Opinion Magazine
Number of visits: 9954491
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હિંદુ ધર્મનું યોગ્ય નામ સનાતન ધર્મ અથવા આર્ય ધર્મ છે!

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|22 January 2025

‘આપણા સર્વેની જેમ હું પણ મારી જાતને ઇતિહાસના ઉષ:કાળ સુધી લંબાતી ભારતના અનાદિ ભૂતકાળની અખંડ સાંકળની એક કડીરૂપ સમજુ છું’

પ્રકાશ ન. શાહ

જાહેર અવસરોએ શાસન તરફથી પ્રબંધન અલબત્ત અપેક્ષિત છે. પણ હમણાં જેને વરસ થયું તે રામ મંદિર નિર્માણ અને હાલ ચાલી રહેલ કુંભ પર્વ એક પ્રકારે સ્ટેટ સ્પોન્સર્ડ રૂપ પ્રગટ કરી રહ્યાં છે એ આપણા ધ્યાન બહાર ન જવું જોઈએ: વડા પ્રધાન વાજપેયીએ 2002માં જે અર્થમાં રાજધર્મની યાદ આપી હતી તે આ તો નથી.

વચ્ચે અહીં સાધ્વી ઋતંભરાની સાથે વાજપેયીનો ઉલ્લેખ ‘આધા કાઁગ્રેસી’ તરીકે (અને એથી પં. અટલ બિહારી નેહરુ તરીકે) કર્યો હતો. થાય છે, ધર્મ અને રાજધર્મ એ બધી ચર્ચા નિમિત્તે જવાહરલાલ વાસ્તવમાં ક્યાં ઊભા હશે?

કનૈયાલાલ મુનશી

આ પ્રશ્નના ઉત્તરની શોધમાં મને અલાહાબાદમાં 1954માં મળેલા કુંભ મેળા સંદર્ભે ક.મા. મુનશીએ કુલપતિના પત્રોમાં ટાંકેલ એક પ્રસંગનું સ્મરણ થઈ આવે છે :

‘… 1954માં અલાહાબાદમાં કુંભ મેળો હતો. મેળાના બે દિવસ અગાઉ પંડિતજી અને હું બધો પ્રબંધ યોગ્ય છે કે નહીં તે જોવા ત્યાં ગયા હતા. અમે સંગમ પર પહોંચ્યા ત્યારે પંડિતજી જીપ અટકાવી નીચે ઊતર્યા. તેમણે અને મેં ગંગાના પવિત્ર જળથી પોતાનું મોં ધોયું. એક ખબરપત્રી અમારી જીપની જોડાજોડ આવતો હતો તેણે એવો અહેવાલ આપ્યો હતો કે પંડિતજીએ સંધ્યા કરી અને જનોઈ ધોઈ હતી. આ અહેવાલ એણે કલ્પનામાંથી ઊભો કર્યો હતો. સત્ય એ હતું કે પંડિતજી ગંગા નદી પ્રત્યે ભાવિક હિન્દુ જેટલાં જ આદર અને ભક્તિ ધરાવતા હતા. માત્ર એમના ‘વૈજ્ઞાનિક દૃષ્ટિબિંદુ’ને કારણે તેઓ આ ભક્તિભાવને બીજું નામ આપતા હતા.’

આ પ્રસંગ સંભાર્યા પછી મુનશી નેહરુના વસિયતનામાને ટાંકે છે :

‘ભારતની જગજૂની સંસ્કૃતિ અને સભ્યતાની પ્રતીક બની રહેલી ગંગા હંમેશાં નવતર રૂપ ધરતી રહી છે અને છતાં ય એ એની એ જ ગંગા છે. ગંગા મારે મન વર્તમાનમાં વહેતા અને ભાવિના મહાસાગરમાં ભળી જતા ભારતના ભૂતકાળના પ્રતીક અને સ્મૃતિ સમી બની રહી છે … આપણા સર્વેની જેમ હું પણ મારી જાતને ઇતિહાસના ઉષ:કાળ સુધી લંબાતી ભારતના અનાદિ ભૂતકાળની અખંડ સાંકળની એક કડીરૂપ સમજુ છું. હું એ સાંકળ છિન્ન-ભિન્ન કરવા ઈચ્છતો નથી, કારણ કે હું એને મૂલ્યવાન લેખું છું અને એમાંથી પ્રેરણા મેળવું છું. મારી આ ઝંખનાના સાક્ષી તરીકે ભારતના સાંસ્કૃતિક વારસાને મારી અંતિમ અંજલિ તરીકે હું આ વિનંતી કરું છું કે મારા મૃતદેહના થોડા અવશેષો અલાહાબાદ પાસે વહેતા આ ગંગાના પ્રવાહમાં પધરાવજો – આ મહાનદી તેને ભારતના કિનારાઓને પખાળતા મહાસાગરમાં લઈ જશે.’

આ અવતરણ આપ્યા પછી મુનશી સટીક પૂછે છે : ‘જો આને ધર્મભાવના ન કહેવાય તો પછી કોને કહેવાય?’

1967ની આઠમી જાન્યુઆરીએ લખાયેલ ‘કુલપતિનો પત્ર’માંથી આ એક અંશ ટાંકી હું એના અનુસંધાનમાં 1967ની પહેલી ઓક્ટોબરના એમના પત્રમાંથી ટાંકવા માગું છું.

કોઈકે મુનશીને ‘વેદ, હિંદુઓ અને હિંદુ ધર્મ’ વિશે મોકલેલી પ્રશ્નાવલિ માંહેલો એક પ્રશ્ન આ છે :

‘એ (હિંદુ ધર્મ) રાષ્ટ્રીય છે કે સાર્વત્રિક ધર્મ છે?’

મુનશી એ સજ્જનને લખે છે :

‘હિંદુ ધર્મ એ સાર્વત્રિક ધર્મ છે, એનું યોગ્ય નામ સનાતન ધર્મ અથવા આર્ય ધર્મ છે. બૌદ્ધ ધર્મ પણ સનાતન ધર્મમાંથી જ ઉદય પામ્યો છે.’

આ ઉત્તરમાંથી જે બે વાનાં ફલિત થાય છે એ નોંધ્યાં તમે? એક તો, સનાતન ને બિનસનાતન એવો જે વિવાદ યોગી આદિત્યનાથ વગેરે છેડી રહ્યા છે એનો અહીં છેદ ઊડી જાય છે. બીજું, હિંદુ ધર્મ ‘સાર્વત્રિક’ છે, નહીં કે ‘રાષ્ટ્રીય’ – આ ભૂમિકા સાથે રાષ્ટ્રને હિંદુ ઓળખમાં બદ્ધ કરવાપણું રહેતું નથી. એમાં હિંદુ અંશ બલકે સત્ત્વ અવશ્ય છે, પણ તે એમાં અને એથી સીમિત નથી.

જવાહરલાલ નેહરુ

વારુ, નેહરુને અભિમત શું હતું તે તરફ વળીએ જરી? 1948ના જાન્યુઆરી મહિનામાં એ અલીગઢ ગયા છે, ચહીને ગયા છે, દીક્ષાન્ત અભિભાષણ વાસ્તે. જે સમયગાળામાં એ ગયા છે તે પણ અક્ષરશ: ઐતિહાસિક એવાં મનોવૈજ્ઞાનિક પરિમાણોનો ગાળો છે. 17મી જાન્યુઆરીએ ગાંધીજીએ એમના અંતિમ અનશન પૂરા કર્યા અને 30મી જાન્યુઆરીએ ‘ગાંધીવધ’ થાય છે : એના વચગાળામાં નેહરુ અલીગઢ યુનિવર્સિટી પહોંચ્યા છે.

એમના સંબોધનના પૂર્વાર્ધનો આ અંશ સાંભળો :

‘હું અલીગઢ યુનિવર્સિટીમાં લાંબા સમય પછી આવ્યો છું … આપણે એવા દોરમાંથી પસાર થઈ રહ્યા છીએ કે તમે બલકે આપણામાંથી મોટાભાગના ક્યાં ઊભા છીએ તે હું ચોક્કસ જાણતો નથી. ગમે તેમ પણ, આપણે ભાવિને સંવારવાનું છે અને વર્તમાનનો મુકાબલો પણ કરવાનો છે. શ્રદ્ધાના મજબૂત લંગર વગર આપણે અમથા જ ઢસડાયા કરીશું … આપણો ઉદ્દેશ્ય ઉચ્ચ આદર્શ અને ઉદાત્ત પુરુષાર્થને વરેલા મુક્ત ભારતના નિર્માણનો છે. એક એવું ભારત જેમાં વિચાર અને સંસ્કૃતિના નાનાવિધ પ્રવાહો મળીને પ્રગતિ ને આગેકૂચ શક્ય બનાવે. હું ભારત માટે ગૌરવ અનુભવું છું તે એના પ્રાચીન ભવ્ય વારસા માટે જ નહીં, પણ દિલોદિમાગનાં બારીબારણાં ખુલ્લાં રાખીને સુદૂરનાં તાજગીભર્યાં વહેણ ને વાયરા આત્મસાત કરવાની ક્ષમતા બદલ. હમણાં મેં કહ્યું કે ભારતને બૌદ્ધિક ને સાંસ્કૃતિક ક્ષેત્રે આગળ આણનાર વારસા ને પૂર્વજો વિશે મને ગૌરવ છે. તમે આ ભૂતકાળને કઈ રીતે જુઓ છો? તમને પણ લાગે છે ને કે તે જેટલો મારો તેટલો જ તમારોયે છે? તમે મુસ્લિમ છો, ને હું હિંદુ – પણ તેથી જે મારો એટલો જ તમારો પણ વારસો છે તે કંઈ હતો ન હતો થઈ જતો નથી.’

સ્ટેટ સ્પોન્સર્ડ શોર વચાળે આ એક સાંસ્કૃતિક પિછવાઈ, જરી હટકે.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 22 જાન્યુઆરી 2025

Loading

પૂરી કરીશ બાકીની સફર

અનુવાદ : નંદિતા મુનિ|Poetry|21 January 2025

આજે પ્રિય કવિ Jyoti Deshmukhના એક કાવ્યનો ભાવાનુવાદ.

***

સહેલું નહોતું મારા માટે જરા ય

તને અલવિદા કહેવાનું 

ખરેખર તો મેં ક્યારે ય નથી કહ્યું અલવિદા તને.

દોડ્યા જ કર્યું તારા પડછાયાઓ પાછળ મેં 

તને પકડી પાડવા, તને રોકવા

અને જ્યારે જ્યારે લંબાવ્યો હાથ

ત્યારે મારો જ હાથ

મોં પર મને તમાચો બનીને વાગ્યો

તું ‘આવજો’નો હાથ હલાવતો

મારા હાથ વેરાઈ જતા,

દૂર પહોંચી જતા

રસ્તાના છેડે ઊભા રહી 

મારી સામે જોતા પાછું વળીને

હું સંમોહિત જાણે

દોડીને પહોંચતી તારા લગી

ને મારા પ્રેમ પરના એકાધિકારથી આશ્વસ્ત તું 

મને છોડીને પછી 

શામેલ થઈ જતો

દુનિયાની દોડધામમાં 

ને હું 

ખોટા નંબરનાં ચશ્માં જેવો

તારો પ્રેમ પહેરી રાખી

લથડતી

ઠેસ ખાતી

ચાલ્યા કરતી 

તારી પાછળ પાછળ 

મારી પાસે યાદોનો પટારો છે

તારી પાસેથી એક પોટલી તો ખરી

તારે દોડવું’તું બહુ તેજ, બહુ આગળ 

તો ક્યારેક ક્યારેક 

ભાર લાગ્યો હોય એવી યાદોને

તેં ભૂંસી નાખી

મારી ધીરજનો ઘડો

ભરાઈ ગયો છે હવે

એના વજનથી 

બેવડ વળી ગઈ છે મારી કાયા

યાદોના પટારાને ઊધઈ ચડી છે

કોતરાયેલા લાકડાની રજૂ

ખરીખરીને ભરાઈ ગઈ છે મારા નાકમાં 

ને શ્વાસ રૂંધાય છે મારો

હવે અહીં આટલે જ પડતો મૂકીશ 

આ પટારાને 

નહીં વેંઢારું એનો બોજો

પૂરી કરીશ બાકીની સફર

હાથ હલાવતા 

રસ્તાની બન્ને બાજુ ખીલેલાં ફૂલને

નિહાળતા નિહાળતા.

સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ધર્મનિરપેક્ષતા વિદેશી ખ્યાલ છે ?

અશ્વિનકુમાર ન. કારીઆ|Opinion - Opinion|21 January 2025

અશ્વિનકુમાર કારિયા

કેટલાક લોકો એમ માને છે કે ભારતના બંધારણના આમુખમાં ૪૨મા સુધારાથી ઉમેરાયેલ ‘ધર્મ નિરપેક્ષતા’ શબ્દ બાદ જ ભારત ધર્મનિરપેક્ષ (Secular) બનેલ છે. આ માન્યતા નિરાધાર છે. પરંતુ તેના પહેલાં ધર્મ-નિરપેક્ષતાનો ઇતિહાસ જાણીએ.

તામિલનાડુના રાજ્યપાલે એવું નિવેદન કરેલ હોવાનું કહેવાય છે કે ધર્મનિરપેક્ષતાનો ખ્યાલ વિદેશી છે અને તે બહારથી આયાત કરેલ હોવાથી ભારત માટે નકામો છે. તેમની એ વાત સાચી છે કે આ ખ્યાલ વિદેશી છે. પરંતુ માત્ર વિદેશી ખ્યાલ હોવાના કારણથી તે નકામો બનતો હોવાની વાત તર્કસંગત નથી. એમ તો આપણે અનેક વિદેશી વસ્તુઓ રોજ વાપરતા હોઈએ છીએ અને તે આજે પણ ઘણી ઉપયોગી છે. જેમ કે, વીજળીની શોધ, શીતળાની રસીની શોધ, અને યંત્રોની શોધ વિદેશોમાં થયેલી છે. પરંતુ આ બધી ચીજો માત્ર વિદેશી હોવાથી આપણે તેને નકામી ગણતા નથી. બંધારણસભામાં રાષ્ટ્રને ધર્મનિરપેક્ષ રાખવા બાબતે વિશદ્દ ચર્ચાઓ થઈ હતી અને ત્યારબાદ જ ભારત ધર્મનિરપેક્ષ રાજ્ય ગણાયું છે. આપણી સંસદીય રાજ્ય પ્રકૃતિ તેમ જ ન્યાય- વ્યવસ્થા પણ વિદેશી છે.

ધર્મનિરપેક્ષતા શબ્દનો સૌ પ્રથમ ઉપયોગ જેકોબ હોલિયોકે ૧૮૫૧માં કરેલ હતો. તે પૂર્વે ૧૪મી સદીમાં રેનેસા(પુનર્જાગરણ)નો આવિર્ભાવ થયો. આ પ્રક્રિયા ઘણી લાંબી ચાલી. ધર્મસુધારણા, પ્રબોધન યુગ (Age of enlightnment) તેમ જ વિજ્ઞાનનો વિકાસ થવા પામ્યો. ૧૪મીથી ૧૯મી સદી સુધી પાંચસો વર્ષના ગાળામાં પશ્ચિમની દુનિયાને નવા રંગો લાધ્યા. ધર્મની પકડમાંથી મુક્ત થવાની કોશિશ સફળ રહી. ૧૪મી સદીના યુગને અંધકાર યુગ તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે તે સમયે ચર્ચનું રાજ્ય હતું અને ખ્રિસ્તી ધર્મનું લોકો પર જબરદસ્ત પ્રભુત્વ હતું. આ અંધકાર ધીરે ધીરે દૂર થવા લાગ્યો.

કોપરનિકસ નામના વિજ્ઞાનીએ પ્રથમ વાર જાહેર કર્યું કે સૂર્ય પૃથ્વી આસપાસ ફરતો હોવાની બાઇબલની વાત સાચી નથી. ખ્રિસ્તી ધર્મગુરુઓને કોપરનિકસની આ શોધથી આંચકો લાગ્યો. તેમણે કોપરનિકસની પ્રતાડના કરી. કોપરનિકસે વ્યવહારુ બની માફી માગી લીધી. ૧૭મી સદીમાં ન્યૂટને ગુરુત્વાકર્ષણ નિયમની શોધ કરી. ખ્રિસ્તી ધર્માચાર્યોએ ફરી આંચકો અનુભવ્યો. આ જ ગાળામાં ગેલેલિયોએ ટેલિસ્કોપની શોધ કરી અને જાહેર કર્યું કે સૂર્ય પૃથ્વીની આસપાસ ચક્કર લગાવતો હોવાની બાઇબલની વાત અસત્ય છે. ૧૬મી સદીમાં ઈટાલીના મેકોઈવલી અને ૧૭મી સદીમાં જ્હોન લૉકેએ ઈશ્વરી કાનૂનના બદલે રાજ્ય રચિત કાનૂનની જરૂરિયાત પર ભાર મૂક્યો.

