Opinion Magazine
Number of visits: 10080636
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|6 April 2026

રવીન્દ્ર પારેખ

થોડાં વર્ષો પર ભોપાલના એક મંદિરનાં પરિસરમાં એક દોઢેક વર્ષનું બાળક તેના પિતા સાથે રમતું હતું મોબાઈલથી, ત્યાં રિંગ વાગી એટલે પિતાએ બાળક પાસેથી મોબાઈલ લઈ લીધો, તો બાળક રડવા લાગ્યું ને પરિસરમાં આમતેમ દોડવા લાગ્યું. ફોન પૂરો થતાં પિતાએ બાળકને ફોન પાછો આપ્યો. બાળક રડતી આંખે હસવા લાગ્યું, ત્યાં ફરી રિંગ વાગી. ફરી ફોન ખેંચી લેવાયો. બાળક ફરી રડ્યું. ફરી ફોન સોંપાયો ને બાળક રાજી થઈને રમવા લાગ્યું. દોઢેક વર્ષનાં એ બાળકને તેનો ઉપયોગ પણ ખબર નથી, પણ મોબાઈલ તેની પાસે ના રહ્યો, તો તેણે ઘણો સંતાપ કર્યો. આવી જ સ્થિતિ અન્ય બાળકોની પણ છે. થોડું મોટું બાળક મોબાઈલને મચડવાનું જાણે છે ને સ્ક્રિન પર થતા ફેરફારોનો સમજ્યા વગર આનંદ લે છે. એથી મોટી ઉંમરનાં બાળકો થોડું જાણીને તેનો ઉપયોગ કરે છે. આજનું જનરેશન લેટેસ્ટ ટેકનોલોજીવાળા મોબાઈલનો એટલો ઉપયોગ જાણે છે કે એટલો તો તેનાં મમ્મી પપ્પા ય નથી જાણતાં.

સોશિઅલ મીડિયાનો ઉપયોગ સ્કૂલના વિદ્યાર્થીઓમાં એવો વધી પડ્યો છે કે બાળકો સૌથી વધુ ભોગ શિક્ષણનો લે છે. સ્કૂલમાં ભણાવવાની શિક્ષકોને તક રહી નથી ને બાળકો તેનો લાભ સોશિઅલ મીડિયાને આપે છે, તે ત્યાં સુધી કે શેરિંગ, લાઈક્સ, ફોલોઅર્સ મેળવવામાં તેઓ જીવ પર આવી જાય છે અથવા તો જીવ લઇ લે છે. એમાં કેટલાક તો પોર્ન સુધી પણ પહોંચે છે. ઘરમાં સ્થિતિ અપવાદરૂપે જ સારી હોય છે. શિક્ષકો કે માબાપ પોતે જ મોબાઈલ એટલો મચડતા હોય છે કે તેઓ પાસે સંતાનોને આનાથી બચવાનું કહેવા જેટલો સમય પણ નથી. એક જ ઘરમાં માબાપ અને દીકરો/દીકરી પોતપોતાના મોબાઈલમાં મેસેજ કે રીલ્સ પોસ્ટ કરવામાં એટલાં વ્યસ્ત હોય છે કે બાજુમાં કોણ બેઠું છે એ પણ યાદ નથી આવતું ને સામે ટી.વી., એમ જ ચાલ્યાં કરતું હોય છે. એમાં મોટેભાગના તો આવેલા ફોર્વર્ડેડ મેસેજિસ વધુ ફોરવર્ડ કરવામાં જ બિઝી હોય છે. બાકી હતું તે નાનાં મોટાં બાળકો હવે રીલ્સ બનાવવામાં વ્યસ્ત થઈ ગયાં છે. રીલ્સ, વીડિયો કે સેલ્ફી બનાવવામાં કે ફોરવર્ડ કરવામાં બાળકો સહિત વડીલો પણ સક્રિય છે. સોશિઅલ મીડિયામાં જાણકારી કરતાં અજ્ઞાન વધુ ફરતું રહે છે.

એક સમયે નિરક્ષર અંગૂઠાછાપ હતા, હવે શિક્ષિત અંગૂઠાછાપોની મોટી જમાત ઊભી થઈ છે. કોઈ પણ આર્ટિકલ કે મેસેજ કે રીલ પોસ્ટ થાય છે કે કોઈ પણ પરિચિત કે અપરિચિત આંખ બંધ કરીને અંગૂઠા મારી દે છે. થોડા સમજીને, વાંચીને કે જોઇને લાઈક્સ કે કોમેન્ટ્સ કરે છે, પણ મોટે ભાગે તો શિક્ષિત અભણથી જ કારભાર ચાલે છે. સોશિયલ મીડિયામાં બીજી બાબત સામેલ થઈ છે તે રાતોરાત પ્રસિદ્ધિ પામવાની. કંઇ પણ કર્યા વગર કોઈએ લેખક, કોઈએ કવિ, કોઈએ નિબંધકાર, કોઈએ નાટ્યકાર … થવું છે ને ઢગલો લાઈક્સથી ટોચ પર રહેવું છે. થાય છે શું કે સોશિઅલ મીડિયામાં કંઇ પણ લખો તે સાહિત્ય થઈ જાય છે. લખનારે લાઈક્સ મેળવવી છે. તે પણ અંગૂઠાછાપ છે ને જે વાંચે છે, તે તો વધારે અંગૂઠાછાપ છે, એટલે બે અંગૂઠાછાપોની વચ્ચેનો આ વેપલો છે. વોટ્સએપને તો યુનિવર્સિટીનું માન મળેલું છે. અહીં પણ બધું ખપે છે. અનેકવાર ફોરવર્ડ થયેલા મેસેજિસ અનેક ખાતાંઓમાં ફરતા રહે છે. એ ઉપરાંત જે ફેસબુકમાં ખપે કે ન ખપે, એ માલ પણ અહીં ખપી જાય છે. આટલી જાહોજલાલી ભોગવતા યુઝર્સ ભાગ્યે જ ચાર લીટી પોતાની લખી શકે છે.

સોશિઅલ મીડિયામાં એટલો કારભાર ચાલે છે કે તે શું કામ ચાલે છે એ જ નથી સમજાતું. સાવ ફાલતું વાતોમાં એટલો સમય ખર્ચાય છે કે વાત ન પૂછો. સોશિઅલ મીડિયામાં એટલો બધો સમય વડીલોનો ને બાળકોનો ખર્ચાય છે કે વડીલો ઘરમાં કે નોકરીધંધામાં પૂરતું ધ્યાન આપી શકતા નથી. બાળકો ગેમ્સ, મેસેજિસ, રીલ્સ વગેરેમાં એટલા રોકાય છે કે તેઓ પણ ભણવામાં પૂરતું ધ્યાન આપી શકતાં નથી. યુવકો નવી મૈત્રી બાંધવા, છોડવામાંથી ઊંચા નથી આવતા. ટૂંકમાં, સોશિઅલ મીડિયામાં આખી પૃથ્વી ખૂંપી ગઈ હોય એવી સ્થિતિ છે.

આજે મોબાઈલ અનિવાર્ય થઈ પડ્યો છે, એ સાથે જ વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, u-ટ્યૂબ વગેરે પણ જરૂરી થઈ પડ્યાં છે. કોને વધારે મત મળ્યા એ પરથી મંત્રીઓ, વિધાયકો, સાંસદો નક્કી થાય છે, એમ જ આજના યુઝર્સની મહાનતા લાઈક્સ, કોમેન્ટ્સ, ફોલોઅર્સ પરથી નક્કી થાય છે. સોશિઅલ મીડિયાનો ઉપયોગ કરવાની ફરજ તો હવે રાજકારણમાં પણ પડે છે. એવા દિવસો પણ હતા કે નેતાની સભામાં લોકોની હાજરી પરથી તેની લોકપ્રિયતા નક્કી થતી. એ સ્થિતિ હવે રહી નથી. આ વખતે ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં થોડો ફેર પડ્યો છે. ભા.જ.પે. દાવેદારો પાસે ફોર્મ ભરાવ્યાં, તેમાં એ જાણકારી પણ માંગી કે તેમની પાસે સોશિઅલ મીડિયામાં ફોલોઅર્સ કેટલા છે? લોકપ્રિયતા નક્કી કરવાના માપદંડ બદલાયા છે. ટેકનોલોજી વધતી આવે છે, તેમ તેમ રાજકારણ પણ હાઈટેક બનતું આવે છે. સોશિઅલ મીડિયાનો ઉપયોગ એક તબક્કે પ્રચાર પૂરતો હતો, પણ હવે દાવેદારોને પણ સોશિઅલ મીડિયામાં કેટલાં ફોલોઅર્સ છે, એ કહેવાનું આવ્યું છે. એનો ગેરલાભ એ થશે કે નેતાઓ ફોલોઅર્સ વધારવામાં જ વ્યસ્ત રહેશે ને કામ કરશે નહીં. રાજકારણમાં સોશિઅલ મીડિયા પક્ષને માફક હશે, પણ તેનો જનતાને બહુ લાભ નહીં મળે. રાજકારણ પણ પોતાનો ઉલ્લુ સીધો કરવા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને લાભ પોતે ખાટશે ને જનતા દૂર દૂર સુધી ક્યાં ય નહીં હોય.

સોશિઅલ મીડિયાનો લાભ નથી એવું નથી. મીડિયા માત્ર શુભ આશયથી જ શરૂ થાય છે, પણ તેના ઉપયોગમાં વિવેક જળવાવો જોઈએ જે જળવાતો નથી. બાકી, સોશિઅલ મીડિયા કેટલું ઉપયોગી છે, તેનું એક જ ઉદાહરણ જોઈએ. સુપ્રીમના જસ્ટિસ વિક્રમનાથે એક સંબોધનમાં જણાવ્યું કે ડિજિટલ યુગમાં ઓપન જસ્ટિસ અનિવાર્ય વિચારધારા છે, તે સાથે જ ન્યાય પ્રણાલીમાં સંતુલન જાળવવું પણ એટલું જ જરૂરી છે. શરૂઆતમાં કોર્ટને ડિજિટલ માધ્યમ સાથે જોડવાનું પડકારજનક હતું. પણ પછી ડિજિટલ માધ્યમ સાથે એ જોડાવું અસરકારક પુરવાર થયું છે. હવે એક જ વકીલ વર્ચ્યુઅલ માધ્યમથી એકથી વધુ કોર્ટમાં હાજરી આપી શકે છે.

આવા ઘણા લાભ છે, પણ સૌથી વધુ દુરુપયોગ બાળકો દ્વારા થાય છે. એટલે જ ઓસ્ટ્રેલિયાએ 9 ડિસેમ્બરે 16થી ઓછી ઉંમરનાં બાળકો માટે સોશિઅલ મીડિયા પર પ્રતિબંધ લાગુ કર્યો છે. આ પ્રકારનો પ્રતિબંધ મૂકનાર ઓસ્ટ્રેલિયા પહેલો દેશ છે. આવો પ્રતિબંધ મૂકનારા દેશોમાં ઇન્ડોનેશિયા, નેધરલેંડ જેવા દેશો પણ છે. એના લાભ એ થયા છે કે બાળકોની સુરક્ષા વધી છે, બુલિંગના કેસો ઘટ્યા છે, બાળકોની એકાગ્રતા વધી છે, સામાજિક વાતાવરણ સુધર્યું છે. બાળકો પોતે કહી રહ્યા છે કે પ્રતિબંધથી તેઓ વર્તમાનને વધુ સારી રીતે જીવી રહ્યાં છે.

ભારતમાં પણ આંધ્ર અને કર્ણાટકે સોશિઅલ મીડિયા પર પ્રતિબંધ મૂક્યો છે. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ 17મું બજેટ રજૂ કરતી વખતે 16થી ઓછી વયનાં બાળકો માટે સોશિઅલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. એ જ રીતે આંધ્રની સરકારે પણ 13 વર્ષથી નીચેની વયનાં બાળકો પર એ જ દિવસે પ્રતિબંધ મૂક્યો છે. ભારતમાં પહેલો પ્રતિબંધ મૂકનાર આંધ્ર ને કર્ણાટક એમ બે રાજ્યો છે. આવા પ્રતિબંધ મૂકવાથી બાળકોનાં માનસિક આરોગ્ય પર નકારાત્મક અસરો ન પડે, એ સાથે જ અભ્યાસમાં ખલેલ ન પહોંચે તે ચિંતા પણ એમાં છે.

આવાં સકારાત્મક પરિણામો મળતાં હોય તો સોશિઅલ મીડિયામાં પ્રતિબંધ મૂકવાનું સહ્ય બનવું જોઈએ. ખરેખર તો યુવાનો, વડીલો પર પણ સોશિઅલ મીડિયા સંદર્ભે પ્રતિબંધ મૂકવો જોઈએ, પણ તેમની પાસેથી સંયમની અપેક્ષા રહે. એક વસ્તુ બહુ સ્પષ્ટ છે કે સોશિઅલ મીડિયા એવું પ્લેટફોર્મ છે, જેનાથી બાળકો તો ઠીક, યુવાનો, વડીલો, વૃદ્ધો એમ સૌ કોઈ સંમોહિત થાય છે. વળી AIના આવવાથી તેનો ઉપયોગ વધુ વ્યાપક અને ઊંડો બનવાનો છે, એવે વખતે પ્રતિબંધ કરતાં પણ આત્મસંયમ જ વધુ લાભદાયી નીવડે, પણ એવો સંયમ શક્ય કેટલો એ પ્રશ્ન જ છે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 06 ઍપ્રિલ 2026

Loading

અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|5 April 2026

મૂળે તો અમેરિકાનો હેતુ બીજા દેશોનું નાક દબાવી કામ કઢાવવાનો કે ડર પેસાડવાનો હતો પણ આ તો બધું બુમરેંગની જેમ પાછું તેને જ લમણે ભટકાયું છે.

ચિરંતના ભટ્ટ

અમુક નિષ્ફળતાઓ ખાસ પ્રકારની હોય છે, તે એવા લોકો માટે અનામત રખાઈ હોય છે જે પોતાની આપસપાસ રચાયેલા લેજન્ડ્ઝ, દંતકથાઓ, જેના આધારે તેની છબી ખડી હોય તેવી બાબતોને વ્યૂહરચના સમજી બેસે છે. આખી દુનિયાને પોતે ચલાવે છેનાં ફાંકામાં રાચનારા યુ.એસ.એ.ની મહાસત્તાનાં સામ્રાજ્યના કાંગરા બહારથી ખરી પડ્યા છે. વૉશિંગ્ટનમાં જે વેરવિખેર થઈ રહ્યું છે તે ચિંતાજનક છે. અમેરિકા પોતાના આત્મવિશ્વાસના ભાર નીચે રૂંધાઈ રહ્યું છે. ટેરિફ્સને હથિયાર તરીકે વાપરવા, યુદ્ધને સોદા સમજવા અને આર્થિક દેવાની ચિંતા આવતીકાલ પર નાખી દેવાની માનસિકતા આર્થિક મહત્ત્વાકાંક્ષા અને ભૌગોલિક રાજકીય સંતુલન અંગ-કસરતના ખેલ વચ્ચે ઝૂલાવનારી સાબિત થઈ રહી છે. સર્કસમાં ઉપર લટકીને એક્રોબેટિક્સ કરનારાઓને આત્મવિશ્વાસ ભલે હોય પણ તેમને ય ક્યારેક તો ચક્કર આવી જ જાય, વળી અહીં તો અર્થતંત્રની વાત થઈ રહી છે, તે પણ અમેરિકાના!

સૌથી પહેલાં તો ફુગાવાની  એટલે કે મોંઘવારીની વાત કરીએ, અમેરિકા તો એમ માનીને બેઠું હતું કે પોતે ફુગાવાને હરાવી દીધો છે. ફેડરલ રિઝર્વે લગભગ બે વર્ષ બજારોને, કદાચ જાતને પણ, એમ ખાતરી આપી કે આ માત્ર એક તબક્કો છે, ખરાબ સમય છે જે પસાર થઈ જશે. ફુગાવો હવે તેના લક્ષ્યાંક તરફ જઈ રહ્યો હતો, તેનું ‘સોફ્ટ લેન્ડિંગ’ સફળતાથી પાર પડ્યું હતું. ત્યારબાદ ટ્રમ્પનું બીજું વહીવટી તંત્ર આત્મવિશ્વાસ પર બનેલી બ્લુપ્રિન્ટ સાથે આવ્યું. તેમાં દાવા હતા કે ટેરિફને કારણે દેશમાં મેન્યુફેક્ટરિંગ પાછું આવશે, ટેક્સમાં ઘટાડો વિકાસને વેગ આપશે અને આક્રમક વિદેશ નીતિ આગલી ન્યૂઝ સાયકલ પહેલાં વિરોધીઓને ઘુટણીયે લાવશે. હવે આત્મવિશ્વાસથી બનેલી બ્લુપ્રિન્ટની એક મોટી તકલીફ એ છે કે વાસ્તવિક દુનિયાને માટે એ વાંચવું ફરજિયાત નથી હોતું.

ટેરિફથી જે નુકસાનની વકરી હતી તે મોડું થયું પણ આજે તે ડાઇનિંગ ટેબલ્સ સુધી પહોંચ્યું છે. આજે અમેરિકન પરિવારો કૉફી, કપડાં, માંસ અને મધ્યમ વર્ગની સામાન્ય જરૂરિયાતો પર વાર્ષિક અંદાજે $600 થી $1,000નો વધારાનો ખર્ચ ભોગવી રહ્યા છે. ફેડને આ ખર્ચ 2%એ લાવવો હતો, એ ઇચ્છા પૂરી જ નથી અને અત્યારે તે લગભગ ભુલાઈ ગયેલી જૂની વાત જેવું લાગે છે. સ્ટ્રેટ ઑફ હોર્મુઝના ભંગાણથી ક્રૂડ ઓઈલનો ભાવ $150–$200/ બેરલ પહોંચ્યો અને ફુગાવો 4 ટકા સુધી પહોંચી રહ્યો છે. ગયા આખા વર્ષમાં વહીવટી તંત્રએ સતત એમ ગાણું ગાયું કે ટેરિફની અસરો ઓછામાં ઓછી હશે પણ 2026માં જે બિલ આવ્યું એ ઓછામાં ઓછું નથી. 

વ્યૂહરચનાને બદલે જોણું ખડું થઈ જાય ત્યારે આ જ કિંમત ચૂકવવાની આવે.

ભૌગોલિક રાજકીય નાટક પણ મોઘું જ પડ્યું છે. ઈરાને હોર્મુઝમાં અવરોધ નાખ્યા અને સાથે યુ.એસ.-ઈઝરાયલ હુમલાઓ વચ્ચે અત્યારે મધ્ય પૂર્વમાં અમેરિકન સૈન્યની હાજરી હવે 2003ના ઇરાક યુદ્ધ પછીની સૌથી મોટી છે. પૈસા, સૈન્ય અને આત્મવિશ્વાસ બધું અહીં દાવ પર લાગ્યું છે. હોર્મુઝ સામુદ્રધુની જાણે ઘોષણાઓ કરવાનો મંચ બની ગઈ છે. ઘોષણાઓ થતી રહી પણ સ્ટ્રેટ ઑફ હોર્મુઝનો માર્ગ ન ખૂલ્યો. જીતની જાહેરતો થઈ, બણગાં ફૂંકાયા પણ માર્કેટ્સને એ બધા ઘોંઘાટ ગણકારવા જેવા ન લાગ્યા, કોઈએ એ બધા દાવાઓ પર વિશ્વાસ ન કર્યો. 

આ તરફ યુક્રેનમાં ધીરજ ખૂટી ગઈ, મદદમાં કાપ મૂક્યો, યુરોપને અલ્ટિમેટમ આપ્યું જેને લીધે NATOના સહિયારા સિદ્ધાંત પર દબાણ આવ્યું. જે યુદ્ધ ટ્રમ્પ બંધ કરાવવાના હતા એ તો અટક્યું નહીં અને NATO જેમાં સહિયારાપણાની વાત હંમેશાં કેન્દ્રમાં રહેતી ત્યાં લેવડ-દેવડની ભાષા શરૂ થઈ ગઈ.

અમેરિકાએ જે કર્યું એ કંઈ આંધળુકિયાં નહોતા પણ જાણીજોઈને ભરપૂર આત્મવિશ્વાસ સાથે લેવાયેલા નિર્ણયો હતા જેમાંથી બીજા દેશોનું નાક દબાવવાનો કે ડર પેસાડવાનો હેતુ હતો પણ આ તો બધું બુમરેંગની જેમ અમેરિકાને લમણે જ ભટકાયું છે.

સૌથી પહેલાં તો ટેરિફ ઝીંકવાનો ટાઈમિંગ. ટ્રમ્પના તંત્રને સારી પેઠે ખબર હતી કે ટેરિફનો ખરો પ્રભાવ તો વર્ષ-દોઢ વર્ષ પછી જ ખબર પડે. 2025માં ટેરિફ ઝીંકીને મોંઘવારી કાબૂમાં હોવાની જાહેરાત કરી, વાહવાહી મેળવી લીધી અને જ્યારે 2026માં બિલ આવ્યું. ખર્ચાની અસર દેખાય એ પહેલાં ટ્રમ્પે જશ ખાટી લીધો, જે એક રાજકીય પસંદગી હતી અને હવે મધ્ય સત્રની ચૂંટણીના વર્ષે આ ચાળાંની કિંમત ચૂકવવાનું આવ્યું છે.

બીજો મુદ્દો છે કે એક તરફ અમેરિકાને જોઈએ છે કે પોતાના ગ્રાહકોને ઈંધણ સસ્તું મળે, પણ એવી ઇચ્છા રાખીને તે દુનિયાના સૌથી અગત્યનાં તેલના સ્રોત પર, માર્ગ પર ચડાઈ કરી બેઠો. હું ચાવું પણ અને છીંક પણ ખાઉં અને ખાવાનું બહાર પણ ન પડે, એવી ઇચ્છા રાખવી જરા વધારે પડતી નથી? સ્ટ્રેટ ઑફ હોર્મુઝ બંધ થાય તો 150 ડોલરનું ક્રૂડ અમેરિકન ગ્રાહકના ખિસ્સા પર જ બોજ બને વ્હાઈટ હાઉસ પર નહીં. લાગે છે કે વૉશિંગ્ટન આ ગણતરી કરવાનું ભૂલી ગયું અને જો કોઈને ખબર પડી હોય તો કોઈએ ટ્રમ્પને આ વાત કહેવાની તસ્દી ન લીધી.

અમેરિકાની ત્રીજી ભૂલ એટલે ગઠબંધનના અર્થશાસ્ત્રમાં ચેડાં. NATOનો પાયો જ એ હતો કે સામૂહિક સુરક્ષા એકલપંડી લડાઈ કરતાં સસ્તી પડે, સિત્તેર વર્ષ આ સિદ્ધાંત ચાલ્યો અને અમેરિકાએ આડોડાઈ કરીને આ સિદ્ધાંતને લેવડ-દેવડના સોદામાં ફેરવી દીધો. અમેરિકા બોલે તો બીજા દેશો કેમ ચૂપ રહે? બધાએ હિસાબ માંડ્યો અને યુરોપે NATOનો વિકલ્પ વિચારવાનું શરૂ કરી દીધું. NATOના ગઠબંધનનું ધોવાણ બંદૂકથી નહીં શબ્દોથી થયું એમ કહેવામા જરા ય અતિશયોક્તિ નથી.

આ બધું ચાલતું હતું ત્યારે ચીને મૂંગે મોંઢે બધું જોયા કર્યું, ધીરજ રાખી. પણ આ ધીરજ મૂંગી નહોતી. વોશિંગ્ટન ટેરિફ ઝીંકી રહ્યું હતું ત્યારે બેઈજિંગે આ છ ગણા ટેરિફની વચ્ચે વિયેતનામ અને ભારત દ્વારા સપ્લાય ચેનની ડાયવર્ટ કરી નાખી. વોશિંગ્ટનને લાગે છે કે આ તેમની જીત છે અને બેઈજિંગનો અભિગમ એવો છે કે તેમને માટે આ વૈશ્વિક વ્યાપારની ભૂગોળ બદલી નાખવી રોજનો ધંધો છે અને તે શાંતિથી પોતાનું ગાડું સરળતાથી ગબડાવે રાખે છે.

આ બધા ખેલ નીચેની વાસ્તવિક્તા માળખાગત છે. અમેરિકાનું દેવું $36–38 ટ્રિલિયન સુધી પહોંચી ગયું છે. વ્યાજની ચુકવણી હવે સંરક્ષણ ખર્ચ સાથે સીધી હરીફાઈમાં છે, અને ખાધ યથાવત્ છે. 2008 પછી કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ એટલે કે ગ્રાહકોનો વિશ્વાસ સાવ તળિયે બેઠો છે. જી.ડી.પી. વૃદ્ધિ 2.1–2.5 ટકા સુધી ધીમી પડી છે અને મંદીનું જોખમ 20 ટકા સુધી માનવામાં આવે છે. ખોરાક સહિતના ભાવ (3.1 ટકા) વધતા જાય છે એમાં મધ્યસત્ર ચૂંટણીઓ નજીક આવી રહી છે.

ભારતનો 1.8% ફુગાવો અને સુધારા તેનાથી વિપરીત છે: આપણી ‘આત્મનિર્ભરતા’ યુ.એસ.ના ઘર્ષણથી દૂર રહી વિવિધતા લાવવાના નિર્ણયને યોગ્ય માને છે. અમેરિકા હવે પોતાની અસ્થિરતાની નિકાસ કરવા બેઠો છે. 

મૂળ પ્રશ્ન તાકાતનો, શક્તિનો છે. બીજા વિશ્વ યુદ્ધ પછી અમેરિકાની આગેવાની માત્ર શક્તિ પર આધારિત નહોતી, તે વિશ્વસનીયતા અને સ્થિરતા પર ટકેલી હતી. જ્યારે ગઠબંધનોને સોદા તરીકે જોવાય, અર્થતંત્રને પ્રદર્શન તરીકે અને વિરોધીઓને દર્શક તરીકે જોવામાં આવે ત્યારે આ વિશ્વસનીયતા પાંખી થતી જાય છે. વૈશ્વિક રાજકારણમાં અન્ય રાષ્ટ્રોના વિશ્વાસ વગરનો તેમના તરફથી મળતો આત્મવિશ્વાસ એક ઋણ છે અને તેની એક મર્યાદા હોય છે. અમેરિકાનું પતન થઈ રહ્યું છે તેમ નથી પણ અત્યારે તેનો હિસાબ થઈ રહ્યો છે. અમેરિકાને જે હથિયાર વાગ્યું છે તે તેણે પોતે જ ખડું કરેલું છે તે ચોક્કસ. 

બાય ધી વેઃ 

ટ્રમ્પે 2025માં કહ્યે રાખ્યું કે ટેરિફની અસર મિનિમલ રહેશે પણ એવું તો કંઈ થયું નહીં અને ટ્રમ્પે હવે ‘ક્વિક વિક્ટરી’નું ગાણું ગાયું. ચીનને આર્થિક યુદ્ધોમાં રસ નથી તે સપ્લાય ચેન બદલી નાખે છે. આને ચીનની ધીરજ કહેવી કે ચોકસાઈ? આપણે એક તરફ અમેરિકાને પણ જોઈએ છીએ, ચીન જ કરે છે એ પણ જોઈએ છીએ. અમેરિકા પાસે લશ્કર, નાણું અને ટેક્નોલૉજી બધું હોવા છતાં આજે મુશ્કેલીમાં છે કારણ કે તેને આત્મવિશ્વાસ નડી ગયો. આપણને પણ ‘વિકાસ’ કરવો છે પણ આત્મવિશ્વાસને ‘આત્મઘાતક ભ્રમ’માં ન ફેરવી નાખીએ તેની તકેદારી રાખવી જરૂરી છે. આપણે અમેરિકાની ભૂલો જોઈ મનોમન ખુશ થતા હોઈશું, પણ ખુશ થવામાં અને બોધ લેવામાં ફેર છે. અમેરિકા જ્યાં પહોંચ્યો છે ત્યાં પહોંચવાનો રસ્તો ટૂંકો છે અને અજાણ્યો પણ નથી એ યાદ રાખીને આપણે વિકાસ અને પ્રગતિની આંગળી પકડી ધીરજથી મક્કમ પગલાં ભરીશું તો ફાયદામાં રહીશું. 

 પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 05 ઍપ્રિલ 2026

Loading

ચલ મન મુંબઈ નગરી—335

દીપક મહેતા|Opinion - Opinion|5 April 2026

બદનામ બસ્તી ‘કામાઠીપુરા’ નામ પડ્યું તેલુગુભાષી મજૂરો ‘કામાઠી’ના નામ પરથી          

 સંસ્કૃતમાં એક ઉક્તિ છે: ‘યુદ્ધસ્ય કથા રમ્યા.’ તો આજે વાતની શરૂઆત કરીએ એક યુદ્ધની વાતથી. દુનિયાના એક ખૂણે લડાઈ થાય તો આજે એની ધણધણાટી આખી દુનિયામાં ફેલાઈ જાય છે. આજથી ૨૦૦-૩૦૦ વરસ પહેલાં ભલે એવું ન થતું હોય. પણ હિન્દુસ્તાનના એક ખૂણે લડાઈ થાય અને એની અસર પડે ક્યાંક દૂર દૂરના પ્રદેશમાં, એવું તો ત્યારે ય બનતું. આજના મહારાષ્ટ્રમાં એક કિલ્લો આવેલો છે : ખરડાનો કિલ્લો. પણ ઈ.સ. ૧૭૯૫ના પહેલા બે મહિના સુધી ત્યાં હકૂમત હતી હૈદરાબાદના નિઝામની. એ વખતે હિન્દુસ્તાનના રાજાઓ એકબીજાનો પ્રદેશ જીતવા માટે અવારનવાર લડ્યા કરતા. એ રીતે નિઝામના રાજ્યમાંથી શેર માંસનો ટુકડો કાપી લેવા મરાઠા સામ્રાજ્યે કરાડના કિલ્લા પર ચડાઈ કરી, તારીખ ૧૧ માર્ચ ૧૭૯૫ના દિવસે. તેમાં પેશ્વાના લશ્કર ઉપરાંત ગ્વાલિયર, નાગપુર, ઇન્દોર અને બરોડા રાજ્યોએ પણ ભાગ લીધેલો. સામે હતું હૈદરાબાદના નિઝામનું લશ્કર. અગાઉ નિઝામ સાથે બ્રિટિશ સરકારે કોલકરાર કરેલા કે કોઈ હુમલો કરે ત્યારે એકબીજાને મદદ કરવી. એ પ્રમાણે નિઝામે કંપની સરકાર પાસે ધા નાખી : ‘મદદ કરો, માઈબાપ, મદદ કરો’. પણ નિઝામને ખાતર કંપની સરકાર મરાઠાઓ સાથે પંગો લેવા માગતી નહોતી. એટલે ગવર્નર જનરલ જોન શોરે ગરજ વરતીને નિઝામની અરજ એક કાનેથી સાંભળીને બીજે કાનેથી કાઢી નાખી. નિઝામ પર હુમલો કરનાર લશ્કરની આગેવાની તો પાંચ-પાંચ મહારથીઓએ લીધેલી : સવાઈ માધવરાવ, દોલતરાવ શિંદે, જીવા દાદા બક્ષી, તુકોજીરાવ હોળકર, રાઘોજી ભોસલે, અને ગોવિંદરાવ ગાયકવાડ. મરાઠા લશ્કરમાં કુલ એક લાખ ૮૩ હજાર સૈનિકો, અને ૫૯ તોપ! નિઝામના લશ્કરમાં ૧૭ હજાર સૈનિકો, અને એની આગેવાની લીધી હતી ભાડૂતી ફ્રેંચ સેનાપતિ મિશેલ રેમન્ડે. 

ખરાડનો કિલ્લો

શું ધારો છો? આ લડાઈ કેટલી લાંબી ચાલી હશે? ફક્ત એક દિવસ! સાંજ પડતાં પહેલાં તો નિઝામનું લશ્કર ખરાડના કિલ્લામાં ભરાઈ ગયું. મરાઠા સૈન્યે ૨૨ દિવસ સુધી એ કિલ્લાને ઘેરો ઘાલ્યો. છેવટે હારી-થાકી નિઝામે સુલેહ કરી. અગાઉ પેશવા સરકારનું અપમાન કરનાર પોતાના વડા પ્રધાન અઝીમ-અલ-ઓમરાને હાંકી કાઢ્યો. મરાઠા સામ્રાજ્યને મોટી રકમની ખંડણી આપી, અને દૌલતાબાદ, ઔરંગાબાદ, અને શોલાપુર તથા તેની આસપાસનો વિસ્તાર મરાઠાઓને સોંપ્યો. અને હા, પેલો ખરાડનો કિલ્લો પણ મરાઠા માલિકીનો બન્યો.

હા, જી. ખબર છે અમને. વાચકો વિચારતા હશે કે ચલ મન મુંબઈની ગાડી આજે આવા અજાણ્યા પાટે કેમ ચડી ગઈ? તો સાંભળો એનું કારણ. આ ખરાડ અને એની આસપાસના પ્રદેશમાં ‘કામાઠી’ નામની એક તેલુગુભાષી જાતિ રહે. કડિયા કામમાં પાવરધી. લડાઈ પૂરી થયા પછી એ જાતિના ઘણા લોકોએ માતૃભૂમિ છોડી વાટ પકડી મુંબઈની. અજાણ્યો મલક. ત્યાંની ભાષા જાણે નહિ. પણ નસીબના બળિયા. તે એ લોકો મુંબઈ આવ્યા એ જ વખતે મુંબઈના સાત ટાપુને જોડવાનું કામ ગવર્નર વિલિયમ હોર્નબીએ હાથમાં લીધું. 

તેમની ચોક્કસ જન્મ તારીખ તો જાણવા મળતી નથી. પણ ૧૭૨૩ના માર્ચની ૧૧મી તારીખે તેમને બાપ્તિસ્માં આપવામાં આવ્યું હતું. ૧૮૦૩ના નવેમ્બરની ૧૮મી તારીખે તેમનું અવસાન થયું. ૧૭૪૦માં ઇસ્ટ ઇન્ડિયા કંપનીમાં રાઈટર (ક્લાર્ક) તરીકે જોડાયા. ધગશ અને મહેનતને પ્રતાપે આગળ વધતાં વધતાં ૧૭૭૧માં મુંબઈના ગવર્નર બન્યા. અહીં આવીને જે જોયું તેનાથી તેમને પારાવાર દુ:ખ થયું. મુંબઈના સાત ટાપુ. સાતે એકબીજાથી અલગ. એક પરથી બીજા ટાપુ પર જવા માટે કાં હોડી વાપરવી પડે. કાં ઓટને વખતે કેટલાક ટાપુ આસપાસ પાણી એટલું ઓછું હોય કે કાદવ કિચડમાં ચાલીને એક પરથી બીજા ટાપુ પર જઈ શકાય. દરિયા કિનારે, અને બીજે બધે કચરાના ઢગલા. એને કારણે જાતજાતની બીમારીઓ ફેલાય. કંપની સરકારના ઘણા નોકરો કાં ગંભીર માંદગીને કારણે સ્વદેશ પાછા ચાલ્યા જાય. કાં અહીં જ રહીને જીવ ગુમાવે.

હોર્નબીએ મનમાં પાકી ગાંઠ વાળી : આ સાત ટાપુને એકબીજા સાથે જોડવા જ જોઈએ. ગંદકી ઓછી કરવી જ જોઈએ. પણ શરૂઆત ક્યાંથી કરવી? મુંબઈના મુખ્ય ટાપુ અને તેની નજીકમાં વરળી ટાપુ વચ્ચે લગભગ એક માઈલનું અંતર. ભરતીને વખતે દરિયાનાં પાણી છેક ભાયખળા, ભીંડી બજાર, પાયધૂની સુધી પહોંચી જાય. આ પાણી ગંદકી ફેલાવે, અને એ ગંદકી ફેલાવે રોગચાળો. ગવર્નર હોર્નબીને લાગ્યું કે સૌથી પહેલું કામ મુંબઈના ટાપુ અને વરળીના ટાપુ વચ્ચે બંધ બાંધીને દરિયાનાં પાણીને અંદર ઘૂસતાં રોકવાં જોઈએ. ઇજનેરો પાસે પ્લાન બનાવડાવ્યા. આજના મહાલક્ષ્મી અને Atria Mall વચ્ચે બંધ બાંધવા માટે. ખર્ચનો અંદાજ? રૂપિયા એક લાખ! પણ આવડી મોટી (!) રકમ લંડનમાં બેઠેલા હાકેમોની પરવાનગી વગર તો ખર્ચાય નહિ. એટલે દરખાસ્ત મોકલી લંડન. પણ પછી તેમની મંજૂરીની રાહ જોયા વગર કામ શરૂ કરાવી દીધું! 

કામાઠી પુરુષો, ૧૯મી સદીમાં 

અને એ બંધ બાંધવાના કામમાં મોટી સંખ્યામાં જોડાયા બેવતન બનેલા કામાઠીઓ. પણ પછી લંડનના બડેખાંઓએ કહ્યું કે બે ટાપુને જોડવા માટે આટલો મોટો ખર્ચ કરવાની જરૂર નથી. જેમ ચાલે છે તેમ ચાલવા દો. પણ ગવર્નર હોર્નબીએ તેમની વાત એક કાનેથી સાંભળીને બીજે કાનેથી કાઢી નાખી. અને કામ ચાલુ રખાવ્યું. એ ખબર લંડન પહોંચતાં ત્યાંના હાકેમોએ હોર્ન્બીને બરતરફ કરતો રુક્કો મોકલ્યો. હોર્ન્બીએ તે વાંચીને નાખી દીધો કચરાની ટોપલીમાં. પણ લંડનની પરવાનગી વગર કામ માટેના પૈસા કાઢવા ક્યાંથી? 

મુંબઈના ગવર્નર વિલિયમ હોર્નબી 

હોર્નબીને મિસ રોઝ નેસબિટ નામની એક ધનવાન સ્ત્રી સાથે સારી ઓળખાણ. એ રહે મઝગાવમાં. ગવર્નરે તેને કહ્યું કે બાકીના કામના પૈસા હમણા તું આપ. પછી તને પાછા મેળવી આપીશ. અને એમ, ઉછીના પૈસા લઈને પણ કામ આગળ ચલાવ્યું. આ નેસબિટના પતિ કંપની સરકારના નૌકા સૈન્યમાં કોમોડોર અને બોમ્બેના હાર્બર માસ્ટર. એટલે કે મુંબઈનાં બધાં બંદરોના ઉપરી. નેસબિટ જેટલી દાનેશ્વરી એટલી જ ધર્મપરાયણ. મઝગાવમાં રહે ત્યાં પોતાની જગ્યા પર ૧૭૮૭માં ખાનગી ચેપલ (ચર્ચ કરતાં નાનું તે ચેપલ) બંધાવ્યું. સાથે પ્રિસ્ટને રહેવા માટેનું મકાન પણ ખરું. ૧૮૧૯માં મૃત્યુ થયું તે પહેલાં એ ચેપલ, મકાન, અને બધી જમીન ચર્ચને દાનમાં આપી દીધી. તેના પાર્થિવ દેહને ત્યાં જ દફનાવવામાં આવ્યો. વખત જતાં એ ચેપલમાં સુધારા, વધારા કરીને તેને ચર્ચ બનાવવામાં આવ્યું. ૧૮૮૧માં શરૂ થયેલું એ સેન્ટ એન ચર્ચ આજે પણ ઊભું છે. પછી ચર્ચની બાજુમાં એક નાનકડી સ્કૂલ શરૂ થઈ, જે વખત જતાં બની સેન્ટ મેરીઝ હાઈ સ્કૂલ. મઝગાંવથી પરળ જતા રસ્તા સાથે તેનું નામ જોડવામાં આવ્યું. એ નેસ્બિટ રોડ નામ સદ્ભાગ્યે આજ સુધી બચી ગયું છે. એક અંગ્રેજ સ્ત્રીનું નામ હોવા છતાં.

ખંભાલા હિલ પરથી દેખાતું દૃશ્ય – હોર્નબી વેલાર્ડ અને વરળી, ૧૮૭૦  

પણ આ હોર્નબી વેલાર્ડના બાંધકામે વતન છોડીને આવેલા કામાઠીઓને લાંબા વખત સુધી રોજી-રોટી પૂરી પાડી. ત્યાર બાદ બીજા ટાપુઓને જોડતાં બાંધકામ એક પછી એક થયાં તેમાં પણ આ કામાઠીઓનો મોટો ફાળો. આજે પણ મોટાં બાંધકામ થતાં હોય ત્યારે મજૂરોના રહેવાની વ્યવસ્થા એ સ્થળથી બને તેટલી નજીક કરવામાં આવે છે. હોર્ન્બી વેલાર્ડનું કામ ચાલતું હતું ત્યારે કામાઠીઓને રહેવા માટે સરકારે પાકાં મકાન બાંધ્યાં. તેની એક બાજુ બેલાસીસ રોડ, બીજી બાજુ ડંકન રોડ, ત્રીજી બાજુ ગ્રાન્ટ રોડ, અને ચોથી બાજુ સુક્લાજી સ્ટ્રીટ. આવા લંબચોરસ વિસ્તારમાં એકબીજીને કાટખૂણે કાપતી બાર ગલ્લી. તેના મકાનોમાં વસાવ્યા કામાઠી મજૂરોને. અને એટલે એ વિસ્તાર ઓળખાયો કામાઠીપુરા તરીકે. દેશ છોડીને આવેલા ઘણાખરા મજૂરો બૈરી-છોકરાંને ‘દેશ’માં મૂકીને આવે. એટલે તેમને વખતોવખત ‘સુંવાળા સંગાથ’ની જરૂર પડે. એટલે ધીમે ધીમે એ વિસ્તારમાં વેશ્યાઓએ પ્રવેશ કર્યો. અને વખત જતાં બાંધકામની જરૂરિયાતો પૂરી પાડનારાને બદલે એ વિસ્તાર મુંબઈના રહેવાસીઓની કામઇચ્છા પૂરી પાડનારીઓનો મુંબઈનો સૌથી મોટો વિસ્તાર બની ગયો. અને એટલે ‘સારા ઘરના’ મુંબઈગરાઓ ‘કામાઠીપુરા’ નામ કાને પડતાં જ જાણે અભડાઈ જતા. વખત જતાં ત્યાં વસતી સામાન્યાઓ મુંબઈના બીજા વિસ્તારોમાં રહેતી થઈ. અને હવે તો આ વિસ્તારને માથે પણ ‘રિડેવલપમેન્ટ’નું ભૂત ભમતું થયું છે.

સરકારી બાંધકામ ઓછાં થયાં, શરીરશ્રમને બદલે મશીન વડે થવા લાગ્યાં. એટલે પેલા આજના આંધ્રપ્ર દેશથી આવેલા કામાઠીઓ બીજાં નાનાં મોટાં મજૂરીનાં કામ કરતા થયા, ઘર-નોકર તરીકે પણ કામ કરતા થયા. આ લખનારને બરાબર યાદ છે. ગીરગામ રોડ પરના વજેરામ બિલ્ડિંગમાં રહેતો ત્યારે વરસો સુધી ‘નરસુ’ નામનો એક તેલુગુભાષી કામાઠી ઘરકામ માટે આવતો. બે-ચાર હિન્દી અને બે-ચાર ગુજરાતી શબ્દો માંડ બોલી શકે. છતાં મારાં મા ઘરકામનું ગાડું ગબડાવતાં. આ લખનારને અને તેના મોટા ભાઈને પણ વઢી શકે એટલો ઘરમાં એનો હક્ક. ઘરનું કોઈ પણ જમવા બેસે એ પહેલાં મા એ ‘નરસુ’ની થાળી પીરસીને અલગ મૂકી દે. વરસે બે-વરસે એક વાર ‘દેશ’માં જાય. વરસો સુધી કામ કર્યા પછી એક વાર એ રીતે ગયો તે ગયો. પાછો ન આવ્યો. તેને શું થયું તેની ય કાંઈ ખબર પડી નહિ. 

મુંબઈ મુંબઈ બની શક્યું તેના મૂળમાં રહી છે આ કામાઠીઓ અને બીજા લાખો મજૂરોની મહેનત. આજે કાળી મજૂરીનાં ઘણાંખરાં કામ મશીનો ઘણી વધુ ઝડપથી, ઘણી વધુ સારી અને સસ્તી રીતે કરી શકે છે. પણ કોઈ પણ ઈમારત એટલી જ ઊંચી બની શકે, જેટલો તેનો પાયો ઊંડો અને મજબૂત હોય. આમચી મુંબઈની ઇમારતને મજબૂત બનાવવા માટે આ કામાઠી જેવા કેટલા ય લોકો પાયાનો પથ્થર બન્યા છે.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX 

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”;  04 એપ્રિલ 2026

Loading

...102030...74757677...8090100...

Search by

Opinion

  • એક યુવક જન્તર મન્તર છોડતી વખતે પોલીસને કહેતો જાય કે, “ફિર આયેંગે ઔર તબ બંદૂક લેકર આના.”
  •  પ્રાથમિક શિક્ષણથી યુનિવર્સિટી શિક્ષણ સુધી ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર …
  • ૨૧મી સદીમાં ઘર પુન: બાંધવું
  • Gen Zનો રોષ: કઠેડામાં આજની કે અગાઉની પેઢી નહીં, વ્યવસ્થા છે
  • ચલ મન મુંબઈ નગરી—353

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • ગઝલ
  • માર્યા જશે
  • ચાર સાંપ્રત હિન્દી કાવ્યો
  • ગઝલ
  • લૂંટ શકે તો લૂંટ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved