મોબાઈલ, ટી.વી.ના અભાવમાં દક્ષિણ ભારતની નવમા ધોરણની વિદ્યાર્થિનીએ, ઓનલાઈન શિક્ષણ નહીં મેળવી શકે એવું લાગતા આત્મહત્યા કરી. આવી ઘટનાઓ વધતી જાય તેવી શક્યતાઓ છે.
બાળકોએ હવે ટી.વી., નેટ, મોબાઈલ સાથે જ જન્મવું જોઈએ એવી એપેક્ષા આપણાં તંત્રો રાખી રહ્યાં છે ને એ પોતે એવાં અતંત્રો પણ છે કે બધાં સાધન સંપન્ન છે એવું જ્ઞાન પાળીને ચાલે છે. તમામ પ્રકારનાં ઓનલાઈન શિક્ષણનાં પ્રયત્નો તાત્કાલિક અસરથી બંધ કરવા જોઈએ. પૂરતી વ્યવસ્થાના અભાવમાં આપણાં તંત્રો એકાએક પ્રયોગો કરવા તૈયાર તો થઈ જાય છે ને જે સાધનસંપન્ન નથી એમને લઘુતાનો અનુભવ કરાવે છે.
પૂરતાં સાધનો વગર અન્યને જોખમે થતા પ્રયોગો તઘલખી પરંપરાને જ જન્મ આપે છે. એક બાજુ ભણાવ્યા વગર, પરીક્ષા વગર પાસ કરવાની ઉતાવળ છે ને બીજી બાજુ રાતોરાત પંડિતો પેદા કરવાના હોય તેમ ઓનલાઈન ભણાવવાની ચળ ઊપડી છે. આ આયોજન વગરનું અન્યાયી કૃત્ય છે. અગાઉ ક્યારે ય નો'તી એવી અરાજકતાના સમયમાં આપણે અત્યારે જીવી રહ્યાં છીએ.
શીખવવું અને શીખવું વચ્ચે કોઈ સેતુ ઓનલાઈન શિક્ષણમાં જળવાતો નથી. શિક્ષણ પ્રત્યક્ષ થતું ન હોય તો તે શિક્ષણ જ નથી. ગુરુ અલગ છે ને વિદ્યાર્થી અલગ છે. એમાં ગુરુશિષ્ય પરંપરાનો જ છેદ ઊડે છે એવું નથી લાગતું? એકતરફી વ્યવહાર શિક્ષણમાં ન હોય. ઓનલાઈન શિક્ષણમાં એ જ છે એવું નહીં? કમ સે કમ ઓનલાઈન શિક્ષણ અત્યારે અટકવું જોઈએ એમ હું ગંભીરપણે માનું છું.
e.mail : ravindra21111946@gmail.com