૧૮મી સદીમાં ડેવિડ હ્યુમ તથા કાન્ટ નામના દાર્શનિકોએ સંશયવાદનો ખ્યાલ વિકસાવ્યો. તેમના મત મુજબ વૈજ્ઞાનિક પુરાવા વગર કોઈ મતનો સ્વીકાર થવો જોઈએ નહીં. ૧૯મી સદીમાં ચાર્લ્સ ડાર્વિનના ઉત્ક્રાંતિવાદના સિદ્ધાંતથી હડકંપ મચી ગયો. ડાર્વિને જાહેર કર્યું કે વિશ્વની રચનામાં ઈશ્વરનો કોઈ હાથ નથી. ૧૯મી સદીમાં ઓગસ્ટે માનવવાદ(humanism)નો ખ્યાલ રજૂ કર્યો. કાર્લ માર્કસે ધર્મનો સખત વિરોધ કરી ધર્મને અફીણ સાથે સરખાવ્યું.

ધર્મનિરપેક્ષતાનો ખ્યાલ

૧. રાજ્યે ધર્મની બાબતમાં તટસ્થ રહેવું જોઈએ

રાજ્યે ધર્મ તરફ ઉપેક્ષા કે ઉદાસીનતા દાખવવી જોઈએ. એટલે કે રાજ્યે ધર્મની બાબતમાં તટસ્થ રહેવું જોઈએ. ધર્મ દરેક વ્યક્તિનો અંગત મામલો છે. રાજ્યે ધર્મની બાબતમાં કોઈ દખલ કરવી જોઈએ નહીં. તે જ રીતે, રાજ્ય શાસનમાં ધર્મની કોઈ દખલગીરી હોવી જોઈએ નહીં. રાજ્ય અને ધર્મ વચ્ચે સ્પષ્ટ વિભાજન હોવું જોઈએ. ફ્રાંસે છેક ૧૯૦૫માં રાજ્ય અને ધર્મ વચ્ચે ભેદરેખા દોરતો કાનૂન ઘડેલ છે. ૨૦૦૫માં તેને ૧૦૦ વર્ષ પૂરાં થયાના નિમિત્તે મોટાપાયે ઉજવણી કરી હતી. ભારતના બંધારણ અનુચ્છેદ ૨૫મા દરેક વ્યક્તિને ધર્મ સ્વાતંત્ર્ય અધિકાર પ્રદાન કરાયેલ છે. ૧૯૭૬માં ૪૨મા બંધારણીય સુધારાથી આમુખમાં ‘ધર્મનિરપેક્ષતા’ શબ્દ દાખલ કરાયા પૂર્વે શરૂઆતથી જ આ અધિકાર દરેક વ્યક્તિને અપાયેલ છે. ધર્મનિરપેક્ષ રાજ્યમાં રાજ્યને પોતાનો કોઈ ધર્મ હોતો નથી.

૨. ઈહલોકમાં વિશ્વાસ

Secularism શબ્દનો અર્થ થાય છે “લૌકિક અથવા દુન્યવી વ્યવહારો.” (worldly affairs). ધર્મ સામાન્ય રીતે મૃત્યુ પછીના સમયમાં આત્માના કલ્યાણની વાત કરે છે. ધર્મ વર્તમાન જગતને મોહમાયા કહે છે અને તેનો ત્યાગ કરવાનો ઉપદેશ આપે છે. ટૂંકમાં, ધર્મ વર્તમાન જગતની નહીં. પરંતુ પરલોકની વાત કરે છે. રાજ્ય ઈહલોક(વર્તમાન જગત)માં વસતા માનવોનાં સુખ, કલ્યાણ અને પ્રગતિની ચિંતા કરે છે. રાજ્યને પરલોકમાં વિશ્વાસ નથી કે તેની ચિંતા નથી. રાજ્ય ઈહલોક સુધારવા પ્રતિબદ્ધ હોય છે.

૩. વિજ્ઞાનમાં વિશ્વાસ

ધર્મનિરપેક્ષ રાજ્યને દૈવી ચમત્કારોમાં નહીં, પરંતુ વિજ્ઞાનમાં વિશ્વાસ હોય છે. ૧૪મી સદી સુધી પશ્ચિમ દેશોના નાગરિકો દૈવી ચમત્કારોમાં વિશ્વાસ ધરાવતા હતા. પરંતુ રેનેસા, ધર્મ સુધારણા, પ્રબોધન યુગ તેમ જ વિજ્ઞાનના વિકાસ સાથે રાજ્યને હવે દૈવી ચમત્કારોમાં વિશ્વાસ રહ્યો નથી. માનવપ્રગતિ અર્થે રાજ્યને વિજ્ઞાનમાં વિશ્વાસ છે. ધર્મનિરપેક્ષ રાજ્ય માને છે કે પ્રજાના વહીવટી, આરોગ્ય, પર્યાવરણ કે પરિવહનની સમસ્યાઓ વિજ્ઞાનની મદદથી જ ઉકેલી શકાય. ચોમાસામાં ઉત્તરાંચલ કે હિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલન કે અતિશય ઠંડીમાં બરફનાં કારણે રસ્તામાં અવરોધો સર્જાય છે. આવા સમયે બે હાથ જોડી પ્રાર્થના કરી બેસી રહેવાથી કાંઈ વળતું નથી. મહાકાય યંત્રો(વિજ્ઞાન)ની મદદથી જ રસ્તા પરના અવરોધો હટાવી શકાય છે. જંગલમાં દવ લાગે છે ત્યારે હેલિકોપ્ટરની મદદથી પાણીના છંટકાવથી આગ બુઝાવી શકાય છે. એડવર્ડ જેનરે રસીની કરેલ શોધથી શીતળાનો રોગ દુનિયાભરમાંથી નાબૂદ કરી શકાયો છે.

૪. ધર્મનિરપેક્ષ નીતિમત્તા

ધર્મનિષ્ઠ કે ધર્મનું આચરણ કરનાર વ્યક્તિ સદ્ગુણી, પરોપકારી કે સંસ્કારી હોવાની વ્યાપક માન્યતા સમાજમાં પ્રવર્તે છે. પોતાનાં બાળકોને સદ્ગુણી બનાવવાના હેતુથી કેટલાંક માતા-પિતા શિક્ષણ અર્થે તેમને ધાર્મિક સ્થાનોમાં મોકલે છે. જ્યારે સામા પક્ષે ધર્મનું પાલન ન કરનાર (નાસ્તિક) વ્યક્તિ અસંસ્કારી, લાગણીશૂન્ય, અવિવેકી અને અનૈતિક ગણાય છે. વાસ્તવમાં આ બેમાંથી એક પણ માન્યતા આધારભૂત નથી. કારણ કે સાધુઓ, આશારામ અને રામ-રહીમનાં કુકર્મો સૌની નજર સામે છે. ધાર્મિક વ્યક્તિ સંસ્કારી અથવા અસંસ્કારી હોઈ શકે તે જ રીતે નાસ્તિક વ્યક્તિ સદ્ગુણી અથવા અનૈતિક હોઈ શકે.

ભારતમાં જવાહરલાલ, એમ.એન.મરોય, પેરીઆર, જસ્ટીસ તારકુંડે, શ્યામ માનવ, ડૉ. નરેન્દ્ર દાભોલકર નિરીશ્વરવાદી હોવા છતાં ઉચ્ચ દાર્શનિકો તરીકે ખ્યાતિ ધરાવે છે. તેમાંના કેટલાકે જેલવાસ ભોગવ્યો છે. પરંતુ તે કોઈ અવગુણતાના કારણે નહીં, પરંતુ સ્વાતંત્ર્ય-સંગ્રામમાં ભાગ લેવા બદલ જેલમાં ગયા હતા.

સૌજન્ય : “ભૂમિપુત્ર”; 01 જાન્યુઆરી 2025; પૃ. 18 તેમ જ 19

Loading

...102030...494495496497...500510520...

Search by

Opinion

  • AIને માથે ચડાવવા જેવું નથી …
  • અપેક્ષા                                                 
  • જરૂરત અલબત્ત સુરક્ષા દિવસની પણ ઉજવણી જો કે હત્યા દિવસની
  • આઝાદીની પોણી સદી વીતી તો ય આઠ જ દલિત મુખ્યમંત્રી થયા!
  • ફૂટપાથ થોડી જિંદગી બચાવી શકે એમ છે …

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved