Opinion Magazine
Number of visits: 9965241
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘વર્ડ ઑફ ધ યર ૨૦૨૦’

અશોક કરણિયા|Opinion - Opinion|12 January 2021

વર્ષ ૨૦૨૦ની વિદાય સાથે વર્ષ ૨૦૨૧નું આગમન થઈ ચૂક્યું છે. વૈશ્વિક સ્તરે વર્ષ ૨૦૨૦નું વર્ષ યાદગાર બની રહ્યું છે. આ વર્ષે ભાષાક્ષેત્રે ઘણા નવા શબ્દો પ્રચલિત બન્યા છે, તો સાથે-સાથે કેટલાક ભુલાઈ રહેલા શબ્દોનું પણ ચલણ અસ્તિત્વમાં આવેલું જોવા મળ્યું છે. ગુજરાતી લેક્સિકન દ્વારા ભાષાચાહકો પાસેથી વર્ષ ૨૦૨૦ માટે કયો શબ્દ ‘વર્ડ ઑફ ધ યર ૨૦૨૦’ હોઈ શકે તે માટે સૂચનો મંગાવતી એક પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાષાચાહકો પાસેથી અમને ૬૦ જેટલા શબ્દો પ્રતિયોગિતા માટે મળ્યા.

આ શબ્દોને યોગેન્દ્ર વ્યાસ, મનસુખ સલ્લા, રતિલાલ બોરીસાગર,  પ્રકાશ ન. શાહ, અરવિંદ ભંડારી, પિંકી પંડ્યાની સમિતિને મોકલાવી આપવામાં આવ્યા. પ્રતિયોગિતામાં મળેલા કેટલાક શબ્દો ખરેખર નવા અને ધ્યાન ખેંચનાર હતા. આ દરેક શબ્દની યથાયોગ્ય ચર્ચા કર્યા બાદ, તેના પ્રચલનના માપદંડને તથા તેમાંથી કયા શબ્દો લોકજીભે સૌથી વધુ વાર સાંભળવામાં આવ્યા છે, તે ધ્યાનમાં રાખીને, એટલે કે શબ્દોની ઉપયોગિતા, વપરાશ અને મહત્ત્વ જેવાં વિવિધ પાસાંઓના અભ્યાસ અને વિમર્શ બાદ, વિવિધ ચાળણે આ શબ્દોને ચાળ્યા બાદ નીચે મુજબના શબ્દોને ‘વર્ડ ઑફ ધ યર’ માટેના ફાઇનલ શબ્દોની યાદી તરીકે અલગ તારવામાં આવ્યા :

કોરોના, માસ્ક, કોરોના-વૉરિયર્સ, સંક્રમણ, વેબિનાર, સોશિયલ ડિસ્ટન્સ.

ઉપરાંત ધ્યાન ખેંચનાર અન્ય શબ્દો આ મુજબ હતા : ઑનલાઇન શિક્ષણ, રસીકરણ, પૉઝિટિવ, હિજરત, આત્મહત્યા, રામલલ્લા, સેનિટાઇઝર વગેરે-વગેરે ….

દેખીતી રીતે જ ૨૦૨૦નું વર્ષ ‘કોરોના વર્ષ’ તરીકે પ્રચલિત બનેલ છે અને આ કોરોના શબ્દને કારણે જ માસ્ક, સંક્રમણ, ઑનલાઇન શિક્ષણ, સલામત અંતર, વેબિનાર, કોરોના-વૉરિયર્સ, સેનિટાઇઝર, પૉઝિટિવ, હિજરત વગેરે જેવા શબ્દો ચર્ચામાં આવ્યા છે. આ દરેક શબ્દની ચર્ચા દરમિયાન દરેક સ્તરે લોકોને કયો શબ્દ સૌથી વધુ અસર કરી ગયો, તે બાબતને ખાસ ધ્યાનમાં રાખવામાં આવી હતી. ચર્ચા દરમિયાન યોગેન્દ્રભાઈની પ્રથમ પસંદગી ‘માસ્ક’ શબ્દ ઉપર રહી હતી, જ્યારે સમિતિના અન્ય સભ્યોની પ્રથમ પસંદગી ‘કોરોના’ શબ્દ ઉપર રહી હતી. કયો શબ્દ ગુજરાતી પ્રજાએ વ્યાપક રીતે ઉપયોગમાં લીધો તેમ જ કયો શબ્દ આખા વર્ષ દરમિયાન સતત વપરાયો, તેને આધારે ’કોરોના’ શબ્દની પસંદગી ‘ગુજરાતી લેક્સિકન વર્ડ ઑફ ધ યર ૨૦૨૦’ના શબ્દ તરીકે થઈ, પરંતુ આ શબ્દની પસંદગી અંગે યોગેન્દ્રભાઈની અસંમતિ રહી હતી. સમિતિ દ્વારા એ વાત ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે કે આ શબ્દ સમગ્ર ભારતીય જનતાને એટલે કે શહેરી અને ગ્રામીણ એમ બન્ને નાગરિકોને અસર કરી ગયો છે.

પ્રતિયોગિતા માટે ‘કોરોના’ શબ્દનું પ્રથમ સૂચન અમને કીર્તિકુમાર પરમાર અને ધર્મેશ વાલા તરફથી મળેલ હતું અને આ શબ્દ માટે તે લોકોએ સૂચવેલ અર્થ અનુક્રમે આ મુજબ હતો : (૧) કોવિડ-૧૯ કોરોના વાઇરસ રોગ-૨૦૧૯ એ સાર્સ કોરોના વાઇરસ ૨ દ્વારા થતો ચેપીરોગ (૨) આ શબ્દ નવો છે. ‘કોરોના’ શબ્દ એ મૂળ લૅટિન ભાષાનો શબ્દ છે, જેનો અર્થ લૅટિન ભાષામાં ‘ક્રાઉન’ (CROWN) થાય છે. ‘ક્રાઉન’ (રાજાનો તાજ અથવા મુગટ) પર જેમ સ્પાઇક્સની (ખીલા આકારની …) સિરીઝ હોય એવી જ રીતે સ્પાઇક્સની સિરીઝ ‘સાર્સ-કોન-૨’ (SARS —COV—2) નામના વાઇરસ પર પણ હોય છે. ‘કોરોના’ એ વાઇરસ નથી, પરંતુ, એક રોગનું નામ છે, જે ‘સાર્સ-કોન-૨’ નામના વાઇરસથી થાય છે. અહીં એ નોંધવું રહ્યું કે, વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને પણ આ ડિસીઝને એક નામ આપ્યું છે, ‘કોવિડ-૧૯’ (કોરોના વાઇરસ ડિસીઝ) અથવા (નોવેલ કોરોના વાઇરસ). તેથી આ પ્રતિયોગિતા માટે કીર્તિભાઈ અને ધર્મેશભાઈને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવે છે અને આ સ્પર્ધામાં ભાગ લેનાર સૌ સ્પર્ધકોનો ગુજરાતી લેક્સિકન પરિવાર આભાર માને છે.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જાન્યુઆરી 2021; પૃ. 16

Loading

રસીને રસ્તે મતભેદ, મૂંઝવણ કે મોકાણ

ડૉ. દુર્ગેશ મોદી|Opinion - Opinion|12 January 2021

રસીને રસ્તે મતભેદ, મૂંઝવણ કે મોકાણ

નવવર્ષના પ્રથમ દિવસે મળેલી CDSCO(કેન્દ્રીય ઔષધિ માનક નિયંત્રણ સંગઠનની)ની વિષય નિષ્ણાત સમિતિની બેઠકમાં ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઑફ ઈન્ડિયા ડૉ. વી.જી. સોમાણીના નેતૃત્વ હેઠળ ભારતમાં કોરોના વાઇરસ વિરુદ્ધની પ્રથમ રસીને મંજૂરી આપવામાં આવી. નામે કોવિશીલ્ડ (વૈજ્ઞાનિક નામ : Chdox 1 n Cov 19). (ઑક્સફર્ડ યુનિવર્સિટી અને ફાર્મા કંપની એસ્ટ્રાઝેનેકા દ્વારા સંયુક્તપણે વિક્સાવેલ આ રસીનું ભારતમાં ઉત્પાદન કરવાના હક અને જવાબદારી સિરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા પાસે છે.) મંજૂરી પૂરેપૂરી નથી, મર્યાદિત અને શરતી છે. ૧૮ વર્ષથી ઉપરનાં વ્યક્તિઓને બે ઈન્જેક્શન ૪થી ૬ અઠવાડિયાના અંતરે આપી શકાશે. દરેક ડોઝ 0.5 ml.નો હશે. 5 x 1010ની માત્રામાં વિષાણુઓ હશે. વાઈરલ વેક્ટર પ્રકારની આ રસીનાં પ્રાયોગિક પરીક્ષણોના ત્રીજા તબક્કાના વચગાળાનાં પરિણામો સલામતી અને અસરકારકતાની દૃષ્ટિએ સંતોષજનક હતા જેનાં ચાલુ પરીક્ષણોમાંથી મળતી રહેતી માહિતી દેશમાં આંકડા નિયત સમયે CDSCOને આપતા રહેવાની શરતે પ્રથમ વખત આ પ્રકારની તકનિક ધરાવતી રસીને ભારત કે વિશ્વમાં મંજૂરી મળી છે.

પરંતુ આ રસી પાછળના વિજ્ઞાનને છેલ્લાં ૧૦ વર્ષથી મઠારવામાં આવી રહ્યું છે. ૨૦૧૧-૧૨માં કોરોનાના પિતરાઈ એવા MERS વિષાણુનો રોગચાળો મધ્યપૂર્વના દેશોમાં ફેલાયો હતો ત્યારેથી ઓક્સફર્ડની જેનર સંસ્થામાં આ જાતની રસીને વિકસાવવાના પ્રયત્નો ચાલુ થયા હતા જેનાં ફળ હવે ૨૦૨૦-૨૧માં પાક્યાં છે. એપ્રિલ મહિનાથી ચાલુ થયેલ પરીક્ષણના પહેલા બે તબક્કામાં ૧,૦૦૦થી વધુ અને ત્રીજા તબક્કામાં ૨૩,૦૦૦થી વધુ સ્વયંસેવકોએ ભાગ લીધો હતો. અને સાત-આઠ મહિનાની સઘન તપાસ બાદ આ રસી સલામત અને ૭૦% અસરકારક માલૂમ પડી છે. આ પરિણામો પણ હજી મધ્યાહ્‌ન વિરામ સમયનાં છે અને પૂર્ણ પરિણામો એક વર્ષના અંતે મળશે. અમેરિકી કંપનીઓ ફાઈઝર અને મોડર્નાની mRNA આધારિત રસીઓની ૯૫% અસરકારક્તા સામે આ રસી પહેલી નજરે જરી નબળી જણાય. પરંતુ પરીક્ષણો દરમિયાન ટેસ્ટ કરવામાં ફેરને કારણે બંને વચ્ચે સીધી સરખામણી યોગ્ય નથી. પરીક્ષણો દરમિયાન રસી લીધેલ એક પણ વ્યક્તિને તીવ્ર કોવિડ થયો નહોતો. નિયત કરેલા ધોરણ મુજબ ૫૦%થી વધુ અસરકારકતા ધરાવતી આ રસીને મળેલી મંજૂરી ભારત જ નહીં સમગ્ર વિશ્વ માટે શુભંકર સમાચાર છે. રસીની કિંમત અને સંગ્રહમાં પ્રમાણમાં સરળતાને કારણે વિશ્વમાં સૌથી વધુ લોકો કદાચ આ જ રસી લેશે ત્યારે ભારતીય કંપનીએ રોગચાળાની શરૂઆતમાં ઉઠાવેલ જોખમના મીઠાં ફળ ભારતીય જનતાને હવે મળશે તે સરાહનીય છે.

હવે વાત બીજી રસીની કરીએ. હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેકની કોવાક્સિન (વૈજ્ઞાનિક નામ – BBV152). ICMR હેઠળની અગ્રતમ લેબોરેટરી NIV નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાઈરોલોજી-પૂણે સાથેની ભાગીદારીમાં વિકસાવેલ આ રસી નિષ્ક્રિય કરેલ પૂર્ણ વિષાણુ (Inactivated whole virion) પ્રકારની છે. આ તકનિક લગભગ ૧૫૦ વર્ષ જૂની છે પરંતુ આ પ્રકારની રસીઓ ઘણા રોગો સામે સમયની એરણ પર ખરી ઊતરી છે. ૧-૧-૨૧ના રોજ CDSCOએ ભારત બાયોટેકને ઉદ્‌બોધતાં નોંધ્યું છે આ રસીએ પહેલા અને બીજા તબક્કાનાં પરીક્ષણોમાં તથા પ્રાણીજન્ય પરીક્ષણોમાં સારી સલામતી અને રોગપ્રતિકારકજન્યતા (immunogenicity) બતાવી છે. પરંતુ ત્રીજા તબક્કાનાં પરીક્ષણો હજી બાકી છે. કંપનીએ ત્રીજા તબક્કા માટે બાકી સ્વયંસેવકોની ભરતી તરત કરી વહેલી તકે વચગાળાનાં પરિણામોની સમીક્ષા કરવી જોઈએ. અહીં નોંધનીય છે કે આ રસી માટે ત્રીજા તબક્કાનાં પરીક્ષણો નવેમ્બર મહિનામાં જ શરૂ થયા હતાં. (પ્રથમ બે તબક્કામાં આશરે ૧,૨૫૦ વ્યક્તિઓ પર થયેલ પરીક્ષણો બાદ રસીની સલામતી સંતોષકારક માલૂમ પડી હતી). બીજા દિવસે આ રસી માટે CDSCOએ પુનઃ બેઠક બોલાવી હતી અને અગમ્ય ઢબે DGCIની આગેવાની હેઠળ નિષ્ણાત સમિતિએ આ રસીને પણ મર્યાદિત અને શરતી મંજૂરી આપી, અસરકારકતાના આંકડાની ગેરહાજરી છતાં. શરતી મંજૂરી આપતાં નોંધ કરવામાં આવી છે : આ કટોકટીકાળની મંજૂરી પુષ્કળ સાવચેતી રાખીને, ક્લિનિકલ ટ્રાયલની રીતે અને વધુ વિકલ્પો મળી રહે એ હેતુથી આપવામાં આવી છે. આ પ્રકારની મંજૂરી કોઈ દવા કે રસી માટે આ પહેલાં ભારતમાં આપવામાં આવી નથી. મંજૂરી બાદ AIIMSના નિયામક ડૉ. રણદીપ ગુલેરિયા, ICMRના નિયામક ડૉ. બલરામ ભાર્ગવ તથા દેશના સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન દ્વારા રસીના બચાવમાં નિવેદનો આવ્યાં. તો બીજી તરફ CMC વેલ્લોરના પ્રોફેસર અને ચેપી રોગોના નિષ્ણાત ડૉ. ગગનદીપ કાંગ દ્વારા CDSCOના આ પગલાંની ભારે ટીકા કરવામાં આવી.

NIV અને ભારત બાયોટેક પ્રતિષ્ઠિત સંસ્થાઓ છે. તેમના દ્વારા બનાવેલ અનેક રસી વિશ્વસ્તરે માન્યતા ધરાવે છે. જે વિજ્ઞાનનો આધાર લઈને તેમણે રસી વિકસાવી છે તે તકનિક તેની કાર્યદક્ષતા પુરવાર કરી ચૂકી છે. તેમ છતાં, ત્રીજા તબક્કાનાં પરીક્ષણોની ગેરહાજરીમાં રસીને મંજૂરી આપવી અનુચિત જ નહીં, આઘાતજનક પણ છે. રસીની તરફેણ કરતાં ડૉ. હર્ષવર્ધને નિવેદન કર્યું કે UKની નવી પ્રજાતિ વિરુદ્ધ આ રસી સારું કામ આપી શકશે એવી સંભાવના છે. અલ્યા ભાઈ, જ્યારે મૂળ વાઇરસ સામે જ રોગપ્રતિકારકતા કેટલી છે. એ ખબર નથી તો આવાં તારણો કેમનાં કાઢી શકાય. તબીબી વિજ્ઞાન માત્ર સૂચિત સિદ્ધાંત કે તર્કના આધારે ન ચાલે. કારણ કે આ કોઈ પૂર્ણ શાસ્ત્ર નથી, વિકસતું વિજ્ઞાન છે. અભૂતપૂર્વ પ્રગતિ છતાં આ જ્ઞાન અપૂર્ણ છે, ઘણાં તથ્યો/હકીકતો હજી અસાધ્ય છે. આથી જ જ્યારે કોઈ નવી દવા કે રસીને મંજૂરી આપવામાં આવે ત્યારે આવી અપૂરતી માહિતીને આધારે લગાવેલ કેવળ તર્કથી આગળ વધીને પ્રયોગમૂલક આંકડા એક્ઠા કરવાં તબક્કાવાર તબીબી પરીક્ષણો કરવામાં આવે છે, અને તો જ આ શાસ્ત્રના પાયાગત ખ્યાલ. “Primium Non Nocere (first do no harm) મુજબ સૌથી મહત્ત્વનું એ છે કે કોઈને હાનિ ન થાય”નું પાલન થઈ શકે. એક ભારતીય તરીકે અને વિજ્ઞાનના સાધક તરીકે એવી આશા જરૂર હોય કે આ સ્વદેશી રસી વિશ્વની શ્રેષ્ઠ રસીઓને ટક્કર આપે. પરંતુ જ્યાં સુધી આ વાત પરીક્ષણો દ્વારા સાબિત ન કરી શકાય ત્યાં સુધી આ રસીને મંજૂરી આપવી અનુચિત જ નહીં, અનૈતિક પણ કહી શકાય – તે પણ એવા સંજોગોમાં જ્યારે વૈકલ્પિક રસી કે જેની અસરકારકતા અને સલામતી સાબિત થયેલ છે તે ઉપલબ્ધ છે.

રસી-બનાવટ એ તબીબી વિજ્ઞાન માટે નવપ્રયોગ, સંશોધન અને વિકાસ(innovation, research & development)નો વિષય છે; પરંતુ રસીકરણ એ લોકસ્વાસ્થ્યની બાબત છે જેનો પાયો રસીની સલામતી અને અસરકારકતામાં જનવિશ્વાસ ઊભો કરવામાં રહેલો છે. રાષ્ટ્રવાદની લાય કે આત્મનિર્ભરતાની ઉતાવળ જો આ જનવિશ્વાસને હાનિ પહોંચાડતાં હોય તો મને એ બેમાંથી એક પણ સ્વીકાર્ય નથી.

જાન્યુઆરી ૧૦, ૨૦૨૧, નવી દિલ્હી

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જાન્યુઆરી 2021; પૃ. 01-02

Loading

સરકારો જ તકરારોને ઉત્તેજન આપે છે એવું, ખરું?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|11 January 2021

સરકાર કોઈ પણ હોય, સત્તાનો પરચો આપ્યા કરવાની તેને ટેવ હોય છે. 6 જાન્યુઆરી, 2021ને રોજ અમેરિકી સંસદમાં જે બન્યું તેણે લોકશાહીને કલંકિત કરી છે. 220 વર્ષ જૂની વિશ્વની સૌથી જૂની લોકશાહીને શરમાવાનું થયું છે. અમેરિકી પ્રમુખ ટ્રમ્પ અને તેમના સમર્થકોએ અમેરિકી સંસદમાં ઘૂસી જઈને હિંસા આચરી તેમાં પાંચ લોકોના મોત થયાં ને તોડફોડથી નુકસાન થયું તે નફામાં. હુમલો એવો શરમજનક હતો કે વોશિંગ્ટનમાં કરફ્યુ લાદવામાં આવ્યો અને નવા ચૂંટાયેલા પ્રમુખ કાર્યભાર ન સંભાળે ત્યાં સુધી પંદરેક દિવસની સ્ટેટ ઓફ ઈમરજન્સી જાહેર કરવામાં આવી. આ હુમલાખોરો અમેરિકી ધ્વજ સાથે લોકશાહીની સામે પડ્યા હોય એવું દૃશ્ય ઊભું થયું ને વધારે દુખદ એ હતું કે માનભેર વિદાય થવાને બદલે ટ્રમ્પે હઠ કરીને સત્તા પર ટકી રહેવા આ તાયફો કર્યો ને છેવટે સત્તા છોડવાની જાહેરાત કરવી પડી. દુનિયાને જોણું એ રીતે થયું કે રશિયા, ચીન અને ઈરાનના નેતાઓએ લોકશાહીની હાંસી થઈ તેનો હરખ પ્રગટ કર્યો ને ઘાટ, ડાહી સાસરે ન જાય ને ગાંડીને શિખામણ આપે એવો થયો. આ રાષ્ટ્રોએ પોતાની નીતિરીતિ અંગે વિચારવું જોઈએ તેને બદલે બીજા કેટલા ઉઘાડા છે તે બતાવવાનું શૂરાતન દાખવ્યું. ખરેખર તો એ સૌએ પોતાની જાત જોવાની ને ઢાંકવાની જરૂર છે.

કોણ જાણે કેમ પણ સરકારો ચર્ચામાં રહેવાનું ગૌરવ લેવાનું ખાસ ચૂકતી નથી. સરકાર જ વિપક્ષને જન્મ આપે છે ને વિપક્ષ નબળો હોય તો સરકાર મજબૂત બને એવું ઘણીવાર નથી પણ બનતું. વિપક્ષ નબળો હોય તો સરકાર લાંબું ટકે કદાચ, પણ તેનું પતન, પેલી મજબૂતાઈએ જન્માવેલ અહંકારને લીધે થયાના દાખલાઓ મળી રહે તેમ છે. કેન્દ્રમાં કૉન્ગ્રેસનું પતન મજબૂત વિપક્ષનું પરિણામ છે તો હાલની સરકારની મનમાની નબળા વિપક્ષને કારણે છે એ કહેવાની જરૂર નથી. દાયકાઓ સુધી સરકારમાં ટકેલી કૉન્ગ્રેસને અત્યારે ઊભા રહેવાનાં ફાંફા છે ને ભા.જ.પ.ની સરકાર અત્યારે એ જ સત્તા ભોગવે છે જે એક સમયે કૉન્ગ્રેસી સરકારની હતી. એણે કૈં પણ કરતાં પહેલાં કૉન્ગ્રેસનો દાખલો સતત નજર સમક્ષ રાખવાની જરૂર છે. એટલું તમામ સરકારોએ સમજવાની જરૂર છે કે પ્રજા કાયમ મૂરખ બનતી નથી, તે તક મળે છે તો મૂરખ બનાવી પણ શકે છે.

અત્યારે કૃષિકાનૂન મુદ્દે સરકાર અને ખેડૂતો સામસામે છે ને મહિનાથી વધુ સમય થયો હોવા છતાં ને આઠેક મંત્રણાઓ થવા છતાં સમાધાન થયું નથી એ ચિંતા ઉપજાવનારું છે. ખેડૂતો ત્રણે કૃષિકાનૂનો રદ્દ કરવાનું કહે છે ને સરકાર એ રદ્દ ન કરવા મક્કમ છે. સરકારને પક્ષે ખામી એ છે કે આ કાયદાઓ જેમને માન્ય નથી એમના પર તે થોપવા માંગે છે. કાયદાઓ પસાર કરવામાં જે ઉતાવળ કરાઈ તે વખતે સરકારનું વર્તન શંકાસ્પદ રહ્યું ને ખેડૂતોના કાયદા ખેડૂતોને વિશ્વાસમાં લેવાને બદલે, ઉદ્યોગપતિઓને વિશ્વાસમાં લઈને ઘડાયા. બીજી તરફ ખેડૂતોની હઠ પણ સરકારથી જરા ય ઊતરતી નથી. સરકાર કલમો સહિત ચર્ચા વિચારણા માટે તૈયાર છે ને એ.પી.એમ.સી. બંધ નહીં થાય એવું લેખિતમાં આપવા તૈયાર છે ત્યારે કાયદા રદ્દ કરાવવાનો ખેડૂતોનો આગ્રહ વધારે પડતો છે. સરકારે સુપ્રીમ કોર્ટ પર આખો મામલો છોડવાનું પણ કહ્યું તે પણ ખેડૂતોને મંજૂર નથી. આ સ્થિતિ તેઓ કોઈનો હાથો તો બની રહ્યા હોવાની શંકા જન્માવે છે. બીજી મહત્ત્વની વાત એ કે કૃષિ કાયદા પંજાબ કે હરિયાણાના ખેડૂતોને ધ્યાનમાં રાખીને નથી ઘડાયા. તે દેશ આખાના ખેડૂતોને ધ્યાનમાં રાખીને ઘડાયા છે. જો આ સ્થિતિ હોય તો આંદોલન પણ પ્રાદેશિક ન રહેતાં, રાષ્ટ્રીય બને તો જ સરકારને ઝૂકવાની ફરજ પડે ને તો જ કાયદા રદ્દ કરાવવાની ખેડૂતોની માંગ વાજબી પણ ગણાય. બાકી, આજની તારીખમાં કાયદા રદ્દ કરાવવાની વાત ગળે ઉતારવાનું મુશ્કેલ છે.

આ તો કેન્દ્રનો મામલો થયો. રાજ્ય સરકારો પણ કેવી રીતે વર્તે છે તે જોવા જેવું છે. પશ્ચિમ બંગાળમાં ભા.જ.પ.ના રાષ્ટ્રીય અધ્યક્ષ પર હુમલો થયો તે રાજકીય કિન્નાખોરીનો જ પડઘો છે ને કેન્દ્રીય ગૃહમંત્રી, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી ચૂંટણીમાં એકલા જ રહી જશે એવી શેખી મારે એ પણ શોભાસ્પદ નથી. ગુજરાત સરકારની વાત કરીએ તો જેમ તેમ એ શિક્ષણ ચાલુ કરવા તૈયાર થઈ છે તે આવકાર્ય છે, પણ મકરસંક્રાંતિની ઉજવણીમાં જે આડાઈ કરી રહી છે તે ચર્ચાસ્પદ છે. માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ વગેરે બાબતોના આગ્રહો સરકાર રાખે કે કુટુંબના સભ્યો જ ભેગા થાય કે બહારની વ્યક્તિને સોસાયટીમાં પ્રવેશબંધી ફરમાવાય તે સમજી શકાય, પણ માઈકનો ઉપયોગ ન કરવા દેવાની વાત જોહૂકમીથી વિશેષ કૈં નથી. આમ પણ અન્ય સંજોગોમાં ઉતરાણ પર ડી.જે. કે લાઉડ સ્પીકરનો ધાબા પર ઉપયોગ થતો જ આવ્યો હોય તો અત્યારની માઈકબંધી પુનર્વિચારણાને પાત્ર છે. નેતાઓ ટોળું કરે કે માઈક પરથી બોલે ત્યાં કોઈ રોકટોક નથી, તો ઉતરાણ વખતે માઇકબંધીનો સરકારનો આગ્રહ વધારે પડતો છે. માઈકથી ઘોંઘાટ વધે છે ને ત્રાસ થાય છે તે ખરું, પણ વારતહેવારે ગુજરાતીઓ હલ્લાગુલ્લા કરતા જ આવ્યા છે તો તેનો વાંધો એટલે પણ ન ઉઠાવવો જોઈએ કારણ, પોલીસ માઈકને મામલે કારણ વગર દખલ કરશે અને લોકોનાં ગજવાં ખંખેરશે ને એ ઉપદ્રવ કરતાં માઈકનો ઉપદ્રવ ઓછો જ હશે.

સાચી વાત તો એ છે કે કોરોના માઈકથી ફેલાતો નથી કે અવાજથી કે પ્રકાશથી પણ ફેલાતો નથી. એવું હોત તો વડાપ્રધાને લોકડાઉન દરમિયાન થાળીવેલણ વગડાવ્યાં ન હોત કે રાતના અંધારું કરાવીને દેશવાસીઓને દીવા પ્રગટાવવાની ભલામણો પણ ન કરી હોત. આખો દેશ ખખડે તે ઘોંઘાટ ન કહેવાય ને ગુજરાતમાં માઈક વપરાય તો તે પ્રદૂષણ ગણાય? વાહ !

છેલ્લે એક વાત ટોલ ટેક્સની ઉઘરાણીની.

હમણાં સુરતમાં પ્રવેશ આપતાં ટોલનાકાઓની ઉઘરાણીનો મુદ્દો ગરમ છે. આ ટોલનાકાઓ સુરતીઓને ખંખેરવાની ખોરી દાનત રાખીને વર્તી રહ્યાં છે તે બધી રીતે વાંધાજનક છે. સુરતના ટોલ નાકાઓને સર્વિસ રોડ નથી, એટલે જે વાહનો રોજિંદા કામે આસપાસથી સુરત આવે કે સુરતથી નજીક કામકાજ માટે બહાર જાય તો તેમણે આવવા-જવામાં રોજ ટોલટેક્સ ભરવો પડે એ બરાબર નથી. ટોલ દ્વારા પ્રજાને રોજ ખંખેરવાનું વહેલી તકે બંધ થવું જોઈએ. સુરતીઓનું અહીં નોંધાયેલું વાહન ટોલ મુક્ત જ હોવું જોઈએ. એને માટે આંદોલનની રાહ જોવાતી હોય તો તે યોગ્ય નથી.

સરકારની જવાબદારી છે વાહનવ્યવહાર માટે રસ્તાઓ બનાવી આપવાની, કારણ એ માટે તે પ્રજા પાસે કર ઉઘરાવે છે. આ કર ભર્યા પછી પણ જો ખાનગી કંપનીઓ લોકો પાસેથી ટોલ ઉઘરાવતી હોય તો, તે તો બેવડો ટેક્સ ઉઘરાવવા જેવું થાય. રસ્તા બાંધવાનું કામ સરકાર સોંપતી હોય તો રસ્તાનો ખર્ચ જે તે કંપનીએ સરકાર પાસેથી વસૂલવો જોઈએ, તેને બદલે જ્યાં ત્યાં ટોલનાકા ઊભા કરીને લોકોને ખંખેરવાનું કોઈ રીતે વાજબી નથી. વેલ, ટોલ ઉઘરાવવા જે નાકા શરૂ કરવામાં આવ્યા તેનો હેતુ, માર્ગ બનાવવાનો જે ખર્ચ થયો તે વસૂલવાનો હોઈ શકે, પણ એ હેતુ પૂર્ણ થાય પછી સંબંધિત ટોલનાકું બંધ થવું જોઈએ. એવું થાય છે ખરું? કે લૂંટ ચાલુ જ રહે છે? સરકાર એટલું તો કરી શકેને કે ખર્ચ વસૂલીનું કામ પૂર્ણ થાય કે જે તે ટોલનાકું બંધ થાય? સરકાર જો સર્વે કરાવે તો ખબર પડે કે બંધ થવા જેવાં કેટલાં ય ટોલનાકા હજી પણ વર્ષોથી ટેક્સ ઉઘરાવ્યા જ કરે છે. સરકારે વિધિવત જાહેર કરવું જોઈએ કે શરૂ થયેલાં કેટલાં ટોલનાકા ખરેખર બંધ થયાં છે? જો સરકાર સાથેની મિલીભગત ન હોય તો આ કામ સરકારે ઉપાડીને ટોલનાકાનું સ્પષ્ટ ચિત્ર પ્રજા સમક્ષ મૂકવું જ જોઈએ.

ને કેટલા સુરતીઓ લૂંટાયા પછી સરકાર સુરતના ટોલનાકાને મુદ્દે હસ્તક્ષેપ કરશે તે કહેશે?

સુરતીઓ લહેરી હોવા ઉપરાંત મૂરખ પણ છે એટલે રાજ્યમાં કે કેન્દ્રમાં તેના મંત્રી ન હોય તો સાંસદો કે ધારાસભ્યોથી ચલાવી લે છે. એ સાંસદો કે ધારાસભ્યો પણ એટલા જ લહેરી છે કે સુરતને અધૂરું રેડિયો સ્ટેશન મળે કે ટી.વી. કેન્દ્ર ન મળે તો ઝાઝી પરવા કરતાં નથી. સૌથી વધુ રેવન્યૂ સૂરત રળી આપે તો પણ એઈમ્સ સુરતને ન મળે, એનું મૂરત વડાપ્રધાન રાજકોટને કાઢી આપે ને સુરતીઓ ને એના સાંસદો ને ધારાસભ્યો આરામથી તાબોટા ફોડી શકે, એ પણ કેવું? સાચી વાત તો એ છે કે ઢગલો પાત્રતા હોવા છતાં આ શહેરને તેનો આગવો અવાજ જ નથી. સૂરત વસૂલવામાં ને ભૂલવામાં હંમેશ મોખરે રખાયું છે તે શરમજનક છે. આપણા ધારાસભ્યો, સુધારાસભ્યો બને ને સાંસદો દિલ્હીની ડેલીએ હાથ દઈને જ પાછા ન ફર્યા કરે તો સુરતનું ઘણું કામ થાય, મગર વો દિન કહાં કિ …

0

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 11 જાન્યુઆરી 2021

Loading

...102030...2,1462,1472,1482,149...2,1602,1702,180...

Search by

Opinion

  • ધોળું એટલું દૂધ નહીં, દૂધ અને તેની મિલાવટોની ગાથા
  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved