ચંપારણ્યનો ગળીવિરોધી સત્યાગ્રહ ઈ.સ ૧૯૧૭માં થયો હતો. ગાંધીજી ૧૯૧૫માં દક્ષિણ આફ્રિકાથી પરત ફર્યા. તે સમયે તેઓ મહાત્મા તરીકે ઓળખાતા નહોતા. દક્ષિણ આફ્રિકામાં બાવીસ વર્ષના સમયગાળા દરમિયાન તેમણે બૌદ્ધિક આદર્શોને વ્યવહારિક રૂપ આપ્યું હતું. રસ્કિનની પુસ્તિકા વાંચી પોતાની જીવનશૈલી બદલી હતી. ફિનિક્સમાં આશ્રમ સ્થાપી તેમણે ખેડૂતોની જીવનશૈલી અપનાવી હતી. દક્ષિણ આફ્રિકાની લડતોને કારણે કાચું લોખંડ પોલાદમાં ફેરવાઈ ચૂક્યું હતું. વ્યક્તિગત જીવન અને માનવસંબંધો અંગેનું વ્યાપક જીવનદર્શન તેમનામાં વિકસિત થયું હતું. તેમ જ સમાજની અર્થવ્યવસ્થા અને સરકારના કર્તવ્ય અંગે પણ તેમના વિચાર ખૂબ સ્પષ્ટ હતા.
ગાંધીજી ભારત પાછા ફર્યા, ત્યારે ગુરુવર્ય ગોપાળકૃષ્ણ ગોખલેની સલાહ પ્રમાણે તેમણે તુરત સાર્વજનિક જીવનમાં ભાગ લેવાને બદલે માત્ર ભારત જોવાનું નક્કી કર્યું હતું. તેમ છતાં વીરમગામની જકાત રદ કરવી, તેમ જ ગિરમીટપ્રથા બંધ કરવા માટે તેમણે સક્રિય આગેવાની લીધી હતી. તે પ્રશ્નોનો ઉકેલ પણ આણ્યો હતો.
ગાંધીજી ભારત પાછા ફર્યા, ત્યારે શાંતિનિકેતનમાં દીનબંધુ એન્ડ્રુઝે તેમને પૂછ્યું હતું, ‘ભારતમાં સત્યાગ્રહ કરવાનો પ્રસંગ આવશે એમ તમને લાગે છે? અને લાગતું હોય તો ક્યારે?’ તે અંગે ગાંધીજીનો જવાબ હતો, ‘મારા માટે આ પ્રશ્નનો જવાબ આપવો મુશ્કેલ છે. પાંચ વર્ષ સુધી સત્યાગ્રહ કરવાનો પ્રસંગ આવશે એમ મને લાગતું નથી.’ માત્ર બે વર્ષમાં જ આ પ્રસંગ આવ્યો અને ભારતીય સ્વાતંત્ર્યની લડત કઈ રીતે લડવી તેનો પાઠ દેશને શીખવી ગયો.
૧૯૧૬માં લખનૌ ખાતેના કૉંગ્રેસ અધિવેશનમાં બ્રજકિશોરબાબુ (જયપ્રકાશ નારાયણના સસરા, પ્રભાવતીના પિતાજી) અને તેમના સહકાર્યકરો આવ્યા હતા. બિહારમાં ગળીના ખેડૂતોના દુઃખનિવારણ તરફ કૉંગ્રેસે ધ્યાન આપવું તે માટે તેમના પ્રયત્ન હતા, એવો ઠરાવ તે અધિવેશનમાં રજૂ કરવા ઇચ્છતા હતા. આ ઠરાવ ગાંધીજીએ રજૂ કરવો એવી તેમની ઇચ્છા હતી. પરંતુ જે બાબત પોતે વાસ્તવમાં જોઈ નથી, તે અંગે ઠરાવ રજૂ કરવા ગાંધીજીએ ના પાડી. માત્ર આ જૂથના સભ્યોના આગ્રહ ખાતર ચંપારણ્યની મુલાકાત લેવાનું તેમણે માન્ય રાખ્યું.
અધિવેશન પૂરું થઈ ગયું. પરંતુ બિહારના નેતા અને તેમના પ્રતિનિધિ પંડિત રાજકુમાર શુક્લ ગાંધીજીની પાછળ પડ્યા. કોલકાતામાં કમિટીની બેઠક માટે આવ્યા હતા, ત્યારે બે દિવસની બોલી પર ગાંધી ચંપારણ્યની મુલાકાતે ગયા અને ત્યાંની ભીષણ પરિસ્થિતિ જોઈ તેમણે ત્યાં જ ખૂંટો ખોદ્યો.
ચંપારણ્ય સાંસ્થાનિકોથી વ્યાપ્ત હતું. બેતિયાનું સંસ્થાન સૌથી મોટું હતું. સાંસ્થાનિકોએ પોતાની જમીન ઇજારાથી આપી હતી. છેંતાલીસ ટકા જમીન પર અંગ્રેજ ઠેકેદારોનો અધિકાર હતો. ચંપારણ્ય જિલ્લાનો લગભગ અડધો હિસ્સો અંગ્રેજ ઠેકેદારો પાસે હતો. ગામોનાં ગામ ઠેકેદારોના તાબામાં હતાં. ઇજારાની રકમ સાંસ્થાનિકોને મળી રહે એટલે પત્યું. ઠેકેદારો પ્રજા સાથે ગમે તેમ વર્તે તો પણ સાંસ્થાનિકોને તેની સાથે લેવા-દેવા નહોતી. ગાંધીજી ચંપારણ્યમાં ગયા, ત્યારે ત્યાં સિત્તેરથી વધારે કોઠીઓ (ગળીનાં કારખાનાં) હતી. આ કોઠીઓએ ચંપારણ્યની પ્રજાનું જોશ હણી લીધું હતું અને તેમને ગુલામ કરી મૂક્યા હતા. કોઠીઓના શોષણને કારણે પ્રજા ભયભીત હતી. પોલીસયંત્રણા અને કોર્ટ હતી, પણ તે કોઠીવાળાઓને એટલે કે ગળીવાળાઓને ફાયદો કરાવવા માટે જ. જાણે ગળીવાળા સર્પે ચંપારણ્યની પ્રજાને કસીને જકડી રાખી હતી.
ગાંધીજીએ ચંપારણ્યમાં આવતાંની સાથે જ પ્રજાને શોષણમુુક્ત કરવા માટે એક વિશેષ તંત્રની રચના કરી. જેમના માટે પગલું માંડવાનું છે, તેને પહેલાં તેની જાણ કરવી એ સત્યાગ્રહી તરીકે ગાંધીજી પોતાનું કર્તવ્ય માનતા હતા. મુઝફ્ફરપુરમાં આવતાં જ તેમણે બગીચાવાળા સંઘના સેક્રેટરી અને તિરહૂત વિભાગના કમિશનરની મુલાકાત લીધી અને ખેડૂત, જમીનદાર અને ગળીવાળાના સન્માનથી સુલેહ કરવા માટે તે આવ્યા છે, તેમ જણાવ્યું. તેમ છતાં ગળીવાળાઓએ તેમની ઉપસ્થિતિનો અર્થ અંગ્રેજોને દેશમાંથી કાઢી મૂકવા એવો જ કર્યો. કમિશનરે તેમને ચંપારણ્યમાંથી નીકળી જવાની સલાહ આપી.
મુઝફ્ફરપુરમાં બ્રજકિશોરબાબુ વગેરે વકીલો સાથે વાતચીત કર્યા પછી ગાંધીજીના ધ્યાનમાં આવ્યું કે માત્ર ખટલા ચલાવવાથી આ તીનકઠિયા (એક વીઘા જમીનના ત્રીજા ભાગની જમીન પર ગળી રોપવાની રીત) પ્રકાર બંધ થશે નહીં. રૈયત કચડાઈ ગઈ છે. ભયગ્રસ્ત છે. તેને ભયમાંથી મુક્ત કરવી એ જ ખરું ઔષધ છે.
ગાંધીજીએ સહકારીઓ (જે મુખ્યત્વે વકીલ હતા) પાસેથી આશ્વાસન મેળવ્યું કે કારકુની કામ તેમણે કરવાં પડશે અને આપણે ધંધો અનિશ્ચિત સમય સુધી બંધ રાખવો પડશે. તેમ જ બધાં કામો સેવાભાવથી અને વગર પૈસે થવા જોઈએ એમ પણ જણાવ્યું. આ લડતમાં જેલમાં જવાની શક્યતા પણ તેમણે દર્શાવી. પરંતુ સહકારીઓને પંપાળીને જ, ‘જો તેમણે આ જોખમ સ્વીકાર્યું તો તેમને ગમશે’ એમ નમ્રપણે સૂચવ્યું. આ ગાંધીની રીત હતી. જે જેટલું સાથે ચાલે તેટલું તેને ચલાવડાવવું.
ગાંધીને અંદેશો મળી ગયો કે અંગ્રેજો તેમને પકડશે, ત્યારે સરકાર તરફથી જે કાર્યવાહી થાય, તે પ્રજાની સમક્ષ થાય, એ ઉદ્દેશથી તે મુઝફ્ફરપુર છોડી ચંપારણ જિલ્લાના મુખ્ય સ્થળ મોતીહારી પહોંચ્યા. મોતીહારી પહોંચતાં જ પ્રજાની ભીડ ભેગી થઈ ગઈ. જે આવે તે પોતાનું દુઃખ જણાવવા લાગ્યું. ગાંધીજી પર તેની અસર થવા લાગી.
મોતીહારીમાં પહોંચતાં જ બીજા દિવસે ગાંધીને જિલ્લા-મેજિસ્ટ્રેટે નોટિસ આપી. તેમના આવવાથી સાર્વજનિક શાંતિનો ભંગ થશે. ભયંકર તોફાનો ફાટી નીકળશે. તેથી તેમણે જિલ્લામાંથી નીકળી જવું એમ નોટિસમાં જણાવવામાં આવ્યું હતું. ગાંધીએ જિલ્લો છોડીને જવાની ના પાડી. તેમણે સ્પષ્ટ કહ્યું કે, ચળવળ કરવા માટે નહીં, પણ સાચી પરિસ્થિતિની શોધ કરવા માટે તે ત્યાં આવ્યા છે.
સરકારે ગાંધીજીના વિરોધમાં કોર્ટમાં ખટલો (કેસ) દાખલ કર્યો. કોર્ટમાં ઊભા રહ્યા પછી કોર્ટે પૂછ્યું કે તેમનો કોઈ વકીલ છે? ગાંધીએ જવાબ આપ્યો કે, ના. આ સાંભળતાંની સાથે જ ત્યાં એકઠા થયેલા હજારો લોકો ચકિત થઈ ગયા. છતાં પણ લોકોને લાગ્યું કે ગાંધીજી પોતે મોટા બૅરિસ્ટર છે, ત્યારે તે પોતાનો પક્ષ પોતે જ રજૂ કરશે. સરકારી વકીલે સાક્ષી ઊભા કરતાં જ ગાંધીએ કહ્યું કે સાક્ષીની જરૂર નથી. તેમાં નકામો સમયનો બગાડ થાય છે. તેમણે કોર્ટની સામે પોતાનું નિવેદન વાંચી સંભળાવ્યું. જનતામાં રહીને જ જનતાની સેવા કરી શકાય છે. આ તેમનું કર્તવ્ય છે અને તેથી તેમણે કાયદાનો ભંગ કરી શિક્ષા સહન કરવાનું ઠરાવ્યાનું જણાવ્યું. નિવેદન સાંભળતાં જ લોકો સ્તબ્ધ થઈ ગયા. આ પ્રકારનું નિવેદન કદાચ આ પૂર્વે હિંદુસ્થાનના કોઈ પણ બ્રિટિશ કાર્યાલયમાં કોઈએ આપ્યું નહોતું કે કોઈએ સાંભળ્યું નહોતું. મૅજિસ્ટ્રેટ પણ મૂંઝાઈ ગયા. મૅજિસ્ટ્રેટને લાગ્યું હતું કે ખટલો કેટલાક દિવસ ચાલશે. તેમને સમજાયું નહીં કે નિર્ણય જણાવવા સુધી ગાંધીનું શું કરવું. મૅજિસ્ટ્રેટે નિર્ણય ચાર-પાંચ દિવસ સુધી ટાળી દીધો.
સત્યાગ્રહ એટલે જ સવિનય કાનૂનભંગ. ગાંધીજી લખે છે, ‘સરકારી નોટિસોનો હું કાયદેસર વિરોધ કરી શક્યો હોત. તેમ કરવાને બદલે મેં તેમની બધી નોટિસો સ્વીકારી. તેના પરથી અને અમલદારો સાથે પ્રત્યક્ષ સંબંધ થતા દાખવેલા સૌજન્ય પરથી તેમને સમજાઈ ગયું કે, જુઓ, તેમને વિરોધ કરવાનો નહોતો, પણ હુકમનો સવિનય કાયદાભંગ જ કરવાનો હતો. તેના કારણે તેમને એક પ્રકારની નિર્ભયતા પ્રાપ્ત થઈ. પણ તે સાથે તેમના ધ્યાનમાં એ પણ આવ્યું કે આપણી સત્તા આજથી લુપ્ત થઈ. લોકો પળવાર માટે શિક્ષાનો ભય છોડી પોતાના નવા મિત્રની પ્રેમશક્તિને આધીન થયા.’
કમિશનરે આપેલી આ નોટિસને બિહાર સરકારે ભૂલભરેલું પગલું ગણાવ્યું અને ખટલો પાછો લીધો. સવિનય કાયદાભંગમાં આદર હોવો જોઈએ, સંયમ હોવો જોઈએ, તેમાં ક્યારે ય ઉદ્ધતપણું આવે તે કામનું નહીં. તેમાં દ્વેષ અને ઘૃણાની ભાવના પણ આવવી જોઈએ નહીં. ભારતીય સ્વાતંત્ર્ય લડતની આ ઐતિહાસિક ઘટના હતી. દેશના પહેલા સવિનય કાયદાભંગની એટલે કે સત્યાગ્રહની આ શરૂઆત હતી.
અંગ્રેજ કોઠીવાળા (ગળીના કારખાનેદાર) જબરદસ્તીથી ગળી રોપવા ફરજ પાડતા. ત્યાં તીનકઠિયા પ્રથા પ્રચલિત હતી. એક વીઘા જમીનના ત્રીજા ભાગની જમીન પર ગળી રોપવાની રીત એટલે તીનકઠિયા. ખેતીની ઉપજાઉ જમીન પર ખેડૂતને ગળી રોપવાની ફરજ પાડવામાં આવતી. ખેડૂતો સાથે કોઠીવાળા કરાર કરતા. કરાર પ્રમાણે ઠરાવેલી રકમ ગળી રોપવાના બદલામાં ખેડૂતોને કોઠીવાળા આપતા. જો પાક સારો ન આવે તો પણ તે રકમ ખેડૂતને આપવી જ પડતી, જે કોઠીવાળા આપતા. જમીન ખેડવી, રોપણી કરવી બધું ખેડૂતે જાતે કરવું પડતું. ખેડૂતોની ઇચ્છા વિરુદ્ધ કરાર કરવામાં આવતો. કોઠીવાળાનો આ બધો વ્યવહાર ખેડૂતોનું શોષણ કરી ચૂસી લેનારો હતો. કોઠીના નોકર તેમની પર અત્યાચાર કરતા, મૃત ઢોરોનાં ચામડાં પર વહીવટાનુસાર ચમારનો હક રહેતો. કોઠીવાળાએ તે હક છીનવી લીધો. ખેતરમાંનાં વૃક્ષો પર કોઠીવાળા હક્ક જમાવતા. ઢોરોના ચારણની જમીન ઉપયોગમાં લેવી કે નહીં એ અધિકાર કોઠીવાળાએ પોતાની પાસે રાખવાથી ગામ જ મુશ્કેલીમાં આવતું. જો પ્રજા કોઠીવાળાને નારાજ કરે, તો તેમને એક વાડામાં પૂરી દેવામાં આવતા. ઝાડની સાથે બાંધી દઈ ચાબૂકથી ફટકારવામાં આવતા. તેની સ્ત્રીને નગ્ન કરવામાં આવતી. કેટલાક કોઠીવાળા તો છોકરી પહેલી વખત રજસ્વલા થાય, એટલે રાત્રે છોકરીને કોઠી પર બોલાવી લેતા. અનેક રીતે કોઠીવાળા પ્રજાનું શોષણ કરતા હતા. આ અન્યાયના વિરોધમાં ઉદ્રેક થતા. ૧૯૦૮નો બળવો આવો જ હતો. ખેડૂતોએ ગળી રોપવાનો ઇન્કાર કરી દીધો. કોઠીના સિપાઈઓએ મારામારી કરી. મૅનેજર પર હુમલો કર્યો. બળવાને રોકવા માટે સૈનિક અને પોલીસ તૈનાત કરવામાં આવી. નેતાઓની ધરપકડ કરવામાં આવી. પરિસરમાં યુદ્ધજન્ય પરિસ્થિતિ નિર્માણ થઈ. ત્રણસો કરતાં વધારે લોકોને શિક્ષા કરવામાં આવી. જ્યારે-જ્યારે ઉદ્રેક થયો, ત્યારે-ત્યારે પ્રજા જ મુશ્કેલીમાં મુકાઈ. અંગ્રેજો તરફથી પ્રજાને કચડી નાખવામાં આવી.
ગાંધીજીએ ઠરાવ્યું કે, રાષ્ટ્રીય કૉંગ્રેસના નામે લડતો ચલાવવી નહીં. અખબારવાળા અને આગેવાનોને તેમણે દૂર જ રાખ્યા. (કૉંગ્રેસનું નામ લીધા વિના કૉંગ્રેસે અને કૉંગ્રેસના આગેવાનોએ આ પ્રદેશમાં પ્રવેશ કર્યો.) આ વિષયનું રાજકારણ કરવું નહીં એ તેમણે અગાઉથી જ નક્કી કર્યું હતું. ક્યાં ય રાજકારણ પર ભાષણ ન આપવાની શરત તેમણે પોતાના પર અને કાર્યકરો પર લાદી હતી. પ્રજાનું દુઃખ દૂર કરવા માટે તે ત્યાં આવ્યા હતા, આંદોલન કરવા માટે નહીં. ગાંધી જાણતા જ હતા કે કોઈ પણ આંદોલન કરો, છેવટે તેનું રાજકારણ થાય છે જ.
ગાંધીએ પ્રજાનાં નિવેદનો લખીને લેવાની શરૂઆત કરી. દરરોજ ખેડૂત-કાર્યકરોને લઈને બેસતા. કાર્યકરો નિવેદન લખતા. કાર્યકરો મધ્યમવર્ગીય, ઉચ્ચવર્ણીય હતા. પ્રજા ગરીબ, અજ્ઞાની હતી. ગાંધીની આ કાર્યપદ્ધતિને કારણે બંનેમાં એકરૂપતા આવી. કાર્યકરોમાં ગ્રામીણો માટેનું અંતર દૂર થવામાં મદદ મળી. કાર્યકરો નિવેદનો લખતા. તેના કારણે પ્રજાને પોતાનું દુઃખ સાંભળનારું કોઈક છે, એ તેમની ભાવના તેમનું મનોધૈર્ય ઊંચું લાવવામાં કારણભૂત ઠરી. તેમનું દુઃખ દૂર થઈ કાર્યકરોનું ઘડતર થયું. સ્વરાજ્યનો અર્થ માત્ર ગોરાઓને ભગાડવાનો નહીં પણ લોકોની દશા સુધરશે, ત્યારે જ સ્વરાજ્ય અવતરશે, એ ગાંધીની દૃષ્ટિ તેમનામાં અવતરી.
સશસ્ત્ર બળવા માટે સશસ્ત્ર-શિક્ષણ આવશ્યક હોય છે. તે જ પ્રમાણે સત્યાગ્રહ માટે વિધાયક કાર્યના પ્રશિક્ષણની આવશ્યકતા હોય છે. પ્રજાની ચિરંતન ઉન્નતિ માટે ઉપાય શોધવો એ મહત્ત્વનું હતું. આ માટે ગાંધીજીએ ચંપારણ્યમાં ત્રણ આશ્રમશાળા ખોલી. આ માત્ર શાળા નહોતી, લોકોના એકઠા થવાનું સ્થાન હતું. ભયગ્રસ્ત જનતામાં જઈને બેસવું એ જ એક મોટું કામ હતું. શાળા ડર, અજ્ઞાન અને નકારાત્મકતાનું ઉચ્ચાટણ કરવાનું માધ્યમ હતી.
સ્વયંસેવકોને ગાંધીજીની તાકીદ હતી કે બગીચાવાળા વિરુદ્ધ ફરિયાદ આવે તો તેમાં પડવું નહીં. રાજકારણને સ્પર્શ પણ કરવો નહીં. કોઈની પણ ફરિયાદ આવે તો તેને ગાંધી પાસે મોકલી દેવા. શાળામાં ઔષધો અને ફળો એટલું જ રહેતું. સફાઈનું કામ મુશ્કેલ હતું. કૂવાની આસપાસનો કીચડ ઉપાડવાનું અભિયાન પણ શાળાએ ઉપાડ્યું હતું. પ્રૌઢોને સાક્ષર કરવા માટે રાત્રિશાળા શરૂ કરવામાં આવી હતી. કેટલાકને નવડાવીને સ્વચ્છ રહેવાના પાઠ શીખવવામાં આવતા. કોઠીવાળાને આશ્રમોની ધાક હતી. તેમનાં આડાઅવળાં વર્તનોની ફરિયાદો આશ્રમમાં આવે, તો તેેનો પણ જવાબ આપવામાં આવતો. આશ્રમ એ ગામની પ્રતિષ્ઠા હતી તેમ જ કોઠીવાળા અને પ્રજા વચ્ચેની સાંકળ હતી.
વિરોધીઓની બાબતમાં સૌજન્ય, તેમનું દૃષ્ટિબિંદુ સમજી લેવાની આતુરતા, વિરોધીઓમાં જે કંઈ સર્વોત્કૃષ્ટ છે, તે શોધીને તેને આપનાવવું તેમાં જ સાધુત્વ છે. સત્યાગ્રહનું તે અંગ છે. ગાંધીજીએ આશ્રમનાં કામ અંગે જિલ્લાધિકારીઓને માહિતી લખીને જણાવી અને કર્મચારીઓનો સહકાર પણ માગ્યો. તેમ જ કોઠીવાળા અંગ્રેજોને પણ આ કાર્યમાં મદદ કરવાનું આવાહન કર્યું. સત્યાગ્રહીને વિરોધીઓ પર વિશ્વાસ મૂકતાં ક્યારે ય ડર લાગતો નથી. ગાંધીજીની આ કાર્યશૈલીની પ્રજા પર અસર ન થાય તો જ નવાઈ! ગાંધીની ઉપસ્થિતિને કારણે લોકોનું મનોધૈર્ય વધ્યું, ભય ઓછો થયો. લોકોને સામર્થ્યની જાણ થવા લાગી. ખેડૂતો જમીન-મહેસૂલ ભર્યાની પાવતી કોઠીવાળા પાસે માગવા લાગ્યા. ઢોરોને ગેરકાયદેસર ડબ્બામાં પૂરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો.
સત્યાગ્રહ એ જેમ અન્યાય-નિવારણની લડત છે, તેમ જ તે આત્મશુદ્ધિની પણ લડત છે. આ માટે બાહ્ય આચરણ કેવું હોવું જોઈએ, તેનો પાઠ ગાંધીજીએ કાર્યકરોને શીખવ્યો. બીજાના હાથનું ક્યારે ય ન જમનારા રાજેન્દ્રબાબુ સામૂહિક રસોડામાં જમવા લાગ્યા. પોતાનાં કપડાં પોતે ધોવા લાગ્યા. પોતાનાં એંઠાં વાસણો જાતે ઘસવા લાગ્યા. ત્રીજા વર્ગમાં પ્રવાસ કરવાનું તેમને અપમાનજનક લાગ્યુ નહીં. ગાંધીજીની સાદગી તેમને લોકોની નજીક લઈ જવામાં કારણભૂત ઠરી.
ગાંધીજી ગામડાંની મુલાકાતો લેતા હતા. નિવેદનો લખી લેતા હતા. તે જ પ્રમાણે પ્રજાને થનારા અન્યાય અંગે કોઠીના મૅનેજરોને જવાબ પણ પૂછતા હતા. ગળીવાળાઓએ ગાંધીના પાછા પાડવા માટે અને તેમનું કાર્ય નિષ્ફળ કરવામાં કોઈ કસર છોડી નહોતી.
યુરોપિયન ડિફેન્સ ઍસોસિયેશને ઠરાવ મંજૂર કર્યો. આ ઠરાવ પ્રમાણે સરકારને ચંપારણ્યમાં શાંતિ જોઈતી હશે, તો તેમણે ગાંધીજી અને તેમના સહકાર્યકરોને તાત્કાલિક ચંપારણમાંથી કાઢી મૂકવા, એવો તેમનો આગ્રહ હતો. આ બધાને પરિણામે બિહાર સરકારે ગાંધી સાથે વાતચીત કરી અને છેવટે એક તપાસસમિતિની નિમણૂક કરી. બિહાર સરકારે આગ્રહપૂર્વક ગાંધીને આ સમિતિના સભ્ય થવાની ફરજ પાડી અને તે માટે ગાંધીની શરતો પણ માન્ય રાખી. સત્યાગ્રહનો આ વિજય જ હતો.
સમિતિએ તીનકઠિયા પદ્ધતિ રદ કરવાનું સૂચન સરકારને કર્યું. અન્ય નાની-મોટી અન્યાયકારક બાબતો અંગે ગાંધીએ હઠ કરી નહીં. તીનકઠિયા પદ્ધતિ જશે, તેની સાથે જ અન્ય બાબતો પણ આપોઆપ જશે અને કોઠીવાળાઓને ચંપારણ્યમાં રહેવાની મુશ્કેલી પડશે, એવી ગાંધીની ધારણા હતી. છેવટે ગાંધીની રણનીતિ અને પ્રજાની એકજૂથતાના પરિણામસ્વરૂપ સરકારે ચંપારણ્ય ખેતીકાયદો મંજૂર કર્યો.
નવો કાયદો થતાં જ ગળીવાળા પોતાની જમીન, કોઠી અને ઢોર-ઢાંખર વેચીને નીકળી ગયા. ગાંધીજીના જવાથી તેમનો દબદબો ઘટ્યો હતો. માત્ર સામાન્ય જમીનદારના રૂપે જ તે ત્યાં રહી શકવાના હતા. તેમાં તેમનું ગાડું ચાલવાનું નહોતું. પહેલું વિશ્વયુદ્ધ પૂરું થયું હતું. વસ્તુની કિંમતો વધી હતી. તેણે તેનું હતું-નહતું તે બધું વેચી નાખ્યું. પૈસા સારા મળવાથી ગળીવાળાને પણ નુકસાન થયું નહીં અને પ્રજાને પણ મુક્તિનો આનંદ મળ્યો.
આચાર્ય કૃપાલાની લખે છે, ‘આ આંદોલન શુદ્ધ રૂપે આર્થિક હતું. પરંતુ ગાંધીજીએ ક્યારે ય અર્થકારણને રાજકીય અને સામાજિક સુધારણાથી વેગળું કર્યું નહીં. ચંપારણ્ય અને સામાન્યતઃ બિહારની જનતાની આત્મસન્માનની ઉપલબ્ધિ રાજકીય મૂલ્યો કરતાં મહાન હતી.’ સ્વાતંત્ર્ય- લડતનો આ અહિંસાત્મક શુભારંભ હતો.
E-mail : sampurna.kranti1975@gmail.com
[અનુવાદ : કાશ્યપી મહા]
સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૉક્ટોબર 2016; પૃ. 05 – 07