
હેમન્તકુમાર શાહ
પહેલગામની આતંકવાદી હિંસાની નિંદા કરનારા એ ભૂલી જાય છે કે હિંસાનો સંપ્રદાય દુનિયામાં બધે એકસમાન જ હોય છે. એમાં વ્યક્તિને મારવાનો અને એ થકી કોઈક વિચારને મારવાનો હેતુ હોય છે.
જરા જોઈએ આ બાબત :
(૧) નથુરામ ગોડસેએ ગાંધીને માર્યા. ગાંધી અહિંસાનો, લોકશાહીનો અને સર્વધર્મસમભાવનો વિચાર હતો. ગોડસે કટ્ટરતાથી ભરપૂર એવા હિંદુ રાષ્ટ્રનો અને એ થકી ભેદભાવપૂર્ણ રાજકીય અને સામાજિક વ્યવસ્થાનો વિચાર હતો.
(૨) આતંકવાદ પણ એક વિચાર સાથે ચાલે છે. જે આતંકવાદીઓએ પહેલગામની દુર્ઘટનાને અંજામ આપ્યો તેમનો એક વિચાર છે. એ વિચાર ધાર્મિક કટ્ટરતા છે અને ભારતમાં ધર્મને આધારે સામાજિક અને રાજકીય ભેદભાવ વધુ મજબૂત બને તે જ છે.
(૩) ધર્મ એક અફીણ છે. એનો નશો બીજા કોઈ પણ નશા કરતાં વધુ ખતરનાક હોય છે. એને નામે સદીઓથી હિંસા થતી રહી છે. આજકાલ એને આતંકવાદને નામે ઓળખવામાં આવે છે. પ્રશ્ન ધર્મનો છે, એના વાજબી અર્થનો છે. જે ધર્મ કટ્ટરતા, નફરત અને ઝેર ફેલાવવાનું શીખવે એ ધર્મ ચોક્કસપણે અધર્મ છે.
(૪) એક ધર્મીઓની હિંસા બીજા ધર્મીઓને હિંસા કરવા તરફ લઈ જાય છે. સામસામી હિંસાનો કોઈ અંત આવતો નથી. અંતે અહિંસા જ સૌને જીવતા રાખી શકે. એ બધા ધર્મીઓએ શીખવું પડે. હિંસાને યાદદાસ્તમાં જાળવી રાખીને બેઠેલા ગમે ત્યારે બદલારૂપી હિંસા જન્માવે છે.
(૫) પોતાની હિંસા વાજબી છે એવું જ્યારે લાગે ત્યારે સમજવું કે એવું બીજાઓ પણ કહી શકે છે. હિંસા કોઈ પણ હિસાબે વાજબી ઠરી શકે નહીં.
(૬) અત્યારે તો મુસીબત એ છે કે એક બહુ મોટો વર્ગ નથુરામ ગોડસેની હિંસાને યોગ્ય ઠરાવવાની તનતોડ મહેનતમાં લાગેલો છે; અને એ જ વર્ગ આતંકવાદીઓની હિંસાને જબરદસ્ત વખોડે છે. આશ્ચર્ય! જો એક હિંસક કૃત્યની તરફેણ કરો તો, બીજાઓ બીજી હિંસાની તરફેણ કરવા આવી જ જશે. હિંસા વચ્ચે તફાવત ન હોઈ શકે. એ નાની કે મોટી પણ હોતી નથી. હિંસા માત્ર ત્યાજ્ય છે.
(૭) નથુરામ ગોડસે ગાંધીની હત્યા એટલે કરે છે કે એમનો વિચાર જુદો છે. વિચારનો મતભેદ હિંસા સુધી લઈ જાય તો બ્રહ્માંડમાં જીવ શોધનારા મનુષ્યની જિંદગીનું કોઈ જ મહત્ત્વ રહેતું નથી. મનુષ્ય જંગલી જ રહ્યો કહેવાય. વિકાસની પારાશીશી અહિંસા છે.
(૮) યાદ રાખો, વ્યક્તિને મારવાથી એનો વિચાર મરતો નથી. ગાંધીવિચાર આજે પણ બોલ્યા જ કરે છે, દુનિયાભરમાં. ગોડસેને ફાંસી થયા પછી શું ગોડસેનો વિચાર મરી ગયો? એમ આતંકવાદીઓને મારી નાખવાથી આતંકવાદ ખતમ થઈ જાય છે એવું માનવું એ ભ્રમ છે. દુનિયાનો છેલ્લાં અનેક વર્ષોનો ઇતિહાસ એની સાક્ષી પૂરે છે. આતંકવાદીઓના દિમાગમાં જે કુવિચાર છે એનો સફાયો કેવી રીતે થઈ શકે તે જ ખુલ્લા દિમાગે વિચારવું રહ્યું.
(૯) કોઈ પણ ધર્મને નામે થતી હિંસા એ ખતરનાક હિંસા હોય છે. એમાં રાજ્ય ભળે તો દુનિયામાં ગમે ત્યાં હિટલર અને એના રાજકીય વંશજો જન્મે એ નક્કી છે.
(૧૦) જગતમાં જે કોઈ વિકાસ દેખાય છે તે મનુષ્યની બુદ્ધિપૂર્વકની અહિંસાને આભારી છે, હિંસાને નહિ. માનવજાતનો ઇતિહાસ એની સાબિતી આપે છે.
અને હા,
(૧૧) જેઓ પોતે હિંસા આચરે છે, અથવા હિંસાનું સમર્થન કરે છે; તેઓ હિંસાનો વિરોધ કરવાનો નૈતિક અધિકાર ગુમાવી બેસે છે.
अहिंसा परमो धर्म:
તા.૨૩-૦૪-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર