Opinion Magazine
Number of visits: 9954496
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બાપુનાં દર્શન 

મનુબહેન ગાંધી|Gandhiana|24 January 2025

તા. 4-4-1947

દિલ્હી 

4 થી 7 વચ્ચેનો ગાળો અહીં ખૂબ જ રળિયામણો લાગે છે. અનેક લોકો પ્રાર્થના માટે આવે અને જાય. અનેક નવા નવા માણસોને મળવાનું થાય છે. અને જેમ કોઈક તહેવારના પ્રસંગોએ આપણા ગામમાં અમુક જગ્યાએ મેળા ભરાય, તેવું વાતાવરણ અહીં થઈ જાય છે. બાપુજી તો વાઈસરોય સાહેબ પાસે ગયા હોય એટલે ભાવુક લોકો બિચારા એમના બેઠકના ઓરડાને જોઈને પાવન થાય છે. એટલુ જ નહીં પણ મારા જેવું કોઈક ત્યાં દરવાજે ઊભું હોય તો એમ પણ ઇચ્છે કે, ગાદીતકિયાને અડી પ્રણામ કરી ચાલ્યા જાય. પણ એવી રજા આપવામાં જોખમ રહે છે. કારણ કે બાપુજીની બેઠકની આસપાસ અનેક ઉપયોગી કાગળો અને અનેક જાતનું બીજું સાહિત્ય પડેલું હોય છે. લોકોને ના પાડતાં મન પણ દુભાય છે. ઘડીભર એમ પણ થાય છે કે, જેઓને ચોવીસ કલાકનો સતત સમાગમ બાપુજીનો મળે છે તેઓને હસવું આવે કે ગાદીતકિયાને અડીને શું ચાળા કરતા હશે? પણ “ખાખરાની ખિસકોલી સાકરનો સ્વાદ શું જાણે?” એના જેવી હાલત મારા જેવીની છે.

બાપુ સાથે મનુબહેન

હમણાં જ થોડી વાર પહેલાં પંજાબની બે ઘરડી બહેનો અને બાળકો આવ્યાં. આ બાળકોમાં એકનો એક પૌત્ર અને પૌત્રી હતાં. દીકરા વહુનો પત્તો નથી. હુલ્લડ થયું અને આ બે ડોસીઓ ભાગી. બે ડોસીઓમાં પણ એક હિંદુ પંજાબણ છે, અને એક મુસલમાન છે. વર્ષોનાં પડોશીઓ હતાં માઉન્ટગોમરીમાં (ગુજરાનવાલા જિલ્લાના). એ કહેતા હતાં કે, “જ્યારથી અમે પરણ્યાં છીએ ત્યારથી અમે સાથે જ છીએ.” 

એ બંને ડોસીઓના સસરાઓને સગા ભાઈઓ જેવો વ્યવહાર હતો એટલે ડોશીઓએ દેરાણી જેઠાણીનું સગપણું બાંધેલું, ૫ણ વ્યવહારમાં સગી બહેનો જેવી છે. આ બંને ડોશીઓના પતિ ઘણા ઘણા વખતથી ગુજરી ગયા. પેલી મુસલમાન ડોશીને તો કંઈ જ બાળક ન હતું. આ હિંદુ ડોશીને એક જ દીકરો, અને તેની એક દીકરીને દીકરો; એમ બે બાળકો. આ લોકો નિરાશ્રિત કેમ્પમાંથી બાપુજીના દર્શને આવ્યાં. કોઈકે એમને કહ્યું કે, હું મહાત્માજીની પૌત્રી છું અને એમની સેવામાં છું. ‘દેવ કરતા પૂજારીનું માતમ વધે’ એ કહેવત મુજબ બિચારી બંને ડોશીમાએ મને પ્રેમથી ચાંપી અને બધી વાત કરી. પેલી મુસલમાન ડોશી હિંદુના કેમ્પમાં જ રહે છે. પોતાનાં ઘરબાર છોડ્યાં, દીકરા-વહુનો પત્તો નહીં. આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસી રહ્યો હતો. હીબકાં ભરતાં પોતાની દુઃખી કહાણી સંભળાવી અને કહ્યું કે, કોઈક પાપ આડું આવ્યું કે જેથી અમારી ઉપર આ આપત્તિ પડી. હવે બસ બાપુજીના દર્શન કરી પાવન થવું છે, બીજી કોઈ ઇચ્છા નથી.

