Opinion Magazine
Number of visits: 9689317
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જયાબહેન દેસાઇનું લંડનમાં રંગભેદની નીતિ સામે અહિંસક આંદોલન

શિરીન મહેતા|Diaspora - History|18 February 2017

નડિયાદની 'દેહણ' – યુ.કે.ની ગાંધીવાદી વીરાંગના

બ્રિટનની ફેકટરીમાં ગોરાઓ દ્વારા પૂર્વ આફ્રિકાથી આવેલા લોકો અને ઇન્ડિયન પર આચરવામાં આવતી રંગભેદનીતિ વિરુદ્ધ જયાબહેન અને પુત્ર શિવકુમારે સત્યાગ્રહની માફક અસહકારના કાર્યક્રમ શરૂ કર્યા, આમ બ્રિટિશ સરકારને એશિયન સ્ત્રીઓની તાકાતનો પરિચય થયો

બ્રિટનમાં ગુજરાતી સ્ત્રીઓના ડાયસ્પોરનો ઇતિહાસ જયાબહેન દેસાઈની ઐતિહાસિક ગાથા વગર અધૂરો છે.

ચરોતરના પાટીદારનું ખમીર જયાબહેનમાં ઠંડી તાકાત રૂપે જન્મતાં જ પ્રાપ્ત થયેલું. મા-બાપે આ તાકાત દીકરીમાં પાળી અને પોષી. ૧૯૩૩માં ધર્મજ ગામે, પેટલાદ તાલુકામાં જન્મ થયો. પિતા ગોરધનભાઈ ગોવિંદભાઈ પટેલ ગાંધીવાદી વિચારસરણીથી પ્રભાવિત થયેલા. ગાંધીજીએ ૧૯૧૮થી ખેડા જિલ્લો ચરોતરને પોતાની કર્મભૂમિ બનાવી હતી.

અહીંના પટેલો, અનાવિલો ગાંધીજીના જમણાં હાથ સમા હતા. જ્યારે જયાબહેનનો શૈશવકાળ હતો ત્યારે દેશ આઝાદીના જંગમાં ઓતપ્રોત હતો. ૧૯૪૦-૪૨ 'હિંદ છોડો' આંદોલન એ ગાંધીજીના જીવનનું આખરી આંદોલન હતું. સભાઓ, સરઘસો, પ્રભાતફેરીઓ, ધરપકડ, લાઠીચાર્જ એ રોજબરોજના બનાવો ગુજરાતને ગામડે ગામડે ફેલાયેલા હતા.

પિતા ગોરધનભાઈ ગાંધી કાર્યકર જુગતરામ દવેના ગાઢ સંપર્કમાં હતા. જુગતરામ દવેએ દક્ષિણ ગુજરાતમાં આદિવાસીઓના ઉદ્ધાર માટે ધૂણી ધખાવી હતી અને ખાદી પ્રવૃત્તિ ગળાડૂબ હાથ ધરી હતી. ગોરધનભાઈ ખેડા જિલ્લાના ખાદીભંડારની પ્રવૃત્તિમાં મુખ્ય કાર્યકર બન્યા. ૧૯૨૧થી ગાંધી સત્યાગ્રહમાં ગોરધનભાઈ જોડાયા. ૧૯૨૧-૨૨ના અસહકાર આંદોલનના પાયાના કાર્યકર હતા. તેમની પત્ની કમળાબહેન બહેનોને સુંદર કંઠે આઝાદીનાં, સ્વાતંત્ર્યનાં ગીતો ગવડાવતાં. આ વાતાવરણમાં નાની જયા જન્મી.

