ કર્યું છતાં ડગ્યા વગર ૪૩ વર્ષના દક્ષિણ છારા આ પ્રવૃત્તિ કરી જ રહ્યા છે. આ એમની કલાકાર તરીકેની પ્રતિબદ્ધતા છે.
ઈ.સ. ૨૦૦૮માં શ્રેણીબંધ બૉંબધડાકા અમદાવાદમાં થયા હતા. આમજનતા સ્તબ્ધ થઈ ગઈ હતી. આ બધું દક્ષિણે કેવળ જોયું અનુભવ્યું જ નહોતું, પણ દસ્તાવેજી ફિલ્મકાર રાકેશ શર્માના સહાયક તરીકે એ દૃશ્યો કૅમેરામાં ઝિલ્યાં પણ હતાં. આ વસ્તુ ‘સમીર’માં ફિલ્મ તરીકે એ ઊંડાણથી મૂકી આપે છે. દક્ષિણે દસ્તાવેજી ફિલ્મકારની સાથે કામ કરતા – કરતા રિબાતા મુસ્લિમ પરિવારો, ગોધરાના ડબ્બામાં મરી જતાં હિન્દુના પરિવારોને નિકટતાથી જોયા સાંભળ્યા હતા. જે બધું આ ફિલ્મની પૃષ્ઠભૂમિમાં પડેલું છે.
આ ફિલ્મ વિશે અહીં ઝાઝું નથી લખવું. એક થ્રિલર ફિલ્મ છે. કઈ રીતે રાજ્ય જ આખી સંરચના બખૂબીથી બનાવે કે કોમવાદ, આતંકવાદ જીવતા રહે અને લોકો પછી એમાં જ રમમાણ રહે. કઈ રીતે માધ્યમો પણ મિશનના અંચળા હેઠળ કમિશન મેળવતાં રહે એની આ ફિલ્મ છે, જેનાથી સમાજમાં લઘુમતી વિશેની માનસિકતા (Mindset) બરકરાર રહે. જરૂર પડે સમજૌતા એક્સપ્રેસના કર્નલ પુરોહિતવાળું પણ કરાય એવા સંકેત સાથે ફિલ્મ પૂરી થાય છે.
૮મી સપ્ટેમ્બર, ૨૦૧૭ના રોજ ‘સમીર’ ભારતમાં રજૂઆત પામી. પ્રતિબદ્ધતા, કળા, કાળી મજૂરી અને અનેક લોકોની સહાય વિના એક ઝૂંપડપટ્ટીનો યુવાન આવી ફિલ્મ ન બનાવી શકે. ફિલ્મ નવલકથા કે કવિતા નથી. દૃશ્યો કંડારવા ટોળાં જોઈએ, પરિવેશ જોઈએ, કલાકારો જોઈએ અને એ બધું કરવા પૈસા જોઈએ. એ બધું કર્યા પછી પહલાજ નિહલાની તો ઊભા જ હતા! આવી ફિલ્મ ભાજપભક્ત નિહલાની શી રીતે સેન્સરબોર્ડમાંથી પાસ કરે? એ મુશ્કેલીઓને પણ એમને સામનો કરી બધું પાર પાડ્યું. સેન્સરબોર્ડ સામેની અપીલમાં ગયા પછી પણ ત્યાં એ માનસિકતાનો સામનો તો કરવો જ પડ્યો. ત્યાં બધું પાર પાડ્યું ત્યાં શાઝિયા ઇલ્મી હતા!
ધર્મનિરપેક્ષ મૂલ્યોમાં શ્રદ્ધા રાખતી ફિલ્મને સાંપ્રદાયિકો સાંખી નથી શકતા. ભીષ્મ સહાનીની નવલકથા ‘તમસ’ની ફિલ્મ સામે હિન્દુ-મુસ્લિમ-શીખ ત્રણેય સાંપ્રદાયિકો-ફિરકાપરસ્તીઓ કોર્ટમાં ગયા હતા! એ વખતે યુવાનોમાં સૂત્ર હતું – ‘તમસ’ ફિલ્મ હૈ આયા, ફિરકાપરસ્ત ગભરાયા હૈ.” આતંકવાદ, પોલીસ-અત્યાચારની અંધારી બાજુને રજૂ કરવી સહેલી નથી. પ્રજા પ્રત્યેની સહાનુભૂતિ અને રમૂજ-કટાક્ષના મંટોશાઈ ટુકડાથી ફિલ્મનું કથાનક આકાર લે છે. વળી, ફિલ્મને આર્ટફિલ્મના રૂઢ વ્યાકરણમાં પણ ફસાવા દીધી છે. મુખ્ય ધારાનો પ્રેક્ષક એને માણી શકે એ રીતે રહસ્યોનો તંતુ અકબંધ રાખ્યો છે. ન્યાયી સમાજની ઝંખના માટે છારા જેવા સમુદાયમાંથી આવતો યુવાન વાત નહીં કરે, તો કોણ કરશે?
આ ફિલ્મ દ્વારા દક્ષિણ છારાએ ગુજરાતના કળાજગતનું ગૌરવ વધાર્યું છે.
E-mail : bharatmehta864@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2017; પૃ. 09