હું તો આ વાત સાંભળી ચકિત થઈ ગઈ. વાહ બાપુના ભક્તો!! મેં કહ્યું, ‘માજી ! બાપુજી પ્રાર્થનામાં આવશે ત્યારે તમે જોઈ શકશો.’

માજી – ‘એમ નહીં, બેટા!! અમારે તેમના ચરણસ્પર્શ કરવા છે અને મારી આ દીકરી તથા દીકરા પર હાથ ફેરવે એટલે એમનો બેડો પાર. પણ ગાંધીજી ક્યાં બિરાજે છે?’

મેં પડદો ઉઘાડીને કહ્યું,  ‘સામો ગાદી તકિયો છે ને, ત્યાં બેસે છે. ‘

‘એમ નહીં; અમને ત્યાં જવા દે અને ત્યાં પગે લાગી આવીશું. ‘ 

મેં કહ્યું “માજી, તમને જવા દઉં તો મારાથી બીજા કોને ના પડાય ??’

એટલું કહ્યું અને બંને ડોશીમાની આંખો વળી ભરાઈ ગઈ. મારાથી આ દશ્ય ન જોવાયું એટલે અંદર જવા દીધાં. એટલી બધી ભક્તિ કે ખોળો પાથરીને પ્રણામ કરી પાવનતા અનુભવી તુરત જ તે લોકો બહાર નીકળ્યાં; અને મને અનેક આશીર્વાદ આપ્યા અને પ્રેમથી નવડાવી. મેં કહ્યું, “માજી, મેં તો કશું જ કર્યું નથી.” પણ જટાયુને જ્યારે રાવણે માર્યો ત્યારે પ્રભુનાં દર્શન માટે જ એ રામનામને જપતો જપતો પડ્યો. ભગવાન સીતાજીની શોધ માટે ત્યાં આગળથી નીકળ્યા અને જેમ જટાયુના મનની વેદના ટળી ગઈ, તેમ આ બંને ભક્ત ડોશીઓ ગાદીને પ્રણામ કરીને આનંદિત થઈ ગઈ.

બાપુજી વાઈસરોય હાઉસથી પાછા ફર્યા. અડધી ડાયરી તો બપોરના લખી હતી. બાકીનો આ ભાગ રાતે બાપુજી સૂઈ ગયા પછી ૧૧ વાગ્યે લખું છું.

જે બે ડોશીમા આવ્યાં હતાં તેની વાત બાપુજીને સંભળાવી; અને પ્રાર્થનામાં જવા હાથ મોં ધોઈને બાપુજી બહાર નીકળ્યા ત્યારે તે બંને જણીને મળ્યા. માથે હાથ મૂક્યો અને ડોશીમાએ બાપુજીનો હાથ પકડી પોતાનાં બાળકો ઉપર વારંવાર ફેરવાવ્યો. છોકરો સાત વર્ષનો હતો, છોકરી પાંચ વર્ષની. શી ભક્તિ હતી !

રામાયણનો દોહરો બરાબર આજે નજરે નિહાળ્યો કે: –

कर सरोज शिरू परसे, कृपासिंधु रघुवीर; 

निरखी राम छवि धाम मुख, विगत भयी सब पीर ।

અને ડોશીમાનાં આશીર્વાદ મને તો એવા ફળ્યા કે, આજે ચાર દહાડે  પ્રાર્થના થઈ શકી.

[મનુબહેન ગાંધીકૃત ‘બિહારની કોમી આગમાં’]
23 જાન્યુઆરી 2025
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર; ક્રમાંક 220

Loading

માણસ આજે (૨૭)

સુમન શાહ|Opinion - Opinion|24 January 2025

પાબ્લો નેરૂદા

કંઈક હળવું લખવાની ઇચ્છા થયેલી, કેમ કે, ગમ્ભીર ગમ્ભીરથી થોડોક કંટાળો આવતો’તો. મને થયું, પ્રેમકાવ્યો પાસે જઉં. 

વિચારતાં વિચારતાં પાબ્લો નેરુદા પાસે ગયો. એમનાં કેટલાંક કાવ્યોના ભાવાનુવાદ મેં પહેલાં કરેલાં, ‘ખેવના’-માં પ્રકાશિત છે, એ યાદ આવ્યા; જોયું તો લાગ્યું કે આવા અનુવાદ તો ન જ ચાલે, એ કક્ષાના છે. એટલે, મેં એ નવેસર કરવા માંડ્યા છે. 

પણ એક ભાવાનુવાદ હસ્તપ્રતમાં મળ્યો, અપ્રકાશિત, જે પ્રેમકાવ્ય નથી. બલકે ગ્લોબિઝેશન ઉદારમતવાદ બજારવાદ અને મલ્ટિનેશનલ્સની જે વાતો લઈને હું આજકાલ બેઠો છું એને જ સ્પર્શતું એ એક જલદ કાવ્ય છે. 

એટલે સમજો, એ-ની-એ જ ગમ્ભીર સૃષ્ટિ! પણ આશ્વાસન એ કે એ સૃષ્ટિ કાવ્યશીલ છે. 

નેરુદાની The United Fruit Company —

એ ભાવાનુવાદ નવેસર કર્યો, આ પ્રમાણે :  

The United Fruit Company  —  ધ યુનાઇટેડ ફ્રુટ કમ્પની  

ટ્રમ્પેટ બજી એટલે ધરતીવાસી સૌ સજ્જ થઈ ગયાં, 

દેવ યહોવાહે 

દુનિયા

Coca-Cola, Anaconda, Ford Motors અને 

બીજાં Corporationsને અર્પણ કરી.

પણ

મારી દુનિયાનો દરિયાકિનારો 

દક્ષિણ અમેરિકાની કમનીય કટિ 

અતિ રસદાયી ટુકડો 

The United Fruit Companyએ 

પોતા માટે રાખી લીધો.

એણે એ બધી કમ્પનીઓનું 

Banana Republics

એવું નવું સહિયારું નામ પાડ્યું. 

અને એણે

સૂતેલા મૃતકો 

વિજયી નાયકો પર

વાવટાઓ ને ધજાપતાકાઓ પર 

સ્વાતન્ત્ર્ય અને ગૌરવ પર

જાપતો બેસાડીને 

opera buffa કહો કે 

હાસ્યાસ્પદ ફારસ શરૂ કરી દીધું —

મુક્ત ઇચ્છાનો નાશ કર્યો

સૌને સમ્રાટશાહી મુગુટ પ્હૅરાવ્યા

ઇર્ષા ભડકાવી

અને 

કામણ કરીને

નિમન્ત્રણ આપ્યાં 

સરમુખત્યારશાહી મક્ષિકાઓને —

Trujillo મક્ષિકાઓ Tachos મક્ષિકાઓ

Carias મક્ષિકાઓ Martinez મક્ષિકાઓ

Ubico મક્ષિકાઓ 

Fruit Company પર 

આવી પ્હૉંચી

દમિતોનાં રક્ત અને માર્માલેડ જેવા 

છૂંદામાં લદબદ મક્ષિકાઓ 

લોકોની કબરો પર બણબણતી નશીલી મક્ષિકાઓ 

જુલમમાં નિપુણ સરકસી મક્ષિકાઓ

લોહીતરસી મક્ષિકાઓ 

Fruit Company પર 

આવી પ્હૉંચી

સાગરતટે લાંગર્યાં  

કૉફી અને ફળથી ભર્યાં વહાણ 

ઉજ્જડ અમારા પ્રદેશના ખજાનાથી

ઠસોઠસ ભરેલી જાણે તાસકો!

દરમ્યાન 

દેશીઓએ બંદરનાં સાકર-મીઠાં પાણીમાં ઝંપલાવ્યું

અને સવારના ધુમ્મસમાં અદૃશ્ય થઈ ગયા

ગબડી રહેલું એક શબ …

એક નિર્નામ વસ્તુ …

કો’કનો એકલો નમ્બ ર… 

સડેલાં ફળની એક લૂમ

ઉકરડા પર …

= = =

જરૂરી નૉંધ :

The United Fruit Company નામની એક મોટી અમેરિકન કમ્પની હતી, ૧૮૯૯-માં સ્થપાયેલી. વિકાસશીલ રાષ્ટ્રો, દક્ષિણ અમેરિકા અને આફ્રિકા, Third world plantations ગણાતાં, એશિયા પણ ખરું. કેમ કે, એ દેશોમાં ટ્રૉપિકલ ફ્રૂટ્સનો પાક ખૂબ થાય. દક્ષિણ અમેરિકાથી આ કમ્પની ટ્રૉપિકલ ફ્રૂટ્સ, ખાસ તો કેળાં અને અનેનાસ, યુ.ઍસ.એ. અને યુરપમાં વેચે, મોટો નફાકારક વેપાર કરે. ઓછું મહેનતાણું, કામ કરવાની કંગાળ જગ્યાઓ, શ્રમિકોના મર્યાદિત હક્કો, વગેરે કારણસમવાય હતો; તેથી, શોષણ ઘણું થતું. 

૧૯૭૦ સુધી આ કમ્પની ચાલેલી. એથી એણે ૨૦મી સદીના ઘણા દાયકાઓ લગી કેળાંના વેપારમાં પોતાનો ઇજારો ઊભો કરેલો. સૅન્ટ્રલ અમેરિકાના, ઉપરાન્ત, વેસ્ટ ઇન્ડીઝ તેમ જ કોલમ્બિયાના કૅરેબીયન દરિયાકિનારાના, વિશાળ પ્રદેશોના ટ્રાન્સપોર્ટેશન્સ પર પણ એણે કબજો જમાવેલો. એટલે કેળાંના આન્તરરાષ્ટ્રીય વેપારમાં આ કમ્પની ‘ખેલાડી’ કહેવાય છે. દક્ષિણ અમેરિકાના દેશોમાં આર્થિક અને રાજકીય વિકાસ પર એનો ખાસ્સા સમય લગી પ્રભાવ રહેલો. 

સમીક્ષકોએ એવાં કારણોથી આ કમ્પનીને exploitative neocolonialism-નું દૃષ્ટાન્ત કહી છે અને જણાવ્યું છે કે ‘banana republics’-માં ‘રીપબ્લિક’ જેવું કશું નથી, બલકે એમાં મલ્ટિનેશનલ કમ્પનીઓના અંદરોઅંદરના રાજકારણની ભારે અસરો છે; કમ્પની એવી અસરોનો મૂળ નમૂનો છે.

નેરુદાના આ કાવ્યનું વસ્તુ જોઈને મને માર્ક્વેઝની નવલકથા “One Hundred Years of Solitude’-ના બનાના પ્લાન્ટેશનની યાદ આવી ગઈ. માકોન્ડો ગામમાં એની સ્થાપક પણ અમેરિકન કમ્પની જ છે. એમાં પણ કમ્પનીના અંકુશ હેઠળ શ્રમિકોના શોષણ તેમ જ તેમની યાતનાઓની જ કથા છે. ૧૯૨૮-ના Banana Massacre in Colombia-ની ઐતિહાસિક દુર્ઘટનાવલીનો એ કથાભાગ પર પ્રભાવ છે. 

મને એ વિચાર આવ્યો કે આપણા સમયની મલ્ટિનેશનલ્સથી પ્રેરાઈને કાવ્ય લખાય કે વાર્તા, તો એમાં વીડિયો ગેમ્સ અને સાયન્સ ફિક્શનનું સર્રીયાલિઝમ ઘણું હશે. 

એ વાત બીજી કોઈ વાર, તક મળશે ત્યારે …

(ક્રમશ:)
(23JanUSA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

 

Loading

શાળાઓમાંથી એકમ કસોટી દૂર થશે તો શિક્ષણ વધુ નજીક આવશે … 

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|24 January 2025

રવીન્દ્ર પારેખ

કોરોના વખતે બધું આડેધડ બંધ કરાયું તેમાં શિક્ષણ જગત પણ શરૂઆતમાં બંધ જેવું જ રહ્યું. તે પછી ઓનલાઈન શિક્ષણ પ્રવેશ્યું ને તે સાથે જ ગુજરાતમાં એકમ કસોટીઓ પણ દાખલ પડી ગઈ. કોરોના તો ગયો, પણ તેના અવશેષ જેવી એકમ કસોટી, સોટીની જેમ વાગ્યા કરે છે. સરકાર બદલાઈ. શિક્ષણ મંત્રીઓ એકથી ભલા બે થયા, 2020થી નવી શિક્ષણ નીતિ આવી, તેમાં પરીક્ષાનું ભારણ ઘટાડવાની વાત હતી, પણ એકમ કસોટીનો બોજ વિદ્યાર્થીઓને કે શિક્ષકોને માથે ખડકાયેલો જ રહ્યો તે દુ:ખદ છે. કોરોના વખતે તેનું મૂલ્ય હશે, પણ હવે તે શું કામ છે તે નથી સમજાતું. એક તરફ કાયમી શિક્ષકોની ઘટ છે ને કામચલાઉ શિક્ષકોથી કામ લેવાતું હોય ત્યારે કાયમી થઈ ગયેલી એકમ કસોટીનું વિસર્જન થવું જોઈએ, પણ નથી થતું ને તે કેમ છે તેનું કોઈ લૉજિક શિક્ષણ વિભાગ નથી આપતું, ત્યારે તેનો સાર્વત્રિક વિરોધ થાય તે શક્ય છે. 

કોણ જાણે કેમ પણ ક્યાંક ને ક્યાંક પરીક્ષાઓ ચાલ્યા જ કરે છે. ભણતર એટલે પરીક્ષા એવો અર્થ રૂઢ થતો આવે છે. ભણ્યા કે ભણાવ્યા વગર પરીક્ષાઓમાં જીવવું એ જ નવી શિક્ષણ નીતિની નીતિ હોય એવું  ગુજરાતમાં તો લાગે જ છે. ઓન પેપર ગુલાબી ચિત્ર ઊભું થતું રહે અને વાસ્તવિકતા વરવી હોય એવી વ્યવસ્થા તંત્રોએ ગોઠવી છે. પરિપત્રોએ અને ડેટાએ એટલા ડાટા માર્યા છે કે શિક્ષકો કારકૂન થઈ ગયા છે અને વર્ગશિક્ષણ અપવાદરૂપે જ થાય છે. પરિપત્રોના ખરા ખોટા જવાબો મોકલાય છે, અપેક્ષિત ડેટા આપી દઈને સ્કૂલો ભાર ઉતારી દે છે ને એ મેળવીને શિક્ષણ વિભાગ પણ રાજી રહે છે. એ ડેટાનું સરકાર શું કરે છે તે નથી ખબર, પણ એનાથી અસરકારક પરિણામો સુધી પહોંચાતું હશે કે કેમ એની શંકા રહે છે. નહિતર એ સવાલ થાય કે પચાસેક હજાર શિક્ષકોની ઘટ છે ને જ્ઞાન સહાયકો નોકરી કાયમી ન હોવાથી હાજર થતા નથી, તો શિક્ષણ ચાલે છે કેવી રીતે? 

શૈક્ષણિક વર્ષ પૂરું થવા આવ્યું છે છતાં સુરત જિલ્લા પંચાયતની સ્કૂલોનાં 36 હજાર વિદ્યાર્થીઓને યુનિફોર્મ મળ્યા નથી ને કમાલ એ છે કે 2 કરોડની જોગવાઈ યુનિફોર્મ વિતરણ માટે ઓલરેડી થઈ ચૂકેલી છે. આખેઆખી સ્કૂલો એક જ શિક્ષકથી ચાલે છે તો શિક્ષક ભણાવે છે શું ને વિદ્યાર્થીઓ ભણે છે શું એ સવાલ થવો જોઈએ. 22 જાન્યુઆરીના જ સમાચાર છે કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત 99માંથી 4 સ્કૂલો જર્જરિત છે. શાળા નંબર 1 અને 51 માટે બજેટમાં 2 કરોડની જોગવાઈ છતાં, કામગીરી ટેન્ડર સુધી પણ નથી પહોંચી. 2008થી શાળા નંબર 99 ભાડાના મકાનમાં ચાલે છે. એમાં 1થી 5નાં 222 વિદ્યાર્થીઓની વચ્ચે 4 જ રૂમ છે. શાળા નંબર 100 કપાતમાં જાય છે ને 1થી 5નાં બાળકોને ભગવતીપરાની આધુનિક હાઇસ્કૂલમાં ખસેડવાની નોબત આવી છે, પણ કરમની કઠણાઇ એ છે કે આધુનિક હાઈસ્કૂલનું લોકાર્પણ થઈ ચૂક્યું હોવા છતાં, તેને મંજૂરી મળી નથી. 

આ એકલાં રાજકોટની જ વાત નથી, ઘણાં શહેરોની ને ગામડાઓની હાલત કૈં બહુ જુદી નથી. એમાં પરીક્ષાઓ માથે મરાતી રહે તો શિક્ષણનું કેવું ને કેટલું કામ થતું હશે તે કલ્પી શકાય એમ છે. ખરેખર કેટલી નિયમિત હશે તે તો ખબર નથી, પણ ધોરણ 3થી 8/9 કે ક્યાંક તો 12 સુધીની દર શનિવારે સરકારી શાળાઓમાં એકમ કસોટી લેવાની વાત છે જ ! એનું કેલેન્ડર શાળાઓને મોકલવામાં આવ્યું છે ને સરકાર એમ માને છે કે એ કેલેન્ડરથી શિક્ષકો સમયસર અભ્યાસક્રમ પૂરો કરી શકશે. જો કે, પરીક્ષાનાં કેલેન્ડરથી અભ્યાસક્રમ પૂરો કરવામાં મદદ કેવી રીતે મળે એનો ખુલાસો સરકારે કર્યો નથી. બને કે શિક્ષકો ને આચાર્યો એ જાણતા હોય. વિદ્યાર્થીઓ સંદર્ભે ગુજરાત શાળા શિક્ષણ પરિષદ શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર એવો ખુલાસો પણ કરે છે કે નિયમિત કસોટીઓ વિદ્યાર્થીઓને પરીક્ષાના સતત ડરનો સામનો કરવામાં મદદ કરે છે. એમાં તથ્ય હશે, પણ સતત પરીક્ષા, પરીક્ષા પ્રત્યે વિદ્યાર્થીને બેપરવા કરે અને માત્ર પરીક્ષાલક્ષી તૈયારીઓમાં જ વ્યસ્ત રાખે એમ બને. એ સ્થિતિમાં વિદ્યાર્થી અભ્યાસ અને ચિંતન મનનને બદલે જવાબો આપવા જેટલું જ યાંત્રિક કૌશલ્ય કેળવે એવું, નહીં? 

એકમ કસોટીઓ નિરર્થક છે એવી વાત GCERTના પૂર્વ નિયામક ડો. નલિન પંડિતે ઘણા વખતથી સરકારને કાને નાખી છે, પણ સરકારે અત્યાર સુધી તો એ વાત કાને ધરી નથી. એમણે એટલે જ ઉપવાસથી આંદોલનનાં મંડાણ કર્યાં છે. એમને અનેક શિક્ષક સંઘોએ ટેકો જાહેર કર્યો છે ને જોતજોતામાં તેની રાજ્ય વ્યાપી અસરો પણ પડી છે. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે શિક્ષણ મંત્રી ડિંડોરને પત્ર લખીને એકમ કસોટીની સમીક્ષા કરવા અંગે પત્ર પણ લખ્યો છે. મહાનગરપાલિકા પ્રાથમિક શિક્ષક સંઘ – ભાવનગરે તો શિક્ષણ મંત્રીને એકમ કસોટી નાબૂદ કરવાની રોકડી વાત કરી છે. 

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત પ્રાંતે એકમ કસોટી સંદર્ભે 14,302 શિક્ષકોને 14 પ્રશ્નો પૂછીને એક સર્વે કર્યો છે, જેમાં 97.6 ટકાએ કબૂલ્યું છે કે કસોટી અને તેને લગતી કામગીરીને લીધે વિદ્યાર્થીઓની શૈક્ષણિક કામગીરી ખોરંભે ચડે છે. 97.2 ટકા શિક્ષકો માને છે કે ડેટા વગેરે સરકાર સુધી પહોંચાડવામાં અભ્યાસક્રમ પૂરો કરવામાં મુશ્કેલીઓ સર્જાય છે. સરકાર સુધી ડેટા પહોંચાડવામાં એટલો સમય જાય છે કે 91.4 ટકા શિક્ષકો માને છે કે તેને માટે વહીવટી પોસ્ટ અલગથી સ્કૂલોમાં ઊભી કરવી જોઈએ. 78.4 ટકા શિક્ષકો માને છે કે એકમ કસોટીથી વિદ્યાર્થીની શૈક્ષણિક યોગ્યતામાં કોઈ વધારો થતો નથી. આ ઉપરાંત પણ એવાં તારણો મળ્યાં છે જે સૂચવે છે કે એકમ કસોટી કોઈ રીતે વિદ્યાર્થીઓને કે શિક્ષકોને ઉપકારક નથી.

એકમ કસોટીની અસરકારકતા અંગે ડો. નીરજ રાજ્યગુરુએ પ્રસ્તુત કરેલ સંશોધનપત્રમાં પણ એ સ્પષ્ટ કર્યું છે કે એકમ કસોટીની અસરકારકતા પ્રસ્થાપિત થઈ શકી નથી. 95 ટકા પાત્રોનું માનવું છે કે પુન:કસોટી, મહાવરો અને ઉપચારાત્મક કાર્ય કઠિન છે અને ઘણો સમય માંગે છે. દર 15 દિવસે લેવાતી એકમ કસોટીમાં એકંદરે સાડા આઠ કલાક જેટલો સમય ખર્ચાય છે. આ કસોટી દર અઠવાડિયે લેવાતી હોય તો અઠવાડિયે સાડા આઠ કલાક કસોટી પાછળ બગડે છે તે નોંધવું ઘટે. શિક્ષકો ઓછા હોય એ સંજોગોમાં આ સમય અસરકારક શિક્ષણમાંથી ખર્ચાય છે તે પણ સમજી લેવાનું રહે. 

આખું પ્રારંભિક શિક્ષણ આંકડાઓની માયાજાળમાં અટવાઈ ગયું છે. દર શનિવારે એકમ કસોટી લેવાય, તેના માર્કસ અપાય, તેનું ઉપચારાત્મક કાર્ય થાય, તેનો ડેટા સરકારને મોકલાય, એ બધાંમાં એટલો સમય જાય છે કે અભ્યાસક્રમ પૂરો જ ન થાય ને થાય તો તેમાં ભલીવાર ન હોય. આ બધું વિદ્યાર્થીઓ માટે ઓછું, પણ ડેટા મોકલવા થતું હોય એવું વધારે છે. શિક્ષણ થાય તો પરીક્ષણનો અર્થ છે, પરીક્ષણ જ શિક્ષણ ગણાતું હોય તો આ આખો વ્યાયામ મજૂરીથી વધારે કૈં નથી.

ડો. નલિન પંડિતને કસોટીનો વાંધો છે, મૂલ્યાંકનનો નથી. મૂલ્યાંકન પણ 360 ડિગ્રી થવું જોઈએ ને એ નવ સંસ્કરણ પામેલ હેન્ડ, હાર્ટ અને હેડથી સંભવિત છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 3થી 12માં મોટે ઉપાડે એકમ કસોટી દાખલ તો કરી દેવાઈ છે, પણ હવે રાજ્યભરમાંથી એ અંગે વિરોધનો વંટોળ ઊઠયો છે, ત્યારે સરકારની ચૂપકીદી ભેદી બની રહી છે. ગમ્મત તો એ છે કે રાજ્ય એક, સરકાર એક, શિક્ષણ ને શિક્ષણ પદ્ધતિ એક, પણ સરકારી સ્કૂલોમાં એકમ કસોટી ફરજિયાત અને ખાનગી સ્કૂલોને તે મરજિયાત છે. આ બરાબર છે? ઘણી સ્વનિર્ભર સ્કૂલો એકમ કસોટીમાં જોડાઈ જ નથી ને સરકારીનો માસ્તર અઠવાડિયે સાડા આઠ કલાક એકમ કસોટીની મેથી મારવામાંથી જ ઊંચો નથી આવતો ! આમાં વિદ્યાર્થીના સમયની તો વાત જ નથી આવતી. એ ભણે છે ઓછું ને કસોટીમાં ખપે છે વધુ ! 

એકમ કસોટીઓ ચાલુ રાખીને શિક્ષકો અને વિદ્યાર્થીઓનાં સમય અને શક્તિ બગાડવાનું કોઈ કારણ જણાતું નથી, પણ શિક્ષણ વિભાગમાં શિક્ષણ શાસ્ત્રીઓ ઓછા છે ને વહીવટી અમલદારો વધારે છે એટલે ડેટા ભેગા કરવાનું ગૌરવ જ લેવું હોય તો સરકાર એકમ કસોટી ચાલુ રાખશે. એકમ કસોટી નાબૂદ કરવાને બદલે સરકાર તેને કસોટીએ ચડાવવાનો આનંદ લૂંટે એમ બને. એવે વખતે પ્રાર્થના જ કરવાની રહે કે સબકો સંમતિ દે … 

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 24 જાન્યુઆરી 2025

Loading

...102030...492493494495...500510520...

Search by

Opinion

  • AIને માથે ચડાવવા જેવું નથી …
  • અપેક્ષા                                                 
  • જરૂરત અલબત્ત સુરક્ષા દિવસની પણ ઉજવણી જો કે હત્યા દિવસની
  • આઝાદીની પોણી સદી વીતી તો ય આઠ જ દલિત મુખ્યમંત્રી થયા!
  • ફૂટપાથ થોડી જિંદગી બચાવી શકે એમ છે …

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved