સિંહને જંગલનો રાજા કહ્યો છે. તેને બાદશાહી ઠાઠથી જંગલમાં ફરતો જોવાનું બધાંને નસીબ થતું નથી. તેનો ફોટો જોઈએ તો પણ તેની ગર્વિષ્ઠ મુદ્રા જોઈને અહોભાવ થયા વગર રહેતો નથી. તેને કેવું મસ્ત શરીર મળેલું છે ! એવું જ હાથીનું પણ ખરું. તેને રંગ કાળો છે, પણ તેનું મદમસ્ત શરીર જોવાનું આપણને ગમતું હોય છે. કીડીની એકની પાછળ એક હાર થાય છે તે પણ જોઈ રહેવાનું ગમે છે. તેનું નાનકડું શરીર સરકે છે ત્યારે થાય છે કે આટલી અમથી કીડી ખાતી શું હશે ને ડાયેટિંગ શું કરતી હશે? તેને જરા અમથી ઝાપટ મારીને આપણે કેવી વેરવિખેર કરી નાખતાં હોઈએ છીએ ! એમાં સિંહણ, કે હાથણી કે કીડીબાઈ એ માદા જાતિ છે. એની જાતિગત વિશેષતાની આપણને છે એટલી માહિતી એમને નથી ને છતાં સિંહ, સિંહણને કે હાથી, હાથણીને ઓળખી લે છે. નર અને માદા વચ્ચેનો ભેદ પશુપંખીને ભણાવવાની જરૂર પડતી નથી, એ ભેદ મનુષ્યને ભણાવવો પડે છે. મનુષ્ય વિષેનું જ્ઞાન સૌથી વધારે મનુષ્યને છે ને એટલે જ કદાચ એની સમસ્યાઓ પણ સૌથી વધુ છે. પ્રાણીઓમાં સિંહ-સિંહ કે હાથણી-હાથણી વચ્ચે સંબંધો બંધાતા નથી, પણ પુરુષ-પુરુષ કે સ્ત્રી-સ્ત્રી વચ્ચે સંબંધો શક્ય બન્યા છે. આ સારું છે કે ખરાબ તેમાં ન પડીએ તો પણ તે કુદરતી નથી એવું ઘણાંને લાગે છે.
એ અકુદરતી એટલે પણ લાગે છે, કારણ કે પશુપંખીમાં પ્રજોત્પત્તિ નર-માદાના સહયોગથી થતી આવી છે. સહયોગ શક્ય બને એટલા માટે પણ નર-માદાનો ભેદ પરાપૂર્વથી ચાલી આવે છે. મનુષ્યમાં પણ સ્ત્રી-પુરુષનો સંયોગ, સંતાન પ્રાપ્તિ માટે જરૂરી મનાયો છે. સ્ત્રી-પુરુષનો શારીરિક ભેદ પણ એ માટે જ કુદરતે રાખ્યો છે, ત્યારે પુરુષ-પુરુષ કે સ્ત્રી-સ્ત્રી વચ્ચેનો સંબંધ પેલા કુદરતી ભેદની ઉપરવટ જાય છે એવું નથી લાગતું? વિજ્ઞાન કુદરતને ખોટી પડે અને આવનારા સમયમાં પુરુષ-પુરુષ દ્વારા કે સ્ત્રી-સ્ત્રી દ્વારા બાળક પ્રાપ્ત કરે એ શક્ય છે. એ જે હોય તે, પણ વસ્તી વિસ્ફોટ થયો હોય તો પણ બાળકના જન્મ પર હજી સુધી તો પૂર્ણવિરામ મૂકાયું નથી, મતલબ કે બાળક હજી આ પૃથ્વીને ખપે છે ને તે કોઈ પણ દેશ, જાતિ કે ધર્મ માટે સાચું છે ને અત્યાર સુધી તો માતૃત્વ, સ્ત્રી જ ધારણ કરતી આવી છે એટલે તે જ માતા બને એવી અપેક્ષા રહે તે પણ સ્વાભાવિક છે.
હવે જે વિચિત્રતા કે વિશેષતા સ્ત્રી-પુરુષ સંદર્ભે કુદરતે આપી છે તે સંદર્ભે થોડી વાત કરીએ. ગમે એટલો અધર્મ ચાલતો હોય તો પણ વિશ્વમાં ધર્મનું ચલણ હજી રહ્યું છે. ધર્મ છે એટલે ઈશ્વર છે. બધા ધર્મમાં શરીર અને આત્માની વાત છે. બધા ધર્મમાં સ્ત્રી અને પુરુષ છે. બંનેને શરીર છે, શરીરનો ભેદ છે, પણ આત્મા એક જ છે. એમાં કોઈ ભેદ નથી. સ્ત્રીને કે પુરુષને જુદું શરીર છે, પણ આત્મા જુદો નથી. તે બંનેમાં એક જ છે. શરીર તો દેખાય છે, પણ આત્મા દેખાતો નથી. એ શરીરની જીવંતતાને લીધે અનુભવાય છે. શરીર ચોક્કસ નામે ઓળખાય છે, જ્યારે આત્માની સીધી કોઈ ઓળખ નથી એટલે તે જુદા જુદા નામે પણ ઓળખાય છે. શરીર દેખાય છે એટલે સ્ત્રીનું કે પુરુષનું કે બાળકનું શરીર દેખાય છે, તે સ્પર્શી શકાય છે, અનુભવી શકાય છે. આત્માનું એવું નથી. તે સ્પર્શી કે જાણી શકાતો નથી. હા, તે શરીર દ્વારા અનુભવી શકાય છે. શરીર જીવંત છે તે આત્માને કારણે. શરીર મૃત હશે તો આત્મા અનુભવી શકાશે નહીં. વારુ, પશુપંખીને શરીર કેટલું અનુભવાતું હશે તે તો તેઓ જાણે, પણ આત્માનું ચિંતન તેમની પાસે નહીં જ હોય, કારણ તેમની પાસે ધર્મ નથી, ધર્મની સ્થાપના નથી એટલે તેનો સ્થાપક પણ નથી. એ લાભ મનુષ્યને જ મળ્યો છે. પ્રાણી પાસે લાગણી હશે, સમજ હશે, પણ જ્ઞાન નથી. જ્ઞાન મનુષ્ય પાસે જ છે. જ્ઞાનને કારણે જ અજ્ઞાન પણ પ્રગટ થયું છે. અજ્ઞાન અને વિજ્ઞાન, જ્ઞાનને કારણે પ્રગટ થયાં છે તે મનુષ્યની જ વિશેષ ઉપલબ્ધિ છે.
સામાન્ય માણસને શરીરની જેટલી સમજ પડે છે એટલી કદાચ આત્માની પડતી નથી. હા, શરીરની અવગણનાનો બોધ સાધારણ માણસને અપાતો રહે છે ને એને લીધે એ સતત મૂંઝાતો પણ રહે છે. જે સ્ત્રીનું રૂપ જોઈને કે તેનો દેહ જોઈને પુરુષ આકર્ષાતો હોય તે શરીરનો મોહ ન રાખવાનું માણસને કહેવાય તો તે મૂંઝાય તેમાં નવાઈ નથી. સ્ત્રીનું લાવણ્ય, તેની કમનીય કાયા જો ઋષિમુનિઓના તપ ચળાવી શકે તો સાધારણ માણસને તેનું ખેંચાણ કેમ ન હોય? એવું જ સ્ત્રીઓને પક્ષે પણ ખરું. પુરુષનું કસાયેલું મજબૂત શરીર, તેની બુદ્ધિ વગેરે સ્ત્રીને પણ આકર્ષે છે. હવે તો સ્ત્રીઓ, પુરુષોને સ્પષ્ટ રીતે સ્વીકારતી કે નકારતી થઈ છે. ન ગમતા પુરુષ જોડે તે હવે જિંદગી કાઢવા તૈયાર થતી નથી, છતાં સ્ત્રી આજે પણ પુરુષોથી છેતરાય છે ને પુરુષ પણ સ્ત્રીનું આકર્ષણ ખાળી શકતો નથી ને તે પણ છેતરાય છે. ટૂંકમાં, શરીર, સ્ત્રી કે પુરુષ માટે અવગણી શકાય તેવી સ્થિતિ જ નથી, એ શરીરનો મોહ છોડવાના ઉપદેશો સાધુસંતો છાશવારે આપતા રહે છે, જ્યારે વાસ્તવિક્તા એ છે કે એવા ઉપદેશકો પણ સ્ત્રી કે પુરુષના દેહને અવગણી શકતા નથી. શરીર નાશવંત છે ને એનો મોહ છોડવા જેવો છે એવું પરાપૂર્વથી કહેવાતું આવ્યું છે ને હકીકત એ છે કે શરીરનો મોહ છોડવાનું ઓછું જ બન્યું છે. સવાલ તો એ પણ છે કે જે શરીર, જન્મથી વગર માંગ્યે મળ્યું છે ને એ પણ બે વિજાતીય શરીરનાં મિલનનું જ પરિણામ છે એનો મોહ શું કામ ન હોવો જોઈએ?
એના જવાબમાં એમ કહેવાય છે કે શરીર તો નાશ પામવાનું છે, જ્યારે અમર છે તે તો આત્મા, તો એનું ચિંતન કરવું. સાચી વાત, પણ એ પણ છે તો શરીરમાં જ ને ! તો જે આત્માને શરીર સાચવે છે એની ચિંતા માણસે કેમ ન કરવી? શરીરનો નાશ થાય છે, પછી આત્મા બીજા શરીરમાં પ્રવેશે છે, એ સાચું હોય તો પણ, જે નાશ પામ્યું છે એ શરીરને એની ખબર કેમ પડે ને કોણ પાડે કે એનો આત્મા બીજું શરીર ધારણ કરે છે? જે આત્માની શરીરની બહાર કશી ખાતરી નથી એને માટે શરીરનો મોહ શું કામ છોડવો? જો આત્મા હોય તો તે શરીરમાં જ છે, શરીરની બહાર તેનું કોઈ અસ્તિત્વ નથી. કોઈ માણસે આજ સુધી શરીરની બહાર એકલો આત્મા જોયો, જાણ્યો નથી ને જે કૈં ચૈતન્ય અનુભવાય છે તે શરીરને અનુભવાય છે, તો તે શરીરને અવગણીને તો કેમ ચલાય?
એકલું તન આત્મા વગર, ચૈતન્ય વગર મૃત છે. તન નથી, તો કૈં નથી. હવે શરીરની બહાર ચૈતન્ય હોય તો શું ને ન હોય તો શું? ગમે એટલી સ્વરૂપવાન સ્ત્રી રાજરાણી જ કેમ ન હોય, પણ તે જીવતી નથી તો તેનું શરીર કશા ખપનું નથી. આખા ય દેશનો અધિપતિ પુરુષ જો મૃત હશે તો કોઈ અદ્દભુત રૂપવતી તેને પરણવા તો શું, જોવા પણ તૈયાર નહીં થાય. જગતમાં ખપે છે તે ચૈતન્ય. તેને લીધે દેહ હાલે છે, ચાલે છે, ઊડે છે. એકલી પાંખ ઊડતી નથી. એકલી આંખ જોતી નથી, એ શરીરને છે તો ઊડે છે કે જુએ છે.
હવે શરીર વગરના આત્માની વાત કરીએ તો શરીરભેદ સ્ત્રી-પુરુષમાં છે, પણ આ સ્ત્રીનો કે પુરુષનો આત્મા એમ જુદા જુદા આત્મા નથી. આત્માને એક કહ્યો છે એટલે પણ સ્ત્રી અને પુરુષના આત્મામાં ભેદ ન હોય એ સમજી શકાય એમ છે. વારુ, એકલું ચૈતન્ય પણ ક્યાં ય નથી. શરીર વગરનો આત્મા કૈં કામનો ખરો? એ અમર હોય તો પણ તે શરીરમાં હોવાને લીધે અમર છે. તે શરીર બદલે છે, પણ બદલે છે તેથી તે છે. એકલો આત્મા શરીર વગર તો દરિયો છે ને જળ નથી, એના જેવો છે. એટલે એકલું તન કૈં નથી, જેમ એકલું મન કૈં નથી. જે છે તે તનમન સાથે છે, એકબીજા સાથે સંલગ્ન છે, અભિન્ન છે તેને લીધે છે. જીવંત, ધબકતું શરીર જ બધું છે. એ શરીર દ્વારા સ્ત્રી, પુરુષને ચાહે છે ને એના દ્વારા એના મનને, એના સમગ્ર અસ્તિત્વને પામે છે, એવું જ પુરુષનું પણ છે, એ પણ દેહ દ્વારા સ્ત્રીનાં મનને એનાં સમગ્રને પામે છે. જ્યાં એવું છે ત્યાં પ્રશ્નો નથી. પ્રશ્નો આમાં કૈં ખૂટે ત્યારે જન્મે છે. એકલા આત્માને તો કોઈ ચાહતું નથી, હા, એકલાં શરીરને કોઈ ચાહે એમ બને, પણ ત્યાં પછી એકલું શરીર જ હાથમાં આવે છે, પેલું શરીરને ધબકાવતું ચૈતન્ય તો છેટું જ રહે છે ને પામવા જેવું તો એ જ છે ને ! કોઈ લાશને તો શું કામ ચાહે, જ્યાં મરેલી ધરતી પણ ઘાસ ફોડવાનું ચૂકતી ન હોય …?
000
e.mail : ravindra21111946@gmail.com