ધર્મજની ભાગેળે પિતાનું ઘર અને બધાં સરઘસો ત્યાંથી નીકળે. ૮, ૧૦ વર્ષની જયાની આંખ ઊઘડે ત્યારે ગીતો ગવાતાં હોય 'શિર જાયે તો જાયે, આઝાદી ઘર આવે' 'ઈન્કલાબ ઝિન્દાબાદ' 'ક્વિટ ઈંડિયા' 'ગાંસડાં પોટલાં બાંધો બ્રિટનિયા' 'કરેંગે યા મરેંગે'. જયા સફાળી ઊભી થાય અને વાવટો પકડવાનો એવો શોખ લાગેલો કે વાવટો પકડવા સીધી ભાગોળે દોડે. ગાંધીવાદી કાર્યકરોનું તે પ્રિય લાડકું પાત્ર હતું. બધા તેમને કહેતા ''ચકલી નાની ને ફફડાટ ઘણો.'' ખરેખર મોટી વયે પણ તેમની નાજુક પાતળી દેહલતા, ૪-૧૦''ની ઊંચાઈ, પણ ઘણી તાકાત ધરાવતું ખમીરવંતુ વ્યક્તિત્વ હતું. જયાબહેન વટથી કહેતાં કે ''૧૯૪૨માં સરઘસ નીકળ્યું ત્યારે મારી પાસે આગળ પડતા આગેવાનો અને કાર્યકરોને કુમકુમ અને તિલક કરાવ્યાં હતાં. તેમાં જશભાઈ બેરિસ્ટર હતા, રવિશંકર મહારાજ હતા.

મેં કરેલા તિલકવાળા એક પણ કાર્યકર ગોળીનો ભોગ બન્યા ના હતા. ૧૯૪૨માં નાની જયા જીદ કરી પિતા સાથે ધર્મજમાં સરઘસમાં જોડાઈ. જનરલ લાયરે બેસુમાર લાઠીચાર્જનો દોર ચલાવ્યો. જયા ઠંડી તાકાતથી ઊભી રહી, ''શું કરી લેશે?'' અંગ્રેજ આ બાળકીનો વાળ પણ વાંકો કરી શક્યો નહિ. પિતા જયાને ઐતિહાસિક વાતો કહેતા. તેઓ કહેતા, ''હિરા ગયા, હેમ ગયા, કથીર રહ્યાં પરદેશીઓ ભારતને પાયમાલ કરતા ગયા.''

જયાનો અભ્યાસ ૧૦ ધોરણ સુધી થયો. ૧૯૫૫માં સૂર્યકાન્ત દેસાઈ સાથે લગ્ન થયાં. તેઓ મૂળ નડિયાદના. પેશ્વાઓ ''દેસાઈગીરી''નો ભોગવટો બાપદાદાને વારસામાં આપતા ગયા હતા. કુટુંબ ખૂબ ઘનાઢ્ય હતું. સૂર્યકાન્તભાઈએ કેમ્બ્રિજની પરીક્ષા પસાર કરી કૌટુંબિક જવાબદારી નિભાવવા દારેસલામ (ટાંઝાનિયા) આવ્યા. પુત્ર શિવનો જન્મ ધર્મજમાં થયો હતો. જયાબહેને પણ ટાંઝાનિયાની વાટ પકડી. બીજા પુત્ર રાજીવનો જન્મ દારેસલામમાં થયો.

૧૯૬૧માં ટાંઝાનિયામાં સ્વતંત્રતા આંદોલન ચાલ્યું. રાજકીય સમીકરણો બદલાવવા માંડયા. બે બાળકો ઘણાં તેજસ્વી હતા. દેસાઈ દંપતીને બાળકોનાં શિક્ષણની સમસ્યા સતાવતી હતી. ૧૯૬૪માં ભારત આવ્યાં. મહત્ત્વાકાંક્ષી સૂર્યકાન્તભાઈ ૧૯૬૮માં લંડન આવ્યા, વેમ્બલીમાં રહ્યા, રેન્ક ઈન્ડસ્ટ્રીઝમાં નોકરી સ્વીકારી. પણ સખત મહેનત કરવી પડતી, શારીરિક શ્રમ કરવો પડતો. જયાબહેન સિલાઈકામમાં પહેલેથી નિષ્ણાંત હતાં. ''જ્યુડી'' નામની ફેક્ટરીમાં ડ્રેસ બનાવવાનું કામ મેળવ્યું. મશીન ચલાવતાં શીખ્યાં.

લંડનમાં બી.બી.સી.ના 'ફૉર વિમેન અવર શૉ'ની ૭૦મી એનિવર્સરીની ઉજવણીના ઉપક્રમે પાવર વિમેન્ટ લીસ્ટ જાહેર કર્યું. જેમાં માર્ગરેટ થેચર, બારબરા કાસલ, ઓસ્ટ્રેલિયન લેખિકા જરમેઇન ગ્રીરની સાથે નડિયાદની દેહણ નામથી જાણીતાં થયેલાં જયાબહેન દેસાઇને સ્થાન મળ્યું છે

બ્રેન્ટ કાઉન્સિલે જયાબહેનને 'સિટીઝનશિપ' એવોર્ડ એનાયત કર્યો.

જયાબહેને વળી પાછું સિલાઈકામ 'બ્રેન્ટ ઈંડિયન એસોસિયેશન'માં મેળવી લીધું. હેરો કોલેજમાં સીવણકામ શરૂ કરવા માટેનો અભ્યાસક્રમ ઘડયો. બ્રેન્ટ ઈંડિયન એસોસિયેશનની બહેનો કોમ્યુિનટી ડેવલપમેન્ટના પ્રોગ્રામ કરતી તેમાં જયાબહેન જોડાયાં. વૃદ્ધજનો માટે શરૂ કરાયેલી સંસ્થા પેન્શનર્સ ક્લબમાં તે ઘણાં સક્રિય બન્યાં. ડેનિસ જેક્સન સેન્ટરમાં ચાલતી મહિલા મંડળની પ્રવૃત્તિમાં પાયાના કાર્યકર તરીકે જોડાયાં. વિલાસબહેન ધનાણીના રિફ્લેક્સોલોજી અને યોગના વર્ગોમાં જયાબહેન ખૂબ મદદ કરતાં. આ ઉપરાંત નવી પેઢીના ગુજરાતી બાળકો ગુજરાતી ભૂલતા જતાં હતાં. તેમને ગુજરાતી શિખવાડવા તેમણે અથાગ પરિશ્રમ કર્યો. રસપ્રદ રીતે, આનંદ પ્રમોદ સાથે શીખવતાં.

બ્રેન્ટ કાઉન્સિલે તેમને 'સિટીઝનશિપ' એવોર્ડ એનાયત કર્યો. બેટરસી હાઈસ્ટ્રીટ ખાતે આવેલા બ્રિટિશ ઈન્ડસ્ટ્રિયલ મ્યુિઝયમમાં કાંસાની પ્રતિમા મૂકવામાં આવી છે. જયાબહેન કેવળ ગુજરાતી તરીકે જ નહીં પણ જગતની નારીચેતનાના ઇતિહાસમાં તેઓ ગૌરવવંતુ પાત્ર છે. જયાબહેનના શબ્દોમાં કહીએ તો ''પોતાના અધિકારો માટે લડત આપવી, પોતાનું સ્વમાન, આત્મગૌરવ જાળવવું, તેના માટે ફના થવું – એ મૂલ્યો મને સ્વાતંત્ર્યની ચળવળે અને માતાએ તેમ જ પિતાએ તેમનાં વર્તનથી મારામાં ઘૂંટયાં.'' બ્રિટિશ સરકારને એશિયન સ્ત્રીઓની તાકાતનો પરિચય કરાવ્યો.

જયાબહેનનો ૫ુત્ર શિવકુમાર અંગ્રેજ છોકરાઓના રેગિંગનો હિંમતપૂર્વક સામનો કરતો

બ્રિટનમાં રંગભેદની નીતિ પરાકાષ્ઠાએ પહોંચી હતી. ઈનોક પોવેલ અને નેશનલ ફન્ટનું જોર વધતું હતું. જયાબહેનનાં બાળકોને ગીબોન-સ્લે બ્રુક પ્રાયમરી સ્કૂલમાં દાખલ કર્યાં. અંગ્રેજ છોકરા ચીડવતા, મશ્કરી કરતા, થૂંકતા અને મૂતરતા પણ. શિવકુમાર અંગ્રેજ છોકરાઓના રેગિંગનો હિંમતથી સામનો કરતો. નેશનલ ફ્રન્ટના માણસો ગુજરાતીઓનાં ઘરોના કાચ ફોડતા. ગુજરાતીઓની દુકાનો લૂંટતા, સ્થળાંતર કરી આવેલાં બાળકોને 'સી' વર્ગમાં દાખલ કરતા. અંગ્રેજી બાળકો 'એ' 'બી' વર્ગમાં ભણતા. ગુજરાતી છોકરાઓ ખૂબ હોંશિયાર તેથી અંગ્રેજી છોકરાં ઉશ્કેરાતા, મારતાં, ઝૂડતાં અને કાંટામાં ફેંકી દેતા. અંગ્રેજ શિક્ષકો વિદેશી બાળકોને સતત સંદેશો આપતાં ''તમે અંગ્રેજ બાળકોની સમકક્ષ નહિ થઈ શકો.'' જયાબહેનનાં બાળકોમાં પણ સ્વતંત્રતાની ખુમારી ઊતરી હતી. જયાબહેન કહેતાં ''ગાંધીજીનું વાક્ય મને હંમેશાં યાદ રહેતું  :  ''અન્યાય સહન કરવો ગુનો છે. અન્યાય સામે ઝઝૂમવું જોઈએ.''

જયાબહેન કહે છે  કરેંગે યા મરેંગે – શિર જાય તો જાયે …

૧૯૭૬-૭૮માં રંગભેદની નીતિ વિરુદ્ધ લંડનમાં ફેકટરી વર્કરમાં ચાલેલી હડતાલની નેતૃત્વ જયાબહેન દેસાઈએ કરેલું

જયાબહેન ખૂબ જવાબદાર પત્ની અને પ્રેમાળ માતા હતાં. સિલાઈ અને ઘરકામમાંથી ફાજલ સમય મળતાં નોકરી કરવાનું મન થયું. ૧૯૭૪માં વિલ્સડનમાં 'ગ્રીનવીક ફોટો પ્રોસેસિંગ લેબોરેટીઝ'માં હિસાબકિતાબ રાખવાનું કામ મળ્યું. ફિલ્મ ધોવાય તેના પૈસા પહેલાં આવે પછી આવે તે નોંધવા, લેવા. સ્ટેમ્પ લાવવા, પત્રવ્યવહાર, ડ્રાફ્ટ મોકલાવવા વગેરે સંભાળતાં. તેમને જુદાં બેસાડવામાં આવતાં. આ કંપની ૧૯૬૫માં ત્રણ અંગ્રેજોએ સ્થાપી હતી – એન્ટની ગ્રન્ડી, જ્યોર્જ વૉર્ડ અને જોન હિકી. પોતાના નામોના પહેલા – બીજા અક્ષરો જોડી નામ ગ્રીનવીક કંપની આપ્યું. કંપનીનો મેનેજર મેલ્કમ ઓલ્ડન હંમેશાં ઓવરટાઈમ કરાવવાનો આગ્રહ રાખે.

ખૂબ કડક, મિજાજી. બીજી બાજુ પૂર્વ આફ્રિકાથી સ્થળાંતર કરી આવેલાઓને નોકરીની ખૂબ જરૂર હતી, નિ : સહાયતા હતી, લાચારી હતી. અંગ્રેજો આ તકનો લાભ લઈ રંગભેદ અને શોષણ નીતિ તાકાતથી અપનાવતા. દરેક કર્મચારીને ભયભીત દશામાં રાખતા. ઓલ્ડન બોલતો રહેતો ''કાઢી મૂકીશ’'. વધારે સમય કામ કરે તેમનાં નામો પાટિયામાં ઉપર લખાતાં. નિર્ધારિત સમય કરતાં વધારે કામ ના કરનારનાં નામો નીચે રહેતાં. નીચે નામવાળાને હંમેશાં લટકતી તલવાર રહેતી.

જયાબહેન પોતાનાં કામમાં ખૂબ પાવરધાં, પૂરી ચકાસણીથી કરતાં, ઓવરટાઈમ તેમને ખટકતો. તેમના પતિ તેમને, 'ઓવરટાઈમ ના કરવો, કામ પરવારી નિર્ધારીત સમય પૂરો થતાં ઘેર જવાની તૈયારી કરતા હતાં ત્યાં સુપરવાઈઝર પીટર ડફીએ તેમને પડકાર્યાં ''તમને ઘેર જવાની પરવાનગી કોણે આપી?'' વધારાનું કામ તે લઈને આવ્યા. સાથે મેનેજર ઓલ્ડન આવ્યો. તેઓ ઘાંટા પાડતા હતા. ઘેર ના જવાનું ફરમાવાતા. જયાબહેને તેમને ઘાંટા પાડતા રોક્યા.

ડફીએ જયાબહેનને કાઢી મૂકવાની ધમકી આપી. બધા કર્મચારીઓ એકત્રિત થયા. જયાબહેને કહ્યું, ''મારું રોજગારી કાર્ડ આપો મારે તમારી સાથે કામ નથી કરવું.'' તેમનો મોટો દીકરો શિવકુમાર વેકેશનમાં ગ્રનવીક ફેક્ટરીમાં જોડાયો હતો. તેણે ઓલ્ડન અને ડફીને કહ્યું, ''તમે અહીં ફેક્ટરી નથી ચલાવતા. પણ આ ઝૂ છે. જ્યાં વાનર જેવાં પ્રાણીઓ તમારે ઈશારે નાચે છે. પણ અમે તમારાં મોઢાં ફાડી નાંખનારા સિંહો છે. સમજ્યા?''

વાત આગળ વધી. મોટાભાગના કર્મચારીઓમાં અસંતોષ હતો. પણ બોલવાની હિંમત ના હતી. જયાબહેન ફેક્ટરી બહાર નીકળ્યાં ત્યાં તરતનો રૂખસદ મળેલો યુવાન તેના બે મિત્રો સાથે મળ્યો. તેઓ માલિકની કારને નુકસાન પહોંચાડવાની વાત કરતા હતા. જયાબહેનનો અહિંસક, સત્યાગ્રહી આત્મા પોકારી ઊઠયો. આ યુવાનોને જણાવ્યું, ''જો જો આવું કશું કરતા, આથી તમને નુકસાન થશે. આપણે લડત શરૂ કરીએ. યુનિયન બનાવીએ. આપણો અવાજ જગવીએ.'' જયાબહેનમાં કરેંગે યા મરેંગે – શિર જાય તો જાયે … એ નાદ રણકી ઉઠયા.

જયાબહેન અને તેમના પુત્ર શિવકુમારે હવે મોટા પાયા ઉપર પગલાં લેવાં શરૂ કર્યાં. તીર છૂટી ગયું હતું. યુનિયન રચવા પ્રયાસ શરૂ કર્યા. નાગરિક સલાહકાર મંડળે તેમ જ બ્રેન્ટ પરગણાંની કાઉન્સિલે તરત માર્ગદર્શન આપ્યું, તે પ્રમાણે 'એપેક્સ'(એસોસિએશન ઑફ પ્રોફેશનલ્સ, એક્ઝિક્યુટિવ, ક્લેરિકલ અને કોમ્પ્યુટર સ્ટાફ)ના સભ્ય થવાનું શરૂ કર્યું. ફેક્ટરીના મેનેજમેન્ટ સાથે વાટાઘાટો શરૂ કરી પણ પરિણામ ના આવ્યું. ગાંધીજીના સત્યાગ્રહની માફક અસહકારના કાર્યક્રમો શરૂ થયા.

પિકેટિંગ લાઈન બનાવાઈ તે ઓળંગી કોઈ નોકરીએ ના જાય. ૪૮૦ કર્મચારીમાંથી ૧૩૭ જોડાયા. ધીમે ધીમે બીજી ફેક્ટરીમાંથી ૫૦૦૦ મજૂરો હડતાલને ટેકો આપવા જોડાયા. મજૂર પક્ષના પાર્લામેન્ટના સભ્ય એમ.પી. ઓડ્રીવાયઝની ધરપકડ થઈ. તપાસ સમિતિની રચના થઈ. હાઉસ ઑફ કોમન્સ-સામાન્ય સભાના ૫૦૦ સભ્યોને હાજર રહેવાની ફરજ પડી. ટી.વી. છાપાઓએ આ બનાવને ખૂબ પ્રાધાન્ય આપ્યું. જયાબહેનનું નેતૃત્વ આખા બ્રિટનમાં પંકાયું. આ હડતાળ ૧૯૭૬-૭૮ બે વર્ષ ચાલી. લોકોની આંખ ઊઘડી. અન્યાય સામે ઝઝૂમવાની તાકાત લોકો કેળવતા ગયા પણ જયાબહેનની તબિયત લથડી.

સંદર્ભ : http://gujaratsamachar.com/index.php/articles/display_article/shatdal/shatdal-magazine-jayabahen-desai-london-s-non-violent-movement-against-apartheid-21-december

સૌજન્ય : ‘શતદલ’ પૂર્તિ, “ગુજરાત સમાચાર”, 21 ડિસેમ્બર 2016 

Loading

Sufi shrine attack in Pakistan

Ashok Adepal|Opinion - Cartoon|17 February 2017

Very subtle cartoon on sufi shrine attack in Pakistan

Loading

હવે મોહન ભાગવત કહે છે કે દેશપ્રેમનાં સર્ટિફિકેટ આપવાનો કોઈને અધિકાર નથી

રમેશ ઓઝા|Opinion - Opinion|15 February 2017

અનેક મોઢે એને બોલવું પડે જેના વિચાર સ્પષ્ટ ન હોય, કાં ઇરાદો સ્પષ્ટ ન હોય અને કાં હિંમત ઓછી પડતી હોય

RSSના સરસંઘચાલક મોહન ભાગવતે કહ્યું છે કે દેશમાં કોઈ પણ વ્યક્તિને બીજી વ્યક્તિને દેશભક્તિનું સર્ટિફિકેટ આપવાનો અધિકાર નથી. એ પછી તેમણે ઉમેરણ કર્યું હતું કે મને પણ નહીં. આ છેલ્લું કથન જોતાં એમ લાગે છે કે તેઓ પોતાને હિન્દુઓનો અવાજ સમજે છે. મોહન ભાગવતે દેશપ્રેમીઓને મર્યાદાનું ભાન કરાવ્યું એના હજી અઠવાડિયા પહેલાં તેમણે કહ્યું હતું કે ‘આ દેશ હિન્દુઓનો છે અને જે પણ વ્યક્તિ આ દેશમાં જન્મ લે છે એ હિન્દુ છે. ધર્મ અલગ હોઈ શકે, પણ ઓળખ એક જ છે; હિન્દુ. હિન્દુ એ ધર્મવાચક ઓળખ નથી, પરંતુ રાષ્ટ્રવાચક ઓળખ છે.’

અહીં બે સવાલ ઉપસ્થિત થાય છે. પહેલો સવાલ એ કે ઇન્ડિયન, ભારતીય, હિન્દુસ્તાની અને એક સમયે હિન્દી એવા રાષ્ટ્રવાચક શબ્દો આપણી પાસે છે અને એની સામે કોઈ પ્રજાને વાંધો નથી તો એને અપનાવી લેવાની જગ્યાએ હિન્દુનો આગ્રહ શા માટે? આખું જગત આપણને ઇન્ડિયન, ભારતીય કે હિન્દુસ્તાની તરીકે ઓળખે છે અને ઇતિહાસમાં પણ ભારતની પ્રજાનો ઉલ્લેખ આ ત્રણ શબ્દોમાં જ કરવામાં આવ્યો છે. ઓળખના જે શબ્દો હાથવગા છે, રૂઢ છે, નિર્વિવાદપણે સર્વસ્વીકાર્ય છે તો પછી હિન્દુનો આગ્રહ શા માટે? બીજું, હિન્દુસ્તાનમાં તો હિન્દુ આવી જ જાય છે અને એ છતાં સંતોષ નથી એનું શું કારણ? હિન્દુઓની ભૂમિ (સ્તાન) એ હિન્દુસ્તાન અને તેમને હિન્દુરાષ્ટ્ર તો જોઈએ છે.

૧૯૪૭માં ભારતનું વિભાજન થયું ત્યારે મોહમ્મદ અલી ઝીણાએ આગ્રહ રાખ્યો હતો કે હવે ભારતનું વિભાજન થઈ રહ્યું છે તો અત્યાર સુધી અખંડ ભારતને ઓળખાવનાર શબ્દ ઇન્ડિયા સ્થગિત કરી નાખવો જોઈએ અને એની જગ્યાએ ઇન્ડિયા સત્તાવારપણે હિન્દુસ્તાન તરીકે ઓળખાવું જોઈએ, કોમી વિભાજન પછી ઇન્ડિયા હવે ઇતિહાસ બની જવું જોઈએ. આ દરખાસ્તનો સરદાર પટેલે વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ધર્મના નામે ઇન્ડિયામાંથી જે બહાર નીકળે એ ઓળખ ગુમાવે, બાકી ભારત તો ઇન્ડિયા ધૅટ ઇઝ ભારત તરીકે જ ઓળખાશે. બચાડા મોહન ભાગવતને આ બધા ઇતિહાસની જાણ નહીં હોય.

જે ધર્મના નામે ઇન્ડિયા ધૅટ ઇઝ ભારતમાંથી બહાર નીકળે એ ઓળખ ગુમાવે એમ સંઘના આરાધ્ય દેવ-ગાંધીનુયાયી-કૉન્ગ્રેસી સરદાર પટેલે ત્યારે કહ્યું હતું. ભારત કરતાં હિન્દુસ્તાન શબ્દ વધારે પ્રચલિત હોવા છતાં સત્તાવારપણે ભારત શબ્દ અપનાવવામાં આવ્યો હતો, કારણ કે એ સમયના ભારતના નેતાઓ આડકતરી રીતે પણ કોમી વિભાજનને માન્યતા આપવા નહોતા માગતા. ઇન્ડિયા ધૅટ ઇઝ ભારત સર્વસમાવેશક ઓળખ છે અને હિન્દુસ્તાન શબ્દ પણ એટલો જ સર્વસમાવેશક છે એટલે તો સંઘને એમાં વાંધો છે. તમે ભારતીય તરીકે ઓળખાતા હશો તો ચાલશે, પણ અંદરથી તમે હિન્દુ હોવા જોઈએ, કારણ કે સાંસ્કૃિતક રાષ્ટ્રવાદનો આ તકાદો છે જે તેમણે ઇટલીમાંથી આયાત કર્યો છે.

બીજો સવાલ હિન્દુત્વનો ઉપસ્થિત થાય છે. મુસલમાન ભલે ધર્મે મુસલમાન હોય, ખ્રિસ્તી ભલે ધર્મે ઈસાઈ હોય; દિલથી તેઓ હિન્દુ હોવા જોઈએ. હવે હિન્દુપણાની (જેમને તેઓ હિન્દુત્વ તરીકે ઓળખાવે છે) તેમની વ્યાખ્યા શું કહે છે? જેમની પિતૃભૂમિ અને પવિત્ર ભૂમિ બન્ને ભારત હોય એ જ હિન્દુ. આ વ્યાખ્યા વિનાયક દામોદર સાવરકરે કરી છે જે સંઘને સ્વીકાર્ય છે. હિન્દુત્વ શબ્દપ્રયોગ સંઘે અપનાવી લીધો છે અને સંઘે સત્તાવારપણે કે આડકતરી રીતે સુધ્ધાં સાવરકરની હિન્દુની વ્યાખ્યાનો અસ્વીકાર નથી કર્યો.

હવે જેની જન્મભૂમિ અને પવિત્ર ભૂમિ ભારત હોય એ જ માત્ર હિન્દુ ગણાય તો અન્ય ધર્મીઓ પાસેથી સંઘ કયા આધારે હિન્દુ તરીકે ઓળખાવવાનો આગ્રહ રાખે છે? તેમની વ્યાખ્યા જ તેમને હિન્દુ તરીકે ડિસમિસ કરે છે. સાવરકરે તો ત્યાં સુધી કહ્યું છે કે જેની જન્મભૂમિ અને પવિત્ર ભૂમિ ભારત હોય એ જ હિન્દુ ગણાય અને એ જ માત્ર ભરોસાપાત્ર રાષ્ટ્રનિષ્ઠ ગણાય જ્યારે બાકીનાઓની રાષ્ટ્રનિષ્ઠા શંકાસ્પદ હોય છે. રેખા તો સાવરકરે ખેંચી આપી છે જે સંઘને માન્ય છે તો પછી ભારતમાં જન્મે એ દરેક હિન્દુ, પછી એનો ધર્મ ગમે એ હોય એમ કહેવાનો શું અર્થ છે? પણ પ્રશ્ન કરે કોણ? વિચારે કોણ? સમીક્ષા કરે કોણ? RSSની શાખાઓમાં કુમળા ચિત્તનું બોન્સાઇ કરવામાં આવે છે.

હું જ્યારે શિખાઉ પત્રકાર હતો ત્યારે મેં મારા સિનિયર પત્રકારને પૂછ્યું હતું કે મુમ્બાદેવી પરથી મુંબઈનું નામ પડ્યું અને નરેન્દ્ર આગળ જતાં વિવેકાનંદ બન્યા એવા એકસરખા લેખો વારંવાર વાંચ્યા છે તો એને ફરી-ફરી છાપતા રહેવાનો શું અર્થ? તેમણે કહ્યું હતું કે દર વરસે નવા યુવા વાચકો ઉમેરાતા હોય છે તેમના માટે. છાપાવાળાઓએ સમયાંતરે એકસરખા લેખો આપવા પડતા હોય છે. RSSની પણ એ જ નીતિ છે. દર વરસે નવા હિન્દુઓ પેદા થતા રહે છે એટલે તેમને અનેક મોઢે બોલીને ભ્રમમાં રાખવા પડે.

એક માર્ગ અપનાવો તો માર્ગ સ્પષ્ટ કરવો પડે, એની વ્યાખ્યા કરવી પડે, એની રૂપરેખા આપવી પડે, વ્યવહારુતા બતાવવી પડે અને સૌથી મોટી વાત એ કે ખુદે એના પર ચાલવું પડે. આટલી ત્રેવડ નથી એટલે અનેક મોઢે બોલવું પડે છે. તમે કોઈ જેહાદી મુસલમાનને જોયો છે અનેક મોઢે બોલતા? તે ખોટું વિચારે છે અને કરે છે એમાં કોઈ શંકા નથી; પરંતુ તે જે માને છે એ જ બોલે છે અને એ જ કરે છે અને જ્યાં સુધી જીવ ન ગુમાવે ત્યાં સુધી એ જ બોલતો-કરતો રહે છે. અનેક મોઢે એને બોલવું પડે જેના વિચાર સ્પષ્ટ ન હોય, કાં ઇરાદો સ્પષ્ટ ન હોય અને કાં હિંમત ઓછી પડતી હોય. RSSની શાખાઓમાં બોન્સાઇની ચોથી પેઢી તૈયાર થઈ રહી છે. માનવધનનો કેવડો મોટો વેડફાટ! વિચાર તો કરો.

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 15 ફેબ્રુઆરી 2017

Loading

...102030...3,4883,4893,4903,491...3,5003,5103,520...

Search by

Opinion

  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved