Opinion Magazine
Number of visits: 9957401
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મતદારોને પણ રાજકારણીઓનાં જૂઠ પસંદ હોય છે!

રાજ ગોસ્વામી|Opinion - Opinion|5 March 2024

રાજ ગોસ્વામી

ગયા વર્ષે, અમેરિકાની સુપ્રીમ કોર્ટમાં ઓહાયો રાજ્યનો એક કેસ આવ્યો હતો. તેમાં, ઓહાયોના ડેમોક્રેટ પ્રતિનિધિ (સંસદ સભ્ય) સ્ટીવ ડ્રાઈહોસે, તેની સામે સુસાન બી. એન્થની લિસ્ટ નામના બિન સરકારી, ગર્ભપાત વિરોધી સંગઠને એક જૂઠું વિજ્ઞાપન જારી કર્યું હોવાની ફરિયાદ કરીને કેસ કર્યો હતો. એ કેસ સુપ્રીમ કોર્ટમાં આવ્યો, ત્યારે ઓહાયો રાજ્યના સરકારી વકીલે રાજ્યના બચાવમાં કહ્યું હતું કે ઓહાયોએ ચૂંટણી પ્રચાર દરમિયાન ખોટાં નિવેદન કરવા પર પ્રતિબંધ મુકતો કાયદો બનાવ્યો છે અને આવો કાયદો પૂરા અમેરિકામાં લાગુ કરવો જોઈએ. તે વખતે, કોર્ટના ન્યાયમૂર્તિઓએ હસતાં-હસતાં એવી ટિપ્પણી કરી હતી કે એવું થાય તો દરેક ચૂંટણી પહેલાં ત્રણ-ચાર મહિના સુધી સંપૂર્ણ ચુપ્પી છવાઈ જશે!

રાજકારણીઓ બિન્દાસ્ત જૂઠ બોલે છે તે ભારત જેવા ‘ત્રીજા વિશ્વ’ની જ બીમારી નથી, તેનું ચલણ અમેરિકા જેવા ભણેલા-ગણેલા, વિકસિત દેશોમાં એટલું જ છે. ચૂંટણી પ્રચારમાં પૈસા પછી જેનો સૌથી છૂટથી ઉપયોગ થતો હોય તો, તે જૂઠ છે. નેતાઓ પોતાના વિશે જૂઠ બોલે છે, વિરોધીઓ વિશે જૂઠ બોલે છે, તેઓ નીતિઓ અંગે જૂઠ બોલે છે, તેનાં પરિણામો અંગે જૂઠ બોલે છે, તેઓ ભાષણોમાં, લખાણોમાં, રેલીઓમાં, પોસ્ટરોમાં, ચૂંટણી ઢંઢેરામાં, ટી.વી. પર, સોશિયલ મીડિયા પર જૂઠ બોલે છે.

રાજકારણીઓ જૂઠ બોલે છે તે વાત બધાને ખબર છે, પણ કોઈ એ નથી પૂછતું કે મતદારો એ જૂઠને ચલાવી કેમ લે છે? ઇન ફેક્ટ, રાજકારણીઓ જૂઠ બોલે છે તેમાં તેમના ચારિત્ર્યની ત્રૂટિ નથી, વાસ્તવમાં તેમના જૂઠ માટે લોકો જવાબદાર છે! લોકો તેમનું જૂઠ ચલાવી લેશે તેવો રાજકારણીઓને ભરપૂર વિશ્વાસ હોય છે. કેમ? કારણ કે રાજકારણીઓને ખબર છે કે તેમણે એ નથી બોલવાનું જે સાચું છે, પણ એ બોલવાનું છે જે મતદારોને સાંભળવું છે.

કોઈ નેતા લોકપ્રિય છે એટલે તેની વાતો સાચો નથી થઈ જતી. સંભાવના તો એવી હોય છે કે એ જૂઠ પણ હોઈ શકે, કારણ કે નેતા લોકોમાં અળખામણા થઈ જવાય એવું બોલવાનું ટાળે છે, અને લોકપ્રિય થવાય તેવું વધારે બોલે છે.

મજાની વાત એ છે કે એવો કોઈ મતદાર નથી જે એવું માનતો હોય કે નેતાઓ સાચું બોલે છે! તેને ખબર છે કે ચૂંટણી પ્રચાર જૂઠની પીઠ પર ચડીને કરવામાં આવે છે, છતાં તે હોંશે હોંશે તેને સાંભળે છે. કેમ? સોશિયલ સાઈકોલોજીમાં તેને ક્રાઉડ વિઝડમ (ટોળાનો વિવેક) કહે છે. તેમાં મોટી સંખ્યામાં લોકો કોઈ વાત માનતા હોય તો, બાકીના લોકો પણ તેને માનવા પ્રેરાય છે. 

ક્રાઉડ વિઝડમમાં, કોઈ વાત કેટલી લોકપ્રિય છે તેના પર લોકો પોતાનો મત કેળવતા હોય છે, નહીં કે તે સાચી છે એટલે. આ કારણથી જ રાજકારણીઓના જૂઠમાં માનનારાઓ ઘણા હોય છે. લોકશાહીમાં એટલા માટે જ બહુમતી લોકોનું અજ્ઞાન, વિશેષ જ્ઞાન ધરાવતા લઘુમતી પર ભારે પડે છે, જેના પરિણામ સ્વરૂપ, ખોટો જવાબ સૌથી અધિક સ્વીકૃત થાય છે.

બહુમતિ લોકોની સહજ વૃત્તિ તેમના અભિપ્રાયોને સાચા માનવાની હોય છે, કારણ કે લોકો નેતાની લોકપ્રિયતાને તેની હોંશિયારી સાથે જોડે છે. બાબાઓ-ગુરુઓ, ફિલ્મ સ્ટારો, રાજકારણીઓને સાંભળવા લોકો એટલે જ ભેગા થતા હોય છે. તેમાં એકલ-દોકલ વ્યક્તિ પોતાની સ્વતંત્ર વિચારશક્તિને બાજુએ મૂકીને ટોળા સાથે જવાનું પસંદ કરે છે.

20મી સદીમાં, રાજનૈતિક દર્શનની દુનિયામાં હન્ના અરેંડટ (1906-1975) નામની એક જર્મન-અમેરિકન વિચારકનું નામ મોટું છે. સત્તા અને અનિષ્ટ વચ્ચેના સંબંધ પર તેમણે ખૂબ લખ્યું છે. રાજકારણમાં જૂઠું બોલવાના ચલણ પર 1971માં લખેલા એક લોકપ્રિય લેખમાં હન્નાએ કહ્યું હતું, “સચ્ચાઈની ગણતરી ક્યારે ય રાજનૈતિક ગુણોમાં થઇ નથી, અને જૂઠને હંમેશાં રાજનૈતિક લેવડ-દેવડમાં ન્યાયોચિત સાધન ગણવામાં આવ્યું છે.”

ઘણીવાર રાજકારણીઓનાં જૂઠને લોકો “ઊંચા પ્રકાર”નું સત્ય માની લેતા હોય છે. અર્થાત, લોકો (ખાસ કરીને જે લોકો અંધભક્ત છે) એવું માનતા હોય છે તેમના નેતા એટલા મહાન અને પોતે એટલા પામર છે કે તેમનામાં નેતાના ઉચ્ચ વિચારોને સમજવાની તાકાત નથી એટલે તેને આંખ મીચીને માની લેવા જોઈએ. લોકો એટલા માટે પણ જૂઠને ચલાવી લે છે કારણ કે તેમને એવું લાગે છે કે નેતાઓ તેમના રાજકીય વ્યવહારોમાં બીજા હિંસક વિકલ્પ પસંદ કરે તેના બદલે થોડાં-ઘણાં નિર્દોષ જૂઠ બોલીને કામ ચલાવી દે તે વધુ હિતાવહ છે. “ના મામા કરતાં કાણો મામો સારો” કહેવત જેવો આ ઘાટ છે.

ટૂંકમાં કહીએ તો, રાજકારણીઓ એમના કરિશ્મા પર અને એમના ભક્તોના સમર્પણ ઉપર મુસ્તાક હોય છે. બીજું કારણ કોસ્ટ-બેનિફિટનો અનુપાત છે. મોટાભાગના રાજકારણીઓને ખબર છે કે સાચું બોલવાથી જે નુકસાન થાય તેના કરતાં, જૂઠ બોલવાથી વધુ ફાયદો થતો હોય તો જૂઠ જ બોલવું જોઇએ. આપણે આપણાં બાળકો પાસેથી સાચું બોલવાની અને ખોટાનો એકરાર કરવાની અપેક્ષા રાખીએ છીએ, પણ રાજકારણીઓના જૂઠને કેમ ચલાવી લઈએ છીએ કારણ કે એમાં “આપણા ફાધરનું કશું જતું નથી.” આપણે ક્યારે ય આપણા બાળકોને એવું કહીએ છીએ કે, “જો બેટા, મોટો થઇને જૂઠ બોલજે અને ખોટું કરજે?”

આપણા જેવા સાધારણ લોકોની દાલ-રોટી ચાલતી રહેતી હોય, ત્યાં સુધી આપણને ય રાજકારણીઓની અનૈતિકતા સામે કોઈ વાંધો નથી હોતો. આ વાલિયા લૂંટારા જેવું છે; અમે તો ઘર ચાલે એમાં ભાગીદાર છીએ છે, તેના પાપમાં નહીં. એટલા માટે આપણે આપણા બાળકોને રામના પાઠ ભણાવીએ છીએ, પણ રાજકારણના રાવણને ચલાવી લઈએ છીએ.

ભારતમાં તકવાદી નેતાઓ, બનાવટી બાવાઓ, સાંઠગાંઠથી કામ કરતા ધનપતિઓ, બોલિવૂડના બદમાશ નાયકો અને કૌભાંડી રમતવીરો આપણા રોલ મોડેલ બની રહ્યા છે તે, ગાંધીજીએ કહ્યું તેમ, અસત્યની પૂજામાંથી આવે છે. 1951માં નહેરુએ આવી શરૂઆતની આશંકા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું, “ચૂંટણી જીતવાની લાયમાં આપણે જૂઠ અને ગલતનો આશરો લઇ રહ્યા છીએ, અને એવી રીતે જીત્યા પછી પણ અંતે તો આપણી એ હાર જ છે.”

એક ગરીબ માણસની ભક્તિથી પીગળીને ભગવાન હાજર થયા અને તેને એક જાદુઈ “સંતોષ શંખ” ભેટમાં આપ્યો અને કહ્યું કે આ શંખ તેની બધી ઈચ્છા સંતોષશે.

ગરીબ ઘરે ગયો અને શંખમાં મોઢું નાખીને કહ્યું, “મને દસ હજાર રૂપિયા આપ.” શંખમાંથી તરત જવાબ આવ્યો, “દસ શું કામ? તને ખાલી એક હજાર રૂપિયાની જરૂર છે, લે આ એક હજાર!”

ગરીબ ખુશ થઇ ગયો. તેની બધી સમસ્યાઓ હલ થઇ ગઈ, પણ શંખ પ્રતિપ્રશ્નો બહુ કરતો હતો એ તેને પસંદ નહોતું. ગરીબે તેના સ્થાનિક મંદિરના પૂજારીને વાત કરી. પૂજારીએ કહ્યું હું તને આના કરતાં વધુ ઉત્તમ “લપોડ શંખ” આપું છું, એ તને તું માંગીશ તેના કરતાં વધુ આપશે.

ગરીબે એમાં મોઢું નાખીને કહ્યું, “મને દસ હજાર આપ.” લપોડ શંખે જવાબ આપ્યો, “દસ શું કામ? એક લાખ લઇ જા ને!” ગરીબ ખુશ થઇ ગયો. તે સંતોષ શંખ આપીને લપોડ શંખ લઇ આવ્યો.

એ જે માંગે તેમાં લપોડ શંખ વધારો કરે.

“મને દસ હજાર આપ.” શંખ કહે, “દસ શું કામ? એક લાખ લઇ જા.”

ગરીબે થોડા દિવસ રાહ જોઈ અને પછી કહ્યું, “મને એક લાખ આપ.” લપોડ શંખે કહ્યું, “એક લાખ શું કામ? એક કરોડ લઇ જા.”

ગરીબ તો ખુશીનો માર્યો નાચવા લાગ્યો. હવે તેનાં બધાં દુઃખ દૂર થઇ જવામાં હતાં. એ હવે કરોડપતિ બની જવાનો હતો. દિવસો પસાર થયા, પણ કશું આવ્યું નહીં.

તેણે લપોડ શંખને ફરી કહ્યું, “મને એક કરોડ આપ.” શંખે તરત કહ્યું, “એક કરોડ શું કામ? એક અબજ લઇ જા.”

ગરીબ હવે અકળાયો હતો. તેણે કહ્યું, “તું મને નચાવે છે કેમ? પૈસા ક્યારે આપીશ તેની વાત કર ને!”

લપોડ શંખે કહ્યું, “હું પૈસા નથી આપતો, વચન આપું છું.”

મોટાભાગમાં લોકોની સ્થિતિ આવી જ છે : તેઓ એવા લપોડ શંખોને જ વોટ આપે છે જે તેમને વચનો આપે છે, અને એ ‘શંખો’ દર વખતે એકના ડબલ કરતા રહે છે. 

(પ્રગટ : “ગુજરાત મિત્ર” / “મુંબઈ સમાચાર”; 03 માર્ચ 2024)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

અર્થશાસ્ત્રીઓને હરીફાઈનું વળગણ, બજારમાં તો ઈજારા છે!

રોબર્ટ સ્કિદેલસ્કી [ભાવાનુવાદ : હેમંતકુમાર શાહ]|Opinion - Opinion|5 March 2024

સત્તા અને અર્થશાસ્ત્ર: ભાગ-4

રોબર્ટ સ્કિદેલસ્કી

નવપ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ અર્થતંત્રને સામાન્ય રીતે સત્તાવિહીન બાબત તરીકે ચીતરે છે. તેમાં તેઓ બજારના ઈજારાને જ એકમાત્ર અપવાદ ગણે છે. એ બાબતે તેઓ માર્ક્સવાદીઓ કરતાં જુદા પાડે છે. માર્ક્સવાદીઓ તો બજારમાં જે ઇજારો છે તેને મૂડીની તમામ પ્રકારની માલિકીમાં જે ઈજારા છે તેનું એક અંતિમ સ્વરૂપ જ ગણે છે. બજારને સ્પર્ધાત્મક ગણીને અર્થશાસ્ત્રીઓ સત્તાને અદૃશ્ય બનાવી દેવામાં મદદ કરે છે.

ઈજારદાર એ છે કે જે કિંમત પર અસર ઊભી કરવા માટે મોટા જથ્થામાં વસ્તુ ઉત્પન્ન કરે છે કે વેચે છે કે ખરીદે છે. તમે ઇચ્છો તે પ્રમાણે વસ્તુ કે સેવાની કિંમતમાં વધારો કરી શકો તે સત્તાનું જ એક સ્વરૂપ કહેવાય; બજારમાં જો તમે એકલા જ એ વસ્તુ આપનારા હોવ તો તમે આસાનીથી એમ કહી શકો કે ભાવવધારો એ તમારી રીત છે અથવા એ જ તમારો ધોરીમાર્ગ છે. બજારમાંનું વલણ જ ઈજારા ઊભા કરવાનું હોય છે એ વાત આધુનિક અર્થશાસ્ત્રના પિતા ગણાતા એડમ સ્મિથ દ્વારા સ્વીકારવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે, “એક જ ચીજનો વેપાર કરનારા લોકો ભાગ્યે જ ભેગા મળે છે, પરંતુ તેમની વચ્ચેની વાતચીત લોકો સામેનાં કાવતરાંમાં અથવા કોઈક રીતે ભાવવધારામાં પરિણામે છે.”

એડમ સ્મિથ સમજી ગયા હતા કે બજારમાં કેટલાક ઈજારદાર હોય જ છે અને તેઓ ભાવ પર નિયંત્રણ રાખવાની પોતાની સત્તા ધરાવે છે; અને તેથી અર્થતંત્રમાં હરીફાઈથી ઉત્પાદનનાં સંસાધનોની કાર્યક્ષમ વહેંચણી થાય છે એવો જે સિદ્ધાંત છે તે તરત જ ભોંયભેગો થઈ જાય છે. દા.ત. જો કોઈ પાણી પર ઈજારો ધરાવે તો પાણી પુરવઠો આપનારા પાસે માત્ર પૈસા જાય છે એવું નથી, પણ ભાવવધારો કરવા માટે તે બિન-જરૂરી રીતે પાણીનો પુરવઠો પણ નિયંત્રિત કરે છે.

હેમન્તકુમાર શાહ

વધુમાં, બજારમાં ઈજારો હોય તો રાજકીય લોબીંગ માટેની ઈજારદાર પેઢી કે કંપનીની તાકાતમાં જોરદાર વધારો થાય છે. જો કોઈ ઉદ્યોગમાં એક કરતાં વધારે પેઢીઓ અથવા કહો કે કંપનીઓ હોય તો, જો એક જ પેઢી પોતાને માટે સાનુકૂળ સ્થિતિ ઊભી કરવા માટે રાજકીય સ્તરે લોબીંગ કરે તો તેનો લાભ બાકીની બધી પેઢીઓને મળે છે એટલે ફક્ત તેની પોતાની તાકાતમાં જ વધારો થાય એવું બનતું નથી. જો કે, જો ઈજારદાર પેઢી કે કંપની એક જ હોય છે તો રાજકીય લોબીંગનો બધો જ લાભ તેને મળી જતો હોય છે.

અર્થશાસ્ત્રીઓને ઈજારા વિષે વાત કરવામાં કોઈ જ સમસ્યા નડતી નથી, ઈજારાનો અર્થ માત્ર એટલો જ છે કે કોઈ એક વસ્તુ કે સેવાના બજારમાં એક જ ઉત્પાદક કે વેચનાર કે ખરીદનાર છે. જો કે, અર્થશાસ્ત્રીઓ આર્થિક જીવનમાં એવી ઇજારદાર પેઢીનું મહત્ત્વ બહુ ઓછું છે એમ કહેવાનું પસંદ કરે છે. અર્થશાસ્ત્રનાં પાઠ્યપુસ્તકોમાં શરૂઆત પૂર્ણ હરીફાઈના બજારથી જ થાય છે અને ઈજારાના સિદ્ધાંતને તે પછી જ સમજાવવામાં આવે છે.

એનું કારણ એ છે કે 18મી સદીના એડમ સ્મિથના જમાનાથી અર્થશાસ્ત્રીઓ ઈજારાને બજાર એક કલંક કે બજારની અપૂર્ણતા તરીકે જ જુએ છે અને અન્યથા, તેઓ તેને બજારની એક ઇચ્છનીય પરિસ્થિતિ ગણાવે છે. આમ, અર્થશાસ્ત્રમાં જે મોડેલ ખડું કરવામાં આવે છે તેમાં શું સારું છે અને ખરાબ છે તેને વિષે જે વાત કરવામાં આવે છે તે અહીં છતી થઈ જાય છે.

ઈજારા પર એડમ સ્મિથે હુમલો કરેલો. એને અનુસરીને જે સરકારો મુક્ત બજાર પ્રત્યે પ્રતિબદ્ધ હોય છે તે સરકારો પણ છડેચોક જે ઈજારા દેખાતા હોય તેમની સામે નિર્ણાયક પગલાં લેતી રહી છે. સૌથી પ્રખ્યાત ઉદાહરણ છે 1911નું અમેરિકાનું. ત્યાં તે વખતે ઈજારા-વિરોધી શેરમેન કાયદો આવ્યો અને સ્ટાન્ડર્ડ ઓઈલ નામની કંપનીના ટુકડા કરવામાં આવ્યા હતા. તાજેતરમાં ઈજારા સામેનું આ સખ્તાઈભર્યું વલણ સાવ જ હળવું કરી નાખવામાં આવ્યું છે.

ખાસ કરીને બજાર પરના નિયમનના કિસ્સાઓમાં એમ જ બન્યું છે. ઈજારાવાળી પેઢીની તાકાત ઓછી કરવા માટે જે ખરેખરી હરીફાઈની જરૂર હોય તેને બદલે માત્ર તેનો ખતરો જ બતાવી શકાય છે. જો અનેક ધારણાઓ સાચી છે એમ માની લઈએ તો પછી, કોઈ વસ્તુ કે સેવાના બજારમાં એક જ પેઢી કે એક જ કંપની હોય તો પણ તેને નવી આવનારી પેઢીઓનો ડર તો લાગે જ કારણ કે બજાર તો હરીફાઈવાળું હોય જ.

સામાન્ય રીતે એમ માનવામાં આવે છે કે જો બજારમાં હરીફાઈ હોય તો બજારની પોતાની કોઈ સત્તા કે તાકાત રહેતી જ નથી. બજારલક્ષી વૈશ્વિકીકરણ માટે સૌથી મજબૂત દલીલ આ જ કરવામાં આવતી રહી છે.

રિચાર્ડ કૂપર નામના એક અમેરિકન આર્થિક સાહસિક એમ કહે છે કે, “વૈશ્વિક સ્તરના સ્પર્ધાત્મક વાતાવરણમાં વ્યાપક આર્થિક ક્ષમતા તમામ પક્ષકારો માટે વિકલ્પો ઊભા કરે છે; અને વિકલ્પો હાજર હોય તો કોઈ એક જ પક્ષકારની ક્ષમતા ઈચ્છિત ધ્યેયો પ્રાપ્ત  કરવા માટે મહત્ત્વની રહેતી જ નથી; સિવાય કે ગ્રાહકોની નજરે તેની કામગીરી સારી હોય.”

આ એક અત્યંત આદર્શવાદી ચિત્ર છે, વાસ્તવિક વૈશ્વિક ચિત્ર તો તદ્દન જુદું જ છે. વાસ્તવમાં તો મહાકાય કંપનીઓ બજારોની અંદરોઅંદર ભાગબટાઈ કરી લે છે, ક્યાં મૂડીરોકાણ કરવું તેની તેઓ માંહોમાંહે પસંદગી કરી લે છે. નાણું એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે અને તેઓ પોતાની જ પેટા કંપનીઓ પાસેથી ઊંચા ભાવે વસ્તુઓની ખરીદી કરીને તેઓ જ્યાં ઈચ્છે ત્યાં જ કરવેરા ચૂકવે છે. આને અર્થશાસ્ત્રમાં transfer pricing કહેવામાં આવે છે. આ કહેવાતી સ્પર્ધાનો દુરુપયોગ છે અને મોટા ભાગના અર્થશાસ્ત્રીઓ તેનો એક જ ઉપાય બતાવે છે અને તે છે કે બજારમાં વધુ હરીફાઈ હોવી જોઈએ.

બજારની સત્તા વિષે બજારમાં જે વધુ જટિલ છે અને વધુ દેખાય છે તે તો અલ્પહસ્તક ઈજારો છે. તેમાં બહુ ઓછી મોટી પેઢીઓ કે કંપનીઓએ કોઈ એક વસ્તુ કે સેવાનું બજાર કબજે કરેલું હોય છે. કાર, તેલ, ટેલિફોન, ઉડ્ડયન વગેરે ક્ષેત્રોમાં અલ્પહસ્તક ઈજારા જ દેખાય છે. એમાં કોઈ એક જ પેઢી કે કંપનીનો ઈજારો છે એવું હકીકતમાં નથી. દરેક કંપની જાણે છે કે વસ્તુના ભાવ કે ઉત્પાદન વિષે તે જે કોઈ નિર્ણય લેશે તેનો પડઘો બીજી પેઢીઓ પાડશે જ. એટલે કેટલીક પેઢીઓ હાથ મિલાવે છે અને કાર્ટેલ રચે છે. તેઓ જો તેમની વચ્ચે સહકાર સાધે તો તે ઇજારો જ કહેવાય. આ ઈજારો નજરે દેખાય તેવો હોતો નથી. તેમાં કંપનીઓ વસ્તુના ભાવ અંગે છૂપી સમજૂતી કરે છે કે જેથી તેમની વચ્ચે ભાવની  બાબતમાં સામસામે યુદ્ધ જામે નહિ, કારણ કે તેમને તેનો જ સૌથી મોટો ડર હોય છે.

આમ છતાં આર્થિક સત્તા ક્યાં કેટલી છે તેને વિષે અર્થશાસ્ત્રીઓ ઝાઝો અભ્યાસ કરતા નથી. એનું એક કારણ એ છે કે વસ્તુના ભાવ વિશેનું મોડેલ આવા અલ્પહસ્તક ઈજારામાં નક્કી કરી શકાતું નથી. તેમાં વસ્તુના ભાવ કેટલા રહેશે તે સૈદ્ધાંતિક રીતે નક્કી થઈ શકતું નથી. એટલે અર્થશાસ્ત્રીઓ પછી એવું કહેવાનું વલણ ધરાવે છે કે વહેલાં કે મોડા કાર્ટેલ તૂટી પડશે કારણ કે એકબીજાને છેતરવાથી આર્થિક લાભ થાય છે એમ સમજીને કંપનીઓ તેમની વચ્ચે થયેલી સમજૂતીઓનો ભંગ કરે છે અને પછી તેમ થવાથી કંપનીઓ વચ્ચે સ્પર્ધાની રમત ફરીથી શરૂ થઈ જાય છે. એટલે કે છેવટે તો બજારમાં હરીફાઈ થાય છે જ એમ અર્થશાસ્ત્રીઓ કહે છે. પરંતુ વ્યવહારમાં આવું ભાવયુદ્ધ થતું હોતું નથી.

ખરેખર તો અનેક અભ્યાસો એમ બતાવે છે કે અલ્પહસ્તક ઈજારામાં વસ્તુઓ અને સેવાઓના અનેક ઉદ્યોગોમાં કંપનીઓ વચ્ચે ભાવ માટે હરીફાઈ થતી જ નથી અને તેમણે નક્કી કરેલા ભાવો સ્થિર રહે છે.   

સ્રોત: 

લેખકનું પુસ્તક: What is Wrong with Economics? 
પ્રકરણ: Economics and Power.
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ઈશ્વર અલ્લાહ તેરો નામ, ગાંધીનું આ નથી કામ

અંકિત દેસાઈ|Gandhiana, Opinion - Opinion|4 March 2024

અંકિત દેસાઈ

હમણાં ગાંધીને નાના, ભૂલ ભરેલા કે તદ્દન ખોટા એવા સાબિત કરવાની હોડ છે. હોડ શેની, વોટ્સેપ યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ અને ઈન્સ્ટાગ્રામ યુનિવર્સિટીના પોસ્ટ ગ્રેજ્યુએટ્સ યુવાનોમાં તો ગાંધીને ગાળો દેવી એ ટ્રેન્ડ છે. ગાંધી વિશે આમ બીજું કશું ય જાણતા નહીં હોય, પરંતુ એક સવાલ પહેલો કરશે, ‘તો પછી ગાંધીએ સરદાર પટેલને વડા પ્રધાન શું કામ નહીં બનવા દીધા?’ પણ એ સવાલ પૂછનારાઓ જ સરદારના અન્ય ગુણો, તેમનાં કાર્યો કે તેમની ગાંધીમાંની શ્રદ્ધા વિશે તસુભાર નહીં જાણતા હોય. અને જાણતા હોય તો માત્ર ને માત્ર રાજકીય દૃષ્ટિકોણથી સીમિતપણે, જેટલી હાલના રાજકારણને જરૂર છે એટલા જ જાણતા હશે. દુઃખ એ બાબતનું હોય છે કે રાજકીય કારણોસર શું કામ કોઈને ધિક્કરવા કે પ્રેમ કરવા?

ગાંધીને ગાળો દેવાની ફેશન અંતર્ગત સોશિયલ મીડિયામાં ગાંધી વિરુદ્ધમાં અનેક બાબતો આપણને જોવા મળે. એમાંની કેટલીકને સાવ ખોટા સંદર્ભમાં સમજાવાઈ હોય તો કેટલીક વાતો મૂળમાં જ ખોટી હોય. જો કે ગાંધીજીએ જીવનમાં કોઈ ભૂલો જ નહીં કરી હોય એવું પણ ન બની શકે. ગાંધીએ ભૂલો કરી જ છે. રાધર, ગાંધીએ પોતે કહ્યું છે કે હું એક જ બાબત પર બે જુદાં જુદાં મંતવ્યો આપું તો મારું બીજું મંતવ્ય સાચું માનવું! અને ગાંધી જ શું, જાહેર જીવનમાં જીવતી સૌ કોઈ વ્યક્તિએ અમુક આક્ષેપો, અમુક ગાળો, અમુક ધિક્કારોનો સામનો કરવાનો જ હોય. એટલે ગાંધી કંઈ એમાં બાકાત ન રહી શકે. પણ એ જ રીતે ગાંધીની ભૂલોની સામે કંઈ તેમણે કરેલા અનેક સામાજિક, શૈક્ષણિક (કેળવણી) કે ઈવન આર્થિક (ખાદી, મેક ઈન ઇન્ડિયા!) કાર્યોને હાંસિયામાં ન ધકેલી શકાય. એને નાનાં સાબિત ન કરી શકાય. કે નહીં તો એ કાર્યોને અવગણીને આગળ વધી શકાય.

ગાંધીએ સરદાર પટેલની જગ્યાએ નહેરુને વડા પ્રધાન તરીકે પસંદ કર્યા અથવા જિદ્દ કરી એ જો તેમની ભૂલ હોય તો એ જ ગાંધીએ સરદાર પટેલ, નહેરુ, રાજેન્દ્ર પ્રસાદ, લાલ બહાદુર શાસ્ત્રી કે મોરારજી દેસાઈ જેવા અસંખ્ય સ્વાતંત્ર્યસેનાનીઓ અને પછીથી દેશના વહીવટદારો તૈયાર કર્યા એ આપણે ભૂલી જવાનું? એનીવેઝ, ગાંધી મહાન હતા તો કેટલા મહાન હતા કે ગાંધીએ ભૂલો કરેલી તો કેટલી મોટી કરેલી એવી કોઈ સાબિતીઓમાં હમણાં નથી પડવું. અહીં વાત કરવી છે એક મજાના ફેક્ટ વિશે.

વાત એવી હતી કે પાછલાં વર્ષોમાં રાજકીય સનાતનીઓ એવું કહી રહ્યા છે કે ‘રઘુપતિ રાઘવ રાજા રામ…’ ભજનધૂનમાં ‘ઈશ્વરઅલ્લાહ તેરે નામ’ જેવું તૂત ગાંધીજીએ પરાણે ઘૂસાડી દીધું છે. આ આખી વાતને ખૂબ ચગાવવા માટે અને ગાંધી કેટલા ખોટા અને તુચ્છ હતા એવું બતાવીને નવી પેઢીનું બ્રેઈનવોશ કરવા માટે બાકાયદા એક વીડિયો બનાવવામાં આવ્યો, જેમાં એક નાનકડું છોકરુ તેના વડીલને કહી રહ્યું છે કે ‘રઘુપતિ રાઘવ રાજારામ’ ભજનમાં ‘ઈશ્વર અલ્લાહ તેરે નામ’ ઘૂસાડીને ગાંધીએ સનાતન ધર્મ સાથે બહુ મોટો દગો કર્યો છે! એ વીડિયો પાછો એક ચોક્કસ ઈકો સિસ્ટમ દ્વારા વ્હોટ્સેપ પર પૂરબહારમાં વાઈરલ પણ કરાયો. જે જોઈને નવી પેઢી તો ઠીક, પણ જેમના વડવાઓ ગાંધીથી પ્રેરાઈને સ્વાતંત્ર્ય સંગ્રામમાં પડ્યા હશે એવા વડીલોએ પણ ગાંધીને પેટ ભરીને ગાળો દીધી!

હવે વાતાવરણ જ એવું બનાવાયું છે કે હિન્દુત્વને જો કોઈએ સૌથી વધુ નુકસાન પહોંચાડ્યું હોય તો એ ગાંધી છે! જો કે અમુક ચોક્કસ વર્ગના લોકોને અને હિન્દુત્વના કહેવાતા ઠેકેદારોને ગાંધી શું કામ પસંદ નથી કે તેમને ગાંધી શું કામ આંખોમાં કણાંની જેમ ખૂંચે છે એ જુદી ચર્ચાનો વિષય છે. કારણ કે આશ્ચર્યની વાત એ પણ છે કે ગાંધી જીવતા હતા, ત્યારે ય અને આજે ય જેમને ગાંધી સામે વાંધો હતો એમને ઝીણા સામે કોઈ વાંધો નથી. ગાંધીની હત્યાના અનેક પ્રયાસો કરનારાઓએ ઝીણાનો વાળ પણ વાંકો કરવાનો પ્રયત્ન નથી કર્યો. કારણ કે ઝીણાએ ક્યારે ય રાજકારણ અને અંધશ્રદ્ધા મુક્ત શુદ્ધ સનાતનની હિમાયત જ નથી કરી!

‘ઈશ્વર-અલ્લાહ તેરે નામ’ પર પાછા આવીએ. કહેવાની વાત એ છે કે ‘રઘુપતિ રાઘવ રાજા રામ’માં ‘ઈશ્વર અલ્લાહ તેરો નામ’ એવું ગાંધીજીએ ઘુસાડ્યું નથી. હા, ગાંધીજી આશ્રમમાં સર્વધર્મ પ્રાર્થના કરાવતા ખરા. વળી, ગાંધીજીની પરવાનગીથી એક મજાની ‘આશ્રમ ભજનાવલિ’ પણ તૈયાર થયેલી. વળી, ગાંધીજીની ઉપસ્થિતિમાં એવા પણ પ્રયોગો થયા છે કે મંચ પર ગાંધીજીની સાથે દરેક ધર્મના, ખાસ તો હિન્દુ અને મુસ્લિમ સમુદાયના એક એક પ્રતિનિધિઓ પ્રાર્થનામાં જોડાય. પરંતુ આશ્રમમાં વર્ષો સુધી ગવાયાં એ ભજનોમાં કે પછી ગાંધીજીના પ્રવાસો દરમિયાન સવાર-સાંજ ગવાતી પ્રાર્થનાઓમાં એકબીજાના શબ્દો કે વાક્યોની ક્યારે ય ભેળસેળ નથી કરાઈ.

ગાંધી આમેય કંઈ ભેળસેળિયા હિન્દુ નહોતા. તેઓ ગીતાનો પાઠ શીખીને ગીતા પર ભાષ્ય લખનારા હતા. રોજ સવારે અને સાંજે નિયમિત પ્રાર્થના કરનારા હતા. રામમાં અતૂટ શ્રદ્ધા ધરાવનારા હતા અને તેમના પ્રખર હિન્દુ (કટ્ટર નહીં) હોવાનો સૌથી મોટો પુરાવો તો એ કે ગોડસેએ તેમની છાતીમાં જ્યારે ગોળી ધરબી દીધી ત્યારે પણ ઉચાટ પામ્યા વિના જીવનની છેલ્લી અને સૌથી કપરી ક્ષણે ‘હે રામ’ કહેનારા હતા! હા, તેઓ સર્વધર્મ સમભાવની વાત જરૂર કરતા, પરંતુ એ સર્વધર્મ સમભાવની હિમાયતમાં તેમણે ક્યારે ય સનાતન બાબતોને તોડી મોરોડી નથી.

તો પછી આ ઈશ્વર અલ્લાહ તેરે નામ જેવા શબ્દો ‘રઘુપતિ રાઘવ રાજા રામ’ ભજનમાં ઘૂસ્યા કઈ રીતે? તો કે આતંકવાદી શહીદ સુહરાવર્દીએ કલકત્તામાં ડાયરેક્ટ ઍક્શનના આદેશ આપ્યા પછી કલકત્તામાં હિન્દુઓની કત્લ થયા પછી નોઆખલી સહિત દેશભરમાં જે કોમી હુલ્લડો ફાટી નીકળ્યા, ત્યારે ગાંધીજી એકલપંડે કલકત્તા અને નોઆખલીના પ્રવાસે નીકળી પડ્યા હતા. એ પ્રવાસ દરમિયાન તેઓ બંગાળના અનેક ગામોમાં શાંતિ સ્થપાય એ માટે ફર્યા હતા. એ શાંતિયાત્રામાં તેઓ લગભગ રોજ એક દંગા પીડિત ગામમાં આંટો મારતા, ત્યાંના પીડિતોને મળતા, ત્યાંની નુકસાનીનો તાગ મેળવતા અને ખાસ તો ત્યાં પ્રવચનો અને પ્રાર્થનાઓ કરાવતા.

એ દરમિયાન ૨૨મી જાન્યુઆરી ૧૯૪૭ના દિવસે ગાંધીજીનો ઉતારો પનિયાલા નામના ગામમાં હતો. એ દિવસે કસ્તૂરબાની પૂણ્યતિથિ પણ હતી. ગાંધીનો સનાતન પ્રેમ જાણવો હોય તો અહીં એક ઉદાહરણ મળે છે. કસ્તૂરબાની પૂણ્યતિથિએ ગાંધીજી અચૂક આખી ગીતાનું પારાયણ કરતા! કર્મકાંડ બાબતે રેશનલ કહી શકાય એવા ગાંધીજી કસ્તૂરબાની પૂણ્યતિથિએ ગીતાપાઠ કદાચ એટલે જ કરતા હશે કે ગીતાપાઠથી તેમને ધરપત મળી રહે અને કસ્તૂરબાનો અભાવ તેમને ઓછો પીડે! તો એ દિવસે સાંજની પ્રાર્થનામાં મનુબહેન ગાંધીએ ભજન ગાવાનું હતું. થયેલું પાછું એવું કે સાંજની પ્રાર્થના શરૂ થઈ ત્યાં જ વરસાદ તૂટી પડેલો, પણ પ્રાર્થનાનો નિયમ ચુસ્ત હોઈ, વરસાદમાં ન તો ગાંધીજી મંચ પરથી ઊઠ્યા કે નહીં પ્રાર્થનામાં આવેલા લોકો! મનુબહેન ગાંધી એમ પણ નોંધે છે ‘એ દિવસે પ્રાર્થનામાં મુસલમાન પુરુષોની સંખ્યા સારી એવી હતી.’

પ્રાર્થના ગાતી વખતે મનુબહેને ‘રઘુપતિ રાઘવ રાજા રામ’ ભજન ઉપાડ્યું અને એમાં તેમણે ‘ઈશ્વર અલ્લાહ તેરે નામ’ ઉમેરીને ગાયું. એ ધૂન ગાતી વખતે મનુબહેનને ફડક હતી કે હું આવું ગાઉં છું તો મુસલમાન પુરુષોને અને બાપુને કેવું લાગશે? પરંતુ ધૂન ચાલતી હતી ત્યારે પ્રાર્થનામાં બેઠેલા લોકોએ પણ ધૂનને સરસ રીતે, આનંદ સાથે ઝીલી અને બાપુએ પણ પ્રાર્થના પછીના પોતાના પ્રવચનમાં ધૂનનાં વખાણ કર્યાં.

જો કે ‘ઈશ્વર અલ્લાહ તેરે નામ’ને મનુબહેને પણ કંઈ પોતાની રીતે ધૂનમાં સ્થાન આપ્યું નહોતું! એ તો પ્રાર્થના સ્થળેથી પાછા ફરતી વખતે ગાંધીજીએ મનુબહેનને પૂછ્યું કે તું ક્યાંથી શીખી? કે તેં જાતે બનાવી? ત્યારે મનુબહેને કહ્યું કે ‘પોરબંદરના સુદામા મંદિરના સભાગૃહમાં એક બ્રાહ્મણ મહારાજ પોતાની કથા પૂરી થયા પછી આ ધૂન ગવડાવતા. એ કથામાં દરેક કોમના લોકો ભાગ લઈ શકતા હતા. ત્યાં એ ધૂન સાંભળેલી, જે મને આજે સૂઝી!’

મનુબહેનની વાત સાંભળીને ગાંધીને બહુ રાજીપો થયેલો. તેમણે ખાસ તો એમ કહ્યું કે સુદામા મંદિરમાં અને તે પણ બ્રાહ્મણે અલ્લાહનું નામ બહુ સ્વાભાવિકતાથી લીધું એ ગમ્યું. આવું કલુષિત વાતાવરણ તો છેલ્લાં પાંચસાત વર્ષોમાં જ વધી ગયું છે. તું હમણાં આ ભજન રોજ ગાજે!’ જો કે ગાંધીજીને ખબર નહોતી કે તેમની હયાતીના છેલ્લાં પાંચસાત વર્ષોમાં કલુષિત થયેલું હંમેશાં કલુષિત જ રહેવાનું છે. એ તો ઠીક એ વાતાવરણ ભારતના રાજકારણનો મુખ્ય વિષય બની રહેવાનો છે. અને કલુષિતતામાં ને કલુષિતતામાં જ બંને તરફના લોકો માટે પોતાનો ધર્મ એ આચરણનો વિષય નહીં, પરંતુ શક્તિપ્રદર્શનનો રાજકીય વિષય બની રહેશે!

ગાંધીજીને એ પણ ક્યાં ખબર હતી કે ભવિષ્યમાં ભારતની જ કોઈક પેઢી એવું પણ માનશે કે ભારત અને પાકિસ્તાનના ભાગલા માટે ગાંધીજી જવાબદાર છે. અને આ ગાંધીજીએ જ હિન્દુ સમાજને અન્યાય કર્યો છે. ગાંધીજીને એ પણ ક્યાં ખબર હતી કે આ રઘુપતિ રાઘવ રાજા રામ ભજનમાં ઈશ્વર અલ્લાહ તેરે નામ ભેળવીને ગાવામાં પણ તેમની ટીકા કરવામાં આવશે. બલકે ગાંધીજીને તેમની હત્યાના એક વર્ષ પહેલાં સુધી એ પણ ખબર નહોતી કે પોરબંદરના સુદામા મંદિરમાં આવું સરસ ભજન પણ ગવાય છે.

e.mail : ankitdesaivapi@gmail.com
ankitdesai.in
પ્રગટ : “નવનીત સમર્પણ”; જાન્યુઆરી 2024; પૃ. 89-92

Loading

...102030...855856857858...870880890...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—347
  • AIને માથે ચડાવવા જેવું નથી …
  • અપેક્ષા                                                 
  • જરૂરત અલબત્ત સુરક્ષા દિવસની પણ ઉજવણી જો કે હત્યા દિવસની
  • આઝાદીની પોણી સદી વીતી તો ય આઠ જ દલિત મુખ્યમંત્રી થયા!

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved