વડોદરામાં જન્મેલા અને અર્થશાસ્ત્રનું ભણીને લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં પ્રોફેસર અને પાછળથી બ્રિટિશ ખાસ સભામાં લોર્ડ બનેલા મેઘનાદ દેસાઈએ ૨૦૦૪માં એક પુસ્તક લખ્યું હતું – નહેરુ’ઝ હીરો : દિલીપ કુમાર ઇન ધ લાઈફ ઓફ ઇન્ડિયા (નહેરુનો હીરો : ભારતના જીવનમાં દિલીપ કુમાર). તેમાં એ લખે છે :
“નહેરુ જ્યારે બિનસાંપ્રદાયિક ભારતનું ઘડતર કરી રહ્યા હતા અને આંતરરાષ્ટ્રીય સાખ ઊભી કરી રહ્યા હતા, ત્યારે દિલીપ કુમારનું ફિલ્મી જીવન પણ નહેરુના એ રાષ્ટ્રીય આખ્યાનનો હિસ્સો બની ગયું હતું. ભારતનું જે શ્રેષ્ઠ હતું તે શ્રેષ્ઠ સમયે દિલીપ કુમારમાં જોવા મળ્યું હતું. એટલા માટે મારા પછીની પેઢીઓ પણ તેમને વ્હાલથી યાદ કરે છે. એ એક એવો આદર્શ હતા, જેમાં ગ્રામીણ અને શહેરી, પરિશ્રમી અને સુસ્ત, ટ્રેજીક અને કોમિક, ગરીબ અને તવંગર ભારત જોવા મળતું હતું. તેમને એ હકીકતનું ગૌરવ હોઈ શકે કે એ તેમની છેલ્લી ફિલ્મ સુધી બોક્સ ઓફિસ પર હીટ રહ્યા હતા. એક રાષ્ટ્રની મહત્ત્વાકાંક્ષાઓ અને આદર્શોને સાકાર કરવા અને તેનું મનોરંજ પણ કરવું એ નાની-સૂની સિદ્ધિ નથી. બહુ ઓછા કલાકારો એ કરી શક્યા છે. દિલીપ કુમાર ઉર્ફે યૂસુફ ખાન એમાંથી એક હતા.”
દિલીપ કુમાર અને તેમની ફિલ્મો વિશે બહુ બધું લખાઈ ગયું છે, હજુ પણ લખાશે. એક આખી પેઢી દિલીપ કુમારને જોઈને મોટી થઇ છે. દિલીપ કુમાર આઝાદ ભારતના પહેલા ફિલ્મી હીરો છે જેને વ્યાપક સ્વીકૃતિ મળી હતી. દિલીપ કુમાર પહેલા કલાકાર હતા જેમણે અભિનયના વ્યવસાયને સન્માનીય બનાવ્યો હતો. એ પહેલાં ફિલ્મોમાં કામ કરવું ‘ગંદું’ ગણાતું હતું અને સભ્ય પરિવારોનાં ફરજંદો ફિલ્મોમાં કામ કરતાં ન હતાં.
ખુદ દિલીપ કુમારના પિતા લાલા ગુલામ સરવર ફિલ્મોના સખ્ત વિરોધી હતા. એમને કલ્પના પણ નહીં હોય કે તેમનો દીકરો હિન્દુસ્તાન જ નહીં, દુનિયાનો મહાન અભિનેતા બનશે. પિતાને ખબર ન પડે એટલા માટે જ તેઓ યૂસુફ ખાનમાંથી દિલીપ કુમાર બની ગયા હતા. આ દિલીપ કુમારનું ખુદનું વર્ઝન છે. જો કે, નામકરણની બીજી કહાની એવી પણ છે કે ૧૯૪૪માં તેઓ જ્યારે ફિલ્મોમાં કામ કરવા આવ્યા, ત્યારે દેશ હિંદુ-મુસ્લિમના ઝેરમાં હિંસક રીતે વહેંચાયેલો હતો, અને હિંદુ નામ રાખે તો સ્વીકૃતિ (અને સલામતી) મળે તેવી હતી, એટલે તેમણે નામ બદલ્યું હતું.
ત્રીજી વાત એવી છે કે ૧૯૩૦ અને ૪૦ના દાયકામાં જેનો દબદબો હતો તે બોમ્બે ટોકીઝની માલકણ દેવિકા રાણીએ યૂસુફ ખાનને દિલીપ કુમારનું નામ આપ્યું હતું. બોમ્બે ટોકીઝમાં ત્યારે અશોક કુમાર મોટા સ્ટાર હતા, અને કોઈ કારણસર ઝઘડો થતાં એ બોમ્બે ટોકીઝ છોડીને જતા રહ્યા હતા. દેવિકા રાણીએ અશોક કુમારની જગ્યા ભરવા માટે નવા હિરોની તલાશ શરૂ કરી હતી, એમાં યૂસુફ ખાન નામના છોકરાનો ભેટો થયો, જે હિન્દી ફિલ્મોમાં કામ શોધતો હતો. દેવિકા રાણીએ ૧૯૪૪માં 'જ્વાર ભાટા' ફિલ્મ માટે યૂસુફ ખાનને પસંદ કર્યા અને તેમણે જ તેમનું નામ દિલીપ કુમાર પાડ્યું હતું કારણ કે એ નામ 'અશોક કુમાર' જેવું જ લાગતું હતું!
એ જે હોય તે, દિલીપ કુમાર જેમ બે નામના માલિક હતા, તેમ બે ભારતના સાક્ષી હતા. તે એવા ભારતમાં મોટા થયા હતા જ્યાં નામ છુપાવું પડતું હતું અને તે એ ભારતમાં સ્થિર થયા હતા જ્યાં અસલી નામનો છોછ નીકળી ગયો હતો. અભિનેતા તરીકે દિલીપ કુમારની પ્રગતિ અને એક રાષ્ટ્ર તરીકે ભારતનું ઘડતર એ સમાંતર ચાલતી પ્રકિયા છે. દિલીપ કુમાર એક એવા અવિભાજિત ભારતમાંથી આવ્યા હતા જ્યાં ગરીબી હતી, નિરક્ષરતા હતી, ગુલામી હતી અને હિંદુ-મુસ્લિમનું કોમી ઝેર હતું. અભિનેતા તરીકે તેમની છઠ્ઠી જ ફિલ્મ, રમેશ સહેગલની 'શહીદ'(૧૯૪૮)માં, દિલીપ કુમારે સ્વાતંત્ર્ય સેનાની ભૂમિકા કરી હતી, જેમાં એ દેશ માટે તો લડે જ છે, સાથે ઘરમાં પિતાની જોહુકમી સામે પણ મોરચો માંડે છે.
એક રીતે, ભારતના યુવાનોનું તે પ્રતિબિંબ હતા, જે ગુલામી અને ગરીબીમાંથી બહાર નીકળીને સભ્ય અને સન્માનની જિંદગી જીવવા માંગતા હતા. દિલીપ કુમારમાં આઝાદ ભારતના યુવાનોને એક એવો હીરો નજર આવ્યો હતો, જે સામાજિક-પારિવારિક મર્યાદાઓને પાર કરીને તેનાં સપનાં સાકાર કરતો હતો અને આજુબાજુમાં જે લોકો હતા તેને સુખી કરતો હતો.
દિલીપ કુમાર માત્ર અભિનેતા જ ન હતા, પણ એક અનિશ્ચિત ભવિષ્યમાં કદમ મૂકી રહેલા વિભાજીત રાષ્ટ્રની યુવા પેઢીની આશાઓ અને મહત્ત્વાકાંક્ષાઓનો સ્ક્રીન-અવતાર હતો. ૫૦ના દાયકામાં જ્યારે જવાહરલાલ નહેરુ નવા ભારતનું ચણતર કરી રહ્યા હતા, ત્યારે દિલીપ કુમારનું મેગા-સ્ટાર તરીકે સ્થાન મજબૂત થઇ ગયું હતું. આજે જેમ ત્રણ ખાન વર્તમાન પેઢીનું પ્રતિનિધિત્વ કરે છે, તેમ દિલીપ કુમાર એકલા હાથે એ સમયની પેઢીના આદર્શ હતા. કદાચ એ જ કારણ હતું જેથી નહેરુએ રાષ્ટ્ર ઘડતરમાં સકારાત્મક સંદેશો ફેલાવા માટે દિલીપ કુમારની મદદ લીધી હતી.
નહેરુના ગમતા હીરો પણ દિલીપ કુમાર, રાજ કપુર અને દેવા આનંદ હતા. એ ત્રણેય આજના પાકિસ્તાનમાં જન્મ્યા હતા અને આઝાદ ભારતના મુંબઈને કર્મભૂમિ બનાવી હતી. ૧૯૫૭ની ચૂંટણીઓમાં ત્રણેએ ઉત્તર મુંબઈની બેઠક પર કૉન્ગ્રેસ માટે પ્રચાર કર્યો હતો. દિલીપ કુમાર સક્રિય રાજનીતિથી દૂર રહ્યા હતા, પણ રાજનીતિ એટલી રાજી ન હતી! ૧૯૯૮-૯૦માં, પાકિસ્તાને તેના સૌથી ઊંચા નાગરિક સન્માન ‘નિશાન-એ-ઈમ્તિયાઝ’થી દિલીપ કુમારનું સન્માન કર્યું, ત્યારે બાળ ઠાકરેને નેતૃત્વ હેઠળની શિવસેનાએ તેમના માટે મુસીબત ઊભી કરી હતી; સન્માન પાછું પાકિસ્તાનના મ્હોં પર મારો અથવા ત્યાં રહેવા જતા રહો.
દિલીપ કુમાર માટે એ કફોડી સ્થિતિ હતી. તેમણે તત્કાલીન પ્રધાન મંત્રી અટલ બિહારી વાજપેયી પાસે ધા નાખી હતી. વાજપેયીએ તેમને રૂબરૂમાં અડધો કલાક સુધી સાંભળ્યા હતા અને એ બેઠકમાંથી આશ્વસ્ત થયેલા દિલીપ કુમારે પાકિસ્તાનનું સન્માન પોતાની પાસે રાખવાનો નિર્ણય કર્યો હતો. વાજપેયીજીએ ત્યારે એક સત્તાવાર નિવેદન જારી કરીને કહ્યું હતું, “ફિલ્મ સ્ટાર દિલીપ કુમારની રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્ર પ્રત્યેની પ્રતિબદ્ધતા બાબતે કોઈ સંદેહ નથી. એક વ્યક્તિગત હેસિયતથી તેમને મળેલો ખિતાબ રાખવો કે નહીં એ નિર્ણય તેમણે કરવાનો છે. તેને પાછો આપી દેવા કોઈ તેમની પર દબાણ કરી ન શકે.”
એ બેઠકમાં દિલીપ કુમારે ઓફર કરી હતી કે રાષ્ટ્રના હિતમાં વાજપેયી જો ઈચ્છશે તો તે ખિતાબ પાછો આપી દેશે.
૭મી જુલાઈએ, ૯૮વર્ષના દિલીપ કુમારનું અવસાન થયું, ત્યારે એ જ શિવસેનાના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેની સરકારે તેમને ૨૧ તોપોની સલામી સાથે અલવિદા ફરમાવી હતી.
પ્રગટ : ‘બ્રેકીંગ વ્યૂઝ’, નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 11 જુલાઈ 2021