વાત પાલિકાની કરવી છે, પણ તે હાલમાં બાલિકાની જેમ વધુ વર્તે છે, એટલે પાલિકા કહો કે બાલિકા, બહુ ફરક પડે એમ નથી. પાલિકાની ઉંમર તો વધી છે, પણ તે કદાચ ઉંમરલાયક થઈ નથી. સુરતની જ વાત કરીએ, તો તે અગિયારમાં સૈકામાં તાપીતટે વસ્યું ને 15 મે, 1852માં સુરત સુધરાઈની સ્થાપના થઈ. એ વાતને પણ આ 15 મે, 2023ને રોજ 171 વર્ષ પૂરાં થશે. એ પછી 1 ઓકટોબર, 1966થી સુધરાઈનું મહાનગરપાલિકામાં રૂપાંતર થયું. 11માં સૈકામાં સુરતનો વિસ્તાર આશરે 25 ચોરસ કિલોમીટર હતો, જે 2019ની ડાયરી પ્રમાણે (એ પછી ડાયરી પ્રગટ થઈ હોય તો ખબર નથી) 326.515 ચો.કિ.મી. થયો છે, એટલે કે ક્ષેત્રફળ 300થી વધુ ચો.કિ.મી. વધ્યું છે. 1482માં ભયંકર દુકાળ પડ્યો ત્યારે મલેક ગોપીએ અનાજપાણી સુરતને પૂરાં પાડ્યાં ને એણે જ ગોપીતળાવ બંધાવ્યું. ગોપીપરું પણ ગોપીની જ દેન છે. જે કિલ્લો અત્યારે નવા રંગેરૂપે ટિકિટ ખર્ચીને બતાવવાનું ચાલે છે તે ખુદાવંદખાને 1540-41માં બંધાવેલો. જો કે, હવે ઇતિહાસ બદલાઈ રહ્યો છે એટલે કોઈ, કિલ્લો કોર્પોરેશને બંધાવેલો એમ ભણાવે તો નવાઈ નહીં !
1955માં રંગ ઉપવન શરૂ થયું ને વર્ષો સુધી એ જ સુરતની સાંસ્કૃતિક અને કળાકીય પ્રવૃત્તિઓનું કેન્દ્ર રહ્યું. તે પછી ટેક્સટાઇલ માર્કેટનાં ચોથા-પાંચમાં માળે પણ ઓડિટોરિયમ શરૂ થયું. ત્યાં પણ મુખ્યત્વે નાટ્યપ્રવૃત્તિઓ ઠીક ઠીક ચાલી. 1980માં ટીમલિયાવાડ, નાનપરા સુરત ખાતે ‘ગાંધી સ્મૃતિ ભવન’ થયું ને શહેરની મધ્યમાં અનેક કળાકીય પ્રવૃત્તિઓ એવી ધબકી કે સુરત સાચા અર્થમાં સાંસ્કૃતિક નગર તરીકે ખ્યાત થયું. તે પછી તો વરાછામાં સરદાર સ્મૃતિ ભવન અને પાલમાં સંજીવકુમાર ઓડિટોરિયમ પણ થયું, પણ ગાંધી સ્મૃતિ ભવનનો જે દબદબો હતો તે શહેરમાં બીજે જોવા ન મળ્યો. 2017માં ગાંધી સ્મૃતિ ભવન ચાર કરોડને ખર્ચે રીપેર થયું અને 10 મહિના બંધ રહ્યા પછી ફરી શરૂ થયું, પણ એક દિવસ ભવનમાં મોટો પોપડો ખરી પડતાં મોટો અકસ્માત થતાં રહી ગયો. આખી ઇમારત, રિપેરિંગ છતાં, ચાળીસ વર્ષ પણ ન ટકી ને સ્થિતિ એવી આવી કે જુલાઇ, 2019માં અનિશ્ચિત મુદ્દત માટે ગાંધી સ્મૃતિ ભવનને બંધ કરી દેવામાં આવ્યું. જૂન, 2022 સુધી તો 46 કરોડને ખર્ચે ગાંધી સ્મૃતિ ભવન ફરી બાંધવાની વાત હતી, પણ હવે તેની કશી ખાતરી મળતી નથી. હવામાન એવું પણ છે કે તેનો અન્ય કોઈ હેતુ માટે ઉપયોગ થાય. હાલ તો રંગ ઉપવન વાર્ષિકોત્સવ પૂરતું બચ્યું છે, બાકી તો, વૈધવ્ય ભોગવતું તે પણ ખૂણે પડ્યું છે, સંજીવકુમાર ઓડિટોરિયમ ક્યારેક જાગે છે ને કોર્પોરેશનની નાટ્ય સ્પર્ધા પૂરતું ખીલે છે, તો સરદાર સ્મૃતિ ભવન ધબકે છે તો ખબર પડે છે કે તે છે. એવું નથી કે સુરત એટલું ગરીબ થઈ ગયું છે કે ‘ગાંધી સ્મૃતિ ભવન’ ફરી બંધાય જ નહીં ! મૂળ વાત ઈચ્છા શક્તિની છે. ઈચ્છા શક્તિ વધુ લાલચની હોય તો કળાકીય પ્રવૃત્તિ બાજુ પર મૂકવાનું પણ સાવ અશક્ય નથી. સાચું તો એ છે કે કોર્પોરેશન હાલ તુરત તો કમાણી ને કલેક્શન પૂરતું જ સીમિત થઈ ગયું છે.
2023નાં ફેબ્રુઆરીના અંત સુધીમાં મિલકત વેરામાં જ પાલિકાએ 1,750 કરોડ વસૂલવાનો અંદાજ મૂક્યો છે. હવે નવી ટેકનિક એવી વિકસાવાઈ છે કે ગામડાં કોર્પોરેશનમાં ઉમેરી દેવાનાં ને ટેક્સ વસૂલવાનું શરૂ કરી દેવાનું. સગવડો ક્યાં ભાગી જાય છે, એ તો અપાયાં કરશે. સગવડ આપવાની વાત આવે ત્યારે સગવડિયા બહેરાશ પણ કોર્પોરેશન કેળવી શકે છે એ કોઇથી અજાણ્યું નથી. 2023-24નું 307 કરોડના વધારા સાથે 7,707 કરોડનું ડ્રાફ્ટ બજેટ આવ્યું. બ્રિજ, ઇન્ફ્રાસ્ટ્રકચર, આરોગ્ય અને અન્ય સેવાઓ, સિનિયર સિટિઝન્સ ને હેલ્થકાર્ડ, આંગણવાડીનું આધુનિકરણ, નવાં ફાયર સ્ટેશન્સ જેવી અનેક સુવિધાઓ આપવાની વાત પણ છે. કૈં નથી થતું એવું નથી, પણ જે થાય છે તે ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી આગળ નથી જતું. સુરત અત્યારે તો રાક્ષસી વિકાસ સાધી રહેલું દેખાય છે. આટલો વિકાસ જરૂરી છે કે માત્ર વિકાસને નામે બધું આડેધડ વધારતાં જ જવું છે એ અંગે ઠરીને વિચારવાની જરૂર છે. રાક્ષસી વિકાસનું પરિણામ એ આવ્યું છે કે સુરતીઓનો સ્વભાવ પણ રાક્ષસી થવા માંડ્યો છે. એનો લહેરી અને ઉદાર સ્વભાવ હવે લુચ્ચાઈ અને દોંગાઈમાં ફેરવાઇ રહ્યો છે. બધાં જ બધું કબજે કરવા દોડે છે ને પછી એક દિવસ અહીં જ બધું મૂકીને ધુમાડો થઈ જાય છે.
છેલ્લાં વર્ષોમાં વધેલી હિંસાખોરી, લૂંટફાટ અને દુષ્કર્મની ઘટનાઓમાં પણ એટલો જ વિકાસ થયો છે. આખી હવા હિંસક થઈ ગઈ હોય એવું લાગ્યા કરે છે. કોઈએ અટકવું જ નથી. શ્વાસ પાછળ રહી જાય ને માણસ આગળ નીકળી જાય એવી સ્થિતિ છે. અટકવું, પણ ટકવું જ છે એ સમજવાની જરૂર છે. એવું નથી કે ગુનાખોરી આજે જ છે, એ અગાઉ પણ હતી, પણ આજે તેનું પ્રમાણ અમર્યાદ રીતે વધ્યું છે. આવું થવાનું એક કારણ તે આ શહેરમાં વધી રહેલી વ્યાપારી ને આર્થિક પ્રવૃત્તિઓ છે. અનેક પ્રકારની, અન્ય રાજયોમાંથી આવેલી મિશ્ર પ્રજાઓ કમાવા ઉપરાંત અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓ પણ લઈને આવી છે. ટૂંકે રસ્તે હરામની કમાણીમાં રસ લેનારાઓની સંખ્યા પણ ખૂબ વધી છે. એ સાથે જ કળાકીય, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં ભયંકર પડતી આવી છે, એટલે કમાણી ને ધંધાના વિકાસ સિવાય બીજો કોઈ રસ જ ન બચ્યો હોય એવું વાતાવરણ છે.
આ શહેરને અર્વાચીનોમાં આદ્ય એવો નર્મદ મળ્યો. પહેલો નવલકથાકાર નંદશંકર ને પહેલો વિવેચક નવલરામ પણ આ જ શહેરની ઉપજ છે. એ પછી તો આ શહેરમાં હાસ્યકારો, નાટ્યકારો, નવલકથાકારો, વાર્તાકારો, કવિઓ, વિવેચકોની લાંબી હારમાળા સર્જાઇ. આ શહેર સાક્ષર નગરી તરીકે ઓળખાયું. અનેક સાહિત્યિક સંસ્થાઓ, નાટ્ય સંસ્થાઓ, કલામંડળો આ શહેરમાં થયાં. એકાંકી અને ત્રિઅંકી નાટ્ય સ્પર્ધાઓ, ગરબા સ્પર્ધાઓ, કવિ સંમેલનો, વ્યાખ્યાનો … જેવી અનેક પ્રવૃત્તિઓ રંગ ઉપવન, ગાંધી સ્મૃતિ ભવનમાં થઈ. પછી કૈંક એવું બન્યું કે ઉદ્યોગોનો મહિમા વધ્યો. હીરા ઉદ્યોગ, ટેક્સટાઇલ ઉદ્યોગ, ગ્રીન સિટી ને સ્વચ્છ શહેર થવામાં જ એવો વેગ આવ્યો કે ઉદ્યોગોનો વિકાસ જ કેન્દ્રમાં આવી ગયો. સુરત મહાનગરપાલિકાને સ્વચ્છતાના, સ્વસ્થતાના ઘણા એવોર્ડસ પણ મળ્યા ને તેની રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય કક્ષાએ કદર પણ થઈ, પણ પછી આ શહેર એવી રીતે વિકસ્યું છે કે તેની ગતિ વિકાસની છે કે વિનાશની એ નક્કી થઈ શકતું નથી. કેટલું વિકસવું જોઈએ આ શહેરે, એ અંગે વિચારવાનો સમય પાકી ગયો છે. આ શહેરે ન વિકસવું જોઈએ એવું કહેવાનું નથી, પણ સાંસ્કૃતિક કે કળાકીય વિકાસને ભોગે થતો વિકાસ ઘણાં અનિષ્ટોને નોતરશે એ સમજી લેવાનું રહે.
શહેરની સાહિત્યિક, સાંસ્કૃતિક સંસ્થાઓની જે પડતી થઈ છે તે અભૂતપૂર્વ છે. નિષ્પક્ષ, વિદ્વાન અને જે તે ક્ષેત્રના નિષ્ણાત હોદ્દેદારોને બદલે, તકવાદી, લાલચુ ને મતલબી લોકો કળાકીય સંસ્થાઓમાં દાખલ પડી ગયા છે. કોને કોરાણે મૂકવા, કોને સાથે રાખવા એના દાખલાઓ ગણાય છે ને એમાં હેતુ તો પોતાની જ સ્થાપનાનો વિશેષ છે. ઇનામો, ચંદ્રકો, એવોર્ડો સંસ્થાની બહાર ન જાય ને ઘીનાં ઠામમાં ઘી પડી રહે એની પેરવીઓ ચાલે છે. પાત્રતાને ભોગે બધું મેળવી લેવાને ઇરાદે કામ ચાલે છે, એટલે ઓછી મૂડીએ બહોળો નફો રળવાની યુક્તિઓ અજમાવાય છે. એનું પરિણામ એ આવ્યું છે કે શહેર પાસે નવી પેઢીનો સારો વાર્તાકાર નથી, સારો નવલકથાકાર નથી, સારો નાટ્યકાર નથી, સારો કવિ નથી, સારો વિવેચક નથી. ગઝલકારો 100 મળી આવે, પણ સારી ગઝલ જડવાનું મુશ્કેલ છે. જે બચ્યા છે તે માથે વેચાણ કિંમતની ટેગ મારીને બજારમાં વેચાવા ઊભા છે. ભાવ ઉપજાવવાની સ્પર્ધાઓ ચાલે છે. આમાં ક્યાંક સારું, સાત્ત્વિક પણ છે જ, પણ તે સાચવવાની ગરજ જણાતી નથી.
આ વિનિપાતમાં જે તે સંસ્થાઓ તો જવાબદાર છે જ, પણ સુરત મહાનગરપાલિકા પણ એટલી જ જવાબદાર છે. સૌથી પહેલાં તો યુદ્ધને ધોરણે ‘ગાંધી સ્મૃતિ ભવન’ એ જ સ્થળે, રિપીટ, એ જ સ્થળે પૂરી સગવડ અને વ્યવસ્થા સાથે તૈયાર થાય એ જોવાની તાતી જરૂર છે. એ થશે તો નાટ્યપ્રવૃત્તિમાં જીવ આવશે. પાલિકા, બાલિકા જેવી અબૂધ હોય તેમ ઘણું બધું ભૂલી ગઈ છે. શું ભૂલી જવું તે, તે બરાબર યાદ રાખે છે. પાલિકા દર વર્ષે નાટ્ય સ્પર્ધા કરે છે તે સારી વાત એટલે છે, કારણ, વિશ્વની કોઈ મહાનગરપાલિકા એ કરતી નથી. ઘણાંને ખબર ન હોય, પણ આ જ મહાનગરપાલિકા દર વર્ષે નાટ્ય લેખન સ્પર્ધા પણ કરતી હતી, એ સ્પર્ધા એમ જ બંધ કરી દેવાઈ. એ ફરી ચાલુ કરવી જોઈએ. સુરત મહાનગરપાલિકા દર વર્ષે પુસ્તક મેળાનું આયોજન કરતી હતી, તે ટલ્લે ચડી ગયું છે. કોરોનાનું બહાનું કોર્પોરેશન કાઢી શકે, પણ આ આયોજન વર્ષની શરૂઆતમાં થતું હતું ને ત્યારે એવું કૈં ન હતું તે યાદ રહે. આ ઉપરાંત મહાપાલિકા વરસે દિવસે અનેક પ્રકારની વ્યાખ્યાનમાળાઓ યોજતી હતી, દર વર્ષે ઉદ્યોગપતિઓનું, કલાકારોનું, સાહિત્યકારોનું સન્માન કરતી હતી, એ બધું જ બંધ પડ્યું છે ને વર્ષોથી બંધ પડ્યું છે, એ ફરી શરૂ થવું જોઈએ. સુરતના મેયર અને કમિશનરે વહેલી તકે એમાં પ્રાણ ફૂંકવાની જરૂર છે. પાલિકાની સાંસ્કૃતિક સમિતિ પણ હતી, એ હવે કાગળ પર હોય તો હોય, પણ તેની કોઈ અસર શહેરમાં વર્તાતી નથી. એ દુ:ખદ છે કે કોઈ પણ રીતે લોકોમાંથી પૈસા ઊભાં કરવાનું જેટલું ધ્યાન પાલિકા રાખે છે એટલું કળા, સાહિત્ય, સંગીત જેવી પ્રવૃત્તિઓ માટે રાખતી નથી. પાલિકા દર વર્ષે ટેક્સ વધારતી જાય છે ને એની સમાંતરે સાત્ત્વિક, સરળ ને સહજ જનજીવન તરફ દુર્લક્ષ સેવે છે. આ નીતિ સુધારવાની જરૂર છે.
એમાં કોઈ શંકા નથી કે આ શહેરનું જનજીવન સરળ અને સહજ નથી રહ્યું, એમાં પાલિકાની સાંસ્કૃતિક, સામાજિક અને કળાકીય પ્રવૃત્તિઓ માટે કેળવેલી ઘોર ઉપેક્ષા જવાબદાર છે. અહીંથી પાલિકાને કરબધ્ધ પ્રાર્થના છે કે તે સુરતને, ફરી એક વાર સાંસ્કૃતિક અને કળાકીય નકશા પર મૂકીને, સર્વાંગી પ્રવૃત્તિથી સજીવ અને સંવર્ધિત કરે. આટલું થશે તો શહેરીજનો પર ઉપકાર જ થશે. અસ્તુ !
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 17 ઍપ્રિલ 2023