Opinion Magazine
Number of visits: 9843520
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હિંસાનો વિરોધ અહિંસાના સમર્થકો જ કરી શકે

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|24 April 2025

હેમન્તકુમાર શાહ

પહેલગામની આતંકવાદી હિંસાની નિંદા કરનારા એ ભૂલી જાય છે કે હિંસાનો સંપ્રદાય દુનિયામાં બધે એકસમાન જ હોય છે. એમાં વ્યક્તિને મારવાનો અને એ થકી કોઈક વિચારને મારવાનો હેતુ હોય છે.

જરા જોઈએ આ બાબત :

(૧) નથુરામ ગોડસેએ ગાંધીને માર્યા. ગાંધી અહિંસાનો, લોકશાહીનો અને સર્વધર્મસમભાવનો વિચાર હતો. ગોડસે કટ્ટરતાથી ભરપૂર એવા હિંદુ રાષ્ટ્રનો અને એ થકી ભેદભાવપૂર્ણ રાજકીય અને સામાજિક વ્યવસ્થાનો વિચાર હતો. 

(૨) આતંકવાદ પણ એક વિચાર સાથે ચાલે છે. જે આતંકવાદીઓએ પહેલગામની દુર્ઘટનાને અંજામ આપ્યો તેમનો એક વિચાર છે. એ વિચાર ધાર્મિક કટ્ટરતા છે અને ભારતમાં ધર્મને આધારે  સામાજિક અને રાજકીય ભેદભાવ વધુ મજબૂત બને તે જ છે. 

(૩) ધર્મ એક અફીણ છે. એનો નશો બીજા કોઈ પણ નશા કરતાં વધુ ખતરનાક હોય છે. એને નામે સદીઓથી હિંસા થતી રહી છે. આજકાલ એને આતંકવાદને નામે ઓળખવામાં આવે છે. પ્રશ્ન ધર્મનો છે, એના વાજબી અર્થનો છે. જે ધર્મ કટ્ટરતા, નફરત અને ઝેર ફેલાવવાનું શીખવે એ ધર્મ ચોક્કસપણે અધર્મ છે. 

(૪) એક ધર્મીઓની હિંસા બીજા ધર્મીઓને હિંસા કરવા તરફ લઈ જાય છે. સામસામી હિંસાનો કોઈ અંત આવતો નથી. અંતે અહિંસા જ સૌને જીવતા રાખી શકે. એ બધા ધર્મીઓએ શીખવું પડે. હિંસાને યાદદાસ્તમાં જાળવી રાખીને બેઠેલા ગમે ત્યારે બદલારૂપી હિંસા જન્માવે છે.

(૫) પોતાની હિંસા વાજબી છે એવું જ્યારે લાગે ત્યારે સમજવું કે એવું બીજાઓ પણ કહી શકે છે. હિંસા કોઈ પણ હિસાબે વાજબી ઠરી શકે નહીં. 

(૬) અત્યારે તો મુસીબત એ છે કે એક બહુ મોટો વર્ગ નથુરામ ગોડસેની હિંસાને યોગ્ય ઠરાવવાની તનતોડ મહેનતમાં લાગેલો છે; અને એ જ વર્ગ આતંકવાદીઓની હિંસાને જબરદસ્ત વખોડે છે. આશ્ચર્ય! જો એક હિંસક કૃત્યની તરફેણ કરો તો, બીજાઓ બીજી હિંસાની તરફેણ કરવા આવી જ જશે. હિંસા વચ્ચે તફાવત ન હોઈ શકે. એ નાની કે મોટી પણ હોતી નથી. હિંસા માત્ર ત્યાજ્ય છે. 

(૭) નથુરામ ગોડસે ગાંધીની હત્યા એટલે કરે છે કે એમનો વિચાર જુદો છે. વિચારનો મતભેદ હિંસા સુધી લઈ જાય તો બ્રહ્માંડમાં જીવ શોધનારા મનુષ્યની જિંદગીનું કોઈ જ મહત્ત્વ રહેતું નથી. મનુષ્ય જંગલી જ રહ્યો કહેવાય. વિકાસની પારાશીશી અહિંસા છે. 

(૮) યાદ રાખો, વ્યક્તિને મારવાથી એનો વિચાર મરતો નથી. ગાંધીવિચાર આજે પણ બોલ્યા જ કરે છે, દુનિયાભરમાં. ગોડસેને ફાંસી થયા પછી શું ગોડસેનો વિચાર મરી ગયો? એમ આતંકવાદીઓને મારી નાખવાથી આતંકવાદ ખતમ થઈ જાય છે એવું માનવું એ ભ્રમ છે. દુનિયાનો છેલ્લાં અનેક વર્ષોનો ઇતિહાસ એની સાક્ષી પૂરે છે. આતંકવાદીઓના દિમાગમાં જે કુવિચાર છે એનો સફાયો કેવી રીતે થઈ શકે તે જ ખુલ્લા દિમાગે વિચારવું રહ્યું. 

(૯) કોઈ પણ ધર્મને નામે થતી હિંસા એ ખતરનાક હિંસા હોય છે. એમાં રાજ્ય ભળે તો દુનિયામાં ગમે ત્યાં હિટલર અને એના રાજકીય વંશજો જન્મે એ નક્કી છે. 

(૧૦) જગતમાં જે કોઈ વિકાસ દેખાય છે તે મનુષ્યની બુદ્ધિપૂર્વકની અહિંસાને આભારી છે, હિંસાને નહિ. માનવજાતનો ઇતિહાસ એની સાબિતી આપે છે. 

અને હા,

(૧૧) જેઓ પોતે હિંસા આચરે છે, અથવા હિંસાનું સમર્થન કરે છે; તેઓ હિંસાનો વિરોધ કરવાનો નૈતિક અધિકાર ગુમાવી બેસે છે. 

अहिंसा परमो धर्म:

તા.૨૩-૦૪-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ઋણાનુબંધ

નરેન્દ્ર ત્રિવેદી|Opinion - Short Stories|24 April 2025

પરેશભાઈ અને જ્યોતિબહેનના લગ્નને પાંચ વર્ષ જેવો સમય વીતી ગયો હતો, પણ હજી તેમને ત્યાં પારણું બંધાયું નહોતું. પ્રાર્થના, માનતા, બાધા, આખડી રાખવામાં કોઈ કમી રાખી નહોતી. જ્યોતિબહેન ઘણી વખત પરેશભાઈને કહેતાં કે ‘મારી કુખે સંતાન યોગ નથી. તમે બીજા લગ્ન કરી લો.’ પરેશભાઈ સદંતર ના કહેતા કે એ વાત નહીં બને. આ બધા દીકરા, દીકરીઓ આપણા સંતાન છે. આપણે બીજું શું જોઈએ.

પરેશભાઈ, જ્યોતિબહેનને તો સમજાવી શક્યા પણ ઘરેથી મમ્મી-પપ્પા અને બીજાં કુટુંબીઓનું દબાણ આવવા માંડ્યું કે સંતાન વગર ખોટું. આ બધું કરીએ છીએ તો કોના માટે. અંતે પરેશભાઈએ કહ્યું, “હું, બીજા લગ્ન તો નહીં જ કરું. તમે લોકો સહમત થતા હો તો અનાથ આશ્રમમાંથી હું દીકરો કે દીકરી, જે નસીબમાં હોય તેને દત્તક લેવા માગું છું.”

બધાંએ સહમતી આપી એટલે પરેશભાઈએ બાળકને દત્તક લેવાનું નક્કી કર્યું.

“જ્યોતિ, આપણે બાળકને દત્તક લેવા જઈએ છીએ, કોને દત્તક લઈશું? દીકરો કે દીકરી? તારો શું વિચાર છે?”

“તમારો વિચાર એ મારો વિચાર. તમે શું વિચાર્યું છે?”

`મેં કંઈ વિચારી રાખ્યું નથી. આપણે એમ કરીએ, આપણે અનાથ આશ્રમમાં દાખલ થઈએ ત્યારે સામે જે મળે, દીકરો મળે તો દીકરાને અને દીકરી મળે તો દીકરીને દત્તક લઈશું.”

“તમારી વાત બરોબર છે. આપણા નસીબમાં જે હશે એ પહેલાં સામે મળશે.”

પરેશભાઈ અને જ્યોતિબહેન અનાથ આશ્રમમાં દાખલ થયાં. આશરે બે વર્ષની બાળકી સામે મળી.

“બેટા, તારું નામ શું છે?”

બાળકીએ કાલીઘેલી ભાષામાં કહ્યું, “રેખા.”

“વાહ, બહુ સરસ નામ છે.”

“આપણે આ બાળકીને દત્તક લઈએ.”

પરેશભાઈ અને જ્યોતિબહેનને બે વર્ષની બાળકી પસંદ પડી ગઈ હતી.

પરેશભાઈએ કહ્યું, “જોતાં જ ગમી જાય એવી છે. આપણે આ બાળકીને દત્તક લઈએ.”

“મને પણ ગમી ગઈ છે. કેવું મધુર મધુર હાસ્ય કરે છે. તેનું નામ રેખા જ રાખીશું.”

અનાથઆશ્રમની બધી વિધિ પતાવી, રેખાને ઘરે લઈ આવ્યાં. રેખાના આગમનના અનુસંધાને ઘરમાં એક ભવ્ય સમારંભનું આયોજન પણ કર્યું હતું.

પરેશભાઈ અને જ્યોતિબહેન રેખામય બની ગયાં હતાં. તેમનો દિવસ ક્યાં પસાર થઈ જતો એ ખબર નહોતી પડતી. માનો કે સુખના સાગર ઉમટ્યા હતા. રેખા, ત્રણ વર્ષની થઈ એટલે સારી સ્કૂલમાં એડમિશન લઈ સ્કૂલમાં દાખલ કરી દીધી. જ્યોતિબહેનની તબિયત થોડા સમયથી જરા ઠીક રહેતી નહોતી.

“ચાલ આપણે, આપણા પરિચિત લેડી ડૉક્ટરને બતાવી દઈએ.”

“ના, ના કંઈ થયું નથી. મારી તબિયત સારી છે”

“ના, એમ નહીં, આજે તો ડૉક્ટર પાસે જવું જ છે.”

“સારુ, સાંજે રેખાને લઈને ડૉક્ટર પાસે જઈશું.”

“જ્યોતિબહેન, પરેશભાઈ, અભિનંદન, તમારે ત્યાં નવા મહેમાનનું આગમન થવાનું છે. જ્યોતિબહેન તમે મમ્મી બનવાનાં છો.”

“ડૉક્ટર સાહેબ તમારી ભૂલ થતી લાગે છે. આટલાં વરસ તમે દવા કરીને, કંઈ ન થયું, તો હવે શું થાય.”

“જ્યોતિબહેન, ઘણી વખત એવું બને છે. બાળકને દત્તક લેતાં, બાળકની દેખભાળથી માતૃત્વ જાગૃત થાય છે અને પછી ઘણી માતાએ બાળકને જન્મ આપ્યાના દાખલા મારી પાસે છે.”

“હવે શું કરશું?”

“કંઈ નહીં, રેખાને બહેનની કે ભાઈની ભેટ મળશે.”

“જ્યોતિબહેન, પરેશભાઈની વાત સાચી છે. બીજું ચિંતાનું કોઈ કારણ નથી. હું છું ને.”

રેખાને ભાઈની ભેટ મળી ગઈ. તેનું નામ ભાગ્ય રાખ્યું. રેખા અને ભાગ્ય મોટાં થવા લાગ્યાં. રેખા અભ્યાસમાં હોશિયાર હતી એટલે એમ.બી.એ.. ફાઇનાન્સ કર્યું પણ ભાગ્ય અભ્યાસમાં નબળો હતો. માંડ, માંડ બી.એ. સુધી પહોંચ્યો. તે વિચારતો હતો. ‘મારે ખૂબ ભણીને શું કામ છે. આખરે પપ્પાનો બિઝનેસ તો સાંભળવાનો છે.’

રેખાએ સારી કંપનીમાં જોબ લઈ લીધી. ભાગ્યએ બિઝનેસ સંભાળી લીધો. રેખાના લગ્ન સારા ઘરના ડૉક્ટર દીકરા સાથે કરી દીધા. રેખાએ જોબ ચાલુ રાખી હતી. રેખાનું સાસરું સુખી અને સંપન્ન કુટુંબ હતું. એટલે પરેશભાઈને કોઈ ચિંતા નહોતી. સરસ જીવન સંસાર ચાલતો હતો.

એક દિવસ ભાગ્યે પરેશભાઈને કહ્યું, “રેખા મારી સગી બહેન નથી. તમારી મિલકતમાં તેનો કોઈ ભાગ નથી એટલે બધી મિલકત મારા નામે કરી દો.”

પરેશભાઈએ ભાગ્યને એક થપ્પડ મારી દીધી અને કહ્યું, “હવે પછી આવી વાત કરીશ તો ઘરમાંથી કાઢી મૂકીશ.”

પરેશભાઈને આજે સમજાયું કે ભાગ્યના મનમાં તેની બહેન રેખા વિશે શું ભાવના હતી. દીકરી સુખી હતી એટલે તેના વિશે કદી વિચાર્યું નહોતું. તેનું આ પરિણામ હતું. પરેશભાઈ અને જ્યોતિબહેને ભાગ્યને ખૂબ સમજાવ્યો. પણ બધું વ્યર્થ હતું.

ભાગ્યનો મિલકતને લઈને દિવસે દિવસે ઉપદ્રવ વધતો ગયો. તેની બાજુમાં ઇર્ષ્યાળુ સગાં-સંબંધીઓ ચડી ગયાં હતાં. ‘પરેશભાઈને ચિંતા હતી કે રેખાને કે તેના સાસરિયાંને રેખા તેની દત્તક પુત્રી છે એ વાતની ખબર જ નથી. કારણ કે રેખાને ક્યારે ય એમ લાગવા કે ખબર પાડવા નહોતી દીધી કે તે દત્તક પુત્રી છે અને અનાથ આશ્રમમાંથી દત્તક લીધી છે.’

પતિ-પત્ની ચિંતામાં હતાં કે ‘જો આ વાતની રેખાના સાસરે ખબર પડે, તો દીકરીનો ઘરસંસાર બગડે.’ જ્યારે બીજી બાજુ ભાગ્યની વાત પણ ગેરવ્યાજબી હતી એટલે પરેશભાઈએ ભાગ્યને નમતું ન જોખ્યું. ભાગ્યએ હિતશત્રુના ચડાવે. તેની પત્ની અને સાસરિયાના દબાણથી કોર્ટમાં મિલકત માટેનો કેસ દાખલ કરવાની ધમકી પરેશભાઈને આપી. પરેશભાઈ અને જ્યોતિબહેન દુઃખી થઈ ગયાં.

રેખાને વાતની ખબર પડી એટલે પિયર આવી. પરેશભાઈ અને જ્યોતિબહેન પાસે બેસીને આશ્વાસન આપ્યું. રેખાએ કહ્યું,

“પપ્પા, તમે જરા પણ ચિંતા ન કરતા. મને તમારા જમાઈ અને મારા સાસરામાં બધાંને તમે મને દત્તક લીધી છે, એ ખબર છે. મને તો તમારી ઉપર ગર્વ છે જ પણ મારા સાસરામાં પણ તમારા વખાણ થાય છે કે બાળકને દત્તક લેવું અને ઉચ્ચ સંસ્કાર આપવા એ હિંમતભર્યું અને ઉમદા કામ છે. પપ્પા, મને તમારી મિલકતમાં ભાગ નથી જોઈતો પણ ભાગ્યની માગવાની રીત ખોટી છે. મને તેની સામે વાંધો છે. આપણે કોર્ટમાં લડી લઈશું.”

“રેખાબહેન, તમારી મને ખબર પડી ગઈ છે. તમારો પપ્પાની મિલકતમાં કોઈ હક નથી.”

“તારી વાત ખોટી છે. મારો કાયદેસરનો હક છે. એ હું મેળવીને રહીશ.”

“તો તમારે મમ્મી-પપ્પાને કાયમ તમારી સાથે રાખવાં પડશે. હું મમ્મી-પપ્પાને સાથે રાખવા તૈયાર નથી.”

“તો એમ વાત છે. હું આખી જિંદગી મારી સાથે મમ્મી-પપ્પાને રાખવા તૈયાર છું.”

પરેશભાઈ અને જ્યોતિબહેન, ભાગ્યની વાત સાંભળી દુઃખી દુઃખી થઈ ગયાં.

“આજે આપણે જેની સાથે લોહીની સગાઈ છે. મારી કૂખેથી જન્મ આપ્યો છે. એ દીકરો આપણને રાખવા તૈયાર નથી અને જે આપણી સાથે ઋણાનુબંધથી જોડાઈ છે એ દીકરી કોઈપણ જાતની અપેક્ષા વગર આપણને જિંદગીભર રાખવા તૈયાર છે.”

“ભાગ્ય, તું આ શું બોલે છે? તું અમને સાથે રાખવા તૈયાર નથી?”

“ના, હું, તમને સાથે રાખવા માટે તૈયાર નથી અને રેખાબહેનને મિલ્કતમાં ભાગ આપવા પણ તૈયાર નથી. ભાગ જોઈતો હોય તો મારી સામે કોર્ટમાં દાવો કરી લડીને લઈ લે. મને વાંધો નથી.”

“ભાગ્ય, મારા માટે મમ્મી-પપ્પા એ જ સૌથી મોટી મિલકત છે. તું બધી જ મિલકત સુવાંગ રાખ મારે કંઈ જોઈતું નથી. પપ્પાની આબરૂ ખાતર દાવો ન કરતો અને અત્યારે જ હું મમ્મી-પપ્પાને મારી સાથે લઈ જાઉં છું. તને સદ્દબુદ્ધિ આવે તો તું મળવા આવી શકે છે.”

પરેશભાઈએ જ્યોતિબહેન સામે જોયું, જાણે કહેતા હોય કે ‘ભાગ્ય ભૂંસાઈ ગયું છે પણ હજી ઋણાનુબંધની રેખા અકબંધ છે, જે કદી નહીં ભૂંસાય.’

ભાવનગર, ગુજરાત
e.mail : Nkt7848@gmail.com

Loading

એક સ્ત્રીને કેટલું વીતે તો એ દુષ્કર્મનો ગુનો બને?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|24 April 2025

રવીન્દ્ર પારેખ

અહીં સ્ત્રી કે પુરુષ, કોઇની તરફેણની વાત નથી કે નથી વાત કોઈના વિરોધની, પણ સ્ત્રીઓ તરફે થતા ગુનાઓ જોઈએ છે તો તેને ન્યાય નથી મળતો, એટલું જ નહીં, ન્યાય કરનારાઓ તરફથી પણ તેની  કસોટી થાય છે. છેલ્લા થોડા વખતમાં હાઈકોર્ટના જે ચુકાદાઓ આવ્યા છે, તેણે જે તે સગીરા કે સ્ત્રીને તો સંતોષ નથી જ આપ્યો, પણ આમ પ્રજા પણ તેનાથી ખાસી નિરાશ થઈ છે. આમ તો ન્યાય માટે સાધારણ લોકોનો કોર્ટ પર ભરોસો હોય છે, તે સાથે જ ઘણાં પાત્રતા હોવા છતાં ને આર્થિક અગવડને કારણે કોર્ટ સુધી પહોંચી પણ શકતા નથી. એ સંજોગોમાં જે થોડા, કોર્ટ સુધી પહોંચે છે તેમને ન્યાયની  અપેક્ષા હોય જ છે. તેને બદલે કોર્ટ જ સંવેદનાથી ન વિચારે તો આઘાત લાગે. થોડા સમય પર હાઈકોર્ટના જે ચુકાદાઓ આવ્યા છે, તે અનેક સ્તરે ચર્ચાસ્પદ છે. કમ સે કમ હાઇકોર્ટ પાસેથી આવા ચુકાદાઓની અપેક્ષા નથી. એ સાચું કે કોર્ટે તટસ્થ રહેવાનું છે, પણ સંવેદનશૂન્ય રહેવાનું નથી. કમ સે કમ સ્ત્રીઓ સંદર્ભના ન્યાયમાં છેલ્લા થોડા ચુકાદાઓ હાઇકોર્ટની સંવેદનાઓનો અનુભવ નથી કરાવતા. 

2021માં બોમ્બે હાઇકોર્ટનો એક ચુકાદો એવો આવેલો કે ‘સ્કિનથી સ્કિન’ વગરનો ગુપ્તાંગોને કોઈ સ્પર્શ કરે તો તે જાતીય હુમલો ગણાય નહીં. આમ તો આ મુદ્દો અગાઉ આ કોલમમાં ચર્ચાઇ ગયો છે, પણ કોર્ટની સંવેદન શૂન્યતા સંદર્ભે અહીં એનો ઉલ્લેખ કરવાનું જરૂરી છે. કોઈ પુરુષ ફક્ત કપડાંને સ્પર્શ કરે અને એ વખતે જે તે અંગનો સીધો સ્પર્શ ન થતો હોય તો તે પોકસો એક્ટ હેઠળની જાતીય સતામણી ગણી શકાય નહીં. દાખલા તરીકે કોઈ આરોપીએ સગીરાનાં કપડાં કાઢ્યાં ન હોય કે કપડાંમાં હાથ નાખ્યો ન હોય તો છાતીને સ્પર્શવાનું કૃત્ય પોકસો હેઠળ જાતીય હુમલો ગણી શકાય નહીં. અહીં છાતીને સ્પર્શ્યા વગર કપડાં પરથી છાતીને સ્પર્શવાનો આરોપીનો હેતુ ધ્યાનમાં ન લેવાય અને સીધો છાતીને સ્પર્શ થયો નથી એટલે જાતીય હુમલો ન ગણાય એવું બોમ્બે હાઇકોર્ટનું અર્થઘટન, અનર્થઘટનની જ ગરજ સારે છે.

આથી વધુ ચર્ચાસ્પદ ચુકાદો અલ્હાબાદ હાઇકોર્ટે 2025ની 21 માર્ચે આપ્યો છે. બન્યું એવું કે ઉત્તર પ્રદેશની એક 11 વર્ષની બાળકીની છાતીને બે પુરુષોએ સ્પર્શ કર્યો, એટલું જ નહીં, તેના પાયજામાનું નાડું પણ ખેંચ્યું, તે ઉપરાંત બાળકીને નાળાની નીચે ખેંચવાની કોશિશ પણ કરી જોઈ. એ તો સારું થયું કે બાળકીની બૂમાબૂમથી, ત્યાંથી પસાર થતાં લોકો એ દરમિયાનગીરી કરી ને હુમલાખોરો ભાગી છૂટ્યા. બાળકીની છાતીને આરોપીઓ સ્પર્શ્યા, તેનું નાડું ખેંચ્યું ને તેને નાળાની નીચે ખેંચવાની કોશિશ કરી જોઈ, પણ અલ્હાબાદ હાઇકોર્ટને આરોપીઓનો હેતુ બળાત્કાર કરવાનો લાગતો નથી. લોકો આવી ચડ્યા ન હોત તો આરોપીઓ શું કરવા માંગતા હતા તે વગર બોલ્યે પણ સમજાય એવું છે, પણ કોર્ટને તે ધ્યાનમાં આવતું નથી. સોંસરું પૂછવાનું એ થાય કે છાતીનો સ્પર્શ કે નાડું ખેંચવાનો ઇરાદો સગીરાની પૂજા કરવાનો કે આરતી ઉતારવાનો હતો એમ માનવાનું છે? એ વાત સુપ્રીમને સમજાઈ ને હાઈકોર્ટના ચુકાદામાં રહેલી ક્ષતિ સંદર્ભે અલ્હાબાદ હાઇકોર્ટની ટીકા કરતાં સ્પષ્ટ કર્યું કે આવો ચુકાદો આપનારમાં સંવેદનશીલતાનો અભાવ છે. સુપ્રીમે સુઓમોટો લઈને ચુકાદા પર સ્ટે મૂક્યો. હાઈકોર્ટના ચુકાદાથી સુપ્રીમનો મત જુદો હોવાની નવાઈ નથી, પણ સ્ત્રીઓ સંદર્ભના ગુના બાબતે સુપ્રીમની ટકોર હાઇકોર્ટોને સંવેદનશીલ બનવાનો સંકેત આપે છે તે જરૂર નવાઈ પમાડનારું છે. જો કે, અલ્હાબાદ હાઇકોર્ટને તેની કૈં અસર થઈ હોય એવું લાગતું નથી, કારણ 10 એપ્રિલ, 2025ને રોજ એ જ અલ્હાબાદ હાઇકોર્ટનો એક ચુકાદો એવો આવ્યો કે દુષ્કર્મના કેસમાં દુષ્કર્મ માટે આરોપી નહીં, પણ મહિલા પોતે જ જવાબદાર છે.

ઘટના 21 સપ્ટેમ્બર, 2024ની છે. નોઇડા સ્થિત એક યુનિવર્સિટીની વિદ્યાર્થિની તેની મિત્રો સાથે દિલ્હીના એક હોજ ખાસ વિસ્તારના બારમાં ગઈ. અહીં તે કેટલાક પુરુષોને મળી. તેમાં આરોપી પણ હતો. મહિલાએ ફરિયાદમાં એ વિગતો આપી છે કે દારૂ પીવાને કારણે પોતે થાકી ગયાનું લાગતાં આરોપી મોડી રાત્રે પોતાને ઘરે લઈ જવાનો આગ્રહ કર્યા કરતો હતો. વારંવારના આગ્રહને કારણે મહિલા તેની સાથે જવા તૈયાર થઈ. ફરિયાદમાં મહિલાએ એવો આરોપ મૂક્યો કે આરોપીને ઘરે જતાં પહેલાં રસ્તામાં આરોપીએ અયોગ્ય રીતે સ્પર્શ કર્યો હતો ને ઘરે લઈ જવાને બદલે ગુડગાઉંના એક સંબંધીના ફ્લેટમાં લઈ ગયો ને ત્યાં મહિલા સાથે દુષ્કર્મ કર્યું. આ મામલે 11 ડિસેમ્બર, 2024ને રોજ આરોપીની ધરપકડ થઈ.

આરોપીનું કહેવું એમ હતું કે એ દુષ્કર્મ ન હતું, પણ પરસ્પરની સંમતિથી થયેલું કૃત્ય હતું. એ સંદર્ભે કોર્ટનું કહેવું હતું કે પીડિતાએ પોતે જ મુશ્કેલીને આમંત્રણ આપ્યું હતું અને જે કૈં થયું તેને માટે તે પોતે જ જવાબદાર હતી. પીડિતા જે થઈ રહ્યું છે તે જાણવા-સમજવા જેટલી શિક્ષિત અને સક્ષમ હતી, એમ માનીને કોર્ટે આરોપીને જામીન પણ આપ્યા. તબીબી તપાસમાં એટલું બહાર આવ્યું કે હાઇમન ફાટ્યું હતું, પણ બળાત્કાર થવા અંગે ડોકટરોએ સ્પષ્ટ મત આપ્યો ન હતો. મહિલાએ બીજે જ દિવસે બળાત્કાર થયાની પોલીસ ફરિયાદ આરોપી સામે નોંધાવી, પણ ધરપકડ ત્રણેક મહિને થઈ. તે એટલે કે પોલીસ આરોપીની એ વાત માનતી રહી કે એ બળાત્કાર ન હતો, પણ સંમતિથી થયેલ કૃત્ય હતું. મહિલા પોતાની વાત સમજાવવા વારંવાર પોલીસ સ્ટેશને ધક્કા ખાતી રહી. પોલીસને એમ પણ હતું કે ધક્કા ખાઈને યુવતી એની મેળે જ થાકશે ને આવતી બંધ થશે, પણ યુવતી થાકી નહીં, એટલે પોલીસે આરોપીની ધરપકડ કરી. નીચલી કોર્ટમાં આરોપીએ જામીન માટે અરજી કરી, પણ ન મળતાં જામીન માટે અરજી હાઇકોર્ટમાં થઈ. હાઇકોર્ટે આરોપીની એ વાત સ્વીકારી કે સંબંધ પરસ્પરની સંમતિથી થયો છે ને આરોપીને જામીન આપી દીધા. સંમતિથી સંબંધ થયો હોવાનું માનવા માટે હાઇકોર્ટ પાસે મુદ્દો એ હતો કે હાઇમન તૂટ્યું હતું એ ખરું, પણ રિપોર્ટમાં બળજબરી થયાનું કે જાતીય ઇજાઓ થયાનું નોંધાયું નથી, એટલે કોર્ટે એમ માન્યું કે આ દુષ્કર્મ નથી.

મહિલાને ધાકધમકીથી કે નશામાં નાખીને કે બેહોશ કરીને બળાત્કાર થાય તો બળજબરી કે ઇજાની વાત ન રહે એ સમજાય તેવું છે. કોર્ટને આ ન દેખાય એનું આશ્ચર્ય છે ને વધારે આઘાત તો હાઇકોર્ટની એ ટિપ્પણીથી લાગે છે કે યુવતી જોડે જે થયું તેને માટે તે જ જવાબદાર હતી, એનું કારણ શું, તો કે તે બારમાં હતી ને તેણે દારૂ પીધો હતો. તેનો અર્થ એવો થાય કે મહિલાએ બારમાં કે મોડી રાત્રે પાર્ટીમાં ન જવું. જાવ તો આવું થાય, એમ જ ને ! માની લઈએ કે રાતની પાર્ટીનું જોખમ સ્ત્રીઓએ ન લેવું, પણ નશામાં હોય એટલે કોઈને પણ જે તે યુવતી પર બળાત્કાર કરવાનું લાઇસન્સ મળી જાય? સ્ત્રી ગમે એટલી શિથિલ ચારિત્ર્યની જ કેમ ન હોય, કોઈ પણ પુરુષને તેને સ્પર્શવાનો અધિકાર નથી. પ્રસ્તુત કેસમાં યુવતીએ જાણીબૂઝીને નશો કર્યો હોય તો પણ, તેને સ્પર્શવાનો આરોપીને અધિકાર નથી. નશામાં હોવું એ દુષ્કર્મ માટેની સંમતિ નથી. એ વિચારવાને બદલે કોર્ટે મહિલા વિષે જાહેર ટિપ્પણી કરીને ભદ્રતાનો-શાલીનતાનો નમૂનો પૂરો પાડ્યો.

અલ્હાબાદ હાઇકોર્ટે મહિલાઓ સંબંધી જે છેલ્લા ચુકાદાઓ આપ્યા છે તે અનેક સ્તરે ચર્ચાસ્પદ છે. જો કે અગાઉના ચુકાદા સંદર્ભે સુપ્રીમે જે ટિપ્પણીઓ કરી તેવી જ ટિપ્પણી આ ચુકાદા સંદર્ભે પણ કરી છે. એક તરફ અગાઉના નાડું ખેંચવાના કેસની સુનાવણી ચાલે જ છે, ત્યાં એ જ અલ્હાબાદ હાઈકોર્ટના દુષ્કર્મ અંગે મહિલા જ જવાબદાર હોવાની ટિપ્પણી આવતાં સુપ્રીમે સ્પષ્ટ કર્યું કે આરોપીના જામીન મંજૂર કરવા હોય તો કરો, પણ રેપ પીડિતા અંગે ટિપ્પણી કરતી વખતે કોર્ટે વધુ સતર્ક રહેવું જોઈએ. અગાઉના કેસમાં કોર્ટની અસંવેદનાની નોંધ તો લીધી જ હતી ને આ વખતે રેપ પીડિત મહિલા સંદર્ભે હાઇકોર્ટને વધુ સતર્ક રહેવાની સુપ્રીમે ટકોર કરી છે.

એમ લાગે છે કે અલ્હાબાદ હાઇકોર્ટ ઉત્તરોત્તર વધારે સંવેદનશૂન્ય બનીને જ પ્રગટ થઈ રહી છે ને ન્યાયને મામલે એ અપેક્ષિત નથી. એ તો નથી જ !

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘સ્ત્રી સશક્તિકરણ’ નામક લેખકની કટાર, ‘મેઘધનુષ’ પૂર્તિ, “ગુજરાત ટુડે”, 20 ઍપ્રિલ  2025

Loading

...102030...362363364365...370380390...

Search by

Opinion

  • ગઝલ
  • સુરત મહાનગરપાલિકાને –
  • MET Gala 2026: સૉફ્ટ પાવરના મંચ પર ભારતનો ‘આર્કટેક્ચરલ’ વિજય
  • ચલ મન મુંબઈ નગરી—340
  • ગુજરાત UCCમાં સ્ત્રી  

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ
  • મિસ્ટર આંબેડકર અને આંબેડકર કોણ હતા

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved