Opinion Magazine
Number of visits: 9882471
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સ્માર્ટ સિટીની ઘેલછા પાછળ સહકારી ક્ષેત્રનો ભોગ

ગૌતમ ઠાકર, ગૌતમ ઠાકર|Samantar Gujarat - Samantar|19 July 2016

ગુજરાતમાં વિકાસ-ઘેલછા જગજાહેર છે, પરંતુ તેના થકી અવતરતા વિનાશથી સૌ એટલા જ અજાણ્યા છે. જમીન સંપાદન અઘરું થયું ત્યારે એસ.ઈ.ઝેડ. ઍક્ટ આવ્યો, એ પતે છે, ત્યારે એસ.આઈ.આર. ઍક્ટ આવ્યો, એમાં જરા ઢીલાશ થવા માંડી એટલે ટાઉનપ્લાનિંગ ઍક્ટનો આશરો લેવાવા માંડ્યો. પણ ગમે તેમ કરીને કોઈ પણ રીતે સરકારને જમીન જોઈએ છે. તેને કારણે સરકાર ખેતી, ખેડૂત અને ગામડાં વિરોધી છે તેવી માન્યતા વધુ ને વધુ દૃઢ થતી જાય છે.

સાથોસાથ જે તે વિસ્તારના નાગરિકો દ્વારા નવા-નવા કાયદાઓનો અને જમીન ખૂંચવી લેવાનો વિરોધ થતો રહ્યો છે. જૂનાગઢ, મોરબી-વાંકાનેર, નવસારી, બારડોલી શહેરી સત્તાવિકાસ મંડળ સામે ગામલોકો સહિત ખેડૂતોનો જમીન પડાવી લેવા સામે સખત વિરોધ થયો હતો. સ્માર્ટ સિટી બનાવવા માટે અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકાનાં જે ૨૨ ગામોને શહેરી વિકાસ કાયદા, ૧૯૭૬ની જોગવાઈઓ લાગુ કરીને તેને એસ.આઈ.આર.માં સમાવતા સ્થાનિક ખેડૂતો આજે પણ વિરોધ કરી રહ્યા છે. જમીન આંચકી લેવાની સામે લોકો અને ખેડૂતોનો આક્રોશ એ કારણસર પણ વધતો રહે છે કે, વિકાસ કાયમ ગરીબો, ખેડૂતો અને ગામડાં પાસે જ શા માટે ભોગ માંગે છે ?

સુરત જિલ્લાના ઓલપાડ, ચોર્યાસી, કામરેજ, પલસાણા અને માંગરોળ તાલુકાનાં કુલ ૧૦૪ ગામોને સુડામાં એટલે કે સુરત અર્બન ડેવલપમેન્ટ ઑથોરિટીમાં સમાવી લેવામાં આવ્યાં છે, તેવું જાહેરનામું ૧૦-૫-૨૦૧૬ના રોજ બહાર પાડવામાં આવ્યું છે. અગાઉ ૧૯૮૩માં જે ૯૫ ગામોને સત્તામંડળમાં સમાવવામાં આવ્યાં હતાં તેમનાં ઝોનિંગમાં પણ મોટે પાયે ફેરફારો કરવામાં આવ્યા. આમ, કુલ ૧૯૯ ગામોની ૧૦૨૪ ચોરસ કિલોમીટર એટલે કે ૧,૦૨,૪૦૦ હૅક્ટર વિસ્તારને સમાવી લેવામાં આવ્યો છે. અતિ ફળદ્રુપ જમીન ધરાવતા, સાથોસાથ ઉકાઈ અને કાકરાપાર સિંચાઈ યોજનાઓના ડાબા અને જમણા કાંઠાની નહેરોથી સિંચાઈ મેળવતાં આ ગામોમાં કેળાં, કપાસ, પપૈયાં, શેરડી, શાકભાજી જેવાં પાકો થાય છે.

આ વિસ્તારમાંથી રૂ. ૧૨૨૭.૭૮ કરોડની ખાંડ, ૨૫૨ કરોડનું દૂધ, ૧૭૧ કરોડના ચોખા અને ૧,૭૪૧ કરોડનાં શાકભાજીનું ઉત્પાદન મેળવવામાં આવે છે. આ વિસ્તારની સમગ્ર પ્રજા અને સહકારી ક્ષેત્ર એકબીજાં સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલાં છે, ઉપરાંત એકબીજાં પર આધારિત પણ છે. આ વિસ્તારને સુડામાં સમાવી લેવાનું આયોજન અમલમાં મુકાય તો અહીંના આખા સહકારી ક્ષેત્રનું અસ્તિત્વ જોખમાય તેવું છે. આ વિસ્તાર જેમને કાચો માલ પૂરો પાડે છે, તેવી કામરેજ, સાયણ , ચલથાણ, મરોલી, પંડવાઈ, વટારિયા, કોઠા અને બારડોલી જેવી સુગર ફૅક્ટરીઓનું ભાવિ પણ જોખમમાં મુકાય તેમ છે.

સરકાર સુરતને સ્માર્ટ સિટી તરીકે વિકસાવવા માટે કટિબદ્ધ બની છે, ત્યારે તેણે વિચારવું જોઈએ કે હાલ સુરત શહેરની વસ્તી ૫૦,૦૦,૦૦૦થી વધુ છે. જો સુડામાં આ વિસ્તાર સમાવવામાં આવે, તોે સ્માર્ટ સિટીની વસ્તી એક કરોડથી વધી જાય તેમ છે. અગાઉ થયેલા વિસ્તરણમાં સમાવવામાં આવેલાં ગામડાંઓનો આજે ૩૦ વર્ષ પછી પણ સરકાર કોઈ ચોક્કસ વિકાસ કરી શકી નથી. પ્રજાને કોઈ પણ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ થઈ નથી. ૧૯૮૩માં સમાવેલાં ગામોમાં આજદિન સુધી પૂરતી માળખાકીય સુવિધા પણ ગોઠવાઈ નથી, ત્યારે કરોડ માનવીઓનું ભારણ સુરત શહેર ખમી શકશે ખરું?!

તાજેતરમાં સુરત જિલ્લામાં સુડા – ૨૦૧૫ ડ્રાફ્ટ-પ્લાનમાં ૧૦૪ જેટલાં ગામોનો સમાવેશ કરવાના નિર્ણયનો વિરોધ કરવા સમગ્ર ખેડૂત આલમ એક બૅનર હેઠળ એકઠું થયું હતું. ડ્રાફ્ટ-પ્લાનના વિરોધમાં ૯૦,૦૦૦ જેટલાં ગામડાંના લોકોએ મજબૂત ટેકો ખેડૂત-આગેવાનોને આપ્યો હતો. ખેડૂતોની માંગણી એવી છે કે, જો જમીનો સ્માર્ટ સિટીના નામે લેવાશે તો, હજારો ખેડૂતો અને ખેતમજૂર પરિવારોની રોજીરોટીનો સવાલ ઊભો થશે. આ વિસ્તારમાં ખેતીથી થતી વાર્ષિક આવક આશરે ૨,૦૦૦ કરોડની છે અને પશુપાલન થકી દૂધ સહિતની આવક પણ બંધ થવાની શક્યતાઓ છે. એક લાખ હૅક્ટર જમીન સંપાદિત કરીને વિકાસને નામે ખેડૂતનું મરણ નોતરવાની વાત કોઈને સ્વીકાર્ય નથી. ખેડૂતો કહી રહ્યા છે કે, અમે વિકાસના નહીં, વિકાસ અમારો વિરોધી છે …

સુરતમાં નીકળેલી ખેડૂતોની વિરોધી રેલીમાં ૧૫,૦૦૦થી વધુ ખેડૂતો, ૩૦૦થી વધુ ટ્રૅક્ટરો, ૫૦૦ જેટલી મોટરકાર, ૫૦૦ જેટલી બાઇકો જોડાયાં હતાં. અઢી કલાક સુધી ચાલેલી રેલીમાં સૂત્ર હતું, ‘જાન દેંગે પર જમીન નહીં’ અને ‘ગામનો વિનાશ બિલ્ડરનો વિકાસ’ જેવાં સૂત્રોથી વાતાવરણ ગુંજી ઊઠ્યું હતું આ રેલીમાં ખેડૂતોએ પોતાનો વિરોધ રજૂ કરતાં કહ્યું :

૧. સરકાર ઉપરથી સ્થાનિક જનતાને માથે પોતાની મરજી મુજબનો વિકાસ થોપી ના શકે. અહીં આખી પ્રક્રિયા બંધારણીય જોગવાઈઓથી વિરુદ્ધ વર્તીને થઈ રહી છે, તેથી આ જાહેરનામું રદ્દ થવું જોઈએ.

૨. ભારતની સંસદે ૭૩મા અને ૭૪મા બંધારણીય સુધારા દ્વારા જે કલમોનો ઉમેરો કર્યો છે, તે આજ સુધી ગુજરાત સરકારે લાગુ કર્યો નથી. સરકારે આ સુધારાના અમલીકરણ માટે સમય માંગ્યો છે, તેવા સંજોગોમાં આખી પ્રક્રિયાનું સ્વરૂપ હાલમાં અનિશ્ચિત લાગે છે. ખરેખર તો, નામદાર હાઈકોર્ટના ચુકાદાની રાહ જોવી જોઈતી હતી. ટૂંકમાં, બંધારણની ઉપરૉક્ત કલમમાં સુધારા બાદ અને જિલ્લા-આયોજન કમિટી ઍક્ટ ૨૧-૧-૨૦૧૬થી અમલમાં મુકાયા બાદ ટીપી ઍક્ટ મુજબ અર્બન ડેવલપમૅન્ટ ઑથોરિટી પાસે ડ્રાફ્ટ-પ્લાન રજૂ કરવાની સત્તા રહી નથી, જેથી આ ડ્રાફ્ટ ગેરબંધારણીય અને ગેરકાયદેસર છે, જેથી તેને રદ્દ કરવો જોઈએ. 

૩. આ આખી વિકાસયોજનાની જાહેરાતથી લઈને અત્યાર સુધીમાં જે ગામોનો એમાં સમાવેશ કરાયો એ ગામોના લોકોને, ગ્રામપંચાયતોને, ગ્રામસભાઓને, સરપંચોને, તાલુકા-જિલ્લા પંચાયતના સભ્યોને વિશ્વાસમાં લેવાયા નથી. ટૂંકમાં, લોકશાહી-પ્રક્રિયા થઈ જ નથી, તેથી આ જાહેરનામાનું કોઈ વજૂદ રહેતું નથી.

૪. જમીન કપાત થયા પછી નવી જગ્યાએ મળનાર ફાઇનલ પ્લૉટનું સ્થળ બદલાય છે, તેથી નહેરો, ખેતીનાં સાધનો, કૂવા, ઢાળિયા, ગમાણો, વગેરે નવી જગ્યાએ બદલી શકાતાં નથી, તેથી અનિચ્છાએ પણ પ્રજાએ ખેતી છોડવી પડે છે. આમ, આ આયોજન દેશમાં બેરોજગારોની સંખ્યામાં વધારો કરે છે. તેથી જ ખેડૂતો પોકારે છે … અમે વિકાસના નહીં વિકાસ અમારો વિરોધી છે.

૫. ખેડૂતોની જમીનો સુડામાં સમાવવામાં આવતાં, હવે તેમને ખેતી માટે મળનારા લાભો, ધિરાણ, સબસિડી, પ્રોત્સાહનો વગેરેથી ખેડૂતો વંચિત થશે. ઉપરાંત શહેરી વિસ્તારમાં તેમનો સમાવેશ થતાં મિલકતવેરો, વીજળીનાં બિલો વગેરે વધી જશે. તે ગરીબ ખેડૂતોને ખૂબ જ તકલીફ આપશે.

૬. આ આખું ય આયોજન અમલમાં મુકાય તો, અહીંનો પશુપાલનઉદ્યોગ મરી પરવારે અને તેને કારણે બહેનોને મોટું આર્થિક નુકસાન થાય તેમ છે.

તેથી ખેડૂતો કહી રહ્યા છે કે, આ તમામ વાંધાઓ પર ગંભીરતાપૂર્વક વિચાર કરી સરકાર આ બંધારણ વિરોધી વિકાસ-નકશો રદ્દ કરવો જોઈએ.

આ સરકાર ખેતીનો નાશ કરીને ઉદ્યોગકારોને ફાયદો કરાવે, એવી નીતિ અમલમાં મૂકી રહી છે, જેને કારણે સ્માર્ટ સિટીને નામે અનેક ગામો નામશેષ થવાની ભીતિ સેવાઈ રહી છે. આ બધાં ગામોમાં રહેતાં પ્રજાજનો ખાસ કરીને ખેડૂતો-ખેતમજૂરો અને મહિલાઓને સૌથી વધુ અસર થવાની છે. આ સરકાર ખેતીને ખોટનો ધંધો બનાવી એક યા બીજા બહાને ખેડૂતોની જમીનો પડાવવા માંગે છે. જ્યાં એમ કરવામાં સફળતા મળતી નથી, ત્યાં શહેરી આયોજન અને વિકાસના નામે જમીનો પડાવી લેવા માંગે છે. સરકારની આ ખેડૂત અને ગામડાં વિરોધી માનસિકતા સ્પષ્ટપણે દેખાઈ આવે છે. ખેડૂતોની માંગણી આખું આયોજન રદ્દ કરવાની છે, તેની સાથે સૂર પુરાવીને નિસબત ધરાવતાં નાગરિકો અને મંડળોએ ખેતી અને ગામડાંના હિતમાં સૌએ ભેગા થઈ વિરોધ કરવો જોઈએ, અને મેદાને પડેલા ખેડૂતોને – નાગરિકોને સાથસહકાર આપવો જોઈએ. આમ કરવામાં નહીં આવે તો, ભવિષ્યની પેઢી આજના સમાજને કદાપી માફ કરશે નહીં.

e.mail : gthaker1946@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2016; પૃ. 14-15

Loading

બનો

'કૃષ્ણાદિત્ય'|Poetry|19 July 2016

સંકુચિતતાને બને તેટલી સાંકડી કરો,
ઘટ્ટ કરો,
સંસ્કૃિત રક્ષણ કરો.
કહેવાય છે
સભ્યતા,
માનવીય સંવેદના,
સંસ્કૃિતશિખર પહોંચવાનું પ્રથમ સોપાન છે.
તો શું ?
સભ્ય બનો વા ના બનો,
સાંસ્કૃિતક બનો.
એક ગોળ ગુંબજ બનાવો,
જેમાં એક દીવાલ પાસે ઊભા રહી બોલાયેલો અવાજ
સામેની દીવાલ પાસે ઊભા હોય એમને જ સંભળાય,
વચ્ચે ઊભા રહી ટળવળતા લોકનો અવાજ ગુંબજમાં ઓસરી જાય.
વચલા ટોળાને ટાળી
દીવાલથી દીવાલ સુધીની તર્કથી તરબતર વાતો કરો.
બુદ્ધિમતાની છલૂડીમાં છલોછલ પાણી ભરો,
મનગમતા સરમુખત્યારોની સ્મૃિત સમક્ષ માથું નમાવીને ઊભા રહો.
વાવની દોઢીએ બાંધો
અસલીનકલી જે મળે,
અતિ આધુનિક પોષાકો પટ્ટા,
કૂમતાં ફેંટા, ખેસ, દુપટ્ટા,
બાંધો નાડી સાડી.
પોતપોતાની બાજુએ ખેંચો,
ખેંચો તમતમારા પૂર્વગ્રહોના પાદર તરફ.
પાણીની સવલતનું તે જે થવાનું હશે તે થશે,
વાવડીને એક ફેરા ચસકાવો.
બીજા બનાવે તે પહેલાં
જાતે બનાય તેટલું બનો.                   

બોસ્ટન, અમેરિકા

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2016; પૃ. 07

Loading

શહીદ ભગતસિંહના ઘરઆંગણે …

કશ્મીર ઉપ્પલ [અનુવાદ : દિવ્યેશ વ્યાસ], કશ્મીર ઉપ્પલ [અનુવાદ : દિવ્યેશ વ્યાસ]|Opinion - Opinion|19 July 2016

શહીદ ભગતસિંહનું ઘર પંજાબના નવાં જિલ્લાના ખટકર કલા ગામમાં આવેલું છે. ઈ.સ. ૨૦૦૮માં તેમની જન્મ-શતાબ્દીના પ્રસંગે તત્કાલીન સરકારે જિલ્લાનું નામ નવા શહેરમાંથી બદલીને શહીદ ભગતસિંહ કર્યું હતું. જો કે, આજે પણ નવા શહેર નામ જ ચલણમાં છે. પંજાબમાં તેને ટૂંકમાં એસ.બી.એસ. (શહીદ ભગતસિંહ) જિલ્લો લખાય છે, આને કારણે જિલ્લાનું નામકરણ કરવાનો ઉદ્દેશ જ માર્યો ગયો છે.

જિલ્લા મુખ્યમથકથી શહીદ ભગતસિંહનું ગામ ખટકર કલા, લગભગ તેર કિલોમીટરના અંતરે આવેલું છે. મુખ્ય સડકથી આપણે જેવા ગામ તરફ વળીએ, ત્યાં જ શહીદ ભગતસિંહ સ્મારકનું વિશાળ પરિસર આવેલું છે. અહીંના ભવનમાં ભગતસિંહ જ નહીં, પરંતુ દેશના દરેક રાજ્યના શહીદોનાં ચિત્રો અને વિગતો તેમ જ સ્મૃિતચિહ્નો મુકાયેલાં છે. આની બરાબર સામે ‘ઇન્કલાબ ઝિંદાબાદ’નો નારો ગજવતા ભગતસિંહની આદમકદની પ્રતિમા નજરે ચડે છે. આ પ્રતિમાનું અનાવરણ ઈ.સ. ૧૯૮૦માં થયું હતું. જો કે, સ્મારક હજુ અધૂરું પડ્યું છે. સ્મારકના દરવાજામાં પ્રવેશતાં જ સામે શહીદ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવની ધાતુમાંથી બનાવાયેલી વિશાળ ચહેરાવાળી મૂર્તિઓ જોવા મળે છે.

સ્મારકની ડાબી તરફથી અંદર જતાં જ દીવાલો પર શહીદો અને તેમના પરિવારોનાં ચિત્રો પ્રદર્શિત કરાયાં છે. આમ તો દરેક રાજ્યના શહીદોનાં ચિત્રો છે, છતાં પંજાબ, બંગાળ અને ઉત્તર પ્રદેશના શહીદોનાં ચિત્રોનું પ્રમાણ વધારે છે. શહીદ સ્મારકની દીવાલોના મધ્ય ભાગમાં કાચનાં મોટાં-મોટાં શો-કેસ છે, જેમાં શહીદો દ્વારા ઉપયોગમાં લેવાયેલી વસ્તુઓ અને પુસ્તકો વગેરે પણ પ્રદર્શિત કરાયાં છે. ભગતસિંહના હાથે લખાયેલા પત્રો અને લેખ વગેરે અહીં જોવા મળે છે. અહીં ભગતસિંહ અને તેમના સાથીઓએ ઍસેમ્બલીમાં ફેંકેલા બે બૉમ્બ પણ જોવા મળે છે. દીવાલો પર શહીદોનાં ચિત્રોની સાથે-સાથે એ સમયે અખબારોમાં શહીદો અંગેના છપાયેલા સમાચારો પણ પ્રદર્શિત કરાયા છે. આ બધી વસ્તુઓમાં શહીદોને ફાંસી અપાયા પછી જારી કરાયેલા શહીદોનાં મૃત્યુનાં પ્રમાણપત્ર મનને બહુ વિચલિત કરી દે છે. આ પ્રમાણપત્રોમાં, જલિયાંવાલા બાગ હત્યાકાંડના સૂત્રધાર જનરલ ડાયરને ઇંગ્લૅન્ડ જઈને ભરઅદાલતમાં ગોળી મારી દેનારા શહીદ ઉધમસિંહના મૃત્યુનું પ્રમાણપત્ર પણ છે. મૃત્યુનું સૌથી વધારે વિચલિત કરનારું પ્રમાણપત્ર ભગતસિંહનું છે. તેની ભાષા અત્યંત અમાનવીય છે. તેમને નિર્ધારિત સમય કરતાં વહેલા, સાંજે ફાંસી આપી દેવાયેલી અને રાતોરાત શહીદોના શરીરને પોલીસવાળા દ્વારા સતલુજ નદીના કિનારે અગ્નિદાહ આપી દેવાયેલો.

આ પ્રમાણપત્રમાં લખ્યું છે, ‘અહીં ખરાઈ કરવામાં આવે છે કે ભગતસિંહને મૃત્યુની સજા ફરમાવાઈ હતી, જેનું યોગ્ય રીતે અમલીકરણ કરી દેવાયું છે અને ભગતસિંહને કાયદા મુજબ જ્યાં સુધી મોત ન થયું ત્યાં સુધી ગળેથી લટકાવાયા હતા. લાહોર સેન્ટ્રલ જેલમાં સોમવારે ૨૩ માર્ચના દિવસે, ૧૯૩૧માં સાંજે સાત વાગ્યે શરીરને એક કલાક સુધી લટકાવાયેલું રખાયું હતું. મેડિકલ ઑફિસરે જીવ બચ્યો નથી, એવું પ્રમાણિત ન કર્યું, ત્યાં સુધી તેના શરીરને નીચે ઉતારાયું નહોતું. કોઈ દુર્ઘટના, ભૂલ અને કોઈ બીજી અણધારી ઘટના નથી થઈ.’ આ પ્રમાણપત્ર અંગ્રેજીમાં ટાઇપ કરેલું છે. વળી, એમાં જેલના સુપરિન્ટેન્ડન્ટે ખાલી જગ્યામાં નામ અને તારીખ વગેરે ભર્યું છે અને નીચે પોતાના હસ્તાક્ષર કર્યા છે.

આ સ્મારકભવનમાં શહીદ-સ્મારકના બનનારા ભવનની એક પ્રતિકૃતિ પણ રાખવામાં આવી છે. નિર્માણાધીન સ્મારકનું બે માળનું અધૂરું ભવન ઊભું છે, જેમાં લોખંડની ભવ્ય ડિઝાઇન બનાવાયેલી છે. મને લાગ્યું કે આ અધૂરું ભવન આપણા દેશના અધૂરા સપનાં જેવું જ નથી? આ સપનું કોઈ પણ પક્ષનું ચૂંટણીનું વચન નથી બનતું.

ભગતસિંહના ગામમાં પ્રવેશતાં જ બગીચામાં પથ્થરનો પગથિયાંવાળો મંચ અને શ્રોતાઓને બેસવા માટેની વ્યવસ્થા જોવા મળે છે. આ જગ્યાએ દેશભરના લેખક, કલાકારો અને નાટ્યકર્મીઓ શહીદ ભગતસિંહના જન્મદિવસે કાર્યક્રમોનું આયોજન કરે છે.

ખટકર કલા ગામના છેવાડે સૌથી પહેલાં શહીદ ભગતસિંહનું ઈંટોથી ચણાયેલું ઘર દેખાય છે. આ ઘરની સામે એક બહુ મોટું બૉર્ડ લગાડેલું છે, જેમાં ગુરુમુખીમાં શહીદ ભગતસિંહના પરિવારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઘરના પ્રાંગણમાં પ્રવેશતાં જ એક નાનું બૉર્ડ મળે છે, જેના પર ગુરુમુખીમાં લખેલું છે – શહીદ ભગતસિંહ કા જદ્દી ઘર, એટલે કે પૈતૃક ઘર. ઘરના મુખ્ય દરવાજાની સામે એક નાનકડી કૂઈ કે નાનકડો કૂવો છે. ઘરના વચ્ચેના મોટા ખંડમાં લાકડાનો એક નવ ખાનાંવાળો પુસ્તક રાખવાનો કબાટ રખાયેલો છે. આ વિશાળ ખંડમાં કાથી અને જાડા સૂતરમાંથી ગૂંથેલી ખાટલીઓ પણ રાખેલી છે, સાથે-સાથે થોડાં જૂના સમયમાં વપરાતાં ઘરકામનાં વાસણો પણ રખાયેલાં છે. મોટા ખંડની ડાબી અને જમણી બાજુ બીજા બે ખંડ છે, જેમાં પણ રસોડાનાં જૂના જમાનાનાં પિત્તળ અને તાંબાનાં વાસણો રાખેલાં છે. મોટા ખંડની જમણી બાજુના ખંડમાં લોખંડનું એક મોટું ટબ છે, જેની બન્ને બાજુ હૅન્ડલ લગાવાયેલાં છે. તથા લોખંડની બાલટી વગેરે રખાયેલા છે. આ ત્રણેય ખંડ પછી ઉપર ધાબે જવા માટેનાં ઇંટનાં પગથિયાં નજરે પડે છે.

અહીં ઘર-ગૃહસ્થીની અતિ જરૂરી વસ્તુઓ સિવાયની કોઈ દેખાડાની વસ્તુઓ ઘરમાં નથી. સૌથી મહત્ત્વપૂર્ણ વાત છે, ઘરમાં પુસ્તકોનાં ત્રણ કબાટનું હોવું. આજે કેટલાના ઘરે પુસ્તકો ભરેલાં કબાટ જોવા મળે છે? ભગતસિંહને શહીદ ભગતસિંહ બનાવનારી શક્તિ આ કબાટોમાં રહેલાં પુસ્તકોમાં જ ક્યાંક છુપાયેલી છે. તેમણે જેલવાસ દરમિયાન પણ વાચન-લેખન છોડ્યું નહોતું. આ વાત તેમણે પોતાના પિતાને લખેલા પત્રોમાંથી સ્પષ્ટ થાય છે.

આઠમી એપ્રિલ, ૧૯૨૯માં ઍસેમ્બલીમાં બૉમ્બ ફેંકાયા અને બૉમ્બ ફેંક્યા પછી કોઈ પણ વિરોધ કર્યા વિના પોલીસને ગિરફ્તારી આપી દીધેલી. દિલ્હી જેલમાંથી પોતાના પિતાજીને ૨૬ એપ્રિલ, ૧૯૨૯ના રોજ મોકલેલા પત્રમાં લખ્યું છે, ‘‘તમે જો મળવા આવો, તો એકલા જ આવજો, બેબે જી(માતા)ને સાથે ન લાવતા. વગર કારણે તે રડી પડશે અને મને પણ થોડું દુઃખ થશે. ઘરની તમામ બાબતોની તમારી સાથેની મુલાકાતથી જાણ થઈ જશે. હા શક્ય હોય તો ‘ગીતારહસ્ય અને નેપાલિયનની જીવનગાથા’, જે તમને મારાં પુસ્તકોમાંથી મળી જશે અને એ ઉપરાંત અંગ્રેજીની અમુક સારી નવલકથાઓ લઈ આવજો.’’

શહીદ ભગતસિંહના ઘરથી પાછા ફરતાં દેશપ્રેમની ભાવના પણ આપણી સાથે-સાથે આવે છે. આપણા દેશમાં ધાર્મિક પ્રવાસો વધી ગયા છે. શું દેવ-દેવીઓના આ ધાર્મિક પ્રવાસોમાં દેશપ્રેમ અને ક્રાંતિકારી શહીદોનાં સ્મારકોને પ્રવાસમાં સામેલ ન કરી શકાય?

શહીદ ભગતસિંહે ફાંસી પર ચડવાના થોડા સમય પહેલાં લખ્યું હતું કે ‘‘જ્યારે અટકાવની સ્થિતિ લોકોને પોતાના સકંજામાં જકડી લે છે, ત્યારે કોઈ પણ પ્રકારનાં પરિવર્તન કરતાં તેઓ ખચકાય છે. આ જડતા અને નિષ્ક્રિયતાને તોડવા માટે એક ક્રાંતિકારી સ્પિરિટ (સાહસ) પેદા કરવાની જરૂર હોય છે. નહિતર પતન અને બરબાદીનું વાતાવરણ છવાઈ જતું હોય છે. લોકોને ભરમાવતી પ્રતિક્રિયાવાદી શક્તિઓ લોકોને ખોટા માર્ગે લઈ જવામાં સફળ થાય છે, આનાથી માણસની પ્રગતિ અટકી જાય છે અને તેમાં અટકાવ આવી જાય છે. આ સ્થિતિને બદલવા માટે જરૂરી છે કે ક્રાંતિની ભાવના તાજી કરવામાં આવે, જેથી માણસાઈના આત્મામાં એક હરકત પેદા થાય.’’

(સપ્રેસ)

(ડૉ. કશ્મીર ઉપ્પલ નિવૃત્ત પ્રાધ્યાપક છે.)

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2016; પૃ. 16-17 

Loading

...102030...3,6383,6393,6403,641...3,6503,6603,670...

Search by

Opinion

  • સહિષ્ણુતા: ભારતની અસલી તાકાત
  • Artificial Intelligence: જવાબો વધી રહ્યા છે, પણ આપણી વિચારશીલતા પર કાટ ચઢી રહ્યો છે?
  • ચલ મન મુંબઈ નગરી—343
  • ઓઈલ કંપનીઓ મગરનાં આંસુ સારે છે …
  • જ્યોતિરાવ ફુલે અને સ્ત્રી શિક્ષણની ક્રાંતિ: એક અર્થશાસ્ત્રીય અર્થઘટન

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved