બાબરી મસ્જિદમાં રામલલ્લા ‘પ્રગટ્યા’ ત્યારે વલ્લભભાઈએ મુખ્યમંત્રી પંતને એ જગ્યા તાળાબંધ રાખવા કહ્યું હતું
ચૂંટણી-ચર્ચાની શરૂઆત, આમ તો, રાહુલ ગાંધીના સોમનાથ વિવાદથી કરી શકાય – જો કે, ટ્રસ્ટી પ્રવીણ લહેરીએ વી.વી.આઈ.પી. મુલાકાત બાબત કર્મચારીનોંધની રીતે આખી ઘટનાને એક ‘મૂરખાઈભરી ભૂલ’ તરીકે દાખલાદલીલ સર સમજાવી આપી છે, અને ભાજપ પ્રવક્તા સંબિત પાત્રા સ્ટાઇલ દેકારા તળેથી પાટિયું ખેંચી લીધું છે. છતાં, થાય છે કે, આખા ઘટનાક્રમમાં (ખરું જોતાં જો કે ચેનલ ચીપિયા ખખડાટમાં) જે બધા બખાળા વચ્ચે પણ વિચારમુદ્દા અનાયાસ સામે આવ્યા એની વિશેષ ચર્ચા શીદ ન કરવી. પણ તે ઘડી રહીને.
હમણાં તો કૉંગ્રેસે, ભલે આઉટસોર્સ્ડ વાજીકરણના હાલના તબક્કામાં, ઘણે વખતે એક હુંશિયારીનું કામ કીધું છે એને વિશે એ કદરબોલ લાજિમ છે. ઉના ઘટના સાથે સશક્ત દલિત અવાજ લેખે ઉભરેલા – અને પીડિતશોષિતવંચિત સૌને આવરી શકતી વ્યાપક વ્યાખ્યામાં રમેલા-જિજ્ઞેશ મેવાણીની તરફેણમાં એણે પોતાની સરળજીત બેઠક ખાલી કરી આપી; અને તે પણ અલાયદા ચૂંટણી પ્રતીક સાથેની અપક્ષ ઉમેદવારીને બહાલ રાખીને! આ એક ચોક્કસ જ મોટી વાત છે, અને સીમાન્ત તબક્કાના નરવાનક્કુર અવાજોને (જેમાં નાગરિક કર્મશીલ બૌદ્ધિક પણ હોઈ શકે, એમને, સમાદરપૂર્વક સાથે રાખવામાં લોકતંત્રની જે શ્રી અને પરિવર્તનની જે સુષમા-સંભાવના છે એનો રચનાત્મક કસ કાઢવાની એમાં ખાસી સુવિધા પણ છે. 2009માં ગાંધીનગર બેઠક પર લાલકૃષ્ણ અડવાણી સામે મલ્લિકા સારાભાઈની અપક્ષ ઉમેદવારી અંગે કૉંગ્રેસ આમ કેમ નહીં વિચારી શકી હોય? પૂર્વે 1971માં ઇંદિરા ગાંધીએ આપેલી મધ્યસત્ર ચૂંટણીમાં ઈન્દુલાલ યાજ્ઞિકની અપક્ષ ઉમેદવારીને કૉંગ્રેસનું સમર્થન મળ્યું જ હતું ને. એમાં કૉંગ્રેસનું ચિહ્ન પણ વાપરી શકાયું હતું. એથી ઊલટું જિજ્ઞેશના કિસ્સામાં તો અલાયદા ચૂંટણીચિહ્ન લગીની છૂટ અપાઈ છે.
એક અર્થમાં, કન્હૈયાકુમાર પછી દેશભરમાં ઉભરેલું યુવા નામ જિજ્ઞેશનું છે. તમે જુઓ કે સોશિયલ મીડિયામાં જિજ્ઞેશે સહયોગ માટે અપીલ મૂકી ત્યારે મળી રહેલા આર્થિક ટેકામાં અરુંધતી રોય અને નિવેદિતા મેનન તરફથી પહેલકારી કુમક રહી છે. આજકાલ જેને ‘ક્રાઉઝ ફંડિંગ’ કહે છે એમાં બીજાઓ પણ બેલાશક છે જ. અરુંધતી અને નિવેદિતા, પ્રકરાન્તરે, જિજ્ઞેશની જોડે જે નાગરિક સમાજ કર્મશીલોનું સહજ સંધાન હોઈ શકે છે એનુંયે ઉદાહરણ છે.
વસ્તુત: કૉંગ્રેસે આ કદમ ભરીને 2002માં જે સર્જનાત્મક શક્યતા તે પોતે પ્રીછી શકી નહોતી એના પ્રાયશ્ચિત (આ કદાચ બહુ મોટો શબ્દ છે, પુનર્વિચાર પણ કહી શકીએ) રૂપ પા પા પગલી ભરી છે. 2002માં નાગરિક કર્મશીલોએ લોકસંઘર્ષ સમિતિ રચી ભાજપના કોમી રાજકારણ સામે પ્રજાના મોરચાની એક કોશિશ કરી હતી પણ 1975માં સંસ્થા કૉંગ્રેસ અને બીજા જે નમનીયતા દાખવી શક્યતા હતા તેવી કોઈ કદરબૂજ કે તૈયારી ઇંદિરા કૉંગ્રેસની નહોતી – અને નાગરિક કર્મશીલ મંડળીએ પણ, 1975થી વિપરીત કૉંગ્રેસના બ્લેન્કેટ સમર્થન જેવું વલણ બહુધા લીધું હતું.
ગમે તેમ પણ, વડગામ મતવિસ્તાર સંદર્ભે અપવાદરૂપ નિર્ણય કરીને કૉંગ્રેસે વાજીકરણ વચ્ચે પણ વિવેક જાળવી જાણ્યો હોય તો તેટલા પૂરતી દાદ જરૂર આપીએ. પણ આગળ ચાલતાં જોવાનું રહેશે કે આમાં વખાનું માર્યું કેટલું છે, અને વિવેકવશ કેટલું છે.
આવો જ એક સવાલ આજકાલ કૉંગ્રેસે જે ‘સોફ્ટ હિંદુત્વ’ અપનાવ્યું કહેવાય છે એનો પણ છે. રાહુલ ગાંધી, મારાં દાદી શિવભક્ત હતાં તેમ કહે કે કૉંગ્રેસ પ્રવક્તા રાહુલ જનોઈધારી બ્રાહ્મણ છે એમ કહે તે તો જાણે કે ઠીક છે, પણ પાયાનો મુદ્દો રાહુલ ગાંધીએ જે એમ કહ્યું કે અમે ‘ધર્મની દલાલી’માં નથી માનતા એ છે. કોમવાદની દૃષ્ટિએ સિન્સ ઑફ ઓમિશન્સ ઍન્ડ કમિશન્સ આપણા રાજકારણમાં જોવા મળે છે,
અને કૉંગ્રેસ એમાં નિતાન્ત અપવાદરૂપ નથી. પણ ભાજપનો કિસ્સો તો પૂરા કદની વિચારધારાને દરજ્જો આપવાનો છે, ઓમિશન-કમિશન પણ પૂરતાં ટીકાપાત્ર છે, પણ અહીં તો પૂરા કદની વિચારધારાનો સ્વીકાર-પુરસ્કાર છે. અનામતની નવી ફોર્મ્યૂલાપૂર્વક હાર્દિકને સાથે લઈ શકેલા કપિલ સિબ્બલનું વજૂદ હજુ આપણે જોવાનું રહે છે, પણ સોમનાથ વિવાદમાં એમણે એક વાત માર્કાની કહી છે કે રાહુલ સાચા હિંદુ છે, જ્યારે મોદી હિંદુ નથી, એ તો ‘હિંદુત્વ’વાળા છે.
આપણે રાહુલ-નમો વિશે કોઈ હિંદુ અને કોણ નહીં એ ચર્ચામાં ખડી નહીં પડતાં આ તબક્કે માત્ર એટલું જ અંકે કરવું બસ થશે કે હિંદુ ધર્મ એક વાત છે, અને હિંદુત્વ એ તો બીજી વાત છે – રાજકીય વિચારધારા છે. વસ્તુત: કૉંગ્રેસ એના અસલના નૂર ભણી (ત્યારે પણ જો કે અપૂરતું હતું) પાછા ફરવાંપણું છે. રાત્રિના અંધકારમાં બાબરી મસ્જિદમાં રામલલ્લા ‘પ્રગટ્યા’ ત્યારે વલ્લભભાઈએ મુખ્યમંત્રી પંતને એ જગ્યા તાળાબંધ રાખવાની સૂચના આપી હતી.
એમના આ વહીવટી ડહાપણને સંવાદી રીતે આગળ જતી ભૂમિકા જિલ્લા કૉંગ્રેસના અગ્રણી અક્ષય બ્રહ્મચારીની હતી. એમણે આ સ્થળે પૂજાપાઠની કોશિશ સામે આંદોલનનું વલણ દાખવ્યું હતું; અને ‘સમૂળી ક્રાંતિ’ખ્યાત મશરૂવાળાએ (જેમણે ગાંધીજી પછી હરિજન પત્રોનો હવાલો સંભાળ્યો હતો, એમણે) અક્ષય બ્રહ્મચારીના સમર્થનમાં પ્રગટપણે લખ્યું હતું. તેમ કરતાં એમણે કૉંગ્રેસની કમજોરી બાબતે ટીકા કરતાં સંકોચ નહોતો કર્યો.
જો કે, આ ચર્ચા નીકળી જ છે ત્યારે સમજી લેવું જોઈએ કે આપણે સૌ જન્મથી શુદ્ર જ છીએ. સામંતી જીર્ણમતથી હટીને અને ઊંચે ઊઠીને પ્રજાસત્તાક સ્વરાજ લાયક દ્વિજ બનવાનું તો કેટલા મોટા પ્રમાણમાં બાકી છે, ન જાણે! 2017ની ચૂંટણીમાં 2002ના ગોધરા-અનુગોધરા પછી જે એક સિલસિલો જારી રહ્યો, કથિત ગૌરવયાત્રા પ્રકારનો, એની સામે દેખીતી રીતે જ સિધ્ધરાજ-હેમચંદ્ર વહેમમાં હાથી પરની બંધારણયાત્રા ખાલી ખાલી ખખડતી હતી.
તમે જુઓ કે નવયુગને યોગ્ય ‘કાયદાનું શાસન’ એ આપણી ચર્ચાનો મુદ્દો જ નથી. 2002ના ઘટનાક્રમે, સેક્યુલર કે દંભી સેક્યુલર એવી ભળતીસળતી ચર્ચાના કળણમાં ખૂંપ્યા વગર, તપાસીએ તો એમાં કાયદાનું શાસન નથી તે નથી. શાસન કાં તો નિ:શાસન કે પછી દુ:શાસન છે તે છે. પણ આ ચર્ચા કોણ કરે? કૉંગ્રેસ ‘સૉફ્ટ હિંદુત્વ’માં સલામતી શોધે એટલે એને ધાસ્તી રહે છે નમો સ્પિન મત્ત મહાલશે. – અને ન તો મતદાન પૂરતો દ્વિજ થયો છે, ન તો મત માગનારાઓને એ દૃષ્ટિએ લોકશિક્ષણની કોઈ પ્રાથમિકતા પકડાઈ છે.
માનો કે 2017નો ટપ્પો તો આ મામલામાં આપણે ચુકાવી કે ટપી જઈએ, પણ 2019 પહેલાં એ પડકાર તો નાગરિક છેડેથી ઝીલવો જ રહે. વચલાં વરસોમાં જે ન સમજાઈ, ન સમજાવી શકાઈ / જેમાં જવું કેટલાકને કદાચ સહાલભર્યું નયે લાગ્યું; એ વાત હવે તો ચૂંટણી અને પરિણામ બેઉથી નિરપેક્ષપણે ચાલવી જ જોઈએ ને.
પણ તમે અને હું નકરા જનોઈધારી મતદાર મટીને પૂરા દ્વિજ નાગરિક બનવા માગીએ તો વાત બને.
સૌજન્ય : ‘શાણપણ’, “દિવ્ય ભાસ્કર”, 02 ડિસેમ્બર 2017