કેસરબાઈ : એક તેજઃપુંજ સ્વરનો અસ્ત
(13-07-1892 … 16-09-1977)
કેસરબાઈ કેરકર — આ નામનો ભારતીય અભિજાત સંગીતના વિશ્વમાં શો અર્થ હતો એ કહેવું હોય, તો એ માટે કેસરબાઈની ગાનપ્રતિભા જેવી જ ઊંચી લેખનપ્રતિભા જોઈએ. એમ કહીએ કે સંગીતવિશ્વનો તેઓ એક ચમત્કાર હતાં તો એમની એ જન્મજાત પ્રતિભાની સાથોસાથ એમણે કરેલી તપસ્યાને ગૌણત્વ આવે. ઠીક, તનતોડ મહેનત કરી એટલું જ કહીએ તો એમની બુદ્ધિમત્તાનો અનાદર થયો ગણાય. એક મહાન ગાનપરંપરાને નિષ્ઠાપૂર્વક ઉજ્જવલ કરનારાં હતાં એમ કહીએ તો એમના પર આંધળા અનુકરણનો આરોપ મૂકાયો ગણાય. વળી, એ પરંપરાના તેમ જ અભિજાત સંગીતની નિષ્ઠાપૂર્વક તેમ જ દૃષ્ટિવંતતાથી ઉપાસના કરનારા અન્ય ઉત્તમ ગાયક-ગાયિકાઓનું વિના કારણ અપમાન કર્યાં જેવું ગણાય. આખરે શબ્દોની મર્યાદા ધ્યાનમાં લેતાં એટલું જ કહી શકાય કે એમનું ગાન શું હતું એ તો તેમની સામે મહેફિલમાં બેસીને જેમને તેમને સાંભળવાનો લહાવો મળ્યો એ જ જાણે. ગૌરવપ્રદ રૂઢ વિશેષણો અહીં પોલાં લાગવા માંડે છે.
ત્રણ-સાડાત્રણ મિનિટની તબકડી(થાળીવાજું)માંથી કેસરબાઈના ગાનનો અંદાજ બાંધવો એ તો લગભગ ચિત્રમાંનું ફૂલ જોઈને એની સુગંધના અંદાજ લીધાં જેવું ગણાય. એ ગાયિકાનાં ગાન અને દર્શનમાં પણ એક અદ્ભુત એકરૂપતા હતી. મહેફિલમાં કેસરબાઈનું એ રૂઆબભેર આગમન, એ જ અર્ધી મહેફિલ જીતી લેતું. એમની ગાયકીમાંનો એ રૂઆબ એમના વર્તનમાંયે દેખાઈ આવે. કેસરબાઈની કોઈ વાત કરવાની હોય તો કેટલાં ય જણાંને એમનું આ વિલક્ષણ ‘સામ્રાજ્ઞી’પણું જણાયું હોય એવું સતત જણાતું રહે. કેસરબાઈ અને તેમનું ગાન એ કાંઈ આમ વાત કરતાંકરતાં કે ગામગપાટા હાંકતા કરવાની વાત નથી. કાલિદાસ કે ભવભૂતિની વાત પણ એમ ટાઢા પહોરના ગપ્પા હાંકતી વેળાએ કરી ન શકાય. એ પણ કવિ અને નાટ્યકાર સ્તો. પણ એમના સર્જનની ગહનતાના આપણા મન પર એવા તે કાંઈ સંસ્કારો થયેલા હોય છે કે એ આપણી અંદર પ્રવેશ કરે તોયે તેમના માટે આદરાર્થે ઉત્પન્ન થયેલું એક અંતર તો રહે જ છે. કેસરબાઈ માટે પણ એવું જ હતું. કલાક્ષેત્રમાં પણ ‘તપ’નો પોતાનો પણ એક અધિકાર હોય છે. એ તપની સાક્ષી માટે કેસરબાઈના પહેલા ષડ્જ પરનો ‘આ’કાર પૂરતો. તેજઃપુંજ ષડ્જ. તાનપુરાની કેટલીક ક્ષણોનાં ગુંજન પછી પહેલો ષડ્જ લાગે કે આખી ય મહેફિલ કોઈ એક અનિવર્ચનીય અનુભૂતિનું દાન પોતાના ખોળામાં પડી રહ્યું છે એવી અપેક્ષાથી પહેલેથી કૃતાર્થ થયેલી હોય.
મધ્યમ ઊંચાઈ, ગૌરવર્ણ, વિલક્ષણ તેજસ્વી આંખો, દૃઢનિશ્ચયી મોંફાડ, હોઠના ખૂણા પાનને લીધે જરી વધુ લાલ થયેલા, કાનમાં હીરાના કાપ, હાથમાં હીરાની બંગડીઓ, આંગળીએ વીંટી પણ હીરાની, કંઠે ફક્ત એક સેરની મોતીની માળા, રજવાડાનાં ઠકરાણાં જેવી ઊંચાઈ પણ સાડી સફેદ ક્યાં તો મોતિયા રંગની – માથે ઓઢેલું, પહેરવે-ઓઢવે ને બોલવે-ચાલવે એમના પહેરવેશને શોભે એવો દમામ. મહેફિલમાં કોઈ પરિચિતને ઓળખાણ આપીએ ત્યારે એમાંથી મહેરબાની જ દેખાય એવી એમની ઢબ. ટૂંકમાં આ બધાંમાંથી ઊભી થતી એક છાપ એટલે ‘રૂઆબ’! પણ એમનો આ પ્રથમ દર્શનનો દેખાવ એટલે એમના એ પછી થનારા ગાનનું જડતર જ સમજી લો. એ ગાન સાંભળવા આવનારો શ્રોતા પણ એ અનુભવ પામીને ઐશ્વર્યશાળી થઈ જતો. ઐશ્વર્ય એ ઈશ્વરનું ભાવવાચક નામ છે એની પ્રતીતિ આવી તપઃપૂત કલા જ કરાવી શકે.
હું બડભાગી કે એમનું ગાન સાંભળવાનો અને એમના પરિચયનો લહાવો મને મળી શક્યો. ભાસ્કરબુવાને હું ન તો સાંભળી શક્યો કે ન મળી શક્યો, એમ કહોને કે વઝેબુવાને એમની પાછલી ઉંમરમાં પણ મારે મળવાનું થયું, મંજીખાં અને ભૂર્જીખાંને પણ મળવાનું અને સાંભળવાનું થયું. પણ એક માત્ર કેસરબાઈ સાંભળવા તો મળ્યાં, ગોષ્ટી કરવા મળ્યાં, દિલખુલાસપણે તેઓ મારી સાથે વાત કરતાં. એમનું આતિથ્ય પણ હું પામ્યો, આ ભાગ્ય નહીં તો બીજું શું! ત્યારે મને કોક જ્યોતિષીએ કહ્યું હોત કે ઇંગ્લૅંડના મહારાણી સાથે ઓળખાણ થવાનો મારો યોગ છે તો એમાં મે વિશ્વાસ મૂક્યો હોત પણ “અલ્યા, ખાઈ લે પાન, ચૂનાથી જીભ છો દાઝતી.” એમ કહેતાં કેસરબાઈ મને પાન બનાવી આપશે, એમાં ભારોભાર તમાકુ નાંખશે અને “… માર પિચકારી પેલી ગૅલેરીમાંથી, કોઈને માથે ન પડે એ જોજે હં કે.” કહેશે એવું મને સાક્ષાત્ બ્રહ્માજીએ આવીને કહ્યું હોત તોયે મેં માન્યું ન હોત, મનાય પણ કઈ રીતે?
કેસરબાઈને મેં પહેલી વાર એક લગ્નમાં સાંભળેલાં, ત્યારે હું બારતેર વર્ષનો હોઈશ. પણ સંગીત એ કાંઈ છોકરાંઓની રમત નથી એ ઠસાવનારું એમનું એ બાહ્યરૂપ અને અંતર્દર્શન મારા મન પર આનંદની સાથે એક બીક પણ ઠસાવતું ગયું. આજકાલ હું જોઉં છું તો મહેફિલમાં આવનારા કલાકારો નમ્રતા, અદબ, શાલીનતા જાળવતાં આવે. પુરુષ કલાકારો અને ખાસ તો વાદ્યકલાકારો પણ જરા ‘બનઠનકે’ આવે. પણ ફૈયાઝખાં, થિરકવાખાંસાહેબ તો ગાયિકાઓમાં કેસરબાઈ જેવા ફક્ત એમના આગમન માત્રથી જ એક દોરદમામ ઊભો કરી મૂકે, એવા કલાકારો તો ભાગ્યે જ જોવા મળે. અહીં સવાલ ફક્ત સુંદરતાનો જ નહીં પણ એક જાતના રૂઆબભેર ‘બેરિંગ’નો છે.
બીજું મહાયુદ્ધ શરૂ થતાં પહેલાંનું મુંબઈ કેવું હતું એ જેણે જોયું હશે તે જ જાણી શકે કે મુંબઈમાં સંગીતક્ષેત્રમાં કેસરબાઈનું કેવું સ્થાન હતું! મહેફિલમાં મલમલનું ધોતિયું, ડગલો, ડબલ ઘોડા સિલ્કનું શર્ટ, એને કૉલરને છેડે હીરાનું એકાદું બટન, કાળી કાં તો વેલબુટીવાળી ટોપી, પગમાં પંપ શૂ — આવો પહેરવેશ ફૅશનમાં (ઇન) હતો એવો એ જમાનો. ‘શાસ્ત્રીય સંગીત લોકાભિમુખ કરવું જોઈએ.’ વગેરે ઘોષણાઓ શરૂ થતા પહેલાંનો. એ જમાનાના બધાં જ ગાયકો-ગાયિકાઓ શ્રેષ્ઠ હતાં, એવું જરાયે નહોતું. દરેક જમાનામાં એમનાં શિખરો હોય છે, આજેય છે. પણ ઓગણીસો ત્રીસ સાલથી આડત્રીસ-ઓગણચાળીસ સુધીનાં આઠ વર્ષો જૂના મુંબઈના પોતાના વ્યક્તિત્વનાં આખરી વર્ષો.
