Opinion Magazine
Opinion Magazine
Number of visits: 9375670
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જવાહરનો અર્થ

કુમાર પ્રશાંત|Opinion - Opinion|27 January 2015

લોકશાહીની એક વ્યાખ્યા એવી પણ છે કે અહીં જીભ આઝાદ હોય છે! આઝાદ જીભ અનર્ગળ, આધારહીન અને અશોભનીય ન બોલે, એ વાત પણ આ વ્યાખ્યામાં જ સમાયેલી છે. જીભની આઝાદીની આ મરજાદની પરવા વિના આપણે આટલાં વર્ષોમાં જે લોકશાહી વિકસાવી છે, એ જ ઇતિહાસના આપણા સર્જકોને સરકસના જોકર બનાવી રહી છે. પરંતુ ન તો ઇતિહાસ સરકસ અને ન તેના સર્જક જોકર છે! કાળને નાથીને તેને પોતાની દિશામાં ફેરવવાની હિંમત ધરાવતા લોકોએ જ ઇતિહાસ ઘડ્યો છે અને તેને કેળવ્યો છે. આમાંના એક એવા મહાનાયક જવાહલાલ નેહરુની આજે અનર્ગળ, આધારહીન અને વારંવાર અશોભનીય ચર્ચા થતી રહે છે. જવાહરલાલ આઝાદ ભારતના પહેલા વડાપ્રધાન હતા, એટલો તેમનો પરિચય અધૂરો જ નહીં, બલકે અન્યાયપૂર્ણ પણ છે. આઝાદીની શોધના જંગમાં તો ખરું જ એ ઉપરાંત મળેલી આઝાદીને જન-જનના સંદર્ભમાં સાર્થક કરવાના જંગમાં પણ જવાહરલાલનું નેતૃત્વ મળ્યું, એ આ દેશનું સદ્દ‌ભાગ્ય જ હતું. ભારત રાષ્ટ્ર અને ભારતીય માનસને ખટખટાવીને અને ખખડાવીને નવીનતા બક્ષવામાં તેઓ અથાકપણે મથતા રહ્યા. તેઓ આખર સુધી હથિયાર હેઠાં ન મૂકનારા નેતા હતા! તેઓ ક્યાંક માર્ગ પણ ભૂલ્યા, વારંવાર વિફળ પણ થતાં રહ્યા, રાજકીય ચાલો પણ ચાલતા રહ્યા, પરંતુ તેમની પ્રાથમિકતાઓમાં દેશ હંમેશાં પ્રથમ રહ્યો. આંદ્રે માલરોએ તેમને પૂછ્યું હતું કે તેમની જિંદગીમાં સૌથી મોટો પડકાર કયો રહ્યો ત્યારે તેમણે કહેલું, સંકુચિત ધાર્મિક વાડાઓમાં બંધ ધર્મભીરુ સમાજને એક સર્વધર્મસમાવેશી સમાજમાં ફેરવવાનો પડકાર!

જવાહરલાલ સંત, સાધક, વિચારક, ક્રાંતિકારી કે કાબેલ પ્રશાસક નહોતા, પરંતુ ઇતિહાસે તેમને એ તમામ ભૂમિકાઓ ભજવવા માટે મજબૂર કરેલા, અને તેઓ એ દોરમાં અન્ય નેતાઓની સરખામણીમાં આ તમામ ભૂમિકાઓ નિભાવવામાં માત્ર બહાદુરીપૂર્વક લડતાં જ ન રહ્યા, બલકે એક રોલ મૉડલ બની ગયા. તેઓ ઇતિહાસની ઊંડી સમજ ધરાવનારા, ઉત્સાહ અને ઊર્જાથી ભરપૂર મોહક વ્યક્તિત્વના સ્વામી હતા. કવિગુરુ રવીન્દ્રનાથ ટાગોરે તેમને ‘ઋતુરાજ’ કે ગાંધીએ ‘હિંદના જવાહર’ અમસ્તાં જ નહોતા કહ્યા! તેઓ ખરેખર એવા જ હતા. આજે દેશ જ્યારે તેમની ૧૨૫મી જન્મ જયંતી મનાવી રહ્યો છે ત્યારે આપણે એ જવાહરથી પરિચિત થવું જોઈએ. વડાપ્રધાન તરીકે આજે ૬૭ વર્ષ પછી પણ એમનું જ રોલ મૉડલ આપણા નેતાઓની સામે હોય છે, જેમાં ખરા ઊતરવાની કોશિશ અટલબિહારી વાજપેયીએ પણ કરી અને આજે નરેન્દ્ર મોદી પણ તેમની જ નકલી નકલ કરતાં જોવા મળે છે.

જવાહરલાલે ભારતીય રાજકારણમાં એવા જ સમયે પ્રવેશ કરેલો જ્યારે ગાંધીનો સૂરજ મધ્યાહ્ને તપતો હતો. એ અગ્નિપુંજ સમક્ષ ઊભું થવું આસાન નહોતું! પરંતુ, જવાહરલાલ ઊભા જ ન થયા, બલકે પોતાનું અલગ આભામંડળ પણ વિકસિત કર્યું. તેઓ ગાંધી પ્રત્યે એ હદે સમર્પિત હતા જે હદે કોઈ સમર્પિત નહોતું, પરંતુ ગાંધી-વિચાર સાથે અસંમતિમાં તેમનો હાથ હંમેશાં ઊઠતો રહેલો. આજે આપણે સમજીએ પણ છીએ અને કહીએ પણ છીએ કે એમની અસંમતિઓમાં નાદાની બહુ જ હતી, પરંતુ કોઈ એવું નહીં કહી શકે કે તેમાં અપ્રામાણિકતા હતી. તેમનું મન માનતું ન હોય એવી દરેક ગાંધીજીની વાત સાથે તેઓ અસંમત થતા, પરંતુ ગાંધીજીના નેતૃત્વને તેમણે ક્યારે ય પડકાર્યું નહોતું. ઊલટું, પડકારનારા દરેક અવાજનો તેમણે વિરોધ કરેલો.

જવાહરલાલ આઝાદ ભારતને ગાંધીથી સાવ અલગ અને ઊલટી દિશામાં લઈ ગયા, કારણ કે તેઓ પ્રામાણિકપણે એમાં જ દેશનું ભલું જોતા હતા. દેશ આજ સુધી તેમની નાસમજીની કિંમત ચૂકવી રહ્યું છે, પરંતુ આવું કરવામાં તેમને એ તમામ બૌદ્ધિકો, નેતાઓ, કલા-સંસ્કૃિતના લોકો, મંદબુદ્ધિના ડાબેરીઓ અને વેપારી ગૃહોએ સાથ આપેલો, જે લોકો ત્યારે ગાંધીજીની દરેક વાતને રૂઢિચુસ્ત અને આધુનિકતાવિરોધી ગણાવતા હતા અને જવાહરલાલની વાહવાહી કરતા હતા. એટલે આપણે એમ ન કહી શકીએ કે ગાંધીથી દેશને દૂર લઈ જવા માટે તેઓ એકલા જવાબદાર હતા. હા, એ આરોપનો બોજ તો તેમણે જ વેંઢારવો પડશે કે ગાંધીને સમજવા અને સમજાવવાની જેટલી કોશિશ તેમણે કરવી જોઈતી હતી, તે તેમણે નહોતી કરી અને દેશમાં ગાંધીની ઉપેક્ષાનો માહોલ બનાવ્યો અને બનવા દીધો.

જવાહરલાલ જે પારિવારિક પૃષ્ઠભૂમિમાંથી આવતા હતા, જે માહોલમાં અને બ્રિટિશ જીવનશૈલીમાં ઉછર્યા હતા, તેનાથી તેઓ સ્વાભાવિકપણે જ છોટે મોતીલાલ નેહરુ બનત, ઐશ્વર્યમાં ડૂબેલા અને અત્યંત આત્મકેન્દ્રિત સત્તાધીશ! જો એવું બન્યું હોત તો આઝાદ હિંદુસ્તાન ટૂંકા ગાળામાં જ પાકિસ્તાન બની ગયું હોત! પરંતુ પોતાના તમામ તેવરો અને મિજાજબાજી પછી પણ તેઓ સંસદીય લોકશાહી પ્રત્યે જેવી પ્રતિબદ્ધતા નિભાવી ગયા, તેનું બીજું કોઈ ઉદાહરણ આજ સુધી મળ્યું નથી. મહાત્મા ગાંધીની હત્યા અને સરદાર પટેલના મૃત્યુ પછી તો ભારતીય રાજનેતાઓમાં તેમની બરાબરી કરી શકે એ કદનો કોઈ નેતા જ નહોતો બચ્યો. પરંતુ જવાહરલાલે પોતે જ પોતાના પર કાબૂ મેળવ્યો અને આપણા દેશમાં સંસદીય લોકશાહીનાં મૂળ મજબૂત કરવાની દિશામાં તેમણે એ બધું જ કર્યું, જે અપેક્ષિત હતું.

આંતરરાષ્ટ્રીય મંચો પર તેઓ ગાંધીને લઈને એ હદ સુધી ગયા, જે હદ સુધી તેમની પ્રતિબદ્ધતા હતી. પંચશીલ અને બિનજોડાણવાદી રાષ્ટ્રોની આખી સંકલ્પના, રાષ્ટ્રકુળ (કૉમનવેલ્થ) અને સંયુક્ત રાષ્ટ્ર (યુએન) પ્રત્યે પ્રતિબદ્ધતા વગેરેનું તત્ત્વ તેમને ગાંધી પાસેથી જ મળ્યું હતું. ભારતીય લોકશાહીનો પાયો ગ્રામીણ ભારતમાં હશે અને ગ્રામોદ્યોગનો વિકાસ જ ભારતીય વિકાસની કસોટી હશે, એવું તેમણે ન કદી માન્યું હતું અને ન સમજ્યું હતું. અને પોતાની આ માન્યતા તેમણે ક્યારે ય છુપાવી પણ નહોતી. ગાંધીએ તેમને પોતાના રાજકીય વારસ જાહેર તો કર્યા હતા, પરંતુ સાથે જ શરૂ કરી દીધી હતી તેમની આકરી કસોટી! એટલી કડક પરીક્ષા કરી કે વ્યક્તિગત સત્યાગ્રહનો કાર્યક્રમ આપ્યો ત્યારે જવાહરલાલની જાહેર ઇચ્છા છતાં પહેલા સત્યાગ્રહી તેમને નહીં, વિનોબા ભાવેને બનાવ્યા હતા. આ ખાઈ આગળ જતાં વધારે પહોળી બનેલી, જેને જવાહરલાલ બહુ જાહેર થવા દેવા નહોતા માગતા, પરંતુ ગાંધીએ લખી મોકલ્યું કે ભારતના ભાવિ અંગે મારા અને મારા રાજકીય ઉત્તરાધિકારી વચ્ચે જે ભેદ છે, તે દુનિયાએ જાણી લેવા જોઈએ. અને તેના માટે જરૂરી છે કે તમે સમય કાઢીને મારી સાથે વાત કરો. ભાવિ ભારતની તસવીર અને તેમની રણનીતિના સંદર્ભમાં તેઓએ પોતાના પુસ્તક ‘હિંદ સ્વરાજ’ની યાદ અપાવેલી. બહુ નાજુક પ્રસંગ હતો, આઝાદી આવવામાં જ હતી અને દેશનું નેતૃત્વ હાંસલ કરવા માટે ગાંધીનું સમર્થન કેટલું જરૂરી છે, એ જવાહરલાલ કરતાં વધુ સારી રીતે કોણ જાણતું હતું! છતાં પણ જવાહરલાલે પૂરેપૂરી પ્રામાણિકતાપૂર્વક જવાબ આપ્યો હતો કે આપની એવી કોઈ પુસ્તિકા છે, એ તો યાદ આવે છે, પરંતુ ન મેં અને ન કૉંગ્રેસે ક્યારે ય તેને ગંભીરતાથી લીધી છે. અજ્ઞાન અને બાળબુદ્ધિભરી એ પ્રામાણિકતા તેમનામાં હતી. એટલે આપણે એમના પર એવો આરોપ ન લગાવી શકીએ કે તેમણે ગાંધીને છોડી દીધા! તેમણે ગાંધીનો અસ્વીકાર કર્યો. જિંદગીના એકદમ આખરી દિવસોમાં તેમને આનો પેટ ભરીને પસ્તાવો પણ થયેલો અને લોકસભામાં જ તેમણે કબૂલ્યું હતું કે ગાંધીનો માર્ગ છોડીને આપણે ભૂલ કરી હતી કદાચ! પરંતુ ત્યાં સુધી ભૂલો હિમાલય જેવડી થઈ ચૂકી હતી અને નવા પર્વતારોહણનું તેમનું સામર્થ્ય રાઈ જેટલું પણ નહોતું બચ્યું. વિનોબાએ જરૂર એક માર્મિક ટિપ્પણી કરી હતી કે આ લોકોને જો એવો અહેસાસ થઈ રહ્યો હોય તો આપણે સમજી લઈશું કે અત્યાર સુધી આપણા દેશનો જેટલો પણ ખર્ચ થયો છે, તે આ લોકોના શિક્ષણ પર થયો!

જવાહરલાલે આઝાદ ભારતનું નેતૃત્વ સંભાળતાંની સાથે જ બે લક્ષ્ય પોતાની સામે રાખ્યાં હતાં – ભારતીય લોકશાહીને સુદૃઢ બનાવવી અને ભારતીય અર્થતંત્રને સ્વાવલંબી બનાવવું. ગાંધી તેમને કબૂલ નહોતા અને તેમનાથી અલગ સમાજનું કોઈ નવું માળખું રચવાની બૌદ્ધિક ક્ષમતા તેમના પણ નહોતી. એટલે તેમણે બીજો એક સરળ માર્ગ શોધ્યો! તેમની સામે અમેરિકી અને રશિયન, બે મૉડલ હતાં અને એ બન્નેનાં સારાં તત્ત્વોને તેઓ આપણા ભારત માટે ખપમાં લેવા માગતા હતા. જો કે, તેઓ પાયાની વાત સમજી ન શક્યા કે ક્યાંકથી ઈંટ અને ક્યાંકથી પથ્થર લાવીને રસ્તાઓ કે મકાનો તો કદાચ બની પણ જાય, દેશ નથી બનતો! એટલે નેહરુના નેતૃત્વમાં ભારતીય સમાજના વિકાસની કહાની ઘણી ખરી અડધી-અધૂરી અને જયપ્રકાશ નારાયણના શબ્દોમાં તદ્દન નકલી બની. પરંતુ આપણે એ સમજવું જ પડશે કે આપણી સાથે જ આઝાદ થયેલું ચીન કે પછી આપણા તમામે તમામ પાડોશી દેશો લોકશાહીને ક્યાં સંભાળી શક્યા છે? તેમણે લોકશાહીને સૌથી પહેલાં જ ગંદાં વસ્ત્રોની જેમ ઉતારીને ફેંકી દીધી! લોકશાહીને સાથે લઈને જવાહરલાલે ભારતને જ્યાં પહોંચાડ્યું, ત્યાં તો બીજો કોઈ દેશ પહોંચ્યો નહીં! મિશ્ર અર્થતંત્રના તેમના ઉદ્યમમાંથી આર્થિક સમતા અને સામાજિક સમાનતા પેદા થવાની જ નહોતી, પરંતુ સ્વાવલંબનનો જેટલો પણ આધાર આજે આપણી પાસે છે, તે નેહરુની જ દેન છે. વિશ્વ અર્થતંત્રના દબાણમાં મોદી આજે ભલે ‘મેક ઇન ઇન્ડિયા’નું સૂત્ર ઉછાળી રહ્યા હોય, પરંતુ આ સૂત્ર નેહરુના ભારતને લૂંટવાથી વધારે કંઈ પણ બનાવી કે કમાઈ નહીં શકે, જ્યારે નેહરુએ ‘મેડ ઇન ઇન્ડિયા’ની જીદ એવી પકડી રાખેલી કે આજે આપણે ટાંકણી પેદા કરવાથી માંડીને ચાંદ અને મંગળ સુધી જવાની ક્ષમતા વિકસાવી શક્યા છીએ.

ઇતિહાસની પોતાની ઊંડી સમજને લીધે નેહરુને અંદાજ હતો કે રાજકીય આઝાદીને માનસિક આઝાદીનો ટેકો નહીં મળે તો તે ડગમગવા માંડશે. એટલે રાજકારણના તમામ ગોરખધંધાની વચ્ચે તેઓ સ્વતંત્ર ભારતમાં કલા, સાહિત્ય, સંસ્કૃિત, વિજ્ઞાન, રમતગમત, પત્રકારત્વ, સુઆયોજિત આયોજનો વગેરેનાં બીજ વાવતાં રહ્યાં. તેઓ તમામ પ્રકારની રૂઢિગત વાતો, પ્રથાઓ, માન્યતાઓ પર હુમલા કરતા અને જાહેરજીવનમાં સહૃદયતા અને ઉદારતાનો માહોલ બનાવતા રહ્યા. તેમના પ્રયાસો અને વિચારોમાંથી પેદા થયેલી આ સંસ્થાઓ જ છે, જેમાં આપણે આજે આપણા દેશને વિકસતા-આગળ વધતા અને ઊભો થતો જોઈ શકીએ છીએ. એક કરુણ સત્ય એ પણ છે કે પોતાના જીવનકાળમાં જ જવાહરલાલ આ બધાનું થઈ રહેલું પતન પણ જોઈ રહ્યા હતા અને કંઈ કરી શકતા નહોતા. અલબત્ત, એ જો તેમની વ્યક્તિગત વિફળતા હતી તો દેશ તરીકે આપણી સામૂહિક વિફળતા પણ હતી. આ વિફળતા છતાં પણ પ્રયાસનું મહત્ત્વ ઓછું થતું નથી, એ અકાટ્ય સત્ય પણ અચળ છે.

ચીન-ભારત સંબંધોને તેઓ જ્યાં પહોંચાડીને સ્થિરતા બક્ષવાની કોશિશ કરી રહ્યા હતા, તેમાં તેઓ જો સફળ થઈ ગયા હોત તો વિશ્વનાં સત્તાનાં સમીકરણોનાં રૂપ અને રંગ, બન્ને બદલાઈ ગયાં હોત. પછી તેમાંથી જ આપણને તિબેટની આઝાદી પણ જોવા મળી હોત અને ચીની સામ્યવાદની કૂખમાંથી પેદા થયેલા સામ્રાજ્યવાદનું પણ બાળમરણ જ થયું હોત. પંચશીલ કરાર અને બિનજોડાણવાદી દેશોનો મજબૂત ભાઈચારો એશિયાને કેન્દ્રમાં લાવી મૂકત અને એ તમામ ગતિવિધિ ભારતકેન્દ્રિત હોત. આ સંભાવનાની ભવ્યતા આજે પણ મોહિત કરે છે. કાશ્મીરનો દૂઝતો જખમ માત્ર એટલે નથી બન્યો કે જવાહરલાલ તેને સંયુક્ત રાષ્ટ્રમાં લઈ ગયા અને પરિણામે સામ્રાજ્યવાદી તાકાતોને તેમાં મોકળા થઈને ખેલ ખેલવાની તક મળી. આ તેમની કૂટનીતિક ભૂલ હતી, એ કબૂલ છતાં આવું કરવા પાછળ તેમનો એવો ભાવ પણ હતો કે આંતરરાષ્ટ્રીય મામલાઓમાં મધ્યસ્થતા માટે આવી સંસ્થાની વકીલાત કરનારા જો તેની ઉપયોગિતા સિદ્ધ કરવાની તક જ ન આપત તો તેના પાયા અને પ્રતિષ્ઠા કઈ રીતે મજબૂત થાત? અને આપણે એ પણ ન ભૂલવું જોઈએ કે કાશ્મીરનો કેસ બગાડવામાં આપણા વિપક્ષી અને કોમવાદી રાજકારણની ભૂમિકા પણ ઓછી ઝેરીલી નથી રહી.

આપણી આઝાદીના જંગના નાયકોમાંથી તેઓ જ સૌથી વધારે જીવ્યા, એટલે તેમને જ આઝાદીનો માહોલ ઊભો કરવાની સૌથી વધારે તક પણ મળી. તેમણે આ જવાબદારી માત્ર સ્વીકારી જ નહીં, બલકે પોતાના મન-પ્રાણની પૂરેપૂરી તાકાત લગાવીને તેને સાકાર કરવાની કોશિશ પણ કરી. એટલે કહેવા માટે આપણે કંઈ પણ કહીએ, જવાહરલાલ જ આધુનિક ભારતના શિલ્પી હતા. હવે એ વાત અલગ છે કે તેમની આધુનિકતાની સમજ એટલી જ ગરબડવાળી હતી, જેટલી વિકાસની આપણી આજની સમજ છે. આજે ૧૨૫ વર્ષ પછી જ્યારે આપણે તેમને યાદ કરી રહ્યા છીએ ત્યારે આપણને શું એ વાતનો ખ્યાલ આવે છે કે ભારતને તેની અમર્યાદિત સંભાવનાઓ સુધી પહોંચાડવાનું કોઈ એક વ્યક્તિ માટે સંભવ જ નથી, જવાહરલાલ જેવા મહામાનવ માટે પણ નહોતું. સામૂહિક સંકલ્પ અને સામૂહિક પ્રયાસમાં જ ભારતની સિદ્ધિ રહેલી છે. આટલું સમજીને, ઊંડી પ્રતિબદ્ધતા સાથે આપણે જ્યારે પણ સક્રિય થઈશું ત્યારે જ આપણને જવાહરલાલનો અર્થ અને તેમની કિંમત પણ સમજમાં આવી જશે.

અનુવાદક :  દિવ્યેશ વ્યાસ

e.mail : k.prashantji@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2014, પાન 12 – 13

Loading

સામાજિક સાહિત્યકાર, એ વળી શું

ધીરેન્દ્ર મહેતા|Opinion - Literature|27 January 2015

જાગરૂક અને વિચારશીલ વાચક ડંકેશ ઓઝાના ‘મનમાં ઘમસાણ યુદ્ધ જમાવી બેઠા હતા’ એવા જે વિચારોએ ૧ ડિસેમ્બર, ૨૦૧૪ના ‘નિરીક્ષક’નાં પૃષ્ઠો પર ‘ચહલપહલ’ મચાવી છે, એમાંના ચાર મુદ્દા પૈકીનો એક આ છે :

‘સાહિત્યને સમાજ સાથે નાભિનાળનો સંબંધ હોવાનું સ્વીકારવા છતાં બધા સાહિત્યકારોને સામાજિક નામના ખાનામાં ખતવી શકાય ખરા ? જે અર્થ અને જે સંદર્ભમાં ઈશ્વર પેટલીકર કે પન્નાલાલ કે દિલીપ રાણપુરા કે જૉસેફ મેકવાનને સામાજિક સાહિત્યકાર લેખાવી શકાય, તે અર્થમાં બીજાને ગણાવી શકાય ખરા ?’

એમ થાય કે ડંકેશભાઈએ સંભાર્યા જ તો આ સંદર્ભમાં સૌથી પહેલાં તો ગોવર્ધનરામને સંભારવા જોઈતા હતા. અને રમણલાલ ? મેઘાણી ? સુન્દરમ્‌ ? ઉમાશંકર ? દર્શક ? રઘુવીર ? અને – અને … પણ અહીં કહેવાની વાત આ નથી. જે છે એ વાત કરતાં પહેલાં બીજી બે વાત વિચારવા જેવી છે. ‘સરસ્વતીચંદ્ર’ની કે ‘ઝેર તો પીધાં છે -’ની કંઈ પણ ટીકા થઈ છે, તે શા કારણે થઈ છે ? અને બીજી વાત એ કે લાભશંકર ઠાકર જેવા લાભશંકર ઠાકરનો હાથ પન્નાલાલને સલામ કરવા ઊંચકાય છે તે શા કારણે ?

સમજવાની વાત એ છે કે માત્ર સાહિત્યને નહિ, મનુષ્યમાત્રને, તેના દ્વારા થતી પ્રવૃત્તિમાત્રને ‘સમાજ સાથે નાભિનાળનો સંબંધ છે,’ અરે, જન્મ પછી નાભિ સાથે મનુષ્યની નાળનો વિચ્છેદ થાય છે, જ્યારે સમાજ સાથેનો તેનો સંબંધ તો આજીવન અવિચ્છેદ્ય રહે છે. પણ મનુષ્ય દ્વારા થતી ચિત્રશિલ્પસ્થાપત્ય-સંગીતનૃત્યાદિ કલાપ્રવૃત્તિના સંદર્ભમાં આપણે આવો પ્રશ્ન ઊભો કરતા નથી, તો સાહિત્યકલાની બાબતમાં શા માટે, શા માટે વારંવાર કરીએ છીએ?

એનું દેખીતું કારણ એ છે કે સાહિત્યકૃતિનું માધ્યમ ભાષા છે. એ ભાષા એને સમાજ પાસેથી મળેલી છે. આ ભાષાનું નિર્માણ સમાજમાં અને સમાજ દ્વારા થયેલું હોઈ તેને અનેક સામાજિક વળગણો છે. એ વળગણોમાંથી એને મુક્ત કરવાની લાખ કોશિશ છતાં સર્જક એમાં સર્વથા સફળ થતો નથી. ધ્યાનમાં રાખવાની વાત એ છે કે રચનાપ્રવૃત્ત કોઈ પણ કલાકારને જે કંઈ વિચારવાનું-સંવેદવાનું, અનુભવવાનું આવે છે, તેમાં એણે ભાષાનો આશ્રય લેવાનો થાય છે !

વધારામાં, સાહિત્યકારને – ખાસ તો કથાલેખકને સામગ્રી પણ સમાજમાંથી, બલકે વ્યવહારજગતમાંથી લેવાની આવે છે. આથી એની રચના એક ‘નવલ’લોક ઊભું કરે છે, જે એના ઉપાદાનરૂપ વ્યવહારજગતનો – સમાજનો આભાસ આપે છે.

આ બે તત્ત્વો સાહિત્યકૃતિ પાસે વાચકના મનમાં સમાજલક્ષી અપેક્ષાઓ ઊભી કરે છે; જેવી કે એની સમાજ પ્રત્યેની જવાબદારી, એનું પથપ્રદર્શન, એને આપવાનો સંદેશ, સમીક્ષા, દોરવણી ઇત્યાદિ ઇત્યાદિ. આમાં વળી પાછી સગવડ એ છે કે સાહિત્ય વિશે બોલવા માટે, અન્ય કલાઓ વિશે વાત કરવા માટે પડે છે, એવી સજ્જતા કે અધિકારની જરૂર પડતી નથી. અને વાત શરૂ થઈ ગયા પછી એમાં ગમે તે માણસ જોડાઈ જઈ શકે છે !

આ પ્રકારની અપેક્ષાઓ સાહિત્ય અને સમાજનો સંબંધ ઉપરછલ્લી દૃષ્ટિએ જોવામાંથી જન્મે છે. ખરેખર જોવાનું તો એ રહે છે કે સાહિત્યકૃતિ આ સામગ્રીનો ઉપયોગ કઈ રીતે કરે છે અને એમાંથી શું નીપજે છે : કલા નીપજે છે કે કંઈ ઇતર ? એ ભૂલવાનું નથી કે સાહિત્યકૃતિ પાસે તમે કલાની અપેક્ષાએ જતા હો, સાહિત્યકૃતિને તમે કલાકૃતિ તરીકે સ્વીકારતા હો, તો એ સો ટચની જણસ છે, એકાવન ટકાથી એને ચાલતું નથા. આ જ કારણે સાહિત્યના પ્રદેશમાં સામાજિક અને અસામાજિક, સમાજકેન્દ્રી અને વ્યક્તિકેન્દ્રી, એવા ભેદ હોતા નથી. વિદ્યાર્થીઓ સમાજલક્ષી, મનોલક્ષી, એવા-એવા અભિગમોથી પોતાના અભ્યાસ માટે સાહિત્યકૃતિઓનો સાધન લેખે ઉપયોગ કરે એ અલગ વાત.

આ પરિપ્રેક્ષ્યમાં જોવાથી સચ્ચિદાનંદ સમ્માન ચંદ્રકાન્ત શેઠ, રતિલાલ બોરીસાગર અને લાભશંકર પુરોહિતને અપાય એ બાબતે કશી વિમાસણ થવી ન જોઈએ. માત્ર એમના સાહિત્યકાર્યમાં સમાજ, અને ખાસ તો મનુષ્ય કઈ રીતે સંદર્ભ પામે છે તે પરખવાનું રહે. પરિષદ જેવી સાહિત્યસંસ્થા કોઈ પણ પ્રવૃત્તિ માટેનું દાન કે કર્તવ્ય સ્વીકારે, ત્યારે એની દૃષ્ટિ સાહિત્યને કલાપદાર્થ તરીકે જોવા પર મંડાયેલી રહે એમાં જ ઔચિત્ય છે.

‘જીવનછાયા’ હૉસ્પિટલ રોડ, પંડિત દીનદયાલ ઉપાધ્યાયમાર્ગ, ભુજ

e.mail : mehta_dhirendra@yahoo.co.in

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2014, પાન 14 – 15

Loading

રન-વે પર શહીદ થયેલી ભેંસ વિશે

મણિલાલ હ. પટેલ|Opinion - Opinion|27 January 2015

સુરત ઍરપોર્ટના રન-વે પર ‘ભેંસપ્રવેશ’ થયો એ આમ તો સામાન્ય ઘટના ગણાવી જોઈતી હતી … પણ એ ઐતિહાસિક બનાવ હોય એમ મીડિયાએ એની વિશેષ નોંધ લીધી, એથી જીવનનાં જ્ઞાન તથા સંશોધનનાં તમામ ક્ષેત્રોમાં ભેંસના પ્રવેશોત્સવ થવા માંડ્યા છે. રાજકારણમાં એને પ્રગતિ તથા વિકાસનું વાહન ગણાવીને, વેર વાળવાની ભાષામાં વ્યંગપર્વો યોજાયાં … ને એમ બળતાં પેટમાં ભેંસ-પ્રકરણે ટાઢક પ્રસરાવવાનું સેવાકાર્ય કર્યું છે. આ અર્થમાં કેટલાકે ભેંસને સામાજિક પ્રાણી પણ ગણાવી દીધી. જો કે અમે તો ભેંસને કશી અપેક્ષા વગર દૂધ તથા ‘પાડી’ આપતી હોવાથી – વર્ષોથી ‘કર્મશીલ’ માનીએ છીએ. ભેંસ પણ કર્મની વાતે ગીતાને અનુસરે છે. કાળી ભેંસની સેવાઓ દૂધ જેવી સફેદ છે.

જો કે, હવે અમે માનવા માંડ્યા છીએ કે ‘રન-વે પર ભેંસ’ એ બિના ઐતિહાસિક બનવા જઈ રહી છે. ના, હજી સુધી સુરતના ‘ફૅસબુક’ – રસિયા કવિઓએ, ગઝલ-ગીત-વાર્તા લખીને તરતાં-ફરતાં મૂક્યાં નથી. કેમ કે ભેંસો હજી સિરિયલોમાં લેવાઈ નથી. અમદાવાદ દૂરદર્શન પર મંગુબહેન અને એમની ભૂરી ભેંસની સિરિયલ જરૂર આવેલી, જેમાં ભેંસો વતી ભૂરી સરસ બોલતી હતી. એમાં સૌંદર્યદૃષ્ટિ નહિ પણ આર્થિક દૃષ્ટિ રહેલી. ‘રન-વે પર ભેંસ’ મરી ગઈ, એ વિશે ગઝલહઝલ લખતાં લખાશે પણ ભેંસ વિશે હવે સાહિત્યક્ષેત્રેય સંશોધકો સંશોધનો કરવા કમરે ભેંસચર્મના પટ્ટા બાંધી-કસી રહ્યા છે. રમેશ પારેખે સડક પર ‘કાગડો મરી ગયો’ એવી હઝલ-કમ-ગઝલ લખેલી. એના વિશે-એના સ્વરૂપ વિશે મૂર્ધન્ય વિવેચકોએ ચર્ચાપત્રો લખીને, ઠરવા આવેલી સાહિત્ય-તાપણીનું તાપમાન વધારી દીધેલું. આ કિસ્સામાં તો ‘ભેંસ મરી ગઈ’ એમ કહેવું ભેંસને અન્યાયકર્તા છે, ખરેખર તો ભેંસ શહીદ થઈ ગઈ હતી. હા, વિમાનના બધા પૅસેન્જર્સને બચાવવા ભેંસે મૃત્યુ વ્હોરી લીધું – એણે જાતના ત્રણ ટુકડા થવા દીધા … પણ વિમાનને તો બચાવી લીધું. ‘રન-વે પરની ભેંસ’ અમર રહો ! આ શહીદી ઐતિહાસિક છે, કેમ કે આ શહીદ ભેંસે ‘વિકાસ’-નું સર્વાંગીણ ચિત્ર રજૂ કર્યું છે. હવેથી ભેંસ વિશે મુક્તક કે વાર્તા લખવાથી નહિ ચાલે. હવે તો પૂરા કદનાં ખંડકાવ્યો તથા નવલકથાઓ લખાવાં જોઈએ. ભેંસ કાગડાથી તો હજાર ગણી મોટી હોય છે. ભેંસને એક ગઝલ કે સૉનેટમાં ખતવી દેવાથી નહિ ચાલે. છંદ ન જાણનારા પણ અછાંદસમાં ભલે લખે. બાબુ સુથારે એમની બોડી ભેંસ વિશે લખતાં છંદનાં ઝાંઝર ત્યજી દીધાં છે.

પન્નાલાલ પટેલે (‘મા’) અને પીતામ્બર પટેલે (‘અંજળપાણી’) ભેંસને વિશે એકાધિક વાર્તાઓ લખી છે. ભેંસ ભાવના તથા લાગણીનો વિષય હોવા સાથે કુટુંબની કમાનાર સભ્ય પણ છે.

ગુજરાતી કવિતા-કથાની ‘બોડી’ (ભેંસ) આ સંદર્ભે તપાસી શકાય. “ભેંસ અને કુટુંબ : પરસ્પરના સંબંધો, પરિણામો અને પ્રાપ્તિ” એવો વિષય લઈને સમાજવિદ્યાવાળા યુ.જી.સી.માં મેજર રિસર્ચ પ્રોજેક્ટ મૂકી શકે છે. રન-વે ઉપર ભેંસના આગમનથી ઘણી દિશાઓમાં પ્રકાશ ફેલાયો છે. હા, ભાઈ ! ભેંસ કાળી હોવા છતાં એનું શ્વેત દૂધ જો ક્રાંતિ લાવી શક્યું તો એ પ્રકાશ પણ ફેલાવશે જ એમાં બેમત નથી. ભેંસને ગુજરાતી લલિતનિબંધમાં અવતારવાના ‘ભગીરથ’ – પ્રયાસો પણ થયા છે. અમારા એક શિખાઉ ચરિત્ર-નિબંધકારે ‘ના-ગોરી ભેંસ’નું રેખાચિત્ર દોર્યું છે. શબ્દોમાં ! ‘ના-ગોરી’ એટલે કે જે ‘ગોરી’ – ચાંદની જેવી નથી તે – કાળી ભેંસ ! ગુજરાતી નિબંધ ક્ષેત્રે આવું લેખન બલકે અર્પણ વિરલ છે. ભેંસના એમના ચિત્રમાં એમણે ઘણા રંગો પૂર્યા છે, પણ ચિત્ર તો ‘બ્લૅક’ જ છે.

છેલ્લા દોઢ-બે દાયકામાં અનુઆધુનિક ભેંસોના તબેલાઓએ ગામડાંની સિકલ સાવ બદલી નાખી છે. અમારાં ફૂલીમા એક વખત બી.એડ્‌. થયેલા ભત્રીજા હર્ષદને કહેતાં હતાં કે, ‘આ તમારી સરકાર ! માસ્તરોને માંડ ચારપાંચ હજાર પગાર આલે છે ને એનાથી તો આ મારી ભૂરી(ભેંસ)નો પગાર (દૂધની આવક) ચાર ગણો છે, ભૈ ! મારી ભૂરી તો એમ.બી.એ. છે, હા !’ ને તમે નહિ માનો, અમારા હર્ષદે તબેલો કરી દીધો – આજે મહિને લાખ કમાય છે. ને પેલાં સરપંચનાં વહુ રમીલાબહેન તો વર્ષે પચાસ લાખનું દૂધ ભરાવે છે. ભેંસ તો હવે પ્રેરણા બનતી જાય છે. વિકાસના પ્રતીક જેવી ભેંસ પર હવે સંશોધનો ન થાય તો જ નવાઈ ! વિષય તો જુઓ ! એમ.ફિલ. / પી.એચડી.ની પ્રપોઝલ્સ જેવા ! હાસ્તો !

– ‘ગુજરાતના / દેશના આર્થિક વિકાસમાં ભેંસોનું પ્રદાન : એક અધ્યયન.’ (અર્થશાસ્ત્ર વિષયનો પ્રોજેક્ટ)

– ‘ગુજરાતી સાહિત્યમાં ભેંસ-નિરુપણઃ એક અભ્યાસ’ (ગુજરાતી સાહિત્ય)

– પટેલ સર્જકોના કથાસાહિત્યમાં ભેંસવર્ણનઃ સંવેદન અને અભિવ્યક્તિના વિશેષ સંદર્ભમાં અભ્યાસ. (ગુજરાતી સાહિત્ય)

આ ઉપરાંત શાસ્ત્રોમાં એમ.ફિલ. માટે પણ નવો અવકાશ રચાયો છે. ભેંસોના પ્રકારો અને દૂધપ્રાપ્તિ. ભેંસ-ઘાસ-દાણા અને દૂધની માત્રા. વગેરેનો અભ્યાસ. કદાચ, સરકાર ભેંસ માટે થઈને નવી વેટરનરી તથા ડેરી સાયન્સને લગતી યુનિવર્સિટી પણ શરૂ કરે તો નવાઈ નહીં. આથી ગુજરાતને વધુ એક કુલપતિ વિશે જ્ઞાન મળી શકે !

ભેંસો નમ્રતા જાણે છે. ગાયમાતાની જેમ એ બજારનો કચરો નથી ખાતી ને રખડવા પણ નથી જતી. આજકાલ તો પટલાણીઓની જેમ ભેંસો પણ સીમવગડે નથી જતી. ભલો એમનો તબેલો, ખાણદાણ, નહાવું ખાવુ ને દૂધ દેવું, બસ ! લીલાલહેર છે. ભેંસ થોડો વિદ્રોહ પણ કરે છે. જ્યારે માલિક, ‘પાડો’ જન્મે ત્યારે ભેંસની જાણ બહાર એ પાડાને મરાવી નાખે છે ત્યારે ભેંસ બૅંકના કર્મચારીઓની જેમ પ્રતીક હડતાળ પાડે છે. દૂધ નહી આપું ! પણ પછી ‘ક્લિયરન્સ’ વધુ વખત અટકાવી શકાતું નથી !’ અબલા તેરી યહી કહાની-આંચલમેં દૂધ, આંખોમેં પાની’ !

ભેંસની પાસે કાયમ ‘વાગોળવા’ જેવું ઘણું બાકી હોય છે. (ભેંસ ખાવામાં ભીમની બહેન છે.) એટલે એને ‘ભાગવત’ સાંભળવાનો કંટાળો આવે છે. ‘જેની લાઠી એની ભેંસ’ એવું હવે નથી રહ્યું. હવે તો ‘જેની પાસે ખાણદાણ ને રજકો એની સાથે ભેંસ’ – એ વાત બધે જ દેખાય છે. ભાગોળે પણ નહિ જનારી ને શીંગડાંનો ભાર નહિ ઉપાડનારી આજની ડાહી-શાણી ભેંસો હેલીપૅડ તથા રન-વે ઉપર કેમ ગઈ હશે ? અભ્યાસનો ખરો વિષય આ પણ છે. વિકાસ માટે કામ કરતી-દિવસરાતનું દૂધ કરતી ભેંસને શહીદીનો વિચાર આવે, એની પાછળ વિદેશી તાકાતોનો કે દેશના આંતરિક દુશ્મનોનો તો હાથ નથી ? એ વિશે સંસદમાં ચર્ચા થવી જોઈએ, એમ પ્રિન્ટ-મીડિયાવાળા માને છે.

આપણે ત્યાં ભેંસનો મહિમા કરવાનો રિવાજ નથી. એ લાભ આપણે માત્ર ગાયમાતાને ફાળવી આપેલો છે. આ પક્ષપાત માટે ઉદાર-શાંત ભેંસે કદી શીંગડાં માંડ્યાં નથી. ‘આપણા લેખકો અને ચિંતકોના ઘડતરમાં ભેંસની ભૂમિકા’ એવા વિષય પર સુદીર્ઘ સંશોધનલેખ થઈ શકે એમ છે. આજે તો અભ્યાસીઓ આવી વાતે એમફિલ તથા પીએચડી પણ થઈ શકે એટલો વિકાસ થયો છે. ભેંસ પર સવારી કરનારા, નદીતળાવમાં ડૂબતાં ભેંસનું પૂંછડું પકડી (વૈતરણી) તરી જનારા, ભેંસો ચરાવતાં-ચરાવતાં લેખક થઈ જનારા ને નોબેલ મેળવનારા (ચીનમાં) સર્જકોની, ચિંતકોની વાતો આપણે જાણી-માણી છે. હવે બહુધા ભેંસો વાડીમાં ને તબેલામાં માનપાનભર્યું સ્થાન પામી છે. એટલે ભેંસો ચરાવનારા નવા લેખકો આવવાની શક્યતા ઘટી છે. આમાં વાંક ડેરી-વિકાસનો પણ છે. જો કે ‘વિકાસનો વાંક’ કહેવામાં દેશદ્રોહ ગણાય છે.

પાણી અને નહાવાની બાબતે આપણી પરંપરામાં ભેંસને બ્રાહ્મણની સમકક્ષ ગણાવી છે. દા.ત., ‘ભેંસ, બ્રાહ્મણ અને ભાજી / પાણી જોયું એટલે રાજી-રાજી’. રોડ પર ચાલતી ભેંસની નીડરતા તથા ધીરજ જોઈને ઘણા ભેંસને આધુનિક ‘આર.ટી.ઓ.’ની સમકક્ષ મૂકે છે. નાથુકાકા કાદવમાં આળોટતી એમની ભેંસને ભ્રષ્ટાચારમાં આળોટતા નેતાનું નામ આપે છે. ભેંસની કમાણી પર ઘર ચલાવતાં મારાં ધનીફોઈ ભેંસને ‘ધનલક્ષ્મી’, ‘ઊજળી લક્ષ્મી’ પણ કહે છે. પતિસેવા કરવા કરતાં ભેંસસેવા કરવાથી વધુ લાભ મેળવીને સ્વાવલંબી બનેલી પત્નીઓ વધતી જાય છે.

ગ્રામોદ્ધારમાં અગ્રીમ ફાળો આપનાર ભેંસનાં ચરિયાણોમાં હવે ‘હેલીપૅડ’ બની રહ્યાં છે. ભેંસના ‘ચરણપ્રદેશ’માં ‘ઍરપોર્ટ’ દબાણ કરતું ચઢી આવે છે. ત્યારે વાંક ભેંસનો નથી, એ તો એના પ્રિય ચરણપ્રાંતમાં જ હતી … ‘રન-વે’ એનો ‘મરણ-વે’ બન્યો છે, એ યંત્રયુગની મર્યાદા છે. ‘જે પોષતું તેને જ મારતું’ – આ વિપરીત કલ્ચર નહીં ચલાવી લેવાય.

નાથુકાકા મને કહે છે : “મનુભાઈ, અમેરિકામાં ભેંસો નથી એમ સાંભળ્યું છે. ત્યાં તો માઈલોના માઈલો ખાલી વેરાન પડ્યાં છે ને ? જો અમેરિકા ખરેખર રંગભેદમાં ના માનતું હોય, તો ઓબામાએ ભેંસને ‘વિઝા’ આપવો જોઈએને ?! ને દૂધ તો બધાં પ્રાણીઓનું ધોળું જ હોય છે ! જેમ લોહીનો રંગ બધે જ લાલ હોય છે !” જોઈએ હવે ભેંસોનું નસીબ કેવું છે તે ! ઓબામા આવી જ રહ્યા છે …

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2014, પાન 19

Loading

...102030...3,6503,6513,6523,653...3,6603,6703,680...

Search by

Opinion

  • બિઈંગ નોર્મલ ઈઝ બોરિંગ : મેરેલિન મનરો
  • અર્થ-અનર્થ – આંકડાની માયાજાળમાં ઢાંકપિછોડા
  • ચૂંટણી પંચની તટસ્થતાનો કસોટી કાળ ચાલી રહ્યો છે.
  • હે ભક્તો! બુદ્ધિનાશે વિનાશ છે!
  • પ્રમુખ કેનેડી : અમેરિકા તો ‘પરદેશી નાગરિકોનો દેશ’ છે

Diaspora

  • આપણને આપણા અસ્તિત્વ વિશે ઊંડા પ્રશ્નો પૂછતી ફિલ્મ ‘ધ બ્લેક એસેન્સ’
  • ભાષાના ભેખધારી
  • બ્રિટનમાં ગુજરાતી ભાષા-સાહિત્યની દશા અને દિશા
  • દીપક બારડોલીકર : ડાયસ્પોરી ગુજરાતી સર્જક
  • મુસાજી ઈસપજી હાફેસજી ‘દીપક બારડોલીકર’ લખ્યું એવું જીવ્યા

Gandhiana

  • કર્મ સમોવડ
  • સ્વતંત્રતાનાં પગરણ સમયે
  • આપણે વેંતિયાઓ મહાત્માને માપવા નીકળ્યા છીએ!
  • ગાંધીજી જીવતા હોત તો
  • બે પાવન પ્રસંગો

Poetry

  • વચ્ચે એક તળાવ હતું
  • ઓલવાયેલો સિતારો
  • કારમો દુકાળ
  • વિમાન લઇને બેઠા …
  • તારવણ

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day
  • Destroying Secularism
  • Between Hope and Despair: 75 Years of Indian Republic

Profile

  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર
  • મૃદુલા સારાભાઈ
  • મકરંદ મહેતા (૧૯૩૧-૨૦૨૪): ગુજરાતના ઇતિહાસલેખનના રણદ્વીપ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved