Opinion Magazine
Opinion Magazine
Number of visits: 9376304
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

તમારું ‘નાગરિક’ ન હોવું એમને ફળે છે

પ્રકાશ ન. શાહ|Samantar Gujarat - Samantar|30 August 2014

– તમારું 'નાગરિક’ ન હોવું એમને ફળે છે

– સો દિવસને છેડે; 'વિકાસ’ની હવાઈ છત્રી તળે નાતજાતકોમનું રાજકારણ ધરાર બરકરાર

નમો શાસનને સો દિવસ થવામાં છે અને સર્વોચ્ચ અદાલત દેશનાં પ્રધાનમંડળોમાં દાગી મંત્રીઓના ધરાર હોવા વિશે દુ:ખ, ચિંતા અને નિસબતની લાગણી આક્રોશમાં ઝબકોળીને વ્યક્ત કરે છે. આ સૌને પરબારા ગેરલાયક ઠરાવવાનું તેને ઈષ્ટ લાગતું હોય તો પણ એ બંધારણની વર્તમાન જોગવાઈ ૭પ-૧ મુજબ પોતાનો સુવાંગ ઈલાકો નથી તે અલબત્ત સર્વોચ્ચ અદાલતના ખયાલમાં છે. એટલે વડા ન્યાયમૂર્તિ‌ લોધા સહિ‌તની પાંચ સભ્યોની બંધારણીય ખંડપીઠે, છેવટે, આ આખી વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યોના મુખ્યમંત્રીઓના વિવેક પર છોડી છે.

તેઓ ચાહે તો પોતાના દાગી મંત્રીઓને પડતા મૂકી શકે છે. સર્વોચ્ચ અદાલતે જે વિવેક વાસ્તે આરતભરી આશાટહેલ નાખી છે તેનો વિધાયક પ્રતિસાદ નમો કેવો અને કેટલો આપે છે એના પરથી એમના પહેલા સો દિવસનું એક માપ જરૂર મળી રહેશે. જો ગુજરાતમાં પુરુષોત્તમ સોલંકી અને બાબુભાઈ બોખીરિયાના દાખલા લક્ષમાં લઈએ અને બળાત્કારના આરોપસર તપાસ હેઠળ રાજસ્થાની કેન્દ્રીય મંત્રી નિહાલચંદ જૈનની ચાલુ દાસ્તાં લક્ષમાં લઈએ તો, કમનસીબે, પહેલા સો દિવસના સંદર્ભમાં આવી કોઈ ભેટ સંભવિત જણાતી નથી.

અર્થશાસ્ત્રી સ્વામીનાથ અંકલેસરિયા ઐયરે અર્થપ્રકરણી આશાભંગને જરી ફિલ્મી ઢબે વાચા આપી છે : 'હૈ મસ્ક્યુલર, હૈ પોપ્યુલર, બટ પપ્પુ કાન્ટ ડાન્સ સાલા.’ બને કે આ રીતની અભિવ્યક્તિ કઠે અને અમત્ર્ય સેન, જગદીશ ભગવતી, અરવિંદ પાનગરિયા, મોન્ટેક આહલુવાલિયાથી માંડીને રઘુરામ રાજન કે પછી ચિદમ્બરમ અને જેટલીના સ્તરે ચાલવી જોઈતી ચર્ચા એકદમ સડકછાપ બની ગયાનોયે પ્રતિભાવ જાગે. પણ અંકલેસરિયા ઐયર આપણા અર્થપ્રકરણી પત્રકારણની એક માહેર કલમ છે, અને આમ આદમીના આશાભંગને એમણે એની જ જબાનમાં વ્યક્ત કરવાપણું જોયું છે.

જોગાનુજોગ, આ સો દિવસોની જોડાજોડ મુઝફફરનગર કાંડને ય બરાબર એક વરસ પૂરું થાય છે. આ સહોપસ્થિતિ એ એક દુરદૈવ વાસ્તવનું સ્મરણ કરાવે છે કે વિકાસવેશી પ્રચારમારા તળે કોમી ધ્રુવીકરણ પ્રેરતી આખી એક રાજરમત ઉત્તરપ્રદેશમાં ભાજપ અને સમાજવાદી પક્ષના પોતપોતાના પ્રતિસ્પર્ધી કોમવાદથી રમાઈ હતી અને સૌ નિરીક્ષકો જે વિકાસફતેહ પર વારુંઓવારું છે તે ફતેહની ગાડીને કોમી ઊંજણ અને ઈંધણની એણે ભરચક સોઈ કરી આપી હતી.

આ લખી રહ્યો છું ત્યારે સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે કે ઉત્તર પ્રદેશ વિધાનસભાની પેટા ચૂંટણીઓમાં ભાજપ તરફે સૌથી વડા ઝુંબેશકાર તરીકે યોગી આદિત્યનાથ રહેશે. તાજેતરમાં લોકસભાની ચર્ચા દરમિયાન જેમણે આદિત્યનાથને સાંભળ્યા હશે એમને દસ વરસ માટે કોમી હિંસાને મોરેટોરિયમ ફરમાવતી લાલ કિલ્લા તકરીર અને આ વડા ઝુંબેશકારની વાસ્તવિક ભૂમિકા બેઉ બે અને બે ચારની જેમ સમજાઈ રહેશે. કદાચ, એ એક ફાવી ગયેલો અને ફળતો રહેલો રવૈયો છે.

વિકાસ વાર્તાનું એર કવરેજ અને જમીની ખેલ કોમી દસ્તાનો ઉત્તર પ્રદેશના વરવા ચિત્રમાં અખિલેશ શાસનની કમજોરી અને દિલદગડાઈએ ભાજપના કોમી ધ્રુવીકરણના ગણિતને ખાસી મદદ કરી કરી છે તે ઉઘાડું છે. પણ ગમે તે કારણસર આઝમખાનથી કિનારો કરતી સમાજવાદી રણનીતિ અને આદિત્યનાથને આગળ જ આગળ કરતી ભાજપી રણનીતિ, નમોની મોરેટોરિયમ મુહિ‌મને સવાલિયા દાયરામાં તો મૂકી જ આપે છે.

કહેવું હોય તો કહી શકાય – અને એમાં એક હદ સુધી સચ્ચાઈ પણ છે – કે બિહાર વિધાનસભાનાં ચૂંટણી પરિણામોએ કદાચ એવું બતાવી આપ્યું છે કે નમોની કથિત અપીલ ઉપરનો વરખ ઊખડી શકે છે. નીતિશ અને લાલુનું ભલે અસ્તંગમિત મહિ‌મા સરખી તોયે કોંગ્રેસે સહિ‌તનું સાથે આવવું નમો ભાજપ સામે પડકારરૂપ બની શકે છે. આ જ ધોરણે મુલાયમે માયાવતી સાથે સમજૂતીની તૈયારી બતાવી છે એ સૂચક છે. જો કે માયાવતીએ કોઈ વિધાયક પ્રતિસાદ નથી આપ્યો.

પણ એ સંભારવું રસપ્રદ થઈ પડશે કે ૧૯૯૨ની અયોધ્યા ફતેહ કલ્યાણસિંહ માટે ૧૯૯૩માં લખનૌ પરાજયમાં ફેરવાઈ ગઈ હતી એનું એક રહસ્ય સપ-બસપ (મુલાયમ-માયાવતી) એકત્ર આવ્યાં એમાં હતું. ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં અને બિહારમાં મોદીની ઓબીસી ઓળખ કદાચ આ જ ધાટીએ ઉછાળાઈ હતી. મતલબ, કર્ણબધિરકારી વિકાસ શોર એને ઠેકાણે બરકરાર છે – બાકી, તમે કાં તો ઓબીસી સહિ‌ત ગોળબંદ હિંદુ વિ. મુસ્લિમ છો અગર ઉજળિયાત વિ. ઓબીસી વિ. દલિત છો. તમે તેમને સારુ ક્રયવસ્ત કે ક્રીડાવસ્તુ છો, નાગરિક નથી.

તમારું આ નાગરિક ન હોવું તમને પણ ફાવતું આવે છે અને એમને પણ ફળતું રહે છે. છેલ્લાં પચીસ વરસમાં કોઈ પણ પક્ષને કેન્દ્રમાં ન મળી હોય એવી અને એટલી બહુમતી પછી પણ જો આ જ ચિત્ર જોવાનું હોય તો લોકને મળી રહ્યું એ બદલી અવેજ કહેતાં સિબ્સ્ટટયૂટ હશે, વિકલ્પ કહેતાં ઓલ્ટરનેટિવ તો નથી. કબૂલ કે સો દિવસ માત્રથી આવા તારણ ઉપર એકદમ ઊતરી ન અવાય. કહી તો શકાય કે તમારે એમને સમય આપવો જોઈએ. એમની સામે હજુ પૂરી મુદ્દત પડી છે એ તો સાચું જ છે. થોભો અને રાહ જુઓ.

ભલે ભાઈ, આ તો લાગ્યું તેવું લખ્યું… બાકી બોલ્યુંચાલ્યું માફ

સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, 30 અૉગસ્ટ 2014

Cartoon courtesy : "The Indian Express", 30 August 2014

Loading

30 August 2014 પ્રકાશ ન. શાહ
← Jain Food
સાંપ્રત પરિસ્થિતિમાં આપણું દાયિત્વ →

Search by

Opinion

  • બિઈંગ નોર્મલ ઈઝ બોરિંગ : મેરેલિન મનરો
  • અર્થ-અનર્થ – આંકડાની માયાજાળમાં ઢાંકપિછોડા
  • ચૂંટણી પંચની તટસ્થતાનો કસોટી કાળ ચાલી રહ્યો છે.
  • હે ભક્તો! બુદ્ધિનાશે વિનાશ છે!
  • પ્રમુખ કેનેડી : અમેરિકા તો ‘પરદેશી નાગરિકોનો દેશ’ છે

Diaspora

  • આપણને આપણા અસ્તિત્વ વિશે ઊંડા પ્રશ્નો પૂછતી ફિલ્મ ‘ધ બ્લેક એસેન્સ’
  • ભાષાના ભેખધારી
  • બ્રિટનમાં ગુજરાતી ભાષા-સાહિત્યની દશા અને દિશા
  • દીપક બારડોલીકર : ડાયસ્પોરી ગુજરાતી સર્જક
  • મુસાજી ઈસપજી હાફેસજી ‘દીપક બારડોલીકર’ લખ્યું એવું જીવ્યા

Gandhiana

  • કર્મ સમોવડ
  • સ્વતંત્રતાનાં પગરણ સમયે
  • આપણે વેંતિયાઓ મહાત્માને માપવા નીકળ્યા છીએ!
  • ગાંધીજી જીવતા હોત તો
  • બે પાવન પ્રસંગો

Poetry

  • વચ્ચે એક તળાવ હતું
  • ઓલવાયેલો સિતારો
  • કારમો દુકાળ
  • વિમાન લઇને બેઠા …
  • તારવણ

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day
  • Destroying Secularism
  • Between Hope and Despair: 75 Years of Indian Republic

Profile

  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર
  • મૃદુલા સારાભાઈ
  • મકરંદ મહેતા (૧૯૩૧-૨૦૨૪): ગુજરાતના ઇતિહાસલેખનના રણદ્વીપ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved