ગુજરાતીમાં ઉમાશંકર જોશી વિશેનાં લખાણોનો ખડકલો છે. પણ એમાંનાં પુસ્તકોમાંથી વીણીને ય ભાગ્યે જ મળે એવી વાચનસામગ્રી उमाशंकर जोशीनी विचारयात्रा નામના લેખ-સંગ્રહમાંથી મળે છે.
ઉમાશંકર માત્ર કવિ ન હતા. તેઓ જે દેશ, જે સમાજનો હિસ્સો હતા તેના રાજકારણ સહિતના જાહેર જીવન સાથે અભિન્ન રીતે સંકળાયેલા રહેનારા, તે જીવનને કલાત્મક રીતે પોતાના સાહિત્યમાં ઝીલનારા કવિ હતા.
આ દૃષ્ટિકોણનો ઉમાશંકરના appreciation અને સમગ્રતયા મૂલ્યાંકનમાં અરધી સદી સુધી એકંદર અભાવ હતો. એટલે उमाशंकर जोशीनी विचारयात्रा ગુજરાતીમાં ઉમાશંકર જોશીને ‘જાહેર જીવનના કવિ’ તરીકે પ્રતિતીજનક રીતે સ્થાપિત કરતું પહેલું પુસ્તક છે.
તેનું સંપાદન દલિત વિષયના અભ્યાસી ચંદુ મહેરિયા, કર્મશીલ મનીષી જાની અને ઉમાશંકરના વિદ્વાન પુત્રી સ્વાતિ જોશીએ કર્યું છે. ઑક્ટોબર 2011માં ગૂર્જર પ્રકાશને પ્રસિદ્ધ કરેલાં ત્રણસો પાનાંના સંચયના મુખપૃષ્ઠ પર મોટા ચિત્રકાર ભૂપેન ખખ્ખરે દોરેલું ઉમાશંકરનું રેખાચિત્ર છે, જે પણ વિશિષ્ટ છે. લેખકવૃંદમાં મુખ્ય ધારાના સાહિત્યકારો ઓછા છે. અહીં કેટલાંક કર્મશીલો અને જાહેર જીવનના બૌદ્ધિકો(public intellectuals)એ પણ ઉમાશંકરની મહત્તા પોતાની રીતે વર્ણવી છે.
પુસ્તકનો પહેલો જ સાઠેક પાનાંનો લેખ ‘ઉમાશંકર જોશીની જીવનયાત્રા’ સ્વાતિ જોશીએ લખેલો છે. એમાંની માહિતી અને તેના ઉમાશંકરના ઘડતર-સર્જન-વ્યક્તિત્વ સાથેના સંબંધનું અહીં જે રીતે નિરુપણ થયું છે તે અન્યત્ર ભાગ્યે જ વાંચવા મળે છે.
સ્વાતિબહેન ઉમાશંકરના જીવનનો વિશાળ પટ તેની અનેક ઘટનાઓ, કવિના આંતરિક તેમ જ બાહ્ય સંઘર્ષો, તેમના વિચારોની ગહનતા અને સામાજિક નિસબત આપણી સામે સરસ રીતે ઊઘાડી આપે છે. તેમનું લખાણ સાદું છતાં પ્રાસાદિક,વાગ્મિતા કે શબ્દાળુતા વિનાનું અને સંકીર્ણ મુદ્દાઓને બિલકુલ સ્પષ્ટ રીતે મૂકી આપનારું છે.
આ લેખમાં ઘણી વિશિષ્ટ વિગતો છે. તેમાંથી ચાર દાખલા : (1) મીઠાના સત્યાગ્રહના ભાગરૂપે એપ્રિલ 1930માં વીરમગામ નજીક ખારાઘોડામાં ઉમાશંકર અને બીજાઓએ મીઠું લીધું. ઘોડેસવાર પોલીસ તેમની પાછળ પડી. એમની પર લાઠીચાર્જ થયો જેના ચિહ્નો ઉમાશંકરના શરીર પર છેક સુધી હતાં. (2) જ્ઞાતિપ્રથાના વિરોધમાં ઉમાશંકરે જનોઈનો ત્યાગ કર્યો હતો. (3) 1981ના અનામત વિરોધી આંદોલન દરમિયાન એક દિવસ ઉમાશંકર ઘવાયેલા દલિતોને મળવા વાડીલાલ સારાભાઈ હૉસ્પિટલ ગયા હતા. ત્યારે કેટલાક અનામત વિરોધીઓએ તેમને હડફેટમાં લીધા, એમનો ઝભ્ભો ફાડી નાખ્યો અને એમના નાકમાથી લોહી નીકળ્યું હતું. (4) ઉમાશંકરે 1956માં પદ્મશ્રી અને 1972માં પદ્મવિભૂષણ સન્માન સ્વીકાર્યાં ન હતાં.
સ્વાતિ જોશીનો આ લેખ એક અલગ પુસ્તક તરીકે લોકો સુધી પહોંચાડવા જેવો છે. તે વાંચતાં ઉમાશંકર વિશેની જાણકારી મેળવીને અને તેમની મહત્તા વિશે જાણીને તૃપ્ત થઈ જવાય છે.
આ પુસ્તકના મોટા ભાગના લેખોમાંથી દરેકમાં એક એવો દૃષ્ટિકોણ છે કે જેના સંદર્ભે ઉમાશંકરના જીવનકવનનું અત્યાર સુધી જવલ્લે જ વિશદ નિરુપણ થયું હોય, અથવા બિલકુલ ન થયું હોય. લેખકોનાં નામ સાથે લેખોના મથાળાની યાદી પણ આ પુસ્તકની આવશ્યકતા અને અનન્યતાનો ખ્યાલ આવે છે.
પુસ્તકનો અનુક્રમ આ મુજબ છે : વીસમી સદીની શરૂઆતમાં ઉત્તર ગુજરાતનાં ગામડાંઓની સામાજિક સ્થિતિ (લેખક : પ્રાગજીભાઈ ભામ્ભી), ભારતનો સ્વાતંત્ર્યસંગ્રામ અને ઉમાશંકર જોશીનું બૌદ્ધિક ઘડતર (હેમન્ત દવે), પ્રગતિશીલ સાહિત્ય આંદોલન અને ઉમાશંકર (ભરત મહેતા), ઉમાશંકરભાઈ એક સાંગોપાંગ કેળવણીકાર (રોહિત શુક્લ), ઉમાશંકર જોશી – પ્રાધ્યાપક છતાં વિચારક અને લડવૈયા (ગિરીશ પટેલ), ઉમાશંકર જોશી : કુછ યાદેં (વારીસ અલવી), યુવાન ઉમાશંકર અને યુવાનો સાથે ઉમાશંકર (મનીષી જાની), ઉમાશંકર કટોકટી મોઝાર (પ્રકાશ ન. શાહ), સત્તાકીય રાજકારણ સામેનો સાતત્યપૂર્ણ અવાજ (ઉર્વીશ કોઠારી), ઉમાશંકર જોશી અને સ્સામાજિક ન્યાય : ‘મથામણોની ન મણા હજો મને’ (ચંદુ મહેરિયા), અકાદમીઓની સ્વયત્તતાને મુદ્દે ઉમાશંકરનો ‘સમયરંગ’ આપણને અડશે? (ડંકેશ ઓઝા), ઉમાશંકર અને સર્વોદય (નારાયણ દેસાઈ), પ્રતિ
બદ્ધ બૌદ્ધિક ઉમાશંકર જોશી (ઘનશ્યામ શાહ), ઉમાશંકર – અમદાવાદનું અરધી સદીનું સાંસ્કૃતિક જીવન અને એમાં એમની ભૂમિકા (અચ્યુત યાજ્ઞિક), મૂર્તિ જે અમિતા (હિમાંશી શેલત), ‘સમયરંગ’ના કવિ : ઉમાશંકર જોશીની કવિતામાં સમસામયિકતા (સરૂપ ધ્રુવ), ઉમાશંકર જોશીની કવિતામાં કાવ્યચેતના અને યુગચેતનાનું અદ્વૈત (નિરંજન ભગત), Umashankar Joshi : the Shining Star of the Dark Midnight – Nisheeth (Indra Nath Chaudhuri), Umashankar Joshi and the Idea of Indian Literature (K. Satchidanandan), Remembering Umashankar Joshi (B.G.Verghese), अंधकारयुग और उमाशंकर (नामवर सिंह).
ગુજરાતી ભાષા-સાહિત્ય-સંસ્કૃતિના વીસમી સદીના અગત્યના ઘટક ઉમાશંકર જોશી પરના આવા વિચાર અને વિગત સમૃદ્ધ, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય જેવા પ્રતિષ્ઠિત પ્રકાશને પ્રસિદ્ધ કરેલાં પુસ્તક વિશેનો ભાગ્યે જ કોઈ લેખ ગયાં અગિયાર વર્ષમાં ગુજરાતીમાં આવ્યો છે. એ સૂચવે છે કે આપણું સાહિત્ય જગત સાહિત્ય અને જાહેર જીવન વચ્ચેના સંબંધની ભાગ્યે જ દરકાર કરે છે.
પ્રાપ્તિસ્થાન : ગુર્જર પ્રકાશનના પુસ્તક ભંડારો; ‘ગ્રંથવિહાર’ પુસ્તક ભંડાર, ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ. ફોન 079 -26587949; કિંમત રૂ. 225/-
21 જુલાઈ 2022
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર