એકવીસમી સદીમાં ભારતવાસીઓએ અનેક દિશામાં પ્રગતિ કરી છે, તેમાંની એક છે, પોતાની અસ્મિતા-ઓળખ પાછી મેળવવાની તમન્ના.
દાયકાઓથી પશ્ચિમી રહેણી કરણી અને ખાન-પાનનું અનુસરણ કરતાં કરતાં ઘણા લોકોને એવો અહેસાસ થવા લાગ્યો છે કે હવે આપણે ઇન્ડિયા નહીં, ભારત પણ નહીં પરંતુ ‘હિન્દુસ્તાન’ બનવું જોઈએ.
પોતાના દેશને ‘હિન્દુસ્તાન’ તરીકે ખપાવવા માટે નીચે મુજબના પગલાં લેવાનું આયોજન થયું:
° ઇન્ડિયાની ભૌગોલિક સીમામાં માત્ર જન્મને કારણે ‘હિન્દુ’ તરીકે ઓળખાવતા લોકો એ મતલબનું પ્રમાણપત્ર રજૂ કરે તેને જ આ દેશમાં વસવાનો અધિકાર મળે. બાકીના બધાને ‘તમારે દેશ જતા રહો’નું ફરમાન કરવામાં આવે.
° એ દેશવાસીઓએ ‘વંદે માતરમ્’ પૂરા જોરશોરથી ગાવું ફરજિયાત રહેશે.
° હિન્દુ પૂર્વજોનું રક્ત પોતાની નસોમાં વહે છે તે સાબિત કરવા સંસ્કૃત ભાષાનું શિક્ષણ વ્યાપક બનાવવું અને ભગવા રંગના પહેરવેશને રાષ્ટ્રીય પોષાક જાહેર કરવો.
° ગામે ગામ અને શહેરોમાં ફરીને જે શેરીઓ અને માર્ગોનાં નામ મુસ્લિમ હસ્તીઓ સાથે જોડાયેલ હોય તેને હિન્દુ રાજા કે સંતોનાં નામના વાઘા પહેરાવવા. કોઈ વિશ્વવિદ્યાલય, જાહેર સ્થાનો, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્ત્વ ધરાવનાર ઇમારતો આ નવા નામાભિધાનની વિધિથી વંચિત ન રહેવાં જોઈએ.
ઉપરોક્ત આયોજનના નંબર બે અને ચારના મુદ્દાઓને આચરણમાં મુકવાનો શુભારંભ થઇ ચુક્યો છે. માર્ગોના પાટિયાં તથા રેલવે સ્ટેશન પર જે તે ગામ-શહેરને સૂચિત કરતાં પાટિયાને પુરાતન નામથી ચીતરીને મૂકી દેવાયાં છે. હવે શાળાનાં પાઠ્યપુસ્તકોમાં, પ્રવાસન ખાતાની માહિતી પત્રિકાઓમાં, જોવાલાયક સ્થળોના પર્યટન સમયે અપાતી ભોમિયાઓની માહિતીમાં નવાં નામો જ માત્ર વપરાશે. જૂના નામોનો ઉલ્લેખ કરનાર સામે તેઓ આગલી સદીમાંથી આવેલ અજ્ઞાનીઓ હોય તેવો ભાવ પ્રદર્શિત કરવામાં આવશે.
મારા મતે સત્તા લાલસાને વશ થઇ રાજ્ય વિસ્તાર કરવા માટે યુદ્ધ કરીને પારકો પ્રદેશ જીતી લેવો કે ધર્મના નામે અન્ય દેશ પર આક્રમણ કરીને સ્વતંત્ર મુલકને પોતાના તાબામાં રાખવો એ સદંતર અનુચિત લેખાવું જોઈએ. પરંતુ જગતના ઇતિહાસનાં પાનાં ચીન, જાપાન, રોમન અને ઓટોમન સામ્રાજ્યો અને ઇજિપ્ત તેમ જ ભારત વર્ષમાં થઇ ગયેલા અનેક સમ્રાટોની કહાણીઓથી ભરપૂર છે. આક્રમણ કરનાર અને તાબે થનાર બંને દેશોના પ્રજાજનો કાલાંતરે એકબીજા સાથે હળીમળીને રહ્યા, તેમની વચ્ચે સાંસ્કૃતિક અને કલા ક્ષેત્રે આદાન-પ્રદાન થયું અને એક નવી સંસ્કૃતિનો ઉદ્દભવ થયો હોય તેવા અનેક દ્રષ્ટાંતો ઇતિહાસનાં પૃષ્ઠો પર અને ધરતીના પટ પર સ્થૂળ ઇમારતોના રૂપમાં મૌજૂદ હતા અને હજુ પણ છે. તેમાં કોઈ એક સામ્રાજ્ય ક્રૂરતા આચરવામાં કે ભારતની આમ પ્રજાને લાભ થાય તેવું રાજ્ય કરવાની બાબતમાં બીજા કરતાં ચડિયાતા કે ઉતરતા સાબિત થયા જાણ્યું નથી, તો એક જ શાસન કાળના ચિન્હો સામે આટલો વિદ્રોહ શાને?
સોનેકી ચિડ઼િયોંકા બસેરા થા ભારત, એટલે તો જગતની તમામ જાતિઓ, ધર્મના અને રંગના લોકો આ ધરતી પર આવ્યા, વસ્યા અને નવી પેઢીઓ તથા નવી સંસ્કૃતિઓને જન્મ આપી ગયા.આજે જો ભારતના લોકોના ડી.એન.એ.નું પરીક્ષણ કરવામાં આવે તો આર્યો, શક, હુણ અને કુષાણ જેવી મધ્ય એશિયામાંથી આવેલી જાતિઓથી માંડીને પૂર્વની મોંગોલ, આફ્રિકાની સીદી (હબસી) જાતિઓનું લોહી આપણાં શરીરમાં વહેતું હોવાના સગડ મળી આવે તે સંભવ છે. ભારતના વૈભવને પોતાની માલિકીની કરવા ધરતીના ચારે ખૂણેથી સત્તા લોલૂપ રાજાઓ ચડાઈ કરીને કે વેપારના નામે આવ્યા, રહ્યા અથવા લૂંટીને ચાલ્યા ગયા. એમના રાજ્યકાળ દરમ્યાન થયેલ શિલ્પ, સ્થાપત્ય અને અન્ય સ્થાવર મિલકતો નિશાની રૂપે રહી જવા પામી. જે કઇં તારાજી થઇ તેના પરિણામો હજુ પણ ભોગવીએ છીએ, તો તેને નામશેષ કરવા માટે શું કરીશું?
ભારત પર બે સામ્રાજ્યોનું રાજ્ય છેલ્લા પાંચસો વર્ષમાં રહ્યું; મોગલો અને અંગ્રેજો. એક માહિતી મુજબ મોગલોએ બંધાવેલ સ્થાપત્યો અને ઇમારતોમાં તાજ મહેલ, હુમાંયુની કબર, લાલ કિલ્લો (દિલ્હી અને આગ્રા), જમા મસ્જિદ (દિલ્હી અને આગ્રા), ફતેહપુર સિક્રી અને બુલંદ દરવાજા, આગ્રાનો કિલ્લો, શાલીમાર અને નિશાત બાગ, બીબીકા મકબરા, અકબરની કબર, લાહોર ફોર્ટ, મોટી મસ્જિદ, શીશ મહેલ, શાહી બ્રિજ (જાનૂ પૂર), પંચ મહલ (ફત્તેહપુર સિક્રી) વગેરેનો સમાવેશ થાય છે. તો બ્રિટિશરોએ બંધાવેલ ઇમારતો અને સ્થાપત્યોમાં વિક્ટોરિયા મેમોરિયલ (કલકત્તા), ઇન્ડિયા ગેઇટ (દિલ્હી), ગેઇટ વે ઓફ ઇન્ડિયા (મુંબઈ), પાર્લામેન્ટ હાઉસ, રાષ્ટ્રપતિ ભવન (દિલ્હી), સેન્ટ મેરી’ઝ ચર્ચ અને સેન્ટ એન્ડ્રુઝ ચર્ચ (ચેન્નાઇ), વીરેન હેસ્ટિંગ્સ હાઉસ (કલકત્તા), થેલાસરી ફોર્ટ (કાનપુર) અને તાજ હોટેલ (મુંબઈ) વગેરેની લાંબી યાદી થઇ શકે તેમ છે. અરે, આપણી રેલવેનું જાળું બ્રિટિશ સામ્રાજ્યની વિરાસત છે. એને જો કે પ્રાંતીય નામ અપાઈ ગયાં દાખલા તરીકે પશ્ચિમ કે ઉત્તર-પૂર્વ રેલવે – તે સારું જ થયું. (જો કે હાલમાં ઇસ્લામ વિરોધી લાગણીઓનો વંટોળ ઊડે છે, હજુ ખ્રિસ્તી ધર્મ પ્રત્યે એટલો અભાવ નથી જાગ્યો.)
ઇન્ડિયાને હિન્દુસ્તાન બનાવવાની નેમ રાખનારા લોકો “આ તારો ધર્મ, આ મારો ધર્મ, આ તારું રાજ્ય, આ મારું રાજ્ય” એમ પેલાં રાખનાં રમકડાંની માફક ‘આ તારું – આ મારું’- કહીને લડતા આવ્યા છે, તેમાં હવે શેરી, માર્ગ અને ઇમારતોનાં નામ સાથે જોડાયેલી વ્યક્તિઓના પણ ધરમ પ્રમાણે બટવારા કરવાનો રોગ લાગુ પડ્યો છે. એ કર્મવીરોને ઊભા રાખીને કોઈ પૂછી તો જુઓ, મોગલ અને બ્રિટિશ સલ્તનત દરમ્યાન બંધાયેલી ઉપરોક્ત ઇમારતો જોતાં ભારતમાં એ સમયે વેપાર, ઉદ્યોગ, કલા-સંસ્કૃતિ અને સામાજિક ક્ષેત્રે પ્રગતિ થયેલી એના કોઈ પડઘા નથી સંભળાતા? જો ઇસ્લામિક ધરોહરને નામશેષ કરવા પ્રતિબદ્ધ થયા હો તો બ્રિટિશરોનો શો વાંક? એમની છોડેલી નિશાનીઓનાં પણ નામ બદલી નાખીએ. સાંભળ્યું છે કે કોનોટ પ્લેસનું નામ બદલાયું અને એવા બીજા પણ અંગ્રેજી શાસનની યાદ તાજી કરાવનાર માર્ગો અને ઈમારતોને આપણા પોતાના હિન્દુ મહાનુભાવોનાં નામ આપી દેવામાં આવશે. બસ, વધુ સંત-મહાત્માઓનાં નામ યાદ આવે એટલી વાર છે. જો કે તમામ સાંસ્કૃતિક અને રાષ્ટ્રીય મિલકતોને હિંદુત્વના રંગે રંગવાના પ્રયાસોમાં પણ વૈષ્ણવ અને શૈવ, જૈન અને બૌદ્ધ, સ્વામિનારાયણ અને પુષ્ટિમાર્ગી, રામભક્તો અને કૃષ્ણ ભક્તો વચ્ચે વાદ વિવાદ અને હુંસાતુંસી નહીં થાય તેની કોઈ ખાતરી નથી; અરે, હિન્દુ ધર્મના એ ફિરકાઓ વચ્ચે બે વિધર્મીઓ વચ્ચે થાય તેના કરતાં ય વધુ વિરોધ અને મતભેદો થઇ શકે તેની પૂરેપૂરી ખાતરી આપી શકાય.
વિદેશી, ખાસ કરીને પશ્ચિમના રહેવાસીઓ ‘ગોલ્ડન ટ્રાયંગલ’ નામથી ઓળખાતો પૂર્વ યોજિત પ્રવાસ કરતા વધુ જોવા મળે છે. એ પ્રવાસ દરમ્યાન સામાન્ય રીતે દિલ્હી, અજમેર, પુષ્કર, જયપુર, રણથંભોર અને આગ્રાની મુલાકાત લેવાય છે. હવે જો ત્યાંનાં જોવા લાયક સ્થળોની યાદી તપાસીએ તો ખ્યાલ આવશે કે તેમાંના લગભગ પચ્ચીસેક સ્થળોમાંથી બાર-પંદર જેટલા મુસ્લિમ કાળમાં બંધાયેલ, પાંચેક જેટલા અંગ્રેજોની દેણ છે, બાકીના હિન્દુ રાજાઓ અને સીખ કોમની અમાનત છે. એ સ્મારકો જે તે શાસકોએ વર્તાવેલ કેર કે ત્રાસનું પ્રતિનિધિત્વ કરે છે કે દેશમાં અમન અને સુમેળ હતો તેની સાક્ષી પૂરે છે? તો કોનાં કોનાં નામ બદલીશું? માત્ર નામ બદલવાથી તેમની સ્મૃતિ ભૂંસાઈ જશે? એમ કરીને પણ શું વળશે? દરગાહો પર ચૂંદડી ઓઢાડવા જતા હિન્દુ શ્રદ્ધાળુઓ અને રામ મંદિરે ચાદર ચડાવવા જતા ઈમાનદારી મુસ્લિમોની લાગણીઓને ઠેબે ચડાવીને ક્યાં જઈશું?
શાલીમાર અને નિશાત બાગ જોઈને કાશ્મીરનું પ્રાકૃતિક સૌંદર્ય અને મોગલ સમયના બાગ-બગીચાઓ રચનાર સ્થપતિઓની કુશળતાની સરાહના ન કરી શકે અને તેને માત્ર વિધર્મીઓએ બનાવેલ એક બાગ તરીકે ઓળખે તેવા લોકોની વક્ર દ્રષ્ટિ માટે શું કહેવું? વાચકોમાંથી ઘણાને માહિતી હશે કે નાલંદા વિશ્વવિદ્યાલય ઈ.સ. 413થી 1193 એટલે કે લગભગ 780 વર્ષ સુધી ઉચ્ચતમ શિક્ષણ આપતી રહી અને તેના ધ્વંસના 821 વર્ષ બાદ 2014માં એ સ્થળથી માત્ર 12 કિલોમીટર દૂર રાજગીરમાં તેનું નવસર્જન કરવામાં આવ્યું. નોંધ એ વાતની લેવી રહી કે 1193માં ઇસ્લામી આક્રમણખોર બખ્તિયા ખીલજી દ્વારા તેનો નાશ કરવામાં આવ્યો તેની જાણ ઇતિહાસે લીધી છે તેવી નોંધ 2006માં તત્કાલીન રાષ્ટ્રપતિ અબ્દુલ કલામે નાલંદા વિશ્વવિદ્યાલયને ફરી કાર્યરત કરવાનો પ્રસ્તાવ મુક્યો તેની નોંધ લેવાશે કે નહીં એ કહી ન શકાય. એક ‘મુસ્લિમ’ રાજાએ વિધ્વંસ કર્યો એ કહેવું જેટલું સહેલું છે તેટલું એક ‘મુસ્લિમ’ વિદ્વાન વૈજ્ઞાનિક ભારતનો રાષ્ટ્રપતિ બની શકે અને હિંદુ રાજવંશના શાસન દરમ્યાન પ્રસિદ્ધ થયેલ બૌદ્ધ શિક્ષણ સંસ્થાને પુનર્જીવિત કરવા પગલું ભરે એ માટે તેની પ્રશંસા કરવી પણ એટલી જ સહેલી હોવી જોઈએ. જ્યાં મીઠાઈ કોઈ કહેવાતા ઉચ્ચ વર્ણના રસોયાને હાથે બને તો ખાદ્ય ગણાય, પણ તે કેવી સ્વાદિષ્ટ છે તે ન જોવાય, ત્યાં કોઈ વિશ્વવિદ્યાલય કેવી કક્ષાનું શિક્ષણ પૂરું પાડે છે તે જોવાને બદલે તેની સ્થાપના પાછળ હિન્દુનો હાથ હતો કે મુસ્લિમનો એના પર તેની મહત્તાનો આધાર રહે તેમાં શી નવાઈ?
આપણે ઘણા માર્ગોનાં નામ બદલવાના છે; મારકણા મૂડીવાદનો રસ્તો જવાબદાર અર્થતંત્રનું નામ મેળવે, જ્ઞાતિ, જાતિ કે અનુસૂચિત જાતિ આધારિત વિશેષાધિકારો મેળવવાનો માર્ગ સમાન તક અને સમાનાધિકારોના માર્ગ તરીકે ઓળખાય એ જરૂરી છે. એવી જ રીતે જેના પર ભારતીય સમાજ અને સંસ્કૃતિ ટકી રહ્યાં છે તેની કેટલીક ઇમારતો પર સંકુચિતતા અને બંધિયારપણાનો લૂણો લાગી ગયો છે, તેને ધોઈ, ઉજમાળી બનાવીને નવે નામે ઓળખાવવી જોઈશે જેમ કે ધાર્મિક અને યાત્રાના સ્થળો, શિક્ષણ સંસ્થાઓ, સ્થાનિક અને રાષ્ટ્રીય વહીવટી કેન્દ્રો, ઉદ્યોગ અને વ્યાપારના મથકોને આધુનિક મૂલ્યોને સૂચિત કરે તેવાં સર્વ સમાવેશી નામ આપવાં જોઈશે.
પોતાનો હૂંફાળો માળો છોડીને ભારતનો કિનારો છોડનાર કોઈ બંધુને અચાનક સત્યનું ભાન થયું અને નીચે મુજબનું વિધાન કર્યું :
I crossed my street and they asked my caste, I crossed my district and they asked my religion, I crossed my state and they asked my language, I became Indian only after I crossed my country.
તો શું આપણે પ્રથમ મનુષ્ય અને પછી ભારતીય છીએ એ સમજવા વિદેશ ખેડવો પડશે?
19/01/2019
e.mail : 71abuch@gmail.com