પરેશભાઈ અને જ્યોતિબહેનના લગ્નને પાંચ વર્ષ જેવો સમય વીતી ગયો હતો, પણ હજી તેમને ત્યાં પારણું બંધાયું નહોતું. પ્રાર્થના, માનતા, બાધા, આખડી રાખવામાં કોઈ કમી રાખી નહોતી. જ્યોતિબહેન ઘણી વખત પરેશભાઈને કહેતાં કે ‘મારી કુખે સંતાન યોગ નથી. તમે બીજા લગ્ન કરી લો.’ પરેશભાઈ સદંતર ના કહેતા કે એ વાત નહીં બને. આ બધા દીકરા, દીકરીઓ આપણા સંતાન છે. આપણે બીજું શું જોઈએ.
પરેશભાઈ, જ્યોતિબહેનને તો સમજાવી શક્યા પણ ઘરેથી મમ્મી-પપ્પા અને બીજાં કુટુંબીઓનું દબાણ આવવા માંડ્યું કે સંતાન વગર ખોટું. આ બધું કરીએ છીએ તો કોના માટે. અંતે પરેશભાઈએ કહ્યું, “હું, બીજા લગ્ન તો નહીં જ કરું. તમે લોકો સહમત થતા હો તો અનાથ આશ્રમમાંથી હું દીકરો કે દીકરી, જે નસીબમાં હોય તેને દત્તક લેવા માગું છું.”
બધાંએ સહમતી આપી એટલે પરેશભાઈએ બાળકને દત્તક લેવાનું નક્કી કર્યું.
“જ્યોતિ, આપણે બાળકને દત્તક લેવા જઈએ છીએ, કોને દત્તક લઈશું? દીકરો કે દીકરી? તારો શું વિચાર છે?”
“તમારો વિચાર એ મારો વિચાર. તમે શું વિચાર્યું છે?”
`મેં કંઈ વિચારી રાખ્યું નથી. આપણે એમ કરીએ, આપણે અનાથ આશ્રમમાં દાખલ થઈએ ત્યારે સામે જે મળે, દીકરો મળે તો દીકરાને અને દીકરી મળે તો દીકરીને દત્તક લઈશું.”
“તમારી વાત બરોબર છે. આપણા નસીબમાં જે હશે એ પહેલાં સામે મળશે.”
પરેશભાઈ અને જ્યોતિબહેન અનાથ આશ્રમમાં દાખલ થયાં. આશરે બે વર્ષની બાળકી સામે મળી.
“બેટા, તારું નામ શું છે?”
બાળકીએ કાલીઘેલી ભાષામાં કહ્યું, “રેખા.”
“વાહ, બહુ સરસ નામ છે.”
“આપણે આ બાળકીને દત્તક લઈએ.”
પરેશભાઈ અને જ્યોતિબહેનને બે વર્ષની બાળકી પસંદ પડી ગઈ હતી.
પરેશભાઈએ કહ્યું, “જોતાં જ ગમી જાય એવી છે. આપણે આ બાળકીને દત્તક લઈએ.”
“મને પણ ગમી ગઈ છે. કેવું મધુર મધુર હાસ્ય કરે છે. તેનું નામ રેખા જ રાખીશું.”
અનાથઆશ્રમની બધી વિધિ પતાવી, રેખાને ઘરે લઈ આવ્યાં. રેખાના આગમનના અનુસંધાને ઘરમાં એક ભવ્ય સમારંભનું આયોજન પણ કર્યું હતું.
પરેશભાઈ અને જ્યોતિબહેન રેખામય બની ગયાં હતાં. તેમનો દિવસ ક્યાં પસાર થઈ જતો એ ખબર નહોતી પડતી. માનો કે સુખના સાગર ઉમટ્યા હતા. રેખા, ત્રણ વર્ષની થઈ એટલે સારી સ્કૂલમાં એડમિશન લઈ સ્કૂલમાં દાખલ કરી દીધી. જ્યોતિબહેનની તબિયત થોડા સમયથી જરા ઠીક રહેતી નહોતી.
“ચાલ આપણે, આપણા પરિચિત લેડી ડૉક્ટરને બતાવી દઈએ.”
“ના, ના કંઈ થયું નથી. મારી તબિયત સારી છે”
“ના, એમ નહીં, આજે તો ડૉક્ટર પાસે જવું જ છે.”
“સારુ, સાંજે રેખાને લઈને ડૉક્ટર પાસે જઈશું.”
“જ્યોતિબહેન, પરેશભાઈ, અભિનંદન, તમારે ત્યાં નવા મહેમાનનું આગમન થવાનું છે. જ્યોતિબહેન તમે મમ્મી બનવાનાં છો.”
“ડૉક્ટર સાહેબ તમારી ભૂલ થતી લાગે છે. આટલાં વરસ તમે દવા કરીને, કંઈ ન થયું, તો હવે શું થાય.”
“જ્યોતિબહેન, ઘણી વખત એવું બને છે. બાળકને દત્તક લેતાં, બાળકની દેખભાળથી માતૃત્વ જાગૃત થાય છે અને પછી ઘણી માતાએ બાળકને જન્મ આપ્યાના દાખલા મારી પાસે છે.”
“હવે શું કરશું?”
“કંઈ નહીં, રેખાને બહેનની કે ભાઈની ભેટ મળશે.”
“જ્યોતિબહેન, પરેશભાઈની વાત સાચી છે. બીજું ચિંતાનું કોઈ કારણ નથી. હું છું ને.”
રેખાને ભાઈની ભેટ મળી ગઈ. તેનું નામ ભાગ્ય રાખ્યું. રેખા અને ભાગ્ય મોટાં થવા લાગ્યાં. રેખા અભ્યાસમાં હોશિયાર હતી એટલે એમ.બી.એ.. ફાઇનાન્સ કર્યું પણ ભાગ્ય અભ્યાસમાં નબળો હતો. માંડ, માંડ બી.એ. સુધી પહોંચ્યો. તે વિચારતો હતો. ‘મારે ખૂબ ભણીને શું કામ છે. આખરે પપ્પાનો બિઝનેસ તો સાંભળવાનો છે.’
રેખાએ સારી કંપનીમાં જોબ લઈ લીધી. ભાગ્યએ બિઝનેસ સંભાળી લીધો. રેખાના લગ્ન સારા ઘરના ડૉક્ટર દીકરા સાથે કરી દીધા. રેખાએ જોબ ચાલુ રાખી હતી. રેખાનું સાસરું સુખી અને સંપન્ન કુટુંબ હતું. એટલે પરેશભાઈને કોઈ ચિંતા નહોતી. સરસ જીવન સંસાર ચાલતો હતો.
એક દિવસ ભાગ્યે પરેશભાઈને કહ્યું, “રેખા મારી સગી બહેન નથી. તમારી મિલકતમાં તેનો કોઈ ભાગ નથી એટલે બધી મિલકત મારા નામે કરી દો.”
પરેશભાઈએ ભાગ્યને એક થપ્પડ મારી દીધી અને કહ્યું, “હવે પછી આવી વાત કરીશ તો ઘરમાંથી કાઢી મૂકીશ.”
પરેશભાઈને આજે સમજાયું કે ભાગ્યના મનમાં તેની બહેન રેખા વિશે શું ભાવના હતી. દીકરી સુખી હતી એટલે તેના વિશે કદી વિચાર્યું નહોતું. તેનું આ પરિણામ હતું. પરેશભાઈ અને જ્યોતિબહેને ભાગ્યને ખૂબ સમજાવ્યો. પણ બધું વ્યર્થ હતું.
ભાગ્યનો મિલકતને લઈને દિવસે દિવસે ઉપદ્રવ વધતો ગયો. તેની બાજુમાં ઇર્ષ્યાળુ સગાં-સંબંધીઓ ચડી ગયાં હતાં. ‘પરેશભાઈને ચિંતા હતી કે રેખાને કે તેના સાસરિયાંને રેખા તેની દત્તક પુત્રી છે એ વાતની ખબર જ નથી. કારણ કે રેખાને ક્યારે ય એમ લાગવા કે ખબર પાડવા નહોતી દીધી કે તે દત્તક પુત્રી છે અને અનાથ આશ્રમમાંથી દત્તક લીધી છે.’
પતિ-પત્ની ચિંતામાં હતાં કે ‘જો આ વાતની રેખાના સાસરે ખબર પડે, તો દીકરીનો ઘરસંસાર બગડે.’ જ્યારે બીજી બાજુ ભાગ્યની વાત પણ ગેરવ્યાજબી હતી એટલે પરેશભાઈએ ભાગ્યને નમતું ન જોખ્યું. ભાગ્યએ હિતશત્રુના ચડાવે. તેની પત્ની અને સાસરિયાના દબાણથી કોર્ટમાં મિલકત માટેનો કેસ દાખલ કરવાની ધમકી પરેશભાઈને આપી. પરેશભાઈ અને જ્યોતિબહેન દુઃખી થઈ ગયાં.
રેખાને વાતની ખબર પડી એટલે પિયર આવી. પરેશભાઈ અને જ્યોતિબહેન પાસે બેસીને આશ્વાસન આપ્યું. રેખાએ કહ્યું,
“પપ્પા, તમે જરા પણ ચિંતા ન કરતા. મને તમારા જમાઈ અને મારા સાસરામાં બધાંને તમે મને દત્તક લીધી છે, એ ખબર છે. મને તો તમારી ઉપર ગર્વ છે જ પણ મારા સાસરામાં પણ તમારા વખાણ થાય છે કે બાળકને દત્તક લેવું અને ઉચ્ચ સંસ્કાર આપવા એ હિંમતભર્યું અને ઉમદા કામ છે. પપ્પા, મને તમારી મિલકતમાં ભાગ નથી જોઈતો પણ ભાગ્યની માગવાની રીત ખોટી છે. મને તેની સામે વાંધો છે. આપણે કોર્ટમાં લડી લઈશું.”
“રેખાબહેન, તમારી મને ખબર પડી ગઈ છે. તમારો પપ્પાની મિલકતમાં કોઈ હક નથી.”
“તારી વાત ખોટી છે. મારો કાયદેસરનો હક છે. એ હું મેળવીને રહીશ.”
“તો તમારે મમ્મી-પપ્પાને કાયમ તમારી સાથે રાખવાં પડશે. હું મમ્મી-પપ્પાને સાથે રાખવા તૈયાર નથી.”
“તો એમ વાત છે. હું આખી જિંદગી મારી સાથે મમ્મી-પપ્પાને રાખવા તૈયાર છું.”
પરેશભાઈ અને જ્યોતિબહેન, ભાગ્યની વાત સાંભળી દુઃખી દુઃખી થઈ ગયાં.
“આજે આપણે જેની સાથે લોહીની સગાઈ છે. મારી કૂખેથી જન્મ આપ્યો છે. એ દીકરો આપણને રાખવા તૈયાર નથી અને જે આપણી સાથે ઋણાનુબંધથી જોડાઈ છે એ દીકરી કોઈપણ જાતની અપેક્ષા વગર આપણને જિંદગીભર રાખવા તૈયાર છે.”
“ભાગ્ય, તું આ શું બોલે છે? તું અમને સાથે રાખવા તૈયાર નથી?”
“ના, હું, તમને સાથે રાખવા માટે તૈયાર નથી અને રેખાબહેનને મિલ્કતમાં ભાગ આપવા પણ તૈયાર નથી. ભાગ જોઈતો હોય તો મારી સામે કોર્ટમાં દાવો કરી લડીને લઈ લે. મને વાંધો નથી.”
“ભાગ્ય, મારા માટે મમ્મી-પપ્પા એ જ સૌથી મોટી મિલકત છે. તું બધી જ મિલકત સુવાંગ રાખ મારે કંઈ જોઈતું નથી. પપ્પાની આબરૂ ખાતર દાવો ન કરતો અને અત્યારે જ હું મમ્મી-પપ્પાને મારી સાથે લઈ જાઉં છું. તને સદ્દબુદ્ધિ આવે તો તું મળવા આવી શકે છે.”
પરેશભાઈએ જ્યોતિબહેન સામે જોયું, જાણે કહેતા હોય કે ‘ભાગ્ય ભૂંસાઈ ગયું છે પણ હજી ઋણાનુબંધની રેખા અકબંધ છે, જે કદી નહીં ભૂંસાય.’
ભાવનગર, ગુજરાત
e.mail : Nkt7848@gmail.com