Opinion Magazine
Number of visits: 9552635
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નાગરિકોનો મતાધિકાર ઝૂંટવી લેવાનું કાવતરું એટલે SIR? 

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|6 November 2025

હેમંતકુમાર શાહ

PUCL દ્વારા અમદાવાદમાં ગઈ કાલે SIR વિશે યોજાયેલી એક સભામાં આપેલા ટૂંકા પ્રવચનના મુખ્ય મુદ્દા :

(૧) ગુજરાત સહિતનાં ૧૨ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીનો વિશેષ સઘન સુધાર (SIR) કાર્યક્રમ ચોથી નવેમ્બરથી ત્યારે શરૂ થયો છે કે જ્યારે બિહારમાં SIRની જે પ્રક્રિયા થઈ છે તેની કાયદેસરતા અને બંધારણીયતા વિશે સર્વોચ્ચ અદાલતમાં અરજી થઈ છે. અદાલતનો ચુકાદો આવવાનો બાકી છે ત્યારે શા માટે ૧૨ જગ્યાએ એ જ પ્રક્રિયા થઈ રહી છે? ચૂંટણી પંચને આટલી ઉતાવળ કેમ છે? 

(૨) મતદાર યાદીમાં પોતાનાં નામ ચકાસવા માટે ચૂંટણી પંચ દ્વારા વેબસાઇટ આપવામાં આવી છે. ગુજરાતમાં કેટલા લોકો કોઈ પણ વેબસાઇટ જોતા હશે? એ જ રીતે, ટોલ ફ્રી ફોન નંબર પણ આપવામાં આવ્યો છે. પણ એ વારંવાર એન્ગેજ્ડ આવે અથવા કોઈ ફોન ઉપાડે જ નહીં તો શું?  

(૩) મૂળભૂત સવાલ તો મતાધિકારનો છે. બિહારમાં ૬૫ લાખ લોકોનાં નામ મતદાર યાદીમાંથી બાકાત કરી નાખવામાં આવ્યાં છે. કેમ રદ્દ કરવામાં આવ્યાં તેનું કોઈ કારણ તેમને આપવામાં આવ્યું જ નથી. આમ, કોઈ મતવિસ્તાર નહીં, કોઈ એક બેઠક નહીં પણ આખું રાજ્ય કબજે કરવાનો ભા.જ.પ.નો કારસો છે, કાવતરું છે અને તે ચૂંટણી પંચની મિલીભગતથી અમલમાં મૂકાઈ રહ્યું છે.

(૪) લોકશાહીનો ખાતમો બોલાવવાની જે પ્રક્રિયા ગુજરાતમાં ૨૫ વર્ષથી અને દેશમાં ૧૧ વર્ષથી ચાલી રહી છે, SIR તેનો જ ભાગ છે. લોકશાહીમાં લોકો મતાધિકાર ધરાવે છે અને પોતાના શાસકને ચૂંટે છે. હવે એ અધિકાર ઝૂંટવી લેવામાં આવી રહ્યો છે એમ લાગે છે. બહુમતી મત પોતાને જ મળે અને પોતાની જ સરકારો રચાય એવી ભા.જ.પ.ની લુચ્ચી ચાલમાં ચૂંટણી પંચ SIR દ્વારા સાગરીત બની રહ્યું છે. 

(૫) ચૂંટણી પંચનું કામ તો મતદાર યાદી તૈયાર કરવાનું છે. એને બદલે એ કોઈ વ્યક્તિ ભારતની નાગરિક છે કે નહીં તે ચકાસી રહ્યું છે. એ તેનું કામ છે જ નહીં. 

(૬) ગુજરાતમાં માત્ર ત્રણ મહિના અને ચાર દિવસમાં મતદાર યાદીઓ સુધારવાની આ આખી પ્રક્રિયા પૂરી કરી દેવામાં આવશે! કેટલી બધી ઉતાવળ છે આમાં! આ ઝડપ આશ્ચર્યજનક છે કારણ કે અગાઉ જ્યારે પણ આ પ્રક્રિયા હાથ ધરાઈ છે ત્યારે તે ઓછામાં ઓછી છ મહિના ચાલી હતી. ખાસ કરીને નાગરિકો માટે પુરાવા ભેગા કરવાનું કામ આસાન હોતું નથી. 

(૭) ઝડપ થાય તો ખાસ કરીને સ્થળાંતરિત મજૂરો અને અન્ય બીજા ઘણા નાગરિકો મતદાર યાદીમાંથી બાકાત થઈ જાય એવી સંભાવના રહે જ છે. દેશમાં આશરે ૧૫ કરોડ સ્થળાંતરિત મજૂરો છે. 

(૮) ૧૯૪૮ની માનવ અધિકારોની સાર્વત્રિક ઘોષણાની કલમ-૨૧ કહે છે કે, “દરેક વ્યક્તિને સીધી રીતે અથવા તો મુક્ત રીતે પસંદ કરાયેલા પ્રતિનિધિઓ દ્વારા પોતાના દેશની સરકારમાં ભાગીદાર થવાનો અધિકાર છે.” SIR દ્વારા મતાધિકારથી વ્યક્તિને વંચિત રાખવામાં આવે તો તે તેનો પાયાનો આ અધિકાર ખોઈ બેસે છે. 

(૯) ભારતના બંધારણમાં કલમ-૧૯(એ)માં નાગરિકનો અભિવ્યક્તિની આઝાદીનો અધિકાર લખવામાં આવ્યો છે. મતાધિકારનો ઉપયોગ કરીને નાગરિકો શાસકો પ્રત્યે અને રાજવહીવટની વ્યવસ્થા પ્રત્યે પોતાનો મત અભિવ્યક્ત કરે છે. હવે જો મતાધિકારથી જ નાગરિક વંચિત રહી જાય તો નાગરિકની અભિવ્યક્તિની સ્વતંત્રતાનો જ લોપ થઈ જાય છે.

(૧૦) અત્યારે ૨૦૦૩ની મતદાર યાદીને આધાર ગણવામાં આવી રહી છે. તેમાં જેનું નામ નહીં હોય તેણે પુરાવા આપવા પડશે. આ પુરાવામાં આધાર કાર્ડને ઓળખનો પુરાવો ગણવામાં આવશે, નાગરિકતાનો નહીં. આધાર કાર્ડ કઢાવવા માટે જે પુરાવા આપવા પડે છે તે પુરાવા હવે ચૂંટણી પંચ માગે છે! જો પુરાવો ન અપાય તો તેનું નામ મતદાર યાદીમાંથી રદ્દ થઈ જાય! હવે એ વ્યક્તિએ આ ૨૨ વર્ષના ગાળા દરમ્યાન પંચાયતો કે પાલિકાઓ, વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓમાં મત આપ્યો હોય અને સરકારો રચવામાં ફાળો આપ્યો હોય તો તેનો અર્થ શું?  

(૧૧) રેશન કાર્ડને પણ ચૂંટણી પંચ પુરાવા તરીકે ગણવા તૈયાર નથી એ એક આશ્ચર્ય છે. એમ કરીને પંચ સામાન્ય માણસોને હેરાન કરી રહ્યું છે. 

૦૬-૧૧-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

લોકોએ જે કરવું હતું એ જ કર્યું !

રમેશ સવાણી|Opinion - Opinion|6 November 2025

એક આફ્રિકન બોધકથા છે. એમાં એક કાગડો રાજાનો ભાઈબંધ છે. એક દિવસ એ કાગડો રાજાને કહે છે : બધા લોકો કોયલનાં વખાણ કરે છે પણ મારાં વખાણ તો કરતા જ નથી. તમે એવું કંઈક કરો જેથી લોકો મારાં વખાણ કરે. બીજા જ દિવસે રાજાએ એક વટહુકમ બહાર પાડ્યો : હવે પછી આપણે બધાંએ કાગડાને ‘કોયલ’ કહેવો અને કોયલને ‘કાગડો’. 

લોકો એ વટહુકમનો આદર કરવા લાગ્યા બધા કાગડાને કોયલ કહેવા લાગ્યા. પણ જ્યારે સ્વરનાં વખાણ કરવાનાં આવે ત્યારે બધા ‘ભૂતપૂર્વ કોયલ’ એટલે કે ‘સમકાલીન કાગડા’નાં જ વખાણ કરે. 

પાછો કાગડો રાજા પાસે ગયો. કહે : મહારાજ, એક વટહુકમ બહાર પાડીને મારો કંઠ બદલી નાખો. તો મહારાજ કહે : મિત્ર, રાજા તરીકે મારી પણ કેટલીક મર્યાદાઓ હોય છે. હું નામ બદલી શકું; કંઠ નહીં. 

આ બોધકથા મેં અનેક મિત્રોને, વિદ્યાર્થીઓને, (જાહેરમાં) અનેક શ્રોતાઓને પણ કહી છે. અને બધાંને પૂછ્યું છે કે આ બોધકથામાંથી તમે શો બોધ તારવશો? લગભગ બધાંએ એમ કહ્યું કે રાજા પ્રકૃતિને ન બદલી શકે. અર્થાત્ સત્તા પ્રકૃતિ ન બદલી શકે. જો કે, નરેન્દ્રભાઈ તો અદાણી અંબાણી માટે પ્રકૃતિ પણ બદલી નાખે. કંઈ કહેવાય નહીં. 

દરેક બોધકથામાં હોય છે એમ આ બોધકથામાં પણ એક trap છે. એથી હું બોધકથા વિશે જરા જુદી રીતે વિચારું છું. મને લાગે છે કે આ બોધકથામાં પ્રજા રાજા કહે એમ કરે છે પણ એમ કરીને એ મૂળ સત્ય બદલતી નથી. એ કાગડાને ‘કોયલ’ કહે છે. જેવો મહારાજાનો હુકમ. પણ જ્યારે કંઠનાં વખાણ કરવાનાં આવે ત્યારે કોયલના કંઠનાં જ વખાણ કરે. એ કોયલના સત્યનો આદર કરે છે.

ઝોહરાન મમદાની

એ (મૂળ ગુજરાતી, ઉંમર 34) રોટી, કપડાં અને મકાનની વાત કરી વિશ્વના સૌથી વધુ સમૃદ્ધ ન્યૂયોર્ક શહેરના મેયરની ચૂંટણી જીતી છે. ભારત કા મીડિયા ‘રોટી, કપડાં, મકાન અને રોજગારની વાત કરનારને દેશદ્રોહી ઘોષિત કરે છે ! ટ્રમ્પે ધમકી આપેલી કે જો મમદાનીને ચૂંટશો તો ન્યૂયોર્ક શહેરને ફંડ આપતાં પહેલાં મારે વિચાર કરવો પડશે. ન્યૂયોર્કની કેટલીક કંપનીઓના CEOએ કહ્યું કે જો મામદાનીને ચૂંટશો તો અમે ન્યૂયોર્ક છૌડીને બીજે ક્યાંક જતા રહીશું. ટેક્સાસના ગર્વનરે કહ્યું કે જો ન્યૂયોર્કની કંપનીઓ મારા ત્યાં આવશે તો હું એમના પર 100% tariff નાખીશ. સાલું આ tariff પણ ખરું શસ્ત્ર છે. ગ્લોબલાઈઝેશને આપેલું.

તો કેટલાક Republican નેતાઓએ ટ્રમ્પને વિનંતી કરી કે આ માણસ યહૂદીઓનો વિરોધી છે, એને કારણે આપણી વિદેશનીતિ પર અવળી અસર પડશે. એનું નાગરિકત્વ છીનવી લો. કેટલા ય લોકોએ એને ‘સામ્યવાદી’ અને ‘સમાજવાદી’ની ગાળો દીધી. 

ટૂંકમાં, અનેક રાજાઓએ મામદાનીની સામે અનેક વટહુકમો બહાર પાડ્યા અને લોકોએ એ વટહુકમોનો વિરોધ ન કર્યો પણ જ્યારે મત આપવાનો આવ્યો ત્યારે કોયલને અન્યાય ન કર્યો. એ લોકોએ જે કરવું હતું એ જ કર્યું.

મૂડીવાદ અને એમાં પણ ખાસ કરીને નિઓ-મૂડીવાદ સાવ જ નિષ્ફળ ગયો છે. પણ, એ સમૂહમાધ્યમો અને સામાજિક માધ્યમોના ઘાસચારા પર નભી રહ્યો છે. તમે જુઓ કે આ મૂડીવાદનાં વિદ્વાનોએ કેવાં કેવાં નામ આપ્યાં છે : late Capitalist Fascism (Mikkel Bolt Rasmussen), The playstation Dreamworld (Alfie Bown), Cryptocommunism (Mark Alizart), Platform Capitalism (Nick Srnicek), Narcocapitalsim (Laurent de Sutter), Paranoid Finance (Fabian Muniesa), Pornocapitalism  (Byung-Chul Han), Emotional Capitalism (Eva Illouz), Affective Capitalism (Brian Massumi, Patricia Clough), Surveillance Capitalism (Shoshana Zuboff), Info-Capitalism / Cognitive Capitalism (Yann Moulier-Boutang, Franco “Bifo” Berardi), Data Capitalism (Nick Srnicek). હજી આ યાદી હું લંબાવી શકું એમ છું. એ માટે મારે ઊભા થઈને મારા પુસ્તકાલયમાં આવેલા નિઓલિબરલ અર્થતંત્ર પરનાં પુસ્તકો જોવાં પડે. આ બધાં જ નામ મૂડીવાદ દેવના અલગ અલગ ચહેરાને સૂચવે છે. એને કોઈ એક ચહેરો નથી.

મામદાનીનું એક જ જમા પાસું છે : પોતે જે રાજકીય વિચારધારામાં માને છે એને એમણે જરા પણ છુપાવી નથી. એમણે પોતાને સમાજવાદી-ડેમોક્રેટ તરીકે ઓળખાવ્યા છે. ઘણા ડેમોક્રેટોને એ વાત ગમી નથી. કયો રાજકારણી આજના જમાનામાં પોતાને સમાજવાદી કહેવા તૈયાર થશે? 

પણ, ઝિઝેક, બાદિયુ જેવા અનેક ફિલસૂફો કહે છે કે હવે પછી જે રાજકીય પક્ષો સમાજના ગરીબ અને મધ્યમ વર્ગને ઓળખી શકશે એ જ રાજકીય પક્ષો સત્તા પર આવી શકશે. કેમ કે દિનપ્રતિદિન એ વર્ગ સતત વિસ્તરતો જાય છે.

જો કે, મારું માનવું છે કે ભારતમાં એવું નહીં થાય. ભારતમાં ગરીબ માણસ પાસે કર્મનો સિદ્ધાન્ત છે અને એને તાવ આવે છે ત્યારે એ બે કામ કરતો હોય છે. સૌ પહેલાં તો એ તાવની દવા લેતો હોય છે અને પછી કોઈક માતાની કે બાપાની કે પીરની બાધા રાખતો હોય છે. પછી એ સાજો થઈ જાય ત્યારે માતાની કે બાપાની કે પીરની બાધા કરતો હોય છે અને એમ માનતો હોય છે કે એમની કૃપાથી જ એનો તાવ ગયો. નહીં તો એ ઉપર પહોંચી ગયો હોત. એ પેલી દવાને ભૂલી જતો હોય છે.  

[સૌજન્ય : બાબુ સુથાર, ભાષાવિજ્ઞાની, સર્જક, Philadelphia, USA]
05 નવેમ્બર 2025
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

વિશ્વધાનીમાં મેયર મમદાની : ફૂટતું પ્રભાત ને સંકેલાતી રજની

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|6 November 2025

પ્રજાશક્તિ  

ટ્રમ્પશાહી સામે મમદાનશાહી 

ટ્રમ્પ અને પુતિનના આ દિવસોમાં મમદાની ઘટના ડિકન્સની ‘અ ટેલ ઑફ ટુ  સિટીઝ’ના ઉઘાડની યાદ આપે છે કે, તે સારામાં સારો સમય હતો … તે નરસામાં નરસો  સમય હતો.

પ્રકાશ ન. શાહ

અમેરિકી રાજધાની અલબત્ત વોશિંગ્ટન હશે, બલકે છે જ. પણ અવિધિસરની વિશ્વધાનીનો દરજ્જો અલબત્ત ન્યૂયોર્કનો અને ન્યૂયોર્કનો જ છે. જોહરાન મમદાનીને મેયરપદે ચૂંટી કાઢીને ન્યૂયોર્કરોએ વિશ્વને બતાવી આપ્યું છે કે વંશીય અને વર્ણગત દાપાદરમાયા ને દરજ્જાની દુનિયાને ઓળાંડી જઈને એક નવી દુનિયા રચવાની ખ્વાહિશ જિંદા છે. 

સામાજિક ન્યાયનાં મૂલ્યોને વરેલી ફિલ્મકાર મીરાં નાયર જો પંજાબી હિંદુ છે તો એના પતિ મહમૂદ મમદાની ગુજરાતી મુંબઈગરા મૂળના છે. બેઉ લાંબો સમય યુગાન્ડા ને દક્ષિણ આફ્રિકામાં વીતાવી હાલ અમેરિકામાં કાર્યરત છે. મહેમૂદ નવવસાહતી અને વસાહતોત્તર અભ્યાસોમાં રમેલા છે, અને એ રીતે કથિત ત્રીજી દુનિયા ને કથિત પહેલી દુનિયા વચ્ચેની જોડકડી શી એમની અભ્યાસસાધના છે. ભારત સરકારે 2012માં જેમને પદ્મ સન્માનથી અભિષિક્ત કર્યાં તે મીરા નાયર પ્રગતિશીલ માનવતાને ચિત્રિત કરતી ફિલ્મકારી સારુ વિશ્વપ્રતિષ્ઠ છે. 

આ અવસર અલબત્ત મહમૂદ ને મીરાના પુત્ર, માંડ ચોત્રીસેકના જોહરાન મમદાનીનો છે. પણ જોહરાનનાં મૂળને કૂળનો આછોતરો ખયાલ પણ એમના વાસ્તે કે હવે પહેલી જાન્યુઆરીએ વિધિવત હોદ્દો ધારણ કરનાર વ્યક્તિની પૃષ્ઠભૂ કઈ હદે વ્યાપક હોઈ શકે છે. જે કાર્યક્રમ પર જોહરાને ચૂંટણીઝુંબેશ ચલાવી એ કાર્યક્રમની સ્ફોટક ગુંજાશનો અંદાજે હિસાબ તો એ ક્ષણે જ મળી ગયો હતો જ્યારે પ્રમુખ ટ્રમ્પે સરેરાશ ન્યૂયોર્કરને ચેતવ્યો હતો કે ખબરદાર આને ચૂંટ્યો છે તો – ફેડરલ સરકાર (‘હું પોતે’ એ વાંચો) ન્યૂ યોર્કને મળતી સઘળી સહાય બંધ કરી દેશે. મતદારો જો કે બીધા નથી ને પરિણામે અક્ષરશઃ સાબિત કરી આપ્યું છે. 

જોહરાન મમદાની

નાકટીચકું ચડાવીને કોઈકે જેને ‘ઘોર સામ્યવાદી’ તરીકે વર્ણવવા જેવી ચેષ્ટા કરી તે કાર્યક્રમ વસ્તુતઃ ડેમોક્રેટિક સોશલિસ્ટ ધારાનો કાર્યક્રમ છે અને અમેરિકાના ધરાર મૂડીવાદી મનાતા માહોલ વચ્ચે નવેક દાયકા પર ‘ગ્રેટ ડિપ્રેશન’ના વારામાં રુઝવેલ્ટે તે ધોરણે કામ કરી સરેરાશ અમેરિકી નાગરિકને હૂંફ ને સધિયારો આપ્યાં હતાં. એ જ ‘ન્યૂ ડીલ’ની એક ઝલક તમે જોહરાન મમદાનીના કાર્યક્રમમાં પણ જોશો. આ કાર્યક્રમ અમેરિકા ઢબછબે પરનો છે. સરખી જિંદગી બસર કરવા સારુ જે પાયાની જોગવાઈ જોઈએ તે સરેરાશ નાગરિક જોગવી શકે એ માટેની જદ્દોજહદ જ કહો ને. સિટી બસમાં વિનાટિકિટ મુસાફરી, કરિયાણું ને એવી જીવનજરૂરિયાતની ચીજવસ્તુ શહેરી માલિકીની દુકાનમાંથી વાજબી ભાવે મળી રહે, બાળઉછેર સારુ પાયાની સુવિધા – આમાં એવું તો શું કમ્યુનિસ્ટ છે? જિંદગી બસર કરવા સારુ સર્વસાધારણ સોઈની સ્તો વાત આ છે. 

પણ આ ચર્ચાને મારે ‘એફોર્ડેબિલિટી પ્લેટફોર્મ’માં બાંધી દેવી જોઈએ નહીં. વસ્તુતઃ ‘નેશન ફર્સ્ટ’ જેવા નારાઓમાં જે વંશગત ને વર્ણગત જેહાદી માનસ પનાહ લઈ રહ્યું છે એ માનસની સામે જે સ્પિરિટથી માર્ટિન લ્યુથર કિંગે ગોરાકાળાના ભેદ વગરના ‘ગ્રેટ અમેરિકન ડ્રીમ’નો નેજો લહેરાવ્યો હતો એવું જ કાંક જોહરાન મમદાનીનુંયે સપનું છે. એ એને સારુ કદાચ ઉછેરગત જ હોવું જોઈએ. સાંભળ્યું છે કે આપણો આ વીરનાયક માધ્યમિક શાળામાં હતો ને મોક ઇલેક્શન લડવાનો પ્રસંગ આવ્યો ત્યારે એમણે યુદ્ધ ન થાય ને એને સારુ ફાળવાયેલ રકમ શિક્ષણ ને આરોગ્ય પાછળ ખરચાય એવી પ્રચાર ભૂમિકા લીધી હતી. આજે ગાઝા પટ્ટીની જે ત્રાસદી છે એની સામેનો આ અવાજ હોઈ શકે છે. જોહરાન મમદાનીની ફતેહના સમાચારો ઊતરતા હતા ત્યારે ટ્રમ્પ-પુતિન એક પા અને આ પરિણામ બીજી પા, એ ખયાલે ડિકન્સ સાંભરતો હતો કે આ ‘વેસ્ટ ઓફ ધ ટાઇમ્સ’ છે, આ ‘વર્સ્ટ ઓફ ધ ટાઇમ્સ’ છે. પણ ત્યાં તો એના વિજય વક્તવ્યમાં જવાહરલાલના શબ્દો ઊતરી આવ્યા કે ઇતિહાસમાં કવચિત આવતી આ ક્ષણ છે જ્યારે કાળ કરવટ લે છે અને રાષ્ટ્રના રૂંધાયેલા આત્મનો અવાજ સંભળાય છે.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 05 નવેમ્બર 2025

Loading

...102030...38394041...506070...

Search by

Opinion

  • વિવેકહીન વ્યક્તિપૂજાનું વહેણ દેશને કઈ દિશામાં લઈ જશે?
  • બચ્ચે મન કે સચ્ચે
  • હગ ડિપ્લોમસી અને આકરી પસંદગી: પુતિનની મુલાકાત અને ભારતની વ્યૂહરચના
  • ભારત નથી અમેરિકાને નારાજ કરી શકતું કે નથી રશિયાને છોડી શકતું
  • ચલ મન મુંબઈ નગરી —318

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved