Opinion Magazine
Number of visits: 9882603
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઇમર્જન્સી વરસી

રમેશ ઓઝા
, રમેશ ઓઝા|Opinion - Opinion|29 June 2016

જવાહરલાલ નેહરુના અવસાન પછી સેક્યુલર મૂલ્યના જતનમાં કૉન્ગ્રેસનું કોઈ યોગદાન નથી અને ભારતમાં આઝાદીનાં મૂલ્યનાં જતનમાં BJPનું કોઈ યોગદાન નથી, દરેક રાષ્ટ્રીય કલંકની ઘટના વેળા મૂલ્યોના પક્ષે ઊભા રહેવામાં રાજકીય પક્ષો નિષ્ફળ નીવડ્યા છે. અદના ભારતવાસીએ ભારતની લાજ રાખી છે, પરંતુ રાજકીય પક્ષોએ નહીં. ઇમર્જન્સી વખતે આઝાદીનાં મૂળભૂત મૂલ્યોમાં માનનારા સામાન્ય માણસે ઇમર્જન્સી સામે લડત આપી હતી. દિલ્હી, અયોધ્યા અને ગુજરાત વખતે મુઠ્ઠીભર સેક્યુલરિસ્ટોએ મોરચો સંભાળ્યો હતો. એ વખતે રાજકીય પક્ષો તો પાણીમાં બેસી ગયા હતા

BJPએ રવિવારે (26 જૂને) ઇમર્જન્સીની ૪૧મી વરસી ઊજવી. અંગ્રેજી ભાષામાં એક ફાયદો છે કે ઍનિવર્સરી શબ્દમાં સારી-નરસી બન્ને ઘટનાઓનો સમાવેશ થાય છે. ઇમર્જન્સી એ કોઈ ઊજવવા જેવી ઘટના નહોતી, પરંતુ શરમાવા જેવી ઘટના હતી એટલે આવી ઘટનાઓ માટે વરસી શબ્દ ઠીક રહેશે. ૪૧ વરસ પહેલાં ૨૬ જૂને ઇન્દિરા ગાંધીએ દેશ પર ઇમર્જન્સી લાદી હતી. હવે તો ઇમર્જન્સી શું હતી એ ૬૦ વરસથી નીચેની વયના લોકોને સમજાવવું પડે એટલી એ જૂની ઘટના છે અને લોકો વીસરવા લાગ્યા છે. BJPને સ્વાભાવિકપણે ઇમર્જન્સી ન વીસરાય એમાં રસ છે, કારણ કે એમાં કૉન્ગ્રેસ ગુનેગાર છે અને BJP ઇમર્જન્સીનો સીધો અને મોટો લાભાર્થી પક્ષ છે.

BJP લાભાર્થી પક્ષ છે એટલે એણે ઇમર્જન્સીને યાદ કરતા રહેવું જોઈએ અને બીજાઓએ હવે એને જૂની ઘટના ગણીને ભૂલી જવી જોઈએ એવું નથી. ડાહ્યા માણસો જીવનમાં મેળવેલી સિદ્ધિઓની માફક જીવનમાં કરેલી ભૂલોને પણ યાદ રાખે છે અને ભૂલો વિશે વધારે બોલે છે. ઇતિહાસ બેધારી તલવાર છે. એનો કોઈની સામે વેર વાળવા માટે પણ ઉપયોગ થઈ શકે છે અને આત્મનિરીક્ષણ કરીને જાતને સુધારવા માટે પણ ઉપયોગ થઈ શકે છે. ડાહ્યો માણસ બીજી રીતે ઇતિહાસનો ઉપયોગ કરે છે. રાષ્ટ્રને પણ આ વાત લાગુ પડે છે. રાષ્ટ્ર એ કોઈ જમીનનો ટુકડો નથી, પરંતુ જીવતો સમાજ છે જે ભૂલો કરી શકે છે અને જો વિવેક જાગ્રત હોય તો એને સુધારી પણ શકે છે. ઇતિહાસ ઊલટાવી શકાતો નથી, પરંતુ ઇતિહાસમાં માનવસમાજે કરેલી ભૂલો બીજી વાર ન થાય એની તકેદારી લઈ શકાય છે.

નાણાપ્રધાન અરુણ જેટલીએ રવિવારે કહ્યું હતું કે ઇમર્જન્સી રાષ્ટ્રીય કલંક છે અને કૉન્ગ્રેસે એના વિશે પક્ષ અંતર્ગત અને બહાર ચર્ચા કરવાની તૈયારી બતાવવી જોઈએ. તેમની વાત સાચી છે. ઇમર્જન્સી એક રાષ્ટ્રીય કલંક છે. ઇન્દિરા ગાંધીએ પોતાની સત્તા બચાવવાના એકમાત્ર ઉદ્દેશથી દેશ પર ઇમર્જન્સી લાદી હતી. ઇન્દિરા ગાંધીએ ચૂંટણીની રીતરસમો પાળવામાં કરેલા ભંગ સામે રાજનારાયણ નામના તેમના પ્રતિસ્પર્ધી ઉમેદવારે અલાહાબાદની હાઈ કોર્ટમાં કેસ કર્યો હતો જેમાં ઇન્દિરા ગાંધી હારી ગયાં હતાં. અદાલતે તેમનું લોકસભાનું સભ્યપદ રદ કર્યું હતું અને બીજાં છ વર્ષ તેઓ ચૂંટણી ન લડી શકે એવી સજા કરી હતી. ચૂંટણીકીય રીતરસમોમાં કરવામાં આવેલા મામૂલી અને એ પણ ટેક્નિકલ ભંગના ગુના માટે આ સજા જરા વધારે પડતી આકરી હતી. ઇન્દિરા ગાંધીની ચૂંટણીસભા માટે બાંધવામાં આવેલા મંચની ઊંચાઈ ઠરાવેલી ઊંચાઈ કરતાં વધારે હતી એ રીતરસમોમાં કરવામાં આવેલા ઉલ્લંઘનનો મહત્ત્વનો મુદ્દો હતો.

ગમેતેમ, ગુનો એ ગુનો હતો અને સજા એ સજા હતી અને પાછી સજા હાઈ ર્કોટે કરી હતી. સજા અપીલમાં ટકી શકે એમ નહોતી એવો દરેક વકીલનો અભિપ્રાય હતો. અપીલ અને ચુકાદાનો માત્ર વચગાળાનો સમય હતો અને એ દરમ્યાન ઇન્દિરા ગાંધીએ રાજીનામું આપવું પડે એમ હતું. ઇન્દિરા ગાંધી રાજીનામું નહોતાં આપવા માગતાં. નવો વડો પ્રધાન પછી ખસે નહીં તો? પક્ષ એ માણસના પક્ષમાં ઊભો રહી જાય તો? સજામાં ઘટાડો ન થાય તો? બહાદુરીનો દેખાડો કરનારા મોટા ભાગના માણસો અંદરથી ડરપોક હોય છે એટલે તેઓ પોતાનો ગરાસ ન લૂંટાઈ જાય એ માટે આક્રમક બની જાય છે. ઇન્દિરા ગાંધી આવાં અસલામતીથી પીડિત બહાદુર મહિલા હતાં. તેમણે પોતાની સત્તા જાળવી રાખવા ઇમર્જન્સી લાદી હતી.

પોતાના અંગત સ્વાર્થ સારુ બંધારણને લકવાગ્રસ્ત કરવું, રાષ્ટ્રના અંતરાત્મા પર કુઠારાઘાત કરવો અને પ્રજાની જીભ સીવી લેવી એ અક્ષમ્ય ગુનો હતો. અરુણ જેટલી કહે છે એમ રાષ્ટ્રીય કલંક હતું. અરુણ જેટલીએ પક્ષ અંતર્ગત અને પક્ષની બહાર કૉન્ગ્રેસે ચર્ચા (નૅશનલ ડિબેટ) કરવી જોઈએ એવું આહ્વાન કર્યું છે. એ વાત ખરી છે કે કૉન્ગ્રેસે એ વિશે ક્યારે ય ચર્ચા નથી કરી. મૂંગા રહેવાનું અને મોં ફેરવી લેવાનું વલણ કૉન્ગ્રેસીઓ ધરાવે છે. એટલું સારું છે કે હવે કૉન્ગ્રેસીઓ ઇમર્જન્સીનો બચાવ નથી કરતા.

અહીં માત્ર અરુણ જેટલીને નહીં, પરંતુ તમામ રાજકીય પક્ષોને અને એમાં પણ ખાસ કરીને કૉન્ગ્રેસને અને BJPને સૂચવવું રહ્યું કે આપણે આઝાદી પછીનાં રાષ્ટ્રીય કલંકોની યાદી બનાવીને રાષ્ટ્રીય સ્તરે આત્મનિરીક્ષણ કરીએ તો કેમ? અમે અને તમેની ભાષામાં બોલવાની અને લલકારવાની શી જરૂર છે, આપણેની ભાષામાં આપણે આત્મનિરીક્ષણ કરીએ તો કેમ? મારી દૃષ્ટિએ આઝાદી પછી પાંચ ઘટનાઓ એવી બની છે જેને રાષ્ટ્રીય કલંક તરીકે ઓળખાવી શકાય. પહેલી ઘટના મહાત્મા ગાંધીની હત્યા. બીજી ઘટના ઇમર્જન્સી. ત્રીજી ઘટના ૧૯૮૪માં ઇન્દિરા ગાંધીની હત્યા પછી દિલ્હી અને અન્યત્ર સિખોનો કરવામાં આવેલો નરસંહાર. ચોથી ઘટના ૧૯૯૨માં બાબરી મસ્જિદનો કરવામાં આવેલો ધ્વંસ અને પાંચમી ઘટના ૨૦૦૨માં ગુજરાતમાં મુસલમાનોનો કરવામાં આવેલો નરસંહાર. આ પાંચેય ઘટનાઓ સભ્ય સમાજ માટે શરમજનક છે અને આપણે, અમે અને તમેની ભાષા છોડીને, રાષ્ટ્રીય સ્તરે આત્મનિરીક્ષણ કરવું જોઈએ. વીસમી સદીના ઉત્તરાર્ધમાં ભલે પાંચ શરમજનક ઘટનાઓ બની હોય, પરંતુ એકવીસમી સદીમાં અને એ પછીના યુગમાં આવી એક પણ ઘટના ન બને એ માટે માણસ બનીને આત્મનિરીક્ષણ કરવું જોઈએ.

રાજકીય પક્ષોના મંચ પર ચર્ચા થવી જોઈએ, બહાર ચર્ચા થવી જોઈએ, રાષ્ટ્રીય સ્તરે ચર્ચા થવી જોઈએ, જરૂરી બંધારણીય સુધારાઓ થવા જોઈએ, ચૂંટણીકીય સુધારાઓ થવા જોઈએ. બોલો છે તૈયારી? તમારે આત્મનિરીક્ષણ કરવું જોઈએ એવી સુફિયાણી સલાહ આપવાનો કોઈ અર્થ નથી.

એક વાત નોંધી રાખજો, આમાંનું કાંઈ થવાનું નથી. એનું કારણ એ છે કે દરેક રાષ્ટ્રીય કલંકની ઘટના વેળા મૂલ્યોના પક્ષે ઊભા રહેવામાં રાજકીય પક્ષો નિષ્ફળ નીવડ્યા છે. અદના ભારતવાસીએ ભારતની લાજ રાખી છે, રાજકીય પક્ષોએ નહીં. ઇમર્જન્સી વખતે રાજકીય પક્ષો પાણીમાં બેસી ગયા હતા. કોઈકે માફી માગી હતી, કોઈકે બીમારીનાં બહાનાં કાઢ્યાં હતાં, કોઈકે છૂપી સોદાબાજી કરી હતી, કોઈકે સખણા રહેવાની બાંયધરી આપી હતી; જ્યૉર્જ ફર્નાન્ડિસ જેવા બહુ ઓછા લોકો હતા જેમણે સામી છાતીએ ઇમર્જન્સીનો મુકાબલો કર્યો હતો. આઝાદીનાં મૂળભૂત મૂલ્યોમાં માનનારા સામાન્ય માણસે ઇમર્જન્સી સામે લડત આપી હતી જેની સંખ્યા ભલે ઓછી હતી, પરંતુ છાતી નેતાઓ કરતાં મજબૂત હતી. આ નોંધાયેલો ઇતિહાસ છે જેની ખાતરી થઈ શકે એમ છે. દિલ્હી, અયોધ્યા અને ગુજરાત વખતે મુઠ્ઠીભર સેક્યુલરિસ્ટોએ મોરચો સંભાળ્યો હતો. રાજકીય પક્ષો તો પાણીમાં બેસી ગયા હતા. ભારતમાં આઝાદીના મૂલ્યના જતનમાં BJPનું કોઈ યોગદાન નથી અને જવાહરલાલ નેહરુના અવસાન પછી ભારતમાં સેક્યુલર મૂલ્યના જતનમાં કૉન્ગ્રેસનું કોઈ યોગદાન નથી.

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 27 જૂન 2016

http://www.gujaratimidday.com/features/columns/emergency-in-india-2

Loading

તું મારી આદત બની ગઈ છે ….

પ્રશાન્ત દયાળ|Opinion - Opinion|28 June 2016

હું ઘરની ડોરબેલ વગાડું અને મારી પત્ની શિવાની દરવાજો ખોલી, તરત ઊંધી ફરી ચાલવા લાગે એટલે, મારે સમજી જવાનું કે ઘરનું તાપમાન અમદાવાદનાં તાપમાન કરતાં પાંચ ડિગ્રી ઊંચું જઈ રહ્યું છે.

આ સ્થિતિમાં એક બે વખત પૂછવાનો પ્રયત્ન કરવાનો અને તેના મોંઢે તાપમાન ઊંચું જવાનું કારણ જાણવાનો પ્રયત્ન કરવાનો. આમ તો મને ખબર જ હોય છે કે કયાં વિવિધ કારણસર ગ્લોબલ વોર્મીંગની અસર થઈ છે, છતાં પચાસ વર્ષની ઉંમરે ભોળા થવાની પણ મઝા હોય છે.

સામાન્ય રીતે આ સ્થિતિમાં તેને કઈ પણ પૂછો એટલે જવાબ જ ના આપે, પણ કયારેક કહી દે, ‘કેમ ઘરે આવ્યા … ભાઈબંધોએ જમાડયા નહીં … મને ફોન કર્યો હતો તો આકાશ (દીકરો) સાથે ટીફિન મોકલાવી દેતી …'

કોઈ પૂછે કે તારી પાસે અઢળક માત્રામાં શુ છે તું હું ઊંઘમાંથી જાગીને પણ તરત કહી શકું કે મિત્રો છે .. ખૂબ જ મિત્રો … અને તે પણ કારણ વગર પ્રેમ કરનારા .. એટલે સ્વભાવિક છે કે સવારથી સાંજ સુધી મારો લોક અને મિત્ર સંપર્ક અન્ય કરતાં લાંબો ચાલે છે. .. શિવાનીની મારી સામેની અનેક ફરિયાદોમાં એક ફરિયાદ એવી છે કે મારે મિત્રો ખૂબ જ છે. .. તે મૂડમાં હોય ત્યારે કહે છે, તમે ગોળનો ગાંગડો છો અને પેલા મકોડાની જેમ તમને ચોટી રહે છે .. !