પછી તો વિશ્વયુદ્ધ શરૂ થયું, રેશનિંગ, કાળા બજાર, ભયાનક સંહાર, અનેક ઉથલપાથલ થઈ. ફક્ત મુંબઈમાં જ નહીં આખા ય વિશ્વમાં એક જોરદાર સાંસ્કૃિતક-રાજકીય-આર્થિક પરિવર્તન આવ્યું. પચરંગી મુંબઈ સતરંગી થયું. જૂના મુંબઈના માથા પરની પાઘડી પરથી માણસની જાત પરખાતી. પણ પછી તો પાઘડીએ માથાના ઉપરના જ નહીં અંદરના ભાગનો પણ કબજો લીધો. અંગ્રેજોની ગુલામીને લીધે હૅટ અને જાતિની ગુલામીને લીધે પાઘડી. એમાં જ ‘ખાનદાન’ની રૂઢિ સમાયેલી રહેતી. એ બધી કાંઈ બહુ શાણીસૂફિયાણી હતી એવું નહોતું પણ જેમના ગાનમાં જવાથી એવી ખાનદાનીને કોઈ વાંધો નડતો નહીં, ઊલટાની ખાનદાની વધતી એવી આંગળીને વેઢે ગણાય તેવી ગાયિકાઓ હતી. એમાં મારા નાનપણમાં કેસરબાઈ મોખરે હતાં, એના પહેલાં અંજનીબાઈ માલપેકર(કુમાર ગંધર્વનાં માઈ)નું પણ એ જ સ્થાન હતું.
શ્રીમંતોને ત્યાંનાં લગ્નોમાં એક શરત એટલે કેસરબાઈનું ગાન. વરરાજાની મા પણ નીચું જોઈ જાય એવા ઠાઠમાઠમાં કેસરબાઈ ગાવા આવે! દિવસ આખો માંડવા નીચે વેવાઈવેવાણોએ જે કાંઈ માનપાન કરાવી લેવાં હોય તે કરાવી લેવાનાં પણ રાત્રે એક વાર કેસરબાઈનું ગાન શરૂ થાય એટલે એ માંડવાના અભિષિક્ત રાણી એટલે કેસરબાઈ. એ માંડવામાં ફરતી બાઈબહેનોની સમજમાં આવે એવું એ ગાન નહોતું, એટલું જ નહીં પણ જે માતબર યજમાનો ગાનનું ગોઠવતા એમને ય સમજાય કે કેમ એ પણ સવાલ જ. એ લોકોને ગમતું ગાન ભલેને જુદું હોય પણ એ લોકો બરાબર જાણે કે એમની ગમતી ફરમાઇશ આ ગાયિકા સામે નહીં ચાલે. અને આમે ય સામે બેઠેલાઓના ગમા-અણગમાને ધ્યાનમાં લઈને ગાવું એવો મામલો કેસરબાઈએ એમની જિંદગીમાં ક્યારે ય ચલાવી લીધો નહોતો.
મેં કેસરબાઈને પહેલવહેલાં જોયાં તે ગ્રાંટ રોડ પાસેના મુઝફરાબાદ હૉલમાં. આમ જ, લગ્નના એક ગાનમાં. ત્યારે શ્રીમંત ઘરનાં લગ્નો આ મુઝફરાબાદ હૉલમાં થતાં. ઝુમ્મર-હાંડી-ગાલીચા એવો નવાબી ઠાઠ હોય. બહાર પીકૉક કે પોલીસ બૅન્ડ ‘ઇટ્સ અ લૉંગ લૉંગ વે ટુ ટિપરારી’ એ ગીત વિશ્વયુદ્ધ પતી ગયું તોયે વગાડનારું. આ જ મુઝફરાબાદ હૉલમાં થયેલી એક ઘટનાને લીધે કેસરબાઈની જિંદગીને કેવો વળાંક મળ્યો એની હકીકત મને એમણે જ કહી સંભળાવી હતી.
એક અદ્ભુત યોગાનુયોગને લીધે કેસરબાઈના દાદરના શિવાજી પાર્કના એમના ઘરે દસબાર દિવસ સુધી એમની સાથે રોજ પાંચછ કલાક વિતાવવાનું થયેલું. સાતેક વર્ષ પહેલાંની વાત. શાંતિનિકેતનના આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત શિલ્પકાર શ્રી શર્વરીરૉય ચૌધરી સંગીતના પરમ ભક્ત. એમના સંગ્રહમાં અક્ષરશઃ ચારસો-પાંચસો કલાકનું રેકૉર્ડિંગ છે. એમને ખબર પડી કે હું કેસરબાઈને ઓળખું છું તો એ ક્યારનાયે પાછળ પડેલા કે ગમે તે કરો પણ કેસરબાઈ મને સિટિંગ આપે એવું કરો. મારે એમનું બસ્ટ (અર્ધપ્રતિમા) કરવી છે. આ પણ એક જાતનું ધર્મસંકટ કારણ કે કેસરબાઈને ‘તમે આમ કરો.’ એમ કહેવું પણ અશક્યવત્. મહેફિલમાં ફોટોગ્રાફર આવે તો એને ‘ગામની બહાર કાઢી મૂકો’ કહેવામાં આગળપાછળ ન જોનારા માઈને કહેવાનું કે ‘તમે મારા શિલ્પકાર મિત્ર માટે રોજ પૉઝ આપીને બેસો.’ એ તો મારી ધીરજની કસોટી જ. પણ આ પહેલાંયે આવી જાતનું સાહસ ખેડવાનું મારે ફાળે આવેલું જ હતું. હીરાબાઈ બડોદેકરની એકષષ્ઠી પાર્લાના ટિળકમંદિરમાં ઊજવવાની હતી અને એ માટે કેસરબાઈને અધ્યક્ષ કરવાનું વિચારેલું. એમના બંગલાના દાદરા ચઢીને ત્રીજે માળ પહોંચતા સુધીમાં મને ‘રામરક્ષા-સ્તોત્ર’ મોઢે ન હોવાનો અફસોસ થઈ આવેલો અને કેસરબાઈએ તો મારા આશ્ચર્ય વચ્ચે મને અચંબામાં નાંખી દીધેલો.
“અરે, ચંપુ(હીરાબાઈ)ને તો મેં હિંમત આપીને કલકત્તાની કૉન્ફરન્સમાં ગાવા બેસાડેલી, ભારે બીકણ. હું સમારંભમાં તો આવું છું પણ એ ભાષણો-બાષણો તારે આપવાનાં, એ વાયડાઈ તને સારી ફાવે છે. હું તો ફક્ત આવીશ, ચંપુને પીઠ પસવારીને એને આશીર્વાદ આપીશ.”
આંખો આંજી નાંખનારા એ તેજસ્વી પણ નક્કોર હીરાની અંદર રહેલું, જેને કોંકણીમાં માયાળુપણું કહે છે એ મને તે દિવસે દેખાયું. સાઠ વટાવી ગયેલાં હીરાબાઈ બડોદેકર કેસરબાઈ માટે તો હજીયે ‘કૉન્ફરન્સમાં ગાનારી બીકણ સોળ વર્ષની ચંપુ જ’ હતી. ત્યારબાદ તો કેટલાંયે વર્ષો સુધી બધી મોટીમોટી કૉન્ફરન્સમાં કેસરબાઈ, હીરાબાઈ અને ફૈય્યાઝખાંસાહેબનો ત્રિવેણી સંગમ તો હોય જ. હીરાબાઈના સત્કારમાં કેસરબાઈ આવ્યાં, એમના હસ્તે હીરાબાઈને જન્મદિવસની ભેટ અર્પવામાં આવી. હજારો લોકોની સામે હીરાબાઈએ માઈના ચરણમાં માથું ટેકવ્યું અને માઈએ ચંપુને પોતાના પડખામાં લઈને જોરથી બાથ ભરી. મહેફિલના મંચ પર પોતાની છાપ જરા જેટલી પણ બગડવા ન દેનારા કેસરબાઈનું એ દર્શન. એક સાવ જ જુદા ઘરાનાની ગાયકી ગાનારા હીરાબાઈ માટેની એમની આત્મીયતા એ બાથમાંથી જે દેખાઈ આવી તે હજારો શબ્દોમાંયે થઈ ન હોત. આટલું પ્રભાવશાળી મૂક અધ્યક્ષીય વકતવ્ય મેં એ પહેલાં અને એ પછી ક્યારે ય સાંભળ્યું નથી. બધાને થયું કે તેમણે જાણે ગંગાયમુનાનો સંગમ નિહાળ્યો.
મુંબઈ વિદ્યાપીઠના સંગીતવિભાગનું ઉદ્ઘાટન કેસરબાઈના હસ્તે થયું. હસ્તે એટલે અક્ષરશઃ હસ્તે. એટલે હવે પાછું એમને વિનંતી કરવાનું મારે માથે જ આવ્યું. મેં રીતસર એમનો ગુસ્સો સહન કર્યો. “કહી દઉં તને, હું કાંઈ ભાષણ કરવાની નથી.” મેં એ શરત મંજૂર કરી. ઉદ્ઘાટનના દિવસે રંગમંચ પર ફક્ત એક તાનપુરો તાર મેળવીને રાખ્યો હતો. મેં એમને વિનંતી કરી, હવે સૂરશ્રી કેસરબાઈએ આ સંગીતવિભાગનું ઉદ્ઘાટન આ તાનપુરો છેડીને કરશે. માઈ બહુ જ થાકેલાં હતાં તોયે એમના પહેરવેશ કે એમના રૂઆબમાં ક્યાંયે કોઈ કમી નહોતી. હું એમને તાનપુરા તરફ લઈ જતો હતો ત્યારે એમણે મને વચ્ચે પૂછ્યું કે ‘તાનપુરો સરખો મેળવ્યો છે ને?’ જેણે મેળવેલો એણે પોતાના કૌવત પ્રમાણે મેળવેલો. એમણે તાર છેડ્યા અને એમણે મારી સામે જે જોયું: ‘ધરતી ફાટે ને મને એમાં સમાવી લેતો સારું.’ એવું મને થવા લાગ્યું. લોકોએ પાડેલી તાળીઓના ગડગડાટમાં એ તાનપુરો કોઈને સંભળાયો નહીં એટલા કહોને કે નસીબ. ત્યાર બાદ ઘણા દિવસ એક વાર મને મળ્યાં તો કહે, “કેમ લ્યા, તારી એ યુનિવર્સિટીમાં તાનપુરો મેળવાયો કે નહીં હજી સુધી?”
અધ્યક્ષપદનું તો સમજ્યા પણ ‘પૂતળા માટે પોઝ આપશો કે?’ એ કઈ રીતે પૂછવું? આટલા પરિચય પછી પણ મહેફિલમાંનો એમનો તોર તો હતો જ. લક્ષ્મીબાગની એ મહેફિલો, મુંબઈના છગનલાલ જેવા બૅરિસ્ટરો, વિખ્યાત સૉલિસિટર્સ, નિષ્ણાત ડૉક્ટર્સ, સર્જન્સ, ધનવાન ભાટિયાઓ, વિવિધ ઘરાનાઓના ઉસ્તાદો, એમના શાગિર્દો, કેસરબાઈના મરાઠી-ગુજરાતી-પારસી ભક્તો, એમની વિરોધી ભક્તિ કરનારા કેટલાક જણ, ગાનમાંની એકેકી જગ્યા નોંધનારા રસિક શ્રોતાઓ અને ભટવાડીમાં આવેલા લક્ષ્મીબાગના હૉલ સામેના ફૂટપાથ પર પલાંઠી ઠોકીને બેસનારા અમારા જેવા — મુંબઈની ભાષામાં કહેવું હોય તો ‘કડકા કંપની’માંના લક્ષ્મીજીના સાવકા પુત્રો.
અંદરની બેઠકનો દોરદમામ બહારના ફૂટપાથની ભીડ સુધી ફેલાયેલો. ક્યાંયે ચૂં કે ચા નહીં. દાદ પણ જતી તો જાણે મહારાણીને નજરાણું પેશ થતું હોય તેમ. અજાણ્યો રાગ શરૂ થાય તો અજાણ્યાઓનાં ભવાં જાણકારોની દિશામાં પ્રશ્નાર્થક થઈને ઊંચા થતાં. બાઈને રાગ પૂછવાની દેન મુંબઈના ગોરા પોલીસ કમિશ્નરને ય નહોતી. એવી ફાલતુ-ઉડેલ દાદને ત્યાં કોઈ સ્થાન નહોતું. પહેલી વાત તો એ ગાન જ ‘આહાઉહુ’ કરાવવામાનું નહોતું. ધારાપુરી (એલિફન્ટા)ની ત્રિમૂર્તિ સામે ઊભા રહ્યા પછી મનમાં જે ભાવ ઊભરાય તેવી હાલત એ ગાયકીને કાન અને મન દઈ દીધા પછી થતી. બાઈ પાછાં કોઈની શેહશરમમાં તણાય એમાંના નહોતાં. એ માત્ર એમની સ્વભાવગત ખાસિયતને લીધે નહીં પણ આ રૂઆબ એમની ગાયકીનો જ હતો. એમ તો પાછાં એ ગજબનાં હાજરજવાબી પણ ખરાં. એમની ગોવાની મત્સ્ય-સંસ્કૃિત, એને લીધે કાંટા કાઢવાનું એમને સહેલું થઈ પડે. મહેફિલમાં કોઈ આલતુફાલતુગીરી કરે કે પછી દોઢડહાપણ કરે તો ત્યાં જ એનો કાંટો કાઢતાં. એમની પાછલી ઉંમરની એ મહેફિલ, એમની જ ઉંમરના પણ જરી દોઢડાહ્યા એક શ્રોતાએ એમને ઠુમરી ગાવાની ફરમાઈશ કરી તો ખાસ મુંબઈની ગુજરાતીમાં એમણે એ મહાશયને કહ્યું, “શેઠજી, ઠુમરી સાંભળવાની તમારી ઉંમર જતી રહી અને ઠુમરી ગાવાની મારીયે ઉંમર જતી રહી.” નાશિકની એક મહેફિલમાં મેં એમની બનારસ ઢંગની લાજવાબ ઠુમરી સાંભળી છે. પણ ઠુમરીની ફરમાઈશ? અબ્રહ્મણ્યમ્ !
હવે આવાં માઈને ‘પૂતળા માટે પોઝ આપીને બેસો.’ એ કહેવું કેમ કરીને? પણ એમનું પૂતળું થાય અને કલકત્તાની કૉન્ફરન્સમાં કિશોરવયથી માંડીને એમનું ગાન સાંભળીને ગાંડા થઈ ચૂકેલા શર્વરીબાબુના હાથે જ એ મૂર્તિ ઘડાય એવું મને ય થતું જ હતું. એમાં વળી કેસરબાઈની ઢળતી ઉંમર. વૃદ્ધાવસ્થાના મધુમેહ અને રક્તદાબ જેવા દુશ્મનોએ એમના પર શરૂ કરેલો હુમલો. ભારતીય સંગીતના સોનપીપળા પરનું પાંદડું ક્યારે ખરી પડે તેનું કહેવાય નહીં. મેં જ હામ ભીડી.
“માઈ, તમારું એક કામ છે.”
“જો, અધ્યક્ષ-બધ્યક્ષનું હોય તો ચા પી, પાન ખા અને ઘરે જા.”
“ના ના, એવું કશું નથી. શાંતિનિકેતનમાં મારો એક મિત્ર રહે છે, એને તમારું કામ છે.”
શાંતિનિકેતનનું નામ પડતાં જ એ વૃદ્ધ આંખો ચમકી ઊઠી: ‘જો, સામે જો.’ તેમણે દિવાલ પરની છબી બતાવી. રવીન્દ્રનાથ ટાગોરના હસ્તાક્ષરમાં મજકૂર લખેલો હતો. તેમણે કહ્યું, “જો, રવીન્દ્રનાથે મારું ગાન સાંભળીને શું લખ્યું છે, તે વાંચ તો.”
સાલ 1938ના એપ્રિલ મહિનામાં કેસરબાઈનું ગાન હતું, ગુરુદેવ ત્યારે સિત્યોત્તર વર્ષના. માઈ પિસ્તાળીસનાં. એમનું ગાન સાંભળીને ગુરુદેવે લખેલું: “આ ગાન એટલે અપ્રતિમ પરિપૂર્ણતાનો એક કલાત્મક ચમત્કાર છે. કેસરબાઈનું ગાન સાંભળવાની તક મને મળી એ મારાં સદ્ભાગ્ય છે. એમના અવાજમાંનો જાદુ, વિવિધ પ્રકારના સ્વરભેદો(મૉડ્યૂલેશન્સ)થી સંગીતમાં રહેલું વૈશિષ્ટ્ય દર્શાવવું અને તે ય વાદ્યના શરણ વગર, યંત્રવતતા વગર અને વિદ્વત્તાનું પ્રદર્શન કર્યા વગર — સંગીતમાં રહેલો ચમત્કાર પ્રકટ કરવો, જન્મજાત પ્રજ્ઞાવાન (જિનિયસ) માટે જ શક્ય છે, એ કેસરબાઈએ ફરીફરીથી સિદ્ધ કરી બતાવ્યું છે. આજની સંધ્યાકાળે મને આ અણમોલ અનુભૂતિનો લહાવો આપ્યા બદલ કેસરબાઈને મારા ધન્યવાદ અને આશીર્વાદ.”
ગુરુદેવે જ કેસરબાઈને ‘સુરશ્રી’ની પદવિ આપેલી.
જેમનું સમગ્ર વ્યક્તિત્વ સુરોથી ભર્યુંભર્યું હોય એવા મહાકવિ શ્રોતા અને તપઃપૂત સુરોથી અંતર્બાહ્ય પ્રજ્વલિત થયેલાં આ મહાન કલાવતી ગાયિકા. પ્રાચીન કાળના પુરાણકારોએ કહ્યું હોત કે તે સમયે દેવોએ સ્વર્ગમાંથી પુષ્પવૃષ્ટિ કરી.
“અરે, જાણે ચિત્ર બનીને ગાન સાંભળી રહ્યા હતા.”
મેં પણ રવીન્દ્રનાથની અદૃશ્ય આંગળી પકડીને પૂતળાની વાત કાઢી.
“લે, મારું— એક ડોસીનું —પૂતળું! કેમ તને મશ્કરી કરવા મારા સિવાય આજે બીજું કોઈ મળ્યું નહીં કે શું?”
એક વાર એ મનમોકળાં થઈ જાય ને પછી માઈ અસલ કોંકણીમાં વાત કરવા લાગે. મારી એકાંકી ‘બટાકાની ચાલ’ કે નાટિકા ‘વાયરા સંગે બારાત’ વગેરેમાંની મારી લીલાઓ એમણે જોઈ હોવાથી એમના માટે તો ‘વાયડાઈ’ એ જ મારો સ્થાયીભાવ!
“ના માઈ, મશ્કરી નથી. તમે એક વાર મારા આ મિત્રને તક તો આપો. તમારો પરમ ભક્ત છે, યુરોપ-અમેરિકામાં નવાજાયેલો શિલ્પકાર છે. સ્વભાવે સાવ નાના બાળક જેવો.”
“શું નામ કહ્યું તેં?”
“શર્વરી.”
“કેવું, છોકરી જેવું નામ!”
“હવે એ નામ મેં થોડું પાડ્યું છે? પણ સાવ નિર્દોષ માણસ અને ઉત્તમ આર્ટિસ્ટ, તો …?”
“અલ્યા, પણ મારાથી બહુ બેસાતું નથી.”
“એ તો તમારી તબિયત સાચવીને જ બેસવાનું ને …!”
“પણ મારી એક શરત, એ પૂતળું થાય ત્યાં સુધી તારે રોજ આવીને અહીં બેસવાનું.”
“હું શું કરું બેસીને?”
“વાતો કરતો બેસજે, મારી સાથે. હું એ બંગાળી સાથે શું વાત કરવાની?”
“એને હિંદી આવડે છે.”
“છો આવડતું.”
“ભલે, મારી પણ એક શરત. તમારી પાસે તમારાં ગાયનની જે બધી ટેપ્સ છે તે તમારે મને સંભળાવવી પડશે હોં ને.”
“સંભળાવીશ.”
મારા જન્માક્ષરમાંના બધાયે શુભગ્રહો તે વખતે કેસરબાઈના ‘પરાગ’ બંગલાના એમના દિવાનખાનાના ત્રીજા માળના દિવાનખાનામાં આવીને ભેગા થયા હતા.
મેં શર્વરીને તાર ઠોક્યો. એ તો બિચારો પૂતળા માટે જોઈતી ગુણીભર માટી મસળીકરીને જ લઈ આવ્યો, એને હું માઈના ઘરે લઈ ગયો. શર્વરી તો એમના પગમાં દંડવત્ પ્રણામભેર. અને એ પછીના દસબાર દિવસ તો એક ઓચ્છવ જ રહ્યો. આ બાજુ શર્વરીની આંગળીઓ માટીમાંથી કેસરબાઈની પ્રતિમા આકારી રહી હતી અને માઈ પોતાની જિંદગીનાં અસંખ્ય સ્મરણો સંભળાવી રહ્યાં હતાં. કેટલાંક સુખદ તો કેટલાંક દુઃખદ. વચ્ચે જ ક્યારેક ડૉ. ફળણીકર પણ આવી ચઢતા. એક નામાંકિત ભિષગ્વર્ય (વૈદરાજ). ઊંચાપુરા અને હાડેતા પણ માઈની સામે સાવ નાના છોકરા જેવા. માઈએ એમને એક વાર કહેલું, “ડૉક્ટર, મને થોડા દિવસ માટે તો સાજી કરો. જુઓ, કેવું ગાઈ સંભળાવું છું તે.” માઈના પરમભક્ત એવા ડૉ. ફળણીકરને આંસુ છુપાવવા પડતાં.
માઈ ખુરસી પર મોટે ભાગે સ્વસ્થ બેસી રહેતાં. શર્વરી પોતાના કામમાં મશગૂલ. વાર્ધક્યમાંયે પોતાનો અંગભૂત મિજાજ ન ગુમાવનારા પણ માંદગીને લીધે જર્જર થતાં જતાં માઈની સામે જોતાં રહેતાં મનમાં વિચાર આવતો: ‘બહારથી થાકેલાં દેખાતાં દેહના રંધ્રેરંધ્રમાં કેવો અનાહત એક તાનપુરો વાગતો હશે! મનમાં જ કેટલા ય રાગ, કેટલીયે બંદિશો, કેટલી ય સુરવાલિઓ, કેટલી ય તાન, કેટલાયે બેહલાવા(આલાપ જેવી તાન)ની મુલાકાતો થતી રહેતી હશે! આમ અંદર ને અંદર જ સૂર ગોરંભાયેલા હોય અને વૃદ્ધાવસ્થાને લીધે એ બહાર વહેતા બંધ થાય – આ તે કેવી પીડા? એ સૂરો જેવી જ મહેફિલોનાં અસંખ્ય સંભારણાં.’
એક વાર આમ જ કોઈ વાત સંભારતા એમણે મને પૂછ્યું, “તેં પહેલવહેલી વાર મને ક્યાં સાભળી? હું કાંઈ કોઈ દિવસ ગણપતિ-ઉત્સવમાં ગાવા ગઈ નથી?” અમારી મુખ્ય શ્રવણસાધના ક્યાં પૂરી થઈ તેની માઈને પૂરી ખબર ક્યાંથી પડી એ તો ભગવાન જાણે!
“મુઝફરાબાદ હૉલમાં, એક લગ્નમાં.”
“મુંબઈકર શેણવેને ત્યાંના લગ્નમાં હશે. એ હૉલની તે તને શી વાત કરું!” કહીને એમણે એ વાત મને કરી. એ વાત કરવા લાગે કે શર્વરી એમના ચહેરાને એકીટશે જોઈ રહે. એમના ચહેરા પર બદલાનારા ભાવ જોઈને મને કહે,
“પુલદા, કી શુંદર, કી શુંદર .!”
“આ ગાંડાને મારા ચહેરામાં સુંદર તે વળી શું દેખાય છે? પેલો ફોટો જો.” ત્યાં દિવાલ પર માઈનો યુવાનીમાંનો એક ફોટો ટીંગાડેલો હતો.
“લ્યા, જો. પેલા જેવું મારું પૂતળું બનાવજે. જો ડોસી બતાવી છે તો વાત છે તારી.” પૂતળા માટે પોઝ આપવા – શાંતાનંદજીના આશ્રમમાં બાપુજીએ રોટલી કેવી બાળી નાંખી હતી .. શાંતાનંદજી ગાયોની સેવા કેવી તન્મયતાથી કરતા …
બેસતી વખતે પણ મહેફિલના ઠાઠમાઠમાં જ બેસવાનું. ‘ચલાવી લો, ફવડાવી લો’ એવી ભાષા મહેફિલમાં તો નહીં જ પણ રોજિંદી દિનચર્યામાં પણ ક્યાંયે નહીં.
“માઈ, પેલા મુઝફરાબાદ હૉલની બીજી વાતો કરો ને.” મેં કહ્યું.
ત્યારે માઈની યુવાની, વઝેબુવા, બરકતુલ્લા, કદાચ ભાસ્કરબુવા પણ ખરા. — આ બધાની એમને તાલીમ મળેલી. બધા કહેવા લાગ્યા કે આ છોકરી આગળ જતાં નામ કાઢશે. એ જ અરસામાં મુઝફરાબાદ હૉલમાં એક જાણીતાં ગાયિકાનું પણ ત્યાં ગાયન હતું, ખાનગી બેઠક હતી. કેસરબાઈ એમને સાંભળવા ગયાં અને કોઈએ એવો આગ્રહ ધર્યો કે શરૂઆતમાં કેસરબાઈએ ત્યાં ગાવું. કેસરબાઈએ નમ્રતાથી કહ્યું, “આવડાં મોટાં ગાયિકાની સામે હું તો છોકરું કહેવાઉં, મને એમની સામે ગાવાનું કહેશો નહીં.” પણ એમને ગાવા માટે ખૂબ આગ્રહ થયો, એમણે શરૂઆતમાં પોતાનું ગાન આરંભ્યું. પોતે યુવાન, સામે સાંભળનારા માતબર બધા, એમાંયે પેલાં ગાયિકા, એમના ચાહકો — કેસરબાઈના મન પર ભારે બોજો. “… તોયે એ જમાનામાં મને જે આવડતું હતું તે મેં ગાયું, લોકોને ગમ્યું પણ ખરું. મારા પછી પેલાં ગાયિકાનું ગાન. હું ઊભી થઈ પછી બધાંને સંભળાય તેમ મોટેથી પેલાં ગાયિકાએ કહ્યું, ‘થોડી વાર થોભો, અહીં લાગેલા બધા બે-સૂર પહેલાં હૉલની બહાર જવા દો, પછી હું ગાઈશ.’ ”
એ રાત કેસરબાઈએ રડીને કાઢી. પણ તે દિવસે જ નિર્ધાર કર્યો: ‘એક દિવસ હું એવું ગાઈશ કે પેલાં ગાયિકા બહેન થયાં હતાં કે નહીં તે પણ કોઈને યાદ નહીં રહે.’ એ જમાનામાં સંગીતની દુનિયામાં અલ્લાદિયાખાંસાહેબનું નામ પ્રાતઃસ્મરણીય ગણાતું. ભાસ્કરબુવા જેવા પ્રતિભાસંપન્ન ગાયકો પણ એમની સામે નતમસ્તક રહેતા. ખાંસાહેબ ત્યારે કોલ્હાપુરમાં છત્રપતિ શ્રીશાહુમહારાજના દરબારમાં હતા. તેઓ તો મુંબઈ આવીને રહે એ શક્ય નહોતું. પણ કેસરબાઈએ તો જિદ ધરી કે શીખીશ તો ખાંસાહેબ પાસે જ. પોતાનાં પ્રથમ પત્નીનાં માનસન્માનથી જ કેસરબાઈ સાથે વર્તનારા ગોપાળદાસે કેસરબાઈની આ પ્રતિજ્ઞા પાછળની ખંત પારખી. કાલિદાસના શબ્દોમાં કહીએ તો ‘પ્રિયસખી વૃત્તિ’ભાવે વર્તનારાં ગોપાળદાસનાં પત્નીએ પણ શૉક્યભાવ ન રાખતાં કેસરબાઈને સાથ આપ્યો. કેસરબાઈ કોલ્હાપુરના છત્રપતિ શ્રીશાહુમહારાજના ભાઈ કાગલકર સરકારને મળ્યાં, તેઓ સંગીતના બહુ મોટા ચાહક. એમણે આ યુવાન ગાયિકાને શાહુમહારાજના ચરણોમાં ધરી, દિલાવર એવા શાહુમહારાજે કેસરબાઈને પૂછ્યું, “તને શું જોઈએ, તે કહે.”
“મને તમારા દરબારના ગાયક અલ્લાદિયાખાંસાહેબ ગુરુ તરીકે જોઈએ.”
મહારાજાએ ‘તથાસ્તુ’ કહ્યું અને અલ્લાદિયાખાંસાહેબને મુંબઈ જઈને કેસરબાઈને ગાયન શીખવવા રહેવા જવાની પરવાનગી આપી. દરબારી નોકરીના નીતિનિયમ કોરે મૂક્યાં. ભારતીય સંગીતને આમ મૂળ હીરાના પાસાદાર સ્વરૂપમાં કેસરબાઈ મળ્યાં તેની પાછળ ઉત્તમ ગુણપારખુ એવા છત્રપતિ શાહુમહારાજનો વરદહસ્ત હતો.
અને હવે આગળ કેસરબાઈના જ શબ્દોમાં કહીએ તો, “મારો વનવાસ શરૂ થયો. ખોળામાં ધાવણી દીકરી, કંઠે પહેલાંના ગાન-સંસ્કાર, અવાજ મૂળે બારીક. પહેલા આઠનવ મહિના તો અવાજ ખોલવાની મહેનત. અરે, કંઠ ફાટી જાય. તોયે મહેનત તો ચાલુ જ. હવે જો, ખાંસાહેબને મુંબઈનાં હવાપાણી માફક ન આવે તો એમના ભેગા મારે ય સાંગલી ભેગા થવાનું. કારણ કે તેઓ સાંગલીના સાંભારે નામના વૈદને બહુ માને. એટલે મેં દીકરીને લઈને સાંગલીમાં મારું ઘર માંડ્યું. મારી મદદમાં કોઈ મળ્યું તો ઠીક નહીં તો રામરામ. મને ત્યાંનાં હવાપાણી માફક ન આવે પણ તાલીમ (રિયાઝ) તો પડવી ન જ જોઈએ.”
એક તો અત્રોલી ઘરાના બહુ મોટા ગજાનું. એમની ગાયકીને રસ્તે જતાં પહેલા દસ વાર વિચાર કરવો પડે. છાતીની ધમણ લુહારની ધમણ જેવી જોઈએ. પૂર્ણ આવર્તનો — તે પણ મંદ લયનાં — જે અ-ખંડ સૂરોમાં પૂરતાં-પૂરતાં સમ પર આવવાનું, એ ય પાછું હાંફતાંહાંફતાં નહીં. નીકળતી વખતે જેટલા ઉત્સાહથી નીકળ્યા, એ જ ઉત્સાહથી પાછા ફરવાનું. અહીં કલાકસબ બતાવવાનો કે કલ્પનાના કનકવા ઊડાડવાનો વારો જ નહોતો. સ્વરલીલાની પ્રત્યેક ક્રિયા ધરમકાંટાની કસોટીએ તપાવીને ખરી થઈને ઊતરેલી. અમથાં ઘેલાં કાઢીએ તો એ બેઢંગુ જ દેખાતું. આવી એ ગાયકી અને એ શીખવાડનારા એ અસંતોષી ગુરુ (devine disatisfaction), રોજનું સીધું પૂરું પાડનારા નહીં પણ શિષ્ય માટે પોતે પરસેવો પાડીને પાણા ફોડે એવા ગુરુ. ધ્રુપદ ગાયકીની સુંદર ખાસિયતો ખ્યાલમાં ઘૂંટીને ખ્યાલગાયકીનું રસાયણ કરનારા એ પણ મહાન કલાકાર. ચક્રવ્યૂહ ગોઠવ્યા જેવું ભારતીય સંગીતમાં રહેલી ચક્રાકાર ગતિનું સતત ધ્યાન રાખીને થતું એ ગાયન. આલાપ હોય કે તાન, ગતિની પદ્ધતિ તો ચક્રાકાર. સૂરોની ઘનતા ગીરણીના સૂતરના નંબર જેવી, જે નંબરનું માપ લઈને નીકળવાનું એ ત્રણે સપ્તકમાં કઈ રીતે એકસરખો રાખવો પડે એ કેસરબાઈના ગાનમાંથી દેખાઈ આવે. એ મસૃણતામાંયે ક્યાંયે પોલી કુશકી જેવું નહીં. ગાનમાંયે ક્યાંયે ફોફી ફૂસકી નહીં કે ક્યાંયે નબળી ચીસાસીસ નહીં. આક્રમકતાને નામે એવાં ત્રાગાં પણ નહીં કે છીછરા નખરા પણ નહીં. લયકારીને નામે ધમપછાડા નહીં. લયકારીમાં રહેલાં આંચકા પણ કેવા, મોજાંના છલકાટ સમા, નહીં કે અથડામણ જેવા. અને આ બધું જ યોજનાબદ્ધ હોવા છતાં અભિજાતતામાંની એ ચિરંતન તાઝગીથી દીપ્તિવંત, ગ્રીક શિલ્પ જેવું. આ બધી વિશિષ્ટતાઓ આત્મસાત કરવા માટેની કેસરબાઈની સાધના કેટલી કઠોર હશે એની તો કલ્પના પણ કરવી મુશ્કેલ!
કેટલીક વાર તો થઈ આવે કે કેસરબાઈનું અપમાન કરનારાં પેલાં ગાયિકા બહેનનો પાડ માનવો રહ્યો. માઈનાં આ બધાં કષ્ટો અપમાનની પેલી પીડા કરતાં હળવાં હશે. પણ ના, આ તો અર્ધસત્ય થયું. કેસરબાઈ તો એ ગાયકીમાં પૂરાં રમમાણ થયાં હતાં. હવે ફક્ત કોઈને હરાવવાની હઠ એટલો જ હેતુ રહ્યો નહોતો. હવે તો આ ગાયકી, આ ગાવું એ જ જીવવું એવો એમના જીવનનો અર્થ થઈ બેઠો હતો. એમ કહોને એ પોતે જ ગાન બની બેઠાં હતાં. એ ગાનમાં ઉદાત્તતા અંગે જે ખેંચાણ હતું, ક્ષુલ્લક સમાધાન માટે જે અણગમો હતો એ બધું પણ એમના સ્વભાવ સાથે મેળ ખાતું આવતું હતું. આ અહંકાર નથી, જે ગાયકી એમણે શીખવા લીધી, જે આત્મસાત કરવા માટે તનતોડ જહેમત ઉઠાવી, એનો મહિમા એમને સમજાયો હતો. એ સમજાયા પછી ‘બ્રહ્મજ્ઞાન નહીં છોકરમત’ કહેનારા તુકારામમાં આપણને જેમ અહંકાર દેખાતો નથી તેવું જ અહીં પણ. આ તો આત્મવિશ્વાસભર્યું વર્તન. પોતાના જીવન-ઉદ્દેશ સામે બીજી બધી જ વાતોને ગૌણ માનનારા ઉત્તમ કલાકારોને જે લાધે એવી એક વિલક્ષણ નિર્ભયતા એમને લાધી હતી.
રાજારજવાડાઓના મિજાજ સંભાળવાનો એ જમાનો ને ત્યારે એમની કારકીર્દિ ઘડાઈ રહી હતી. પણ ત્યારે કેસરબાઈને ‘ફલાણું ગાઓ’ એવું કહેવાની તાકાત એકેય રજવાડામાં નહોતી. કોઈને ય ખુશ કરવા માટે એમણે ક્યારે ય ગાયું નહીં. કલાકાર તરીકે એમની જે મહાનતા છે તે —ગાયન એ વ્યવસાય હોવાં છતાંયે ‘ગ્રાહકનો સંતોષ એ જ અમારો સંતોષ’ એ સૂત્રમાં ન માનવામાં. એમની પ્રતિજ્ઞા એ કે પોતાના મનને ગમે તે ગાવું. એ સિવાય માન્યતાનો એક માત્ર સહીસિક્કો એટલે પોતાના ગુરુ અલ્લાદિયાખાંસાહેબનો.
મેં એક વાર આમ જ એમને પૂછેલું, “માઈ, ફલાણા રાગ ગાતા મેં તમને ક્યારે ય સાંભળ્યા નથી.”
“એ મને આવડે તો છે પણ મેં એની તાલીમ લીધી નથી ને.”
આમ જ એક વાર મેં પૂછેલું, “તમારા વખતે તો નાટ્યસંગીતની બોલબાલા હતી તો તમે ક્યારે ય કેમ ગાયું નહીં?”
“નાટકનાં પદ નાટકમાં ગાવાનાં, એના ખ્યાલ શાને કરવા? કાંઈ પણ એક નક્કી કરો.”
એમના દરેક મત સાથે હું સહમત નહોતો પણ એ એમના મત એટલી મજેદાર રીતે માંડતા કે એમાંની ચોકસાઈ કરતાં એમની એ કહેવાની રીત વધુ મજેની લાગતી. પણ એટલું સાચું કે ‘ગાન’ સિવાય એમને કોઈ પણ રઢ લાગી નહોતી. ઘરાના અંગેના મારા મત એમનાથી જુદા પડતા પછી એ મારી હાજરી લેતા હોય એ સૂરમાં બોલવા માંડે.
એક વાર આમ જ ‘પોઝ’ આપીને બેઠાં હતાં. એમના ગાયનની ટેપ ચાલુ હતી. અમે શાંતિથી સાંભળતા હતાં. ગાયન પૂરું થયું. “હજી ય ઘણાં ગાન ટેપ કરી રાખવાની ઇચ્છા હતી પણ રહી ગયું.”
થોડી વારે સુનીતાએ પૂછ્યું, “માઈ, આ કયો રાગ હતો?”
“તારા વરને પૂછ, એ પોતાની જાતને બહુ શાણો સમજે છે ને.”
હકીકતે હું કાંઈ મારી જાતને સંગીતનો કાંઈ શાણોબાણો સમજતો નથી, પણ અજાણ્યા રાગ સાથે મેં ક્યારે ય ઘરોબો બાંધ્યો નથી. ચાંદની કેદાર, જલધર કેદાર, મલુહા કેદાર — આ બધાના ખાતામાં કયા સૂરો માંડી રાખેલા છે અને કયા કાઢી નાંખેલા છે એનો હિસાબ મેં ક્યારે ય કર્યો નથી. એક વાર રાગ શરૂ થાય એટલે પછી મને એનું નામ ખબર ન પડે તોયે એ માણવામાં મને કોઈ ફેર ન પડે. પણ એ રાગનું ચલન ધ્યાનમાં આવે પછી એના પર ગવૈયો કઈ રીતે ચાલે છે એ હું ઝીણવટથી જોઉં. એવો આનંદ માણતી વખતે એ રાગના નામની જાણ ન થાય તો દાંતમાં સોપારી ભરાયાની તકલીફ ઘણાને થાય, મને ન થાય. તોયે કેસરબાઈએ મને છંછેડ્યો એટલે મેં કહ્યું, “ભૂપનટ ને … ?”
“આની અક્કલ જો, ભૂપનટ અને શુદ્ધનટનો તફાવત પણ એ નથી જાણતો.”
“હા, આજકાલ મને ભૂપ અને શુદ્ધ કલ્યાણનો તફાવત પણ ક્યારેક નથી સમજાતો.”
“હા, સાંભળીસાંભળીને સંગીત શીખો, તો એવું જ થવાનું.”
“પણ તમે ય ક્યારેય મહેફિલમાં રાગનાં નામ કહ્યાં છે ખરાં?”
“જો, આ શુદ્ધનટ. સાંભળ.” કહીને શરીરની એ હાલતમાંયે એમણે શુદ્ધનટ અને ભૂપનટ વચ્ચેનો તફાવત સમજાવવા માટે ‘આ’કાર છેડ્યો; ફરી પાછા એ જ જૂના તેજથી દીપી ઊઠનારો, માંડ ત્રણચાર મિનિટ જ ગાયો. પણ એ ગણગણવું નહોતું. મૂલ્યવાન જરજવાહરાત બતાવનારો ઝવેરી જે દક્ષતાથી પેટી ઉઘાડીને જવાહરાત બતાવે, અત્યંત જતનપૂર્વક સાચવે અને તેટલી જ દક્ષતાથી પાછી એ બંધ કરીને મૂકી દે તેમ માઈએ એ બન્ને રાગ ખોલીને બતાવ્યાં. આ ક્ષણે મારી પાટી તો કોરી જ છે. યાદ છે ફક્ત એ ત્રણચાર ઝગમગતી મિનિટો.
“સ્વર છેડતા હવે મને ચક્કર આવે છે રે.”
એટલે મેં પણ આમ જ એમને પૂછ્યું કે ‘તમે કઈ પટ્ટીમાં ગાતાં?’
“પટ્ટી? તને તો વાજાપેટીવાળાની પડી હોય વાજાપેટી મૂક બાજુએ, મને નહીં. ત્રણ સપ્તકોમાં સહેજે જઈ શકે એવી ષડ્જની પટ્ટી.”
આમ સહજ થતી રહેતી વાતોમાંથી એમના સંગીતવિષયક અભિપ્રાય મને જાણવા મળતા. અભિજાત સંગીતની સહજસાધ્યતા પર કે સુલભીકરણ પર એમને જરાયે વિશ્વાસ નહીં. વિદ્યાલય-બિદ્યાલય સબ જૂઠ. ગાનાર તો જવા દો, સાંભળનારાને પણ કલાનો આસ્વાદ આવતા-જતાં સહજતાથી મળે એમને માન્ય નહોતું. નિદિધ્યાસન, નિત્ય અભ્યાસ, શ્રેષ્ઠ ગુરુ પાસેથી કઠોરતાથી થનારી સમીક્ષાનો જ્ઞાનમાર્ગ જ તેમને માન્ય હતો. એક તો જ્ઞાની ગુરુ અને બીજું ‘રિયાઝ કે ઘંટે’ કેટલા થયા તેની ગણતરી ન રાખનરા બે-ત્રણ ડાહ્યા હોંશિયાર શિષ્યો એટલામાં જ ગાયન-શિક્ષણ આવી ગયું સમજો. તેમની વાતમાં ‘બુદ્ધિ જોઈએ’ એ તો મેં કેટલીયે વાર સાંભળેલું. મહેફિલમાં ઊડતીઊડતી કાને પડેલી ચીજ સાંભળીને ગાનારા એમને જરાયે ન ગમે. પરંપરાના આગ્રહ પાછળ કલાકારે પોતાના મનને પણ શિસ્તનો આગ્રહ રાખતા આવડવું જોઈએ. તેમાંયે શિસ્ત કઈ અને આંધળું અનુકરણ કયું એનો તફાવત જાણવા જેટલી તીક્ષ્ણ બુદ્ધિ તેમનામાં હતી. એમના પહેલાંની પણ એક જુદા ઘરાનાનાં પ્રખ્યાત ગાયિકા માટે પોતાનો મત દર્શાવતા એમણે કહેલું, “એનો અવાજ ખુલ્લો, એ સૂરીલી પણ ખરી પણ એ ખ્યાલના ઘડિયા ગોખતી.” કેસરબાઈ એટલે ‘અમથા જ સર્વસંમુખે મંગળ બોલવું.’ કે ‘પોતપોતાની રીતે બધા સારા.’ એવું લીસુંલપટું બોલનારાં ન્હોયે. અપ્રિયતાનો એમને અફસોસ નહોતો, એમના મતને લીધે કેટલાયને એમના વિશે કટુતા ઉદ્ભવતી. પણ એમની વિલક્ષણ દૃષ્ટિનો પરચો તો મળતો જ. ગુણ કહેતી વખતે ફટાક દેતાંક વૈગુણ્ય તરફ ધ્યાન ખેંચતા, “બડે ગુલામ અલી સારું ગાતો, મૂળે તો સારંગિયો. હશે, પણ ગવૈયો થયો.”
જરાયે જેટલો વાંધો ન કાઢતાં બેઠ્ઠા માર્ક્સ આપ્યા હોય તો તે ભાસ્કરબુવા બખલેને. મોટા ખાંસાહેબ તાલીમ લેવા આવે ત્યારે સાથે ક્યારેક સાથે ભાસ્કરબુવાને લઈ આવે. કોઈ એક પેચદાર તાન કેવી રીતે નીકળવી જોઈએ તે ખાંસાહેબ બુવા પાસેથી ગવડાવીને બતાવતા. મેં માઈને પૂછ્યું, “માઈ, ભાસ્કરબુવાની મોટાઈ તમને શેમાં લાગી?”
“અરે, શું કહું તને! ભાસ્કરબુવાનું ગાન તો એ પોતે જ ગાતા પણ મહેફિલમાં દરેકને થતું કે એ આપણે માટે ગાય છે. આવી આત્મીયતા લગાડનારો ગવૈયો જોવા મહીં મળે. મોટો માણસ, બહુ મોટો માણસ.”
માઈનું એ ‘ફેડ આઉટ’ થયા જેવું ‘મોટો માણસ, ‘બહુ મોટો માણસ’ એ શબ્દો આજે ય મારા કાનમાં ગૂંજે છે. કેસરબાઈની ગરદન આદરાર્થે ઝૂકી નથી એવું થયું નથી પણ ‘સાહેબી દેખીને પરણામ તે કરવાં’ એ ‘સમર્થ’વાણીને અનુસરીને ઝૂકી. સાહેબી એટલે દેવત્વ. (સમર્થ = રામદાસ સ્વામી)
એક વાર અમે ગુરુમુખે મળતી વિદ્યા વિશે વાત કરી રહ્યાં હતાં. મેં પૂછ્યું, “હવે ટેપરેકૉર્ડર નીકળ્યા છે. ધારો કે ટેપ પર અસ્તાઈ-અંતરા સરખાં રેકૉર્ડ થયાં તો એના પરથી તાલીમ ન લઈ શકાય?”
“ના,” માઈએ ઘસીને કહ્યું.
“કેમ નહીં?” પછી એ કંઈ બોલ્યા નહીં. મને થયું કે એ વિષય પત્યો. પણ એ સવાલ તો એમના મનમાં ઘોળાતો જ હતો.
થોડી વાર આમતેમ વાત થઈ ને પછી એકદમ જ એ બોલી ઊઠ્યાં, “જો, ટેપરેકૉર્ડર પર ચીજ સાંભળ્યા પછી એ કંઠ પર સરખી ચઢી કે નહીં એ શું તારું એ ટેપરેકૉર્ડર કહેવાનું હતું?”
“એ તો ફરીથી રેકૉર્ડ કરવાનું અને સરખાવી જોવાનું.”
“અલ્યા, એમ આપણું જ ગાયન એક પારકાની જેમ સાંભળતા આવડે તો પછી જોઈએ જ શું? રેડિયો પર હવે ટેપરેકૉર્ડ જ વગાડે છે ને! પોતાનું ગાયન પોતે જ બેસીને સાંભળે, સુધારે ખરા? તારી જેમ એમનાયે દોસ્ત એમને ય ક્યારે ય એમની ભૂલો નહીં કહે. નકામું એવો અપજશ કોણ લે! શું ..?”
“સાચી વાત.”
“તેથી જ એકાગ્રતાથી શાગિર્દનું ગાન સાંભળનારો-નીરખનારો, એ ભૂલ્યો તો એનો કાન આમળનારો ગુરુ જોઈએ. આઠઆઠ દિવસ તાન ઘસઘસ કરીએ તોયે ખાંસાહેબના મોં પરની કરચલી કેમે ય કર્યે દૂર ન થાય! થાય કે : ‘હે ભગવાન, ન જોઈએ આ ગાયન.’"
તાલીમ ટકાવી રાખવા શિષ્યાની તો ખરી જ પણ એના માબાપની તારીફ કરનારા કેટલાયે ગુરુ મારી નજર સામે તરી રહ્યા. શિષ્યાઓને એમનો રસ્તો બતાવવાને બદલે તેમનો રસ્તો સાફ કરી નાંખનારા ગુરુ શા કામના? ‘મારું શિસ્તપાલન પોસાય તો શીખવાડીશ’ કહેનારા ગુરુઓ વિશ્વવિદ્યાલયમાં રહ્યા નહીં તો એમાં ગાયનમાસ્તરનો તે શો વાંક કાઢવો?
પછી એમણે મને તાલીમ લીધા વગરની, બંદિશમાંનાં જોમજોશ કંઠ પર સરખાં ચઢાવ્યા વિના ગાનારાં એક ગાયિકાની વાત કરી. કલકત્તામાં લાલબાબુની કૉન્ફરન્સ હતી, આ ગાયિકાબહેનનું ગાયન શરૂ થયું. “અમથા કાન બગાડવાની મને ટેવ નહોતી. એવું કોઈ ફૈયાઝખાં-બૈયાઝખાં જેવું કોઈ હોય તો વળી, હું જતી. મજા કરાવતો ફૈયાઝખાં. એ તો લાલબાબુએ બહુ આગ્રહ કર્યો એટલે ગઈ. પેલી બાઈએ ‘રસિયા હો ના …’ શરૂ કર્યું. હવે આ કાંઈ એમના ઘરાનાની ચીજ નહોતી, એને તાલીમ પણ કઈ રીતે મળવાની? અને પછી ‘અરે રસિયા’, ‘હે રસિયા’, ‘ઓ રસિયા’ ચાલ્યું. મારી બાજુમાં ચંપુ (હીરાબાઈ) બેઠેલી, મેં કહ્યું: ‘ચાલ, જઈએ.’ એ તો બીકણ, ‘કહે, માઈ, સારું નહીં દેખાય.’ હું તો ઊભી થઈ અને હૉલની બહાર નીકળી ગઈ. લાલબાબુ પાછળપાછળ દોડતા આવ્યા. મને કહે, ‘કેસરબાઈજી, આપ કહાઁ ચલી?’ મેં કહ્યું, ‘વો બાઈજી કા રસિયા કહીં ખો ગયા હૈઁ’ — ‘ઓ રસિયા, અરે રસિયા કર કે ચિલ્લાતી હૈઁ, સૂના નહીં? — ઉસ કા રસિયા ઢૂંઢને મૈઁ જા રહી હૂઁ.’ ”
મને એક વાર્તા યાદ આવી ગઈ: ભર દરબારમાં રાજાના એક પ્રિય કવિએ કવિતા ગાઈ સંભળાવી. તેમાંની એક પંક્તિમાં “શીતં બાધતે” ને બદલે “શીતં બાધતિ” એવું ગાયું. દરબારમાં બેઠેલા એક વૈયાકરણીને રાજાએ પૂછ્યું કે કવિતા કેવી લાગી? ‘આ કવિ રાજાનો લાડકો છે.’ એ જાણતા હોવા છતાંયે વૈયાકરણીએ કહ્યું, “બાધતિ બાધતે.” એ કવિતામાં આત્મનેપદી ક્રિયાપદને પરસ્મૈપદી પ્રત્યય લગાડ્યાનો વૈયાકરણીને ‘બાધ’ હતો. એમની ભાષાવિષયક તાલીમ જ નિરાળી. રાજા પોતાના પર ક્રોધે ભરાશે એવી એમને બીક નહોતી. આવા લોકો દુનિયાની નજરે મીઠા કે મળતાવડા રહી જ શકે નહીં. પોતાને યોગ્ય લાગે તે સાધવા માટે કલાનો નિયમ ભાંગવો એ એક જુદી વાત અને ‘કલાના સૌંદર્યમાં હું ઉમેરો કરીશ.’ એવા આત્મવિશ્વાસથી જાણીજોઈને નિયમ ભાંગવો એ વાત જુદી. ખુદ અલ્લાદિયાખાંસાહેબે જ એમની યુવાનીમાં ધ્રુપદ-ગાયકીનો આટલો મોટો દબદબો હોવાં છતાંયે એમણે — જેને વિદ્વાનોએ અંતઃપુરનું ગાયન કહીને મોં મચકોડેલું એવો — ખ્યાલગાયકીનો એક દબદબો ઊભો કર્યો જ હતો ને! એનું કારણ કે એમને ધ્રુપદનું સામર્થ્ય અને મર્યાદા બન્નેનું પાક્કું જ્ઞાન હતું! આંધળુકિયાં કરીને નિયમપાલન કરનારાઓને કોઈ જ ગણતું નથી. કેસરબાઈના મતમાં આગ્રહ હશે પણ આંધળુકિયાં નહોતાં.
એક વાર કોઈ એક રજવાડાના દરબારમાં સંગીતોત્સવ હતો. એ લોકોએ કેસરબાઈને નાટ્યસંગીત ગાવાનું કહ્યું. કેસરબાઈએ એ મહારાજાને કહ્યું, “જરી થોભો, આપને નાટકનાં પદો સાંભળવા છે ને, અહીં કૃષ્ણામાસ્તર આવેલા જ છે. એ ગાશે. મારા કંઠને એ ગાયનની તાલીમ નથી.” તે જમાનામાં કેટલાંક રજવાડામાં લગ્નસમારંભોમાં ક્યાંક્યાંના ઉત્તમ ગાયકોનું ગાયનવાદન હોય જ. એ કલાકારોને સવારે બદામપિસ્તાનું સીધું મળતું, આશ્રિત વૃત્તિએ જીવનારા કલાકારો એ મહેરબાનીનો સ્વીકાર કરતા. “એક વાર સવારે મારા ખંડમાં બદામપિસ્તા-મીઠાઈનો થાળ આવ્યો, મેં એ દરબારી નોકરને પૂછ્યું કે ‘કોણે કહ્યું હતું લાવવાનું?’ એણે કહ્યું, ‘એ તો બધા જ ગાવાવગાડવાવાળાને વહેંચાય જ છે.’ મે કહ્યું, ‘લઈ જા એ થાળ. આવી ખેરાત મારે ત્યાં લાવવી નહીં.’ કેસરબાઈની આ ખાનદાની જે જાણી ન શકે તેને તો કેસરબાઈ અભિમાની જ લાગવાનાં. જે ગાયકીના મહિમાને લીધે એમને એમના જીવનનું આનંદનિધાન સાંપડ્યું હતું, એ મહિમાને લોકપ્રિયતા માટે કે આર્થિક ઉન્નતિ માટે ઝાંખપ લગાડવી, બદલાતી અભિરુચિનો અંદાજ લઈને ગાયન બદલવું એમને સદતું નહોતું. કાલિદાસમાં મગ્ન થનારા રસિકજનને ‘તમે સિનેમાના ગીતની પદ્યાવલિઓ કેમ વાંચતા નથી?’ એવું કોઈ પૂછવા જતું નથી.
કાળ બદલાયો છે, અભિરુચિ બદલાઈ છે — એ બધું શું એમને સમજાતું નહોતું? એમનાં દોહિત્રોને વિવિધ ભારતી પરનાં ફિલ્મી ગીતો વધુ ગમતાં. કેસરબાઈનાં એકના એક દીકરી સુમન અને એમના પતિ બન્ને ડૉક્ટર છે, એમનાં બાળકો આધુનિક જમાનાનાં છે. એક વાર અમે બહાર બેઠાં હતાં તો અંદર છોકરાંઓએ ફિલ્મી ગીતો મૂકીને ધમાચકડી મચાવી હતી.
હસતાં-હસતાં માઈએ કહ્યું, “જો સાંભળ તો, રાતદિવસ માથાનો દુઃખાવો.”
“માઈ, તમને આ બધું નથી ગમતું.?”
“અરે, આજે હું એમના જેટલી હોત તો મેં પણ આ જ કર્યું હોત. એમને હું સાંભળવાની ના પાડીશ તો એ લોકો શું મારું કહ્યું માનવાના છે? એમ તો રસ્તા પરથી વરઘોડાના બૅન્ડવાળા વગાડતા જતા હોય તો તેમને હું શું કહેવા જવાની હતી કે ભાઈ, ખ્યાલ વગાડો!”
*
પૂતળાનું કામ પૂરું થયું અને અમારા નસીબમાં હતા એ દસબાર દિવસ પૂરા થયા. ત્યારબાદ અમારા કાને પડતા તે સમાચાર એમની વધતી જતી માંદગીના. આ જ અરસામાં હું પણ મુંબઈ છોડીને પૂણે સ્થિર થયો. એમને જોઈ આવેલા કહેતા કે માઈને જોવાતાં નથી, ખાટલો જ પકડી લીધો છે. વરસ-બે વરસ પછી શર્વરી પૂતળું લઈને એમના ઘરે ગયો. પ્લૅસ્ટરવાળું એ અર્ધપૂતળું (બસ્ટ) તેણે કેસરબાઈને અર્પણ કર્યું. ત્યારે તેઓ પથારીમાં જ હતાં, એ જ હાલતમાં એમણે શર્વરીને કહ્યું, “શર્વરી, જમીને જવાનું છે હં ને. તું આવવાનો તેથી કારેલાવાળી દાળ અને ભાત રાંધ્યાં છે.” દોઢ-બે વર્ષ પહેલાં મેં એમને કહેલું કે શર્વરીને કારેલાવાળી દાળ અને ભાત મળે એટલે બસ. ન ચા, ન કૉફી, ન બીડી-સિગારેટ, કશું નહીં. ખાટલો પકડેલાં માઈએ એક માતાની મમતાથી યાદ રાખીને એને ભાવતી કારેલાવાળી દાળ બનાવડાવેલી. દૂરસુદૂર જતા રહેલા સૂર જોતી બેઠેલી ગાનસામ્રાજ્ઞીનું એ પૂતળું. પહેલે દિવસે શર્વરીની ઓળખાણ કરાવેલી ત્યારે એમણે શર્વરીને પૂછેલું, ‘તારા ગુરુ કોણ?’ શર્વરીએ શિલ્પકલાના પોતાના ગુરુનું નામ (રામકિંકરદા) કહેતી વખતે પણ બે હાથ જોડી રાખેલા. ગુરુપરંપરાને જાળવનારો આ એક ઉમદા શિલ્પકાર છે એની ખાત્રી થયા પછી જ માઈ પોઝ આપવા તૈયાર થયેલાં.
મેં એમને છેલ્લે 1966માં સાંભળેલાં, ધારું છું ત્યાં સુધી એમનીયે એ છેલ્લી જ જાહેર મહેફિલ. એ પ્રસંગ પણ એક પર્વનું સૂચન કરી જનારો હતો. પેડર રોડ પર શ્રી ભાઉસાહેબ આપટેનો પ્રાસાદતુલ્ય બંગલો. આપટેની દીકરી માઈને બહુ વહાલી. ક્રિકેટર માધવ આપટેની બહેન. હવે એ બંગલાની જગ્યાએ ત્યાં વુડલૅંડ્સ અપાર્ટમૅન્ટ બનવાનું હતું. મૂળ ઈમારતને જાણે ધન્ય થઈને વિદાય આપવાનો જ એ પ્રસંગ. જૂના મુંબઈની એક જૂની ઈમારત બેચાર દિવસમાં અદૃશ્ય થવાની હતી. પુરાતન હોવા છતાંયે સતેજ રહેલો એ વૃદ્ધ પ્રાસાદ અને વાર્ધક્યમાંયે સૂરોની એ તેજસ્વિતા ન ગુમાવનારી આ ગાનસામ્રાજ્ઞી. કહેવાય છે કે ઈમારતને ય વાસ્તુપુરુષ હોય છે. એ ઈમારતના વાસ્તુપુરુષને ય આવા તપઃપૂત સૂરોથી પૂજેલી આવી ઉત્તરપૂજા ગમી જ હશે. એ ગાનમાં મુંબઈના જાણીતાં ગાયકગાયિકાઓની જેમ સત્યેનભાઈ જેવા કેસરભાઈનાં ગાન સાંભળવાનો રેકૉર્ડ તોડનારા રસિકજનોથી માંડીને અનેક આમંત્રિતો સુધીના રસિકજનોની હાજરી હતી. અજાણ્યા તો ખરા જ. એ વિશાળ ખંડમાં, દાદરામાં, નીચેના આંગણામાં એ હકડેઠઠ ભીડ. કોઈકે લાવીને માઈક્રોફોન મૂક્યું.
‘પહેલાં આને હટાવો.’ બાઈએ હુકમ કર્યો. એમને ટેપરેકૉર્ડનો વહેમ ગયેલો. ‘મારું ગાયન સાંભળવું હોય તો મારું ગાયન સાંભળવાના કાયદા પાળીને સાંભળો.’ આ તો એમણે આખી જિંદગી કોઈની શેહશરમ ન રાખતાં ગાઈવગાડીને કહેલું. એવું પણ સાંભળ્યું છે કે એ કહે તે બિદાગી (રકમ) આપીને એમનું ગાન ગોઠવનારાને ય ‘મારા ગાનમાં ફલાણાંઢીંકણાં દેખાવા ન જોઈએ.’ સાચુંખોટું ભગવાન જાણે. પણ કેસરબાઈએ સંગીતમાં એવું તે વિલક્ષણ સ્થાન મેળવેલું કે ‘મારા ગાનમાં બધા પુરુષોએ માથે ટોપી કે પાઘડી પહેરીને જ આવવું.’ એવી શરત રાખી હોત તોયે એ બધાને મંજૂર હતી. આવું કેમ થઈ શકે એનો જવાબ મારી પાસે નથી. બધી જ વાતોનો તર્કસંગતિથી જવાબ મળતો નથી. માઈક્રોફોનનો મામલો એમાંનો જ.
“રહેવા દો ને માઈક્રોફોન, નીચે ભીડ છે, એમને નહીં સંભળાય.”
“નહીં શું સંભળાય? નીચે શું બજાર ભરાયું છે! મારું ગાન ક્યાં સુધી પહોંચે છે તે હું બરાબર જાણું છું. આ માઈક્રોફોન મારો અવાજ ખાઈ જાય છે. હટાવો.!”
રાત્રે એક વગતા સુધી ગાન ચાલ્યું. લોકો એ સૂરો સાથે જકડાઈને બેઠા હતા. એ કંઠ અને એ સૂરોને વૃદ્ધાવસ્થાનો જરાયે સ્પર્શ થયો નહોતો. દરેક આવર્તને પ્રદક્ષિણા કરીને આવે એવી જ અખંડ તાન. તબલા પર શ્રીપાદ નાગેશ્વર હતા. વચ્ચે જ શ્રીપાદે એક સૂરીલો ટુકડો છેડવાની હિંમત કરી, હું તો ત્યાં ને ત્યા જ ગભરાઈ ઊઠ્યો. પણ તાનના યોગ્ય અંદાજ પછી આવેલા એ ટુકડા પછી એમણે શ્રીપાદ સામે જે અછોવાનાભરી નજરે જોયું તેમાં શ્રીપાદને પોતે શીખેલી વિદ્યા લેખે લાગી હોય એવું લાગ્યું. એ મહેફિલમાં કેસરબાઈને પુષ્પહાર અર્પવાનું માન મને મળ્યું. અને એમણે મને ટોણો મારી લીધો, “હા, તું તારે કર હવે ભાષણ.” તે દિવસે કેસરબાઈના ગાનમાં વહેતી પ્રકાશમાન ધવલતાને ઉદ્દેશીને મેં કહ્યું, “અલ્લાદિયાખાંસાહેબને બૅરિસ્ટર જયકરે ભારતીય સંગીતમાંનું ગૌરીશંકર (શિખર) કહ્યું હતું. સંગીતમાંના એ ગૌરીશંકરની કૃપાથી અમને લાધેલી સૂરોની આ ધવલગંગામાં અમારાં મન નાહી નીકળ્યાં છે, તો પહેલાં વંદન અલ્લાદિયાખાંસાહેબને અને બીજાં વંદન કેસરબાઈને હો!”
ગણેશચતુર્થીના દિવસે તા. 13મી જુલાઈ, 1893ના રોજ ગોવાના કેરી નામના સુંદર ગામમાં તેમનો જન્મ થયેલો. ગોવાની માટીએ ભારતીય સંગીતને અર્પણ કરેલી અનેક ભેટમાં આ એક મોટી ભેટ. જે મુંબઈનગરી એમના સૂરોનું સ્નાન પામી હતી, એ મુંબઈનગરીના દાદરના દરિયાકિનારે એમના પાર્થિવ દેહનો ઋષિપંચમીને દિવસે અગ્નિસંસ્કાર થયો. ભારતીય સંગીતના ઋષિઓનું ઋણ આજન્મ સંગીતવ્રતસ્થ રહીને ચૂકવનારા કેસરબાઈ જેવાં ગાનતપસ્વિનીનો ઋષિઓની શ્રેણીમાં જ કૃતજ્ઞતાથી સમાવેશ કરવો જોઈએ.
એમના નિધનના સમાચાર એમના દોહિત્રે રાતના આઠેક વાગ્યે મને ફોન પર જણાવ્યા. સાત-સવાસાતે એ અલૌકિક શ્વાસમાંનો છેલ્લો શ્વાસ છોડીને અહીંની મહેફિલ કેસરબાઈએ પૂરી કરી હતી. મારો ઊતરેલ ચહેરો જોઈને મારા એક મિત્રે મને પૂછ્યું, “શું થયું?”
મેં મનમાં કહ્યું, ‘એક તેજઃપુંજ સ્વરનો અસ્ત થયો.’
અને એને કહ્યું, “કેસરબાઈ ગયાં!”
(એ-1 સરગમ ફ્લૅટ્સ, ઈશ્વરભુવન રોડ, નવરંગપુરા, અમદાવાદ-380 014)
(છેલ્લા દોઢેક વરસેકથી હું જયદેવભાઈને કહેતી રહી કે બસ, હવે કેસરબાઈ હાથમાં લઉં છું ને… યોગાનુયોગ કેવો કે મેં લેખ લખવા લીધો એ તારીખ 16-7-15. પછી ગૂગલ પર કેસરબાઈનો ફોટો શોધવા અને એમની જન્મ-પુણ્યતિથિ શોધવા ગઈ તો એમની પુણ્યતિથિની તારીખ નીકળી 16-7- !- અ.)