તમે શું કહેશો એને. ફાધર સ્ટેન સ્વામીનું મૃત્યુ થયું એમ જો આ ઘટનાક્રમને વર્ણવો તો એ આખી વાતને અમથી રોજિંદી ઘટના લેખે ખતવી નાખવા જેવું થશે. અને જે બન્યું એમાં અણચિંતવી પણ હત્યા જોવી એ કદાચ સનસનાટી પ્રેરતી તારસ્વરની રજૂઆતના ખાનામાં નખાશે. આત્મહત્યાના કેસ વસ્તુતઃ ઘણા કિસ્સામાં આજુબાજુના દબાણવશ હત્યાવત્ લેખાય છે એ રીતે આ પ્રકરણમાં હત્યા વાંચવી એમાંયે કદાચ ઔચિત્ય ન લાગે. તેમ છતાં, જે બન્યું – ન બનવું જોઈતું બન્યું – એની ગંભીરતા અને પવિત્રતા જોતાં ન ચીલેચાલુ મોત કે ન સીધી હત્યા એવી એક શહાદત તરીકે તો સ્ટેન ઘટનાને મૂલવી જ શકાય.
એલ્ગાર પરિષદ અને ભીમા-કોરેગાંવ ઉજવણીના સિલસિલામાં પકડાયેલા સોળ કથિત કાવતરાખોરો પૈકી એક સ્ટેન સ્વામી પણ હતા. ખરું જોતાં આ આયોજનમાં એ કશેય નહોતા પણ એમને શકના દાયરામાં લેવાયા. કમાલનો એટલો જ કરપીણ આ કેવળ કલ્પિત અને હિંસ્ર હીનવૃત્તિગ્રસ્ત કેસ, પાછો, વડા પ્રધાનની હત્યાના કાવતરા સુધી ખેંચાયેલો છે એ પણ એક યુગબલિહારી છે. આ પ્રકારની કેસાકેસીનું જે ન્યૂ નૉર્મલ છે એને અઘોષિત કટોકટી ન કહીએ તો બીજું શું કહીએ, વારુ.
ઝારખંડના આદિવાસીઓ વચ્ચે બરાબરના ખૂંપેલા ને મંડેલા એવી સ્ટેન સ્વામીની દાયકાઓથી છાપ છે. એ જેસુઈટ છે અને પાદરી હોવાને ધોરણે સેવાનિરત હતા. માત્ર, સેવાનું એમનું સ્વરૂપ ન તો કોઈ પુરાણી ધર્માંતરશાઈ તરાહનું હતું, ન તો નકરું રાહતનું હતું. એમને સાક્ષાત્કૃત સેવાસ્વરૂપ હકની લડાઈનું હતું. બંધારણના પાંચમા શીડ્યુલની જોગવાઈ મુજબ આદિવાસીઓને જે બધું મળવું જોઈએ – એટલે કે તેઓ પૂરા કદના નાગરિકમાં સ્થપાઈ શકે – તે ફાધર સ્ટેન સ્વામીના સેવાસંઘર્ષમાં રહેલું ઋત હતું. બંધારણની લડાઈ, બંધારણીય રાહે લડનારા જોધારમલ એ હતા.
વાત એમ છે કે જળ, જંગલ, જમીન બાબતે આમ અધિકારની બડી બડી બાતાં ને કાનૂની જોગવાઈઓ કરતે છતે અગ્રવર્ગ, ખાસ કરીને સત્તા-પ્રતિષ્ઠાન પોતાની પકડ છોડવા રાજી નથી હોતું. હકની લડાઈના હામી માત્રમાં સત્તા-પ્રતિષ્ઠાનોને ઘણુંખરું શત્રુબોધ થતો હોય છે. સુધા ભારદ્વાજ ને આનંદ તેલતુંબડેથી માંડી સ્ટેન સ્વામી સહિતના જે સોળ જણાને પકડાયા એમના પરના આરોપો મનઘડંત હતા એમ કહેવું તે આખી પ્રક્રિયાની ટીકા શૂળીને બદલે સોયે કરવા જેવું છે. ત્યારે પણ કહેવાયું હતું અને હમણાં પણ ‘વૉશિંગ્ટન પોસ્ટ’ના હેવાલ પ્રમાણે ફોરેન્સિક તપાસથી બહાર આવ્યું છે તેમ કમ્પ્યુટર સાથેની એ વાયરસી કરામત હતી. પુરાણોમાં નહીં કલ્પેલ એવો એક અસુર, નામે માલવેર, એનાં એ કારસ્તાન હતાં અને છે. સત્તા-પ્રતિષ્ઠાનની સત્તાંધ સમજને શું કહીશું કે તે માલવેરાસુરને વશ વર્તવામાં પોતાનો મોક્ષ જુએ છે.
જે એક આખું ચિત્ર આપણી શાસકીય ને ન્યાયકીય પ્રથાસમગ્ર પરત્વે આ વિક્રિયા દરમિયાન ઊભું થઈ રહ્યું છે તે એ છે કે જે પણ થયું તે કથિત ધોરણે કાનૂનન અને કાનૂનન જ છે. ૮૩-૮૪ વરસના પાર્કિન્સનગ્રસ્ત બુઝુર્ગને હાથમાં ચમચી ઝાલવાનાયે વેતા ન હોય અને તેને પ્રવાહી લેવા વાસ્તે સિપરની જરૂરત હોય તે પણ વકીલ મારફતે માગણી કરવી પડે એ ક્યાંનો ન્યાય. અલબત્ત, કાનૂનન તે કાનૂનન. અધૂરામાં પૂરું, યુ.એ.પી.એ. મુજબ જામીન માંગણીના તબક્કે વાસ્તવિક ગુનો થયા ન થયાનો મુદ્દો લક્ષમાં લેવાતો નથી. આખો કેસ ચાલી જાય તે પછી એ નક્કી થાય તો થાય. અલબત્ત, કાનૂનન તે કાનૂનન.
સ્ટેન સ્વામીએ તો માયા એન્જેલોને સંભારીને કહ્યું કે પિંજરનું પંખી પણ ગાઈ તો શકે છે ને. વાત સાચી, પણ આ શબ્દોની પેલી પાર હાલના સત્તા-પ્રતિષ્ઠાન સહિત આપણી સમગ્ર રાજકીય-શાસકીય પ્રથાની જે સંવેદનશૂન્ય ને અમાનવીય ભીંસ ને ધોંસ રહેલ છે એનું શું. આ લખી રહ્યો છું ત્યારે સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ ચંદ્રચુડના એ ઉદ્ગારો જોઉં છું કે આતંકવાદવિરોધી કાયદા તે અસંમતિનો અવાજ રૂંધવા માટેના કે નાગરિકને ત્રાસ આપવાના નથી. સ્ટેન સ્વામીની શહાદતના ભણકારા વાગતા હતા એ જ કલાકોમાં દેશના વડા ન્યાયમૂર્તિનાંયે આવાં જ વચનો સંભળાયાં હતાં, પણ –
શોષિતવંચિત વાસ્તે જીવન વ્યતીત કરનારે આમ જ શહાદત વહોરતા રહેવાનું હોય તો એને સ્વરાજનાં પંચોતેર વરસની લબ્ધિ ગણીશું? રે, નિયતિ!
જુલાઈ ૧૪, ૨૦૨૧
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2021; પૃ. 01