આખો દેશ આશ્ચર્યચકિત છે! માત્ર ભારત નહીં, આખું વિશ્વ ફાટી આંખે ભારત તરફ જોઈ રહ્યું છે. મુસ્લિમ વિશ્વ ચોંકી ગયું છે અને સૌથી વધુ આંચકો હિન્દુત્વવાદીઓને લાગ્યો છે. સહિયારા ભારતને બચાવવા અને મૂળભૂત અધિકારયુક્ત સહિયારું ભારત જેમાં કંડારવામાં આવ્યું છે એ ભારતના બંધારણને બચાવવા મોટા પ્રમાણમાં યુવાનો બહાર નીકળ્યા છે. હું જ્યારે યુવાનો કહું છું ત્યારે તેમાં યુવતીઓનો સમાવેશ થઈ જાય છે અને યુવતીઓની સંખ્યા તો યુવાનોથી ઘણી વધારે છે. મુસલમાનોના પ્રતિકારનો ચહેરો સ્ત્રીઓ છે. તેમની ધૂંવાધાર બુદ્ધિપૂર્વકની દલીલો સાંભળીને ભક્તો ડઘાઈ ગયા છે અને પોતાના નેતાઓની બુદ્ધિદરિદ્રતા જોઇને થોડા લજવાય પણ છે.
સવાલ એ છે કે આવું બન્યું કેમ? આપણે નાગરિકશાસ્ત્ર તો સરખું ભણાવ્યું નથી; તો પછી લોકોને અધિકાર, હક, સમાનતા, નાગરિકતા, કાયદાનું રાજ, ફાસીવાદ વગેરે ચીજોની જાણ કેવી રીતે થઈ? સો માર્ક્સના પેપરમાં ૭૫ માર્ક્સ ઇતિહાસના અને ૨૫ માર્ક્સ નાગરિકશાસ્ત્રના અને એ પણ કોઈ પસંદગીનો અભણ શિક્ષણ ભણાવે. ચાર દાયકા પહેલાં કોઠારી કમિશને નિરીક્ષણ કર્યું હતું કે જેમ ‘અભણ’ ખેડૂતને સારો નાગરિક બનતા શીખવાડવું જરૂરી છે એમ જ ‘ભણેલ’ સારા ડૉક્ટરને પણ સારો નાગરિક બનતા શીખવાડવું પડે એમ છે. કોઈ વિષયમાં તજજ્ઞ હોવું એ એક વાત છે અને દેશનો નાગરિક હોવું એ બીજી વાત છે. તજજ્ઞ તો ડૉક્ટરની જેમ તેના કામમાં ખેડૂત પણ છે. દેશના દરેક નાગરિકને નાગરિકધર્મની જાણ હોવી જોઈએ. આ માટે તેમણે કૉલેજોમાં દરેક ફેકલ્ટીઝમાં નાગરિકધર્મનું પ્રશિક્ષણ આપનારો ફાઉન્ડેશન કૉર્સ દાખલ કરવાની ભલામણ કરી હતી. આ પ્રયોગ પણ કૉલેજોના મેનેજમેન્ટે અને શિક્ષકોએ મળીને નિષ્ફળ બનાવ્યો હતો, કારણ કે એ પાસ-નાપસનો નિર્ણય લેનારો કે ટકાવારી વધારનારો ફરજિયાત વિષય નહોતો.
આપણા સંસદીય રાજકારણમાં રાજકીય શિક્ષણને તો કોઈ પ્રાથમિકતા આપી જ નથી. મોટા ભાગના પક્ષો બાપીકી પેઢી જેવા પારિવારિક છે. જે આવા પક્ષો નથી તેમાં પણ લોકતંત્રનો અભાવ છે એટલે સામાજિક-રાજકીય પ્રશ્નોની પક્ષના મંચ પરથી કોઈ ચર્ચા થતી નથી. કાર્યકર્તાઓનું પ્રશિક્ષણ કરવામાં આવતું નથી. ચૂંટણીઓ સત્તા મેળવવા માટે લડવામાં આવે છે, એટલે ચૂંટણી ટાણે મતદાતાઓ સાથે રાજકીય વિમર્શ થતો નથી. કેટલાક રાજકીય પક્ષ ધર્મ, જ્ઞાતિ, ભાષા અને પ્રદેશવાદનું સંકુચિત રાજકારણ કરે છે એટલે તેઓ તો લોકોના માનસની ક્ષિતિજ વિસ્તારવાની જગ્યાએ સંકુચિત કરે છે.
સંસદમાં અને વિધાન સભાઓમાં કોઈ સૈદ્ધાંતિક કે બૌદ્ધિક રાજકીય ચર્ચાઓ થતી નથી. ત્યાં તો ચર્ચા જ થતી નથી અને હવે તો ખરડાઓ પણ વગર ચર્ચાએ પસાર થવા લાગ્યા છે. ટી.વી. ચેનલો પર તો આજકાલ શ્વાનયુદ્ધ જોવા મળી રહ્યું છે એટલે ત્યાં ભારતના નાગરિકની કોઈ કેળવણી થઈ હોય એ શક્ય નથી. પ્રિન્ટ મીડિયામાં પણ કોઈ ગંભીર ચર્ચા ચાલે છે એવું નથી. અદાલતોમાં, વડી અદાલતોમાં અને હવે સર્વોચ્ચ અદાલતમાં પણ જજો એવાં નિરીક્ષણો કરે છે અને ચુકાદા આપે છે કે આપણને પ્રશ્ન થાય કે તેમણે બંધારણ વાંચ્યું છે કે કેમ?
ટૂંકમાં દરેકેદરેક સંસ્થાએ (શાળા, કોલેજ, રાજકીય પક્ષો, પ્રતિનિધિગૃહો, મીડિયા, અદાલતો વગેરે) ભારતના નાગરિકને નાગરિકધર્મથી વંચિત રાખ્યો છે તો પછી ભારતનો યુવા નાગરિક આ બધું શીખ્યો ક્યાંથી? સ્ત્રીઓને તો પરિવારમાં અને સમાજમાં પાછળ રાખવામાં આવે છે અને આજે આપણા દરેકના આશ્ચર્ય વચ્ચે જોઈએ છીએ કે પુરુષોએ સ્ત્રીઓને જગ્યા કરી આપવી પડે છે. દિલ્હીના શાહીન બાગમાં દોઢ મહિનાથી ધરણા કરી રહેલી ૯૦ વરસની દબંગ દાદી સાથે શાસકપક્ષનો કોઈ પણ માણસ ચર્ચામાં ઉતરી બતાવે. વડા પ્રધાન સહિત કોઈ પણ. પરિણામની ગેરંટી.
કાંઈક તો આ દેશની માટીમાં એવું છે જે કવિ ઇકબાલના શબ્દોમાં મીટે નહીં મિટતા. અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ જ્યોર્જ બુશ જુનિયર બુદ્ધિમતા માટે કોઈ ખ્યાતિ નથી ધરાવતા, પણ તેમણે બે વાત એવી કહી હતી જે આપણને ગૌરવનો અનુભવ કરાવે છે. ભારત સાથે અમેરિકાએ અણુસંધિ કરી ત્યારે પાકિસ્તાને પહેલાં તેનો વિરોધ કર્યો હતો અને પછી માગણી કરી હતી કે અમેરિકા પાકિસ્તાન સાથે પણ ભારત જેવી સંધિ કરે. એ સમયે પાકિસ્તાનને સંભળાવવા જ્યોર્જ બુશે કહ્યું હતું કે ભારતમાં ૧૭ કરોડ મુસલમાન છે, પણ ભારતે કે ભારતીય મુસલમાનોએ એક પણ ત્રાસવાદી પેદા નથી કર્યો.
બીજો પ્રસંગ સહઅસ્તિત્વનો છે. આજકાલ જગત નાનું બની રહ્યું છે અને અલગ અલગ સંસ્કૃતિ ધરાવતા લોકોને સાથે રહેવું પડે છે. આજના યુગના લોકોની એ ઈચ્છા કરતાં મજબૂરી છે. જગત કોસ્મોપોલિટન બની રહ્યું છે અને એ પ્રવાહને રોકી શકાય એમ નથી, ઉલટાવવો તો બહુ દૂરની વાત છે. તો અમેરિકા પણ છેલ્લાં દાયકાઓમાં હતું એનાં કરતાં ઘણું વધારે કોસ્મોપોલિટન બની ગયું છે અને બની રહ્યું છે. આ બધી પચરંગી પ્રજાઓ આપસમાં ઝઘડ્યા વિના સાથે કઈ રીતે જીવી શકે અને સહિયારો વિકાસલક્ષી અભિગમ કઈ રીતે વિકસાવી શકે એ પ્રશ્ન અમેરિકામાં ચર્ચામાં આવ્યો હતો. બ્રિટનની જેમ અમેરિકામાં પણ એક એવા પંચની રચના કરવામાં આવે જે અત્યારે જગત આખામાં જોવા મળતા બહુસંસ્કૃતિવાદ(મલ્ટી કલ્ચરલિઝમ)નો અભ્યાસ કરે એવો પ્રસ્તાવ હતો. એ સમયે અમેરિકાના પ્રમુખ જ્યોર્જ બુશે કહ્યું હતું કે નવા યુગમાં સાથે કેમ જીવાય એ શીખવા જગતે ભારત પર નજર કરવી જોઈએ. સહિયારાપણું અને સહઅસ્તિત્વ ભારત પાસેથી શીખવું જોઈએ.
ભારતની વિશેષતા પાછળનું પહેલું કારણ તો એ નજરે પડી રહ્યું છે કે સહઅસ્તિત્વ, સહિયારાપણું અને મર્યાદા ભારતીય પ્રજાને ગળથૂથીમાં મળે છે. આમાં જેમની અંદર ઝેર વાવવામાં આવ્યાં છે અને ઝેર ઊંડે સુધી પ્રસરી ગયું છે એવા કોમવાદીઓ જુદા, તેમની પાસેથી માણસાઈની અપેક્ષા રાખવી નકામી છે, પછી એ ગમે તે ધર્મના હોય. સરેરાશ ભારતીય સહઅસ્તિત્વ, સહિયારાપણું અને મર્યાદાના ગુણ ધરાવે છે.
બીજું કારણ એ છે કે સરેરાશ ભારતીય ભારતને જેટલું ઓળખવું જોઈએ એટલું ઓળખે છે. જેટલું એટલે કેટલું? કહો કે પ્રાથમિક ઓળખ. સરેરાશ ભારતીયને એ વાતની જાણ છે કે ભારતમાં અનેક કોમ વસે છે. અનેક ધર્મો, ભાષાઓ, રીતિરિવાજો એમ બહુવિધતાઓનો પાર નથી. એની વચ્ચે ભારત દેશ સદીઓથી ટકી શક્યો છે. લડીને આઝાદી મેળવી છે. આટલી વિવિધતા છતાં લગભગ દરેકને સ્વીકાર્ય બને એવું બધારણ ઘડ્યું છે. લોકશાહી ટકાવી રાખી છે અને લોકશાહી જાળવી રાખીને શક્ય એટલો વિકાસ સાધ્યો છે. ભારતની સાથે આઝાદ થયેલા બીજા દેશો નથી લોકશાહી ટકાવી શક્યા કે નથી વિકાસ સાધી શક્યા ત્યારે ભારતને બંનેમાં સંપૂર્ણપણે ભલે નહીં, પણ મહદઅંશે સફળતા મળી છે. આટલી પાયાની અને પ્રાથમિક જાણકારી સરેરાશ ભારતીય ધરાવે છે. આ બધું જ ભારતનાં બંધારણમાં પરીણત થયું છે. માટે રાષ્ટ્રવાદ, દેશપ્રેમ કે ધર્મપ્રેમ એટલો બધો ગાંડો ન હોવો જોઈએ અને વિધર્મીઓ પરત્વેનો દ્વેષ એટલો બધી આંધળો ન હોવો જોઈએ કે ગોળા સાથે ગોફણ પણ ફગાવી દઈએ.
ત્રીજું કારણ માતાનું વાત્સલ્ય છે. સ્ત્રીઓ આટલા મોટા પ્રમાણમાં રસ્તા ઉપર ઊતરી છે એનું કારણ માતૃહ્રદય છે. મને એવું ભારત નહીં ખપે જે મારાં સંતાનને નાગરિકતાવિહોણું બનાવે અથવા નાગરિકતા છીનવી લે. હું મરી જઈશ, ખપી જઈશ પણ મારા વારસનું માદરે વતન છીનવાઈ જાય એવું નહીં થવા દઉં. જે હાંસિયામાં છે એવી મુસ્લિમ, દલિત, આદિવાસી અને બીજી પછાત વર્ગની માતાઓ રણચંડી બનીને રસ્તા ઉપર ઊતરી છે. મુસ્લિમ સ્ત્રીઓએ પુરુષોને પણ કિનારે ધકેલી દીધા છે. કડકડતી ઠંડીમાં ૫૦ દિવસ ઉઘાડામાં બેસવા માટે માતાનું હ્રદય જોઈએ. આમાં ભારતની પાયાની કે પ્રાથમિક પરિચય ધરાવનારો અને બંધારણનું મૂલ્ય સમજનારો હિંદુ પુરુષ જોડાયો છે. હાંસિયામાં જીવતી પ્રજા બંધારણીય રાજમાં સુરક્ષિત હોવાની બહુમતી રાજમાં નહીં.
અહીં એક શંકા તો થાય જ છે. જે રીતે જગત બદલાઈ રહ્યું છે અને દેશ બદલાઈ રહ્યો છે એ જોતાં આ જોવું ગમે એવું મીઠું સપનું છે કે પછી વાસ્તવિકતાનો કોઈ આધાર છે? ખાસ કરીને યુવકો હાથમાં બંદૂક લઈને ત્રાસવાદીની જેમ રસ્તા ઉપર ઊતરે, ગોળીબાર કરે, ટેક્સી ડ્રાઈવર સી.એ.એ.નો વિરોધ કરનાર પેસેન્જરને પોલીસ સ્ટેશને પહોંચાડે ત્યારે પ્રશ્ન તો થાય જ કે ઝેર કેટલું ફેલાયેલું છે અને કેટલું ઊંડે ઊતરેલું છે? દિલ્હીની ચૂંટણીનાં પરિણામો આનો ઉત્તર આપશે. દિલ્હીના મતદાતાઓ કામ કરનારાઓની કદર કરે છે કે લડાવનારાઓની તેની જાણ ૧૧મી તારીખે થશે. દિલ્હીની ચૂંટણી આ દૃષ્ટિએ મહત્ત્વ ધરાવે છે.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 09 ફેબ્રુઆરી 2020