તાજેતરમાં કેન્દ્ર સરકારની આર્થિક ક્ષેત્રની કામગીરી બાબતે બે સમાચારો આવ્યા. આ બંને સમાચારો આંતરરષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા અપાયા હોવાથી સરકારનો ઉત્સાહ ઊછળીને ઉમળકાભેર બહાર આવ્યો. નોટબંધી અને જી.એસ.ટી.ની બાબતે પોતે અતિ ઉત્સાહમાં અને સાવ અહંકારભર્યાં તથા આપખુદ પગલાં ભર્યાં છે, તેવી સમજણ ઊભી થઈ રહી હતી ત્યાં જ મૂડીનું રેન્કિંગ અને ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસના, ભારત માટે ઉત્સાહપૂર્વક આંકડા બહાર પડ્યા. આ આંકડા કોઈ સરકારના પેદા કરેલા નથી અને વિશ્વખ્યાત સંસ્થાઓ દ્વારા રજૂ થયા છે, તે બાબત પોતે જ એક વિશ્વાસ જગવે તેવા છે. બાકી, સરકારશ્રીની સાતત્યપૂર્ણ જુમલાબાજીને કારણે એકંદરે જનમાનસમાં દરેક વાતે શંકા કરવાનું વલણ બંધાઈ ગયું છે. દરેકના ખાતામાં રૂ. પંદર લાખ આવે એટલું કાળું ધન વિદેશમાં છે, ‘અચ્છે દિન’ હાથવેંતમાં છે, વર્ષે બે કરોડ નવી નોકરીઓ ઊભી કરીશું, ખાઈશું નહીં અને ખાવા દઈશું નહીં વગેરેથી માંડી ફેદરા(ભાવનગર પાસે)માં વિશાળ આંતરરાષ્ટ્રીય હવાઈમથક બનાવીશું અને હવે તેનાથી માંડ પચાસ કિલોમીટર છેટે ચોટીલા (રાજકોટ પાસે)માં પણ વિશાળ આંતરરાષ્ટ્રીય હવાઈમથક બનાવીશું, જેવા નાનામોટા જુમલાથી લોકોને ઠીક ઠીક મનોરંજન સાંપડ્યું છે. વાત ગંગાસફાઈની કરો કે (કાશ્મીરમાં) એકની સામે દસ માથાં વાઢી લાવવાની શૂરાપૂરા રણબંકાની પ્રચંડ વીરતાની કરો; બધે જ અને સાતત્યપૂર્ણ જુમલાબાજી કરનારી સરકારનો આ જુમલો નથી જ પણ આ બંને વાતોને સમજવા જેવી તો ખરી જ!
૧. મૂડી[Moody’s]નું રેટિંગ :
જગતમાં મુખ્ય ત્રણ કંપનીઓ વિવિધ દેશોની શાખપાત્રતા અંગેના સૂચકાંકો જાહેર કરે છે. આ ત્રણ સંસ્થાઓ એટલે ‘મૂડીજ’, ‘એસ ઍન્ડ પી સ્ટાન્ડર્ન્ડ ઍન્ડ પુઅર’ અને ‘ફિન્ચ’. આ સંસ્થાઓનું રેટિંગ જગતના શાહુકારોને ધરપત આપવા અને જોખમોથી સાવચેત કરવા માટે છે. દેશના રેટિંગનો આંકડો જેમ મોટો તેમ જોખમ વધુ અને આંકડો નાનો તેમ જોખમ ઓછું. દરેક એજન્સી માત્ર આંકડામાં જ રેટિંગ જાહેર કરે તે જરૂરી નથી. ‘A’, ‘A+’ થી માંડી B, C વગેરે અંગ્રેજી આદ્યાક્ષરો દ્વારા પણ રેટિંગ થાય છે. રેટિંગમાં વધુ ચોકસાઈ અને તુલનાત્મકતા આણવા માટે B, BB, BBB, BBB+ કે BBB–, એવાં આદ્યાક્ષર આધારિત રેટિંગ કરાય છે. BBB2, BBB3,, એવા પણ રેટિંગ થાય છે. તાજેતરમાં મૂડી દ્વારા ભારતનું રેટિંગ BBB3 થી સુધરીને BBB2 થયું છે. અત્યાર સુધી જુમલાબાજીમાં રમમાણ આ દેશ માટે આટલી ય સારી વાત ક્યાંથી !
પણ આપણી ખુશીના અર્થ, સંદર્ભ અને મર્મને પારખવા રહ્યા. આ માટે આપણે થોડાક અન્ય દેશોનાં રેટિંગ ઉપર પણ નજર નાંખીએ; રેટિંગ આ પ્રમાણે છેઃ
દેશ રેટિંગ રેટિંગની તારીખ
આયર્લૅન્ડ A+ ૫-૬-૨૦૧૫
ઇટાલી BBB ૨૭-૧૦-૨૦૧૭
ગ્રીસ B– ૨૨-૧-૨૦૧૬
પોર્ટુગલ BBB– ૨૭-૯-૨૦૧૭
સ્પેન BBB+ ૩૧-૩-૨૦૧૭
આ પાંચેય યુરોપીય દેશો ભારે દેવાદાર હતા અને હજુ તેમની હાલત ખાસ સુધરી નથી. આમ છતાં તેમાં કરાતું ધિરાણ ખાસ જોખમી નથી, એવું એસ ઍન્ડ પી કહે છે. આ પદ્ધતિ પોતે જ ખરેખર કેટલી દુરસ્ત છે અને ધિરાણ કરનારાની મૂડીની સલામતી બાબતે ખરેખર કેટલી ખાતરી આપી શકે છે, તે એક અવઢવનો મુદ્દો તો બને જ છે.
આ એસ ઍન્ડ પીએ ગયે સપ્ટેમ્બરે ભારતનું પણ રેટિંગ કરેલું. તેમાં આપણો આંક ખાસ સારો નહીં અને તેથી આર્થિક સલાહકાર શ્રી અરવિંદ સુબ્રમણ્યમને ભારે માઠું લાગી ગયેલું. ક્વાટ્ર્ઝ નામની સમાચારસંસ્થા એમ પણ માને છે કે સરકારશ્રીએ તે સમયે આપણું રેટિંગ સુધરાવવા (નાપાસ વિદ્યાર્થી પોતાના માર્ક્સ સુધારવા મથે તેમ જ ને ?) થોડુંક લોબીંગ પણ કરેલું ! તે સમયે ભારતને BBB – અને ચીનને AA – મળેલું. આપણી દલીલ એવી હતી કે ચીનનું અર્થતંત્ર ઢીલું પડ્યું અને અમે હરણફાળ ભરી, છતાં આમ કેમ ?
આવી રેટિંગ એજન્સી ખરેખર શ્રદ્ધેય ખરી કે કેમ, તે પ્રશ્ન ઊભો થાય જ. પોલ ક્રુગમેન નામના અર્થશાસ્ત્રી કહે છે, ‘… It is hard to think of anyone less qualified to pass judgement on America.’ ક્રુગમેને આવું કહ્યું, કારણ કે આમાં તેણે અમેરિકાનું ક્રૅડિટ રેટિંગ ઘટાડ્યું. જેથી અમેરિકાને લગભગ બે ટ્રિલિયન ડૉલરનું નુકસાન થયું.
ક્રૅડિટરેટિંગના કારણે લાભ કે નુકસાન શા માટે થાય છે અને તેની અર્થતંત્ર ઉપર કેવી અસર પડે છે, તે પણ વિચારવાનો મુદ્દો બને છે.
જેમ વ્યક્તિની શાખપાત્રતા ચકાસીને ધિરાણ કરાય તે રીતે દેશોની શાખપાત્રતા પણ ચકાસાય છે. જે દેશની શાખપાત્રતા ઊંચી હોય તેને આખા જગતમાંથી ઓછા વ્યાજે જરૂરી ધિરાણ મળી રહેતું હોય છે. શાખ પાત્રતા જેમ નીચી તેમ વ્યાજનો દર ઊંચો અને ધિરાણ પણ ઓછું મળે. અમેરિકાની શાખપાત્રતા નીચી જવાથી તેને બે ટ્રિલિયન ડૉલરની નુકસાનની જે બાબત બની તે આ કારણે.
શાખપાત્રતા વધવાથી હંમેશાં સારાં પરિણામો જ આવે તેવું પણ નથી. ભારતની શાખાપાત્રતા વધી, તેથી ભારતમાં આવનારી વિદેશી મૂડીનું પ્રમાણ વધવાનું. આમ ડૉલરનો પુરવઠો વધે તેથી રૂપિયો મોંઘો બને. આ કારણે ભારતની નિકાસો ઘટી જાય. બીજી તરફ ભારત માટે ક્રૂડઑઇલ, શસ્ત્રસરંજામ, ક્યારેક અનાજ, ખાદ્યતેલ વગેરેની આયાતો પણ અનિવાર્ય હોય છે. આમ, રૂપિયો મજબૂત થતાં નિકાસો ઘટે પણ આયાતો ઘટે નહીં તો લેણદેણની તુલામાં ખાધ ઊભી થાય. આ ખાધ પૂરવા માટે વિદેશી દેવું કરવું પડે. આમ, આપણા રેટિંગને સુધારવાથી આપણે બહુ લાભ મેળવી લઈશું તેવું નથી. ખરેખર તો ચીન પોતાના ચલણનું જાણીજોઈને અવમૂલ્યન કરી રાખે છે, જેથી તેનો સામાન વિશ્વભરમાં સસ્તામાં વેચાય. આ નીતિના ફલસ્વરૂપે ચીનમાં ઊંચી રોજગારી અને ઊંચા વૃદ્ધિદર જોવા મળે છે. આની સામે એક અહેવાલ એવા પણ છે કે ભારતે પોતાનું રેટિંગ સુધારવા વાસ્તે વૉશિંગ્ટનમાં લોબિંગ કર્યું છે. (વિગતો મટે જુઓ : http://www.counterview.net/2017/11/improved-ratings-modis-top-gujarat.html#more … ). જો ખરેખર આવું થયું હોય, તો તેથી માત્ર જુમલાબાજીનું સાતત્ય જ જળવાશે.
