“It is perfectly certain that India never saw a more learned Sanskrit scholar, a deeper metaphysician, a more wonderful orator, and a more fearless denunciator of any evil, than Dayanand since the time of Sankaracharya.”
– Madame Blavatsky
કોઈ ગ્રન્થને ઈશ્વરની રચના જાહેર કરો એટલે એ ગ્રન્થના પ્રત્યેક શબ્દ(કાનામાત્રા સહિત)ને પવિત્ર, પૂજનીય, અપરિવર્તનીય, ચિરંતન, અને સ્થળ તેમ જ કાળને અતિક્રમીને સદા પ્રાસંગિક તરીકે સ્વીકારવા રહ્યા અને સિદ્ધ પણ કરવા રહ્યા. એ માટે દેખીતી રીતે બે માર્ગ અપનાવવા રહ્યા; એક છે ધાક ધમકીનો, ડરાવવાનો અને બીજો છે એ ગ્રન્થની મહત્તા સિદ્ધ કરવાનો. બીજા કરતાં પહેલો માર્ગ સરળ છે. જો કોઈ પવિત્ર ગ્રન્થની પ્રાસંગિકતા વિષે સવાલ કરે તો તેને કયામતના દિવસે ભગવાન સજા કરશે એવો ડર બતાવી શકાય, ઉકળતા તેલમાં નાખવામાં આવશે એવી સજાનો ડર બતાવી શકાય, નર્ક(જાહ્ન્મ)નો ડર બતાવી શકાય, બહિષ્કાર કરવાનો ડર બતાવી શકાય અથવા કુફ્ર (કાફિર – અશ્રદ્ધાવાન) જાહેર કરીને પ્રાણ હરી શકાય. (ચર્ચ) ખ્રિસ્તીઓ inquisitionનો માર્ગ અપનાવતા હતા. Inquisition ચર્ચની એક એવી ન્યાયપ્રક્રિયા હતી જેમાં ઇસુ કે બાયબલના કથન વિષે શંકા કરનારાઓને વીણીવીણીને શોધવામાં આવતા હતા, કહેવાતા ગુનેગાર સામે તે તૂટી જાય એ રીતનો અસમાન ખટલો ચલાવવામાં આવતો હતો અને મોતની કે એવી આકરી સજા કરવામાં આવતી હતી. એ હકીકતમાં ન્યાયપ્રક્રિયા નહોતી, દંડપ્રક્રિયા હતી.
અલબત્ત, બીજા ગ્રન્થની સર્વકાલીન તેમ જ સાર્વત્રિક પ્રાસંગિકતા સિદ્ધ કરવાનો તાર્કિક-બૌદ્ધિક માર્ગ પણ તેમણે અપનાવ્યો હતો. ઇસ્લામમાં અલ ગઝાલીથી લઈને મૌલાના અબુલ કલામ આઝાદ આનાં ઉદાહરણ છે. પણ એમાં તેમને (ધર્મવેત્તાઓને) સફળતા મળી હતી એમ ન કહી શકાય. જેમ જેમ સમય બદલાતો ગયો અને જેમ જેમ પવિત્ર ગ્રન્થ લઈને ધર્મો બીજા દેશમાં, બીજા સાંસ્કૃતિક પરિવેશમાં અને નવી પ્રજા વચ્ચે જવા લાગ્યા અને એમાં પણ આધુનિક યુગમાં જગત જે રીતે સંકુલ બન્યું છે એમાં ધર્મગ્રંથોનાં કથનો ટૂંકા પડવા માંડ્યાં. આ મારો અભિપ્રાય છે, ચુસ્ત ધાર્મિકો આનો સ્વીકાર નહીં કરે અને એની સાથે તેઓ પોતાના ધર્મગ્રન્થની સર્વકાલીન તેમ જ સાર્વભૌમિક પ્રાસંગિકતા સમજાવી પણ નહીં શકે. એટલે તો ધાક-ધમકી અને ગાળોનો સરળ માર્ગ અપનાવવામાં આવે છે.
આમાં વળી વેદોની વાત જૂદી હતી. વેદોની રચના પાંચેક હજાર વરસ પહેલાં થઈ હતી. કેટલાક તો વીસેક હજાર વરસ જૂનાં હોવાનો પણ દાવો કરે છે. હજારો વરસ દરમ્યાન અલગ અલગ લોકોએ અલગ અલગ રીતે વેદોને જોયાં છે. તેનાં કેટલાંક મંત્રો મળતાં નથી અને કેટલાંક મંત્રોનો અર્થ લાગતો નથી. વિદ્વાનો વેદોને પૂર્વ વૈદિક અને ઉત્તર વૈદિક એવું વેદોનું વિભાજન પણ કરે છે. પૂર્વ વૈદિક મંત્રોમાં સૃષ્ટિનાં રહસ્યો જોઇને ભોળા મનમાં પ્રગટ થતાં વિસ્મયો જોવા મળે છે અને ઉત્તર વૈદિક મંત્રોમાં દાર્શનિક વિકાસ અને આગળ જતાં આશ્ચર્યચકિત થઈ જવાય એ હદે દાર્શનિક ઊંડાણ જોવા મળે છે. આ સિવાય વેદોનું વ્યાકરણ પણ થોડુંક અલગ છે. પાણિનિનું વ્યાકરણ સંપૂર્ણપણે લાગુ પડતું નથી. ટૂંકમાં હજારો વરસ દરમ્યાન અલગ અલગ સમયે અલગ અલગ લોકોએ વેદોને અલગ અલગ રીતે જોયા છે.
આ વેદને તેની રચના પછી પાંચ હજાર વરસે કે કદાચ દસ-કે વીસ હજાર વરસે કુરાન અને બાઈબલની માફક હિંદુઓના ‘ધ બૂક’ તરીકે રજૂ કરવા એ અઘરું કામ હતું. જે ગ્રંથોનો હિંદુ ચિત્તની સાથે ક્રમશ: વિકાસ થયો હોય તેને કાના માત્ર સહિત ઈશ્વર નિર્મિત સંપૂર્ણ ગ્રન્થ તરીકે રજૂ કરવા એ ભગીરથ કામ હતું. આ ભગીરથ કામ કરવાનું સાહસ સ્વામી દયાનંદ સરસ્વતીએ કર્યું હતું. પૂરી નિષ્ઠા સાથે અને સંપૂર્ણ સમર્પણ સાથે કર્યું હતું. અત્યાર સુધી વેદોના અર્થઘટન માટે સાયણાચાર્યના સાયણભાષ્યનો આશ્રય લેવામાં આવતો હતો. એ જ જૂનામાં જૂનું ઉપલબ્ધ ભાષ્ય હતું અને તે માટે સાયણાચાર્યે જે કોઈ સાધન ઉપલબ્ધ હતાં તેનો આશ્રય લીધો હતો. દયાનંદ સરસ્વતીએ કહ્યું હતું કે વેદોનાં ભાષ્ય માટે નિરુક્તનો આશ્રય લેવો જોઈએ. માત્ર વ્યાકરણ અને શબ્દમૂળ કે વ્યુત્પત્તિ દ્વારા જ વેદોના રહસ્ય સુધી પહોંચી શકાય.
વેદોને સમજવા માટે આ એક નવો અભિગમ હતો અને એ અભિગમને સિદ્ધ કરવા માટે મહર્ષિ દયાનંદે જે પરિશ્રમ લીધો હતો તેની શ્રી અરવિંદ ઘોષે દિલ ખોલીને પ્રસંશા કરી છે. માટે થિયોસોફીકલ આંદોલનનાં પ્રણેતા અને થિયોસોફીકલ સોસાઈટીનાં સ્થાપક મેડમ બ્લેવેટસ્કીએ સ્વામી દયાનંદને લેખના પ્રારંભમાં જે અવતરણ ટાંક્યું છે, એ શબ્દોમાં નવાજ્યા છે. વ્યાકરણને શાસ્ત્રોનું મુખ કહેવામાં આવે છે એટલે તેમણે વ્યાકરણ માટે લઘુસિદ્ધાંતકૌમુદી અને સિદ્ધાંતકૌમુદીનો શોર્ટકટ અપનાવવાની જગ્યાએ મૂળ પાણિનિનો અષ્ટાધ્યાયીનો માર્ગ અપનાવ્યો હતો. વ્યાકરણ શીખવા માટેનો એ માર્ગ લાંબો છે, પણ તર્કશુદ્ધ છે અને ખુદ પાણિનિએ એ પ્રયોજ્યો છે. ટૂંકમાં વ્યાકરણ અને નિરુક્ત દ્વારા વેદો સુધી પહોંચી શકાય અને એ પણ નવી રીતે. અર્વાચીન યુગમાં હિંદુઓ માટે શ્રેયસ્કર નીવડે એ રીતે. જો આટલું કરવામાં આવે તો વેદ હિંદુઓનો સર્વકાલીન અને સાર્વત્રિક એવો ઈશ્વરીય ગ્રન્થ સાબિત કરી શકાય. એ પછી શંકા કરવા માટે કોઈ જગ્યા નહીં રહે.
વેદો વિષે સ્વામી દયાનંદ સરસ્વતીનો જે અભિપ્રાય છે એ મને સ્વીકાર્ય નથી. હું તો માનું છું કે બાઈબલ અને કુરાન સહિત જગતમાં જેટલાં ગ્રંથો છે એ તમામ માનવનિર્મિત છે અને માટે સ્થળ અને કાળથી બાધ્ય છે. કોઈ ગ્રન્થ સર્વકાલીન અને સાર્વભૌમ નથી. પણ વેદો સુધી પહોંચવા માટેનો જે અભિગમ સ્વામી દયાનંદે આપ્યો હતો એ મહત્ત્વનો હતો.
દુર્ભાગ્યે સ્વામી દયાનંદ સરસ્વતીના આકરા અભિગમના કારણે, તેમની ભાષાના કારણે, સમાધાનો નહીં કરવાની તેમની જીદના કારણે તેમણે ચારે બાજુ દુ:શ્મનો પેદા કર્યા અને એમાં તેમનું જે મૌલિક યોગદાન હતું તેની પણ ઉપેક્ષા કરવામાં આવી. આજે પણ આર્ય સમાજના વિદ્વાનો તેમની ચોકસાઈ, ચીવટ, ભાષાશુદ્ધિ અને ઉચ્ચારણશુદ્ધિ માટે ખ્યાતિ ધરાવે છે. આર્ય સમાજની બહારના ધર્મધુરંધરોએ સ્વામી દયાનંદ સરસ્વતીના વેદો સુધી (ખરું પૂછો તો હિંદુ દર્શન સુધી) પહોંચવાના અભિગમને સહાનુભૂતિથી જોવો જોઈતો હતો. બીજું, આર્યસમાજનાં પોતાનાં ગુરુકુળો પણ નિષ્ફળ નીવડ્યાં અને હવે તો સમેટાઈ રહ્યાં છે. દયાનંદ એંગ્લો વૈદિક (નામ જ હાઈબ્રીડ છે જે દયાનંદ સરસ્વતીને ન ગમ્યું હોત) ડી.એ.વી.ની સ્કૂલો અને કૉલેજોમાં વૈદિકના નામે હવન થાય છે અને બાકીનું બધું એંગ્લો છે.
મારો એવો નમ્ર મત છે કે સ્વામી દયાનંદના ધાર્મિક-રાજકીય વિચાર ત્યારે પણ કાલબાહ્ય હતા એટલે આજે પણ છે. આ બાજુ શાસ્ત્રો સુધી પહોંચવાનો તેમનો અભિગમ ત્યારે પણ પ્રાસંગિક હતો અને આજે પણ છે. પણ આ મહેનતનું કામ છે એ કરે કોણ? આનાં કરતાં બાંધો મંદિરો અને કરો હિંદુઓનો જયજયકાર. એમ પણ કહી શકાય કે દયાનંદ અપ્રામાણિક જમાતના શિકાર છે.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 17 માર્ચ 2024