ગાંધી 150 નિમિત્તે દુનિયા ભરમાં વિવિધ પ્રકારે એ વિશ્વાત્માનાં કાર્યો અને મૂલ્યોને ઉજાગર કરતા વિવિધ પ્રકારના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. 2019નું વર્ષ ગાંધીજીના પુરોગામી અને તેમના આચાર-વિચાર પર ઊંડો પ્રભાવ પાડનાર John Ruskinની 200મી જન્મજયંતીનું પણ વર્ષ છે. આજે એમને આપણાં શ્રદ્ધાસુમન અર્પીએ.
જ્હોન રસ્કિનનો 8 February 1819માં લંડનમાં જન્મ. રાણી વિક્ટોરિયાના સમકાલીન. વિક્ટોરિયન યુગના એક સમર્થ કળા વિવેચક, કલાના પુરસ્કર્તા, વોટર કલરનાં ચિત્રો કરનાર, દસ્તાવેજોના મુસદ્દા ઘડનારા તો તેઓ હતા જ, પણ તદુપરાંત એક જાગૃત સામાજિક વિચારક અને દાનેશ્વરી પણ હતા. એક લેખક તરીકે તેમની કલમે ભૂસ્તરશાસ્ત્ર, સ્થાપત્ય, દંતકથાઓ, પક્ષીવિદ્યા, સાહિત્ય, શિક્ષણ, વનસ્પતિ વિજ્ઞાન અને પોલિટિકલ ઈકોનોમીનાં ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે. વિષય ગમે તે હોય, જ્હોન રસ્કિનનાં તમામ લખાણોમાં પ્રકૃતિ, કલા અને સમાજ વચ્ચેના સેતુ ઉપર ખાસ મહત્ત્વ અપાયેલું જોઈ શકાય છે. આજે 21મી સદીમાં તેમના વિચારો અને મૂલ્યોને પર્યાવરણ, ટકાઉ વિકાસ અને કલાના સંદર્ભમાં વધુને વધુ ઉપયોગી ગણાવા લાગ્યા છે.
વર્ષો પહેલાંની વાત છે; એક સામાન્ય દિવસે રેલવે સ્ટેશન પર એક યુવાન ટ્રેનના ડબ્બામા બેઠેલા. તેના મિત્ર પ્લેટફોર્મ પર ઊભા છે. એન્જિનમાંથી ધુમાડા નીકળે છે, વ્હિસલ વાગી અને ટ્રેન ઉપડવાની તૈયારીમાં છે. મિત્રે પોતાના થેલામાંથી એક પુસ્તક કાઢ્યું અને ટ્રેનમાં બેઠેલી વ્યક્તિને મુસાફરી દરમ્યાન વાંચવા આપ્યું અને કહ્યું, “મને ખાતરી છે, તમને આ ગમશે।.” તે પછી જે બન્યું એ કઈંક અંશે માની ન શકાય તેવું છે.
ઘણા ભારતવાસીઓ અને વિદેશે વસતા ભારતીયો ગાંધીજીના ઉપરોક્ત જીવન પ્રસંગથી વાકેફ છે. એ પુસ્તક હતું, Unto This Last. લેખક: જ્હોન રસ્કિન. એ વાંચ્યા બાદ ગાંધીજીએ કહેલું, “એ પુસ્તકને હાથમાં લીધા પછી મૂકવું અસંભવ હતું. તેણે મને પકડી રાખ્યો. હું એ રાતે ઊંઘી ન શક્યો.” સામાન્ય રીતે કોઈ સાહસ કથા કે મર્ડર-મિસ્ટ્રીને ગુંથી લેતી નવલિકાઓ તમારી ઊંઘ હરામ કરે. પરંતુ ગાંધીજી પર આ પુસ્તકના વિચારોએ એવો જાદુ કર્યો કે તેમાં દર્શાવેલ આદર્શોનું પાલન કરવા તેઓ પ્રતિબદ્ધ થયા અને તેમના જીવનનો રૂખ બીજા જ દિવસથી બદલાયો. એ પુસ્તકમાં પ્રગટ કરાયેલ વિચારો એવા તે કેવા પ્રબળ અને અસરકારક હશે કે તેની તત્કાલ અસર થઇ અને તેમના વ્યવહારમાં તરત જ પરિવર્તન આવ્યું. ગાંધીજી કહે છે તેમ તેમના દિલમાં જે આદર્શો માટે પારાવાર શ્રદ્ધા હતી તેનું એમાં નિરૂપણ હતું જેને અમલમાં મૂકી શકાય તેવી પ્રતીતિ ગાંધીજીને થઇ.
કોનિસ્ટન – લેઈક ડિસ્ટ્રીકટ(યુનાઇટેડ કિંગ્ડમ)માં આવેલ જ્હોન રસ્કિનની મુલાકાત અમે અનેક વખત લીધી છે. પહેલી વખત ગયાં ત્યારે થોડો વખત ગામની શેરીઓમાં ઘુમવા છતાં એ સ્થળ મળ્યું નહીં એટલે એક બે રાહદારીઓને પૂછ્યું, ‘જ્હોન રસ્કિનનું મ્યુઝિયમ ક્યાં આવ્યું, જાણો છો?’ સામેથી પ્રશ્ન પુછાયો, “John who? No, sorry!” દિલગીરી તો અમને થઇ. પોતાના જ દેશના એક મહા કલા વિવેચક અને વિચારકનું મ્યુઝિયમ પોતાના જ ગામમાં અને તમે જાણો પણ નહીં? હશે, લગભગ દરેક મહાપુરુષની હાલત કમ સે કમ પોતાના દેશ બાંધવોએ તો આવી જ કે તેથી ય બદતર કરી છે, જેમ કે કેટલાકના તો જાન લેવાયા છે!
ઉપર ઉલ્લેખ કર્યો તેવી બહુમુખી પ્રતિભા ધરાવનાર જ્હોન રસ્કિનનું લેખન અને વક્તવ્ય તેમની કારકિર્દીનાં વર્ષો વીતવાની સાથે વધુને વધુ તત્કાલીન સામાજિક અને આર્થિક સમસ્યાઓ પર કેન્દ્રિત થવા લાગેલું. તેમના પ્રખ્યાત પુસ્તક Unto This Last(જે 1860માં હપ્તાવાર છપાયું અને 1862માં પુસ્તક રૂપે પ્રકાશિત થયું)ના પ્રકાશન બાદ લેખકની વિચારધારામાં નોંધપાત્ર બદલાવ જોવા મળે છે. તેમણે 1860માં કહેલું, “ મેં મારું કલાનું ક્ષેત્ર તજીને Unto This Last લખ્યું. … મારા જીવનનું એ મધ્યવર્તી કાર્ય.” રસ્કિને 1850ના અંત ભાગથી પોતાના વિચારો અને લેખન વગેરેની દિશા કલા વિવેચનથી બદલીને સામાજિક સમસ્યાઓ તરફ ફેરવી. રાણી વિક્ટોરિયાના સમયના પોલિટિકલ ઈકોનોમીના સિદ્ધાંતોના તેઓ ખૂબ કડક આલોચક રહ્યા. પ્રવચનો, પત્રો અને લેખો દ્વારા તેઓ તે સમયે આધુનિક ગણાતા ઔદ્યોગિક મૂડીવાદ અને તેના ટેકેદારો સમા સિદ્ધાન્તવાદીઓ તથા રાજકારણીઓને ખુલ્લામાં રદિયો આપતા. તેમને એ હકીકતનું ભાન થયેલું કે ઔદ્યોગિક ક્રાંતિને કારણે ઊભા થતા નવાં નવાં કારખાનાંઓ અને મિલોને કારણે જે ગંદકી, પ્રદૂષણ અને ગરીબી સર્જાય છે એનાથી દેશની સાચી મિલકત કે જે માનવ સંપત્તિ છે તેની કિંમત ઓછી અંકાય છે. આજે બે સદીઓ બાદ એ હકીકત સાચી પૂરવાર થઇ અને ઔદ્યોગિક ક્ષેત્રે વિકાસ કરી ચૂકેલા દેશો ભયંકર ગંદકી, ગરીબી અને પ્રદૂષણથી પીડાય છે. તેઓ દ્રઢપણે માનતા કે માનવ સમાજ અને પ્રાકૃતિક વાતાવરણની સમતુલા તૂટતી જાય છે, અને એ વિચારને કારણે તેમને આ પરિસ્થિતિને સુધારવા, સમાજનો ઉદ્ધાર કરવા અને પુનર્ર્ચના કરવા પ્રેરણા મળી.
રસ્કિને ઔદ્યોગીકરણના શ્રીગણેશ થયા ત્યારથી મૂડીવાદ પર સખત પ્રહાર કર્યા. સાથે સાથે પોલિટિકલ ઈકોનોમીના વ્યવહારિક સિદ્ધાંતોની મહત્તા પણ સ્પષ્ટ કરી. એ હકીકત બતાવે છે કે તેઓને ઔદ્યોગીકરણના ફાયદાઓનો પૂરેપૂરો અંદાજ હતો, પરંતુ ભવિષ્યમાં થનારી સામાજિક અને સાંસ્કૃતિક તથા પર્યાવરણ પરની બુરી અસરો પણ સ્પષ્ટ રીતે જોઈ શકેલા. અહીં જ્હોન રસ્કિનનું એક અવતરણ ટાંકુ: “જીવન સિવાય બીજી કોઈ સંપત્તિ નથી. પ્રેમ કરવાની, આનંદ અનુભવવાની અને અન્યને ચાહવાની તમામ શક્તિઓ સહિતની જિંદગી એ જ સાચી મૂડી છે. એ દેશ સહુથી વધુ સમૃદ્ધ છે જે પોતાના દેશમાં મોટી સંખ્યામાં ઉમદા અને સુખી માનવ બંધુઓનું પોષણ કરે છે. એ વ્યક્તિ સહુથી વધુ ધનવાન છે જે પોતાનું જીવન સુખેથી વિતાવવા માટેની તમામ કુશળતા સિદ્ધ કરી લીધા બાદ અન્યોને પણ પોતાની મિલકતના સદુપયોગ દ્વારા અને પોતાના અંગત જીવન મારફત મદદરૂપ થાય અને તેમના જીવનને હરિયાળું બનાવે.” John Ruskin, Unto This Last: Cook and Wedderburn, 17.105
જરા ફુરસદ કાઢીને ઉપલાં વાક્યો પર મનન કરીશું તો ખ્યાલ આવશે કે માનવ સમાજે એ વિચારોની અવહેલના કરી, પ્રેમ અને અન્યને ચાહવાની શક્તિ કેળવવાને બદલે માત્ર અને માત્ર ધન-નાણું કમાવા પાછળ દોટ મૂકી. શું મળ્યું બદલામાં? સંપત્તિ – પછી તે નાણાં, ફર્નિચર કે કલાના નમૂનાઓના રૂપમાં હોય-ના સંચય વિષે વાત કરતાં રસ્કિન કહે છે; તમે ક્યાં ય પણ જાઓ, કઇં પણ કરો, ઉત્પાદન કરતાં વસ્તુઓની જાળવણી માટે સક્રિય બનો. આજે તો માનવ જાત માત્ર જથ્થાબંધ ઉત્પાદન કરીને યેન કેન પ્રકારેણ વેચાણ કરવાની ધૂનમાં ડૂબી ગયો છે, પોતાની પાસેની સંપદાને જાળવવાની ક્યાં પડી છે? એમ માને છે કે મશીનો છે ને? બીજું બનાવી લઈશું. તે સમયે પણ રસ્કિનને દુનિયા વિનાશકારી આપત્તિનો સામનો કરી રહી છે અને ગેરવ્યવસ્થા ઊભી કરવાની અણી પર આવી ગયેલી લાગતી હતી. એટલે જ તો તેમણે લોકોને ચેતવેલા, પોતાને માટે રહેવા એક ખૂણો અને જીવન નિભાવવા થોડા લાકડાં મેળવી લીધાં એટલે એક બાજુ બેસીને કાંત્યા કરવાથી આસપાસનું જગત વ્યવસ્થિત નથી થઇ જતું. ભોંય તળિયા પરની વસ્તુઓને બરાબર ગોઠવી દો, કોઠારમાંના સડેલા દાણાનો નિકાલ કરો, પછી નિરાંતે બેસીને કાંતો, પણ ત્યાં સુધી નહીં જ. અહીં રસ્કિન એવું કહેવા મગતાં હોય તેમ લાગે કે પોતાની પેઢી માટે જરૂરી સ્રોતો મેળવી લીધા બાદ વસ્તુઓનું બેફામ ઉત્પાદન કરીને તેનો ઉપભોગ કરવો પર્યાપ્ત નથી, તેમ જ આવનારી પેઢી માટે કોઈ જોગવાઈ ન કરવી તે પણ યોગ્ય નથી.
એક પ્રાધ્યાપકની હેસિયતથી વર્ગખંડમાં વક્તવ્યો આપવા ઉપરાંત જ્હોન રસ્કિન એક અચ્છા જાહેર વક્તા પણ બન્યા. માન્ચેસ્ટરમાં આપેલ ભાષણો The Political Economy of Art શીર્ષક હેઠળ સંચિત થયા, જેમાં કલા કેવી રીતે હસ્તગત કરવી, તેનો ઉચિત સંચય અને ઉપયોગ કેવી રીતે કરવો તે વિષે વિગતવાર છણાવટ કરી છે. તે વખતે તેમણે એમ પણ કહ્યું કે ઇંગ્લેન્ડ ભૂલી ગયું છે કે સાચી મિલકત આપણામાં રહેલા સદ્ગુણો છે અને કલા એ કોઈ પણ દેશના સુંદર સ્વાસ્થ્યની પારાશીશી છે. એમનું કહેવું એમ હતું કે કલાના નમૂનાઓની કિંમત એટલી ઊંચી ન હોવી જોઈએ કે જનસામાન્ય તેનો ઉપભોગ ન કરી શકે; તેમ એટલી સસ્તી પણ ન હોવી જોઈએ કે તેમાં કોઈ ગુણવત્તા ન હોય જેથી માણસ તેને જોઈને થોડા જ સમયમાં કંટાળી જાય અને ફેંકી દે. તેઓ આજના use and throwના વલણ વિષે લગભગ દોઢસો વર્ષ પહેલાં વિચાર કરી ચુક્યા હતા એ સ્પષ્ટ છે. એ ઉપરાંત રસ્કિનને પર્યાવરણની સુરક્ષા માટે પણ નિસ્બત હતી. આથી જ તેઓએ કહેલું, “જ્યારે પણ હું ઇંગ્લેન્ડ કે વિદેશમાં સફર કરું છું ત્યારે નોંધ લઉં છું કે જ્યાં જ્યાં માનવી જાય છે ત્યાં એ પ્રકૃતિની સુંદરતાનો નાશ કરે છે.” (John Ruskin, Modern Painters V (1860): Ruskin, Cook and Wedderburn, 7.422–423.) અહીં માનવીની ઉપભોક્તા પ્રધાન જીવન પદ્ધતિના બૂરાં પરિણામોનો નિર્દેશ જોવા મળે છે જે હાલની સ્થિતિમાં વધુ ને વધુ પ્રત્યક્ષ થતી જાય છે.
જ્હોન રસ્કિન જેમ જેમ અર્થવ્યવસ્થાને સામાજિક કલ્યાણના ખ્યાલ સાથે જોડતા ગયા તેમ તેમ એમને પ્રતીતિ થતી ગઈ કે દરેક અર્થવ્યવસ્થા અને સામાજિક માળખું આદર્શ રીતે તો સામાજિક ન્યાયના રાજકારણના આધાર પર સ્થપાયેલા હોવા જોઈએ. જો કે આજે વિશ્વમાં આનાથી તદ્દન વિપરિત સ્થિતિ જોવા મળે છે. ભાગ્યે જ કોઈ અર્થવ્યવસ્થા સમાજના દરેક સ્તરના લોકોને સામાજિક ન્યાય પૂરો પાડે તેવી ગોઠવાઈ છે. તેમના આ વિચારોએ ‘સામાજિક અર્થવ્યવસ્થા’ના ખ્યાલોને પુષ્ટિ આપી. પરિણામે ધર્માદા, સહકારી અને અન્ય બિન-સરકારી સંગઠનો અસ્તિત્વમાં આવ્યાં. આજના બ્રિટનના કલ્યાણ રાજ્યના બીજારોપણ અહીં થયેલાં હોય તે શક્ય છે. રસ્કિનના રાજકીય વિચારો; ખાસ કરીને ‘અનટુ ધીસ લાસ્ટ' આગળ જતાં વધુ પ્રભાવ પાડનાર નીવડ્યા. એ નિબંધો ખૂબ પ્રશંસા પાત્ર બન્યા અને ગાંધીજીએ તેનો ગુજરાતીમાં ભાવાનુવાદ કરીને ‘સર્વોદય’ નામનું પુસ્તક પણ પ્રકાશિત કર્યું. અર્થશાસ્ત્રી જ્હોન એ. હોબ્સન અને બ્રિટિશ મજૂર પક્ષના સ્થાપકોએ પણ રસ્કિનની આ વિચારધારાની તેમના પર અસર થઇ હોવાનું જણાવ્યું છે.
જ્હોન રસ્કિનના આદર્શ સમાજની કલ્પના એવી હતી કે જેમાં વધુ ને વધુ લોકોને મહત્તમ આનંદ-સુખ મળે તેવું જીવન પૂરું પાડવું અને તેમનું સ્વાસ્થ્ય હરેક વ્યક્તિએ જવાબદારીપૂર્વક ઘડી કાઢેલી જીવન પદ્ધતિ દ્વારા સુધારવું. આપણે તો ચપટીભર લોકોના હાથમાં મહત્તમ સંપત્તિનો સંચય થાય અને બાકીના મહત્તમ લોકોના હાથમાં ચપટીભર ધન અને અન્ય સંસાધનો આવે તેવી મૂડીવાદી અર્થવ્યવસ્થાને અપનાવી છે. તેમનો પ્રયાસ હતો સમાજના દરેક સભ્યોને કુદરતની અપ્રતિમ સુંદરતા સાથે જોડવાનો. Letters to the Workmen and Labourers of Great Britain દ્વારા તેમણે એવા સાથીદારોની ભરતી કરવાનો પ્રયત્ન કર્યો જેઓ રાષ્ટ્રીય દેવાને સ્થાને રાષ્ટ્રીય પુરવઠાનું નિર્માણ કરે. જો તેમના આ વિચારોને અમલમાં મુક્યા હોત તો શાયદ માથાદીઠ વાર્ષિક દેવાના ભાર તળે કોઈ દેશ કે તેની પ્રજા દબાઈ મરતી ન હોત.
રાજ્યકર્તાઓ અને પ્રજા વચ્ચે કેવો સંબંધ હોવો જોઈએ તેની વાત પણ રસ્કિને કરી છે. તત્કાલીન સરકારો કાયદાઓ અને ન્યાયને આધારે રચાયેલી હતી અને હજુ પણ મૉટે ભાગે તેમ જ છે, જેનાથી હિંસા અટકાવી શકાય છે અને ગુનેગારોને સજા થાય. હવે જ્યારે આપણે સમાજશાસ્ત્ર વિષે વધુ જ્ઞાન મેળવ્યું છે ત્યારે સરકારોને ન્યાયતંત્રની હારોહાર paternal – પિતૃવત્ સંભાળ રાખનારી પણ બનાવવી જોઈએ એવું તેમનું મંતવ્ય હતું. એક સારો ખેડૂત જેમ હળથી જમીન ખેડે તેમ છોડને કાપીને મજબૂત પણ બનાવે, તેમ એક સમજુ પિતા પોતાના સંતાનોને મદદ કરે અને ઠપકો પણ આપે, તેમ જ એક જવાબદાર શાસન તંત્ર પોતાની પ્રજા પર શાસન કરે અને ભટકી જાય તો સજા પણ કરે. હા, પ્રજાને સરકાર પાસેથી શિક્ષણ મેળવવાનો જન્મદત્ત અધિકાર છે; પણ દેશ પ્રત્યે પૂરેપૂરી આજ્ઞાંકિતતાની ફરજ પણ છે. એ લોકોને રોજગારી મેળવવાનો પણ મૂળભૂત અધિકાર છે, પણ મજૂરી માટેનું દિશાસૂચન મળે તેનું અનુસરણ કરવાની અને શિસ્તનું પાલન કરવાની તૈયારી હોય તો જ. અહીં સરકાર કલ્યાણ રાજ્યની સ્થાપના કરે અને પ્રજા પોતાની નાગરિક ફરજોનું ચુસ્તપણે પાલન કરે એ મુદ્દો સ્પષ્ટ કર્યો છે. થયું એવું કે કલ્યાણ રાજ્યની વિભાવનાને પ્રજાએ બે હાથે વધાવી લીધી, પણ પોતાની ફરજો ચૂકી રહી છે એ નથી સ્વીકારી શકતી.
જ્હોન રસ્કિનની નજર માત્ર બ્રિટનના ભાવિ સુધી જ સીમિત નહોતી, તેમને સમગ્ર યુરોપનું હિત પણ દિલમાં વસેલું તેનો અહેસાસ હવે પછીના તેમના વિધાનો પરથી થાય. એક વક્તવ્ય દરમ્યાન તેમના શ્રોતાઓને કહ્યું, “કલ્પના કરો કે જગત એક મોટો કારીગરો માટેનો ઓરડો હોય, એક દડાના આકારનો. દરેક દેશ પોતાને ફાળવવામાં આવેલ કામ વિષે ઝઘડવાને અને લડવાને બદલે એક બીજાને સહાયરૂપ થયા હોત તો તેમાં આપણી પાસે કેટલી મૂડી એકઠી થઇ હોત? જરા વિચાર કરો, યુરોપ કેવું હોત જો ગ્રીસનાંનાજુક મંદિરો અને શિલ્પો, રોમન વિશાળ માર્ગો અને મધ્ય યુગના ઉમદા સ્થાપત્યોને માણસોએ ક્રોધે ભરાઈને જમીનદોસ્ત કરી ન નાખ્યા હોત તો આપણી સંપત્તિ કેટલી સચવાઈ હોત? મારું માનવું છે કે સમય દાતરડાની ધાર અને દાંત વિનાનો છે. આપણે જ કીડાઓની માફક આપણી સંપત્તિને કોરી નાખીએ છીએ, તેને દાતરડા વડે ઝટકા મારીને ખતમ કરી દઈએ છીએ. આપણે જ કોઈ વસ્તુનો નાશ કરીએ છીએ, આપણે જ તેનો ભોગવટો કરીએ છીએ. માણસના વિનાશના ઉદ્યોગે તેની બુદ્ધિમત્તાના ખજાનાનો નાશ કર્યો છે.” આપણે કદાચ કહીશું કે માનવ જાતના વિકાસ માટે હરીફાઈયુક્ત ઉત્પાદન અને બજાર વ્યવસ્થા જરૂરી છે, પણ રસ્કિન એ વિષે સહમત નથી થતા. 19મી સદીમાં યુરોપના દેશોએ જ્યાં તેમના કલાના ખજાના સુરક્ષિત હતા એ સ્થળોને યુદ્ધના મેદાનોમાં ફેરવી નાખવા જરૂરી હતા? એવો પ્રશ્ન એમણે યુવા પેઢી સમક્ષ તરતો મુકેલો, જે હજુ આજે પણ એટલો જ પ્રસ્તુત છે.
રસ્કિન માનવીની ઈશ્વર પ્રત્યેની ફરજો છે તેમ માનતા. એથી જ તો તેઓ ગરીબોની સ્થિતિ સુધારવા જરૂર મથતા હતા પણ સાથે સાથે સામાજિક તફાવતને સમથળ કરવાનો વિરોધ કરતા હતા. તેને બદલે સામાજિક અસમાનતાને હઠાવવા મૂડીવાદને તિલાંજલિ આપીને સહકારી સામાજિક માળખાની તરફેણ કરતા હતા. રસ્કિન પોતાના એક વક્તવ્યમાં કહે છે, જીવનને સમૃદ્ધ બનાવવા મજૂરોની મજૂરી વધારવી પર્યાપ્ત નથી. વધુ રોજી આપશો તો અન્ય ભોગવિલાસની વસ્તુઓ અને શરાબ પાછળ ખર્ચી નાખશે અને જે સ્થિતિમાં તમે એને જોયા હતા તેવી જ સ્થિતિમાં ફરી મળી આવશે. તો ગરીબ લોકોમાં આ દુર્ગુણો કાં તો વારસામાં મળ્યા હોય, કાં એવા શિક્ષણમાંથી ઊતરી આવ્યા હોય. એટલે એવા પ્રકારનું શિક્ષણ આપવું જોઈએ જે તેમને માત્ર ખોરાક જ નહીં પણ ડહાપણ મેળવવા સજ્જ કરે, સાદગીનો ગુણ કેળવીને ગરીબીમાંથી છુટકારો મેળવવા સક્ષમ બનાવે. તેમણે વંચિતોને અરજ કરી કે ટેબલ પરથી બ્રેડના ટુકડા અધિકારથી એક બાળકની માફક લો, એક કૂતરાની માફક નહીં. સમાજના નિર્ધન લોકને પેટ ભરવાનો અધિકાર છે, પણ સાથે સાથે તેમને પવિત્ર થવાનો પણ હક છે. થયું છે એવું કે ‘આધુનિક’ યુગનો માનવી અસમાનતા હઠાવવા અશક્ત લોકોને આર્થિક મદદ કરવા આગળ આવે છે, પણ એ વંચિત સમાજને શિક્ષણ, રોજગારી અને સ્વાસ્થ્યની સમાન તકો મળી રહે તે માટે પોતે કઇં જતું કરવા તૈયાર નથી. આથી દાતા અને નિર્ધનનો સંબંધ કાયમ રહ્યો, સ્વમાનભર્યું પ્રામાણિક જીવન જીવવાની ચાવી હાથ ન લાગી.
કલાના વિદ્યાર્થીઓ અને કલાપ્રેમીઓ સમક્ષ પ્રવચન આપતી વેળા રસ્કિન ક્યારેક સાદા ઉદાહરણોથી ક્લિષ્ટ સિદ્ધાંતો સરળતાથી સમજાવતા. જ્હોન રસ્કિનના મતે દરેક પ્રકારનું અર્થશાસ્ત્ર “Law of the house” એટલે કે ઘરેલુ નિયમો જેવું હોય છે. દરેક અર્થવ્યવસ્થાનો સાચો નિયમ અને તેનાં મૂળ એ છે કે જે એક વ્યક્તિ પાસે હોય તે બીજા પાસે ન હોઈ શકે. એટલે કે મારી પાસે દસ જોડી કપડાં હોય તો અન્ય પાસે એનાથી ઓછાં જ હોવાનાં. દરેક વપરાતી કે ઉપયોગમાં લેવાતી વસ્તુના એકેએક અણુ પાછળ મોટા પ્રમાણમાં માનવ શક્તિ ખર્ચાતી હોય છે. આથી જ તો કોઈ પણ ચીજ ખરીદતી વખતે વિચારો. ચાર મુદ્દાઓ ધ્યાનમાં રાખો. પહેલું, એ વસ્તુનું ઉત્પાદન કરનારની પરિસ્થિતિમાં તમે શું અસર પેદા કરો છો, બીજું, તમે જે કિંમત ચૂકવો છો તે ન્યાયીપણે તેને બનાવનારના હાથમાં અપાય છે, અને ત્રીજું, એ વસ્તુથી તમને કે અન્યને તેનાથી ખોરાક, શિક્ષણ કે આનંદ મેળવવામાં મદદરૂપ થાય છે અને ચોથું, તેને કોને અને કેવી રીતે ઝડપથી અને લાભદાયી નીવડે તેવી રીતે વહેંચી શકાય એ વિચારો. (આજનો ગ્રાહક આ ચારમાંથી એક પણ વાત પર વિચાર ક્યાં કરે છે?) એશ આરામની વસ્તુઓ પેદા કરવા પાછળ સહન કરવી પડતી પરેશાનીઓ જોઈએ તો તેની ઈચ્છા રાખનાર વિચારતા થઇ જાય. એવી ભોગ વિલાસની વસ્તુઓ ભવિષ્યમાં મેળવવી શક્ય જરૂર બનશે. પણ એ બધા માટે ઉપલબ્ધ હશે અને બધાની મદદથી બની હશે. પણ અત્યારે ભોગ વિલાસની વસ્તુઓ માત્ર અજ્ઞાન (અને છતાં ધનવાન) લોકો જ માણી શકે છે; એવા ક્રૂર માણસો ભોજનના થાળ સામે આંખે પાટા બાંધ્યા વિના બેસી જ ન શકે.
રસ્કિને બીજી એક મહત્ત્વની વાત કહી. દરેક પ્રકારની અર્થવ્યવસ્થા, ચાહે તે રાજ્યની હો, ઘર ગૃહસ્થીની હો કે વ્યક્તિગત, એ મજૂરીને કેવી રીતે ઉપયોગમાં લેવી તેની કળા બતાવે છે. જગત પુરવઠાના નિયમો સાથે એટલું જકડાયેલું છે કે માણસની મહેનત જો યોગ્ય રીતે ઉપયોગમાં લેવાય તો તેને પોતાની જરૂરિયાતો અને ઉપરાંત થોડી મોજશોખની વસ્તુઓ પણ મળી રહે; એટલું જ નહીં પણ જીવનમાં આગળ જતાં આરામથી રજા ભોગવવી અને આનંદપ્રમોદ કરવો પણ શક્ય બની શકે. એ થઇ વ્યક્તિગત સ્તરની અર્થવ્યવસ્થાની વાત. એ રીતે દેશની મજૂર શક્તિનો ઉચિત વિનીયોગ થાય તો તેની પ્રજાને પૂરતા પ્રમાણમાં ખોરાક અને પોસાય તેવા આવાસો પૂરા પડી શકે એટલું જ નહીં, સારું શિક્ષણ અને થોડી મોજશોખની વસ્તુઓ, કલા વગેરે પણ પૂરા પડી શકે. આજે તો એમ લાગે છે કે વ્યક્તિ તેમ જ રાષ્ટ્રીય વહીવટના ક્ષેત્રે પ્રયોગિકતા ખોટી અપાય છે જેથી મૂળભૂત જરૂરિયાતોને બદલે મોજશોખ પહેલાં સંતોષવા માનવી પાગલની માફક દોટ મૂકી રહ્યો છે.
જ્હોન રસ્કિનનાં આદર્શો અને મૂલ્યોને આધારે ગિલ્ડ ઓફ સેઇન્ટ જ્યોર્જની સ્થાપના થયેલી જે હજુ આજે પણ કાર્યરત છે. એ ચેરિટેબલ શિક્ષણ સંસ્થાના સભ્યો સારી દુનિયામાં વસે છે. આ ગિલ્ડની સ્થાપના દ્વારા રસ્કિનની ધારણા હતી પૂર્વ ઔદ્યોગિક ક્રાંતિ સમયનાં મૂલ્યોને પ્રગતિશીલ સામાજિક સુધારાઓ સાથે સંયોજિત કરવાની. તેમને એવી આશા હતી કે એ ગિલ્ડના સભ્યો અને સમાજના જવબદાર નાગરિકો તત્કાલીન આધુનિક ગણાતી અર્થવ્યવસ્થા અને નફાને નજરમાં રાખીને ચાલતા ઉદ્યોગો કે જે જથ્થાબંધ માલના ઉત્પાદનને પ્રોત્સાહન આપે છે તેનો વિકલ્પ પૂરો પાડશે. એ શક્ય ન બન્યું.
જ્હોન રસ્કિન આજ બબ્બે સદીઓ બાદ પણ પ્રસ્તુત રહ્યા છે કેમ કે તેઓ પ્રકૃતિ, કલા અને માનવીય મૂલ્યોને સાંકળતી અર્થ અને સમાજ વ્યવસ્થાનું માળખું જોઈ શક્યા. કમનસીબી એ છે કે આપણે તે ન સમજી શક્યા. ટોલ્સટોયે રસ્કિનને “માત્ર ઇંગ્લેન્ડના જ નહીં પરંતુ બધા દેશોના, બધા સમયના અને આપણી પેઢીના એક અભૂતપૂર્વ માનવી” તરીકે ઓળખાવ્યા હતા. બ્રિટનના એક સમયના વડાપ્રધાન ક્લેમન્ટ એટલીએ પોતાનું રસ્કિન પરનું ઋણ સ્વીકાર કરેલું કેમ કે રસ્કિનના વિચારોએ કલ્યાણ રાજ્યની સ્થાપના માટેની પ્રેરણા આપેલી. મજૂર પક્ષના શરૂઆતના ધારાસભ્યોએ કાર્લ માર્ક્સ કે બાઇબલ કરતાં જ્હોન રસ્કિનનો પ્રભાવ વધુ છે તેવો ઉલ્લેખ કરેલો.
રસ્કિનની દેણગી શું છે? ગાંધીજીએ Unto This Lastનો સારાંશ ત્રણ મુદ્દાઓમાં આપ્યો છે તે એમની દેણગી:
* સહુના ભલામાં આપણું ભલું છે
* વાળંદ અને વકીલના કામની સરખી કિંમત છે કેમ કે બંનેને પોતાના વ્યવસાય દ્વારા આજીવિકા રળવાનો સમાન અધિકાર છે.
* ખેડૂત અને કારીગરનું જીવન એ જ સાચું જીવન છે.
આથી જ તો ગાંધીજીએ કહેલું, “મને સ્પષ્ટપણે દેખાય છે કે માનવ જાતે જો વિકાસ કરવો હોય અને સમાનતા અને બંધુત્વના આદર્શોને સાકાર કરવા હોય તો Unto This Lastમાં દર્શાવેલ સિદ્ધાંતોને અપનાવીને અમલમાં મુકવા આવશ્યક છે. આપણે સમાજના બધિર અને અપંગોને પણ સાથે લઇ જવા જોઈશે. મારી કલ્પનાના સ્વાતંત્ર્યમાં સહુથી વધુ નબળાને સ્થાન ન હોય તેવું નથી. તેથી જ તો મશીનોની શક્તિને ઉપયોગમાં લેતા પહેલાં આપણે તમામ માનવ શક્તિનો પૂરેપૂરો ઉપયોગ કરવો જોઈએ.” ગાંધી અને રસ્કિનની શીખ સમજીને અમલમાં મૂકીએ.
(મુખ્ય સ્ત્રોત: Unto This Last by John Ruskin અને ઓનલાઇન mkgandhi.org)
16/02/2019
e.mail : 71abuch@gmail.com