આર્થિક સમૃદ્ધિ વાસ્તે ખરેખર તો દેશમાં આર્થિક શિસ્તના પાલનથી તથા લોકાભિમુખ વહીવટની જરૂર હોય છે. રેટિંગની પ્રક્રિયા સમજનારા લોકો સલાહ આપે છે કે આવા આંકડાને સાધ્ય ગણવાને બદલે જરૂરી આર્થિક સુધારા અને શિસ્તનું પાલન કરવું જોઈએ. ભારતનો દેવા : જી.ડી.પી. ગુણોત્તર હાલમાં ૬૮ ટકા છે, જ્યારે ચીનનો માત્ર ૪૩ છે. જો આ ગુણોત્તરમાં સુધારો થાય તો મૂડી, એસ. ઍન્ડ પી કે ફિન્ચ સઘળાનાં રેટિંગ આપોઆપ જ સુધરે !
બીજી તરફ આ રેટિંગમાં સુધારા માટે આર્થિક સુધારાને વેગ આપવાની જરૂર છે તેમ કહેવાય છે. કેરોસીન અને ખાતર ઉપરની સબસિડી નાબૂદ કરવી, રેલવે, સંરક્ષણ વીમાક્ષેત્ર વગેરેમાં પ્રત્યક્ષ મૂડીરોકાણ વધારવું, છૂટક વેપાર પણ ખુલ્લો મૂકવો વગેરે ‘સુધારા’ દાખલ કરવાની જરૂર છે. ખેડૂતોની જમીનોનું ઉદ્યોગો માટે સંપાદન, ટેકાના ભાવોની નાબૂદી વગેરે પણ આવા ‘સુધારા’ છે.
ભારતનાં રાજકારણ અને સમાજકારણ ઉપર આવાં પગલાંના અતિ ગંભીર પ્રત્યાઘાતો આવી શકે તેમ છે અને તેથી સરકાર આવા ‘સુધારા’ કરી શકતી નથી.
ઉપરના પૈકી થોડાક જ સુધારા સરકાર કરી શકે છે અને છતાં તેનું રેટિંગ સુધર્યું છે તે બાબતે – પેલા લોબિંગ બાબતે શંકા તો જન્મવાની જ!
૨. ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસ :
સરકારે ભારતમાં વેપાર-ધંધા કરવાનું ઘણું સરળ બનાવી દીધું છે અને આ પણ એક મોટી સિદ્ધિ છે, તેવું દાખવવા પ્રયાસ થયો છે. આ મુદ્દે પણ થોડીક વિચારણા કરીએ.
(ક) એમ કહેવાયું કે ભારત દુનિયાના ૧૮૦ દેશોમાં છેક ૧૩૦મું સ્થાન ધરાવતું હતું અને હવે ૩૦ પગલાં કૂદીને સોમા સ્થાને આવ્યું છે. સામાન્ય તર્ક પણ કહેશે કે સ્થાનનો ફેરફાર ક્યારેક અન્યોની અધોગતિને આધારે પણ થઈ શકે. વળી, કોઈ પણ સ્થાનક્રમ એકસમાન હોઈ ન શકે. ૨૦૧૩માં ભારતનું સ્થાન ૧૩૨મું હતું જ. છતાં વધુ સ્પષ્ટ થવા વાસ્તે કેટલાક આંકડા જોઈએ :
દેશ વર્ષો અને સ્થાનક્રમ
૨૦૧૪ ૨૦૧૫ ૨૦૧૬ ૨૦૧૭ ૨૦૧૮
કૅનેડા ૧૯ ૧૩ ૧૪ ૨૨ ૧૮
જર્મની ૨૧ ૧૪ ૧૫ ૧૭ ૨૦
ભારત ૧૩૪ ૧૪૨ ૧૩૦ ૧૩૦ ૧૦૦
આમ, સ્થાન હંમેશાં ઊર્ધ્વગામી જ હોય અથવા સ્થિર જ રહે તેવું નથી. ભારત ૨૦૧૩માં ૧૩૨મા ક્રમે હતું જ.
ધંધારોજગારની સરળતા કોઈ મહાનતા સૂચવે છે તેવું પણ નથી. ૨૦૧૭-૧૮ના વર્ષમાં જ, આપણાથી આગળ અને પાછળ કેવા દેશો છે તેની, નમૂનાદાખલ વિગતો જોવાથી આ બાબત ચોખ્ખી થશે.
દેશ ક્રમાંક દેશ ક્રમાંક
ન્યુઝીલૅન્ડ ૧ ચીન ૭૮
સિંગાપુર ૨ ભારત ૧૦૦
યુ.એસ. ૬ નિકારાગુઆ ૧૩૧
રશિયા ૩૫ સોમાલિયા ૧૯૦
આ વિગતો આપણે કઈ કંપનીમાં ઊભા છીએ તેની થોડીક ઝલક આપે છે. પણ આપણે આ ‘સિદ્ધિ’ મેળવી કયા કારણે તે પણ જાણી-સમજી લઈએ. ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસ એક આંકડાકીય રચના છે. તેના આધાર રૂપે પ્રત્યેક દેશમાંથી વિગતો એકઠી કરાય છે. આ માપદંડોમાં પ્રગતિ થાય તો તેના ફલસ્વરૂપે જે આંક નીપજે, તે આ સૂચકાંક છે. વિવિધ દેશો વચ્ચે તેની સમસામયિક તુલના કરવાથી વૈશ્વિક મૂડીપ્રવાહે કઈ બાજુ વળવું તેનો અંદાજ આવે છે. આમ, સૂચકાંક જેમ નીચો તેમ મૂડીરોકાણ માટે આકર્ષણ વધુ. આ દસ પરિણામો અને તેમાં ભારતની ‘પ્રગતિ’ની વિગતો નીચે પ્રમાણે છે.
પરિણામ ૨૦૧૭ ૨૦૧૮
૧. વેપારનું સ્થાપન ૧૫૫ ૧૫૬
૨. બાંધકામની કામગીરીમાં સરળતા ૧૮૫ ૧૮૧
૩. વીજજોડાણ મેળવવું ૨૬ ૨૯
૪. નોંધણીની સરળતા ૧૩૮ ૧૫૪
૫. ધિરાણ મેળવવું ૪૪ ૨૯
૬. લઘુમતી(શૅરહૉલ્ડર્સ)નાં ૧૩ ૪
હિતોની જાળવણી
૭. કરવેરાની ચુકવણી ૧૭૨ ૧૧૯
૮. દેશની સીમા પારનો વેપાર ૧૪૩ ૧૪૬
૯. કરાર પ્રમાણે જ કામ લેવાની શક્યતા ૧૭૨ ૧૬૪
૧૦. નાદારીનો નિકાલ ૧૫૬ ૧૦૩
કુલ ૧૩૦ ૧૦૦
ઉપર નોંધેલાં પરિમાણો પૈકી નાદારીની પ્રક્રિયામાં સરળતા, ધિરાણ મેળવવામાં સરળતા, કરવેરા ચૂકવવામાં સરળતા તથા લઘુમતી શૅરહૉલ્ડર્સનાં હિતોની જાળવણી જેવા ચાર મુદ્દામાં, અગાઉના મુકાબલે વધુ સુધારો જણાયો છે. આ કોઈ બહુ મોટા સુધારા નથી; વેપારનું સ્થાપન, નોંધણી તથા સીમા પારના વેપારની બાબતમાં પણ વેપારધંધામાં વહીવટી ક્ષમતા દાખવવાનો પૂરતો અવકાશ છે.
દેશ માટે આવા સૂચકાંકો કરતાં વધુ મહત્ત્વનું બીજું ઘણું છે. ગોરખપુર અને અમદાવાદની સિવિલ હૉસ્પિટલોમાં ઓછાં શિશુમૃત્યુ થાય, દેશભરમાંથી ભૂખમરો અને કુપોષણ નાબૂદ થાય, ધોરણસરનાં વેતન કે પગારોએ કમદારોને પૂરતી રોજી મળે, મોંઘવારી કાબૂમાં રહે, ભ્રષ્ટાચાર ખરેખર ઘટે – આ બધું વધુ જરૂરી છે. મૂડીઝ કે ઈઝ ઑફ ડુઇંગ બિઝનેસ પોતે કોઈ સાધ્ય હોઈ જ ન શકે. તેના ફલસ્વરૂપે માનવવિકાસના સૂચકાંકમાં વધારો થવો જોઈએ, સાચી કસોટી એ જ ગણાય.
E-mail : shuklaswayam345@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2017; પૃ. 03-04