આમ છતાં મારા જે મિત્રો મને છોડતા નથી, તે અચાનક ઘરે આવી ચઢે તો શિવાની એક સારા એકટરની જેમ, પોતાના ચહેરા ઉપર તેમના તરફ કોઈ પણ પ્રકારનો ગુસ્સો દર્શાવ્યા વગર, ચા લઈ હાજર થઈ જાય છે.

અમારાં લગ્નને વીસ વર્ષ થયાં … તે દરમિયાન તેની નાદુરસ્ત તબિયતનો ગાળો લાંબો ચાલ્યો … સતત દવાઓ અને સારવારને કારણે તે થાકી પણ જાય છે; પણ તે થાકી જાય, ત્યારે કહે હજી મારાં બાળકો નાનાં છે. તેનાં માટે તો મારે જીવવું પડશે, તેવું કહ્યાં કરે. અનેક વખત અમારી વચ્ચે કોઈ પણ કારણ વગર એવી ચર્ચા નીકળે કે આપણા બન્નેમાંથી કોણ પહેલું જશે .. ત્યારે તે તરત કહે .. મારે જ પહેલાં જવું છે …  તમારા વગર મને કંઈ જ ખબર પડતી નથી.

વીસ વર્ષ પહેલાં શિવાની લગ્ન કરી, ભરુચથી અમદાવાદ આવી, ત્યારે તેના ચહેરા ઉપર કોઈક અજાણી જગ્યા ઉપર આવી ગયાનો ડર મેં જોયો હતો. તે આજે પણ ઘરની બહાર નીકળે ત્યારે હું તેના ચહેરા ઉપર જોઉં છું. તે લગ્ન પહેલાં તેના પિતા પોલિસમાં હોવાને કારણે પોલિસલાઈનમાં રહેતી હતી. અમદાવાદ આવી, તે પહેલાં તે ક્યારે રેસ્ટોરન્ટમાં ગઈ નહોતી. તે ત્યારે જેટલી સરળ હતી, એટલી જ આજે પણ છે. તેનામાં ખાસ કોઈ ફેર પડયો નથી. મોટી હોટેલોમાં અને મોટા લોકો વચ્ચે જતાં આજે પણ કહે છે, ‘મને ડર લાગે છે.’ ..

તેને હું પૂછું કે બેન્કમાં જઈ આવીશ, તો તરત કહે, ના, મને બહુ બીક લાગે. … મને નહીં ફાવે. … અમારી દીકરી કહે, મમ્મી, તું મને સ્કૂટર ઉપર સ્કૂલે લેવા આવીશ, … તો કહે, ના, ટ્રાફિકની મને બીક લાગે. …

તેને તેનાં બે સંતાનો અને પતિ સિવાય કયાં ય સુરક્ષાનો અહેસાસ થતો નથી. તેનું વિશ્વ એટલે ઘરની ચાર દિવાલો અને ચાર માણસો. અહિંયાથી દુનિયાની શરૂઆત થાય અને અહિયા જ અંત આવે છે.

તે મને કહે છે : માની લો કે તમે મારી પહેલાં  જશો .. તો મારું શું થશે ? …. મને કંઈ જ આવડતું નથી. .. તેને બાળકો મોટાં થાય, ત્યાં સુધી તો રોકાવું છે .. ‘પણ મારે પહેલાં જવું છે’ .. તેવું તે કહ્યાં કરે છે ! .. ખબર નથી કોની બાજીમાં કેટલાં પત્તા છે.

સ્વભાવ અને દેખાવમાં રૂક્ષતા હોવા છતાં તે જવાની વાત કરે, ત્યારે અંદરથી એક પ્રકારની ધ્રૂજારી છૂટી જાય છે. મિત્રો સાથે લાંબો સમય બેઠો હોઉં અથવા રાતે મોડું થાય, ત્યારે પણ મનમાં તો સતત શિવાનીના વિચાર જ ચાલ્યા કરતા હોય છે, તે નારાજ થઈ હશે … ઘરે જઈશ એટલે ગુસ્સો કરશે … તેને સાચું લાગે તેવું કયું ખોટું બહાનું ઊભું કરવાનું, વગેરે …

પણ શિવાની નહીં હોય, ત્યારે મારે ઘરે કેમ જવાનું, તે વાત જ મને ડરાવી મુકે છે, કારણ બન્ને સંતાનો પોતાના રસ્તે જતાં રહ્યાં હશે .. કોઈ ઘરે રાહ જોનારું નહીં હોય; કોઈ નારાજ પણ થશે નહીં. આજે કયારેક શિવાનીના ગુસ્સાનો મને ગુસ્સો આવે છે, પણ તે મારી આદત બની ગઈ હોય પણ તેની ગેરહાજરીમાં પછી મારે કોઈને મનાવવા નહીં પડે, તે વઘુ અકળાવનારી વાત થઈ જવાની છે. શિવાની મારી પહેલાં જશે તેનો ડર મને જેટલો લાગે છે, એટલે જ હું પહેલો જઈશ અને તે એકલી પડી જશે તેનો ડર મને વધુ લાગે છે .. મને ખબર છે મારા વગર તે જીવી તો જશે, પણ પણ તેના જીવનમાં પ્રાણ નહીં હોય, એટલે જ કયારેક એવું મનોમન બોલી જવાય છે, જો પ્રાર્થના સાંભળે, તો તેની સાંભળજે.

શિવાની આજે પણ ઊંઘમાં ઝબકી જાય છે. અને જ્યારે પણ ઝબકે ત્યારે મારો હાથ પકડી લે છે. …  … પછી શિવાનીની યાદ હશે, પણ મારો હાથ પકડનાર કોઈ નહીં હોય. મારા હાથ પકડવાથી તેનો ડર જતો રહે છે. પણ પછી તે મારો હાથ નહીં પકડે, તેનો ડર મને આજે સતાવી રહ્યો છે.

કારણ તે મારી આદત બની ગઈ છે.

સૌજન્ય : https://www.facebook.com/prashant.dayal.75/posts/1381890335159483?comment_id=1381945288487321¬if_t=feed_comment_reply¬if_id=1467095779543693

Loading

દેશમાં ચાલી રહેલી બૌદ્ધિકતાની કટોકટી

યાસિન દલાલ|Opinion - Opinion|28 June 2016

બૌદ્ધિકો ક્યારેક કોઈ ઉદેશ માટે એકઠા થયા તો પણ લાંબો સમય એક જ મંચ ઉપર બેસી શકતા નથી. અતિ બૌદ્ધિકતાને લીધે એમની વચ્ચે ચકમક ઝર્યા કરે છે.

લેચ વાલેસા અને સોલિડારીટી, આ બે શબ્દો આજે દુનિયાભરમાં પ્રચલિત થયા છે. વાલેસાને કેદમાં રાખવામાં આવ્યા હતા અને સોલિડારીટીને કચડી નાખવા માટે કટોકટી લાદવામાં આવી અને માર્સલ લોની જાહેરાત કરવામાં આવી છે. સામ્યવાદી વર્ચસ્વ હેઠળ દેશમાં કામદારો આંદોલન કરે એને અભૂતપૂર્વ ઘટના માનવામાં આવે છે. પણ, એક બાજુ આ બધાં પગલાં આ આંદોલનની ઉગ્રતા અને વ્યાપકતાનો પૂરાવો આપે છે, ત્યાં બીજી તરફ પોલેન્ડના સત્તાવાળાઓએ એવી દલીલ કરી હતી કે સોલિડારીટીનાં કોઈ મૂળ નથી, અને માત્ર થોડા બુદ્ધિજીવીઓ જ એને ટેકો આપી રહ્યા છે! આ દલીલ આપણે ત્યાં પણ વરસોથી થાય છે. એ અહીંથી પોલેન્ડ ગઈ કે રશિયાથી અહીં આવી, તે સંશોધનનો વિષય છે.

''થોડા બૌદ્ધિકોનો ટેકો છે.'' એ દલીલ સત્તાવાળાઓની તરફદારી કરે છે કે વિરોધ એ પ્રશ્ન છે પણ જે વાત આમાંથી નિ:શંક બહાર આવે છે તે એ છે કે એમાં બૌદ્ધિકોની ઠેકડી ઉડાડવામાં આવી છે. એની હાંસી કરવામાં આવી છે. થોડા બૌદ્ધિકોની સામે અશિક્ષિત કે અર્ધશિક્ષિત જનસમૂહની મોટી સંખ્યાને મૂકીને બૌદ્ધિકોને ઉતારી પાડવાની આ રમત ખાસ કરીને ડાબેરી વિચારધારા અને યુક્તિઓમાં માનનારી સત્તાઓને માટે હવે સામાન્ય થઈ પડી છે. આપણે ત્યાં ૧૯૭૫ના અરસામાં બૌદ્ધિકોને રીતસર ભાંડવાનો રોજીંદો ક્રમ શરૂ થયેલો. છાપાંઓને માથે પણ અવારનવાર એ દલીલ મારવામાં આવે છે કે તમારો વાચક આ દેશની કુલ વસતિના પાંચથી છ ટકા જેટલા પણ નથી, અને અમે એ પાંચ ટકા શિક્ષિતોને કોઈ ગણત્રીમાં લેતા નથી. તમે તમારે ઠીક લાગે એવું લખ્યા કરો અને બૌદ્ધિકો એમને ઠીક લાગે એમ બોલ્યા કરે. અમે તો લોકો ઉપર, સામાન્યજન ઉપર, આધાર રાખીએ છીએ. બીજી તરફ, પોતાની તરફદારી કરતા, કમીટેડ બૌદ્ધિકોનાં સંમેલનો બોલાવાઈ રહ્યાં છે અને એમ આડકતરી રીતે પણ બૌદ્ધિકોના અસ્તિત્વની સાર્થકતાનો સ્વીકાર થાય છે!

અહીં સુધી તો બધું બરોબર હતું પણ પછી બૌદ્ધિકોને ખરીદવાની પ્રક્રિયા શરૂ થઈ. બૌદ્ધિક આંદોલન જેવી કોઈ વ્યવસ્થિત વસ્તુ આપણે ત્યાં કદી હતી કે કેમ એ શંકાનો વિષય છે, પણ જે થોડા ઘણા બૌદ્ધિક જૂથો વેરવિખર પડયા હતા, એમાં પણ ભંગાણ પડયું. એમણે સમાધાનો કર્યા, હોદ્દાઓ સ્વીકાર્યા, કોઈએ માત્ર ભયથી સત્તાવાળાઓનો વિરોધ કરવાનું બંધ કર્યું, કોઈ સીધો ટેકો આપતા થોડા બૌદ્ધિકો નીકળી આવ્યા, પોતાની પીછેહઠને ઢાંકવા માટે એમણે બૌદ્ધિક ભ્રષ્ટાચાર કર્યો, અને પોતાની બુદ્ધિનો જ ઉપયોગ, દુરુપયોગ કરીને પોતાની તરફેણની દલીલો શોધવા માંડી. બૌદ્ધિકતા અને સલામતીની ઈચ્છા વચ્ચે ટકરામણ થઈ. આપણે આપણું સંભાળી લઈએ, એવી મનોવૃત્તિ ઘણા બુદ્ધિજીવીઓને પણ શિકાર બનાવ્યા. આને લીધે બૌદ્ધિક ચળવળે થોડી પીછેહઠ કરવી નક્કી છે.

બૌદ્ધિકને આજે એની જ નબળાઈઓના શસ્ત્રો વડે મારવામાં આવી રહ્યો છે. બૌદ્ધિકો ભાગ્યે જ સંગઠિત હોય છે. કોઈપણ વ્યક્તિ કે વાદને વર્ચસ્વ માનીને એ એનું કહ્યું કર્યા કરે એ વાતમાં માલ નહીં. પોતાની બુદ્ધિનો એ ક્યારેક આત્યંતિક ઉપયોગ કરે છે. બૌદ્ધિકો ક્યારેક કોઈ ઉદેશ માટે એકઠા થયા તો પણ લાંબો સમય એક જ મંચ ઉપર બેસી શકતા નથી. અતિ બૌદ્ધિકતાને લીધે એમની વચ્ચે ચકમક ઝર્યા કરે છે. બૌદ્ધિક જલદીથી નિરાશ થઈ જાય છે અને ઘણીવાર સમસ્યાઓથી બચવા માટે શાહમૃગી નીતિ અપનાવે છે, અથવા નિરાશાથી નિષ્ક્રિય બની જાય છે. બૌદ્ધિક વધુ પડતો વ્યક્તિવાદી હોવાનો, આથી એનો અહમ્‌ તીવ્ર હોવાનો અને પરિણામે પોતાના મંતવ્યને એ સૌથી ઉત્તમ માનીને ચાલવાનો અને બીજાનું મંતવ્ય પચાવવા માટે ઓછો તૈયાર થશે. બૌદ્ધિકો વચ્ચે મૂળ મુદ્દા ઉપર સંમતિ હોય તો પણ એના અમલ માટેના પગલાંને લઈને વિખવાદ થવાનો.

બૌદ્ધિક જ્યારે જ્યારે નિષ્ક્રિય બને છે, ત્યારે સમાજનો દ્રોહી બને છે. એ ભૂલી જાય છે કે એની નિષ્ક્રિયતા સમાજને કેટલી મોંઘી પડવાની છે.

આપણે ત્યાં કમનસીબે, થોડા બુદ્ધિજીવીઓ પાકતા રહ્યા છે, પણ એની કોઈ ચોક્કસ ધારા કે પ્રવાહ જોવા મળતા નથી, તેમ એની સંખ્યા પણ દેશના કે સમાજની મુખ્ય ધારામાં વગદાર જૂથ હોય તો એ અમર્યાદા સત્તાને રોકતી લગામ બની શકે. તેમ એક પ્રકારના 'બેલેન્સ' કે 'બફર'નું કામ આપી શકે. હેઝલીટે બુદ્ધિજીવીને ઓળખાવતાં કહ્યું હતું કે એની પાસે દલીલો અને તર્કનો ઢગલો હોય અને એની પાછળ આત્માનો અવાજ હોય, એમ કે.એન. સુબ્રમણ્યમે હાલના એક લેખમાં નોંધ્યું છે. એક જમાનામાં કવિ કે લેખક બુદ્ધિજીવી ગણાતા નહીં, બલકે એ લોકો એનાથી દૂર રહેવામાં જ શાણપણ માનતા. આજે સાહિત્ય પરિષદમાં પણ બૌદ્ધિકતાની છાલક ઊડતી જોવા મળે છે. સાહિત્ય અકાદમીની સ્વાયત્તતા અંગે જે આંદોલન ચાલે છે તે આની પુષ્ટિ કરે છે પણ આ વાત આપણે સમગ્ર ભારતીય સંદર્ભમાં કહી શકીએ એમ નથી, મતલબ કે આપણે ત્યાં ધર્મો, સંસ્કૃિત અને ભાવનાઓની જે ભિન્નતા છે, એણે આપણા બૌદ્ધિક આંદોલન ઉપર પણ અસર કરી છે, અને રાષ્ટ્રીય કક્ષાએ દોરવણી આપી શકે એવો બુદ્ધિજીવીઓનો ચોક્કસ વર્ગ હજી આપણે ઊભો કર્યો નથી, અલબત્ત, એની થોડી ઝલકો જરૂર જોવા મળે છે.

ભારતનો બૌદ્ધિક આજે મંથનમાંથી પસાર થઈ રહ્યો છે. એની સામેના વિકલ્પો ખુલ્લા છે. પોતાની નિષ્ક્રિયતાના પરિણામો એણે જોઈ લીધાં છે. ભારતનું બૌદ્ધિક આંદોલન એક નવા તબક્કામાં પ્રવેશ્યું છે. બૌદ્ધિકતા સામે આજે અનેક મોરચેથી પડકારો થયા છે. માત્ર રાજકારણ જ એની સામે મેદાનમાં ઊતર્યું છે, એમ નથી. દંભી ધાર્મિક મૂલ્યો અવૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુ, ક્રિયાકાંડો, આ બધા એના દુશ્મનો છે. બૌદ્ધિક બનવાથી સહન કરવું પડે છે, એવો ભય ઘર કરતો જાય છે ને આ ભયને પાંગરવા દેવામાં આવશે તો થોડા સમય પછી સમાજમાં પોતાનો મત નિખાલસ રીતે દર્શાવતા લોકો શોધ્યા નહીં જડે. બૌદ્ધિકોનો એક ગણનાપાત્ર ભાગ શિક્ષકોનો છે અને શિક્ષકો પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ શોધ્યા નહીં જડે. બૌદ્ધિકોનો એક અસરકારક ભાગ શિક્ષકોનો છે અને શિક્ષકો પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ જાળવવાના પ્રયત્નો કરવાને બદલે સલામતી અને સગવડોની લાલચમાં આવીને સરકારીકરણની સામે ચાલીને માંગણી કરે એ કોઈ પણ સમાજ, કોઈપણ લોકશાહી માટે ખતરાની નિશાની છે, પશ્ચિમના મુક્ત સમાજમાં બૌદ્ધિકનું જે સ્થાન છે, એ ઈર્ષાપાત્ર છે. ફ્રાંસમાં સાત્ર બોલે છે, ત્યારે એના શબ્દમાં વજન હોય છે. આપણે ત્યાં બૌદ્ધિકતાને પ્રમાણવી પડે એવી રચના આવશે ખરી?

ફ્રાંસના મશહૂર કવિ દાતેએ એમના પ્રસિદ્ધ પુસ્તક 'ડીવાઈન કોમેડી'માં લખ્યું છે કે જે લોકો નૈતિક કટોકટીમાં પણ પોતે તટસ્થ હોવાનો દાવો કરીને ચૂપ રહે છે અને જુઠ્ઠા લોકો વિરુદ્ધ બોલતા નથી તેમના માટે નરકમાં સૌથી ગંદી જગ્યા રિઝર્વ રાખવામાં આવી છે. દુનિયામાં ઘણું ખોટું થઈ રહ્યું હોય અને નીતિમત્તાના ધોરણો ખાડે ગયા હોય ત્યારે પણ આ લોકો કંઈ બોલતા નથી. આજે આપણા દેશમાં કેન્દ્રની નવી સરકાર આવી ત્યારથી આ જ હાલત છે. આ સરકારના કેટલાક પ્રધાનો અને કેટલાક સાંસદો દરરોજ જાતજાતના બકવાસ કરતા રહે છે એની વિરુદ્ધ અનેક લેખકો અને સંસ્કૃિત તથા સિનેમા સાથે સંકળાયેલા લોકોએ પોતાના એવોર્ડ પાછા આપી દીધા છે. એમને સાંભળવાને બદલે કે એમને ન્યાય આપવાને બદલે એમની ઉપર જાતજાતના લેબલ મારવામાં આવે છે. ગુજરાતમાં બધી યુનિવર્સિટીઓ માટે એક જ કાયદો બનાવવામાં આવ્યો અને એ રીતે પાછલે બારણેથી ઉચ્ચ શિક્ષણનું રાષ્ટ્રીયકરણ થઈ ગયું. એની તરફેણમાં સરકાર તરફી લોકો બોલવા માંડયા છે પણ વિરોધનો સૂર હજી બુલંદ બન્યો નથી. જો કે ગર્વનરે આ ખરડા ઉપર સહી કરી નથી પણ ગમેત્યારે સહી થઈ જાય એવી પૂરી શક્યતા છે. આખા દેશમાં સંઘ તરફી લોકો એટલું બધું બોલે છે કે વિરોધનો સૂર લગભગ દબાઈ જાય છે.

દુનિયામાં જેટલી ક્રાંતિઓ થઈ છે એ બધી વિરોધના સૂરમાંથી જ થઈ છે. ફ્રાંસની ક્રાંતિ વોલ્ટેર અને રુસોના લખાણોથી જ થઈ હતી. એ જ રીતે રશિયાની ક્રાંતિ માર્કસના પુસ્તક 'દાસ કેપીટલ'થી થઈ હતી. માર્કસે જર્મનીના એક શહેરની લાયબ્રેરીમાં પૂરાઈને આખી દુનિયાનું સાહિત્ય વાંચી કાઢયું અને એને ખ્યાલ આવ્યો કે દુનિયાના બધા સંઘર્ષોનું મૂળ ધર્મમાં છે. પરિણામે એણે કહ્યું કે 'રિલિજિયન ઈઝ ધ ઓપિયમ ઓફ ધી પીપલ' મતલબ કે ધર્મ એ લોકોને પાવામાં આવેલું એક જાતનું અફીણ છે. આ અફીણ ખાઈને લોકો બેહોશીમાં સરી પડે છે અને ધર્મ કે ધર્માચાર્યો સામે કંઈ બોલી શકતા નથી. એમને સ્વર્ગની લાલચ આપવામાં આવી છે અને ધર્મનું પાલન નહીં કરો તો નરકમાં જશો એવો ભય બતાવવામાં આવ્યો છે. આમ ભય અને લાલચથી લોકો ચૂપ રહે છે. માર્કસના વિચારો વાંચીને લેનિને રશિયામાં ક્રાંતિ કરી અને ઝાર નામના સરમુખત્યાર રાજાને સત્તા ઉપરથી ફેંકી દીધા. ઝારના આખા કુટુંબનું નિકંદન નીકળી ગયું. જો કે એક છોકરી બચી ગઈ અને વરસો પછી અમેરિકામાં એ દેખાઈ. જો કે રશિયામાં ૧૯૯૦-૯૫માં પ્રતિક્રાંતિ થઈ અને ગોર્બાચોવે રશિયાના દરવાજા બધા માટે ખુલ્લા મૂકી દીધા. રશિયાના પંદર ટૂકડા થઈ ગયા અને આજે એ પંદર ટૂકડા લોકશાહીના માર્ગે આગળ ધપે છે.

કોઈ પણ લોકશાહીને ધબકતી રાખવા માટે બૌદ્ધિકોનો વર્ગ હોય અને બોલતો હોય એ જરૂરી છે. અત્યારે દેશમાં આ વર્ગને કચડી નાખવાનાં પ્રયત્નો થાય છે. પહેલા પૂનાની ફિલ્મ ઈન્સ્ટિટયૂટને દબાવી દેવામાં આવી. હવે સેન્સરબોર્ડના અધ્યક્ષને હાંકી કાઢીને એની જગ્યાએ પહેલા જ નિહાલાનીને મૂકવામાં આવ્યા છે. આ ભાઈ સરકાર તરફી હોવાથી એમને નિમણૂક મળી છે. એમણે એક ફિલ્મ 'ઉડતા પંજાબ' ઉપર સેન્સરશીપની કાતર ચલાવી છે. નિહાલાનીસાહેબે ફિલ્મમાંથી ૯૪ જેટલા દ્રશ્યો અને શબ્દો કાપવાની સૂચના આપી છે. જો કે નિર્દેશક અનુરાગ કશ્યપે આની સામે ઝૂકવાને બદલે કોર્ટમાં ગયા છે. 'ઉડતા પંજાબ'માં હાલના પંજાબની નશીલા પદાર્થો લેવાના વ્યસન સામે અવાજ ઉઠાવાયો છે. આ ડ્રગ્સનો વિશાળ કારોબાર ચાલે છે. પંજાબ સરકાર પણ એમાં સંકળાયેલી છે. પંજાબ હવે તો ડ્રગ્સનું કેન્દ્ર બની ગયું છે એની સામે અવાજ ઉઠાવવો એ યોગ્ય જ છે પણ એને આવકારવાને બદલે એને અટકાવી દેવાનું કાવત્રું ઘડાયું છે. મહેશ ભટ્ટ અને રજા મુરાદ જેવાએ આની સામે વિરોધ ઉઠાવ્યો છે અને પૂછયું છે કે આ ભારત છે કે કોરિયા? સેન્સર બોર્ડનું કહેવું છે કે ફિલ્મના નામમાંથી પંજાબ શબ્દ કાઢી નાખવામાં આવે પણ અનુરાગ કશ્યપનું કહેવું છે કે અનેક ફિલ્મોમાં મુંબઈ શબ્દ આવ્યો છે અને દિલ્હી પણ આવ્યું છે તો પછી પંજાબમાં શું વાંધો? નિહાલાનીનું કહેવું છે કે ફિલ્મમાં આમઆદમી પાર્ટીના પૈસા છે. કરણ જોહર, રામગોપાલ વર્મા, મુકેશ ભટ્ટ અને આમીરખાન સહિતના લોકો આમાં બોર્ડની વિરુદ્ધમાં છે. ફિલ્મમાં સાંસદો અને વિધાનસભ્યોનાં નામો પણ આવે છે.

આમ દેશમાં અત્યારે બૌદ્ધિકતાની કટોકટી ચાલે છે એમાં પ્રૌ-ગવર્નમેન્ટ અને એન્ટી ગવર્નમેન્ટ એમ બે ભાગ પડી ગયા છે.

સૌજન્ય : “માનવવાદ”, જૂન 2016; પૃ. 14-16

Loading

...102030...3,6533,6543,6553,656...3,6603,6703,680...

Search by

Opinion

  • સહિષ્ણુતા: ભારતની અસલી તાકાત
  • Artificial Intelligence: જવાબો વધી રહ્યા છે, પણ આપણી વિચારશીલતા પર કાટ ચઢી રહ્યો છે?
  • ચલ મન મુંબઈ નગરી—343
  • ઓઈલ કંપનીઓ મગરનાં આંસુ સારે છે …
  • જ્યોતિરાવ ફુલે અને સ્ત્રી શિક્ષણની ક્રાંતિ: એક અર્થશાસ્ત્રીય અર્થઘટન

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved